Opinion Magazine
Number of visits: 9577571
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ખેડૂત વડો પ્રધાન બને’ : ગાંધીજી

ઋતમ વોરા, ઋતમ વોરા|Opinion - Opinion|17 March 2019

બરાબર એકોતેર (૭૧) વર્ષ પહેલાંની ૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ની અભાગી સાંજ પહેલાંનો એ દિવસ હતો. ગાંધીજી તેમના નિત્યક્રમ મુજબ દિલ્હીનાં બિરલા હાઉસ ખાતે સાંજની પ્રાર્થના પછી સંવાદ કરી રહ્યા હતા. પ્રાર્થના પછીનાં આ પ્રવચનો અને પ્રશ્નોત્તરી તેમના પોતાના વિચાર દેશ અને દુનિયા સમક્ષ મૂકવા માટેનું એક માધ્યમ બની ગયા હતા. ૨૯મી જાન્યુઆરીની સાંજની પ્રાર્થના પછીનો એ સંવાદ, જે તેમના જીવનનો આખરી જાહેર સંવાદ યા તો દેશને નામ આખરી સંદેશ બની રહ્યો. તેમાં ભારતના આ રાષ્ટ્રપિતાએ દેશનાં ગામડાંઓની દુર્દશા દૂર કરવા માટેની તેમની યોજના અંગે સ્પષ્ટ નિર્દેશ કર્યો હતો.

તે જ દિવસે તેમને મળવા આવેલા એક ખેડૂત સાથેની મુલાકાતનો સંદર્ભ આપતા ગાંધીજીએ ત્યારે મુલાકાતીઓને કહ્યું, “એક સજ્જન આજે મારી પાસે આવ્યા હતા. એમનું નામ તો હું વીસરી ગયો છું. એમણે ખેડૂતોની વાત કરી. મેં તેમને કહ્યું કે મારું ચાલે તો આપણો વડો હાકેમ ગવર્નર જનરલ પણ ખેડૂત હોય, આપણો વડો પ્રધાન ખેડૂત હોય, બધા જ ખેડૂત હોય. આનું કારણ એ કે અહીંનો, આ મુલકનો રાજા ખેડૂત છે.”

આટલું કહી ગાંધીજીએ પોતાના બચપણની એક કવિતા યાદ કરી. “મને બચપણમાં એક કવિતા ભણાવવામાં આવી હતી, કે ‘હે ખેડૂત, તું બાદશાહ છે.’ તેમણે વધુમાં ઉમેર્યું, “ખેડૂત જમીનમાંથી પેદા ન કરે તો આપણે ખાઈશું શું?’ હિંદુસ્તાનનો સાચો રાજા ખેડૂત છે. પણ આજે આપણે તેને ગુલામ બનાવી બેઠા છીએ. આજે ખેડૂત શું કરે? બી.એ. બને? એમ.એ. બને? એવું થાય એટલે તે ખેડૂત મટ્યો. પછી તે કોદાળી નહીં ઊંચકે, જે આદમી પોતાની જમીનમાંથી પેદા કરીને ખાતો હોય તે જનરલ બને, પ્રધાન બને, તો હિંદની સૂરત પલટાઈ જાય. આજે જે સડો છે, તે બધો નાબૂદ થાય." (ગાંધીજીની અપેક્ષા, ૭૯ઃ ૧૭૦)

મહાત્માં ગાંધીના આ ભાવના-સભર શબ્દો એવા સમયે આવ્યા હતા. જ્યારે નવો નવો આઝાદ થયેલો ભારત દેશ દુષ્કાળ, ખોરાકની અછત અને ગ્રામીણ સંકટોથી ઘેરાયેલો હતો.

આજે, જ્યારે આઝાદીના એકોતેર વર્ષ પછી ભારતનાં ગામડાઓમાં સમસ્યા ભયજનક સ્તર પર પહોંચી ગયું છે, અને દર વર્ષે લગભગ ૧૨,૦૦૦ ખેડૂતોને આત્મહત્યાનો અંતિમ સહારો લેવો પડે છે, ત્યારે એ સાંજે કહેવાયેલા ગાંધીજીના આ શબ્દોના પડઘા કાન ફાડી નાંખે તેટલા જોરથી પડી રહ્યા છે. નૅશનલ  ક્રાઈમ રેકોર્ડઝ બ્યુરો (NCRB) દ્વારા પ્રકાશિત થયેલા આંકડા મુજબ, વર્ષ ૨૦૧૫માં ભારતભરમાં થયેલી કુલ આત્મહત્યાની ઘટનાઓમાં કૃષિ ક્ષેત્રે થયેલી આત્મહત્યાનું પ્રમાણ ૯.૪ ટકા હતું અને ૨૦૦૨-૧૨ના દાયકામાં તો તે બે આંકડાને પાર કરી ગયું હતું.

આ પરથી એક વાત સ્પષ્ટ છે કે ગાંધીજીની હત્યા થયાના સમયગાળા આસપાસ તેમણે દેશની તત્કાલીન દશા જોતાં તે કઈ દિશામાં જઈ શકે છે એ જોઈ લીધું હતું. અને એટલા માટે પોતાની વ્યગ્રતા રજૂ કરી હતી.

ખેડૂતોને ચાવીરૂપ નિર્ણાયક ભૂમિકામાં મૂકવાની વાત, ગાંધીજી દ્વારા કોઈ અપવાદરૂપ ઉલ્લેખ માત્ર ન હતો, પરંતુ દેશને એક સ્પષ્ટ સંકેત હતો, જે તેઓએ એકથી વધુ વખત રજૂ કર્યો હતો. કેમ કે, તેમની વાત પરથી એ સ્પષ્ટ થાય છે કે ખેડૂતોના પ્રશ્નોને સમજવા અને તેનું યોગ્ય તેમ જ ટકાઉ નિરાકરણ લાવવા માટે તેઓ શિક્ષિત વર્ગના સર્વોત્કૃષ્ટ લોકોને અસમર્થ માનતા હતા.

“બદકિસ્મતી છે કે આપણો કોઈ પણ પ્રધાન ખેડૂત નથી. સરદાર જન્મથી ખેડૂત ખરા, વ્યાવયાસિક રીતે તો તેઓ બૅરિસ્ટર રહ્યા. જવાહરલાલ વિદ્વાન છે અને મહાન લેખક છે. પણ ખેતી વિશે એમને શું જ્ઞાન હોય ? આપણી ૮૦ ટકાથી વધુ વસ્તુ વસ્તી ખેડૂતો છે. આ જોતાં ખરી લોકશાહીમાં ખેડૂતોએ દેશમાં રાજ કરવું જોઈએ. તેમણે બેરિસ્ટર બનવાની જરૂર નથી. તેઓ સારા ખેડૂત બને, પોતાની ઉપજ કેમ કરીને વધારવી અને જમીનને ફળદ્રુપ રાખવા શું કરવું તે જાણવું એમના માટે જરૂરી છે. જો આપણી પાસે આવા ખેડૂતો હોય તો હું જવાહરલાલને કહીશ કે તમે એના સેક્રેટરી બની જાઓ.”

(CWMG : ૯૦-૧૨, માંથી ગુજરાતી અનુવાદ)

ગાંધીજીએ આ શબ્દો આઝાદી પછી તરતના દિવસોમાં ૨૬મી નવેમ્બર, ૧૯૪૭ના રોજ-પ્રાંતીય કૉંગ્રેસ કમિટિના એક સચિવને કહ્યા હતા, જે ખુદ એક ખેડૂત હતા. એ પછી ઉમેરે છે, “આપણા ખેડૂત પ્રધાનો મોટા મહેલોમાં નહીં બલકે માટીનાં ઘરોમાં રહેશે, અને આખો દિવસ જમીન ખેડશે. આવી પરિસ્થિતિ જ એક સાચું ખેડૂત રાજ લાવી શકશે,” હવે, આ બાબતોને ગાંધીજીની દીર્ઘદૃષ્ટિ કહો કે તેમનાં અંતરાત્માનો અવાજ, તેઓ ભારતમાં કૃષિ ક્ષેત્રે આવનારા સંકટને અગાઉથી જ પામી ચૂક્યા હતા. તુલનાત્મક રીતે જોતાં જણાશે કે ૧૯૪૦-૫૦ના દાયકાના નવા સ્વતંત્ર થયેલા ભારતનાં કૃષિ અને ગ્રામીણ સંકટના મુદ્દા અને રૂ. ૧૩૦ લાખ કરોડનાં જી.ડી.પી. (અંદાજિત જી.ડી.પી. ૨૦૧૭-૧૮)થી ધબકતા, વાર્ષિક ૭ ટકાના દરે વૃદ્ધિ પામતા ભારતના અર્થતંત્રના કૃષિ અને ગ્રામીણ પ્રશ્નોમાં કોઈ વિશેષ ભેદ જણાતો નથી!

ગામડાંઓમાં સંસાધનોની અછત, વરસાદ-આધારિત કૃષિની અનિશ્ચિતતાઓ, કૃષિ ઉત્પાદનોના અપૂરતા ભાવ, વચેટિયાઓની ભરમાર અને અત્યંત ભારણરૂપ કૃષિ દેવું … આ પ્રશ્નો આજે પણ એટલાં જ વાસ્તવિક અને ગંભીર છે જેટલાં ૭૦ વર્ષ પહેલાં હતાં અને જોવાની વાત એ છે કે ગાંધીજીના લેખો તેમ જ તેમના જાહેર અને અંગત સંવાદોમાં આ વિષયવસ્તુ વારંવાર ઉલ્લેખાઈ છે.

‘નવજીવન’ દ્વારા પ્રકાશિત અને ભારતન કુમારપ્પા દ્વારા સંકલિત પુસ્તક Food Shortage and Agriculture(હાલ અપ્રાપ્ય)માં કેટલીક રસપ્રદ વિગતો આપી છે. આ પુસ્તકમાં દર્શાવ્યા મુજબ, ભારતીય કૃષિની સ્થિતિને સુધારવા માટેના કેટલીક સ્પષ્ટ પદ્ધતિઓ અને રીત ગાંધીજીએ કહેલી છે. પહેલું, (જમીનનાં) વિભાજનને અટકાવતી આર્થિક રીતે સાનુકૂળ જમીન-ખાતાં નક્કી કરવાં. બીજું, દેશભરમાં રહેલા વણ શોધાયેલાં જળસ્રોતોને શોધવા અને બધા જ જળ સંસાધનોનું જતન કરવું. ત્રીજું, જમીન સંશાધનોની જાળવણી કરવી અને તેની ઉત્પાદકતા વધારવાના પ્રયત્નો કરતાં, આ માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જેમ કે ખાતર, બિયારણ, રોગ-નિવારણ અને જમીન ધોવાણ નિવારણના પ્રયાસો. ચોથું, સહકાર. પાંચમું, રાજ્ય તરફથી મદદ અને રક્ષણ. છઠ્ઠું, દેશમાં રહેલી પડતર જમીનોનું અધિગ્રહણ કરવું તેમ જ દરિયાકાંઠે અને અખાતમાં આવેલી જમીનોને પુનર્જીવિત કરવી.

ગાંધીજીના મતે કપાસ, એરંડા, મગફળી, ચોખા (ડાંગર), ખાંડ (શેરડી) તેમ જ શાકભાજી જેવાં કૃષિ પાક ભારતીય કૃષિનાં મજબૂત પાસાં હતા. પોતાની સંપાદકીય નોંધમાં કુમારપ્પાએ ટાંક્યું છે કે કૃષિ સંદર્ભે ગાંધીજીએ પોતાના વિચારોને જમીનની ઉત્પાદકતા-સુધારણાને ખાસ સેન્દ્રિય ખાતર દ્વારા અને પશુ સુધારણા સુધી મર્યાદિત રાખ્યા હતા. કેમ કે તેમના મતે, કૃષિને લગતા અન્ય સવાલોને વ્યક્તિગત રીતે ખેડૂત દ્વારા એકલે હાથે સરકારી સહાય વગર પહોંચી વળવું અતિ મુશ્કેલ હતું.

એ સમયના મદ્રાસ રાજ્યમાં પ્રવર્તેલા ભૂખમરાના સંદર્ભમાં ગાંધીજીએ વારંવાર ભારપૂર્વક જણાવેલું કે દેશને ખાદ્યાન્નના ઉત્પાદનમાં સ્વનિર્ભર કરવાની અત્યંત જરૂર છે. પરંતુ આ બાબતની સમજ નીતિના ઘડવૈયાઓને આઝાદીના બે દશક બાદ ૧૯૬૬ના દુષ્કાળ વખતે આવી અને એ પછી ભારતે ‘હરિયાળી ક્રાંતિ’ તરફ પ્રયાણ કર્યું. ગાંધીજીના મતે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે ગ્રામજનોને તેમના ઘેરબેઠા રોજગારી મળી રહે એ જરૂરી હતું. આ વિચાર પાછળનો હેતુ એ હતો કે મૂડીનિર્માણનું વિકેન્દ્રીકરણ થાય અને શહેરી વિસ્તારોમાં શ્રમબળનું કેન્દ્રીકરણ થાય. અત્યારની શહેરીગીચતા, ગરીબી અને ગુનાખોરી જેવા સવાલોનો જવાબ ગાંધીજીએ ૭૦ વર્ષ પહેલાં આપી દીધેલો.

આજે, જ્યારે દેશભરમાંથી કૃષિ દેવાં માફીની માગણીઓના અવાજ ઊઠી રહ્યા છે અને રાજ્ય તેમ જ કેન્દ્રની સરકારો અને રાજકીય પક્ષો પર દબાણ લાવી રહ્યા છે, ત્યારે ગાંધીજીના આ વિચારો પર એક નજર કરવાથી નવી દિશા જરૂર મળે તેવી શક્યતાઓ છે.

ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ એક ખેડૂત પુત્ર વ્યાપાર સંચાલનમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરે છે, અને છતાં વર્ષો સુધી તેને યોગ્ય નોકરી મળતી નથી ત્યારે તે હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ જાય છે. અપૂરતા ભાવ અને ઘટતી ઉત્પાદકતાને કારણે સ્વાભાવિક રીતે બાપ-દાદાના વ્યવસાય કૃષિ પ્રત્યે ધૃણા – અણગમો પેદા થાય છે. ઇન્ટરનેટ અને આધુનિક ટેક્‌નોલૉજી મહત્ત્વકાંક્ષાઓને પ્રબળ બતાવી બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. નવાઈની વાત એ છે કે આઝાદી પછી પ્રથમ પંચવર્ષીય યોજના (૧૯૫૧-૫૬) સંપૂર્ણપણે કૃષિ-બક્ષી રહી પરંતુ એ પછીની યોજનાઓમાં સરકારનું લક્ષ ઉદ્યોગો તરફી થયું અને મૂડી આધારિત પ્રોજેક્ટની સામે લોક-આધારિત કૃષિનું સ્થાન પાછલા ક્રમે ધકેલાતું ગયું. બીજી પંચવર્ષીય યોજના(૧૯૫૬-૬૧)ની રૂપરેખામાં અંકિત કરેલું છે, “એક રીતે જોતાં બીજી પંચવર્ષીય યોજના પાછલી પંચવર્ષીય યોજનામાં શરૂ કરવામાં આવેલાં વિકાસનાં કામોને આગળ ધપાવવા માટે છે, પરંતુ કેટલીક પ્રાથમિકતાઓ બદલાવ લાવવો અનિવાર્ય હતો, ખાસ કરીને મોટા ઉદ્યોગોના વિકાસ માટે અને તેને સંલગ્ન ઉદ્યોગો જેવાં કે પરિવહન.”

શું ગાંધીજીની એક ‘ખેડૂત વડોપ્રધાન બને’ એ ચાહના અયોગ્ય કે બિનજરૂરી હતી? તેમના મત મુજબ એક નવું સ્વતંત્ર થયેલું રાષ્ટ્ર કે જેમાં કૃષિ ઉપજ નબળી છે, છતાં કુલ વસ્તીના લગભગ ૭૦ ટકા લોકો માટે તે આજીવિકાનું એક માત્ર સાધન છે ત્યારે કૃષિક્ષેત્રે સહાનુભૂતિ અને નક્કર પરિણામ-લક્ષી યોજનાને હક્કદાર ન હતું?!

E-mail : rv.vora@gmail.com

[ધ હિન્દુ ગ્રૂપના અંગ્રેજી આર્થિક અખબાર ‘ધ હન્દુ બિઝનેસ લાઈન’માં ૩૦-૧-૧૯ના રોજ પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખનું સંવર્ધિત લખાણ]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 05 – 06

Loading

સંત ગાડગે

ભરત મહેતા|Opinion - Opinion|17 March 2019

મને  આશ્ચર્ય થાય છે કે આસ્તિક હોવા છતાં ગાંધીજી કદી કોઈ મંદિરમાં નથી ગયા! મંદિર-મસ્જિદ-ચર્ચના આંટાફેરા માર્યા કરતા આજના રાજકારણીઓના સંદર્ભે પણ આ જોઈ શકાય. આત્મકથામાં એમણે લખ્યું છે કે એમનો પારિવારિક સંપ્રદાય તો વૈષ્ણવ સંપ્રદાય હતો. પરંતુ એમાં એમને વિલાસ જ દેખાતો અને તેથી તેઓ હવેલીઓથી દૂર રહ્યા. ગાંધીને જોઈને ઘણા સંન્યાસીઓ સામાજિક કાર્યકરો બન્યાના દાખલાઓ તો જાણીતા જ છે. ઉદાહરણસ્વરૂપે આપણે તો સ્વામી આનંદને લઈ શકીએ.

હિંદુધર્મની અ-સ્પૃશ્યતા જેવા, હિમાલય જેવા કલંક સામે, કબીર, રૈદાસ જેવા સંતોએ લોકજાગૃતિ આણી હતી. ત્યાં સુધી કે પ્રણામી-સંપ્રદાયમાં પણ આ જોઈ શકાય. ગાંધીજીનાં માતા પૂતળીબાઈ પ્રણામી-સંપ્રદાયના અનુયાયી હતાં. એ પ્રભાવ પણ ગાંધીજી પર પડેલો જોઈ શકાય. કબીર, રૈદાસની પરંપરામાં મરાઠી સંત બાબા ગાડગે પણ છે. જો કે એમનું નામ બહુ જાણીતું નથી. મોટે ભાગે સંતોથી દૂર રહેવામાં જ ભલાઈ માનનારા આંબેડકરને સંત ગાડગે માટે ખૂબ જ માન હતું.

૨૩મી ફેબ્રુઆરી, ૧૮૭૬માં જન્મેલા સંત બાબા ગાડગેનું ૨૦મી સદીના સમાજસુધારકમાં મહત્ત્વનું પ્રદાન છે. જેમ ‘મણિકર્ણિકા’ સુધી સહુ કોઈને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ યાદ આવે, પરંતુ એમની સાથે જ બલિદાન આપનાર વિરાંગના ઝલકારીબાઈ વર્ષો સુધી હાંસિયામાં ધકેલાઈ  ગયાં હતાં હવે એમના વિશે લોકો જાણતા થયાં છે. સંત બાબા ગાડગે માટે પણ એવું જ છે. બાબા ગાડગે કબીર અને રૈદાસ પરંપરાના સંત હતા. લગભગ અછૂત ગણાતી ધોબી જાતિમાં એમનો જન્મ થયો હતો. પોતાની સાથે હરહંમેશ એક માટીનું પાત્ર રાખતા, જેમાં એ જમતા, પાણી પીતા. મરાઠીમાં માટીનાં આવા પાત્રને ગાડગા કહેવાય છે, તેથી લોકો એમને બાબા ગાડગેના નામથી જ જાણતા હતા.

બાબા ગાડગે આંબેડકરના પુરોગામી હતા. દોઢ દાયકો મોટા હતા, પરંતુ આંબેડકરની પ્રવૃત્તિ માટે એમને ખૂબ જ માન હતું. જ્યારે લગભગ બાવાઓ, સંન્યાસીઓ, શંકરાચાર્યોને ગાંધી અને આંબેડકર માટે રોષ હતો. ગાંધીજીના અસ્પૃશ્યતાનિવારણનાં કામોથી, દલિતોના મંદિરપ્રવેશ જેવી બાબતોથી આ વર્ગ નારાજ હતો. ગાંધીજી પર ત્રણ પ્રાણઘાત હુમલા પણ થયેલા. શંકરાચાર્યોએ તો બ્રિટન સરકારને અરજી કરેલી કે ગાંધીજીને ‘હિન્દુ જાતિ’માંથી રદ્દ કરવામાં આવે! આવા રૂઢિચુસ્ત વાતાવરણમાં બાબા ગાડગે જેવા વિરલ સંતો સમાજસુધારણામાં આંબેડકરને સાથ આપે એ કેટલી મોટી ઘટના હતી.

કીર્તનના માધ્યમથી બાબા ગાડગે જાતિ પ્રથા વિરુદ્ધ પ્રચાર કરતા હતા, તેથી અલ્પશિક્ષિત હોવા છતાં બાબાસાહેબને આવા જામીન સાથે જોડાયેલા કાર્યકરો માટે આદર હતો. આજે જ્યારે આપણે શિક્ષણના કારણે ઘણીવાર ઉન્નતભ્રૂ થઈને આવા પાયાના કાર્યકરો તરફ આંખ આડા કાન કરીએ છીએ, ત્યારે આપણે કોઈ પણ ચળવળમાં જ વેઠવાનું આવે છે. બાબાસાહેબ બાબા ગાડગેના સંબંધમાંથી આપણે આ શીખી શકીએ. ઉચ્ચતમ ડિગ્રીઓવાળા બાબાસાહેબ આંદોલન અને સામાજિક પરિવર્તન માટે બાબા ગાડગેનું માર્ગદર્શન લેતા પણ અચકાતા ન હતા.

બાબા ગાડગે જેમ પોતાની પાસે એવી માટીનું પાત્ર રાખતા હતા, તેવી જ રીતે એક ઝાડુ પણ હંમેશાં સાથે રાખતા. બ્રાહ્મણવાદના પાખંડ અને જાતિવાદ સિવાય એમણે સ્વચ્છતા વિશે પણ આ રીતે પ્રતીકાત્મક કામ કરેલું. એ કહેતા કે પૂજાના ફૂલોથી પણ મારું આ ઝાડુ શ્રેષ્ઠ છે. પથ્થરની મૂર્તિને ભોગ ધરાવવાના બદલે ભૂખ્યાંને ભોજન આપો, એવું પોતાના અનુયાયીને કહેતા હતા. અંધશ્રદ્ધા, કુરિવાજો વિરુદ્ધ એમણે મહારાષ્ટ્ર-આંદોલન ચલાવેલું.

પોતે અગાઉ કહ્યું તેમ શિક્ષિત ન હતા પરંતુ બાબાસાહેબના પ્રભાવમાં તેમણે શિક્ષણ ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો. ખાવાની થાળી વેચી દેવી પડે, તો એ વેચીને પણ ભણો. હાથમાં રોટી લઈને ખાઈ શકાશે, પણ શિક્ષણ વિના ઉદ્ધાર નથી. પોતે જ્યારે શિક્ષણનો પ્રચાર કરતા ત્યારે એ આંબેડકરનું ઉદાહરણ આપતા હતા. જુઓ, એક દલિત છોકરો પણ મહત્ત્વકાંક્ષાથી કેટલું ભણ્યો ! શિક્ષણ એ કેવળ બ્રાહ્મણોનો ઇજારો નથી. સયાજીરાવે આંબેડકરને મદદ કરેલી. દલિતોના શિક્ષક માટે આ રીતે આપવાદરૂપ કામો થતાં. ભારતરત્ન મદનમોહન માલવિયા જ્યારે સયાજીરાવ પાસે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય માટે સહાય માંગવા આવ્યા, ત્યારે સયાજીરાવે કહ્યું કે હું તમને પાંચ લાખની મદદ કરું. એ જમાનામાં એ રકમ ખૂબ જ મોટી ગણાય. સાથોસાથ શરત મૂકી કે પંદર વિદ્યાર્થીઓનો ખર્ચ ગાયકવાડ સરકાર વધારામાં ભોગવશે. તમારા વિશ્વવિદ્યાલયમાં પાંચ દલિત, પાંચ આદિવાસી, પાંચ મુસ્લિમ વિદ્યાર્થીને પ્રવેશ આપવો પડશે. માલવિયાજીને આ શરત મંજૂર નહોતી અને એમણે સયાજીરાવની સહાયથી વંચિત રહેવાનું પસંદ કરેલું. આ ઘટના અહીં એટલા માટે મૂકું છું કે દેશમાં કયા પ્રકારની પરિસ્થિતિ હતી, એનો અંદાજ આવે.

આવા વાતાવરણમાં બાબા ગાડગેએ ૩૧ શિક્ષણસંસ્થાઓ સ્થાપી હતી, જેમાં દલિતો અને નિમ્ન જાતિને અગ્રિમતા હતી! સો જેટલાં સામાજિક સંગઠનો તેમણે બનાવ્યાં હતાં. બાબાસાહેબ અને બાબા ગાડગેની મૈત્રી વિશે યુ.પી.એસ.સી.ના પ્રથમ દલિત અધ્યક્ષ ડૉ. એમ.એલ. શહારેએ તેમની આત્મકથા ‘યાદોં કે ઝરોંખો’માં લખ્યું છે. એ જમાનામાં શિક્ષિત દલિતોના ઘરમાં બાબાસાહેબ અને બાબા ગાડગેની સાથે ખેંચાયેલી તસ્વીર તેમને અવશ્ય જોવા મળતી! બેઉ ઘણી વાર મળેલા અને આજે પણ બેઉની તસ્વીર દલિત સમુદાયમાં જોવા મળે છે. બાબાસાહેબે જ્યારે પંઢરપુરમાં પીપલ્સ એજ્યુકેશન સોસાયટી સ્થાપી, ત્યારે એમને હોસ્ટેલ માટે જગ્યા નહોતી મળી. બાબા ગાડગેએ પંઢરપુરમાં એક ધર્મશાળા બનાવેલી તે તાત્કાલિક કાયમી ધોરણે બાબાસાહેબને હૉસ્ટેલ માટે આપી દીધી! બંને વચ્ચે આ પ્રકારનો સંબંધ હતો.

બાબાસાહેબના મૃત્યુ પછી માત્ર ચૌદ દિવસ પછી ૨૦ ડિસેમ્બર ૧૯૫૬માં બાબા ગાડગેનું મૃત્યુ થયું. સંત ગાડગે બાબાની શિક્ષણવિષયક પ્રવૃત્તિને શ્રદ્ધાંજલિ સ્વરૂપ મહારાષ્ટ્ર સરકારે પહેલી મે, ૧૯૮૩ના રોજ અમરાવતી યુનિવર્સિટીને સંત ગાડગે બાબા વિશ્વવિદ્યાલય નામ આપ્યું. ૨૦ ડિસેમ્બર, ૧૯૮૩ના રોજ ભારત સરકારે એમના સન્માનમાં ટપાલ ટિકિટ બહાર પાડી. ઈ.સ. ૨૦૦૧માં મહારાષ્ટ્ર સરકારે સંત ગાડગે બાબા ગ્રામ સ્વચ્છતા-અભિયાન પણ શરૂ કર્યું.

બાબાસાહેબે સંત ગાડગેને જ્યોતિબા ફૂલે પછીના સહુથી મોટા ત્યાગી જનસેવક ગણાવ્યા હતા. ૨૩મી ફેબ્રુઆરીએ એમનો જન્મદિન ગયો. એમને શતશત વંદન.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 07

Loading

‘નાઈનટીન એઈટી ફોર’નો ઉત્તર

પ્રો. જે. ડી. સેઠી|Gandhiana|17 March 2019

પ્રૉફેસર જે.ડી. સેઠી − ગઈ પેઢીના જાણીતા અર્થશાસ્ત્રી અને ગાંધીવિચારના પ્રખર વિદ્વાન – દ્વારા ઑલ ઇન્ડિયા રેડિયો પર 1979માં અપાયેલા પટેલ મેમોરિયલ લેકચરના કેટલાક અંશો

એમના મૃત્યના ત્રીસ વર્ષ પછી, અને ‘હિન્દસ્વરાજ’ લખ્યાનાં લગભગ સાઠ વર્ષ પછી, ગાંધી અચાનક માનવીય મૂલ્યોની વૈશ્વિક કટોકટી તથા વૈભવ અને ગરીબાઈ, સામાજિક સંબંધો અને અલગાવપણું જેવા કેટલા ય વણઊકલ્યા વિરોધાભાસોના શક્ય ઉકેલ તરીકે ફરીથી ઊભરી રહ્યા છે.

ઇતિહાસની આ એક મોટી વિડંબના છે કે જ્યારે બાકીની દુનિયા ગાંધીની વિચારધારા અને મૂલ્યોને ગંભીરપણે તપાસી રહી છે, ત્યારે આપણે ભારતમાં હજી એક બાજુ એમનાં ગુણગાન ગાવામાં અને બીજી બાજુ એમના વિચારોની તોડ-મરોડની સ્થપીડક કસરતોમાં રચ્યાપચ્યા રહીએ છીએ. પણ કોઈ પણ પયગંબરના શિરે પોતાના જ અનુયાયીઓ દ્વારા પોતાનું ભળતું જ અર્થઘટન થવાનું જોખમ હોય જ છે, અને ગાંધી સાથે આ જ થયું છે. ઘણા લાંબા વખતથી ગાંધી આપણા માટે એક અસ્પૃશ્ય ભગવાન તરીકે સ્થપાયેલા છે. પરંતુ કોઈ પણ દેશ પોતાના વીરનાયકોને બદલાયેલી પરિસ્થિતિઓ અને નવા પ્રશ્નોના પરિપ્રેક્ષ્યમાં ફરીથી તપાસે એથી દરિદ્ર થઈ જતો નથી. સમય આવી ગયો છે કે આપણે પણ આપણા નેતાઓ તરફથી આપણી અર્થહીન ભાવનાભક્તિનો ત્યાગ કરીએ. હું તો એમ પણ સૂચવીશ કે આપણે ગાંધી તરફ એક ટીકાત્મક કે કદાચ થોડું બિનપૂજનીય વલણ દાખવવું જોઈએ. એમની રહસ્યમયતાને ભેદીને એમને સ્પષ્ટ રીતે સમજવા માટે આ જરૂરી છે. આપણા તારણહાર તરીકે એમને પૂરું સન્માન આપવાની સાથે સાથે આપણે હવે એમના વિચારોનું કઠોર, નિષ્પક્ષ અને તાર્કિક વિશ્લેષણ કરવાનું શરૂ કરવું જોઈએ. ગાંધીએ પણ કદાચ આપણે આમ કરીએ એવું ઇચ્છ્યું હોત. ગાંધીને વખાણની જરૂર નથી. એમને દંતકથારૂપ બનવામાંથી બચાવવાના છે. આ સહેલું કામ નથી.

ગાંધી, જીવનને સર્વાંગીપણે જોતા અને વિવિધ શાખાઓના અભ્યાસમાંથી તારવેલાં દૃષ્ટિબિંદુઓને એક જ એકીકૃત કાર્યશૈલીમાં વણતા, જોતરતા. નજીકના સમયમાં કદાચ કાર્લ માર્ક્સના અપવાદ સિવાય કોઈએ પણ આવું ભગીરથ કાર્ય ઉપાડ્યું નથી. ગાંધીને આંશિક અને વિકૃત દૃષ્ટિથી જોતાં વિશેષજ્ઞોને ગાંધીના સર્વાંગી દર્શને હંમેશાં મૂંઝવ્યા છે. એમને અરાજકતાવાદી ફિલસૂફી, પુરાણી કૃષિસંસ્કૃતિમાં માનનાર અને ન્યૂનતમ જીવનધોરણના પ્રચારક, ટેક્‌નોલૉજી વિરોધી અને ધાર્મિક નેતા વગેરે પણ કહેવામાં આવ્યા છે. આમાંનો કોઈ અભિપ્રાય ગાંધીને ન્યાય કરતો નથી, કારણ કે કોઈ ખાનાંબદ્ધ મૂંઝવતી મહાનતમ મુશ્કેલી એ છે કે એમના વિષે કરવામાં આવેલું લગભગ દરેક વિધાન કે અર્ધસત્ય હોય છે અને અર્ધસત્યની મુશ્કેલી બાકીનું અર્ધસત્ય હોય છે. એક વધારાની મુશ્કેલી એ પણ છે કે ગાંધીના પોતાનાં વિધાનો પણ આંશિક સત્યો હોય છે અને એક વધુ મોટા સત્ય તરફ નવું ડગલું ભરવાના ઇરાદાથી કરાયેલાં હોય છે. અર્ધસત્યો ગાંધીવિચારને વિકૃત કરે છે અને આંશિક સત્યો એમને સમજવા માટેનો એક પ્રબળ બૌદ્ધિક પુરુષાર્થ માગી લે છે.

ગાંધીના અભિગમનું સૌથી બળુકું તત્ત્વ સિદ્ધાંત અને કર્મ વચ્ચેની એકતા હતું. એટલે જ, સિદ્ધાંતમાં એમ માનવામાં આવ્યું હોય કે માનસિક અને શારીરિક શ્રમ વચ્ચેનો તફાવત દૂર કરવો જોઈએ કે, કંઈ નહીં તો, ઓછો કરવો જોઈએ, તો ગાંધી ચરખો ચલાવે છે. જો સત્ય અને અહિંસા મૂળભૂત સિદ્ધાંત હોય, તો આ સિદ્ધાંતને ‘સત્યાગ્રહ’ દ્વારા મૂર્ત સ્વરૂપ આપે છે. ભાઈચારો જો જાગતિક મૂલ્ય હોય, તો અંત્યોદયને એ કર્મયોગમાં ઢાળે છે. જો સમાનતા અને સાદાઈ એ ગરીબીના ઉકેલ માટે વખાણવાલાયક સિદ્ધાંતો હોય, તો એ ટૂંકી પોતડીને અપનાવી લે છે.

આપણે આજે આવી રહનસહનનું પુનરાવર્તન કરવાનું નથી. આપણે એ સમજવાનું છે કે ગાંધી કેવી રીતે વિચાર અને આચારને એકબીજાની નજીક લાવ્યા, એટલું જ નહીં પણ એ પણ દર્શાવ્યું કે યોગ્ય આચાર વિના યોગ્ય વિચાર હોઈ જ ન શકે. વીસમી [હવે એકવીસમી] સદીનો દંભ અને બૌદ્ધિક નિરાશાવાદ, જ્યારે વિચારો અને સિદ્ધાંતો સ્પષ્ટ હોય, ત્યારે પણ એક પ્રકારની આચારની લાચારી છતી કરે છે. ગાંધીએ શબ્દ અને કર્મ વચ્ચેનું ક્રાંતિકારી સંશ્લેષણ પૂરું પાડ્યું.

આ વાત અનન્ય અને અભૂતપૂર્વ હતી. અત્યારે જ્યારે મૂડીવાદી અને સામ્યવાદી, બંને પ્રકારના દેશોમાં મોટા પાયે ધર્મ તરફ વાપસી થઈ રહી છે, જે હકીકતમાં માનવનાં દુઃખ અને એકલતાની દ્યોતક છે, ત્યારે ગાંધીવિચારની ધાર્મિક માન્યતાઓનું નૈતિક મૂલ્યોમાં થતું રૂપાંતરણ વધારે પ્રસ્તુત બને છે. જો ધર્મને ફરી એક વાર પ્રત્યાઘાત અને આતંક પાછળના ઈંધણ તરીકે વિકસવા ન દેવો હોય, તો આ અત્યંત જરૂરી છે. ધર્મ તરફ વાપસીનું વધતું આકર્ષણ એ સામ્યવાદી દેશોમાં મહદ્‌ અંશે નૈતિક રાજકીય વ્યવસ્થાના અભાવનો તો મૂડીવાદી દેશોના બીભત્સ ભોગવાદ અથવા કાયમી ગરીબીનો પ્રત્યાઘાત છે.

ગાંધી વિજ્ઞાન, ધર્મ અને સમાજનું, એક પરસ્પર ગુંથાયેલી સમસ્યા તરીકે આકલન કરે છે. સદીઓ જતાં, દરેકનું બીજા સાથેનું અંતર વધ્યું છે, જે ઘણા સરલીકૃત સિદ્ધાંતો અને ફિલસૂફીઓને જન્મ આપે છે. વ્યવહારમાં, માનવ અને સમાજનું વિઘટન આ ત્રણે વિષયો વચ્ચેના વધતા અંતરને કારણે છે, જે કેવળ મનુષ્યની સમજણ અને અનુભવ પર જ પ્રભાવ નથી પાડતું, પણ એના કોઈ પણ કટોકટી કે દબાણ તરફના પ્રતિભાવ પર પણ અસર કરે છે.

આ હાલત સામે, ગાંધીનો જવાબ એ હતો કે આ ત્રણે વિષયને અલાયદા કરી શકાય તેમ છે જ નહીં. અત્યાર સુધી, કેવળ એક પડદાને કારણે જાણે આ ત્રણે અલાયદા દેખાતા હતા, જે હવે તૂટી રહ્યો છે. આ બધા વચ્ચે ઉત્ક્રાંતિ અને સત્યની શોધ એક સામાન્ય ઘટક હતો. વિજ્ઞાને પ્રાકૃતિક ઘટનાઓ સામે માનવને અતિ શક્તિશાળી બનાવ્યો અને એક પ્રકારના સત્યની શોધ કરી. માનવન માનવ સાથેના સંબંધો એ સત્યની શોધનો બીજો માર્ગ હતો, અને ઈશ્વરનો ડર હટાવીને દિવ્યતા માટેની એની પોતાના અંતઃકરણમાં શોધ એને માટે સત્યને પામવાનો ત્રીજો માર્ગ બની રહ્યો.

સત્યને જ ઈશ્વર તરીકે વ્યાખ્યાયિત કરીને ગાંધીએ હકીકતમાં તો ઈશ્વર અને વિજ્ઞાન બંનેને એક ખાનામાં મૂકી દીધા. માનવજાત ધર્મને ફગાવી દઈ શકી નહીં, કારણ કે ભૌતિકવાદ અને ભૌતિકવાદી ફિલસૂફીઓ મૂલ્યો અને આધ્યાત્મિક ખોજને લગતા પ્રશ્નોના ઉત્તર આપવામાં નિષ્ફળ નીવડી. ગાંધીએ માનવામાં રહેલા આ દ્વંદ્વને ઉકેલવાનો પરિશ્રમ આદર્યો અને બધા ધર્મોને એમની સર્વસામાન્ય ચિંતા – માનવ અને એની મૂલ્યવ્યવસ્થાના આધાર પર સ્થાપિત કર્યા. જડ માન્યતાઓ અને કર્મકાંડોનાં આવરણોને હટાવીને જોતાં બધા ધર્મોમાં આ એક જ વાત ઊપસી આવે છે, એ આથી ઉજાગર થયું. મને આગાહી કરવાની લાલચ થાય છે કે આવનારા સમયમાં ગાંધીનો આ અભિગમ માન્યતા પામશે અને વૈશ્વિક સ્વીકાર મેળવશે. કારણ કે ધર્મના બે મોટા વિરોધાભાસો – એક તરફ માનવની લાચારી અને બિનતાર્કિકતાની અભિવ્યક્તિ તરીકે ધર્મ અને બીજી તરફ મૂલ્યોની શોધ અને આધ્યાત્મિક આયામને પ્રતિબિંબિત કરતા ધર્મનું સમાધન કેવળ ગાંધીનો આ અભિગમ જ આપી શકશે.

ગાંધીનું યંત્ર, ટેક્‌નોલૉજી અને વિજ્ઞાન પ્રત્યેનું વલણ ઘણી ગેરસમજૂતીનો ભોગ બનેલું છે. ગરીબોનું નિર્મૂલન એ એમની પ્રથમ ચિંતા હતી. એમણે લખ્યું છે, “જો હિંદુસ્તાનની ગરીબી અને એમાંથી ઉદ્‌ભવતી આળસ દૂર કરી શકાતી હોય, તો હું ગમે તેટલા મોટા મશીન ઉપયોગની પણ તરફેણ કરીશ.” હું ટેક્‌નોલૉજીની તરફેણમાં ગાંધીજી દ્વારા અપાયેલાં કેટલાંક દાખલા અને વિધાનો ટાંકી શકું તેમ છું. એ જોશપૂર્વક જેની વિરુદ્ધ હતા, તે તો દુનિયા ટેક્‌નોલૉજીની જે અનિવાર્યતામાં સરી પડી છે તે હતું. ટેક્‌નોલૉજી અને વિજ્ઞાનના ઉપયોગની દિશાની બાબતમાં કેટલાંક ધોરણો જળવાય એ માટે એમણે ભારપૂર્વક આગ્રહ રાખ્યો. જે ટેક્‌નોલોજી માનવો વચ્ચે અને રાષ્ટ્રો વચ્ચે અસમતુલા પેદા કરે, માનવીને જે અમાનવીય બનાવી દે કે એને એના કામથી કે બીજા સહકર્મીઓથી દૂર કરી દે, અથવા બેકારીને જન્મ આપે એવી ટેક્‌નોલોજી એમને મંજૂર નહોતી. એકથી વધારે વાર ગાંધીએ જાહેર કર્યું છે કે માનવીને માથેથી ભાર દૂર કરે તેવી ટેક્‌નોલૉજી એક સારું આરંભબિંદુ છે, પરંતુ ત્યાં જ અટકી જઈ શકાય નહીં.

ટેક્‌નોલૉજીની વિધાયક ભૂમિકા, ખાસ કરીને છેલ્લી સદીમાં ખરે જ અસામાન્ય રહી છે. માનવને એણે કુદરતનાં વિનાશકારી પરિબળોના ભયમાંથી મુક્તિ અપાવી છે. અને એની બધી જરૂરિયાતોને સંતોષવાનું શક્ય બનાવ્યું છે, અને એ રીતે એનો ગરીબી અને વંચિતતાનો ભય દૂર કર્યો છે. પણ બીજી બાજુ, પસંદગીઓને બહોળી બનાવવાની સાથે ટેક્‌નોલૉજી માનવીને પસંદ કરવાની ક્ષમતા અને મોકળાશ ઘટાડે છે, જેના પાયામાં માનવ અને યંત્ર વચ્ચેની અસમતુલા રહેલી છે. કુદરતને લૂંટીને અને એનો નાશ કરીને ટેક્‌નોલૉજી ફરી એક વાર માનવ અને કુદરત વચ્ચે સંઘર્ષની સ્થિતિ પેદા કરી રહી છે. વિશ્વદર્શનની એક શક્યતા ઊભી કરવાની સાથે તે માનવના તેની જાતના દર્શનને વિકૃત કરી રહી છે. થોડા હાથોમાં એની લગામ હોવી એ હકીકત માનવ-સમસ્યાઓના સમાધાન સામે અવરોધ બને છે. ટેક્‌નોલૉજી કૃત્રિમ સંસ્કૃતિનું સર્જન કરે છે અને અમુક લોકોનું એક જૂથ કેટલાંક મનો-વિશ્લેષણાત્મક સાધનો દ્વારા બીજા ઉપર ભયજનક કાબૂ ધરાવે તેવી શક્યતા પેદા કરે છે. સાથે જ તે માનવીય સ્વાતંત્ર્યનો નાશ કરે, તેવાં સાધનો પણ હાથવગાં કરી આપે છે. ગાંધીના ટેક્‌નોલૉજી બાબતે નકારાત્મક વિચારો કેટલાક ખાસ પ્રશ્નોને કારણે ઉદ્‌ભવેલા છે, જેવા કે મુઠ્ઠીભર દેશો દ્વારા ટેક્‌નોલૉજી પર સંપૂર્ણ કાબૂ ધરાવતો અને એના પાયા ઉપર સામ્રાજ્યવાદ કે મૂડીવાદ કે એવા કોઈ જડબેસલાક તંત્ર દ્વારા એક અનૈતિક અને અન્યાયપૂર્ણ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને લાગુ કરવી. એમણે એવી બધી ટેક્‌નોલૉજીનો સંપૂર્ણ વિરોધ કર્યો, જે એક ગરીબ દેશોના હયાત ટેક્‌નોલોજીકલ પાયાનો નાશ કરે, પરંતુ બીજા વૈકલ્પિક અંતર્જાત આધારના સર્જનની શક્યતા જ ધૂળભેગી કરી નાખે. સૌથી વધારે તો, ગાંધી એવી ટેક્‌નોલૉજીની વિરુદ્ધ હતા, જે તંત્રજ્ઞો અને વૈજ્ઞાનિકો દ્વારા થઈ રહેલા સ્વાશ્રય, ગૌરવ અને આત્મસન્માનની ભાવનાને નુકસાન કરે તેવાં મૂલ્યોના ફેલાવાને માન્યતા આપે.

લાંબા સમય પહેલાં, જ્યૉર્જ ઑરવેલે એની અવિસ્મરણીય નવલકથા – ૧૯૮૪માં વીસમી સદીના પડકારોને દર્શાવ્યા હતા. ઑરવેલે પાશ્ચાત્ય દુનિયાને એમાં એક ગંભીર કલ્પના રૂપે આપેલી ચેતવણી ખરેખર સચોટ આગાહી બની છે. ઝૂંટવી લેવાની માનસિકતા, રાજકીય ઉન્માદ અને બેકાબૂ આતંકવાદે દુનિયાને ગ્રસી લીધાં છે. ‘૧૯૮૪’માં વર્ણવેલ દુનિયા અને આધુનિક સમાજ વચ્ચે સમાંતરતા સ્પષ્ટ રીતે કળી શકાય છે. નિષ્ણાતોની આખી ટીમ ભવિષ્યનાં યુદ્ધોના સાજ-સરંજામનું આયોજન કરી રહી છે. મારા મતે ‘૧૯૮૪’નો એક માત્ર ઉત્તર ગાંધી છે.

આ ભાષણની શરૂઆતમાં મેં એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે એક જાતની મૂલ્યહીનતા આખી દુનિયામાં ફેલાઈ રહી છે, ખાસ કરીને ભારતમાં મેં એમ પણ કહ્યું હતું કે ભારતમાં સત્તાધીશોના અને ખાસ કરીને બૌદ્ધિકોનાં અગ્રવર્ગ ગાંધીવિચાર, મૂલ્યો અને કાર્યશૈલીનું વિશ્લેષણ કરવાની દરકાર કરી નથી. સાંપ્રત પડકારોના ઉકેલ આપવામાં જ્યારે મોટા ભાગની વિચારધારાઓ અને વ્યવસ્થાઓ નિષ્ફળ ગઈ છે, ત્યારે ગાંધી તરફ ફરી નજર કરવી અતિ આવશ્યક બની ગયું છે. આપણે ગાંધીની વધુ પૂજા નહીં કરીએ તો ચાલશે. જે જરૂરી છે તે એ કે આપણે એમના વિચારનું તલસ્પર્શી અને પ્રામાણિક વિશ્લેષણ કરીએ.

[‘વિચાર વલોણું’ના સદ્‌ભાવથી]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2019; પૃ. 08 – 09

Loading

...102030...2,8422,8432,8442,845...2,8502,8602,870...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved