Opinion Magazine
Number of visits: 9685150
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નિવેદન

બિપિન પટેલ|Opinion - Literature|18 March 2019

૧૯૯૦માં મારી વર્તાશૈલીને અનુકૂળ આબોહવામાં પહેલી વાર્તા ફૂટી, ત્યારે પ્રથમ સંગ્રહનો અંદેશો પણ મનમાં ન હતો. હા, વાર્તા લખાય, મિત્રોના ચહેરા પર ખુશી રેલાય ને માંહ્યલો રાજી થતો. આરંભમાં ‘શબ્દસૃષ્ટિ’ અને ‘ગદ્યપર્વ’એ પોરો ચડાવ્યો અને ૧૯૯૯માં ‘દશ્મન’ વાર્તાસંગ્રહ પ્રગટ થયો. પ્રથમ સંગ્રહમાં ઉત્તર ગુજરાતની બોલીનું બાહુલ્ય હતું, કારણ બાનો ઘેરો પ્રભાવ. બીજા સંગ્રહ ‘જે કોઈ પ્રેમ અંશ’(૨૦૦૮)માં બોલી લગભગ બાદ હતી અને શહેરનાં પાત્રોએ મને પકડ્યો. આ વાર્તાઓ મહદંશે વિચારની વાર્તાઓ પણ ખરી.

મારી વાર્તાના ત્રણ પડાવ કે બદલાવના પહેલા તબક્કામાં પ્રથમ વાર્તા ‘હોળી’ લખાઈ અને  ‘શબ્દસૃષ્ટિ’ના ૧૯૯૦ના જૂન અંકમાં છપાઈ.

‘હોળી’ વાર્તા કશાક રોષ, નકાર, વિરોધમાંથી સર્જાઈ હતી. ‘હોળી’ના કથકને સમાજ સામે વાંધો હતો, જે વાર્તામાં ચોમેર વેરાયેલો છે. આ પહેલી વાર્તા પ્રતિબદ્ધ વાર્તા હતી. પણ એ બદ્ધ હતી. એમાં કલાનો કશો ચમત્કાર ન હતો. It was opinionated. એમાં કળાકારે બદ્ધ રહેવાનું પાલવે નહીં. તેથી તે પછી તરત જ કિશોર કથકની નજરે ‘કસ્તર’ લખી. આ વાર્તાની નાયિકા એની દલિત સખીને અસ્પૃશ્ય હોઈને વેઠવા પડતા અપમાનથી દુઃખી થઈ છે. પણ આ વાત પરંપરાગ્રસિત સમાજ, દલિતોની સુધરતી આર્થિક-સામાજિક સ્થિતિ અને બદલાતા સમાજને પૃષ્ઠભૂ તરીકે મૂકીને કરી છે.

અગ્રવર્ગનો અનામતવિરોધ જાણીતી વાત છે, પણ અમદાવાદ-ગાંધીનગર આવ જા કરતા સચિવાલયના કર્મચારીઓ હૅન્ડિકૅપ માટેની રિઝર્વ સીટના વિરોધ નિમિત્તે, કારસા રચી એક હૅન્ડિકૅપને નગણ્ય કરી મૂકે છે, એની વાર્તા ‘હૅન્ડિકૅપ’ લખી.

મિલાન કુન્દેરા મારા ગમતા લેખક છે. એમણે નવલકથા, વાર્તા ઉપરાંત નવલકથાના સ્વરૂપ વિશે પણ ચાર પુસ્તકો લખ્યાં છે, જેમાં યુરોપની નવલકથાનો વિવેચનાત્મક, સાંસ્કૃતિક ઇતિહાસ આલેખ્યો છે. વિવેચનના પ્રથમ પુસ્તક ‘Art of the Novel’માં એમણે આપેલી મુલાકાત પણ છે. એ મુલાકાતમાં ઐતિહાસિક નવલકથાલેખન માટે જરૂરી મુદ્દાની વાત કરતાં એ કહે છે, ‘ઇતિહાસને અસ્તિત્વમૂલક પરિસ્થિતિ સંદર્ભે સમજવો જોઈએ અને તેનું વિશ્લેષણ કરવું જોઈએ. દા. ત., વર્ષ ૧૯૬૮માં રશિયાએ ચેકોસ્લોવાકિયા પર આક્રમણ કર્યું તે પછી રશિયન સૈન્યે અલેક્ઝાન્ડર દૂબચેકનું અપહરણ કર્યું, જેલમાં પૂર્યા અને રશિયાના પ્રમુખ બ્રેઝનેવ સાથે મંત્રણા કરવા ફરજ પાડી. તે પછી દૂબચેક પ્રાગ પાછા ફરે છે. ત્યાંના રેડિયો પર નિવેદન કરે છે, પણ બોલી શકતા નથી. એ પરાણે શ્વાસ લે છે, વાક્યની વચ્ચે લાંબો પીડાકારી વિરામ લે છે. આ ઐતિહાસિક પ્રસંગ શેનો સંકેત કરે છે ? આ પ્રસંગ અત્યારે તો સંપૂર્ણપણે ભુલાઈ ગયો છે, કારણ કે દૂબચેકે ભાષણ આપ્યાના બે કલાકમાં ટેક્‌નિશિયનોને આદેશ આપવામાં આવ્યો કે ભાષણમાં જ્યાં-જ્યાં એ અટક્યા (વેદનાના માર્યા) છે, તે દૂર કરવું. કેમ કે એ એમની નબળાઈ છે. નબળાઈ એમના અસ્તિત્વનો ભાગ બની ગઈ હતી. શક્તિશાળી તંત્રનો મુકાબલો કરતો, પનારો પાડતો કોઈ પણ માણસ નબળો છે, પછી ભલે તે દૂબચેક જેવો કસાયેલો અને બલિષ્ઠ હોય.’

તંત્રએ ભૂંસેલા પીડાકારી વિરામને જેમ કુન્દેરાએ વર્ષો પછી સાંભળ્યો, તેમ આજના આપણા દેશકાળમાં રહિતોનાં ડૂસકાં સાંભળવાની ક્ષમતા સર્જકે કેળવવી પડશે, અત્યારના સમયમાં ખાસ.

આવી એકલદોકલ વ્યક્તિનો એક યા બીજા તોરતરિકાથી સમાજ, તંત્ર કેવી ચતુરાઈપૂર્વક લોપ કરે છે અને તેવી વ્યક્તિ, વ્યક્તિ મટીને આંખમાંથી દૂર કરવાલાયક કસ્તર જેવી નગણ્ય બની જાય છે. ‘પિટિશન ‘વાર્તામાં પણ વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર, અંગ્રેજી ન જાણતા પિટિશનરને ન્યાયથી વંચિત રાખે છે, એની એને ગંધ પણ નથી આવતી.

મારી આ વાર્તાઓમાં ઉત્તર ગુજરાતનું ગામડું જે રીતે પૃષ્ઠભૂ છે, તેમ સચિવાલય પણ છે.

બીજા તબક્કામાં ઉત્તર ગુજરાતથી અમદાવાદ જેવા શહેરમાં ‘ઉદર કાજે સેવ્યું નંદરબાર’ પંક્તિ લખનાર પ્રેમાનંદની જેમ ફરજિયાત વસવાટ અને ગોઠવાવાની મથામણ કરવી પડી હોય, તેવાં પાત્રોનું ચિત્રણ છે.

અહીં લેખકને મન એ પાત્રો ગામડિયાં ગણાઈને મજાકને પાત્ર બને છે તે ભાવ નથી, તો ગ્રામજન ભોળો અને શહેરી લોક લુચ્ચા અને પેક એવું સાદું સમીકરણ પણ નથી. તેને સ્થાને સમાજનાં આ બે યુનિટો એકબીજાંને મળે છે, ત્યારે એમનાં જુદાપણાં સાથે એકબીજાંને કેવી રીતે મળે છે એ વિશેની વાત, મારી હળવાશભરી શૈલીમાં મેં ‘બૂફે’ ‘કરિયાવર’ ‘દશ્મન’ અને ‘ગ્રહણ’ જેવી વાર્તાઓમાં કરી છે. આ વાર્તાઓ એકપરિમાણી ન રહે તે માટે એ વાર્તાઓમાં અન્ય સ્તર પણ હોય તેવી કાળજી રાખી વાર્તાની વિવિધ પ્રયુક્તિઓ પણ ખપમાં લીધી છે.

૧૯૮૯ના વર્ષે યુ. એસ. એસ. આર.માંથી કેટલાંક રાજ્યો છૂટાં પડ્યાં. લોકશાહી અને સામ્યવાદી શાસનને બે ભાગમાં જુદા પાડતી જર્મનીની બર્લિન વૉલ તૂટી. આ સાથે સામ્યવાદના કાંગરા  ખરવા માંડ્યા. અત્યાર સુધી વિશ્વ દ્વિધ્રુવી હતું. મૂડીવાદી અર્થવ્યવસ્થા અને ડાબેરી વિચારધારાની વ્યવસ્થા અલગ-અલગ દેશોમાં ચલણમાં હતી. સામ્યવાદનો પ્રભાવ ઘટતાં વિશ્વ એક ધ્રુવી થયું અને મૂડીવાદી અર્થવ્યવસ્થાએ વિશ્વના મોટા ભાગના દેશોમાં રૂક્કો જમાવ્યો. સર્વહારાના રાજ્યની સ્થાપનાને નામે લાખો લોકોની કતલ કરનાર સામ્યવાદી ચીને મૂડીવાદને પોષતા આર્થિક સુધારા ૧૯૭૧માં અમલમાં મૂક્યા. ભારતે પણ પરિસ્થિતિવશ ૧૯૯૧માં આર્થિક સુધારા સ્વીકાર્યા.

આ અર્થવ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા રહિતો સાથે કેવું વર્તન કરે છે, એનું ચિત્રણ આ સંગ્રહની કેટલીક વાર્તાઓમાં છે તે છે, મારી ત્રીજા તબક્કાની વાર્તાઓ.

અત્યાર સુધી મારી વાર્તાઓ અંગત, એકલદોકલ વ્યક્તિની પીડાને શબ્દસ્થ કરતી હતી. તેમાં આ વાર્તાઓથી બદલાવ આવ્યો છે. હવે રાજ્યતંત્રએ અમલવારી કરી છે, તે આર્થિક વ્યવસ્થાથી પીડિત, પ્રભાવશાળી રાજપુરુષના પ્રભાવમાં આવીને ખુદની જાણબહાર દાસત્વનો વેશ ભજવવા લાગે છે, એવા વર્ગ અને વર્ગસમૂહની વાર્તા માંડી છે.

ભારતના શાસકોએ આરંભમાં મૂડીવાદને સાચો ઠેરવવા અર્થશાસ્ત્રની ‘ટ્રિકલડાઉન’ થિયરી અથવા ‘બોટમ ઑફ ધ પિરામિડ’ સુધી નાણાં પહોંચશે અને સમાનતા આવશે એવી આશા બંધાવી. પણ એમ કરતાં તો નેવાનાં પાણી મોભે આવ્યાં જેવું થયું.

ત્યાર પછી પણ મૂડીવાદના સમર્થકો, અર્થશાસ્ત્રીઓ અને રાજ્યવ્યવસ્થા ન થાક્યાં. તેથી ‘L P G’ નામે જુદી નવી વ્યવસ્થા લઇ આવ્યાં. L–Liberalisation, P–Privatisation અને G– Globalisation. આ  વ્યવસ્થાથી સમાજના નીચલા વર્ગનું શું થયું તે બરાબર સમજવું હોય તો ફ્રેંચ અર્થશાસ્ત્રી થોમસ પિકેટીનું ‘Capital in the Twenty First Century’ વાંચવું રહ્યું. એમણે ૭૦૦ પાનાંના આ વિશાળ પુસ્તકમાં આંકડાઓ સાથે રમતાં રમતાં બાલ્ઝાક, જેન ઓસ્ટીન અને અન્ય સાહિત્યકારોનાં અવતરણ ટાંકીને આર્થિક અસમાનતા ઉપર પોતાના વિચારો રજૂ કર્યા છે અને તેના સમર્થનમાં ૧૯૭૦થી લઈને ૨૧મી સદી સુધીના આંકડા મૂકી તારણ આપ્યું કે અમેરિકાની રાષ્ટ્રીય સંપત્તિમાં થયેલા કુલ વધારા પૈકીનો ૬૦ ટકા વધારો ટોચના ૧ ટકા લોકોના ફાળે ગયો અને બાકીનાના ફાળે શેષ સંપત્તિ નસીબ થઈ.

આપણે ત્યાંનું ચિત્ર પણ આનાથી જુદું નથી. થોમસ પિકેટી, લુકાસ ચાન્સેલ અને તેમની ટીમે તાજેતરમાં એક પેપર ‘ભારતમાં આવકની અસમાનતા, ૧૯૨૨ – ૨૦૧૪ : બ્રિટિશરાજથી બિલિયોનેર રાજ’ પ્રગટ કર્યું છે. આ પેપરનાં મુખ્ય તારણો આ પ્રમાણે છે : ૧૯૮૦થી ૨૦૧૪ના સમયગાળામાં ટોચના ૧ ટકા લોકોની આવક ૬ ટકાથી વધી ૨૨ ટકા થઈ. એ જ સમયગાળામાં ટોચના ૧૦ ટકા લોકોની આવક ૩૦ ટકાથી વધી ૫૦ ટકા એ પહોંચી જયારે મધ્યમવર્ગના ૪૦ ટકા(ધી ગ્રેટ ઇન્ડિયન મિડલક્લાસ)ની આવક ૪૩% થી ઘટીને ૩૦ ટકાએ પહોંચી અને તળિયે રહેલા ૫૦ ટકા રહિતોની આવક ૨૪ ટકાથી ઘટીને ૧૫ ટકાએ પહોંચી. ચિત્તને ક્ષુબ્ધ કરી દે તેવું આ ચિત્ર છે. સામ્યવાદને નજીવો કરી દીધો અને મૂડીવાદને પૂર્ણતઃ અપનાવીને શું મેળવ્યું?

આમ, જનાસધારણનાં જીવન આ એક યા બીજી થિયરી અપનાવવાની પ્રયોગશાળા બની જાય એ કેવું? વિકાસની દોટમાં પર્યાવરણનો દાટ વાળ્યો અને જગતના તાતને ચોધાર આંસુએ રોવડાવ્યો. રોજેરોજ ખેડૂતો આત્મહત્યા કરે છે, તેવા કાળે જમીન-સંપાદન અધિનિયમ-સુધારણાના બહાને એની જમીન હસ્તગત (હડપ) કરવાના કારસા રચીએ છીએ, ત્યારે એ ખેડૂતનું મૂંગું ડૂસકું સાંભળતી વાર્તા ‘સંગીતશિક્ષક’ લખાઈ. આમ ‘હોળી’ વાર્તાથી શરૂ કરી વૈશ્વિકીકરણના ભાગ રૂપે ખેડૂતો પાસેથી જમીન છીનવાઈ રહી છે, ત્યાં સુધીના ફલકને આવરી લેવાનો મેં પ્રયત્ન કર્યો છે.

મૂડીવાદના પ્રભાવને કારણે બદલાતા સમાજ અને સમયની, ભાઈ-બહેનના સંબંધોમાં ઊભો થતો તનાવ અને આર્થિક સુધારાનાં પચ્ચીસ વર્ષ પછી પણ તળિયે રહેલા વંચિતો કેટલે પહોંચ્યાં એની વાર્તાઓ ‘કુંવાશીઓ ઓલે તો’ અને ‘ગોપાલફાર્મ’ સાથે ઝટ ટોચે પહોંચવાની લાયમાં મૂડી ગુમાવી. નફામાં ગાંડપણ વહોરતા નિઃસહાય પુત્રની પીડા વેઠતી માની  વાર્તા ‘ઇમ આગળ નો અવાય’ પણ સંગ્રહમાં સમાવી છે.

વિકાસની આભાસી અને આકાશી ખેતી કરનારા આપણા રાજપુરુષોની આભા અને ‘ઓ’માં અંજાયેલી પ્રજાનાં વાણી અને વર્તનમાં જે સૂક્ષ્મ પરિવર્તનો થઈ રહ્યાં છે, તે ‘રિવ્યૂ’માં વાર્તાવિષય બન્યાં છે. આવો સમૂહ જ વાર્તાનું પત્ર બની જાય છે, એની વાર્તા ‘બકાભાઈ’માં તો જુલમી શાસક કાળક્રમે પ્રજાને એમનો રહનુમા લાગવા માંડે એ માનસશાસ્ત્રનો ‘Stockholm Syndrom’  સિદ્ધાંત વાર્તારૂપ પામ્યો છે.

૨૦૧૭નું વર્ષ દેશકાળ અને વિશ્વસમસ્તમાં નોખી ભાત પાડનારું બની રહેવાનું છે. આ સમય ‘posttrurh’નો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ‘બ્રૅક્ઝિટ’ના કાળમાં ‘ઑક્સફર્ડ ડિક્ષનરી’એ ૨૦૧૬માં ‘posttrurh’ (સત્ય પછી) શબ્દને આંતરરાષ્ટ્રિય શબ્દ તરીકે જાહેર કર્યો હતો. સાંપ્રત સંદર્ભે પ્રયોજાયેલો આ શબ્દ સૌપ્રથમ સર્બો-અમેરિકી નાટ્યકાર સ્ટીવ ટેસિચે ૧૯૯૨માં લખેલા એક નિબંધમાં પ્રયોજ્યો હતો. ઑક્સફર્ડે એની વ્યાખ્યા આમ કરી છે, ‘સત્ય પછી એટલે, લોકમત ઊભો કરવામાં વાસ્તવિક તથ્યોને સ્થાને લાગણીસભર અને અંગત માન્યતાઓ વિશેષ સ્વીકૃતિ પામે તેવા સંજોગો સર્જાવા. ‘ઑક્સફર્ડ ડિક્ષનરીના પ્રમુખ કેસ્પર ગ્રેથવોલે ભાખ્યું હતું કે ‘સત્ય પછી’ શબ્દ આપણા સમયને વ્યાખ્યાયિત કરનાર શબ્દ બને, તો એમને આશ્ચર્ય નહીં થાય.’

ભારતના સહુને તો ‘સત્ય પછી’નો સમય, ૨૦૧૪માં જ કેટલાક રાજકારણીઓ દ્વારા બોલાતી ભાષાને કારણે પરખાઈ ગયો હતો. તેથી તો આજે આભા, અશક્ય વચનો, વાચાળતાએ વાસ્તવને હડસેલી મૂક્યો છે. વૈશ્વિકીકરણથી ઊભી થયેલી મોકળાશ અને વિશ્વ એક ગામ બનવા જઈ રહ્યું હતું – એ ખ્યાલ કડડડ તૂટી રહ્યો છે. જનસમૂહના મનમાં સંકુચિતતાનાં બીજ રોપાઈ ગયાં છે. કાલ્પનિક શત્રુના ભયના માર્યા ઘણાં રાષ્ટ્રોમાં ‘હું અને મારો દેશ’ અને બાકી બધા ‘ઇતરજન’ અથવા તો ‘ધ અધર’નો ભાવ દૃઢ થતો આવે છે ને ‘નવ્ય રાષ્ટ્રવાદ ‘ચલણમાં આવી રહ્યો છે. આજે સાચે જ વ્યક્તિમાત્રનું જીવન એનું પોતાનું નથી રહ્યું. કાફ્કાના લૅન્ડસર્વેયરના જીવનમાં જેમ તંત્ર એના બેડરૂમ સુધી દખલઅંદાજી કરી શકતું, તેમ આજના મનુષ્યના ઘર-જીવનમાં સમાજ અને તંત્ર પેશકદમી કરી રહ્યાં છે.

ફરી ૧૯૯૦ની જેમ ચોમેર કલ્ચરલ ક્લેમર સંભળાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિનાં ઓવારણાં લેતાં-લેતાં શું ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, બોલવું, લખવું, વાંચવુંના આદેશો બહાર પડાય છે અને આપણે સહુ એમ કરીએ છીએ કે નહીં તે ‘બિગબ્રધર’ જોઈ રહ્યા છે. ભિન્ન મતને, ભિન્ન વિચારને કોઈ સ્થાન નથી. ભોગેજોગે જો તમે જુદો મત ધરાવો, તો તમને ચૂપ કરી દેવાશે, ક્યારેક તો હંમેશ માટે. સહુ લેખકો માટે આ પડકારનો સમય છે. તો, આ અંધકારનો સમય પણ ‘પેશકદમી’ વાર્તામાં અનુભવાશે.

સામાજિક અભિજ્ઞતાની વાર્તાઓમાં મારા આદર્શ ઝવેરચંદ મેઘાણી અને નાદીન ગોર્દીમર રહ્યાં છે. તેથી તરતના સમયની આ વાર્તાઓમાં કોઈ પણ સમસ્યા અને પાત્ર શ્વેત-શ્યામના ચોકઠામાં ન મુકાય તે સારુ મથ્યો છું. મોટા ભાગની વાર્તાઓમાં બદલાતો સમય, બદલાતા જનસમૂહનો પગરવ સાંભળ્યો છે. એમ તો સદીઓથી સર્જકોને આકર્ષતો અને માર્ક્વેઝે એમની નવલકથા ‘લવ ઇન ધ ટાઇમ ઑફ કૉલેરા’માં મહિમા કર્યો છે, તે ચીલે, પ્રેમની બે વાર્તાઓ અને મારો અંત સુધી પીછો નથી છોડવાનું એ સચિવાલયના પાત્રની વાર્તા પણ સંગ્રહમાં સમાવી છે.

અંગત પીડાની વાર્તા ‘હોળી’થી શરૂ થયેલી મારી યાત્રા પારકી પીડાને પોતાની કરવા સુધી પહોંચી છે, તેવી મારા ત્રીજા તબક્કાની આ વાર્તાઓ ભાવકોને ગમશે, એવી આશા રાખું છું.

સતત વાર્તા લખવામાં રમમાણ રહેતા આદરણીય પ્રવીણસિંહ ચાવડાએ એમના સર્જન સમયમાં કાપ મૂકીને મારી આ વાર્તાઓ નાણી, પ્રમાણીને જે પ્રવેશક લખ્યો છે, તે માટે હૃદયપૂર્વક એમનો આભાર માનું છું.

ફ્લેપ પર મારું વર્તાવિશ્વ ઉઘાડી આપનાર મિત્ર કિરીટ દૂધાતનો ઋણી છું.

આ વાર્તાઓ ઇમેજ પ્રકાશન સંસ્થા વતી સુંદર સજાવટ કરી ભાવકોને સુલભ કરી આપનાર વાર્તાકાર, નાટ્યવિદ્દ ઉત્પલ ભાયાણી અને વ્યવસ્થાપક કેતનભાઈનો અત્યંત આભારી છું.

અમદાવાદ

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 13-14

Loading

સંત ગાડગે

ભરત મહેતા|Opinion - Opinion|17 March 2019

મને  આશ્ચર્ય થાય છે કે આસ્તિક હોવા છતાં ગાંધીજી કદી કોઈ મંદિરમાં નથી ગયા! મંદિર-મસ્જિદ-ચર્ચના આંટાફેરા માર્યા કરતા આજના રાજકારણીઓના સંદર્ભે પણ આ જોઈ શકાય. આત્મકથામાં એમણે લખ્યું છે કે એમનો પારિવારિક સંપ્રદાય તો વૈષ્ણવ સંપ્રદાય હતો. પરંતુ એમાં એમને વિલાસ જ દેખાતો અને તેથી તેઓ હવેલીઓથી દૂર રહ્યા. ગાંધીને જોઈને ઘણા સંન્યાસીઓ સામાજિક કાર્યકરો બન્યાના દાખલાઓ તો જાણીતા જ છે. ઉદાહરણસ્વરૂપે આપણે તો સ્વામી આનંદને લઈ શકીએ.

હિંદુધર્મની અ-સ્પૃશ્યતા જેવા, હિમાલય જેવા કલંક સામે, કબીર, રૈદાસ જેવા સંતોએ લોકજાગૃતિ આણી હતી. ત્યાં સુધી કે પ્રણામી-સંપ્રદાયમાં પણ આ જોઈ શકાય. ગાંધીજીનાં માતા પૂતળીબાઈ પ્રણામી-સંપ્રદાયના અનુયાયી હતાં. એ પ્રભાવ પણ ગાંધીજી પર પડેલો જોઈ શકાય. કબીર, રૈદાસની પરંપરામાં મરાઠી સંત બાબા ગાડગે પણ છે. જો કે એમનું નામ બહુ જાણીતું નથી. મોટે ભાગે સંતોથી દૂર રહેવામાં જ ભલાઈ માનનારા આંબેડકરને સંત ગાડગે માટે ખૂબ જ માન હતું.

૨૩મી ફેબ્રુઆરી, ૧૮૭૬માં જન્મેલા સંત બાબા ગાડગેનું ૨૦મી સદીના સમાજસુધારકમાં મહત્ત્વનું પ્રદાન છે. જેમ ‘મણિકર્ણિકા’ સુધી સહુ કોઈને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યાદ આવે, પરંતુ એમની સાથે જ બલિદાન આપનાર વિરાંગના ઝલકારીબાઈ વર્ષો સુધી હાંસિયામાં ધકેલાઈ  ગયાં હતાં હવે એમના વિશે લોકો જાણતા થયાં છે. સંત બાબા ગાડગે માટે પણ એવું જ છે. બાબા ગાડગે કબીર અને રૈદાસ પરંપરાના સંત હતા. લગભગ અછૂત ગણાતી ધોબી જાતિમાં એમનો જન્મ થયો હતો. પોતાની સાથે હરહંમેશ એક માટીનું પાત્ર રાખતા, જેમાં એ જમતા, પાણી પીતા. મરાઠીમાં માટીનાં આવા પાત્રને ગાડગા કહેવાય છે, તેથી લોકો એમને બાબા ગાડગેના નામથી જ જાણતા હતા.

બાબા ગાડગે આંબેડકરના પુરોગામી હતા. દોઢ દાયકો મોટા હતા, પરંતુ આંબેડકરની પ્રવૃત્તિ માટે એમને ખૂબ જ માન હતું. જ્યારે લગભગ બાવાઓ, સંન્યાસીઓ, શંકરાચાર્યોને ગાંધી અને આંબેડકર માટે રોષ હતો. ગાંધીજીના અસ્પૃશ્યતાનિવારણનાં કામોથી, દલિતોના મંદિરપ્રવેશ જેવી બાબતોથી આ વર્ગ નારાજ હતો. ગાંધીજી પર ત્રણ પ્રાણઘાત હુમલા પણ થયેલા. શંકરાચાર્યોએ તો બ્રિટન સરકારને અરજી કરેલી કે ગાંધીજીને ‘હિન્દુ જાતિ’માંથી રદ્દ કરવામાં આવે! આવા રૂઢિચુસ્ત વાતાવરણમાં બાબા ગાડગે જેવા વિરલ સંતો સમાજસુધારણામાં આંબેડકરને સાથ આપે એ કેટલી મોટી ઘટના હતી.

કીર્તનના માધ્યમથી બાબા ગાડગે જાતિ પ્રથા વિરુદ્ધ પ્રચાર કરતા હતા, તેથી અલ્પશિક્ષિત હોવા છતાં બાબાસાહેબને આવા જામીન સાથે જોડાયેલા કાર્યકરો માટે આદર હતો. આજે જ્યારે આપણે શિક્ષણના કારણે ઘણીવાર ઉન્નતભ્રૂ થઈને આવા પાયાના કાર્યકરો તરફ આંખ આડા કાન કરીએ છીએ, ત્યારે આપણે કોઈ પણ ચળવળમાં જ વેઠવાનું આવે છે. બાબાસાહેબ બાબા ગાડગેના સંબંધમાંથી આપણે આ શીખી શકીએ. ઉચ્ચતમ ડિગ્રીઓવાળા બાબાસાહેબ આંદોલન અને સામાજિક પરિવર્તન માટે બાબા ગાડગેનું માર્ગદર્શન લેતા પણ અચકાતા ન હતા.

બાબા ગાડગે જેમ પોતાની પાસે એવી માટીનું પાત્ર રાખતા હતા, તેવી જ રીતે એક ઝાડુ પણ હંમેશાં સાથે રાખતા. બ્રાહ્મણવાદના પાખંડ અને જાતિવાદ સિવાય એમણે સ્વચ્છતા વિશે પણ આ રીતે પ્રતીકાત્મક કામ કરેલું. એ કહેતા કે પૂજાના ફૂલોથી પણ મારું આ ઝાડુ શ્રેષ્ઠ છે. પથ્થરની મૂર્તિને ભોગ ધરાવવાના બદલે ભૂખ્યાંને ભોજન આપો, એવું પોતાના અનુયાયીને કહેતા હતા. અંધશ્રદ્ધા, કુરિવાજો વિરુદ્ધ એમણે મહારાષ્ટ્ર-આંદોલન ચલાવેલું.

પોતે અગાઉ કહ્યું તેમ શિક્ષિત ન હતા પરંતુ બાબાસાહેબના પ્રભાવમાં તેમણે શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો. ખાવાની થાળી વેચી દેવી પડે, તો એ વેચીને પણ ભણો. હાથમાં રોટી લઈને ખાઈ શકાશે, પણ શિક્ષણ વિના ઉદ્ધાર નથી. પોતે જ્યારે શિક્ષણનો પ્રચાર કરતા ત્યારે એ આંબેડકરનું ઉદાહરણ આપતા હતા. જુઓ, એક દલિત છોકરો પણ મહત્ત્વકાંક્ષાથી કેટલું ભણ્યો ! શિક્ષણ એ કેવળ બ્રાહ્મણોનો ઇજારો નથી. સયાજીરાવે આંબેડકરને મદદ કરેલી. દલિતોના શિક્ષક માટે આ રીતે આપવાદરૂપ કામો થતાં. ભારતરત્ન મદનમોહન માલવિયા જ્યારે સયાજીરાવ પાસે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય માટે સહાય માંગવા આવ્યા, ત્યારે સયાજીરાવે કહ્યું કે હું તમને પાંચ લાખની મદદ કરું. એ જમાનામાં એ રકમ ખૂબ જ મોટી ગણાય. સાથોસાથ શરત મૂકી કે પંદર વિદ્યાર્થીઓનો ખર્ચ ગાયકવાડ સરકાર વધારામાં ભોગવશે. તમારા વિશ્વવિદ્યાલયમાં પાંચ દલિત, પાંચ આદિવાસી, પાંચ મુસ્લિમ વિદ્યાર્થીને પ્રવેશ આપવો પડશે. માલવિયાજીને આ શરત મંજૂર નહોતી અને એમણે સયાજીરાવની સહાયથી વંચિત રહેવાનું પસંદ કરેલું. આ ઘટના અહીં એટલા માટે મૂકું છું કે દેશમાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી, એનો અંદાજ આવે.

આવા વાતાવરણમાં બાબા ગાડગેએ ૩૧ શિક્ષણસંસ્થાઓ સ્થાપી હતી, જેમાં દલિતો અને નિમ્ન જાતિને અગ્રિમતા હતી! સો જેટલાં સામાજિક સંગઠનો તેમણે બનાવ્યાં હતાં. બાબાસાહેબ અને બાબા ગાડગેની મૈત્રી વિશે યુ.પી.એસ.સી.ના પ્રથમ દલિત અધ્યક્ષ ડૉ. એમ.એલ. શહારેએ તેમની આત્મકથા ‘યાદોં કે ઝરોંખો’માં લખ્યું છે. એ જમાનામાં શિક્ષિત દલિતોના ઘરમાં બાબાસાહેબ અને બાબા ગાડગેની સાથે ખેંચાયેલી તસ્વીર તેમને અવશ્ય જોવા મળતી! બેઉ ઘણી વાર મળેલા અને આજે પણ બેઉની તસ્વીર દલિત સમુદાયમાં જોવા મળે છે. બાબાસાહેબે જ્યારે પંઢરપુરમાં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સ્થાપી, ત્યારે એમને હોસ્ટેલ માટે જગ્યા નહોતી મળી. બાબા ગાડગેએ પંઢરપુરમાં એક ધર્મશાળા બનાવેલી તે તાત્કાલિક કાયમી ધોરણે બાબાસાહેબને હૉસ્ટેલ માટે આપી દીધી! બંને વચ્ચે આ પ્રકારનો સંબંધ હતો.

બાબાસાહેબના મૃત્યુ પછી માત્ર ચૌદ દિવસ પછી ૨૦ ડિસેમ્બર ૧૯૫૬માં બાબા ગાડગેનું મૃત્યુ થયું. સંત ગાડગે બાબાની શિક્ષણવિષયક પ્રવૃત્તિને શ્રદ્ધાંજલિ સ્વરૂપ મહારાષ્ટ્ર સરકારે પહેલી મે, ૧૯૮૩ના રોજ અમરાવતી યુનિવર્સિટીને સંત ગાડગે બાબા વિશ્વવિદ્યાલય નામ આપ્યું. ૨૦ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ ભારત સરકારે એમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. ઈ.સ. ૨૦૦૧માં મહારાષ્ટ્ર સરકારે સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા-અભિયાન પણ શરૂ કર્યું.

બાબાસાહેબે સંત ગાડગેને જ્યોતિબા ફૂલે પછીના સહુથી મોટા ત્યાગી જનસેવક ગણાવ્યા હતા. ૨૩મી ફેબ્રુઆરીએ એમનો જન્મદિન ગયો. એમને શતશત વંદન.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 07

Loading

‘નાઈનટીન એઈટી ફોર’નો ઉત્તર

પ્રો. જે. ડી. સેઠી|Gandhiana|17 March 2019

પ્રૉફેસર જે.ડી. સેઠી − ગઈ પેઢીના જાણીતા અર્થશાસ્ત્રી અને ગાંધીવિચારના પ્રખર વિદ્વાન – દ્વારા ઑલ ઇન્ડિયા રેડિયો પર 1979માં અપાયેલા પટેલ મેમોરિયલ લેકચરના કેટલાક અંશો

એમના મૃત્યના ત્રીસ વર્ષ પછી, અને ‘હિન્દસ્વરાજ’ લખ્યાનાં લગભગ સાઠ વર્ષ પછી, ગાંધી અચાનક માનવીય મૂલ્યોની વૈશ્વિક કટોકટી તથા વૈભવ અને ગરીબાઈ, સામાજિક સંબંધો અને અલગાવપણું જેવા કેટલા ય વણઊકલ્યા વિરોધાભાસોના શક્ય ઉકેલ તરીકે ફરીથી ઊભરી રહ્યા છે.

ઇતિહાસની આ એક મોટી વિડંબના છે કે જ્યારે બાકીની દુનિયા ગાંધીની વિચારધારા અને મૂલ્યોને ગંભીરપણે તપાસી રહી છે, ત્યારે આપણે ભારતમાં હજી એક બાજુ એમનાં ગુણગાન ગાવામાં અને બીજી બાજુ એમના વિચારોની તોડ-મરોડની સ્થપીડક કસરતોમાં રચ્યાપચ્યા રહીએ છીએ. પણ કોઈ પણ પયગંબરના શિરે પોતાના જ અનુયાયીઓ દ્વારા પોતાનું ભળતું જ અર્થઘટન થવાનું જોખમ હોય જ છે, અને ગાંધી સાથે આ જ થયું છે. ઘણા લાંબા વખતથી ગાંધી આપણા માટે એક અસ્પૃશ્ય ભગવાન તરીકે સ્થપાયેલા છે. પરંતુ કોઈ પણ દેશ પોતાના વીરનાયકોને બદલાયેલી પરિસ્થિતિઓ અને નવા પ્રશ્નોના પરિપ્રેક્ષ્યમાં ફરીથી તપાસે એથી દરિદ્ર થઈ જતો નથી. સમય આવી ગયો છે કે આપણે પણ આપણા નેતાઓ તરફથી આપણી અર્થહીન ભાવનાભક્તિનો ત્યાગ કરીએ. હું તો એમ પણ સૂચવીશ કે આપણે ગાંધી તરફ એક ટીકાત્મક કે કદાચ થોડું બિનપૂજનીય વલણ દાખવવું જોઈએ. એમની રહસ્યમયતાને ભેદીને એમને સ્પષ્ટ રીતે સમજવા માટે આ જરૂરી છે. આપણા તારણહાર તરીકે એમને પૂરું સન્માન આપવાની સાથે સાથે આપણે હવે એમના વિચારોનું કઠોર, નિષ્પક્ષ અને તાર્કિક વિશ્લેષણ કરવાનું શરૂ કરવું જોઈએ. ગાંધીએ પણ કદાચ આપણે આમ કરીએ એવું ઇચ્છ્યું હોત. ગાંધીને વખાણની જરૂર નથી. એમને દંતકથારૂપ બનવામાંથી બચાવવાના છે. આ સહેલું કામ નથી.

ગાંધી, જીવનને સર્વાંગીપણે જોતા અને વિવિધ શાખાઓના અભ્યાસમાંથી તારવેલાં દૃષ્ટિબિંદુઓને એક જ એકીકૃત કાર્યશૈલીમાં વણતા, જોતરતા. નજીકના સમયમાં કદાચ કાર્લ માર્ક્સના અપવાદ સિવાય કોઈએ પણ આવું ભગીરથ કાર્ય ઉપાડ્યું નથી. ગાંધીને આંશિક અને વિકૃત દૃષ્ટિથી જોતાં વિશેષજ્ઞોને ગાંધીના સર્વાંગી દર્શને હંમેશાં મૂંઝવ્યા છે. એમને અરાજકતાવાદી ફિલસૂફી, પુરાણી કૃષિસંસ્કૃતિમાં માનનાર અને ન્યૂનતમ જીવનધોરણના પ્રચારક, ટેક્‌નોલૉજી વિરોધી અને ધાર્મિક નેતા વગેરે પણ કહેવામાં આવ્યા છે. આમાંનો કોઈ અભિપ્રાય ગાંધીને ન્યાય કરતો નથી, કારણ કે કોઈ ખાનાંબદ્ધ મૂંઝવતી મહાનતમ મુશ્કેલી એ છે કે એમના વિષે કરવામાં આવેલું લગભગ દરેક વિધાન કે અર્ધસત્ય હોય છે અને અર્ધસત્યની મુશ્કેલી બાકીનું અર્ધસત્ય હોય છે. એક વધારાની મુશ્કેલી એ પણ છે કે ગાંધીના પોતાનાં વિધાનો પણ આંશિક સત્યો હોય છે અને એક વધુ મોટા સત્ય તરફ નવું ડગલું ભરવાના ઇરાદાથી કરાયેલાં હોય છે. અર્ધસત્યો ગાંધીવિચારને વિકૃત કરે છે અને આંશિક સત્યો એમને સમજવા માટેનો એક પ્રબળ બૌદ્ધિક પુરુષાર્થ માગી લે છે.

ગાંધીના અભિગમનું સૌથી બળુકું તત્ત્વ સિદ્ધાંત અને કર્મ વચ્ચેની એકતા હતું. એટલે જ, સિદ્ધાંતમાં એમ માનવામાં આવ્યું હોય કે માનસિક અને શારીરિક શ્રમ વચ્ચેનો તફાવત દૂર કરવો જોઈએ કે, કંઈ નહીં તો, ઓછો કરવો જોઈએ, તો ગાંધી ચરખો ચલાવે છે. જો સત્ય અને અહિંસા મૂળભૂત સિદ્ધાંત હોય, તો આ સિદ્ધાંતને ‘સત્યાગ્રહ’ દ્વારા મૂર્ત સ્વરૂપ આપે છે. ભાઈચારો જો જાગતિક મૂલ્ય હોય, તો અંત્યોદયને એ કર્મયોગમાં ઢાળે છે. જો સમાનતા અને સાદાઈ એ ગરીબીના ઉકેલ માટે વખાણવાલાયક સિદ્ધાંતો હોય, તો એ ટૂંકી પોતડીને અપનાવી લે છે.

આપણે આજે આવી રહનસહનનું પુનરાવર્તન કરવાનું નથી. આપણે એ સમજવાનું છે કે ગાંધી કેવી રીતે વિચાર અને આચારને એકબીજાની નજીક લાવ્યા, એટલું જ નહીં પણ એ પણ દર્શાવ્યું કે યોગ્ય આચાર વિના યોગ્ય વિચાર હોઈ જ ન શકે. વીસમી [હવે એકવીસમી] સદીનો દંભ અને બૌદ્ધિક નિરાશાવાદ, જ્યારે વિચારો અને સિદ્ધાંતો સ્પષ્ટ હોય, ત્યારે પણ એક પ્રકારની આચારની લાચારી છતી કરે છે. ગાંધીએ શબ્દ અને કર્મ વચ્ચેનું ક્રાંતિકારી સંશ્લેષણ પૂરું પાડ્યું.

આ વાત અનન્ય અને અભૂતપૂર્વ હતી. અત્યારે જ્યારે મૂડીવાદી અને સામ્યવાદી, બંને પ્રકારના દેશોમાં મોટા પાયે ધર્મ તરફ વાપસી થઈ રહી છે, જે હકીકતમાં માનવનાં દુઃખ અને એકલતાની દ્યોતક છે, ત્યારે ગાંધીવિચારની ધાર્મિક માન્યતાઓનું નૈતિક મૂલ્યોમાં થતું રૂપાંતરણ વધારે પ્રસ્તુત બને છે. જો ધર્મને ફરી એક વાર પ્રત્યાઘાત અને આતંક પાછળના ઈંધણ તરીકે વિકસવા ન દેવો હોય, તો આ અત્યંત જરૂરી છે. ધર્મ તરફ વાપસીનું વધતું આકર્ષણ એ સામ્યવાદી દેશોમાં મહદ્‌ અંશે નૈતિક રાજકીય વ્યવસ્થાના અભાવનો તો મૂડીવાદી દેશોના બીભત્સ ભોગવાદ અથવા કાયમી ગરીબીનો પ્રત્યાઘાત છે.

ગાંધી વિજ્ઞાન, ધર્મ અને સમાજનું, એક પરસ્પર ગુંથાયેલી સમસ્યા તરીકે આકલન કરે છે. સદીઓ જતાં, દરેકનું બીજા સાથેનું અંતર વધ્યું છે, જે ઘણા સરલીકૃત સિદ્ધાંતો અને ફિલસૂફીઓને જન્મ આપે છે. વ્યવહારમાં, માનવ અને સમાજનું વિઘટન આ ત્રણે વિષયો વચ્ચેના વધતા અંતરને કારણે છે, જે કેવળ મનુષ્યની સમજણ અને અનુભવ પર જ પ્રભાવ નથી પાડતું, પણ એના કોઈ પણ કટોકટી કે દબાણ તરફના પ્રતિભાવ પર પણ અસર કરે છે.

આ હાલત સામે, ગાંધીનો જવાબ એ હતો કે આ ત્રણે વિષયને અલાયદા કરી શકાય તેમ છે જ નહીં. અત્યાર સુધી, કેવળ એક પડદાને કારણે જાણે આ ત્રણે અલાયદા દેખાતા હતા, જે હવે તૂટી રહ્યો છે. આ બધા વચ્ચે ઉત્ક્રાંતિ અને સત્યની શોધ એક સામાન્ય ઘટક હતો. વિજ્ઞાને પ્રાકૃતિક ઘટનાઓ સામે માનવને અતિ શક્તિશાળી બનાવ્યો અને એક પ્રકારના સત્યની શોધ કરી. માનવન માનવ સાથેના સંબંધો એ સત્યની શોધનો બીજો માર્ગ હતો, અને ઈશ્વરનો ડર હટાવીને દિવ્યતા માટેની એની પોતાના અંતઃકરણમાં શોધ એને માટે સત્યને પામવાનો ત્રીજો માર્ગ બની રહ્યો.

સત્યને જ ઈશ્વર તરીકે વ્યાખ્યાયિત કરીને ગાંધીએ હકીકતમાં તો ઈશ્વર અને વિજ્ઞાન બંનેને એક ખાનામાં મૂકી દીધા. માનવજાત ધર્મને ફગાવી દઈ શકી નહીં, કારણ કે ભૌતિકવાદ અને ભૌતિકવાદી ફિલસૂફીઓ મૂલ્યો અને આધ્યાત્મિક ખોજને લગતા પ્રશ્નોના ઉત્તર આપવામાં નિષ્ફળ નીવડી. ગાંધીએ માનવામાં રહેલા આ દ્વંદ્વને ઉકેલવાનો પરિશ્રમ આદર્યો અને બધા ધર્મોને એમની સર્વસામાન્ય ચિંતા – માનવ અને એની મૂલ્યવ્યવસ્થાના આધાર પર સ્થાપિત કર્યા. જડ માન્યતાઓ અને કર્મકાંડોનાં આવરણોને હટાવીને જોતાં બધા ધર્મોમાં આ એક જ વાત ઊપસી આવે છે, એ આથી ઉજાગર થયું. મને આગાહી કરવાની લાલચ થાય છે કે આવનારા સમયમાં ગાંધીનો આ અભિગમ માન્યતા પામશે અને વૈશ્વિક સ્વીકાર મેળવશે. કારણ કે ધર્મના બે મોટા વિરોધાભાસો – એક તરફ માનવની લાચારી અને બિનતાર્કિકતાની અભિવ્યક્તિ તરીકે ધર્મ અને બીજી તરફ મૂલ્યોની શોધ અને આધ્યાત્મિક આયામને પ્રતિબિંબિત કરતા ધર્મનું સમાધન કેવળ ગાંધીનો આ અભિગમ જ આપી શકશે.

ગાંધીનું યંત્ર, ટેક્‌નોલૉજી અને વિજ્ઞાન પ્રત્યેનું વલણ ઘણી ગેરસમજૂતીનો ભોગ બનેલું છે. ગરીબોનું નિર્મૂલન એ એમની પ્રથમ ચિંતા હતી. એમણે લખ્યું છે, “જો હિંદુસ્તાનની ગરીબી અને એમાંથી ઉદ્‌ભવતી આળસ દૂર કરી શકાતી હોય, તો હું ગમે તેટલા મોટા મશીન ઉપયોગની પણ તરફેણ કરીશ.” હું ટેક્‌નોલૉજીની તરફેણમાં ગાંધીજી દ્વારા અપાયેલાં કેટલાંક દાખલા અને વિધાનો ટાંકી શકું તેમ છું. એ જોશપૂર્વક જેની વિરુદ્ધ હતા, તે તો દુનિયા ટેક્‌નોલૉજીની જે અનિવાર્યતામાં સરી પડી છે તે હતું. ટેક્‌નોલૉજી અને વિજ્ઞાનના ઉપયોગની દિશાની બાબતમાં કેટલાંક ધોરણો જળવાય એ માટે એમણે ભારપૂર્વક આગ્રહ રાખ્યો. જે ટેક્‌નોલોજી માનવો વચ્ચે અને રાષ્ટ્રો વચ્ચે અસમતુલા પેદા કરે, માનવીને જે અમાનવીય બનાવી દે કે એને એના કામથી કે બીજા સહકર્મીઓથી દૂર કરી દે, અથવા બેકારીને જન્મ આપે એવી ટેક્‌નોલોજી એમને મંજૂર નહોતી. એકથી વધારે વાર ગાંધીએ જાહેર કર્યું છે કે માનવીને માથેથી ભાર દૂર કરે તેવી ટેક્‌નોલૉજી એક સારું આરંભબિંદુ છે, પરંતુ ત્યાં જ અટકી જઈ શકાય નહીં.

ટેક્‌નોલૉજીની વિધાયક ભૂમિકા, ખાસ કરીને છેલ્લી સદીમાં ખરે જ અસામાન્ય રહી છે. માનવને એણે કુદરતનાં વિનાશકારી પરિબળોના ભયમાંથી મુક્તિ અપાવી છે. અને એની બધી જરૂરિયાતોને સંતોષવાનું શક્ય બનાવ્યું છે, અને એ રીતે એનો ગરીબી અને વંચિતતાનો ભય દૂર કર્યો છે. પણ બીજી બાજુ, પસંદગીઓને બહોળી બનાવવાની સાથે ટેક્‌નોલૉજી માનવીને પસંદ કરવાની ક્ષમતા અને મોકળાશ ઘટાડે છે, જેના પાયામાં માનવ અને યંત્ર વચ્ચેની અસમતુલા રહેલી છે. કુદરતને લૂંટીને અને એનો નાશ કરીને ટેક્‌નોલૉજી ફરી એક વાર માનવ અને કુદરત વચ્ચે સંઘર્ષની સ્થિતિ પેદા કરી રહી છે. વિશ્વદર્શનની એક શક્યતા ઊભી કરવાની સાથે તે માનવના તેની જાતના દર્શનને વિકૃત કરી રહી છે. થોડા હાથોમાં એની લગામ હોવી એ હકીકત માનવ-સમસ્યાઓના સમાધાન સામે અવરોધ બને છે. ટેક્‌નોલૉજી કૃત્રિમ સંસ્કૃતિનું સર્જન કરે છે અને અમુક લોકોનું એક જૂથ કેટલાંક મનો-વિશ્લેષણાત્મક સાધનો દ્વારા બીજા ઉપર ભયજનક કાબૂ ધરાવે તેવી શક્યતા પેદા કરે છે. સાથે જ તે માનવીય સ્વાતંત્ર્યનો નાશ કરે, તેવાં સાધનો પણ હાથવગાં કરી આપે છે. ગાંધીના ટેક્‌નોલૉજી બાબતે નકારાત્મક વિચારો કેટલાક ખાસ પ્રશ્નોને કારણે ઉદ્‌ભવેલા છે, જેવા કે મુઠ્ઠીભર દેશો દ્વારા ટેક્‌નોલૉજી પર સંપૂર્ણ કાબૂ ધરાવતો અને એના પાયા ઉપર સામ્રાજ્યવાદ કે મૂડીવાદ કે એવા કોઈ જડબેસલાક તંત્ર દ્વારા એક અનૈતિક અને અન્યાયપૂર્ણ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લાગુ કરવી. એમણે એવી બધી ટેક્‌નોલૉજીનો સંપૂર્ણ વિરોધ કર્યો, જે એક ગરીબ દેશોના હયાત ટેક્‌નોલોજીકલ પાયાનો નાશ કરે, પરંતુ બીજા વૈકલ્પિક અંતર્જાત આધારના સર્જનની શક્યતા જ ધૂળભેગી કરી નાખે. સૌથી વધારે તો, ગાંધી એવી ટેક્‌નોલૉજીની વિરુદ્ધ હતા, જે તંત્રજ્ઞો અને વૈજ્ઞાનિકો દ્વારા થઈ રહેલા સ્વાશ્રય, ગૌરવ અને આત્મસન્માનની ભાવનાને નુકસાન કરે તેવાં મૂલ્યોના ફેલાવાને માન્યતા આપે.

લાંબા સમય પહેલાં, જ્યૉર્જ ઑરવેલે એની અવિસ્મરણીય નવલકથા – ૧૯૮૪માં વીસમી સદીના પડકારોને દર્શાવ્યા હતા. ઑરવેલે પાશ્ચાત્ય દુનિયાને એમાં એક ગંભીર કલ્પના રૂપે આપેલી ચેતવણી ખરેખર સચોટ આગાહી બની છે. ઝૂંટવી લેવાની માનસિકતા, રાજકીય ઉન્માદ અને બેકાબૂ આતંકવાદે દુનિયાને ગ્રસી લીધાં છે. ‘૧૯૮૪’માં વર્ણવેલ દુનિયા અને આધુનિક સમાજ વચ્ચે સમાંતરતા સ્પષ્ટ રીતે કળી શકાય છે. નિષ્ણાતોની આખી ટીમ ભવિષ્યનાં યુદ્ધોના સાજ-સરંજામનું આયોજન કરી રહી છે. મારા મતે ‘૧૯૮૪’નો એક માત્ર ઉત્તર ગાંધી છે.

આ ભાષણની શરૂઆતમાં મેં એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે એક જાતની મૂલ્યહીનતા આખી દુનિયામાં ફેલાઈ રહી છે, ખાસ કરીને ભારતમાં મેં એમ પણ કહ્યું હતું કે ભારતમાં સત્તાધીશોના અને ખાસ કરીને બૌદ્ધિકોનાં અગ્રવર્ગ ગાંધીવિચાર, મૂલ્યો અને કાર્યશૈલીનું વિશ્લેષણ કરવાની દરકાર કરી નથી. સાંપ્રત પડકારોના ઉકેલ આપવામાં જ્યારે મોટા ભાગની વિચારધારાઓ અને વ્યવસ્થાઓ નિષ્ફળ ગઈ છે, ત્યારે ગાંધી તરફ ફરી નજર કરવી અતિ આવશ્યક બની ગયું છે. આપણે ગાંધીની વધુ પૂજા નહીં કરીએ તો ચાલશે. જે જરૂરી છે તે એ કે આપણે એમના વિચારનું તલસ્પર્શી અને પ્રામાણિક વિશ્લેષણ કરીએ.

[‘વિચાર વલોણું’ના સદ્‌ભાવથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 08 – 09

Loading

...102030...2,8812,8822,8832,884...2,8902,9002,910...

Search by

Opinion

  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ
  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved