Opinion Magazine
Number of visits: 9577789
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|28 March 2019

હૈયાને દરબાર

તાજેતરમાં મારી પહાડી (એટલે કે ગઢવાલની લીલીછમ વાદીઓ વચ્ચે જેનું વતન છે એ) પત્રકાર મિત્ર કમલા બડૌનીએ વસંતના એક ખુશ્બોદાર, મજેદાર પર્વ તથા એની સાથે સંકળાયેલાં ગીતોની વાત કરી. ઉત્તરાખંડ તેની ખૂબસૂરત ખીણો, ઊંચા ઊંચા પહાડ, પર્વતો, નદીઓ, ઝરણાં અને શાનદાર હિમાલય દર્શન માટે પ્રખ્યાત છે. પ્રકૃતિએ આ પ્રદેશને ભરપૂર કુદરતી સૌંદર્ય આપ્યું છે એ બદલ કુદરતનો આભાર માનવા માટે ફાગણ અને ચૈત્ર વચ્ચેના સંક્રાંતિકાળ સમયે આવતો ‘ફૂલ દેઈ’ તહેવાર ત્યાંની પ્રજા રંગેચંગે મનાવે છે.

ફૂલ દેઈ, છમ્મા દેઈ, દેણી દ્વાર, ભર ભકાર
યે દેલી સ બારમ્બાર નમસ્કાર, ફૂલે દ્વાર …!

ઉત્તરાખંડી લોકપર્વ ફૂલ દેઈ બહુ ઈન્ટરેસ્ટિંગ તહેવાર છે. રંગ પર્વ ધુળેટીએ સમાપ્ત થતા આ તહેવારમાં ઉત્તરાખંડનાં બાળકો જંગલમાં જઈ અને જાત-ભાતનાં ફૂલો લઈ આવે. ત્યારબાદ ટોકરી લઈને ગામના દરેક ઘરે જઈને આંગણું પૂજે, પરિવારજનોને ફૂલ આપે, આશીર્વાદ આપે (હા, બાળકો જ સુગંધિત જીવનના આશિષ આપે). એની સામે ઘરના લોકો બાળકોને મીઠાઈ અને પૈસા આપે.

આ દિવસોમાં લોકગીતોના ગાયનનો અંદાજ બદલાઈ જાય છે. હોળીના ફાગની ખુમારીમાં ડૂબેલા લોકો આ દિવસોમાં હોરી અને ચૈતી ગાયનમાં ડૂબવા લાગે છે. ઢોલક વગાડનારા પણ દરેક આંગણામાં જઈ ગીતો ગાય છે. બાળકો ઘરને આંગણે જઈને રંગબેરંગી ફૂલોથી આંગણાંની પૂજા કરે અને ઘરના વડીલ આ બાળકોને અનાજ, દક્ષિણા કે એ દિવસોમાં ખાસ ચોખાના લોટમાંથી બનાવાતી સઈ નામની મીઠાઈ આપે છે. આપણા તહેવારોનો મિજાજ અને મસ્તી જ અલગ છે. હોળી ભલે ઊજવાઈ ગઈ પણ વાસંતી પમરાટ હજુ ય હવામાં ભળેલો છે. વિશ્વ આખામાં ફાગણ-ચૈત્ર એટલે કે સ્પ્રિંગનું આગવું મહત્ત્વ છે. વસંતઋતુ વિશ્વભરમાં અત્યારે ફૂલોની સેજ બિછાવી રહી છે.

આપણી માતૃભાષા ગુજરાતીમાં ફાગણનો મહિમા તહેવાર સ્વરૂપે તો છે જ પરંતુ એ અનેક ગીતોમાં પણ ગવાયો છે. ફાગણ ફોરમતો આયો, રસિયો ફાગણ આયો, ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, ફાગણની કાળઝાળ સૂક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું … જેવાં ઉત્તમોત્તમ ગીતોની પંગતમાં બેસી શકે એવું આજનું આ ગીત આજ મારા હૈયામાં … કાવ્ય અને સંગીત બંને દૃષ્ટિએ અદ્ભુત છે. પ્રથમ પંક્તિ છે, આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે, પિચકારી મારો નહિ ગિરીધારી લાલ રે …!

સુરેશ દલાલનો કૃષ્ણપ્રેમ આપણાથી અજાણ્યો નથી. જલસાના જ્યોતિર્ધર એવા સુરેશ દલાલ એક તરફ,

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ;
સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકળિયું ગામ!

લખે છે તો બીજા એક અંદાજમાં સુરેશ દલાલ કૃષ્ણને એમ પણ સંભળાવે છે કે :

શ્યામ તમને ડિસ્કોમાં જોયાનું યાદ છે;
યમુનાનો ઘાટ શું વિસાત છે?

આજ મારા હૈયામાં … જેવી પારંપરિક રચનાઓથી માંડીને સુરેશભાઈ તેમની આધુનિક કવિતા દ્વારા એક ડોસી એક ડોસાને હજી વ્હાલ કરે છે … જેવી હળવીફૂલ વાત પણ ગીતોમાં લખી શકે છે. શિયાળામાં એ શ્યામને મોરપીંછની રજાઈ ઓઢાડે છે અને ફાગણમાં રાધા-ગોપી સંગ ફાગ ખેલાવે છે.

સુરેશ દલાલનું કાવ્ય હોય અને ક્ષેમુ દિવેટિયા જેવા સંગીતકારે એ સંગીતબદ્ધ કર્યું હોય પછી ગીતનો મહિમા અપરંપાર જ હોય ને! રાધા-કૃષ્ણના પ્રેમની નાજુક અભિવ્યક્તિ દર્શાવતા આ ગીતમાં રાધા કહે છે કે હે ગિરિધારી, મારા હૈયામાં તો ફાગણ બારેમાસ મહેકતો-ચહેકતો રહે છે. એટલે મને રંગવાની કોઈ જરૂર નથી. તારા કાળજાના કેસૂડે મારા અંતરની ડાળ ઝૂલે છે અને તારી આંખના ઉડતા ગુલાલમાં મારો રોમેરોમ રંગાય છે. મારે ક્યાં દુન્યવી રંગથી રંગાવું છે? મને તો ફક્ત એક જ રંગ પ્રિય છે, એ છે પ્રેમનો ગુલાબી રંગ. એટલે જ એ કહે છે કે રાધિકાનો એક રંગ, તારું તે વહાલ, પિચકારી મારો નહિ ગિરિધારી લાલ …!

સંગીતની દૃષ્ટિએ વિચારીએ તો આ ગીત ગાવું અઘરું છે પણ સાંભળવામાં અત્યંત કર્ણપ્રિય-સહજ છે. સુગમ સંગીતમાં સંપૂર્ણપણે શાસ્ત્રીય રાગ આધારિત રચનાઓ પ્રમાણમાં ઓછી છે. ક્ષેમુ દિવેટિયાએ બે-ત્રણ રાગોના મધુર સંયોજનથી આ રચનાનું સ્વરાંકન કર્યું છે. આ ગીતમાં સિંધુરા રાગથી શરૂ થતું મુખડું પછીથી દેસી, ચંદ્રકૌંસ, નટ ભૈરવ જેવા કંઇ કેટલાયે સુમધુર રાગોમાં આગળ વધી ગીતને કર્ણમંજુલ બનાવે છે. ક્ષેમુ દિવેટિયા હંમેશાં કહેતા કે શ્રોતાને ગમે એ ગીત ખરું. પરંતુ કેટલા શ્રોતા કે પ્રેક્ષકો સંગીત, નૃત્ય અને નાટક જેવી ઊંડી સમજ માંગી લે એવી કલાને એ દૃષ્ટિકોણથી સમજીને એની મધુરતા માણે છે? આને માટે તેઓ ‘રિયાઝી’ શ્રોતા શબ્દ વાપરતા. શ્રોતા માનસિક રીતે તૈયાર હોય, અભ્યાસુ હોય તો દરેક કલા માણવાનો આનંદ જુદો જ તરી આવે અને કલાકારની કદર કરવાની શક્તિ આપોઆપ કેળવાય. મૂર્ધન્ય સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ ‘સંગીત સુધા’ નામની ગુજરાતના ૩૫ કવિઓનાં ગીતો ૨૬ જુદા જુદા કલાકારોના કંઠે ગવડાવીને સુગમ સંગીતના ગીતો, ગરબા, ગઝલ અને ભજનની અનોખી ૧૦ કેસેટ્સ પ્રસ્તુત કરી ગુજરાતનું અને ગુજરાતી ગીતોનું ગૌરવ વધાર્યું છે. ક્ષેમેન્દ્ર વીરમિત્ર દિવેટિયા અર્થાત્ ક્ષેમુભાઈ, જેમને સંગીત જગતની વ્યક્તિઓ ક્ષેમુકાકા તરીકે સંબોધે છે, તેઓ ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્કારના અધિષ્ઠાતા અને ગુજરાતી ફિલ્મ કાશીનો દીકરોના શ્રેષ્ઠ સંગીતકાર. ક્ષેમુભાઈના દીકરા માલવ દિવેટિયા કહે છે કે આ કમ્પોઝિશન બહુ જૂનું છે. ૧૯૬૬માં મુંબઈના પાટકર હોલમાં કૌમુદી મુનશીએ આ ગીત સૌ પ્રથમ ગાયું હતું. એ પછી તો ઘણા કલાકારોએ ગાયું હતું.

ક્ષેમુ દિવેટિયાને પિતાતુલ્ય માનતા જાણીતા સંગીતકાર અમર ભટ્ટ ક્ષેમુભાઈની ખાસિયતો વિશે કહે છે કે, "ક્ષેમુકાકાનું સમગ્ર જીવન સંગીતને સમર્પિત હતું. એમનું ઘર એટલે કલાકારો માટેનું આશ્રયસ્થાન. આપણા જાણીતા શાયર શેખાદમ આબુવાલા એમના ઘરને ‘આઠમો સૂર’ કહેતા. એ આઠમા સૂરમાં સંગીતની નાની-મોટી મહેફિલો, બેઠકો સજ્યા કરે. તેઓ ક્રિકેટના જબરા શોખીન હતા એમણે ગુજરાતીમાં રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી આપી છે અને ગુજરાત કૉલેજમાં ઓપનિંગ બેટ્સમેન રહી ચૂક્યા છે. આજ મારા હૈયામાં … ગીત વિશે વાત કરું તો આ ગીત ખરેખર ખૂબ કર્ણપ્રિય અને એમનાં લોકપ્રિય ગીતોમાંનું એક છે. એક જ ગીતમાં ત્રણ રાગો પ્રયોજાયા હોવા છતાં એનું સાતત્ય એવું જળવાઈ રહે છે કે જાણે સળંગ ગીત જ ન હોય! ક્ષેમુકાકા ન્હાનાલાલના ‘વિરાટનો હિંડોળો’થી ઘણા પ્રભાવિત હતા. એનો અંતરો, પુણ્યપાપ દોર ને ત્રિલોકનો હિંડોળો ફરતી ફૂમતડાંની ફોર … સાંભળો તો આ ગીતનાં મૂળિયાં મળી આવે. બીજું, રૂપક તાલ એમનો મનગમતો તાલ. સામાન્ય રીતે મોટા ભાગનાં ગુજરાતી ગીતોમાં ખેમટા કે કહેરવા તાલનો પ્રયોગ થતો હોય છે કારણ કે એ પ્રમાણમાં સહેલા છે. ક્ષેમુકાકાએ એમનાં ઘણાં ગીતો જેવાં કે, સાવ રે અધૂરું મારું આયખું, કેવા રે મળેલા મનના મેળ, મૈયા મારો મનવો હુઓ રે બૈરાગી તથા આજ મારા હૈયામાં … રૂપક તાલમાં જ સ્વરબદ્ધ કર્યા છે. જમ્પ નોટ્સ પણ એમનાં ગીતોની ખાસિયત છે. જેમ કે, સા પરથી સીધા પ,ધ,ની સ્વરોનો પ્રયોગ. જો કે, ગીતનું મૂળભૂત માળખું તૈયાર થઈ જાય પછી એ ગાયક કલાકારને ફ્રી હેન્ડ આપી દે. એ પછી કલાકારો ગાયનમાં પોતાના રંગ પૂરે.

આ ગીતમાં સરસ રંગ પૂરનાર વરિષ્ઠ ગાયિકા માલિની પંડિત નાયક કહે છે, " ‘સંગીત સુધા’માં આ ગીત ગાવાનો મને મોકો મળ્યો એ મારા માટે ગર્વની વાત છે. હું ‘શ્રુતિ વૃંદ’ સાથે જોડાયેલી હતી એટલે ક્ષેમુભાઈ પાસે આ ગીત થોડું ઘણું તો શીખી જ હતી. એ વખતનાં ગાયિકા મૃદુલા પરીખ પણ આ ગીત ગાતાં. એટલે ગીતનો ટ્રેક તો તૈયાર જ હતો. ક્ષેમુકાકાએ મને મોકલી આપ્યો. નાની મોટી બારીકીઓ સાથે ગીતની તૈયારી મારે જ કરવાની હતી. એ સમય દરમિયાન સંગીતકાર પરેશ નાયક સાથે પરણીને હું મુંબઈમાં સ્થાયી થઇ હતી. તેથી ગીત તૈયાર કરવામાં એમના માર્ગદર્શનનો મને ખાસ્સો લાભ મળ્યો. ગૌરાંગ વ્યાસની મ્યુઝિક અરેન્જમેન્ટ પણ એટલી સરસ હતી કે ટ્રેક પર ગાવાની મને ખૂબ મજા આવી હતી. મારી ઓળખ સમાન ગીત બની ગયું હતું. શાસ્ત્રીય રાગ આધારિત ગીત તૈયાર કરવામાં ક્ષેમુકાકાની માસ્ટરી હતી. એમના ગરબા પણ એ વખતે ખૂબ વખણાતા. ગરબામાં પણ એવા પ્રયોગો કરે કે એ નિત્યનૂતન લાગે. એક પ્રયોગ તો બહુ વિશિષ્ટ હતો જેમાં એક લોકઢાળ સામે એક શાસ્ત્રીયતા ધરાવતો ગરબો હોય અને બે લીડ સિંગરો આ બંને પ્રકાર ગાય તથા કોરસ એ ઝીલે. મહામૂલો વારસો એ મૂકી ગ  યા છે.

————————-

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે
પિચકારી મારો નહીં ગિરિધારી લાલ રે

તારા તે કાળજાને કેસૂડે લાલ લાલ
ઝુલે મારા અંતરની ડાળ
રોમ આ રંગાય મારું તારી તે આંખના
ઉડતા અણસાર ને ગુલાલ

રાધિકાનો રંગ એક, તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે

મીઠેરી મુરલીના સૂર તણી ધાર થકી
ભીનું મારા આયખાનું પોત
અંતર ને આંખના અબીલ ગુલાલની
આજ લગી વ્હાલી મુને ચોટ

રાધિકાનો રંગ એક, તારું તે વ્હાલ રે
પિચકારી મારો નહીં ગિરીધારી લાલ રે

• કવિ : સુરેશ દલાલ  • સંગીતકાર : ક્ષેમુ દિવેટિયા  • ગાયિકા : માલિની પંડિત-નાયક

http://tahuko.com/?p=638

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 28 માર્ચ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=472884

Loading

રાહુલ ગાંધીની યોજના કેટલી સફળ થશે એ તો સમય જ કહેશે

રમેશ ઓઝા|Opinion - Opinion|28 March 2019

મૂળમાં રાહુલ ગાંધીએ જે જાહેરાત કરી એ મોદી સરકાર બજેટના ભાગરૂપે લોકસભામાં કરવાની હતી. એવું અનુમાન કરવામાં આવતું હતું અને તેના વિષે ઘણી ચર્ચા પણ ત્યારે ચાલી રહી હતી. ચૂંટણી જીતવા માટેની એ આર્થિક મોરચે સર્જીકલ સ્ટ્રાઈક હશે એમ પણ કહેવામાં આવતું હતું. પુલવામાં પ્લસ દરેકને અને દરેકને નહીં તો ગરીબીની રેખા નીચે જીવનારાઓને લઘુતમ આવકની ખાતરી આ બે મળીને બી.જે.પી.ને ત્રણસો બેઠકો અપાવશે.

બન્યું એવું કે બજેટના બે દિવસ પહેલાં રાહુલ ગાંધીએ દરેકને લઘુતમ આવકની જાહેરાત કરી દીધી. અંગ્રેજીમાં આને યુનિવર્સલ બેઝીક ઇન્કમ કહેવામાં આવે છે. તમને રોજગારી મળે કે ન મળે, જો માગશો તો આટલા રૂપિયા તો સરકાર પાસેથી મળશે જ. માગશો તો મળશે અને માગવું કે ન માગવું એ તમારી ખુદ્દારી પર નિર્ભર છે. જગતના અર્થશાસ્ત્રીઓ કહે છે કે હવે આને ખુદ્દારી સાથે સંબંધ નથી, આયખું વિતાવવાની અનિવાર્યતા સાથે સંબંધ છે. ગયા રવિવારે મેં મારી કોલમમાં કહ્યું હતું એમ ચોથી ઔદ્યોગિક ક્રાંતિએ બેરોજગારી પેદા કરી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો જ થવાનો છે. આ સ્થિતિએ જે હતાશા પેદા કરી છે તેનો લાભ જાદુગરી ધરાવતા નેતાઓ, પોઝિટિવ થિંકીંગ શીખવાડનારા બાવાઓ, સફળતાની ખાતરી આપનારા કોચિંગ ક્લાસના માલિકો, તાંત્રિકો, જ્યોતિષીઓ અને બીજા ઠગ લે છે.

તેઓ ઉપરથી નીચે પડે તો પણ યુવાનને રોજગારી આપી શકે એમ નથી એ આ યુગની વાસ્તવિકતા છે. આ ઉપરાંત ગીધડાં અને બાજ મળીને આકાશને આંચકી ગયા છે. શાસકો તેમની પાંખમાં છે અને તેમનાથી ડરેલા છે. આમ નવા અર્થતંત્રનો ઢાંચો રોજગારી પેદા કરતો નથી અને મલાઈ થોડા લોકો આંચકી ગયા છે. શાસકો તેમના કબજામાં છે એ સ્થિતિમાં શાસકો પાસે બાકીનાં પંખીડાંઓને ચણ આપવા સિવાય કોઈ વિકલ્પ નથી. આકાશ અમારું. પંખીડાંઓને અમે મરવા નહીં દઈએ, તેને માટે અમે ચણ કાઢતા રહીશું. તમારું એટલે કે શાસકોનું કામ ચણનું વિતરણ કરવાનું છે. પંખીડાંઓને કહી દો કે હવે તેમણે આકાશ તરફ જોવાનું નથી, અમે તેને મરવા નહીં દઈએ. ગેરંટી.

આ જે ગેરંટી આપવામાં આવી રહી છે એની પાછળની પ્રેરણા માનવતા નથી, જરૂરિયાત છે. જો ન આપે તો ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગે અને એ બધું ધ્વસ્ત કરી નાખે. ભૂખ્યાંજનો પણ મજબૂરીના કારણે વાયા સરકાર લૂંટારાઓ તરફથી મળનારી લઘુતમ આર્થિક સહાય સ્વીકારતા થઈ જશે. આ બધું ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી નવસંસ્થાનવાદનાં સ્વરૂપનો અને સામાન્ય માણસની અંદર રહેલ ચેતનાની તાકાતનો પરિચય કરાવનારો ગાંધી પાછો નહીં આવે. જગત જે દિશામાં જઈ રહ્યું છે એ ઝડપથી ગાંધીને પ્રાસંગિક બનાવી રહ્યું છે, પણ ચર્ચાનો મુદ્દો ગાંધીની આવતીકાલની અનિવાર્ય પ્રાસંગિકતા નથી; આજની ઉપાધિ છે.

બેરોજગારી એ આજના યુગની વાસ્તવિકતા છે એટલે સાર્વત્રિક લઘુતમ આવક પણ આજના યુગની અનિવાર્યતા છે. જો નરેન્દ્ર મોદીએ સપનાંઓ વેચવાની જગ્યાએ અને રોજગારીનાં ખોટાં અને પરસ્પર વિરોધી આંકડા ફેંકવાની જગ્યાએ વાસ્તવિકતાને કબૂલી હોત અને તેમાં રાહત આપનારી યોજનાઓ હાથ ધરી હોત તો મેદાન મારી ગયા હોત. તમે ગમે એટલા આંકડા ફેંકો, યુવાનના ખિસ્સામાં ફદિયું નથી આવતું એ યુવાન નથી જાણતો? એક યુવાન બીજા યુવાનને પૂછે છે તો એ પણ ફદિયા વિનાનો બેકાર જ હોય છે. વડા પ્રધાનને ચાર વરસ સપનાં વેચ્યાં પછી, નોટબંધી જેવાં સાહસો કર્યાં પછી, દેશપ્રેમનો નશો પેદા કર્યા પછી ખાતરી થઈ ગઈ હતી કે આમ છતાં ય હતાશાનો અંત આવતો નથી એટલે કાંઈક તો નક્કર આપવું જ પડશે. તેમણે સાર્વત્રિક લઘુતમ આવકનું છેલ્લું રામબાણ પોતાના બાથમાં રાખ્યું હતું જે તેઓ બજેટમાં આપવાના હતા, પરંતુ એ પહેલાં રાહુલ ગાંધીએ તેની જાહેરાત કરી દીધી.

રાહુલ ગાંધીને ગમાર તરીકે ચિતરવાના મીડિયાને પૈસા મળે છે, બાકી એ રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક હતો. જો કૉન્ગ્રેસ પક્ષ નેતાઓની રણનીતિનો લાભ લેવાની સ્થિતિમાં હોત તો બાજી પલટાઈ ગઈ હોત. રાહુલ ગાંધીને એટલું હવે સમજાઈ ગયું હશે કે સંસદીય રાજકારણમાં પક્ષ અને કાર્યકર્તા કેટલાં મહત્ત્વનાં છે, જેની અત્યાર સુધી ઉપેક્ષા કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ બજેટના બે દિવસ પહેલાં સાર્વત્રિક લઘુતમ આવકનો ફૂગો ફોડી નાખ્યો એ પછી સરકારે છેલ્લી ઘડીએ નાના ખેડૂત પરિવારને વરસે છ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી. રકમ એટલી નાની હતી કે તેનાં વખાણ થવાની જગ્યાએ ઠેકડી ઉડાડવામાં આવી.

હવે રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે કૉન્ગ્રેસ જો સત્તામાં આવશે તો છની જગ્યાએ વરસે ૭૨ હજાર રૂપિયા ગરીબીની રેખા નીચે જીવનારા પ્રત્યેક પરિવારની મહિલાના ખાતામાં જમા થશે. બી.જે.પી. આનો વિરોધ કરી શકે એમ નથી એટલે તમે શાસન કરતા હતા ત્યારે શું કામ નહોતું કર્યું એવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. આ પ્રશ્ન પૂછવાનો કોઈ અર્થ નથી, કારણ કે ત્યારે આકાશ ગીધડાઓએ આંચકી નહોતું લીધું અને શાસકો ગીધડાંઓની પાંખમાં નહોતા. ત્યારે આકાશમાં જગ્યા બનાવવાની અને બનાવવામાં મદદ કરવાની આશાઓ અકબંધ હતી. આ આજના યુગની વાસ્તવિકતા છે એટલે અત્યારે જાહેરાત કરવામાં આવે એ પ્રસ્તુત છે.

રાહુલ ગાંધીએ જાહેરાત કરી એ પછી એ યોજનાની પ્રાસંગિકતા તેમ જ વ્યવહારુતા વિષે જે ચર્ચા કરવામાં આવી રહી છે તેના પર નજર રાખજો. રાજકીય લાભાલાભ ગૌણ છે, પ્રાસંગિકતા અને વ્યવહારુતા મુખ્ય છે. પ્રાસંગિકતા વિષે તો મારા મનમાં શંકા જ નથી. હું તો ત્યાં સુધી કહું છું કે માની લો કે કૉનગ્રેસ સત્તામાં આવે, ડૉ. મનમોહન સિંહ પાછા વડા પ્રધાન બને અને રીઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર અને વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. રઘુરામ રાજનને નાણા પ્રધાન બનાવવામાં આવે તો પણ રોજગારી પેદા થઈ શકે એમ નથી. આકાશ છીનવાઈ ગયું છે અને નજીકના ભવિષ્યમાં આકાશને ભેદી શકાય એવી કોઈ શક્યતા નથી. સવાલ બચે છે વ્યવહારુતાનો. એના ઉપાયો શોધવા પડશે, બાકી રાહત વિકાસની જગ્યા ન લઈ શકે એવી જૂની દલિલો અત્યારે અપ્રાસંગિક છે.

આમ નરેન્દ્ર મોદીએ વાસ્તવિકતાઓને હાથ ધરવાની જગ્યાએ સપનાંઓ વેચ્યાં એ દિવસના અંતે તેમની વિડંબના છે અને રાહુલ ગાંધી વાસ્તવિકતાઓને હાથ ધરતા હોવા છતાં તેઓ તેનો બહુ રાજકીય લાભ લેવાની સ્થિતિમાં નથી એ તેમની વિડંબના છે.

26 માર્ચ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 માર્ચ 2019

Loading

કારકિર્દી એટલે કઈ બલા, ભાઈ?

શરીફા વીજળીવાળા|Opinion - Literature|28 March 2019

બહુમુખી પ્રતિભાના માલિક શરીફાબહેન મસ્ત અને ચુસ્ત મિજાજનાં છે. આમ તો મુરારિબાપુના આશિષથી માંડી ઘણાં બધાં પુરસ્કારો અને બહુમાનો તેમને મળ્યાં છે. પણ તાજેતરમાં એમના ગ્રંથ ‘વિભાજનની વ્યથા’ને સાહિત્ય અકાદમી એવોર્ડ – 2018 મળ્યો. આ પહેલાં 2015માં એમણે અનુવાદિત કરેલા, પ્રસિદ્ધ લેખક અસગર વજાહતના ઉર્દૂ નાટક ‘જિસ લાહૌર નઈ દેખ્યા ઓ જમ્યાઈ નઈ’નો અનુવાદ, ‘જેણે લાહૌર જોયું નથી એ જનમ્યો જ નથી’ના નામે કરેલો તેને સાહિત્ય અકાદમીનો ‘અનુવાદ પુરસ્કાર’ મળેલો.

સાહિત્ય જગતનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવનાર આ પુસ્તક આજે ‘વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી’માં અનુસ્નાતક સ્તરે પાઠ્યપુસ્તક તરીકે ભણાવાય છે. આ એવૉર્ડથી શરીફાબહેનનું ગૌરવ તો થયું જ છે; સાથે ગુજરાતી ભાષા પણ પોંખાઈ છે.

અમારું નાનપણ ભીંત્યું હાર્યે માથાં ફોડવાની રમત્યમાં જ વીતેલું. બાપુ મોસમે–મોસમે ધંધા બદલતા. બરફથી લઈને બોર સુધીના ધંધા પાછળ જાત નીચોવતા બાપુ, છેક 1960માં છાપાંની એજન્સી મળી ત્યારે જરાક ઠરીઠામ થયા. પણ ખાનારાં મોઢાં ઝાઝાં હતાં ને કમાનાર એક જ. મારી મા ઘરનું ગાડું રાગે ચડાવવા લાખ હડિયું કાઢે; તો ય ઘરમાં હાંડલાં કૂસ્તી કરતાં બંધ નો’તાં થાતાં. ગમે તેટલા ટૂંટિયા વાળીએ તોયે ચાદર ટૂંકી જ પડતી’તી. જ્યાં રોજ સાંજ પડ્યે ‘ખાશું શું?’નો પ્રશ્ન ડાચાં ફાડતો ઊભો હોય ત્યાં કારકિર્દી જેવો ભારેખમ શબ્દ તો શેં પ્રવેશે? અમારે માટે કોઈ બાપીકો ધંધો વાટ નો’તો જોતો. હા, મા–બાપુ જ્યારે પણ એમની હડિયાપાટીમાંથી જરાક નવરાં પડતાં ત્યારે અમને એક વાતની ગાંઠ બંધાવતાં. ‘ભણો. ભણશો તો નસીબ આડેથી પાંદડું ખસશે, બાકી તો અમારી જેમ દી’ આખો ટાંટિયા તોડીને અધમૂઆ થઈ જાશો; તો ય કોઈ દી’ બે પાંદડે નંઈ થાવ.’

મા–બાપ પોતે ભણેલાં નો’તાં પણ ભણતરનો દીવો જ અમારા અંધારા ઘરને અજવાળશે એવી જાણે કે બેઉને ખાતરી હતી. એમની આ કાયમી ટકોરથી અમારામાં ભણવા પ્રત્યે લગાવ નહીં; પણ ઝનૂન કહી શકાય એવું ગાંડપણ પેદા થયેલું. ઘર જિંથરીના દવાખાનાની બા’રું. ગામમાં સૌથી વારે રૂઆબ દાક્તરોનો. બધા મારા બાપુને ‘તું’ કહીને જ બોલાવે. એટલે જાણ્યે–અજાણ્યે ક્યાંક એવી ગાંઠ વળી ગેલી કે મોટા થઈને દાક્તર થાવું. ઘરે લાઈટ તો અમે બધાએ બારમું પાસ કરી લીધું પછી ઘણી મોડી આવી. ફળિયામાં ઢાળેલા ખાટલા પર પોતપોતાના ફાનસે વાંચવાની બાદશાહીને કારણે, ઘરના બજેટમાં સૌથી વધુ ખરચો ઘાસલેટનો હતો. પણ તો ય મા–બાપે ટોક્યાં નો’તાં એક ફાનસે વાંચવા માટે. ભણતાં ભણતાં પૈસા પેદા કરવા માટેના શક્ય એટલા બધા અખતરા કર્યે જાતાં. કાગળની કોથળિયું બનાવી વેચતા, જૈનોના મેળાવડામાં, ડોંગરે મહારાજની કથામાં રાગડા તાણી–તાણીને છાપાં વેચતા. છાપાના ધંધાએ જાહેરમાં બોલતાં શીખવાડ્યું અને અભ્યાસ ઉપરાન્તનું વાંચવાની ટેવ પાડી. ‘ઊંટ મેલે આંકડો ને બકરી મેલે કાંકરો’ની જેમ હું તો ગાંડાની જેમ જે હાથ ચડે તે વાંચતી. મેઘાણી, મડિયા, ર.વ. દેસાઈ. દર્શકની સાથે જ હું કોલક, મહેશ મસ્તફકીર કે બીજી કોઈ પણ પૉકેટબુક્સ વાંચ્યે જ રાખતી.

મારો કાયમનો હરીફ મારો ભાઈ બારમા પછી વડોદરા મેડિકલમાં ગયો એટલે આપોઆપ જ મારી લાઈન નક્કી થઈ ગઈ; પણ પનો ટૂંકો પડ્યો. મારે મેડિકલમાં જવા માટે રોકડા નવ માર્ક ઓછા પડ્યા. એટલે પછી વડોદરાની ઈજનેરી કૉલેજમાં આર્કીટૅક્ચરમાં પ્રવેશ લીધો; પણ પેલ્લા બે જ દા’ડામાં ડેબૂ ફાડી નાખે એવો ખર્ચ જોઈ મેં ‘ડિપાર્ટમેન્ટ ચેન્જ’નું ફોર્મ ભરી દીધું અને ફાર્મસીમાં પ્રવેશ લીધો. પણ બી.ફાર્મ.ના છેલ્લા સેમેસ્ટરમાં 1985ના અનામત આંદોલને છ મહિના ઘરે બેસાડ્યા. વળી મેં આડેધડ વાંચવા માંડયું. હવે દલાલ–ખત્રી પછીના સુરેશ જોશી. મધુ રાય, બક્ષી, ઘનશ્યામ દેસાઈ, વીનેશ અંતાણી વગેરેને વાંચ્યા. થોડુંક ગમ્યું ને ઝાઝું પલ્લે ન પડ્યું. કૉલેજો પાછી શરૂ થઈ. ડિગ્રી મળી ને એલેમ્બિકમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ મળી. મહિને ૪૫૦ રૂપિયા મારા માટે જવા દેવા જેવી રકમ નો’તી. પણ વડોદરામાં સાત પેઢીએ ય કોઈ સગું નો’તું એટલે હૉસ્ટેલ વગર નોકરીનો મેળ ન પડે અને હૉસ્ટેલપ્રવેશ માટે કંઈક ભણવું પડે. ઈધરઉધર ફાંફાં માર્યાં પછી થાકીને આર્ટ્સ ફેકલ્ટીમાં ગુજરાતી અને ગણિત સાથે પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો. નોકરી હતી સવારના આઠથી સાંજના ચારની. વર્ગો ભરવાનો કોઈ સવાલ જ ઊભો નહોતો થતો. પણ સિતાંશુ મહેતા અને નીતિન મહેતાએ બીજા વર્ષ સુધી ભણાવવા ઉપરાન્ત પુસ્તકોની મદદ કરી. પછી તો શિરીષ પંચાલ, રમણ સોની, સુભાષ દવે, હર્ષદ ત્રિવેદી, સુધા પંડ્યાએ પણ ભરપૂર મદદ કરી ને વર્ગમાં ગયા વગર હું પાંચે ય વર્ષ પહેલી આવી શકી.

એલેમ્બિકમાં એક વર્ષ પછી મને કાયમી નોકરી મળી જાય એવી કોશિશ ચં.ચી. મહેતાએ પણ કરી અને શિવકુમાર જોશીએ પણ કરી; પણ નસીબ ક્યાંક બીજે જ લઈ જવા ઈચ્છતું હતું. એટલે એ નોકરી બીજાને મળી. ને મેં વડોદરાથી પચાસ કિલોમીટર દૂર દોઢ વર્ષ નોકરી કરી. સવારે છએ નીકળું. રાતે આઠે પાછી આવું. પણ આ ફેક્ટરીએ મને ઘડી. માણસને પરખતાં શીખવ્યું. એક્સાઈઝ, ઓક્ટ્રોય બધે જ કેટલી હદે ભ્રષ્ટાચારે ભરડો લીધો છે તે રોજેરોજ અનુભવ્યું. આખો દહાડો ઊભાઊભા કામ કર્યા પછી મોડી રાત સુધી વાંચતી. પણ છેલ્લે થાકી અને મેં વડોદરા સ્થિત LOCOST નામના NGOમાં નોકરી લીધી. અહીં કામના કલાકો તો વધારે જ હતા; પણ કામ બહુ ગમતું. ગુજરાતભરમાં ફેલાયેલા NGOને સારી અને સસ્તી દવાઓ પૂરી પાડવા ઉપરાંત પાયાની દવાઓ વિશે હું લખતી થઈ. કદાચ મને પહેલી વાર અહીં લખવાની, હેલ્થ વર્કર્સને ભણાવવાની તક મળી. NGOમાં કામ કરતાં કરતાં શાળા સ્વાસ્થ્ય કાર્યક્રમના મારા પ્રકલ્પ અંતર્ગત મેં 1989માં વડોદરાની 28 શાળાના વિજ્ઞાન શિક્ષકોની એક તાલીમ રાખેલી. WHOના CONCEPT પ્રમાણે હું ભણાવવામાં મશગૂલ હતી. બીજા દિવસે એક શિક્ષક શંકરભાઈ પટેલે મારા માથે હાથ મૂકીને કહ્યું, ‘તમે કદી શિક્ષક થવા વિચાર્યું છે?’ મેં કહ્યું, ‘ના’. ‘તો વિચારો. YOU ARE A BORN TEACHER’. હું તેમને તાકી રહી ! પણ કુદરત જાણે દાવ ગોઠવી રહી હોય એમ હું 1990માં MA થઈ અને સિતાંશુ મહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર થઈને ગયા. એમની ખાલી પડેલી જગા પર મને હંગામી ધોરણે નોકરી મળી ગઈ! આ સાવ અનાયાસ થયું. જાણે ‘જાતે થે જાપાન; પહોંચ ગયે ચીન’ જેવું જ કંઈક.

1992માં સુરતની એમ.ટી.બી. આર્ટ્સ કૉલેજમાં કાયમી નોકરી મળી પછી કાયમ ‘વર્ગ જ મારું સ્વર્ગ’ બન્યો. લખવાનું સાવ અનાયાસે થતું રહ્યું. પિતા વિશે 1988માં એક લેખ લખેલો જે ઘણાને બહુ ગમ્યો. પછીથી સુરેશ દલાલ અને મહેશ દવેના સમ્પાદનો નિમિત્તે જીવનનાં સંભારણાં આલેખાતાં ગયાં અને લોકોને ગમ્યાં ય ખરાં. લાગે તેવું મોઢે કહેવાની નાનેથી ટેવ. પુસ્તક સમીક્ષામાં રમણ સોની મારા ગુરુ. સત્ય અપ્રિય લાગે તે રીતે જ કહેવાની મારી આવડતે મને ખાસ્સી અપ્રિય બનાવી. શિરીષભાઈએ કેળવેલી અનુવાદની આવડતે, મારી પાસે સંતોષ થાય એવાં કામ કરાવ્યાં. વિવેચનોથી બહુ લોકોને નારાજ કર્યા એટલે હવે ધીરે ધીરે એ છોડી રહી છું. સામ્પ્રત વિશેની મથામણો, અનુવાદો અને જીવનના અનુભવો વિશે લખવું મને ગમે છે અને લોકોને પણ કદાચ એમાં જ વધું રસ પડે છે.

આજે જિન્દગીના જે મુકામ પર હું ઊભી છું ત્યાં મને સૌથી વધુ સન્તોષ શિક્ષક તરીકેનો છે. છેલ્લાં બાવીસ વર્ષથી વર્ગમાં અને વર્ગ પત્યા પછી પણ ભણાવ્યું છે. અભ્યાસક્રમ ઉપરાંત બીજાં અનેક પુસ્તકોની ચર્ચા કરી છે, સામ્પ્રત સમસ્યાઓ ચર્ચી છે રવિવારે કે રાત્રે આ વીદ્યાર્થીઓને સારી ફિલ્મો બતાવી છે, જૂથચર્ચાઓ ગોઠવી છે. 1991થી 2009 સુધી કૉલેજની હૉસ્ટેલ જ મારું ઘર હતી. વિદ્યાર્થીઓનાં ટોળાં વચ્ચે મારા ચોવીસ કલાક જતા હતા. શિક્ષકે વિદ્યાર્થી પાસે આખા ને આખા ઠલવાઈ જવાનું હોય એવું હું મારા ગુરુઓ પાસે શીખી હતી. ને નસીબે મને એવા વિદ્યાર્થીઓ પણ મળ્યા. જ્યાં ઠલવાઈ જવું લેખે લાગે. 18 વર્ષના મારા હૉસ્ટેલ નિવાસે મને કેટલી દીકરીઓ મળી એની ગણતરી ન માંડી શકું. મારા એક અવાજે દોડી આવે એવા વિદ્યાર્થીઓએ મને કદી એવું નથી લાગવા દીધું કે હું આ શહેરમાં સાવ એકલી રહું છું. કારકિર્દીનો સૂર્ય તો ઠીક છે મારા ભાઈ, પણ આ સાર્થકતા જીવવાનું બળ આપે છે, આ વિદ્યાર્થીઓ અને મિત્રો ટકાવી રાખે છે, આટલી શારીરિક પીડા વચ્ચે પણ. દર વર્ષે વર્ગમાં ઊભરાતા નવા ચહેરા, તેમની આંખોની ચમક મને ચાનક ચડાવે છે નવું વાંચવા, વિચારવા, અખતરા કરવા. નવી ફિલ્મો, નાટકોની વાતો કરવા. આ વિદ્યાર્થીઓ મારી તાકાત છે, મારી પ્રેરણા પણ. હું સતત કોશિશ કરતી રહું છું એમને સાચુકલા માણસ બનાવવાની. દુનિયાના તમામ ધર્મોની સારી વાતો કરીને, ભારતીય સંસ્કૃતિની, માનવીય મૂલ્યોની. ઇતિહાસ સાથે સામ્પ્રત પ્રશ્નો સાંકળી સાચી સમજ સુધી એમને લઈ જવા હું મથતી રહું છું. સાંકડા વર્તુળમાંથી બહાર કાઢવા, એમને નર્યા માણસ બનાવવા હું હાંફી જાઉં ત્યાં સુધી મથ્યા કરું છું. આ બધી વાતો વર્ગમાં, લોબીમાં અને સમય મળ્યે સાંજે પણ થતી રહે છે. પરીક્ષાલક્ષી તૈયારીમાં જ જેને રસ હોય એવા વિદ્યાર્થીને તો મહિનામાં સંતોષી શકાય. પણ હું માનું છું કે શિક્ષકે વ્યક્તિત્વ ઘડતર કરવાનું હોય છે. હા. મારા ગુરુ જેવા ટકોરાબંધ વિદ્યાર્થીઓ હજી હું નથી ઘડી શકી; પણ મારી સફર હજી જારી છે ને હું હજી થાકી નથી. જ્યાં સુધી એકાદ ઝીલનાર પણ હશે ત્યાં સુધી હું આમ જ ઠલવાતી રહીશ.

હજી તો બીજાં એક સો વર્ષની જરૂર પડે એટલું વાંચવાનું બાકી છે, થોડું લખવાનું બાકી. હા. શરીરની પીડાઓ વધતી જ જાય છે. પણ સાવ નાનેથી એક વાત મનમાં ઘર કરી ગયેલી કે ‘રસ્તામાં રોડાં આવે તો ઝરણું વહેણ બદલે, ફંટાય; પણ વહેતું બંધ ન થઈ જાય. મારું પણ કંઈક એવું જ છે. અનેક અવરોધો આવ્યા, વહેણ ફંટાયું જરૂર; પણ જિન્દગીમાં આગળ વધવાની ગતિ અવરોધાઈ નહીં. મને ખાતરી છે કે આગળ વધવા માગનારાને દુનિયાની કોઈ તાકાત રોકતી નથી.

[એમના પુસ્તક ‘સંબંધોનું આકાશ’ (પ્રકાશક : ‘ગુર્જર પ્રકાશન’ : ઉલ્લાસભાઈ મનુભાઈ શાહ, 202–તીલકરાજ, પંચવટી, પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ–380 006, ફોન : 079-2656 4279, ત્રીજી સંવર્ધિત આવૃત્તિ : 2015; પાનસંખ્યા : 94+10; મૂલ્ય : 100 રૂપિયા) પુસ્તકમાંનો આ સોળમો લેખ, સાભાર.]

સર્જક સમ્પર્ક :

(Professor and Head of Gujarati Department, Veer Narmad South Gujarat University, Surat -395 007)

Resi.dence – B-402, Vaikunth Park, B/H Bejanwala Complex, Cause-Way Road, Tadwadi, Surat-395 009

eMail : skvijaliwala@yahoo.com

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ ચૌદમું – અંકઃ 423 –March 31, 2019

Loading

...102030...2,8342,8352,8362,837...2,8402,8502,860...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved