Opinion Magazine
Number of visits: 9577545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નાઈનટીન એઈટી ફોર’નો ઉત્તર

પ્રો. જે. ડી. સેઠી|Gandhiana|17 March 2019

પ્રૉફેસર જે.ડી. સેઠી − ગઈ પેઢીના જાણીતા અર્થશાસ્ત્રી અને ગાંધીવિચારના પ્રખર વિદ્વાન – દ્વારા ઑલ ઇન્ડિયા રેડિયો પર 1979માં અપાયેલા પટેલ મેમોરિયલ લેકચરના કેટલાક અંશો

એમના મૃત્યના ત્રીસ વર્ષ પછી, અને ‘હિન્દસ્વરાજ’ લખ્યાનાં લગભગ સાઠ વર્ષ પછી, ગાંધી અચાનક માનવીય મૂલ્યોની વૈશ્વિક કટોકટી તથા વૈભવ અને ગરીબાઈ, સામાજિક સંબંધો અને અલગાવપણું જેવા કેટલા ય વણઊકલ્યા વિરોધાભાસોના શક્ય ઉકેલ તરીકે ફરીથી ઊભરી રહ્યા છે.

ઇતિહાસની આ એક મોટી વિડંબના છે કે જ્યારે બાકીની દુનિયા ગાંધીની વિચારધારા અને મૂલ્યોને ગંભીરપણે તપાસી રહી છે, ત્યારે આપણે ભારતમાં હજી એક બાજુ એમનાં ગુણગાન ગાવામાં અને બીજી બાજુ એમના વિચારોની તોડ-મરોડની સ્થપીડક કસરતોમાં રચ્યાપચ્યા રહીએ છીએ. પણ કોઈ પણ પયગંબરના શિરે પોતાના જ અનુયાયીઓ દ્વારા પોતાનું ભળતું જ અર્થઘટન થવાનું જોખમ હોય જ છે, અને ગાંધી સાથે આ જ થયું છે. ઘણા લાંબા વખતથી ગાંધી આપણા માટે એક અસ્પૃશ્ય ભગવાન તરીકે સ્થપાયેલા છે. પરંતુ કોઈ પણ દેશ પોતાના વીરનાયકોને બદલાયેલી પરિસ્થિતિઓ અને નવા પ્રશ્નોના પરિપ્રેક્ષ્યમાં ફરીથી તપાસે એથી દરિદ્ર થઈ જતો નથી. સમય આવી ગયો છે કે આપણે પણ આપણા નેતાઓ તરફથી આપણી અર્થહીન ભાવનાભક્તિનો ત્યાગ કરીએ. હું તો એમ પણ સૂચવીશ કે આપણે ગાંધી તરફ એક ટીકાત્મક કે કદાચ થોડું બિનપૂજનીય વલણ દાખવવું જોઈએ. એમની રહસ્યમયતાને ભેદીને એમને સ્પષ્ટ રીતે સમજવા માટે આ જરૂરી છે. આપણા તારણહાર તરીકે એમને પૂરું સન્માન આપવાની સાથે સાથે આપણે હવે એમના વિચારોનું કઠોર, નિષ્પક્ષ અને તાર્કિક વિશ્લેષણ કરવાનું શરૂ કરવું જોઈએ. ગાંધીએ પણ કદાચ આપણે આમ કરીએ એવું ઇચ્છ્યું હોત. ગાંધીને વખાણની જરૂર નથી. એમને દંતકથારૂપ બનવામાંથી બચાવવાના છે. આ સહેલું કામ નથી.

ગાંધી, જીવનને સર્વાંગીપણે જોતા અને વિવિધ શાખાઓના અભ્યાસમાંથી તારવેલાં દૃષ્ટિબિંદુઓને એક જ એકીકૃત કાર્યશૈલીમાં વણતા, જોતરતા. નજીકના સમયમાં કદાચ કાર્લ માર્ક્સના અપવાદ સિવાય કોઈએ પણ આવું ભગીરથ કાર્ય ઉપાડ્યું નથી. ગાંધીને આંશિક અને વિકૃત દૃષ્ટિથી જોતાં વિશેષજ્ઞોને ગાંધીના સર્વાંગી દર્શને હંમેશાં મૂંઝવ્યા છે. એમને અરાજકતાવાદી ફિલસૂફી, પુરાણી કૃષિસંસ્કૃતિમાં માનનાર અને ન્યૂનતમ જીવનધોરણના પ્રચારક, ટેક્‌નોલૉજી વિરોધી અને ધાર્મિક નેતા વગેરે પણ કહેવામાં આવ્યા છે. આમાંનો કોઈ અભિપ્રાય ગાંધીને ન્યાય કરતો નથી, કારણ કે કોઈ ખાનાંબદ્ધ મૂંઝવતી મહાનતમ મુશ્કેલી એ છે કે એમના વિષે કરવામાં આવેલું લગભગ દરેક વિધાન કે અર્ધસત્ય હોય છે અને અર્ધસત્યની મુશ્કેલી બાકીનું અર્ધસત્ય હોય છે. એક વધારાની મુશ્કેલી એ પણ છે કે ગાંધીના પોતાનાં વિધાનો પણ આંશિક સત્યો હોય છે અને એક વધુ મોટા સત્ય તરફ નવું ડગલું ભરવાના ઇરાદાથી કરાયેલાં હોય છે. અર્ધસત્યો ગાંધીવિચારને વિકૃત કરે છે અને આંશિક સત્યો એમને સમજવા માટેનો એક પ્રબળ બૌદ્ધિક પુરુષાર્થ માગી લે છે.

ગાંધીના અભિગમનું સૌથી બળુકું તત્ત્વ સિદ્ધાંત અને કર્મ વચ્ચેની એકતા હતું. એટલે જ, સિદ્ધાંતમાં એમ માનવામાં આવ્યું હોય કે માનસિક અને શારીરિક શ્રમ વચ્ચેનો તફાવત દૂર કરવો જોઈએ કે, કંઈ નહીં તો, ઓછો કરવો જોઈએ, તો ગાંધી ચરખો ચલાવે છે. જો સત્ય અને અહિંસા મૂળભૂત સિદ્ધાંત હોય, તો આ સિદ્ધાંતને ‘સત્યાગ્રહ’ દ્વારા મૂર્ત સ્વરૂપ આપે છે. ભાઈચારો જો જાગતિક મૂલ્ય હોય, તો અંત્યોદયને એ કર્મયોગમાં ઢાળે છે. જો સમાનતા અને સાદાઈ એ ગરીબીના ઉકેલ માટે વખાણવાલાયક સિદ્ધાંતો હોય, તો એ ટૂંકી પોતડીને અપનાવી લે છે.

આપણે આજે આવી રહનસહનનું પુનરાવર્તન કરવાનું નથી. આપણે એ સમજવાનું છે કે ગાંધી કેવી રીતે વિચાર અને આચારને એકબીજાની નજીક લાવ્યા, એટલું જ નહીં પણ એ પણ દર્શાવ્યું કે યોગ્ય આચાર વિના યોગ્ય વિચાર હોઈ જ ન શકે. વીસમી [હવે એકવીસમી] સદીનો દંભ અને બૌદ્ધિક નિરાશાવાદ, જ્યારે વિચારો અને સિદ્ધાંતો સ્પષ્ટ હોય, ત્યારે પણ એક પ્રકારની આચારની લાચારી છતી કરે છે. ગાંધીએ શબ્દ અને કર્મ વચ્ચેનું ક્રાંતિકારી સંશ્લેષણ પૂરું પાડ્યું.

આ વાત અનન્ય અને અભૂતપૂર્વ હતી. અત્યારે જ્યારે મૂડીવાદી અને સામ્યવાદી, બંને પ્રકારના દેશોમાં મોટા પાયે ધર્મ તરફ વાપસી થઈ રહી છે, જે હકીકતમાં માનવનાં દુઃખ અને એકલતાની દ્યોતક છે, ત્યારે ગાંધીવિચારની ધાર્મિક માન્યતાઓનું નૈતિક મૂલ્યોમાં થતું રૂપાંતરણ વધારે પ્રસ્તુત બને છે. જો ધર્મને ફરી એક વાર પ્રત્યાઘાત અને આતંક પાછળના ઈંધણ તરીકે વિકસવા ન દેવો હોય, તો આ અત્યંત જરૂરી છે. ધર્મ તરફ વાપસીનું વધતું આકર્ષણ એ સામ્યવાદી દેશોમાં મહદ્‌ અંશે નૈતિક રાજકીય વ્યવસ્થાના અભાવનો તો મૂડીવાદી દેશોના બીભત્સ ભોગવાદ અથવા કાયમી ગરીબીનો પ્રત્યાઘાત છે.

ગાંધી વિજ્ઞાન, ધર્મ અને સમાજનું, એક પરસ્પર ગુંથાયેલી સમસ્યા તરીકે આકલન કરે છે. સદીઓ જતાં, દરેકનું બીજા સાથેનું અંતર વધ્યું છે, જે ઘણા સરલીકૃત સિદ્ધાંતો અને ફિલસૂફીઓને જન્મ આપે છે. વ્યવહારમાં, માનવ અને સમાજનું વિઘટન આ ત્રણે વિષયો વચ્ચેના વધતા અંતરને કારણે છે, જે કેવળ મનુષ્યની સમજણ અને અનુભવ પર જ પ્રભાવ નથી પાડતું, પણ એના કોઈ પણ કટોકટી કે દબાણ તરફના પ્રતિભાવ પર પણ અસર કરે છે.

આ હાલત સામે, ગાંધીનો જવાબ એ હતો કે આ ત્રણે વિષયને અલાયદા કરી શકાય તેમ છે જ નહીં. અત્યાર સુધી, કેવળ એક પડદાને કારણે જાણે આ ત્રણે અલાયદા દેખાતા હતા, જે હવે તૂટી રહ્યો છે. આ બધા વચ્ચે ઉત્ક્રાંતિ અને સત્યની શોધ એક સામાન્ય ઘટક હતો. વિજ્ઞાને પ્રાકૃતિક ઘટનાઓ સામે માનવને અતિ શક્તિશાળી બનાવ્યો અને એક પ્રકારના સત્યની શોધ કરી. માનવન માનવ સાથેના સંબંધો એ સત્યની શોધનો બીજો માર્ગ હતો, અને ઈશ્વરનો ડર હટાવીને દિવ્યતા માટેની એની પોતાના અંતઃકરણમાં શોધ એને માટે સત્યને પામવાનો ત્રીજો માર્ગ બની રહ્યો.

સત્યને જ ઈશ્વર તરીકે વ્યાખ્યાયિત કરીને ગાંધીએ હકીકતમાં તો ઈશ્વર અને વિજ્ઞાન બંનેને એક ખાનામાં મૂકી દીધા. માનવજાત ધર્મને ફગાવી દઈ શકી નહીં, કારણ કે ભૌતિકવાદ અને ભૌતિકવાદી ફિલસૂફીઓ મૂલ્યો અને આધ્યાત્મિક ખોજને લગતા પ્રશ્નોના ઉત્તર આપવામાં નિષ્ફળ નીવડી. ગાંધીએ માનવામાં રહેલા આ દ્વંદ્વને ઉકેલવાનો પરિશ્રમ આદર્યો અને બધા ધર્મોને એમની સર્વસામાન્ય ચિંતા – માનવ અને એની મૂલ્યવ્યવસ્થાના આધાર પર સ્થાપિત કર્યા. જડ માન્યતાઓ અને કર્મકાંડોનાં આવરણોને હટાવીને જોતાં બધા ધર્મોમાં આ એક જ વાત ઊપસી આવે છે, એ આથી ઉજાગર થયું. મને આગાહી કરવાની લાલચ થાય છે કે આવનારા સમયમાં ગાંધીનો આ અભિગમ માન્યતા પામશે અને વૈશ્વિક સ્વીકાર મેળવશે. કારણ કે ધર્મના બે મોટા વિરોધાભાસો – એક તરફ માનવની લાચારી અને બિનતાર્કિકતાની અભિવ્યક્તિ તરીકે ધર્મ અને બીજી તરફ મૂલ્યોની શોધ અને આધ્યાત્મિક આયામને પ્રતિબિંબિત કરતા ધર્મનું સમાધન કેવળ ગાંધીનો આ અભિગમ જ આપી શકશે.

ગાંધીનું યંત્ર, ટેક્‌નોલૉજી અને વિજ્ઞાન પ્રત્યેનું વલણ ઘણી ગેરસમજૂતીનો ભોગ બનેલું છે. ગરીબોનું નિર્મૂલન એ એમની પ્રથમ ચિંતા હતી. એમણે લખ્યું છે, “જો હિંદુસ્તાનની ગરીબી અને એમાંથી ઉદ્‌ભવતી આળસ દૂર કરી શકાતી હોય, તો હું ગમે તેટલા મોટા મશીન ઉપયોગની પણ તરફેણ કરીશ.” હું ટેક્‌નોલૉજીની તરફેણમાં ગાંધીજી દ્વારા અપાયેલાં કેટલાંક દાખલા અને વિધાનો ટાંકી શકું તેમ છું. એ જોશપૂર્વક જેની વિરુદ્ધ હતા, તે તો દુનિયા ટેક્‌નોલૉજીની જે અનિવાર્યતામાં સરી પડી છે તે હતું. ટેક્‌નોલૉજી અને વિજ્ઞાનના ઉપયોગની દિશાની બાબતમાં કેટલાંક ધોરણો જળવાય એ માટે એમણે ભારપૂર્વક આગ્રહ રાખ્યો. જે ટેક્‌નોલોજી માનવો વચ્ચે અને રાષ્ટ્રો વચ્ચે અસમતુલા પેદા કરે, માનવીને જે અમાનવીય બનાવી દે કે એને એના કામથી કે બીજા સહકર્મીઓથી દૂર કરી દે, અથવા બેકારીને જન્મ આપે એવી ટેક્‌નોલોજી એમને મંજૂર નહોતી. એકથી વધારે વાર ગાંધીએ જાહેર કર્યું છે કે માનવીને માથેથી ભાર દૂર કરે તેવી ટેક્‌નોલૉજી એક સારું આરંભબિંદુ છે, પરંતુ ત્યાં જ અટકી જઈ શકાય નહીં.

ટેક્‌નોલૉજીની વિધાયક ભૂમિકા, ખાસ કરીને છેલ્લી સદીમાં ખરે જ અસામાન્ય રહી છે. માનવને એણે કુદરતનાં વિનાશકારી પરિબળોના ભયમાંથી મુક્તિ અપાવી છે. અને એની બધી જરૂરિયાતોને સંતોષવાનું શક્ય બનાવ્યું છે, અને એ રીતે એનો ગરીબી અને વંચિતતાનો ભય દૂર કર્યો છે. પણ બીજી બાજુ, પસંદગીઓને બહોળી બનાવવાની સાથે ટેક્‌નોલૉજી માનવીને પસંદ કરવાની ક્ષમતા અને મોકળાશ ઘટાડે છે, જેના પાયામાં માનવ અને યંત્ર વચ્ચેની અસમતુલા રહેલી છે. કુદરતને લૂંટીને અને એનો નાશ કરીને ટેક્‌નોલૉજી ફરી એક વાર માનવ અને કુદરત વચ્ચે સંઘર્ષની સ્થિતિ પેદા કરી રહી છે. વિશ્વદર્શનની એક શક્યતા ઊભી કરવાની સાથે તે માનવના તેની જાતના દર્શનને વિકૃત કરી રહી છે. થોડા હાથોમાં એની લગામ હોવી એ હકીકત માનવ-સમસ્યાઓના સમાધાન સામે અવરોધ બને છે. ટેક્‌નોલૉજી કૃત્રિમ સંસ્કૃતિનું સર્જન કરે છે અને અમુક લોકોનું એક જૂથ કેટલાંક મનો-વિશ્લેષણાત્મક સાધનો દ્વારા બીજા ઉપર ભયજનક કાબૂ ધરાવે તેવી શક્યતા પેદા કરે છે. સાથે જ તે માનવીય સ્વાતંત્ર્યનો નાશ કરે, તેવાં સાધનો પણ હાથવગાં કરી આપે છે. ગાંધીના ટેક્‌નોલૉજી બાબતે નકારાત્મક વિચારો કેટલાક ખાસ પ્રશ્નોને કારણે ઉદ્‌ભવેલા છે, જેવા કે મુઠ્ઠીભર દેશો દ્વારા ટેક્‌નોલૉજી પર સંપૂર્ણ કાબૂ ધરાવતો અને એના પાયા ઉપર સામ્રાજ્યવાદ કે મૂડીવાદ કે એવા કોઈ જડબેસલાક તંત્ર દ્વારા એક અનૈતિક અને અન્યાયપૂર્ણ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લાગુ કરવી. એમણે એવી બધી ટેક્‌નોલૉજીનો સંપૂર્ણ વિરોધ કર્યો, જે એક ગરીબ દેશોના હયાત ટેક્‌નોલોજીકલ પાયાનો નાશ કરે, પરંતુ બીજા વૈકલ્પિક અંતર્જાત આધારના સર્જનની શક્યતા જ ધૂળભેગી કરી નાખે. સૌથી વધારે તો, ગાંધી એવી ટેક્‌નોલૉજીની વિરુદ્ધ હતા, જે તંત્રજ્ઞો અને વૈજ્ઞાનિકો દ્વારા થઈ રહેલા સ્વાશ્રય, ગૌરવ અને આત્મસન્માનની ભાવનાને નુકસાન કરે તેવાં મૂલ્યોના ફેલાવાને માન્યતા આપે.

લાંબા સમય પહેલાં, જ્યૉર્જ ઑરવેલે એની અવિસ્મરણીય નવલકથા – ૧૯૮૪માં વીસમી સદીના પડકારોને દર્શાવ્યા હતા. ઑરવેલે પાશ્ચાત્ય દુનિયાને એમાં એક ગંભીર કલ્પના રૂપે આપેલી ચેતવણી ખરેખર સચોટ આગાહી બની છે. ઝૂંટવી લેવાની માનસિકતા, રાજકીય ઉન્માદ અને બેકાબૂ આતંકવાદે દુનિયાને ગ્રસી લીધાં છે. ‘૧૯૮૪’માં વર્ણવેલ દુનિયા અને આધુનિક સમાજ વચ્ચે સમાંતરતા સ્પષ્ટ રીતે કળી શકાય છે. નિષ્ણાતોની આખી ટીમ ભવિષ્યનાં યુદ્ધોના સાજ-સરંજામનું આયોજન કરી રહી છે. મારા મતે ‘૧૯૮૪’નો એક માત્ર ઉત્તર ગાંધી છે.

આ ભાષણની શરૂઆતમાં મેં એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે એક જાતની મૂલ્યહીનતા આખી દુનિયામાં ફેલાઈ રહી છે, ખાસ કરીને ભારતમાં મેં એમ પણ કહ્યું હતું કે ભારતમાં સત્તાધીશોના અને ખાસ કરીને બૌદ્ધિકોનાં અગ્રવર્ગ ગાંધીવિચાર, મૂલ્યો અને કાર્યશૈલીનું વિશ્લેષણ કરવાની દરકાર કરી નથી. સાંપ્રત પડકારોના ઉકેલ આપવામાં જ્યારે મોટા ભાગની વિચારધારાઓ અને વ્યવસ્થાઓ નિષ્ફળ ગઈ છે, ત્યારે ગાંધી તરફ ફરી નજર કરવી અતિ આવશ્યક બની ગયું છે. આપણે ગાંધીની વધુ પૂજા નહીં કરીએ તો ચાલશે. જે જરૂરી છે તે એ કે આપણે એમના વિચારનું તલસ્પર્શી અને પ્રામાણિક વિશ્લેષણ કરીએ.

[‘વિચાર વલોણું’ના સદ્‌ભાવથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 08 – 09

Loading

ઠેબે ચડ્યો છું મારામાં

પ્રફુલ્લ રાવલ|Poetry|17 March 2019

સાઠ વર્ષના અન્તરાલે,
આ પોષની થાકેલી સાંજે,
જૂના મહોલ્લાના ઝાંપે
વીજળીના થાંભલાને અઢેલીને ઊભો છું,
ત્યારે
એ ફળિયું ને એ સરિયામ
એ તુલસીક્યારો ને એ મંદિર
સંતાકૂકડી રમતાં બાળકો
કોઈ ખીલેલા, કોઈ કરમાયેલા
કોઈ રુક્ષ, કોઈ ચિંતાગ્રસ્ત ચહેરાઓ
વીંટળાઈ વળ્યા છે જાણે મને કંઈક ને કંઈક કહેવા.
જીમાશીનો પથરાયેલો કડપ,
સાથે મધુબાનું વેરાતું સ્મિત,
હજુયે જાણે સ્પર્શે છે મને,
સવારે ફળિયું વાળતાં-વાળતાં ઊડતી ઝીણી ધૂળ,
આંગણે મૂકેલી સગડીમાંથી નીકળતો ભૂખરો ધુમાડો,
હવાની દિશા પકડીને ભરાતો કોઈના ઘરના ઓરડામાં
ને આરંભાતું વિનિતાઓનું વાક્‌યુદ્ધ
બધાયે ચહેરામાં એક સાવ નોખો ચહેરો અત્યારે પણ જોઉં છું,
કેવો નિરાધાર!
એ ચહેરાના આધારે ભરાઈ ગઈ છે મારી વહી,
બસ, અવગણનાની એક ગીતા રચાઈ ગઈ છે.
તોય નહોતો કળાતો
કશોય અભાવ એ ચહેરા પર
‘અમે તો ઓળગાણાં
અમારે વળી શું ભાવ, શું અભાવ?’
હા, હું મણિવઉની વાત કરું છું,
એ કહેતી’તી :
‘જે દિ’ ન કોઈ ધુત્કારે અમને
તે દિ’ અમારે મન સોનાનો.
બાકી તો નસીબમાં ઠેબાં ને ઠેબાં.’
આ ક્ષણે હુંય જાણે ઠેબે ચડ્યો છું મારામાં.

E-mail : prafull.raval@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 11

Loading

યુદ્ધને ‘જશ્ન’ માનનારા તેનો હિસ્સો નથી, જે યુદ્ધમાં ભાગ લે છે તેને માટે એ ‘જશ્ન’ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|16 March 2019

યુદ્ધને હંમેશાં રાજકારણ અને સત્તા સાથે જ લેવાદેવા હોય છે, યુદ્ધ અને રાષ્ટ્રવાદ વચ્ચે કોઇ જ સંબંધ નથી.

“પાર્થને કહો ચઢાવે બાણ, હવે યુદ્ધ એ જ કલ્યાણ”, આ પંક્તિ ટાંકવી અને એની વાસ્તવિકતાને બહોળા દ્રષ્ટિકોણમાં જોવી, એમાં યુદ્ધ અને શાંતિ જેટલો ફરક છે. લખી નાખવું સહેલું છે પણ સામનો કરવો સહેલો નથી જ. છેલ્લા કેટલાક દિવસથી ‘વૉર’, ‘યુદ્ધ’, ‘બદલો’, ‘બતાડી દેવું’, ‘હંફાવી દીધાં’, ‘હવે તો પતાવી જ દેવાનાં’ એવા બધાનો મારો સતત ચાલ્યો. ચેટ ગ્રુપ્સથી માંડીને સોશ્યલ મીડિયામાં “યુદ્ધ નિષ્ણાત” બની ચૂકેલાઓએ ધડાધડ મિસાઇલો છોડી. લોકોમાં જાણે યુદ્ધનો જૂવાળ ફાટી નિકળ્યો. સતત ચાલતા આ ઘોંઘાટ વચ્ચે રાજકીય સ્તરે પણ ઘણી બધી હલચલ થઇ – એ શું થઇ એની ચર્ચા કરવાનો અર્થ નથી કારણ કે મોટાભાગની વાસ્તવિકતાઓ લોકો સુધી પહોંચી છે અને બોગસ વાતો લોકોએ ફેલાવવામાં જરા ય મોડું નથી કર્યું. નબળાં ફેફસે યુદ્ધનાં બ્યુગલ વગાડનારી જનતા ખરેખર યુદ્ધને કેટલું સમજે છે?

આખરે યુદ્ધ શું છે? યુદ્ધ એટલે એક એવો સક્રિય સંઘર્ષ જેમાં ૧,૦૦૦ કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં હોય. વિશ્વમાં ક્યારે ય પણ પૂરેપૂરી શાંતિ રહી છે ખરી? ૩૪૧૫ વર્ષ જૂના વિશ્વમાં કેટલાં વર્ષ શાંતિ રહી હશે? તમને શું લાગે છે? વિશ્વમાં માત્ર ૨૬૮ વર્ષ જ શાંતિ સ્થપાયેલી રહી છે, અને જેની નોંધ લેવાઇ હોય તેવા ઇતિહાસની ગણતરી કરીએ તો માંડ આઠ ટકા વૈશ્વિક ઇતિહાસ એવો છે, જેમાં શાંતિ રહી હોય. આધુનિક યુગમાં થયેલાં યુદ્ધોની ગણતરી કરીએ તો તેની શરૂઆત અમેરિકન સિવિલ વૉરથી કરવી પડે.

૧૮૬૧-૧૮૬૫ સુધી ચાલેલા સિવિલ વૉરથી એ નિશ્ચિત થયું કે અમેરિકા કેવા પ્રકારનું રાષ્ટ્ર હશે. સ્વતંત્ર અને ગુલામ રાજ્યો વચ્ચેના આ સંઘર્ષને અંતે ગુલામી તો નાબૂદ થઇ, પણ આ સિદ્ધિ ચાર વર્ષનાં અંતે ૬ લાખ ૨૫ હજારનાં મૃત્યુના આંકડા સાથે પ્રાપ્ત થઇ. ૧૯૧૪માં બ્રિટને જર્મની સામે યુદ્ધનું એલાન કર્યું, અને આખા વિશ્વમાં અસર કરનારું આ યુદ્ધ પ્રથમ વિશ્વ યુદ્ધ કહેવાયું. ૧૯૧૮, ચાર વર્ષ ચાલેલા આ યુદ્ધમાં જર્મની, ઑસ્ટ્રીઆ-હંગેરી, બલ્ગેરિયા, ઓટ્ટોમન એમ્પાયર જેવા સેન્ટ્રલ પાવર્સ તથા ગ્રેટ બ્રિટન, ફ્રાંસ, રશિયા, ઇટાલી, રોમાનિયા, જાપાન અને યુ.એસ. જેવા અલાઇડ પાવર્સ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. પ્રથમ વિશ્વ યુદ્ધમાં યુરોપિયન દેશો દેવાના ભાર તણે દબાઇ ગયા અને અમેરિકા અગ્રણી ઔદ્યોગિક શક્તિ તરીકે ઊભરી આવ્યો. પ્રથમ વિશ્વ યુદ્ધને કારણે આર્થિક, સામાજિક, ટેક્નિકલ જેવાં અનેક પરિવર્તનો આવ્યાં પણ આ સાથે ચાર કરોડ જિંદગીઓ ખતમ થઇ ગઇ જેમાં સૈન્ય અને આમ નાગરિક બન્નેનો સમાવેશ થાય છે. મોતને ભેટેલાં, ઘવાયેલાં, ખોવાયેલા, રોગચાળાને કારણે ખલાસ થઇ ગયેલા એવા કેટલા ય ચહેરાઓ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભૂંસાઈ ગયા.

આ પછી લોકોને અપેક્ષા હતી કે હવે યુદ્ધ નહીં થાય, પણ પછી પહેલાં વિશ્વયુદ્ધનાં લીધે આવેલા બદલાવોને કારણે બીજું વિશ્વ યુદ્ધ થયું. નાઝી જર્મનીમાં હિટલરે કાળો કેર વર્તાવ્યો અને અંતે ત્રીસથી વધુ દેશો એકબીજા સાથે યુદ્ધે ચઢ્યાં. ૧૯૩૯માં શરૂ થયેલું આ યુદ્ધ છ વર્ષ ચાલ્યું જેમાં લગભગ ૬ કરોડ લોકોનાં મોત થયાં જેમાંથી ૬૦ લાખ તો નાઝી કોન્સન્ટ્રેશન કેમ્પમાં માર્યા ગયેલા યહૂદીઓ હતાં. હિરોશીમા-નાગાસાકી પર અમેરિકાએ ન્યુક્લિયર શસ્ત્રનો ઉપયોગ કર્યો અને આવનારી પેઢીઓ માટે જીવતર ઝેર બની ગયું. આ શહેરોમાં કેટલાં ય વર્ષો સુધી રેડિયેશન પણ રહ્યું હતું. યુ.એસ. અને સોવિયેત યુનિયન મહાસત્તા બન્યા અને કોલ્ડ વૉર – શીત યુદ્ધમાં એમણે શિંગડાં ભેરવ્યાં. જો કે એ પહેલાં ઇઝરાઇલની રચના થઇ. નવા રાષ્ટ્ર અને પેલેસ્ટાઇન વચ્ચે એક વર્ષ યુદ્ધ ચાલ્યું. ઇઝરાઇલ સતત સંઘર્ષની સ્થિતિમાં જ રહેલો દેશ છે.  શીત યુદ્ધ બે તબક્કામાં ચાલ્યું. ૧૯૪૭-૧૯૫૩ અને ૧૯૮૫-૧૯૯૧માં એમ બે તબક્કાઓમાં કોરિયા, અફઘાનિસ્તાન, વિયેતનામનાં પ્રોક્સી વૉર્સ સતત ચાલ્યાં. ૧૯૯૧માં સોવિયેત યુનિયન વિખેરાયું તે સાથે શીત યુદ્ધનો અંત આવ્યો અને યુ.એસ.એ. સુપર પાવર રાષ્ટ્ર તરીકે સ્થાપિત થયું.

શીત યુદ્ધ દરમિયાન ૧૯૫૦માં કોરિયન વૉર થયું. ત્રણ વર્ષ ચાલેલા કોરિયન વૉરમાં ૫૦ લાખ સૈનિકો અને નાગરિકોનાં મોત થયાં. વળી ઉત્તર અને દક્ષિણ કોરિયાના ભાગલા આ યુદ્ધનું પરિણામ છે. ૧૯૫૪-૧૯૭૫ એમ કુલ ૨૧ વર્ષ ચાલેલા આ યુદ્ધમાં એટલી બધી જિંદગી ખલાસ થઇ ગઇ કે એનો આંકડો કેટલાં ય વર્ષો સુધી વધતો રહ્યો. એક અંદાજ પ્રમાણે આ યુદ્ધમાં ૩૫ લાખથી વધુ લોકો મોતને ભેટ્યાં. આ પછી ૧૯૭૯માં સોવિયેટ-અફઘાન યુદ્ધ થયું જે નવ વર્ષ ચાલ્યું. મુજાહિદ્દિન સાથે નાના માઓઇસ્ટ જૂથે મળીને સોવિયેટ આર્મી અને અફઘાનિસ્તાન સામે યુદ્ધ શરૂ કર્યું. આ પણ કોલ્ડ વૉરનું પ્રોક્સી વૉર જ હતું. એક અંદાજ પ્રમાણે પાંચથી વીસ લાખ જેટલા આમ નાગરિકો મોતને ભેટ્યાં. સોવિયેટ યુનિયન વિખેરાયું એટલે આ યુદ્ધ અટક્યું પણ અફઘાનિસ્તાનને આજે પણ કળ નથી વળી. ઇરાન-ઇરાક વચ્ચેનું ખાડી યુદ્ધ એંશીનાં દાયકામાં શરૂ થયું અને આઠ વર્ષ ચાલ્યું. તાલીબાનને કારણે ૨૦૦૧થી યુ.એસ. અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલે છે. તાલીબાન અને અલ-કાયદાના કેમ્પ્સનો ખાત્મો તો બોલાવાયો અને ઓસામા બિન લાદેનને પણ મોતને ઘાટ ઉ,તાર્યો પણ હજી સુધી અફઘાનિસ્તાન અસ્થિર છે. ૨૦૦૩માં શરૂ થયેલું ઇરાક વૉર ૨૦૧૧માં અટક્યું અને એ દરમિયાન સદ્દામ હુસેનનાં એક્ઝિક્યુશનથી માંડીને, ઇરાકી સિવિલ વૉર, અમેરિકન લશ્કરનું ફરી ઇરાકમાં જવું અને ઇસ્લામિક સ્ટેટનો અંત જેવી ઘટનાઓ થઇ અને આ બધાં સાથે છ લાખ લોકો મોતને ભેટ્યાં.

માત્ર વીસમી સદીમાં ૧૦ કરોડ ૮ લાખ જેટલાં લોકો યુદ્ધને કારણે મૃત્યુ પામ્યાં છે. યુદ્ધમાં પરિવારો વિખેરાઇ જાય છે, જન્મનો દર પણ ઘટે છે અને અર્થતંત્ર ખતમ થઇ જાય છે. ચીન પાસે સૌથી મોટું સૈન્ય છે અને પછી અમેરિકાનો વારો આવે છે. એક જૂના સર્‌વે અનુસાર ૨૦૦૩ની શરૂઆતમાં વિશ્વ આખામાં એક સાથે ૩૦ યુદ્ધો ચાલી રહ્યા હતાં. ગલ્ફ વૉરની કિંમત ૭૬ બિલિયન ડૉલર્સ હતી, વિયેતનામનાં યુદ્ધનો ખર્ચ ૫૦૦ બિલિયન ડૉલર્સ હતો, કૉરિયન વૉરનો ખર્ચ ૩૩૬ બિલિયન ડૉલર્સ હતો અને બીજું વિશ્વ યુદ્ધ ૩ ટ્રિલિયન ડૉલર્સનાં ખર્ચે ખેલાયું હતું. જ્યારે યુદ્ધ ખેલાય છે ત્યારે સામાન્ય નાગરિકની જિંદગી પણ વિખેરાય છે અને માણસોનું વિસ્થાપન થાય છે. રેફ્યુજીઝની કફોડી હાલત પણ યુદ્ધનું જ પરિણામ છે. નેવુંનાં દાયકામાં થયેલા યુદ્ધોમાં ૨ મિલિયનથી વધારે બાળકો વૉરનો ભોગ બન્યાં હતાં.

ઘર ભણી નજર કરીએ તો ભારત પાકિસ્તાન બંન્ને પાસે પરમાણુ શસ્ત્રો છે અને કાશ્મીરને કારણે ભાગલા વખતથી બન્ને રાષ્ટ્રો વચ્ચેનું વૈમનસ્ય યથાવત્ રહ્યું છે. બન્ને દેશો વચ્ચે કાશ્મીર મુદ્દે ૧૯૪૭માં, ૧૯૬૫માં અને ૧૯૭૧માં અને ૧૯૯૯માં એમ ચાર યુદ્ધ થઇ ચુક્યાં છે. બંન્ને દેશોએ ખરબો ખર્ચીને કન્વેન્શનલ શસ્ત્રો મેળવ્યાં છે. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝને મતે ભારતે સૈન્યમાં એટલો ખર્ચો કર્યો છે કે ડિફેન્સમાં ખર્ચને મામલે તે વિશ્વનો પાંચમો દેશ છે. યુદ્ધ તેનાં પરિણામો જેટલું જ અણધાર્યું હોય છે. આપણે એ હકીકતોથી પણ વાકેફ છીએ કે કઇ રીતે કયા રાષ્ટ્રએ પોતાનાં હિત માટે આતંકીઓને પાળ્યા, કે કયા રાષ્ટ્રએ તેને એમ કરવામાં આર્થિક મદદ કરી કે પછી કઇ રીતે તેલનાં કૂવા જેની પાસે હોય તેવાં રાષ્ટ્રોને અમુક રીતે હસ્તગત કરવામાં મહસત્તાઓ પોતાની લશ્કરી શક્તિ લગાડી દે છે. મૂળ વાત તો સત્તાની જ હોય છે. યુદ્ધ અને રાષ્ટ્રવાદને કોઇ કરતાં કોઇ જ સંબંધ નથી. યુદ્ધનો સીધો સંબંધ રાજકારણ સાથે જ છે. યુદ્ધ કંઇ લાઇન ઑફ કન્ટ્રોલ પર સૈન્ય વચ્ચે થતી લડાઇ નથી, તેમાં સ્પેસ, સાઇબર, ઇલેક્ટ્રોનિક જેવાં કેટલાં ય પાસાં ભળેલાં હોય છે. જો ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો એમાં કોઇને કોઇ રીતે ચીન પોતાનો ફાળો ભજવશે. ચીન અને ભારતની સરહદ અંગે પણ વિવાદ છે કારણકે ચીન જમ્મુ-કાશ્મીરના લદાખમાં જે ૧,૪૮૮ કિલોમીટરની સરહદ ભારત સાથે વહેંચે છે તેને ભારતનો હિસ્સો નથી ગણતું. પાકિસ્તાનની સુરક્ષામાં ચીનનો ફાળો હોવાથી યુદ્ધ થાય તો તે પોતાનાં સૈન્યને એ રીતે સાબદું કરી શકે છે કે ભારતીય સૈન્ય લદાખ તરફથી પાકિસ્તાનની સરહદે ન જઇ શકે. ચીન ટેક્નોલોજીને મામલે બહુ આગળ છે અને જો તે પાકિસ્તાનને મદદ કરે તો ભારત એ લડાઇને પહોંચી વળવા માટે સક્ષમ નથી. જો સ્ટ્રાઇક્સમાં ચીનના સુરક્ષા કર્મીઓ જે સીપેક પર કામ કરે છે તેમને નુકસાન થાય તો ચીન સ્વ રક્ષા માટે પણ યુદ્ધમાં ઝંપલાવી શકે છે. એક વાર આમ થાય એ પછી આ યુદ્ધ માત્ર ભારત-પાકિસ્તાનનું યુદ્ધ ન રહેતાં એક કરતાં વધારે રાષ્ટ્રો વચ્ચે ખેલાશે અને યુદ્ધનાં પરિણામ સારા નથી હોતાં તે એનો ભોગ બનનારાં કહેવા માટે જીવતાં નથી.

મુત્સદ્દી વ્યુહરચનાઓ, મિલટરીનાં ટેસ્ટ એ બધું અન્ય રાષ્ટ્ર સામેનું અહિંસક શક્તિ પ્રદર્શન છે. એ પછીનો તબક્કો સબ કન્વેન્શનલ વૉરનો હોય છે જેમાં સર્જિકલ સ્ટ્રાઇક્સનો સમાવેશ થાય છે. આ તબક્કા સાયકોલૉજિકલ વૉરફેર ચાલે છે જેમાં મિસ ઇન્ફર્મેશન, ભ્રમણાઓ ખડી કરવી અને મૂંઝવણ ખડી કરવા ગપગોળા ચલાવવામાં આવે છે. એ પછીનું પગથિયું કોઇ ચોક્કસ પ્રદેશમાં રહીને ખેલાય છે, જેમ કે કારગિલ વૉર, આ દરમિયાન ભારતે એલ.ઓ.સી. ક્રોસ નહોતી કરી. આ તબક્કામાં ચોક્કસ હિસ્સાઓ પર બોમ્બિંગ વગેરે કરાય છે અને બે સૈન્યો મિલિટરી ગ્રેડનાં શસ્ત્રોથી યુદ્ધ કરે છે. જો સ્થિતિ તંગ બને તો પછી ન્યક્લિઅર વૉરનું સ્તર આવે છે, પાકિસ્તાને ધમકી તો આપી છે પણ હજી એ પરિસ્થિતિથી આપણે ઘણાં દૂર છીએ. આપણે બીજા તબક્કે છીએ અને ત્યાંથી આગળ ન વધીએ એ માટે આપણે ઘણાં પગલાં લેવા પડશે નહિતર પછી યુદ્ધની ખુવારી સિવાય કશું જ નહીં બચે. પરમાણુ શસ્ત્રો જેમ વાજપાઇએ કહ્યું હતું તેમ ધાક બેસાડવા હોઇ શકે પણ બધું ધૂળધાણી કરવા માટે તો ક્યારે ય નહીં.

બાય ધી વેઃ 

આપણે આજકાલ બધું અમેરિકા જેવું છે. પહેલાં જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તડાફડી થતી ત્યારે અમેરિકન પ્રેસિડન્ટે અંગત ડિપ્લોમસી વાપરીને બન્ને દેશોને ધાર પરથી પાછા ખેંચી લીધા છે. ૧૯૯૯માં કારગિલ વોર હોય કે પછી ૨૦૦૨ની સ્થિતિ હોય. ૨૦૦૮માં કોન્ડોલિસા રાઇસ પણ મુંબઇના હુમલાનો આકરો જવાબ સરકાર ન આપે એ માટે અહીં આવી પહોંચ્યાં હતાં. હવે શું છે કે આપણે ત્યાં સાહેબ સાંભળે એમ નથી તો અમેરિકામાં બેઠેલા ટ્રમ્પ કે તેના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પેઓમાં તેમનાં પૂરોગામી જેટલું લેવરેજ હોય! અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે સત્તાની સ્પર્ધા ચાલી રહી છે અને વૈશ્વિક દ્રશ્ય બદલાઇ ચુક્યું છે. અમેરિકા આતંકવાદને પાળે છે વાળી વાતને બોગસ સાબિત કરવા ટ્રમ્પે ભારત સાથે દોસ્તી જરા વધારે પ્રદર્શિત કરી દીધી છે અને પાકિસ્તાનને સાવ અવગણ્યો છે. વળી અત્યારની તંગ પરિસ્થિતિમાં અમેરિકાએ ‘એક્સરસાઇઝ રિસ્ટ્રેન’ કહ્યું ખરું પણ એ કહેવામાં ય ખાસ્સી વાર કરી. અમેરિકાનું આવું વલણ ચીનને પાકિસ્તાન પર પકડ મજબૂત કરવામાં સહાય કરે છે. આ બધાંની વચ્ચે આપણાં ‘અભિનંદન’નું ઘરે પાછા ફરવું હૈયાને રાહત આપે છે. ચેટ ગ્રુપ્સ, સોશ્યલ મીડિયા કે અખબારોમાં ખેલાતાં યુદ્ધ અટકે એવી ઇચ્છા સાથે જે આતંકવાદીઓ માર્યા ગયા છે એની કોઇ નિશાની જોવા મળે તો ‘વોટ બેંકનો ખેલ’ સાવ પોકળ નથી એવું જાણવાની પણ ઇચ્છા થાય એ ચોક્કસ.

01 માર્ચ 2019

e.mail : chirantana@gmail.com

(‘ગુજરાતમિત્ર’)

Loading

...102030...2,8432,8442,8452,846...2,8502,8602,870...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved