Opinion Magazine
Number of visits: 9456547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવિતા

ભદ્રા વિક્રમ સવાઈ|Opinion - Literature|18 January 2025

પુસ્તક પરિચય

વર્ષા દાસ

નીવડેલાં સાહિત્યકાર વર્ષાબહેન દાસનો કાવ્યસંગ્રહ ‘કવિતા’ સપ્ટેમ્બર ૨૦૨૪માં નવજીવન ટ્રસ્ટ દ્વારા પ્રગટ થયો છે. વર્ષાબહેનની કલમે મૌલિક પુસ્તકો ઉપરાંત ઉત્તમ અનુવાદો આપણને મળ્યાં છે. આ પુસ્તકમાં ત્રણે ભાષા : ગુજરાતી-હિંદી-અંગ્રેજીમાં તેમનાં કાવ્યો છે. આ કાવ્યો તેમની ૮૧ વર્ષની ઉંમરે પુસ્તકાકારે પ્રકાશિત થયાં ! આ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે.

આ કાવ્યસંગ્રહમાં ખૂબ જ વિવિધતા છે. જ્યારે પણ વાંચીએ ત્યારે સહજ રીતે એની સાથે સંલગ્ન થઈ જવાય. ૩૬ કાવ્યો ગુજરાતીમાં, ૨૯ કાવ્યો હિંદીમાં અને ૩૫ અંગ્રજીમાં છે. કેટલાંક કાવ્યો ગુજરાતીના જ અનુવાદો છે. કેટલીક સ્વતંત્ર રચનાઓ પણ હિંદી-અંગ્રેજીમાં છે. હિંદી રચનાઓ અત્યારના હિંસાના વાતાવરણથી દ્રવિત થઈને લખાયેલી લાગે છે. આ કવિતાઓમાં આજના અનેક પ્રશ્નોને વણી લીધા છે. તેની વાત આપણને પણ ઝણઝણાવી જાય છે. આજની પરિસ્થિતિ ચિંતા ઉપજાવે તેવી છે. તેમાં પોતાની જાત સાથે કેટલાક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય કે કેમ ? – તેની મથામણ આ કાવ્યોમાં જોવા મળે છે. જેમ કે હિંસા અંગે ‘સરવાળે બધું એક’ કાવ્યમાં તેઓ લખે છે :

હૃદય ધબકે

મારું, તારું અને એનું પણ,

અને જ્યારે અટકે,

ત્યારે

પાણી પાણીમાં, તેજ તેજમાં

વાયુ વાયુમાં, માટી માટીમાં –

સરવાળે જાણે બધું એક.

તો પછી આ ઝઘડા શેના ?

નામ રૂપ ને રંગના ?

બદલાતી બોલીઓના ?

જાતે જ પાડેલી લીટીઓના ?

પછી એક ચોટડૂક પ્રશ્ન કરે છે. આપણે વારી જઈએ. છેલ્લી પંક્તિમાં લખે છે : અલ્યા મૂર્ખાઈની પણ કંઈ હદ હોય કે નહીં ?

આવી જ રીતે આધુનિકતાનું પ્રતીક ગણીએ એવા સ્માર્ટ ફોન – મોબાઈલને લઈને, બાળકોની રમતો કેવી રીતે ક્રમબદ્ધ છૂટી ગઈ છે તેની વાત ‘કોની રમત ?’માં સુપેરે પ્રગટ કરી છે.

એક જમાનો હતો,

બાળકો પતંગિયાંની પાછળ દોડતાં હતાં,

ફૂલોની માળા બનાવતાં હતાં,

પાંચીકાથી રમતાં હતાં.

એમના કલરવથી ગુંજી ઊઠતાં

શેરીઓ ને ઘર-આંગણાં.

પછી નવો વાયરો વાયો

બાળકોએ બટન દબાવ્યાં,

ચાવીઓ ફેરવી,

ઢીંગલી બોલવા માંડી,

વાંદરાએ તાળીઓ પાડી,

વગેરે વગેરે…

તે પછીના સમયમાં

બાળક બેઠું છે,

કી-બોર્ડ પર આંગળીઓ દોડાવે છે,

સામે મૂકેલા મૉનિટરમાં,

ઠા-ઠા ગોળીઓ ચલાવે છે

આકાશમાંથી આગ વરસે છે.

અહીં આખું કાવ્ય ઉતાર્યું નથી. ઠીક ઠીક લાંબું છે પણ વાંચવા જેવું છે. આપણે ક્યાં છીએ ? એ ચિંતા કરાવે તેવું છે. આપણે ચિંતન કરી શકીએ ? એમાં મોટાઓને પણ જોતરવાનું ચૂક્યાં નથી !

આજે સ્ત્રી સશક્તિકરણની વાત બહુ જોરશોરથી થાય છે પણ તે સઘળી સપાટી પરની છે. ઊંડાણ નથી. તેની વાત કરતાં લખ્યું છે. કાવ્યનું શીર્ષક પણ સૂચક છે ‘સિન્ડ્રેલા’.

‘આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે :

મહિલાઓને જાણે ભંડકિયામાંથી ખેંચીને

બહાર લાવવાની છે.

ઘૂમટો ઉઠાવીને એની ‘મુંહદિખાઈ’ કરવાની છે.

ઘરનાં ટેબલ-ખુરશીની હેસિયતમાંથી

એને માણસ બનાવવાની છે.’

ટી.વી., રેડિયો ને છાપાંમાં એની બહુ મસમોટી વાતો લખાય છે, બોલાય છે. પણ અંતે શું ? સ્થિતિ તો એની એ જ. લખતાં જણાવે છે. આખરી પંક્તિઓ જાગવાની, જગાડવાની, સમજવાની છે. મહિલા આંતરરાષ્ટ્રીય દિવસનું ડિમડિમ બજાવવાનું બંધ થાય ત્યારે …..

‘પણ પેલી પરીકથાની સિન્ડ્રેલાની જેમ

રાત પડતાં જ –

રાજકુમાર તો રાજકુમાર જ રહે છે,

પણ સિન્ડ્રેલા એની દરિદ્ર વેશભૂષામાં

હુકમો અને જોહુકમની શિકાર બને છે,

…. હવે આ સંકુચિત ભૂમિકામાંથી બહાર આવીએ,

અંદર રહેલા મેઘધનુષને આઝાદ કરીએ.’

અંત ખૂબ જ સૂચક છે.

સંબંધો કેવી રીતે તાણા-વાણાની જેમ જોડાયેલા છે. આત્મીયતા પણ છે. કેટલાક સારા છે – કેટલાક ખરાબ છે. તેની સુંદર વાત ‘હું ચાલ્યા કરું’ કાવ્યમાં આબાદ રીતે વ્યક્ત થઈ છે :

‘કોઈ મને અહીં અડક્યું,

તો કોઈ ત્યાં,

વાત જૂની છે, તો ય

બધા સ્પર્શો આજે પણ

સ્પંદન જગાડે છે.

અતીતની અનુભૂતિઓ

રોમાંચિત કરે છે.’

મૃત્યુ સંબંધો પર પૂર્ણવિરામ મૂકે. બધા દૂર-સુદૂર ચાલ્યા જાય. અતીત કેમ ભુલાય ! એને યાદ કરીને કવયિત્રી આ કાવ્યમાં આગળ વધતાં લખે છે :

‘કોઈએ વાર્તા સંભળાવેલી,

તો કોઈએ કવિતા,

કોઈએ માટીની સુગંધ ફેલાવેલી,

તો કોઈએ આકાશની લાલિમા.’

‘સપનાં જોયેલાં, સાચવીને રાખેલાં.

બધું જ ગમેલું

પણ પછી એવું વાવાઝોડું આવ્યું

કે બધું જ ઊડી ગયું.

તણખલાની જેમ

વેર-વિખેર થઈ ગયું.

એમાંનું કોઈ ભોંકાયું,

તો કોઈએ પંપાળ્યું.’

છેવટે રહી ગઈ રિક્તતા,

ઘણી ઊંડી

ચારેકોર પસરેલી, આતમને ઢંઢોળતી

રિક્તતા.

…. પછી અચાનક એક દિવસ

અનાયાસ

અમથું જ,

અંદર ડોકિયું કર્યું,

ને ભાળ્યું કે,

કંઈ જ નથી ખોવાયું.

અતીતને લીધે જ વર્તમાન છે,

એના થકી આજ આજ છે.

આપણા કેટલાકનાં ઘરોમાં પુસ્તકો વાંચવાનો-વસાવવાનો શોખ ભારે હોય છે. પણ તેની સંભાળ કેવી લેવાતી હોય ? આ મૂંઝવણ સૌની છે. કવયિત્રીની પણ છે. એની આનંદપ્રદ છબી ‘પરસ્પર આશ્રિત’ કવિતામાં બખૂબી ઝિલાઈ છે :

‘કેવી ખીચોખીચ

અડાઅડ

ઊભી-આડી પડી છે

જુદા જુદા આકારની ચોપડીઓ.

ત્યાં પડી પડી મને તાકે છે,

મૌન ચીસોથી કાનમાં કહે છે –

મને અડ તો ખરી,

આ ધૂળ ઝાટક તો ખરી,

ને ક્યારેક અમારામાંથી કોકને

ખોલ તો ખરી !

….કોને ખોલું અને કોને છાતીસરસી ચાંપું ?

ના, હું ભેદભાવ નહીં કરું.

હવાની જેમ

આ બધી ચોપડીઓને

વીંટળાઈ વળું છું,

ધૂળને પણ ફેફસાંમાં ભરી લઉં છું.

એ જ મારો પ્રાણવાયુ,

એ છે તો હું છું, અને

હું છું તો એ છે.

પરસ્પર આશ્રિત !

આ તો રસાસ્વાદ છે : અન્ય કવિતાઓ પણ દાદ માંગે તેવી છે. ‘જ્યાં રેતી જ સરહદ છે !’ ને ચાવી ખોવાઈ જાય ! આમ જુદાં જુદાં કાવ્યો – પર્યાવરણ – કોમી એખલાસ – પ્રકૃતિ એમ અનેક વિચાર-વસ્તુઓથી ભરપૂર છે. તેમની સંવેદના એ જ આ કાવ્યો કરવાનું પ્રેરક બળ છે. તો ‘ખાનાં’ જેવી રમૂજથી ભરપૂર કવિતા પણ છે. ભાષા પણ સરળ-સહજ-પ્રવાહી છે. એથી સામાન્ય વાચકને પણ સ્પર્શી જાય તેવી છે. આજે જ્યારે કવિ-કાવ્યો દૂર થયાં છે ત્યારે આ કાવ્યો મારફતે એ દૂરી જતી રહેશે એમ ચોક્કસ કહી શકાય. પાકટ ઉંમરે પણ એમની સક્રિયતાને સલામ. આવાં કાવ્યો પુસ્તક દ્વારા આપ્યાં તે બદલ ખૂબ-ખૂબ અભિનંદન.

નવજીવન ટ્રસ્ટે પણ પરંપરામાં રહીને જુદી પ્રકાશનપાંખ ‘નવજીવન સાંપ્રત’ શરૂ કરી છે. એમાં નવોદિતોને પણ સ્થાન આપી એક નવી કેડી કંડારી છે. એ અંતર્ગત પંચોતેરથી વધુ પુસ્તકો અત્યાર સુધીમાં પ્રકાશિત થઈ ચૂક્યાં છે. એ શ્રેણી પણ વિષય-વસ્તુઓથી ભરપૂર છે. એ બદલ ખૂબ અભિનંદન આપી પહેલ બદલ અમારો હરખ પણ વ્યક્ત કરવો જ રહ્યો.

કવિતા, લેખક : વર્ષા દાસ – પ્રાપ્તિ સ્થાન : નવજીવન મુદ્રણાલય, ગૂજરાત વિદ્યાપીઠ પાછળ, અમદાવાદ – ૩૮૦ ૦૦૯ – ફોન : ૦૭૯-૨૭૫૪૦૬૩૫, ૦૭૯-૨૭૫૪૨૬૩૪.

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 08 – 09

Loading

માણસ આજે (૨૬)

સુમન શાહ|Opinion - Opinion|18 January 2025

સુમન શાહ

હરારી પોતાની વાતમાં કોઈક વાર હળવાશથી બોલતા હોય છે. જેમ કે, એમણે કહ્યું કે માયથોલૉજિ અને બ્યુરોક્રસીનાં ‘લગ્ન’ થયાં એમાંથી સભ્યતાઓ ‘જનમી’ છે. એમને કહેવું તો એ હતું કે કમ્પ્યુટર-બેઝ્ડ નેટવર્ક નવા પ્રકારની બ્યુરોક્રસી છે અને માનવ-આધારિત કોઈપણ બ્યુરોક્રસીથી વધારે શક્તિશાળી છે. શક્ય છે કે એથી અતિ સંકુલ ઇન્ટર-કમ્પ્યુટર માયથોલૉજિ સરજાય, અને માનવ-સરજિત દેવો કરતાં અનેકશ: પરગ્રહવાસી – alien – ભાસે.

ગઇ કાલે રાતે, આટલાથી આગળ લખતાં હું અટકી ગયેલો. 

આજે સવારે ચા-પાણી દરમ્યાન ટી.વી. પર સમાચાર જોયા કે — ધ યુ.ઍસ. સુપ્રિમ કોર્ટ દ્વારા જારી કરાયેલા કાયદા અનુસાર TikTok પ્લૅટફૉર્મને જો ByteDance, 19 જાન્યુઆરી 2025 સુધીમાં વેચશે નહીં, તો TikTok-ને ban કરવામાં આવશે. 

સુવિદિત છે કે TikTok ચીની કમ્પની ByteDance-નું સન્તાન છે. એ એક short-form video-sharing app છે. કહેવાય છે કે ૩ સૅકન્ડથી માંડીને ૬૦ મિનિટ સુધીના વીડિયોઝ શૅઅર થતા હોય છે. ૨૦૧૬-માં સ્થપાયેલી આ app ૧૫૪ દેશોમાં અને ૩૯ ભાષાઓમાં ઉપલબ્ધ છે. દર મહિને 1.04 billion વપરાશકારો સક્રિય હોય છે. અમેરિકામાં એ ખૂબ લોકપ્રિય છે, દર મહિને 170 million અમેરિકન વપરાશકારો સક્રિય હોય છે.

મને આ ઘટનાવલીમાં ઉપર્યુક્ત હરારી-કથિત કમ્પ્યુટર-બેઝ્ડ નેટવર્ક અને કમ્પ્યુટર-બેઝ્ડ માયથોલૉજિ દેખાવા લાગી. નાનપણમાં અમે દોસ્તો જાદુ અને જાદુથી કેવા લોભાઇ જતા એ યાદ આવી ગયું.  

ચા-પાણી દરમ્યાન મારી સાથે દીકરો પૂર્વરાગ હતો. અમારી વચ્ચે આ સંદર્ભે કંઈક આ પ્રમાણે વાતો થઈ : 

અમેરિકામાં TikTok-થી national security કૉયડો સરજાયો છે કેમ કે આટલા બધા અમેરિકન વપરાશકારોનો અંગત ડેટા ચીની સરકાર પાસે આવી જાય અને તે પર તે પોતાનો લાભકારક કન્ટ્રોલ જમાવે! એટલે, સંવેદનશીલ માહિતીના દુરુપયોગનો ડર ઊભો થયો છે.

એથી, શક્ય છે કે બન્ને પક્ષનાં હિત – stakes – જોખમાય. કોઈ અમેરિકન કમ્પનીને TikTok વેચવામાં આવે તો ByteDance સંખ્યાબંધ વપરાશકારો ગુમાવે અને એનો ગ્લોબલ પ્રભાવ ઑસરી જાય, રૅવન્યુ પણ ઘણું ઘટી જાય. બીજી તરફ, અમેરિકન સરકાર ડેટા પ્રાયવસી સાચવી શકે નહીં તો એની પ્રજાકીય છબિ ખરડાય. 

રાષ્ટ્રીય સલામતીની તરફેણમાં ૨૦૨૦-માં તત્કાલીન પ્રમુખ ટ્રમ્પે ban માટે ઍક્ઝિક્યુટિવ ઑર્ડર કરેલો. પણ ઑર્ડરને કૉર્ટેમાં પડકારવામાં આવેલો અને વાતને બ્લૉક કરવામાં આવેલી. સત્તામાં પુન:પ્રવેશ પછી હવે ૨૦૨૫-માં ટ્રમ્પ શું કરે છે એ જોવાશે. આટલા બધા વપરાશકારોને નારાજ કરવાનું પોસાશે? – એ સવાલ રાજકારણના ખાં ટ્રમ્પ માટે કસોટીકર નીવડશે. 

આ પ્રકરણમાં વેપારપરક અર્થકારણ અને વપરાશકારોની સલામતીનો પ્રશ્ન સામસામે આવી ગયાં છે. એમ પણ કહેવાય કે ટૅક્નોલૉજિ અને રાજકારણ પણ એકમેકની સામે, ક્રૉસરોડ પર, આવી ગયાં છે. 

પરિણામે, પ્રત્યક્ષ-પરોક્ષ બ્યુરોક્રસીની એક web સરજાઈ, જેણે એક deadlock સરજ્યો; એ રૂપમાં કે ByteDance શું કરશે? યુ.ઍસ.-સરકાર શું કરશે? ‘શું કરશે’ એટલા માટે કહું છું કે એઓને ખુદને પણ ખબર નથી કે શું કરવું જોઈશે. 

app -ના ગરાડી વપરાશકારો તો પહેલેથી ‘નિર્દોષ’ હતા, TikTok અમેરિકન કમ્પનીને વેચાય તો એથી એમને કશો ફર્ક નથી પડવાનો, ban મુકાય તો એમની માનસિકતા એમને એવું આશ્વાસન આપે છે કે કોઈક બીજા ‘પીઠે’ તો જવાશે જ ને! 

ખાસ તો, સામાન્ય જન બાજુ પર રહી ગયો છે, એને તો કશી જ ખબર નથી કે શું ચાલી રહ્યું છે. મને એના એ cutoff -થી એ ચિન્તા જાગી છે કે એ દૂર ને દૂર તો નહીં ફૅંકાઇ જાય ને …

(ક્રમશ:)

= = = 

(17Jan25USA
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સલામ છે આવા થોડાં નોખા જીવને !

રમેશ સવાણી|Opinion - Opinion|18 January 2025

ધંધુકા તાલુકાના રોજિદ ગામના વાડીલાલ ડગલી અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયામાંથી ‘આંતરરાષ્ટ્રીય રાજકારણ અને વેપાર’માં અનુસ્નાતક થઈ, 1951માં PTI – પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયામાં જોડાયા હતા. 1957માં આર્થિક સાપ્તાહિક ‘કૉમર્સ’ના તંત્રીપદે રહ્યા. સામાન્ય જનકેળવણી માટે ‘પરિચય પુસ્તિકા’ઓ પ્રગટ કરતા ‘પરિચય ટ્રસ્ટ’ના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી. આ પરિચય પુસ્તિકાઓ UPSC / GPSCની પરીક્ષા માટે જડીબુટ્ટી ! પત્રકાર, કવિ, નિબંધકાર. દેશના અગ્રણી અર્થશાસ્ત્રીઓમાંના એક. તેમણે ‘શિયાળાની સવારનો તડકો’ (1975) / ‘થોડા નોખા જીવ’ (1985) વગેરે પુસ્તકો લખ્યાં છે, જે વાંચવાં જેવાં છે. થોડા નોખા જીવ’માં દાદાસાહેબ માવળંકર, પ્રો. ત્રિભુવનદાસ ગજ્જર, ગગનવિહારી મહેતા, પંડિત સુખલાલજી, સ્વામી આનંદ, એચ.એમ. પટેલ, ચર્ચિલ, થોમસ માન, સોલ્ઝેનિત્સિન, ચાર્લી ચેપ્લીન, ફ્રેન્ક મોરાઈસ, ટીટો વગેરેના ચરિત્રનિબંધો છે. 

આપણી વચ્ચે પણ ‘થોડા નોખા જીવ’ હોય છે !

સુરતમાં નવા વરસના દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2025ના રોજ યૂટ્યૂબર જ્યોત્સ્ના આહિર / દિનેશભાઈ કાનાણી / હિતેશ જાસોલિયા / જનક બાબરિયા અને સંજય ઈઝાવાને મળવાનું થયું. સરકાર ધારે તો અમને નક્સલવાદી ઠરાવીને જેલમાં પૂરી શકે. કોઈ પણ સત્તાને; જ્ઞાતિ / જાતિ / વર્ણ / ધર્મ / સંપ્રદાયના ભેદભાવ વિના વંચિતો / ગરીબો / દલિતો / આદિવાસીઓ / લઘુમતીઓ / મધ્યમ વર્ગની ચિંતા કરનારા લોકો હંમેશાં નક્સલવાદી-દેશદ્રોહી લાગતાં હોય છે ! કેટલાંક મિત્રો અને પરિવારજનો પણ મને કહે છે કે રાજકીય સત્તા / ધાર્મિક સત્તા / સામાજિક સત્તા સામે ન લખો, લોકો કંઈ સુધરવાના નથી, તમને હેરાન પરેશાન કરશે ! હું માનું છું કે ચૂપ રહેવા કરતાં બોલવું જોઈએ, નાગરિક સભાનતા કેળવ્યા વિના વિકાસ વ્યક્તિનો કે દેશનો શક્ય નથી. 

જ્યોત્સ્ના આહિર : એક ઘા અને બે કટકા. હોય તેવું ચોખ્ખેચોખ્યું કહે. ઘર્મના ઢોંગ / પાખંડની બરાબર પોલ ખોલે; જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયની રીમાન્ડ લે. માનવમૂલ્યોની રખેવાળ. બંધુત્વ, સમાનતા, સ્વતંત્રતા, માનવ ગૌરવ, સામાજિક ન્યાય પ્રત્યે પ્રતિબદ્ધ. ધર્મવાદ અને રાષ્ટ્રવાદની આલોચના કરે; એટલે ભક્તોનાં ઝૂંડ તેમની વોલ પર ડોકાયા કરે, તેમને પણ બરાબર જવાબ આપે. નાગરિક સભાનતા કેળવવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપે છે. તેમના ક્રાંતિકારી વિચારોના કારણે નોકરી પણ ગુમાવી છે. બીજા પણ જોબ આપવામાં ડર અનુભવે છે. જાતે ઘસાઈને પણ જગાડવાનું કામ કરે છે. 

દિનેશભાઈ કાનાણી : અમેરિકાના Marrylandમાં રહે છે અને વ્યવસાય કરે છે. અમેરિકામાં વસતા લગભગ 90% ગુજરાતીઓ ગોડસેવાદીઓ છે. ધર્મવાદ અને રાષ્ટ્રવાદના અફીણી નશામાં હોય છે. WhatsAppમાં રજૂ થતાં વિચારોને અંતિમ સત્ય માને છે. એટલે મોદીજીના ભક્ત હોય છે. પણ દિનેશભાઈ અલગ છે. તેઓ રેશનલ છે, જ્ઞાતિ / જાતિ / વર્ણ / ધર્મ / સંપ્રદાયમાં બિલકુલ માનતા નથી. અમેરિકાના Suwanee રહેતાં સુનિતા પટેલ અને દિનેશ પટેલ પણ જબરજસ્ત એક્ટિવિસ્ટ છે. તેઓ ઝૂંબેશ ચલાવે છે કે ‘ભારતમાં લોકશાહી સ્થાપો !’ અમેરિકામાં આવા ગુજરાતી ભાગ્યે જ જોવા મળે. 

હિતેશ જાસોલિયા : તંત્રનાં અન્યાય / શોષણ સામે સોશિયલ મીડિયામાં તથા વાસ્તવમાં અવાજ ઉઠાવનાર યૂટ્યૂબર. RTI એક્ટિવિસ્ટ. ‘લોકો કદર કરે કે ન કરે, એ વિશે બહુ લાંબો વિચાર ન કરતા આપણે યથાશક્તિ જાહેર કામ કરવું જોઈએ’ એ મંત્ર સાથે સક્રિય છે. સંજય ઈઝાવાના સાથીદાર. 

જનક બાબરિયા : સંઘર્ષશીલ પણ હસમુખા રેશનાલિસ્ટ છે. ડાયમન્ડ પોલિશિંગનો વ્યવસાય કરે છે. સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને તેને કારણે થતા નુકસાન વિશે જાગૃતિ ફેલાવે છે. ધર્મગુરુઓ / બાબાઓ / કોર્પોરેટ કથાકારો વિશે ફેસબૂક પર ઝૂંબેશ ચલાવે છે અને વિચારગોષ્ઠીનું આયોજન કરે છે. નર્મદ અને કરશનદાસ મૂળજી જેવો જુસ્સો ધરાવે છે. 

સંજય ઈઝાવા : એક આદર્શ RTI એક્ટિવિસ્ટ કેવા હોવા જોઈએ તે જાણવા સંજયને મળવું પડે. અંગત કોઈ સ્વાર્થ નહીં, જે કંઈ RTI હેઠળ માહિતી માંગે તે સાર્વજનિક હિત માટે જ હોય. તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા સતત સંઘર્ષ કરે છે. મુદ્દા આધારિત ઝૂંબેશ ચલાવે. એમની ઝુંબેશના કારણે સુરતને નાગરિક સુવિધાઓ મળી છે. બંધારણીય મૂલ્યો / માનવ મૂલ્યોને પ્રતિબદ્ધ. એટલે જ ગોડસેવાદીઓ અને હિન્દુત્વવાદીઓ તેમની ફેસબૂક વોલ પર આવી ગાળાગાળી કરે, અપમાનજનક ટિપ્પણીઓ કરે. તેમણે આવા વિકૃત ટ્રોલ્સ સામે કાયદાકીય કાર્યવાહી પણ કરી છે. હજાર વિઘ્નો ભલે આવે પણ સંજય ઝૂકે તેમ નથી.

સલામ છે આવા થોડા નોખા જીવને !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...283284285286...290300310...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved