Opinion Magazine
Number of visits: 9577533
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેટલા વિગતસર, એટલા જ વિગતજ્વર

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|7 March 2019

છવ્વીસમી ફેબ્રુઆરીએ બપોરે બે અક્ષર પાડી રહ્યો છું ત્યારે માહોલ એક રીતે સરચાર્જ જ સરચાર્જ છે : ચૌદમી ફેબ્રુઆરીએ પુલવામાની રક્તરંજિત આતંકી ઘટના સાથે શરૂ થયેલું પખવાડિયું સંકેલાય તે પહેલાં આજે વહેલી સવારે (આશરે ૩-૩૦ કલાકે) બીજી સર્જિકલ સ્ટ્રાઈકના સમાચાર આવ્યા. હકીકતે, સૂતા જેવા તંત્રીને એક મિત્રે ફોનથી જગાડ્યા કે રાતે યુદ્ધ શરૂ થઈ ગયું છે. હવે, સર્જિકલ સ્ટ્રાઈક તે યુદ્ધ નથી એટલું તો હું, તમે ને તેઓ સૌ જાણીએ સમજીએ છીએ. પણ આપણે એને હાલ સરચાર્જ બનેલ માહોલની જ એક ફલશ્રુતિ કહીશું કે જાગતો સંદેશ જુદ્ધે ચડ્યાનો છે.

નહીં કે રોષને અને ચિંતાને કારણ નથી. પુલવામાની નિર્ઘૃણ ઘટનાની પહેલી જ પળે વિપક્ષ સહિત દેશસમસ્ત એક વ્યક્તિની જેમ ઊભો થઈ ગયો. મીડિયાની નવ્ય ચહેતી પ્રિયંકા ગાંધીએ રાતો પર રાતોની કારવાઈ પછીની અપેક્ષિત જ નહીં પ્રતીક્ષિત પત્રકાર પરિષદ રદ્દ કરી અને કહ્યું કે સંકટની ઘડીમાં રાજકારણને અવકાશ નથી.

પણ જેમ દિવસો વીતતા ગયા, ક્રમે ક્રમે પ્રશ્નો ઊઠતા, પુછાતા અને બોલાતા ગયા. જે બન્યું, ન બનવા જેવું બન્યું, જે પણ બન્યું અને જે હદે બન્યું, એ એક સલામતી સ્ખલન તો હતું જ હતું. આવું કેમ થયું, વારુ? સલામતી મુદ્દે ચીખી ચીખીને બોલવું અને આ બાબતે આગલી સરકાર કરતાં પોતે ગુણાત્મકપણે જુદા હોવાની છાપ અગ્રતઃ અધોરેખિત કરવી તે વર્તમાન કેન્દ્ર સરકારનો વિશેષ રહ્યો છે, એની સામે આવું કેમ.

પહેલી સર્જિકલ સ્ટ્રાઈક જે રાજકીય નેતૃત્વે ખાસી ગજવી હતી – લંડનમાં વિશેષ ગોષ્ઠી વાટે જગતતખતે ચગવી હતી – એના લશ્કરી મોભીએ વિવેકસર મૌનના કેટલાક મહિનાઓ બાદ (ઘણું કરીને નિવૃત્તિ પછી) ખુલાસો કીધો હતો કે અમારી (લશ્કરની) સમજ આ વસ્તુને આમ ગજવવાની નથી હોતી. જ્યાં સંદેશ પહોંચવો જોઈએ ત્યાં પહોંચાડવાની હોય છે.

પુખ્ત લશ્કરી સમજના આ મોભીને કૉંગ્રેસે લાંબા ગાળાના સુરક્ષા પરિપ્રેક્ષ્યની દૃષ્ટિએ પરામર્શ સારુ બરક્યાનો હેવાલ હમણાં જ જોવામાં આવ્યો હતો. અહીં એક સ્પષ્ટતા કરી દેવી જોઈએ કે જેમ પાકિસ્તાનને જળફાળવણીનો કેટલોક હિસ્સો રોકવાનો હમણે જાહેર થયેલો નિર્ણય પુલવામાપૂર્વ હતો તેમ આ મોભીની સલાહસંડોવણી પણ એક પુલવામાપૂર્વ ગોઠવણ હતી.

અલબત્ત બીજી સર્જિકલ સ્ટ્રાઈક, પુલવામા ઘટના પછી દુર્નિવાર હતી. અંકુશરેખા ઓળાંડી સ્થાનિક વસ્તીને સાચવી લઈને જૈશે મોહમ્મદ આતંકવાદી છાવણીને તહસનહસ કરવાનું ચોક્કસ લૉજિક હતું અને છે, અને તે કદરભેર માથે ચડાવીએ.

પણ પખવાડિયું સંકેલાતે માત્ર આટલું જ નથી બન્યું. પહેલા લ-ગ-ભ-ગ નવ દિવસ દેશમાં રાજકીય-શાસકીય અગ્રવર્ગની આંખ આડા કાન અગર લૂગડાંસંકોરથી માંડી મીલી ભગત ઢબે દેશભરમાં કાશ્મીરીઓને નિશાન બનાવવાનું ચાલ્યું. વડાપ્રધાને એમની કલાસિક શૈલીએ નવમેદસમે દિવસે મૌનભંગ કીધો, ખસૂસ કીધો. પણ ઘોડાને વાજતેગાજતે ભાગવાની સોઈ આપ્યા પછીનો તબેલે તાળાવ્યૂહ એ હતો એમ કહ્યા વગર રહી શકાતું નથી. શું કહીશું, સિવાય કે દેશ નથી તો આમ બનતો કે નથી તો આમ બચતો.

અહીં સાંભરે છે કે ‘આવે વખતે લોકોને રોષ કાઢવાની તક આપવી જોઈએ’ એવી સત્તાવાર  મનાતી સલાહ ગોધરા-અનુગોધરા દિવસોમાં કર્ણમંત્ર બની રહી હતી. ૨૦૦૨નો ફેબ્રુઆરી ઉતરતે આ બન્યું હતું. ૨૦૧૯ના ફેબ્રુઆરીમાં પણ એ જ આપણી નિયતિ (અને એમનો વ્યૂહ) હશે? ન જાને.

સામાન્યપણે આ પ્રકારના ઘટનાક્રમ વખતે ચૂંટણીલક્ષી ચાલની એક ધાસ્તી વાંસો ચીરતી ચાલી જતી હોય છે. બીજી પાસ, આજની વહેલી સવારની સર્જિકલ સ્ટ્રાઈકનું ઔચિત્ય પણ સમજાય છે. નીતિનિર્માતાઓને કહીશું, યુદ્ધસ્વ વિગતજ્વરઃ; અને નાગરિકને ? વોટસ્વ વિગતજ્વરઃ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2019; પૃ. 01 – 02  

Loading

મારા વડા પ્રધાન પાકિસ્તાનના વડા પ્રધાન કરતાં પણ ઓછા પરિપક્વ સાબિત થયા

રમેશ ઓઝા|Opinion - Opinion|7 March 2019

કલ્પના કરો કે જે ઘટના બુધવારે ઘટી એવી શરમજનક ઘટના ડૉ. મનમોહન સિંહના રાજમાં ઘટી હોય તો દેશભક્તિનાં નામે રુદન કરતાં રુદાલીઓ, ગુસ્સાથી થરથર કાંપતા રાષ્ટ્રભક્તો અને સ્ટુડિયોમાં સરકાર ચલાવતા અર્નબ ગોસ્વામીઓ શું કરતા હોત? કલ્પના કરવા જેવી છે. આનંદ આવશે. બીજા વર્ગના લોકોને જોઇને સરકસના જોકરોની યાદ આવશે, ત્રીજાને જોઇને સરકારના તાલીમ પામેલા જાનવરોની યાદ આવશે અને પહેલાને જોઇને હસતા, તાળીઓ પાડતા, ચિચિયારીઓ કરતા, વિસ્મયથી આંખ ફાટેલી હોય એવા અને ક્યારેક ભયથી રડી પડતા સર્કસ જોનારાં બાળકોની યાદ આવશે.

ઘડિયાળના લોલકના બે છેડાની જેમ ૨૦૧૪ અને ૨૦૧૯ની એક સરખામણી કરવા જેવી છે. આવી ઘટના જો ૨૦૧૪માં બની હોત તો તેઓ આજે દેશની આબરુના કાંકરા કરનારા સરદાર માટે ભોંઠપ અનુભવતા હોત અને આંખો પર છાજલી કરીને પૂર્વ દિશાએ શક્તિમાનના ઉદયની રાજ જોતા હોત. છાતી પર હાથ મૂકીને પૂછી જુઓ તમારા અંતરાત્માને; આના કરતાં અલગ સીન હોત ખરો? રૂપિયો આટલું જૂઠ બોલાવડાવે અને પ્રજા ગુલામી ખત લખી આપે એવું ભારતમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે. આવું બનતું હોય છે, બીજા દેશોની પ્રજાએ આનો અનુભવ કર્યો છે; ભારત ગાંધીનો દેશ છે એટલે આપણને એ અવસ્થાએ પહોંચતા વાર લાગી એટલું જ. 

ભારત સરકારે પાકિસ્તાનમાં બાલાકોટ પર ત્રાસવાદીઓની છાવણી પર હુમલો કર્યો ત્યારે મેં લખ્યું હતું કે આ નિરર્થક બહાદુરી છે. આમાંથી કાંઈ જ નિષ્પન્ન થવાનું નથી. જગતનો આઠ દાયકાનો ઇતિહાસ આમ કહે છે. અમેરિકા પાકિસ્તાન પર ૪૧૫ ડ્રોન હુમલા કર્યા પછી, સીધા લશ્કરી હુમલા કર્યા પછી, પ્રત્યક્ષ લશ્કર મોકલ્યા પછી, બબ્બે વરસ ઈરાક અને અફઘાનિસ્તાનમાં પ્રોક્સી સરકાર દ્વારા એક રીતે સીધું રાજ કર્યા પછી, પાકિસ્તાનના સરહદી પ્રદેશ પર કબજો જમાવ્યા પછી પણ કોઈ કાંદો કાઢી કાઢી શક્યું નથી તો ભારત એક હુમલો કરીને શું હાસલ કરવાનું છે? મેં એમ પણ લખ્યું હતું કે જે થવાનું હતું એ થઈ ગયું, હવે પાકિસ્તાનને અપમાન સહી લેવા સમજાવવું જોઈએ અને વિશ્વદેશો પાકિસ્તાન પર દબાવ લાવીને તેને શાંત રાખવા સમજાવે એ માટે પ્રયત્નો કરવા જોઈએ.

કારણ દેખીતું હતું. આજના યુગમાં લશ્કરી હુમલો કરવો એ બહુ સહેલું છે. સંયમ રાખવામાં છપ્પનની છાતીની જરૂર પડે છે, ટપલી મારવામાં નહીં. દરેક દેશ ટપલી મારવાની ક્ષમતા ધરાવે છે. સંહારક શક્તિ એટલી બધી ભેગી કરી છે કે છાતી બતાવનાર અને ડોળા કાઢનાર દેશ અંદરથી તો ડરેલો જ હોય છે. કેટલા દેશોએ અમેરિકાનું નાક કાપ્યું હતું એની યાદી પણ મેં આપી હતી. તમને ખબર છે? દરેક દેશ પાસે નકશામાંથી કાયમ માટે ભૂંસી નાખવા જોઈએ એવા દેશોની યાદી છે. કોઈ પાસે એક છે તો કોઈ પાસે પાંચ પાંચ દેશો પણ છે. તેમનું ચાલે તો તેઓ દુશ્મન દેશને નકશામાંથી ભૂંસી નાખે, પણ પ્રચંડ તાકાત હોવા છતાં તેમનું ચાલતું નથી.

૧૯૪૫માં વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી કેટલા દેશો નકશામાંથી ભૂંસાઈ ગયા? એક નામ બતાવો. ઊલટા નકશામાં નવા દેશો ઉમેરાયા છે. જેમ કે પાકિસ્તાન ભારતને નકશામાંથી ભૂંસી નાખવા માગે છે, પણ ઊલટું બંગલાદેશ ઉમેરાયું. આપણે પણ જો આપણાંને નિર્વ્યાજ પ્રેમ કરતા નહીં શીખીએ તો આપણે પણ જગતના દેશોમાં વધારો કરીશું. આ આજના યુગનું અફર સત્ય છે. તો વાતનો સાર એટલો કે જો પાકિસ્તાનને સમજાવામાં ન આવે અને દબાણ લાવવામાં ન આવે તો ભારતને ટપલી મારવી એ પાકિસ્તાન માટે કોઈ અઘરું કામ નહોતું અને એ પાકિસ્તાને કરી બતાવ્યું છે.  પહેલવાનને પણ ટપલી મારવાની તાકાત આજે જગતના મોટાભાગના દેશો ધરાવે છે. ખરું પૂછો તો આ તાકાત જ નથી, જાગતિક વિકૃતિ છે.

બુધવારે પાકિસ્તાનના લશ્કરી વિમાનો ભારતમાં પ્રવેશ્યાં, પાકિસ્તાનના દાવા મુજબ ભારતના બે વિમાનો તોડી પાડ્યાં અને અભિનંદન વર્ધમાન નામના તૂટી ગયેલા વિમાનના પાયલોટને કબજે કર્યો. અચાનક દેશમાં સોપો પડી ગયો. સોશ્યલ મીડિયા પર ન્યુઝ ફરતા હતા, પરંતુ પાળીતા મીડિયા એ વિષે ચૂપ હતા. વડા પ્રધાન, ગૃહ પ્રધાન, વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, રવિશંકર પ્રસાદ, બટકબોલા પ્રવક્તાઓ બધા ચૂપ હતા. એ પછી જ્યારે પાકિસ્તાને અભિનંદનને બતાવ્યો અને અભિનંદનને પોતાનું નામ આપતો બતાવ્યો ત્યારે મોઢું છુપાવવા માટે કોઈ જગ્યા બચી નહોતી. ભારતની વીરતા સામે પાકિસ્તાનના નાપાક કૃત્યની નિંદા થવા લાગી. એક કૃત્ય વીર અને બીજું નાપાક. ખેર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને તો એ રાતે જ સંકેત આપી દીધો હતો કે ભારતના પાયલોટને પાછો સોંપી દેવામાં આવશે. ભારતે બાલાકોટ પર કરેલા હુમલામાં કેટલા ત્રાસવાદીઓ માર્યા ગયા એ કોઈ જાણતું નથી. ભારતે આજ સુધી સત્તાવાર આંકડો આપ્યો નથી, પણ પાકિસ્તાનના કબજામાં ભારતના પાયલોટને આખા જગતે જોયો.

આવી વીરતા વાંઝણી હોય છે અને આજના યુગમાં દરેક ટપલી મારવાની ક્ષમતા ધરાવે છે એવી મારી ધારણા બીજે જ દિવસે સાચી પડી એ રાજી થવાનો પ્રસંગ નથી. ઊલટું દુઃખ થાય છે કે મારા વડા પ્રધાન પાકિસ્તાનના વડા પ્રધાન કરતાં પણ ઓછા પરિપક્વ સાબિત થયા. ઇમરાન ખાનનું વક્તવ્ય યુ ટ્યુબ પર જોઈ જાઓ તો તમને પોતાને જ ફરક અનુભવાશે. લોકસભાની આવી રહેલી ચૂંટણી, પરાજયનો ભય અને ભય કરતાં પણ પરાજીત થવાની શરમ, રુદાલીઓનું છાતીફાડ રુદન, થરથર કાંપનારા રાષ્ટ્રવાદીઓનો આગભભૂકતો ગુસ્સો અને અર્નબ ગોસ્વામીઓના વૉર-રૂમ સ્ટુડિયોમાં મરું કે મારુંની ભવાઈ વગેરેથી દોરવાવાનું આ પરિણામ છે. છૂટકો જ નહોતો, કારણ કે આ જમાત આજના શાસકોની જીવાદોરી બની ગયા છે. ઓછામાં પૂરું હુમલો કર્યા પછી જાણે કે દુનિયા જીતીને આવ્યા હોય એવી ઉન્માદક કિકિયારીઓએ પાકિસ્તાનના શાસકોને સરહદ ઓળંગવા મજબૂર કર્યા. રુદાલીઓ અને થરથર કાંપતા રાષ્ટ્રવાદીઓ તો ત્યાં પણ છે ને!

01 માર્ચ 2019

Loading

લૉર્ડ મેઘનાદ દેસાઈ અને ભારતીય લોકશાહી વિષયક ચિંતન

ડંકેશ ઓઝા|Opinion - Opinion|7 March 2019

લૉર્ડ મેઘનાદ દેસાઈ ગુજરાતના બૌદ્ધિકોમાં અજાણ્યા નથી. મેઘનાદ માર્ક્સવાદના અભ્યાસી છે. તે અંગેના તેમનાં ઘણાં પુસ્તકો પણ છે. દિલીપકુમાર વિશે પણ તેમનું પુસ્તક છે, તો વળી ભગવદ્‌ગીતા કોણે લખી એવું પવિત્ર પુસ્તકનું બિનસાંપ્રદાયિક તપાસ કરતું પણ તેમનું પુસ્તક છે. પાકીઝા વિશે પણ તેમણે લખ્યું છે. તદ્‌ઉપરાંત ઘણાં પુસ્તકો તેમણે સંપાદિત પણ કર્યાં છે. આપણા અંગ્રેજી દૈનિક ‘ઇન્ડિયન ઍક્સપ્રેસ’ અને અન્ય આર્થિક પત્રોમાં તેઓ આર્થિક વિષય પર કૉલમ લખે છે.

ઑગસ્ટ ૧૯૬૧માં એકવીસ વર્ષની ઉંમરે તેઆ ભારત છોડીને વિદેશ ભણવા ગયા. તે પછી લંડનમાં સ્થાયી થયા છે. માતૃભૂમિ વિશેનો તેમનો રસ અકબંધ રહ્યો છે. થોડા દૂર હોવાને કારણે પોતે દેશના પ્રવાહો પર તટસ્થ નજરથી જોઈ શકે છે, તેવો તેમનો દાવો છે. જો કે ટી.વી. કાર્યક્રમોમાં જ્યારે ભારત વિશે તેઓ ક્યારકે ઘસાતી ટીકા કરે છે, ત્યારે તેમને પણ ‘વિદેશી’ હોવાની ગાળ ખાવી પડે છે! છેક ૧૯૬૭થી તેઓ ભારત વિશે લખતા રહ્યા છે. તેમનું ભારત વિશેનું પુસ્તક છે : ્The Rediscovery of India‌ (૨૦૦૯). તેમાં ૧૪૯૮માં પોર્ટુગીઝોનું ભારતમાં આગમન થયું, ત્યારથી ભારતના પશ્ચિમ સાથે પડેલા પનારાની વાત છે.

The Raisina Model (૨૦૧૭) એમનું નવું પુસ્તક છે, જે સિત્તેર વર્ષની ભારતીય લોકશાહીની સમીક્ષા કરે છે. પુસ્તક માત્ર ૧૯૪ પાનાંનું છે, નાનાં નાનાં સાત પ્રકરણોમાં વિભાજિત છે. ભારતીય લોકશાહી કેવા સંઘર્ષોમાં ટકી ગઈ, કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેનો સમગ્ર આલેખ બહુ ટૂંકમાં છતાં બહુ સ્પષ્ટપણે વાચકને પ્રાપ્ત થાય તેવા ઉદ્દેશમાં લેખક સફળ રહ્યા છે. ૨૦૦૨ની જે દર્દનાક ઘટના ગુજરાતને, સહેવાની આવી, ત્યારે અંગ્રેજી સામયિક ‘સેમિનાર’માં તેમણે ‘ભસ્મિતા’ શબ્દ વાપરલો જે ગુજરાતની અસ્મિતાના વિરોધી કાકુને સ્પષ્ટ કરતો હતો. આમ છતાં મેઘનાદની એકંદર છાપ (ભલે તે સાચી કે ખોટી હોય) ભા.જ.પ.તરફીની રહી છે, જેનો પૂરતો ગેરલાભ તેમને ગુજરાતમાં મળે છે. પુસ્તકમાં પણ તેઓ વિમુદ્રીકરણના તરફદાર રહ્યા છે.

સૌથી મોટી વાત તો એ છે કે ૧૯૪૭માં આઝાદી વખતે દેશના જે ભાગલા થયા, બે દેશોમાં તેનું વિભાજન થયું. પછી પાકિસ્તાનના બે ભાગલા થયા છે. પણ ભારત ઘણાં બધાં વાવાઝોડાં છતાં એક રહી શક્યું છે. આજે ભારતને મહેચ્છા જાગી છે કે તે પણ વિશ્વની એક મહાસત્તા બને. આ વાતનો ઉલ્લેખ કરતાં મેઘનાદ દેસાઈ પુસ્તકમાં લખે છે કે આ માટે ભારતે પાડોશી દેશ ચીન સાથે યુદ્ધમાં ઊતરવું પડશે. પછી ભારત જો વિજયનેે વરે, તો સ્વપ્ન સાકાર થવાની શક્યતા, વાસ્તવિકતા બનેે! લેખક આખાબોલા છે. ગુજરાત વિવેકબૃહસ્પતિના નામે સુષ્ઠુ સુષ્ઠુ લેખન અને વક્તવ્ય કર્યા કરે છે, ત્યારે પશ્ચિમમાં જઈને અભ્યાસ કરનારા પ્રમાણમાં સ્પષ્ટવક્તા હોય છે. પાકિસ્તાન સાથે લડવાથી એક સરસાઈ સાંપડે પણ મહાસત્તાની મહેચ્છા હોય, તો તો ચીન સાથે જ જુદ્ધે ચઢવું પડે!

આવી તો ઘણી વાતો પુસ્તકમાં છે. એ રીતે આપણી લોકશાહીની તેમણે નિષ્પક્ષ તપાસ આદરી છે, તેથી આ પુસ્તક મહત્ત્વનું છે. આપણી મોટી સમસ્યા લઘુમતીની, દલિત-આદિવાસીની અને સ્ત્રી-સમાનતાની છે. આ આપણા સાચુકલા પ્રશ્નો છે. એનો ઉકેલ આપણે કેવોક કરી શકીએ છીએ, તેના પર ભાવિ અવલંબે છે. આર્થિક વિકાસ સિવાયનો આ માનવવિકાસ છે. જ્ઞાતિવાદ અને કોમવાદ, બાકીમાં રહ્યો તે મૂડીવાદ ભારતીય સમાજને આડા અને ઊભા વહેરે છે, ત્યારે એકજૂટ કેવી રીતે રહેવું, એ નહીં ઉકલાયેલો કોયડો છે. એકબીજા પર દોષારોપણ થયા કરે છે. પણ ખાસ અંતર કપાતું નથી. અનામતનો સવાલ તો આ મોટા પ્રશ્નમાં નાની રીતે સમાયેલો છે. લેખક ૨૦૧૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે જે ઉદ્‌ગારો કરેલા તેનો ઊલ્લેખ કરે છે. સમય હતો કિનારે ઉભેલી બિહારની ચૂંટણીનો. ભા.જ.પ.ને તે વખતે ફેરવી તોળવું પડેલું. પણ વાત એ હતી કે જ્ઞાતિઓની ઉચ્ચાવચતા સમાપ્ત થાય, તો જ ભારતનો ઉદ્ધાર થાય, સંઘની છાપ જે કંઈ છે, તેને કારણે વિરોધપક્ષોએ અને બૌદ્ધિકોએ માનેલું કે સંઘ અનામત દૂર કરવાની વાત કરે છે એવું જ લઘુમતી સંદર્ભે પણ છે. આપણે મોટાભાઈપણું ચાલુ રાખીએ, તેથી તો સમસ્યા વકરવાનો સંભવ રહે છે, સમસ્યાનો ઉકેલ નથી આવતો. ગાંધીને આપણે રાષ્ટ્રપિતા કહ્યા, પરંતુ ગાંધીની વાત આપણને જચતી નથી. તેઓ ભારતમાં મુસ્લિમ લઘુમતીના પક્ષે હતા, તો પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતીના પક્ષે હતા. આપણા જે ભારતીયો બહોળી સંખ્યામાં ગૌરવપૂર્વક અભ્યાસ અને રોજગાર અર્થે મુસ્લિમ દેશો સહિત વિશ્વના અનેક દેશોમાં સ્થાયી થતા રહે છે, ત્યારે સ્વાભાવિકપણે જ આપણી લાગણી તો લઘુમતીના પક્ષે જ હોય છે! ઉકેલની વાત તો જવા દો, આપણે લઘુમતીની સમસ્યાને પૂરી રીતે સમજતા નથી અને સમજવાની તૈયારી પણ નથી.

આર્થિક વિકાસ, માનવવિકાસ, ભ્રષ્ટાચાર, કાશ્મીર, નાગાલૅન્ડ, નક્સલબારી આવા બધા જ પ્રશ્નોને લેખક આવરી લે છે. પ્રત્યેકને તપાસે છે. આધારભૂત વિગતો અને આંકડા સાથે તપાસે છે. બધી સમસ્યાઓના ઉકેલ અભ્યાસીઓ પાસે પણ હોતા નથી, એટલે તેઓ વાસ્તવિક પ્રશ્નો પેદા કરે છે. વાચકને યોગ્ય વિચારોનું ભાથું પૂરું પાડે છે. એમની ચિંતા તો એ છે કે આપણી પાસે વિવિધ પ્રકારના ઇતિહાસો હોવા જોઈએ. તે દિશામાં તો ભાગ્યે જ કશું થાય છે. આપણને ગાંધીએ અહિંસક રીતે આઝાદી અપાવી કે અન્ય હિંસક જૂથોનું પણ તેમાં યોગદાન હતું એ બાબતે આપણે કંઈ નહિ તો ઉદારમતવાદી પણ બની શકતા નથી. પછી પૂરું નહિ વાંચનારા ખોટા વિવાદો ઊભા કરે છે.

લેખક પુસ્તકના અંત ભાગમાં આ મુદ્દે કહે છે કે કનૈયાલાલ મુનશીએ ભારતીય વિદ્યાભવન તરફથી આર.સી. મજુમદારના ઇતિહાસના અને સંસ્કૃતિના જે ૧૧ ગ્રંથો પ્રકાશિત કરાવેલા એ કક્ષાનું મહત્ત્વાકાંક્ષી આયોજન તે પછી કોઈએ કર્યું હોય એવું જાણ્યું નથી. આજની સમસ્યા તો આ છે. આપણી પાસે તટસ્થ અભ્યાસો નથી, તટસ્થ અભ્યાસીઓ નથી. હમણાં ગુજરાત યુનિવર્સિટીએ જેમને ડૉક્ટરેટ પ્રદાન કરવાના નિર્ણય લીધા અથવા તો રાષ્ટ્રભક્ત નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ‘ભારતરત્ન’ માટે જેમની પસંદગી કરી, આ બધી બાબતોના મૂળમાં સવાલ તો ઇતિહાસદૃષ્ટિ અને ઇતિહાસના અભાવનો પડેલો છે.

આ નાનકડું પુસ્તક આપણી તટસ્થ દૃષ્ટિને સંકોરે છે, યોગ્ય દિશામાં વિચારવા મજબૂર કરે છે, આપણી સમસ્યાઓના ઉકેલ આપણે જ કરવાના છે, એ વાત ઘૂંટી આપે છે. ખોટી એકતા ઉપરથી થોપવાની નથી પરંતુ વૈવિધ્યને સમજીને એકતા ઊભી કરવાની છે. આપણને તો હજી આવી વિવિધતાનું ગૌરવ સુધ્ધાં પેદા થયું નથી, જે બતાવે છે કે દિલ્હી કેટલું દૂર છે!

ભારત એટલે શું ? એ અંગેના વિવિધ ખ્યાલો વિશેનું પ્રકરણ અત્યંત રસપ્રદ છે. ઘણા બધા પ્રશ્નો ઉત્તર ભારત અને  મધ્ય ભારતના છે. નીચે દક્ષિણનાં રાજ્યોને કે ઉત્તરપૂર્વનાં રાજ્યોને એ સમસ્યા સાથે સહેજે લાગતુંવળગતું હોતું નથી. આવા એક પ્રશ્નનું  ઉદાહરણ રામમંદિર છે, એવું લેખકે કહ્યું છે. આપણી ગરજે આવાં પુસ્તકોને આપણી દૃષ્ટિની સફાઈ માટે આપણે ખપમાં લેવાં ઘટે.

E-mail : dankesh.oza@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૦૧ માર્ચ 2019; પૃ. 03 અને 04

Loading

...102030...2,8582,8592,8602,861...2,8702,8802,890...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved