Opinion Magazine
Number of visits: 9577800
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ક્રાંતિકારી અને સંવેદનશીલ ગીતકાર શૈલેન્દ્ર

રમાધીર સિંહ|Opinion - Opinion|27 March 2019

ભારતીય જન નાટ્ય સંઘ(ઈપ્ટા)એ અઢળક ટેલેન્ટેડ કલાકાર, ગીતકાર અને નિર્દેશક આપ્યા છે. શૈલેન્દ્ર પણ આવા જ એક ગીતકાર હતા કે જેમનો સાહિત્યિક ઉછેર ઈપ્ટામાં થયો અને તેઓ ઈપ્ટા થકી ફિલ્મી દુનિયામાં પહોંચ્યા. શૈલેન્દ્ર એક ક્રાંતિકારી અને સંવેદનશીલ ગીતકાર હતા. તેઓ ખરા અર્થમાં પ્રગતિશીલ જનકવિ હતા. તેમની કવિતાઓમાં સામાજિક ચેતના અને રાજનૈતિક જાગૃતિ સ્પષ્ટરૂપે જોવા મળે છે. તેમના મોટાભાગના ગીતો પણ જિંદગી અને જન-આંદોલનની ઉપજ રહ્યા છે.

ગીતકાર શૈલેન્દ્રનો જન્મ તારીખ 30 ઓગસ્ટ 1923ના રોજ આજના પાકિસ્તાનના પંજાબમાં થયો હતો. તેમણે બોલિવૂડમાં વર્ષ 1950-60ના દાયકાની અનેક ફિલ્મોમાં અર્થપૂર્ણ ગીતોની રચના કરી. શૈલેન્દ્રએ જે ફિલ્મો માટે ગીતો લખ્યાં તેમાં શ્રી 420, ગાઈડ, અનાડી, આવારા, તીસરી કસમ, યહૂદી, કાલા બઝાર જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે રાજ કપૂરની અનેક ફિલ્મોમાં ગીતકાર તરીકે શ્રેષ્ઠ યોગદાન આપ્યું. તારીખ 14 ડિસેમ્બર, 1966ના રોજ માત્ર 43 વર્ષની ઉંમરે શૈલેન્દ્રનું મુંબઈ ખાતે નિધન થયું હતું.

રાજ કપૂરની સાથે શૈલેન્દ્રની મુલાકાત કેવી રીતે થઈ અને તેમનો ફિલ્મોમાં પ્રવેશ કેવી રીતે થયો તેનો કિસ્સો કંઈક આ પ્રકારે છે. મુંબઈમાં ઈપ્ટાએ એક કવિ સંમેલનનું આયોજન કર્યું હતું કે જેમાં શૈલેન્દ્ર તેમનું ગીત 'જલતા હે પંજાબ સાથીઓ …' વાંચી રહ્યા હતા. ત્યાં શ્રોતાઓમાં રાજ કપૂર પણ સામેલ હતા અને તેમને આ ગીત ખૂબ જ પસંદ પડ્યું. આ કવિ સંમેલન પૂર્ણ થયા બાદ રાજ કપૂર, શૈલેન્દ્રને મળ્યા અને પોતાની ફિલ્મોમાં ગીતો લખવા માટેની શૈલેન્દ્રને રજૂઆત કરી. ત્યારે ગીતો લખવાની રાજ કપૂરની રજૂઆતને શૈલેન્દ્રએ એવું કહીને નકારી દીધી કે હું પૈસા માટે નથી લખતો અને એવી કોઈ વાત પણ નથી કે મને તમારી ફિલ્મોમાં ગીતો લખવા માટેની પ્રેરણા મળે. પરંતુ, એક સમય એવો આવ્યો કે જ્યારે શૈલેન્દ્ર આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા અને તેઓને પૈસાની તાત્કાલિક જરૂરિયાત હતી માટે તેઓ રાજ કપૂર પાસે પહોંચ્યા. રાજ કપૂર તે દરમિયાન તેમની ફિલ્મ 'બરસાત' બનાવી રહ્યા હતા. આ ફિલ્મ માટેના 6 ગીતો હસરત જયપુરી લખી ચૂક્યા હતા અને બાકીને 2 ગીતોની જરૂરિયાત હતી કે જે શૈલેન્દ્રએ લખી આપ્યા.

શૈલેન્દ્રએ તેમના ફિલ્મી જીવનમાં કુલ મળીને 28 અલગ-અલગ સંગીતકારોની સાથે કામ કર્યું, જે પૈકી સૌથી વધુ ફિલ્મો તેમણે સંગીતકાર શંકર-જયકિશનની સાથે કરી. આ કિસ્સો ખૂબ ઓછા લોકો જાણતા હશે કે રાજ કપૂરની ફિલ્મ 'આવારા'નું શીર્ષક ગીત શૈલેન્દ્રએ ફિલ્મની વાર્તા સાંભળ્યા વિના લખી નાખ્યું હતું. આ ગીત જ્યારે રાજ કપૂરને પહેલીવખત સંભળાવ્યું ત્યારે તેમણે આ ગીતને મંજૂરી આપી નહોતી. જ્યારે આ ફિલ્મ બની ગઈ ત્યારે રાજ કપૂરે ફરીવખત આ ગીત સાંભળ્યું અને ફિલ્મના લેખક ખ્વાજા અહમદ અબ્બાસને પણ સંભળાવ્યું. આ ગીત સાંભળતા જ ખ્વાજા અહમદ અબ્બાસે કહ્યું કે આ તો ફિલ્મનું મુખ્ય ગીત હોવું જોઈએ. ત્યારબાદ આ ગીતે દેશ-વિદેશમાં ઇતિહાસ રચ્યો હતો એ તો આપણે જાણીએ જ છીએ. ગીતો લખવા માટેની શૈલેન્દ્રની રચનાત્મક પ્રક્રિયા પણ અજીબ હતી, તેઓ લખવા માટે સવારે ચાર-પાંચ વાગ્યે ઊઠીને દરિયાકિનારે જઈને બેસી જતા હતા. તેઓ લખવા માટે કાગળ લઈને નહોતા જતા, પરંતુ સિગારેટની ડબ્બી અથવા તો તેના પેકેટના કાગળ પર તેમણે અનેક શાનદાર ગીતોની રચના કરી છે. શૈલેન્દ્ર મોટાભાગે સંગીતની ધૂન પર ગીતોની રચના કરતા હતા, સંગીતકાર પહેલા તેમને કોઈએક ધૂન સંભળાવતા હતા અને તેના આધારે તેઓ ગીત લખતા હતા.

શૈલેન્દ્રનો જન્મ અવિભાજિત ભારતના રાવલપિંડી શહેરમાં એક દલિત પરિવારમાં થયો હતો, તેમના પિતાનું મૂળ વતન બિહાર હતું. પરંતુ, સેનામાં નોકરીના કારણે તે સમયે તેઓ ત્યાં વસવાટ કરી રહ્યા હતા. બાદમાં શૈલેન્દ્રનો પરિવાર ઉત્તર પ્રદેશના મથુરામાં આવી પહોંચ્યો. શૈલેન્દ્રનું બાળપણ સુવિધાઓના અભાવ અને સંઘર્ષમાં પસાર થયું હતું, તેમણે સ્કોલરશિપ મેળવી અને ટ્યુશનો કરાવીને પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો. અભ્યાસની સાથે-સાથે તેમનું મન કવિતાઓમાં રમતું હતું અને તેઓ કવિ સંમેલનની મુલાકાત લેવાનું ચૂકતા નહોતા. આખરે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે શૈલેન્દ્ર પોતે કવિતા લખવા માંડ્યા અને કવિ સંમેલનોમાં એક કવિ તરીકેની પોતાની છબી સ્થાપિત કરી.

શૈલેન્દ્રએ દેશ-વિદેશની ભાષાઓના ઉત્કૃષ્ટ સાહિત્યનું અધ્યયન કર્યું અને તેઓ અનેક ભાષાઓના જાણકાર હતા. શૈલેન્દ્ર પર માર્ક્સવાદી વિચારકો અને રશિયન સાહિત્યનો ભારે પ્રભાવ પડ્યો. વર્ષ 1941માં શૈલેન્દ્રની પ્રથમ કવિતા સાહિત્યિક પત્રિકા 'સાધના'માં છપાઈ અને ત્યારબાદ એક કવિ તરીકેનો તેમનો રસ્તો ખૂલી ગયો. ત્યારબાદ તેમની કવિતાઓ તે સમયના પ્રમુખ મેગેઝિન જેવા કે 'હંસ', 'ઘર્મયુગ', 'સાપ્તાહિક હિંદુસ્તાન' અને 'માધુરી' વગેરેમાં છપાઈ. આ તે સમય હતો કે જ્યારે દેશમાં સ્વતંત્રતા આંદોલન ચાલી રહ્યું હતું, તેમાં પણ શૈલેન્દ્રએ ભાગ લીધો અને તેઓ જેલમાં પણ ગયા. શૈલેન્દ્રના એકમાત્ર કવિતા સંગ્રહનું નામ 'ન્યૌતા ઔર ચુનૌતી' છે કે જેમાં 32 કવિતા અને જનગીતનું સંકલન છે. આ સંકલન મરાઠીના પ્રસિદ્ધ લોકગાયક જનકવિ અણ્ણાભાઉ સાઠેને સમર્પિત છે. વર્ષ 1945થી 1954ની વચ્ચે લખવામાં આવેલી આ સંગ્રહની મોટા ભાગની કવિતાઓ અને ગીતો પર જન આંદોલનોનો પ્રભાવ જોવા મળે છે. 

શૈલેન્દ્રએ ફણીશ્વરનાથ 'રેણુ'ની વાર્તા 'મારે ગએ ગુલફામ' આધારિત 'તીસરી કસમ' નામની ફિલ્મની રચના કરી. આ ફિલ્મ વર્ષ 1966માં રિલીઝ થઈ હતી અને તેનું દિગ્દર્શન બાસુ ભટ્ટાચાર્યે કર્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રાજ કપૂર અને વહિદા રહેમાન હતાં અને ફિલ્મની પટકથા પણ ફણીશ્વરનાથ 'રેણુ'એ લખી હતી. જ્યારે આ ફિલ્મના પ્રોડ્યુસર શૈલેન્દ્ર હતા. આ ફિલ્મને નેશનલ અને ઈન્ટરનેશનલ એવોર્ડ મળ્યા હતા. પરંતુ, આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ રહી અને શૈલેન્દ્ર શરાબના નશામાં ડૂબી ગયા. 14 ડિસેમ્બર 1966ના રોજ માત્ર 43 વર્ષની ઉંમરે શૈલેન્દ્રએ આ દુનિયાને અલવિદા કહી દીધું. શૈલેન્દ્રના મૃત્યુથી તેમના ખાસ મિત્ર રાજ કપૂરને ખૂબ દુ:ખ થયું અને તેમણે કહ્યું કે ભારતની સમગ્ર જનતા આ મહાન કલાકારને ક્યારે ય ભૂલી નહીં શકે કારણકે શૈલેન્દ્ર દેશની જનતાના કવિ હતા. 

[‘પિય્યર પરફેક્ટ’ નામક કટાર, “નવગુજરાત સમય”, 27 માર્ચ 2019]

Loading

વેદોઃ સાંસ્કૃતિક ગંગાની ગંગોત્રી

રમેશ ઓઝા|Opinion - Opinion|26 March 2019

ભારતીય સંસ્કૃતિનો ઘાટ કઈ માટીથી ઘડાયો છે એ સમજવું-તપાસવું હોય ઘણું પાછળ જવું પડે, આપણી માટીની પ્રાચીન સુગંધ લેવી પડે. તો ચાલો, આપણે પ્રારંભ વેદોથી કરીએ.

વિનોબા ભાવેએ વેદોની સમન્વયકારી દૃષ્ટિ વિષે કહ્યું છે : “વેદોની ભાષા, વિચાર વ્યક્ત કરવાની તેની રીતિ, એમાં નિરુપિત વિવિધ વિષય એવાં છે કે હૃદયને આકર્ષિત કર્યાં વિના રહેતાં નથી. ખાસ કરીને વિચાર કરવાની વેદોની પદ્ધતિ એની વિશેષતા છે. એ એકાંગી ગ્રંથ નથી. સમગ્ર વેદોનું અધ્યયન કરવાથી તેમાં જીવનના એટલા અંગોનું દર્શન મળે છે કે વેદની સમન્વયકારી શક્તિનો એમાંથી પરિચય મળે છે.” (વિનોબા સાહિત્ય ખંડ પહેલો, વેદચિંતન, પૃષ્ઠ, ૨૮૬)

થોડું આચમન કરીએઃ

नानाधर्माणां पृथिवीं विवाचसम (અથર્વવેદ : ૧૨.૧.૪૫)

હે પૃથ્વીમાતા! તું અનેક ધર્મોથી સંપન્ન છે, અનેક ભાવોથી સંપન્ન છે, તારામાં ભિન્ન ભિન્ન વાણી છે – આવી તું અમારી માતા, અમારા પર પ્રસન્ન થાઓ.

एकं सत् विप्रा बहुधा वदन्ति अग्निं यमं मातरिश्वा नमाहु: (ઋગ્વેદઃ ૧.૨૩.૧૬)

ઋષિ કહે છે, સત્ એક જ છે. ઉપાસના કરવા માટે ઉપાસક ભિન્ન ભિન્ન રૂપ પસંદ કરે છે. અગ્નિ, યમ, વાયુ વગેરે. આનો અર્થ એ થયો કે સત્ નિર્ગુણ નિરાકાર છે.

अग् ने नय सुपथा राये अस्मा न् विश्वा निदेव वयुनानि विद्वा न्
युयोध्यस्मज्जुहुराणमेन: भूयि ष्ठां ते नमउक्तिं विधेम (ઋગ્વેદઃ ૧.૨૪.૧૫)

હે માર્ગદર્શક દૈદીપ્યમાન પ્રભુ, વિશ્વમાં ગૂંથિત દરેક તત્ત્વો તો તું જાણે છે. અમને સરળ માર્ગે એ પરમ આનંદ સુધી લઈ જા અને ખોટા માર્ગનું પાપ અમારાથી દૂર કર. અમે નમ્ર વાણીમાં વિનવણી કરીએ છીએ.

अज्येष्ठासो अकनिष्ठास एतं सं भ्रातरो:
वाव्रुध: सैभाग्य (ઋગ્વેદઃ ૫.૪.૪)

કોઈ વરિષ્ઠ નથી તેમ કોઈ કનિષ્ઠ નથી. દરેક સમાન છે. દરેક બંધુ છે અને દરેકે એકબીજાના શ્રેય (સૌભાગ્ય) માટે જીવન જીવવાનું છે.

વિનોબા કહે છે કે “વેદમાં આ મંત્રમાં એક જગ્યાએ अमध्यम: શબ્દ આવે છે અર્થાત્ નાના-મોટા તો કોઈ નહીં, મધ્યમ પણ કોઈ નહીં. આપણે ત્યાં આદર્શ સમાજના વર્ણન માટે ‘હંસવર્ણ’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. હંસનો એક જ રંગ હોય છે; સફેદ. નિષ્પાપ, નિર્મળ, નિષ્કલંક. બંધુત્વમાં પણ બંધન છે. બંધુ અને બંધન બન્ને એક જ ધાતુના શબ્દો છે. માટે भ्रातरो: નહીં अमध्यम:”

अदित्सन्तं चि दाघृणे पूषन् दानाय चोदय
पणेश्चिद् वि म्रदा मन: (ઋગ્વેદઃ ૬.૮.૧)

અમને તપાવીને શુદ્ધ કરનાર હે દેવ! જે દેવા નથી ઈચ્છતો તેને પણ દેવા માટે પ્રેરિત કર અને કૃપણના મનને પણ કોમળ બનાવ.

अन् ने समस्य यदसन् मनीषा: (ઋગ્વેદઃન ૧૦.૪.૧૨)

આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે આપણે અન્નનો એક કોળિયો મોંમાં મૂકીએ છીએ ત્યારે તેમાં બધાની વાસના વળગેલી હોય છે. અર્થાત્ વહેંચીને ખાવું જોઈએ.

अभ्यूर् णोति यन्नग्नं भिषक्ति विश्वं यत्
तुरम्
प्रेमंध: ख्यन्नि: श्रोणो भूत (ઋગ્વેદઃ ૮.૯. ૧૪)

મનુષ્યે દુનિયામાં કેવાં કામ કરવાં જોઈએ? ઉઘાડા હોય એને કપડાં પહેરાવવાં જોઈએ. બીમારને દવા આપવી જોઈએ. તેની સેવા કરવી જોઈએ. અંધ હોય એ જોઈ શકે એ રીતની તેને મદદ કરવી જોઈએ. લંગડો હોય તે ચાલી શકે તે રીતની મદદ કરવી જોઈએ. પરમેશ્વરને આ ગમતું કાર્ય છે.

अर्हन्निदं दयसे विश्वम भ्वम् (ઋગ્વેદઃ ૨.૬.૭)

આ તુચ્છ દુનિયા પર, તુચ્છ વિશ્વ પર તું દયા રાખતો જઈશ તો વિશ્વનું ભલું થશે.

अहं राष्ट्री संगमनी वसूनाम (ઋગ્વેદઃ ૧૦.૧૮.૩)

હું રાષ્ટ્ર દેવતા છું. સર્વે રાષ્ટ્રની વાણી છું. સર્વે સૌજન્યોનું સમન્વય હું કરું છું. જેટલું સૌજન્ય દુનિયામાં ફેલાયેલું છે એ મેં ફેલાવ્યું છે.

आ नो भद्रा: क्रतवो यन्तु विश्वतः (ઋગ્વેદઃ ૧.૧૪.૧)

જે શ્લોકનું આ એક પદ છે તે સમગ્ર શ્લોકનો સૂર એ છે કે બધી દિશાઓમાંથી અમને ભદ્ર વિચાર પ્રાપ્ત થાઓ.

रुतस्य श्लोको बधिरा ततर्द (ઋગ્વેદઃ ૪.૨.૬)

સત્યનો શ્લોક (વચન) બહેરાના કાનમાં પણ પ્રવેશી શકે.

नमो नम:स्तेनानां पतये नमो नम:
नम: पूंजि ष्ठेभ्यो नमो निषादेभ्य:
ब्रह्म दाशा ब्रह्म दासा ब्रह्मैवेमे कितवा: (તૈતરીય સંહિતાઃ ૪.૫.૩.૧)

એ ડાકુઓના સરદારને નમસ્કાર! એ ક્રૂર જનોને નમસ્કાર! એ હિંસ્રા જનોને નમસ્કાર!. એ ઠગ, ચોર, ડાકુ બધા બ્રહ્મ જ છે. એ દરેકને નમસ્કાર!

पथां विसर्गे धरुणेषु तस्थौ (ઋગ્વેદઃ ૧૦.૧૫)

જીવનનો આધાર શાશ્વત ધર્મતત્ત્વો પર ઊભો છે, જેમાં બધા જ પંથોનું વિસર્જન થાય છે.

भद्रं कर्णेभि: शृणुयाम देवा: भद्रं पश्येमाक्षभिर्यज त्रा:
स्थिरैरंगेस्तुष्टुवांसस् व्यशेम देवहि तं यदायु: (ઋગ્વેદઃ ૧.૧૪.૫)

હે, દેવો! અમે કાનેથી શુભવચન સાંભળવા ઈચ્છીએ છીએ, હે, પુજનિયો! અમે આંખેથી શુભ જોવા ઈચ્છીએ છીએ. આપની સ્તુતિ કરતાં કરતાં અને સ્થિર અંગો અને મજબૂત શરીર સાથે ઈશ્વરે આપેલું આયુષ પૂરું કરવા ઈચ્છીએ છીએ.

मित्र स्य मा चक्षुषा सर्वा णि भूतानि समि क्षन्ताम्
मित्र स्या हं चक्षुषा सर्वा णि भूतानि समीक्षे (યજુર્વેદઃ ૩૬.૧૮)

જો હું ઈચ્છતો હોઉં કે મારી આસપાસની દુનિયા મારા તરફ મિત્રની નજરે જૂએ તો હું પણ આખી દુનિયાને મિત્રની નજરે જોઉં.

मोघमन्नं विदं ते अप्रचेता: सत्यं ब्रवीमि वध इत् स तस्य
आर्यम णं पुष्यति नो सखायं केवलाधो भवति केवलादी (ઋગ્વેદઃ ૧૦.૧૬.૬)

અવિવેકી પુરુષ કારણ વિના અન્નનો ઢગલો કરે છે. ખરું કહું છું, જે અન્નનો સંગ્રહ કરે છે એ મૃત્યુનો સંગ્રહ કરે છે. જે ઉદાર થઈને સૃષ્ટિનું તેમ જ સમાજનું પોષણ નથી કરતો અને એકલો ખાય છે એ પાપ ખાય છે.

यं स्मा पचृ्छन्ति कु ह सेति घोरं उतेमाहुर् नेषौ अस्ति त्येनम्
सो अर्य: पुष्टीर्विज इवा मि नाति श्रदस्मै धत्त स जनास इंद्र: (ઋગ્વેદઃ ૨.૨.૫)

ઘણા લોકો સવાલ કરે છે કે પરમાત્મા છે ક્યાં? તેઓ સંશયવાદી લોકો છે. કોઈ કહે છે પરમાત્મા છે જ નહીં. તેઓ નાસ્તિક છે. આમ ઋગ્વેદના સમયમાં સંશયવાદીઓ અને નાસ્તિકો અસ્તિત્વ ધરાવતા હતા.

यतेमहि स्वराज्य (ઋગ્વેદઃ ૫. ૪. ૧૧)

અમે સ્વરાજ માટે પ્રયત્ન કરીશું.

અહીં સ્વરાજ વ્યાપક અર્થમાં લેવાનો છે. વિનોબા કહે છે, વેદોમાં સૂર્યને आदित्य स्वराट् કહ્યો છે. સ્વરાટ્ એટલે સ્વપ્રકાશિત. ચન્દ્રને અન્યરાજ કહેવામાં આવ્યો છે. વાચકને આના પરથી ધ્યાનમાં આવ્યું હશે કે સ્વરાજ એ કેટલી મોટી જવાબદારી છે.

विश्वमानुष:   (ઋગ્વેદઃ ૭.૮.૯)

માણસ તો છે જ, પણ એમાંથી જે માણસ ઘડવાનો છે એ છે વિશ્વમાનવી.

विश्वं पुष्टं ग्रामे अस्मि न् अनातुरम् (ઋગ્વેદઃ ૧.૧૮.૮)

અમારા ગામમાં આરોગ્યવાન પરિપુષ્ટ વિશ્વનું દર્શન થાવ!

शतहस्त समाहर सहस्रहस्त सं किर (અથર્વવેદઃ ૩.૨૪.૫)

સો હાથે કમાઓ, હજાર હાથે દાન કરો.

समानी व आकूति : समाना ह्र्दयानी व:
समानमस्तु वो मन: यथा व: सुसहासती (ઋગ્વેદઃ ૧૦.૨૪.૧૩)

તમારી ભાવના સમાન હો, તમારા હૃદય સમાન હો, તમારું ચિત્ત સમાન હો કે જેથી તમારી વચ્ચે ઉત્તમ એકતા સધાય.

આ તો થોડાં નમૂના માત્ર છે. વ્યાપકતા સિવાય નાની વાત કહેવામાં આવી નથી. ખોળી જુઓ વેદગ્રંથોને. તપાસી જુઓ વેદોની ઋચાઓને. તમારા મનને ખાતરી થઈ જશે. શ્રી અરવિંદે તેમના ‘વેદ રહસ્ય’ ગ્રંથના પુરોવચનમાં લખ્યું છેઃ “ભારતીય સંસ્કૃતિ, ભારતનો ધર્મ, તેનું તત્ત્વચિંતન, તેની સભ્યતા વેદમાં રહેલાં ગૂઢવાદી તત્ત્વમાંથી ઊતરી આવ્યાં છે. તેથી પરંપરાગત માન્યતા ઐતિહાસિક હકીકતો સાથે વધારે સુસંગત છે.” (પૃષ્ઠ, ૯) યાદ રહે, અરવિંદે અહીં ભારતીય શબ્દ વાપર્યો છે, હિંદુ નહીં; જ્યારે કે શ્રી અરવિંદ એક સમયે રાષ્ટ્રવાદી ક્રાંતિકારક હતા.

તો વાત એમ છે કે આજે આપણા સમાજમાં ક્યાંક જે વૈચારિક તામસિકતા જોવા મળે છે એનાં મૂળ પદાર્થો વેદોમાં તો નથી મળતા. વેદોમાં તો સાત્વિક વાતો જ કહેવાઈ છે. આમ વેદ આપણી અંદર પેદા થયેલી તામસિકતાનું કારણ નથી.

e.mail : ozaramesh@gmail.com

http://sandesh.com/vedas-cultural-ganges/

સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામે લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 24 માર્ચ 2019

Loading

વડા પ્રધાનોના પોલિટીકલ ઇન્ટરવ્યુ કેવી રીતે થાય: એક લેસન …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 March 2019

“વડા પ્રધાનપદના પહેલા વર્ષ દરમિયાન, રાજીવ ગાંધી સરળતાથી પ્રેસને મળતા હતા અને છૂટથી સવાલ-જવાબ કરતા હતા. બીજા વર્ષે એ નિખાલસતા ઝાંખી પડવા લાગી હતી. અને ત્રીજા વર્ષે એમના દોસ્તો અને શાસનની આસપાસ કૌભાંડો ચોંટવા લાગ્યાં, ત્યારે તો એ સાવ જ અદ્રશ્ય થઇ ગયા."

૧૩-૧૮ નવેમ્બર, ૧૯૮૮ના 'સંડે' મેગેઝીનમાં રાજીવ ગાંધીના ૧૯ પાનાંના ઈન્ટરવ્યુની શરૂઆત આ રીતે થાય છે. પૂરી દુનિયામાં વડાપ્રધાનો અને પ્રેસિડેન્ટ એમના ગમતા પત્રકારો સાથે એમને ગમતા સવાલોના જવાબો આપવા કુખ્યાત છે, ત્યારે टઆનંદ બાઝાર પત્રિકાटવાળા અવીક સરકાર અને વીર સંઘવીના (અત્યારે બંધ થઇ ગયેલા) 'સન્ડે' સાપ્તાહિકનો આ ઇન્ટરવ્યુ એક લેશન છે કે પોલિટિકલ ઇન્ટરવ્યુ કેવા હોવા જોઈએ.

એની પ્રસ્તાવનામાં 'સન્ડે' લખે છે, " એમની મિ. ક્લીનની ઈમેજ ઝાંખી પડવા લાગી એટલે રાજીવ ગાંધી મીડિયાથી આઘા થઇ ગયા. અંગ્રેજી પબ્લિકેશન માટે એક માત્ર ઇન્ટરવ્યુ તેમણે કર્યો હતો, તે પણ સંબંધિત મંત્રીઓએ આપેલા લેખિત જવાબોવાળો હતો."

'સન્ડે'નો ઈન્ટરવ્યુ એ માટે નોધપાત્ર છે કે, એક તો એમાં વડા પ્રધાનને અઘરા સવાલો પૂછવામાં આવ્યા હતા અને અમુક સવાલોના જવાબમાં તો ઊલટતપાસ જ થઇ હતી. બીજું એ કે, બંને પત્રકારો ગાંધી પરિવાર સાથે મિત્રાચારીવાળા હતા, છતાં એ સવાલો પૂછી શક્યા હતા.

૧૯ પાનાંઓમાં સરકાર અને સંઘવીએ ગાંધીને સલમાન રશદી, PMO, અરુણ નહેરુ, ગાંધી પરિવાર, મુખ્યમંત્રીઓ, બોફોર્સ, હિન્દુજા બંધુઓ, ભ્રષ્ટાચાર, સતીશ શર્મા, અમિતાભ બચ્ચન, નાણા મંત્રાલય, આર્થિક નીતિ અને દૂરદર્શન જેવા, તે વખતના ગરમાગરમ મુદ્દાઓ ઉપર, ઘેર્યા હતા.

૧૯ પાનાંઓના આ સંવાદમાં બંને પત્રકારોએ કુલ ૨૦૮ વખત દરમિયાનગીરી કરી હતી (ચાલુ વાતે સવાલો પૂછ્યા હતા).

સેમ્પલ:

૧. પ્રાઈમ મિનિસ્ટર, તમે પરિવર્તનના અને પારદર્શક સરકારના વાયદા પર ચુંટાઈને આવ્યા હતા, જેમાં દરેક પ્રકારના આઇડિયાનું સિંચન થાય. પણ થોડા જ દિવસો પહેલાં તમારી સરકારે એક મહત્ત્વના લેખકની મહત્ત્વની નવલકથા(સલમાન રશદીની સેતાનિક વર્સીસ)ને પ્રતિબંધિત કરી દીધી. આ બરાબર છે? ( આ સવાલની સાથે બીજા સાત પૂરક સવાલો થયા હતા.)

૨. તમારી સામે જે સતત આક્ષેપ થાય છે, તેમાં એક એ છે કે બહુ બધો પાવર PMOના હાથમાં છે. PMOએ સિસ્ટમમાં આટલા બધા ઊંડા ઊતરવું જોઈએ? (આની સાથે બીજા પાંચ પૂરક સવાલો પૂછવામાં આવ્યા હતા.)

૩. તમે પરિવર્તનના વાયદા સાથે આવ્યા તેનો સંદર્ભ એ આશા સાથે છે કે તમે ભારતને નવી સદીમાં જવા માટે માટે તૈયાર કરશો. તમે ૨૧મી સદીની વાત કરી હોય એને ય વહાણાં વાઈ ગયાં.

૪. અરુણ નહેરુ હવે તમારા વિરોધી નેતા છે. એમને કેમ પડતા મુકવામાં આવ્યા હતા, એ કહી શકશો? (૨૪ પૂરક સવાલો.)

૫. એવું કહેવાય છે કે પી. શિવ શંકર (જે બિનલોકતાંત્રિક કાયદાઓ ઘડવા માહેર છે) તમારી સરકારમાં 'ચંડાળ ચોકડી'ના નામથી એક ગ્રુપની નેતાગીરી કરે છે. શિવ શંકર જેવા માણસની મદદથી તમે ભારતનું નિર્માણ કરશો? (૧૦ પૂરક સવાલો.)

૬. તમે મેનકા ગાંધી કે ભત્રીજા વરુણ ગાંધી સાથે ક્યારે ય વાત કરો છો? (૮ પૂરક સવાલો.)

૭. ભ્રષ્ટાચારની વાતમાં, તમે કૉન્ગ્રેસના મુખ્ય પ્રધાનોને બિન-કૉન્ગ્રેસી CM સાથે કેવી રીતે સરખાવો છો? તમને લાગે છે જ્યોતિ બસુ પક્ષ માટે પૈસા લે છે?

૮. તમે સિસ્ટમને સાફ કરવાના વાયદા સાથે આવ્યા હતા. તમને મિ. ક્લીન પણ કહેવામાં આવ્યા હતા. હવે તમારી સામે ભ્રષ્ટાચારના આરોપ થયા છે. શું કહેશો?

૯. બોફોર્સની વાત કરીશું? કોઈક તો રૂપિયા ૬૪ કરોડ લઇ ગયું છે. સ્વિત્ઝરલેન્ડના ગોપનીયતાના કાનૂનના બહાના બતાવવા સિવાય અને ઇન્કાર કર્યા સિવાય સરકારે બીજું શું કર્યું છે? (૨૪ પૂરક સવાલો.)

૧૦. અમિતાભ બચ્ચનને રાજકારણમાં લાવવાનો તમને પસ્તાવો થાય છે? (છ પૂરક સવાલો.)

૧૧. તમે PM બન્યા, ત્યારે રૂપિયો ૧૪.૪૦ હતો. આજે ૨૬.૧૦ છે.

૧૨. તમે હમણાં દૂરદર્શનને જોયું છે? (૧૦ પૂરક સવાલો.)

(“ઇન્ડિયન જર્નાલિઝમ રિવ્યુ”માંથી)

https://www.facebook.com/raj.goswami.31/posts/2389730631077266

Loading

...102030...2,8352,8362,8372,838...2,8502,8602,870...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved