Opinion Magazine
Number of visits: 9577575
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોમી વરસીએ જલિયાંવાલા હત્યાકાંડનો ઇતિહાસબોધ : નાગરિકો માટે ન્યોછાવરી અને શાસકો માટે નાગરિક સ્વાતંત્ર્ય

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|12 April 2019

આવતી કાલે જેને સો વરસ થશે તે હત્યાકાંડ આઝાદીની લડતમાં ચાલકબળની મહત્તા અને નાગરિક અધિકારોના સંદર્ભે તે હંમેશની પ્રસ્તુતતા ધરાવે છે

13 એપ્રિલ 1919ની સાંજે, અમૃતસરના જલિયાંવાલા બાગ નામના મેદાનમાં, અંગ્રેજ લશ્કરી અધિકારી જનરલ ડાયરે, પંજાબના મોટા તહેવાર બૈસાખીએ, બ્રિટિશ હકુમતનો વિરોધ કરવા માટે એકઠા થયેલા ભારતીયો પર સતત દસેક મિનિટ ગોળીબાર કર્યો. બધી બાજુથી બંધ એવાં આ મેદાનમાં સપડાયેલાં હ્જારો ભારતીયોમાંથી તેરસો જેટલાં મોતને ભેટ્યાં અને એનાથી ત્રણ ગણાં વધુ ઘવાયાં. જલિયાંવાલા હત્યાકાંડ એકંદરે આ રીતે જાણીતો છે. પણ આઝાદીની લડતમાં તે ચાલકબળની મહત્તા અને નાગરિક અધિકારોના સંદર્ભે હંમેશની પ્રસ્તુતતા ધરાવે છે. હત્યાંકાડની બર્બરતા અને તે કરનારાઓની નિંભરતા તો એની જગ્યાએ છે જ, પણ તેને આઇસોલેશનમાં જોઈ ન શકાય. જનસંહારના ત્રણ દિવસ અગાઉ એટલે કે દસમી એપ્રિલે અને એના પછી એકાદ વર્ષ સુધી પંજાબમાં અસાધારણ અત્યાચારનુ રાજ હતું. તેની વચ્ચે જીવવામાં પંજાબના લોકોનું  ખમીર અને અંગ્રેજોનું ખુન્નસ બહાર આવ્યું. દુનિયાભરમાં સિવિલાઇઝ્ડ એટલે કે સુધરેલ અને ઉદારમતવાદી હોવાનો દાવો કરતું ઇન્ગ્લેન્ડ એક અમાનુષ, સામ્રાજ્યવાદી વંશવાદી  શાસક તરીકે બહાર આવ્યું.

જલિયાંવાલામાં તેરસોથી વધુ લોકો મોતને ભેટ્યા. પણ આ આંકડો ત્રણસોથી ઓછો બતાવવાનો અંગ્રેજ શાસકોનો ઘૃણાસ્પદ પ્રયાસ અભ્યાસોમાંથી બહાર આવ્યો છે. સૈનિકો ગોળીબાર કરીને જતા રહ્યા પછીની મિનિટોથી લઈને દિવસો સુધી મેદાન પર અને શેરીઓમાં મૃતદેહોની તેમ જ ઘાયલોની જે દુર્દશા થઈ છે, તેની કરુણતા પાછળ સ્થાનિક અંગ્રેજ શાસન તંત્રની લાક્ષણિક ક્રૂરતા હતી. તેના સેંકડો દાખલામાંનો એક : રતન દેવી તેમનાં પતિના મૃતદેહ પાસે શબોના ખડકલા અને જખમીઓનાં પાણી માટેનાં આક્રંદ વચ્ચે આખી રાત, કૂતરાંને દૂર રાખવા હાથમાં લાકડી રાખીને બેસી રહ્યાં. અમાનુષ શાસકોએ પાણી અને વીજળી કાપ્યાં હતાં. દુર્ગંધ મારતાં હત્યા-સ્થળે ગીધ દિવસો સુધી ઘૂમી રહ્યા હતાં. શહેરમાં ‘દેખો ત્યાંથી ઠાર કરો’-ના હુકમ સાથેનો  માર્શલ લૉ હતો. 

માર્શલ લૉ આખા પંજાબ પર હતો કારણ કે અંગ્રેજોએ લાદેલા રૉલેટ ઍક્ટ નામના ‘કાળા કાયદા’ સામે ગાંધીજીની આગેવાની હેઠળ દેશભરમાં ચાલેલો  વિરોધ પંજાબમાં વધુ તીવ્ર હતો. ‘નો વકીલ, નો અપીલ, નો દલીલ’ તરીકે ઓળખાતા આ કાયદામાં પોલીસ પાસે લોકોને જરૂરી કાનૂની કાર્યવાહી વિના પકડવાની અને સજા કરવાની સત્તા આવી હતી. કાયદાનો હેતુ હોમરૂલ અને ખિલાફત ચળવળને પગલે ભારતમાં આઝાદી માટે વેગ પકડી રહેલી ગતિવિધિઓને નિયંત્રણમાં મૂકવાનો હતો. દુનિયાભરમાં સત્તા ગજાવવા ભૂખ્યા થયેલા અંગ્રેજો ભારતીયોને કોઈ પણ પ્રકારની આઝાદી માટે અપાત્ર ગણતા હતા.

પંજાબમાં અંગ્રેજો સામેનો લોકજુવાળ વધુ બળુકો હોવાનાં કારણો હતાં. પહેલાં વિશ્વયુદ્ધમાં અંગ્રેજો માટે લડનાર, મૃત્યુ પામનાર, ઘાયલ થનાર, અને પાછા આવનાર ભારતીય સૈનિકોમાં નાનાં ગામોના પંજાબી રિક્રુટ સહુથી વધારે હતા. તેઓ શાસકો તરફ વફાદારી, કુટુંબ માટે રોજીરોટી માટે અથવા પોલીસે જોરજુલમથી કરેલી ભરતી જેવાં કારણોસર લશ્કરમાં હતા. તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે કદરબૂજને બદલે ખુદ માટે બેરોજગારી ઉપરાંત મોંઘવારી, વરસાદની ખેંચથી અછત, ગરીબી જોયાં. વધુમાં દમનકારી રોલેટ ઍક્ટ આવ્યો. તેની સામે મહેનતકશો અને મધ્યમ વર્ગના એકજૂટ શીખ-જાટ-હિન્દુ-મુસ્લિમ લોકોમાં અસાધારણ જુવાળ જાગ્યો. તેની આગેવાની કરનાર ડૉ. સત્ય પાલ અને ડૉ. સૈફુદ્દિન કિચલુ નામના પ્રબુદ્ધ આગેવાનોને અંગ્રેજો ઊપાડી ગયા. તેમને છોડવવાની માગણી સાથે ગયેલા નિ:શસ્ત્ર અમૃતસરવાસીઓના સરઘસ પર પોલીસે કરેલા ગોળીબારમાં ત્રણ-ચાર મોત થયાં. શહેરમાં હિંસા ભડકી. સરકારી મકાનો સળગાવાયાં. બે યુરોપિયન બૅન્ક કર્મચારીઓની હત્યા થઈ, પંદરેક ભારતીયો પોલીસ ગોળીબારમાં મરાયા. બે મહિલાઓ પર હુમલા કરવામાં આવ્યો. આ તોફાનોનો બદલો લેવા અંગ્રેજોએ અમૃતસર, લાહોર, ગુજરાનવાલા અને કસૂરમાં મહિનાઓ સુધી વહીવટ અને માનવતાના તમામ ખ્યાલોને દૂર રાખીને જઘન્ય જુલમકાંડ ચલાવ્યો. તેમાં રેગિનાલ્ડ ડાયર સાથે માઇલ્સ આયર્વિન્ગ, ફ્રૅન્ક જૉન્સન અને માઇકેલ ઑ’ડ્વાયર જેવા અધિકારીઓ સામેલ હતા. ક્રાન્તિકારી ગદ્દર પાર્ટીના ઉધમસિંહે ઑ’ડ્વાયરની 13 માર્ચ 1940ના રોજ લંડનમાં હત્યા કરીને ફાંસીની ફૂલમાળ પહેરી લીધી.

જલિયાંવાલાની સભા દૈત્ય ડાયરે પોતે લાદેલી કડક બંધીની વચ્ચે પણ થવા દીધી તેમાં લોકોને મોટી સંખ્યામાં એક સ્થળે એકઠા કરીને મારવાનો પેંતરો હતો એવું પણ નોંધાયું છે. સરકારના સર્જેલાં યુદ્ધ જેવા માહોલમાં લોકો સાવ નિર્દોષ ભાવે બૈસાખી માટે નહીં, પણ આગેવાનો દ્વારા ઠીક મોબિલાઇઝેશન પછી, પોતાના અધિકારો માટેની સભાનતા સાથે હિમ્મતપૂર્વક આવ્યા હતા. રગેરગ અંગ્રેજ સામ્રાજ્યવાદી ડાયરે હત્યાકાડ તીવ્ર નૈતિક ફરજપરસ્તી, ગૌરવ અને અચૂક આયોજનથી કર્યો હતો (જરૂર પડે તો મશીનગનો પણ તૈયાર રાખી હતી) .મૃતદેહોના નિકાલ અને ઘાયલોની સારવાર માટેની કોઈ જ દરકાર તંત્રએ કરી નહીં, એટલું જ નહીં તેમાં અમાનુષ આડખીલીઓ ઊભી કરી. આવું તેણે દસમી એપ્રિલના મૃતકો માટે ય કર્યું હતું. તે દિવસથી મહિનાઓ સુધી ડાયર અને તેના સાગરિતોએ અમૃતસર જાણે યાતના છાવણી જેવું બનાવી દીધું હતું.

અન્યત્ર પણ અંગ્રેજ આતંક છવાયેલો હતો. હજારો ધરપકડો, કેદમાં અત્યાચાર અને જબરદસ્તીથી કબૂલાતોનો દોર ચાલ્યો હતો. તેમાં હિન્દુ-મુસ્લિમોની એકતા તૂટી. ડાયરની શેતાની સૂઝથી જે સજાઓ શોધાઈ તેમાં ક્રૉલિન્ગ એટલે કે રસ્તા પર કોણી અને ઢીંચણ પર સરકીને ચાલવાની કઠોર સજા બહુ અપમાનજનક હતી. અમૃતસરમાં અંગ્રેજ મહિલા ઇઝાબેલ એડસન પર જ્યાં હુમલો થયો હતો તે શેરીના પચાસ વાર લાંબા એકમાત્ર રસ્તા પર પંદર દિવસ સુધી ક્રૉલિન્ગ ઑર્ડર હતો. એટલે કે એ શેરીના દરેક રહીશે ત્યાંથી પોલીસની લાતો, ગાળો અને ફટકા વચ્ચે થઈને ઘસડાઈને આવવા-જવાનું. બીજી કેટલીક સજાઓ હતી તેમાં ગોરાઓને ચોક્કસ રીતે સલામી આપવી, તડકામાં કૂચ કરવી, ગટરો સાફ કરવી, ભૂખ્યા-તરસ્યા રાખવા અને જાહેરમાં કોરડા મારવા.

અંગ્રેજ પ્રજાએ જલિયાંવાલા માટે એકમતે સત્તાવાર રીતે માટે ક્ષમાયાચના તો જવા દો, સામૂહિક સંવેદના કે પસ્તાવાનો હરફ પણ વ્યક્ત કર્યો નથી. એક મોટા હિસ્સાને પંજાબનું લશ્કરી રાજ સામ્રાજ્યના કાયદો અને વ્યવસ્થા માટે ન્યાયોચિત પણ લાગ્યું હતું. અંગ્રેજ સંસદના ઉપલા ગૃહે ડાયરનાં કૃત્યને ટેકો આપતો ઠરાવ પસાર કર્યો. ઇંગ્લેન્ડ લોકોએ તેનું સન્માન કર્યું હતું અને તેના માટે ફાળો એકઠો કર્યો.

યાદ રહે કે પંજાબમાં જુલમરાજનાં મૂળમાં નાગરિકોના અધિકાર અને ગૌરવ છિનવનારા કાયદાને દૂર કરવાની માગણી હતી. આઝાદ ભારતમાં આવા કાયદા જે તે સમયે જુદા જુદા પક્ષોની સરકારે લાદ્યા છે અથવા લાદવાની કોશિશ કરી છે. અત્યારે પણ વપરાતો સેડિશનનો એટલે કે રાજદ્રોહનો કાયદો તો રોલેટ ઍક્ટના હિસ્સા તરીકે પણ હતો. તે ઉપરાંત આફસ્પા, ઇમર્જન્સી ઍક્ટ, ડિફેમેશન, ટાડા, પાસા, પોટા, મકોકા, ગુજસીટૉક, યુએપીએ જેવા પણ નોંધી શકાય. આ કાયદાઓ જે ખતરનાક ગુનાઓને અટકાવવા માટે છે તે પ્રકારના ગુનાઓના બચાવ ન જ થઈ શકે. સાથે એ પણ કહેવું રહ્યું કે આ કાયદાઓનો ઉપયોગ સરકારો લોકોની વાજબી માગણીઓને કે પોતાના વિરોધીઓને ડામવા માટે કરતી રહી છે. તેના ભાગ તરીકે કેટલીક વાર આગેવાનોને ઊઠાવી જવા, ગેરકાનૂની અટકાયતો, બળજબરી કબૂલાતો, એનકાઉન્ટર્સ, એક્સ્ટ્રા જ્યુડિશ્યલ કિલિન્ગ્સ, વિરોધ પ્રદર્શનો પર બંધી, ગેરવાજબી બળપ્રયોગ અને ક્યારેક ગોળીબાર જેવા રસ્તા પણ અપનાવાતા રહ્યા છે. આંદોલનકારી સમૂહોએ અને કર્મશીલોએ આ વેઠ્યું છે, વેઠી રહ્યા છે. તેના અનેક દાખલા સમકાલીન ઇતિહાસમાંથી મળી શકે છે.

નાગરિકો પક્ષે જલિયાંવાલાનો ઇતિહાસબોધ દેશભક્તિ હોય તો સરકાર છેડે તે  સાથે નાગરિક સ્વાતંત્ર્યની જાળવણીનો પણ છે.

********

10 એપ્રિલ 2019

[‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 12 એપ્રિલ 2019] 

Loading

વિરામચિહ્નો : ઓગણીસમી સદીની એક આયાત

દીપક મહેતા|Opinion - Literature|12 April 2019

કાળચક્રની ફેરીએ

પરદેશીના કટ્ટર વિરોધીઓ અને સ્વદેશીના હાડોહાડ હિમાયતીઓ પણ આજે ગુજરાતી, મરાઠી, હિન્દી, વગેરે ભાષાઓ લખતી કે છાપતી વખતે પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, અવતરણ ચિહ્ન વગેરે વિરામચિહ્નો વાપરતાં લેશમાત્ર અચકાતા નથી. વિલાયતી કાપડની હોળી કરાવનાર ગાંધીજી પણ પોતાનાં લખાણોમાં વિદેશી વિરામચિહ્નો વાપરતા જ. પણ આજે આપણે જે વિરામચિહ્નો વાપરીએ છીએ તે ‘દેશી’ નથી, ‘પરદેશી’ છે. તે ‘મેઈડ ઇન ઇન્ડિયા નથી, પણ ઈમ્પોર્ટેડ છે. છેક ૧૯૧૩માં નરસિંહરાવ દિવેટિયાએ વિરામચિહ્નો વિષેના એક લેખમાં કહ્યું હતું: “વિરામચિહ્નો આપણા દેશમાં તો વિદેશી માલ જ ગણાશે; પરંતુ હવે સ્વદેશી જેટલાં એ પરિચિત થઇ ગયાં છે.”

  

સંવત ૧૮૩૨ (ઈ.સ. ૧૭૭૫)માં લખાયેલ એક હસ્તપ્રતનું પાનું

ગુજરાતીની જ નહીં, આપણી કોઈ પણ ભાષાની હસ્તપ્રતો જુઓ. તેમાં ક્યાં ય આજના જેવાં વિરામચિહ્નો જોવા નહિ મળે. હા, પૂર્ણ વિરામ માટે એકવડો (I) કે બેવડો (II) ઊભો દંડ વપરાતો. પણ તે સિવાય બીજું કોઈ વિરામચિહ્ન વપરાતું નહોતું. શરૂઆતનાં મુદ્રિત લખાણોમાં પણ આવું જ જોવા મળે છે. ૧૮૧૫માં ફરદુનજી મર્ઝબાને પોતાના છાપખાનામાં છાપેલા ‘ફલાદીશ’ પુસ્તકમાં અંગ્રેજી જેવાં વિરામચિહ્નો વપરાયાં નથી.

૧૮૨૧માં સુરત મિશન પ્રેસમાં છપાયેલા બાઈબલના નવા કરારના અનુવાદમાં એકવડા અને બેવડા દંડ સિવાય બીજું કોઈ વિરામચિહ્ન વપરાયું નથી. ૧૮૨૨માં ‘મુંબઈ સમાચાર’ અખબાર શરૂ થયું તે વખતે તેમાં વિરામચિહ્નો વપરાતાં નહોતાં. હા, ગુજરાતી મુદ્રણની શરૂઆત થઇ ત્યારથી જ તેમાં હસ્તપ્રતોની જેમ લખાણ સળંગ છાપવાને બદલે શબ્દો છૂટા પાડીને છપાતા. મુંબઈથી પ્રગટ થતા ‘બોમ્બે કુરિયર’ નામના અંગ્રેજી અખબારના ૨૯ જાન્યુઆરી, ૧૭૯૭ના અંકમાં છપાયેલી ગુજરાતી જાહેર ખબર(સરકારી જાહેરાત)માં શબ્દો છૂટા પાડીને છાપ્યા છે, પણ કોઈ વિરામચિહ્ન વાપર્યું નથી. એ જ વર્ષના જુલાઈ મહિનામાં એ જ અખબારમાં છપાયેલી બીજી એક જાહેર ખબરમાં પણ વિરામચિહ્નો નથી. પણ જાન્યુઆરી અને જુલાઈ વચ્ચેના ગાળામાં એક ધરખમ ફેરફાર જોવા મળે છે. પહેલી જાહેર ખબરમાં સંસ્કૃત, હિન્દી, મરાઠી વગેરેની જેમ ગુજરાતી અક્ષરોને માથે પણ શિરોરેખા જોવા મળે છે. જ્યારે બીજી જાહેર ખબરમાં ગુજરાતી લિપિએ માથેથી શિરોરેખાનો ભાર ઉતારી નાખ્યો છે. અને તે દિવસે ગુજરાતીને માથેથી શિરોરેખાનો ભાર ગયો તે ગયો. કેટલાક અપવાદ રૂપ પુસ્તકોને બાદ કરતાં તે પછી ‘બોડી’ (શિરોરેખા વગરની) ગુજરાતી લિપિ જ લેખન અને મુદ્રણમાં વપરાવા લાગી. ‘બોમ્બે કુરિયર’ માટેના આ ગુજરાતી ટાઈપ – બીબાં – બનાવ્યાં હતાં બહેરામજી છાપગર નામના પારસી કમ્પોઝીટરે. એટલે શિરોરેખાનો ભાર ઉતારવાનું શ્રેય તેમને જ આપવું ઘટે.

ઈ.સ. ૧૭૯૭ના જાન્યુઆરીમાં ‘બોમ્બે કુરિયર’માં છપાયેલી શિરોરેખા સાથેની જાહેર ખબર.

ઈ.સ. ૧૭૯૭ના  જુલાઈમાં ‘બોમ્બે કુરિયર’માં છપાયેલી શિરોરેખા વગરની બીજી જાહેર ખબર.

તો ફરદુનજીએ પોતે છાપેલાં પુસ્તકોમાં અને મુંબઈ સમાચારમાં જરા જૂદી રીત અપનાવી. તેમણે લખાણમાં શબ્દો છૂટા તો પાડ્યા, પણ વધારામાં બે શબ્દો વચ્ચે લીટીની મધ્યમાં ઇન્ટર પોઈન્ટ (મધ્યરેખા બિંદુ) વાપરવાનું શરૂ કર્યું. આ માટેનું ચિહ્ન આજના પૂર્ણ વિરામ જેવું જ હતું, પણ ફરક એ હતો કે તે બે શબ્દની મધ્યમાં મૂકાતું, અધોરેખા પર નહિ. પ્રાચીન લેટિનમાં આ ઇન્ટર પોઈન્ટનો ઉપયોગ જોવા મળે છે. ફરદુનજી પ્રાચીન લેટિન ભાષાથી પરિચિત હોય તેવો સંભવ નથી. આવો ઇન્ટર પોઈન્ટનો ઉપયોગ તેમણે ક્યાંથી અપનાવ્યો હશે તે કહેવું આજે મુશ્કેલ છે. આ ઉપરાંત ફરદુનજીએ એક બીજી પહેલ પણ કરી. વાક્યને અંતે પૂર્ણ વિરામ મૂકવાની. પણ તે માટે તેમણે જે ચિહ્ન વાપર્યું તે આજના કરતાં જૂદું હતું. પૂર્ણ વિરામ માટે તેમણે ફરી લીટીની મધ્યમાં ફુદરડી (*) મૂકવાનું શરૂ કર્યું. તેનું કદ અક્ષરોના કદ જેટલું જ હતું અને અક્ષરોના આકાર કરતાં તેનો આકાર જુદો પડતો હોવાથી તે ચિહ્ન તરત નજરે પડતું. પણ આ સિવાયનાં બીજાં કોઈ વિરામચિહ્ન ફરદુનજીએ વાપર્યાં હોય તેમ જણાતું નથી.

 

૧૮૧૫માં છપાયેલ પુસ્તક ‘ફલાદીશ.’ મધ્યરેખા બિંદુ અને ફુદરડીનો ઉપયોગ

૧૯મી સદીમાં છપાયેલાં પુસ્તકો તો આપણે નથી જ સાચવ્યાં, પણ તેને વિશેની માહિતી પણ નથી સાચવી. એટલે ખાતરીપૂર્વક કશું કહેવું મુશ્કેલ છે, પણ ગુજરાતી પાઠ્ય પુસ્તકો છપાવાં શરૂ થયાં તે સાથે અંગ્રેજીને અનુસરીને બીજાં વિરામચિહ્નો ગુજરાતીમાં વ્યાપકપણે વપરાતાં થયાં હોય તેવો પૂરેપૂરો સંભવ છે. અગાઉ ઉલ્લેખેલા લેખમાં નરસિંહરાવભાઈ કહે છે: “સરકારી નિશાળમાં ચોપડિયો ભણવા લાગ્યા ત્ય્હારે આ વિદેશી ચિહ્નોની પલટન નજરે પડી.” (અવતરણ ચિહ્નોમાં જોડણી બધે મૂળ પ્રમાણે.)

 

૧૮૩૦માં છપાયેલ પાઠ્ય પુસ્તકમાં પૂર્ણ વિરામ અને અલ્પ વિરામ જેવાં વિરામ ચિહ્નોનો ઉપયોગ

૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્ન્મેન્ટ ઓફ બોમ્બે’ એવું લાંબુલચક નામ ધરાવતી સોસાયટીની સ્થાપના થઇ. પછીથી તેનું નામ બદલીને ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી’ કરવામાં આવ્યું. આ સોસાયટી સરકારી નહોતી, પણ પહેલેથી જ બોમ્બે પ્રેસિડન્સીના ગવર્નર તેના પ્રમુખ બને એવી જોગવાઈ હતી. ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન પ્રેસિડન્સીના ગવર્નર અને તેથી સોસાયટીના પ્રમુખ બન્યા. આ સોસાયટીએ શરૂ કરેલી અંગ્રેજી પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં પહેલેથી જ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, મરાઠી, કાનડી, વગેરે સ્થાનિક ભાષાઓ (વર્નાક્યુલર્સ) શીખવવાનું નક્કી થયું હતું. પણ ખાટલે મોટી ખોડ એ હતી કે આ માટે વાપરી શકાય તેવાં છાપેલાં પુસ્તકો આ ભાષાઓમાં લગભગ હતાં જ નહિ. પાઠ્ય પુસ્તકો અંગેની આ મુશ્કેલી એલ્ફિન્સ્ટનના ધ્યાનમાં આવી કે તરત એમણે કહ્યું: ‘નથી? તો આપણે જ બનાવીએ એવાં પાઠ્ય પુસ્તકો.’

આ માટે ૧૮૨૦ના ઓગસ્ટની દસમી તારીખે ‘નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ શરૂ કરી. તેના કામ માટે એલ્ફિન્સ્ટને તત્કાળ પોતાના ખિસ્સામાંથી ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. પછી તો બીજી ૫૭ વ્યક્તિઓએ નાનાં-મોટાં દાન આપ્યાં. આ કમિટીના સેક્રેટરી બન્યા કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસ. વ્યવસાયે ઇજનેર, પણ મરાઠી, ગુજરાતી વગેરે ભાષાઓના અચ્છા જાણકાર. તેમણે તૈયાર કરેલાં અને તેમની દેખરેખ નીચે તૈયાર થયેલાં છ પુસ્તકો ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં સોસાયટીએ પ્રગટ કર્યાં. આ પુસ્તકો છાપતી વખતે અંગ્રેજીમાં વપરાતાં લગભગ બધાં વિરામચિહ્નોનો ઉપયોગ થયો. ત્યાર બાદ ધીમે ધીમે બીજાઓ પણ એ વિરામચિહ્નો વાપરતા થયા. ઓગણીસમી સદીમાં અંગ્રેજીની અસર નીચે માત્ર ગુજરાતીએ જ નહિ, ઘણીખરી ભારતીય ભાષાઓએ આ નવાં વિરામચિહ્નો અપનાવ્યાં.

વિક્ટોરિયન યુગમાં ગ્રેટ બ્રિટનમાં વધુ પડતાં વિરામ ચિહ્નો વાપરવાનો ચાલ હતો. આપણે માત્ર ૧૯મી સદીમાં જ નહિ, પણ છેક આજ સુધી એ જ રીત અપનાવી છે અને સાચી માની છે. પણ વીસમી સદીના પાછલા દાયકાઓમાં અને એકવીસમી સદીમાં યુરોપ-અમેરિકામાં વિરામચિહ્નોનો ઉપયોગ બને તેટલો ઓછો કરવા તરફનું વલણ જોવા મળે છે. : ; ! જેવાં ચિહ્નો લગભગ વપરાતાં બંધ થયાં છે. એકવડાં (‘) અને બેવડાં (“) અવતરણ ચિહ્નોનો ઉપયોગ પણ હવે ઘટતો જાય છે કારણ કમ્પ્યુટર વડે થતા કમ્પોઝમાં અવતરણને જૂદું પાડવાની જૂદી જૂદી તરકીબો સુલભ બની છે. જેમ કે અવતરણનું લખાણ ઇન્ડેન્ટ કરવું, આઈટાલિક્સમાં છાપવું, વગેરે. વળી ઇ.મેલ, એસ.એમ.એસ., વ્હોટ્સએપ વગેરેમાં લખતી વખતે તો ભાગ્યે જ કોઈ વિરામચિહ્નો વાપરે છે, એટલું જ નહિ, અંગ્રેજીમાં તો કેપિટલ લેટર વાપરવાનું પણ ઓછું થતું જાય છે. પણ આપણે ગુજરાતીમાં શિક્ષણમાં અને છાપકામમાં હજી વિક્ટોરિયન યુગ પ્રમાણે જ વિરામચિહ્નો વાપરવાનો આગ્રહ રાખીએ છીએ.  

ઓગણીસમી સદીમાં અંગ્રેજી મુદ્રણ પાસેથી આપણે બીજી બે વાત પણ અપનાવી. પહેલી તે ગદ્ય લખાણ સળંગ ન છાપતાં તેમાં પેરેગ્રાફ પાડવાની. અલબત્ત, શરૂઆતમાં પેરેગ્રાફ લગભગ સ્વેચ્છા મુજબ પડાતા. પણ પછી ધીમે ધીમે વિચાર, ભાવ, કે મુદ્દા સાથે પેરેગ્રાફનો સંબંધ બંધાયો. (પેરેગ્રાફ માટે આપણે ‘પરિચ્છેદ’ જેવો જડબાતોડ પર્યાય પણ બનાવ્યો!) તેવી જ રીતે પદ્યની બાબતમાં પંક્તિ અને કડીને સળંગ ન છાપતાં જુદી પાડીને છાપવાનું આપણે અપનાવ્યું. પદ્યની પંક્તિઓને આરંભે, મધ્યમાં, અથવા અંતે જસ્ટિફાય કરવાનું પણ શરૂ થયું. બે પેરેગ્રાફ અને બે કડી વચ્ચે વધુ જગ્યા (સ્પેસ) રાખવાનું શરૂ થયું. હસ્તપ્રતોના જમાનામાં આમાંનું કશું નહોતું.

હોપ વાચનમાળા ચોથી ચોપડી. લગભગ બધાં વિરામ ચિહ્નોનો તથા પેરેગ્રાફનો ઉપયોગ.

છાપેલાં પાઠ્ય પુસ્તકો નવી નિશાળોમાં વપરાતાં શરૂ થયાં તે પછી અને તેથી ભાષા અંગેની એક મહત્ત્વની બાબત તરફ ધ્યાન ખેંચાયું. આ બાબત તે જોડણીની એકવાક્યતા. ગુજરાતી હસ્તપ્રતોમાં આવો આગ્રહ નહોતો. એક જ શબ્દની જોડણી એક જ હસ્તપ્રતમાં જૂદી જૂદી રીતે કરવામાં આવી હોય એ વાત અસામાન્ય નહોતી. શરૂઆતનાં છાપેલાં પુસ્તકોમાં પણ આવું જોવા મળતું. જોડણીની એકવાક્યતાની જરૂર સૌથી પહેલી ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો મુંબઈમાં તૈયાર કરનાર કેપ્ટન જર્વિસના ધ્યાનમાં આવી અને તેમણે થોડો પ્રયત્ન પણ કરી જોયો, પણ ઝાઝી સફળતા મળી નહિ. ૧૯મી સદીના મધ્ય ભાગમાં અમદાવાદમાં સરકારી વાચનમાળા (જે પછીથી ‘હોપ વાચનમાળા’ તરીકે ઓળખાઈ) તૈયાર કરતી વખતે સર થિયોડોર હોપના ધ્યાનમાં પણ આ વાત આવેલી. ત્યારે વ્યાવહારિક ઉકેલ તરીકે અને મર્યાદિત ઉપયોગ માટે કેટલાક જાણકારો સાથે ચર્ચા કર્યા પછી હોપે સાતેક હજાર શબ્દોની જોડણી નક્કી કરી તેનો એક કામચલાઉ શબ્દકોશ બનાવ્યો હતો. દસેક વર્ષ પછી આ પાઠ્ય પુસ્તકોની નવી આવૃત્તિ પ્રગટ કરતી વખતે ડિરેક્ટર ઓફ પબ્લિક ઇન્સટ્રક્શન સર એલેક્ઝાન્ડર ગ્રાંટે આ કામ માટે નવ જાણકારોની એક સમિતિ બનાવી, જેમાં નર્મદ અને દલપતરામ પણ હતા. આ નિયમો ‘શાળાપત્ર’ તથા ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરવામાં આવ્યા.

અલબત્ત, તે પહેલાં ૧૮૬૫માં પોતાના ‘નર્મવ્યાકરણ’માં નર્મદે ‘વર્ણાનુપૂર્વી અથવા અક્ષર જોડણી’ એવા મથાળા સાથે કેટલાક નિયમો આપ્યા હતા, પણ અંતે લખ્યું હતું: “લોકોએ એ (જોડણી) વિષે ગણી કાળજી રાખવી નહિ.” તે પછી ગાંધીજીએ ભલે કહ્યું કે “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી” પણ માત્ર સામાન્ય જન જ નહિ, ઘણા જનમાન્ય અને ગણમાન્ય લેખકો, પ્રકાશકો, પત્રકારો, અખબારો, હજી આજે ય ગાંધીજીની નહિ, પણ નર્મદની વાતને આંખમાથા પર ચડાવીને લખે-છાપે છે.

વિરામ ચિહ્નો વિશેની આ વાત નરસિંહરાવભાઈના એક શ્લોકથી પૂરી કરીએ:

આવી સર્વ વિદેશથી જ વસિયાં, વર્ષો ઘણાં વીતિયાં,
આખા ભારતવર્ષમાં પ્રસરીને ભાષા ઘણી જીતિયાં;
પામી સ્થાન રૂડું હવે સ્થિર થઇ સેના, ન તે છોડતી,
ગર્જાવો જ વિરામચિહ્નદળનો જે-જે-ધ્વનિ જોરથી!

XXX XXX XXX

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

[“શબ્દ સૃષ્ટિ”, ઍપ્રિલ 2019]

Loading

બી.જે.પી. મૅનિફેસ્ટો: ૨૦૧૪ અને ૨૦૧૯ – એક વાંચન

રમેશ ઓઝા|Opinion - Opinion|11 April 2019

બી.જે.પી. માટે આ કોઈ નવી વાત નથી. ૧૯૮૦માં પણ બી.જે.પી.એ કેસરિયો એજન્ડા છોડીને સત્તા સુધી પહોંચવા ડહાપણની સીડી વાપરી હતી. ત્યારે ગાંધીવાદી સમાજવાદ અને દીનદયાળ ઉપાધ્યાયના ઇન્ટેગ્રેટેડ હ્યુમેનિઝમની સંકલ્પના રાખી હતી. આ ઇન્ટેગ્રેટેડ હ્યુમેનિઝમ શું છે એ આજ સુધી મને તો સમજાયું નથી, અને આ ધરતી પર એવો કોઈ પ્રતિષ્ઠિત સમાજશાસ્ત્રી નથી જેણે એનું કોઈ ભાષ્ય કર્યું હોય. એટલી ખબર છે કે એ મીઠા બોલનો સંગ્રહ છે જેનો સંકટના સમયે ઉપયોગ કરવામાં આવતો હતો. હતો એ ભૂતકાળવાચી શબ્દ મેં જાણીબૂજીને વાપર્યો છે અને તેનો ફોડ આગળ પાડવામાં આવશે.

કોઈ ભેદભાવ વિના, કોઈ પણ પ્રકારના દ્વેષ વિના, વિધર્મીઓ માટે ભારતમાં જીવવા માટેની શરતો વિના બધાને બાથમાં લઈને ચાલવાનું વચન આપવામાં આવ્યું હતું. એ એક રીતે ‘સબકા સાથ સબકા વિકાસ’ની બી.જે.પી.ની ૧૯૮૦ની પહેલી આવૃત્તિ હતી. અટલ બિહારી વાજપેયી ભેદભાવ વિના માળામાં બધાં ઇંડાંઓ પર પાંખ ફેરવીને હૂંફ આપતા હતા અને રાષ્ટ્રસેવન કરતા હતા. સિકન્દર બખ્ત નામના મુસ્લિમ ઈંડાને સૌથી વધુ હૂંફ આપવામાં આવતી હતી, પરંતુ પક્ષની અંદર તેમને દેખાવથી વધુ કોઈ સત્તા આપવામાં નહોતી આવી. પાછળથી સિકન્દર બખ્તને સમજાઈ ગયું હતું કે તેમનો વિન્ડો શોપિંગ માટે શો પીસ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેલ એવો પ્રભાવી હતો કે મરાઠી વિદુષી લેખિકા દુર્ગા ભાગવત અને અને જાણીતા કાયદાવિદ્ એમ.સી. ચાગલા તેમની વાતમાં આવી ગયાં હતાં અને તેમને યશસ્વી ભવ:ના આશીર્વાદ આપી આવ્યા હતા.

૧૯૮૪ની લોકસભાની ચૂંટણીમાં માળો વિખાઈ ગયો અને વાજપેયીને રવાના કરવામાં આવ્યા. નાગપુરથી ગદાધારીઓ અને ધનુષધારીઓ આવી પહોંચ્યા. એ પછી એક એક ઈંડાને ચકાસવામાં આવ્યા, અને પરાયાં ઈંડાંઓને ધમકાવવાનું અને હિન્દુસ્તાન મેં જીના હો તો…ની શરતો મૂકવાનું શરૂ થયું. એકાએક ડહાપણનું બાષ્પીભવન થઈ ગયું. જેણે કુંદન શાહની ફિલ્મ ‘જાને ભી દો યારો’ ન જોઈ હોય તેમને જોવાની ખાસ ભલામણ છે. એકાએક મહાભારતનો ખેલ અકબર અને અનારકલીમાં ફેરવાઈ ગયો, અને ધૃતરાષ્ટ્રની માફક દુર્ગા ભાગવતો અને એમ.સી. ચાગલાઓ પૂછવા લાગ્યાં કે એ સબ ક્યા હો રહા હૈ? પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાથી વિફરેલાં દુર્ગા ભાગવતે તો ૧૯૮૯ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ની વિરુદ્ધ પ્રચાર કર્યો હતો.

૧૯૮૦-૧૯૮૪નાં વર્ષો ડહાપણ, ઉષ્મા, મર્યાદા, સ્નેહનાં વર્ષો હતાં. આખરે પાસ થવા માટે પણ ડાહ્યા હોવાનો અને માણસ હોવાનો દેખાવ કરવો પડે છે એ જ સાબિત કરે છે કે વિવેક અને માણસાઈમાં કેટલી મોટી તાકાત છે. કન્યા જોવા આવનાર છોકરો પણ ડાહ્યોડમરો, વિવેકી અને માઈસાઈના ગુણ ધરાવતો હોવાનો દેખાવ કરે છે. આ મૂળ રંગની માફક મૂળ ગુણ છે જે સમાજને ભાવે છે. પણ જેમ મૂળ રંગમાં મેળવણથી બીજા રંગ બનાવી શકાય છે, એમ મૂળ ગુણોમાં પણ અલગ અલગ પ્રકારના ઝેરનું મેળવણ કરીને માણસને ખાસ પોતાને માફક આવે એવો બનાવી શકાય છે. આમ ૧૯૨૫થી મેળવણી કરીને પોતાને માફક આવે એવો હિંદુ ઘડવાનું કામ કરવામાં આવે છે, પણ સમસ્યા એ છે કે સત્તા સુધી પહોંચાડી શકે એટલી મોટી સંખ્યામાં આવા હિંદુ હજુ પેદા થયાં નહોતાં, એટલે વિચારવામાં આવ્યું કે ચાલો શ્વેત-શુભ્ર રંગને અને શાંત રસને પણ આજમાવી જોઈએ.

૧૯૮૪માં સફળતા મળી નહીં અને પાછો મૂળ ચહેરો ધારણ કરી લીધો. બરાબર ત્રીસ વરસ પછી એ જ ખેલ. સબકા સાથ, સબકા વિકાસ – ખેલ બીજો. બે ખેલમાં ફરક એ હતો કે ૧૯૮૦-૮૪નાં વર્ષોમાં પ્રભાવી ખેલ પાડવા છતાં પણ સત્તા સુધી પહોંચી શકાયું નહોતું, જ્યારે ૨૦૧૪માં સત્તા સુધી પહોંચી જવાયું હતું. બી.જે.પી. અને સંઘપરિવારમાં પહેલીવાર પ્રશ્ન થયો હતો કે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા સુધી પહોંચી તો ગયા પણ હવે કરવું શું? જે સીડી પર ચડ્યા છીએ એ સીડી પર હજુ વધુ પગથિયાં ચડવા કે પછી એ સીડીને ફગાવીને જે સાચી સીડી છે એના પર આરોહણ કરવું? સબકા સાથ સબકા વિકાસની સીડી ફગાવી દેવાની વાત હિંદુઓને નહીં ગમે તો? આપણી સીડીને (હિંદુ રાષ્ટ્રની) તેઓ નહીં અપનાવે તો?

મૂંઝવણ તો મોટી હતી. સ્પષ્ટ બહુમતી પછી હવે બે-તૃતીયાંશ બહુમતી સુધી પહોંચવું હોય તો કઈ સીડીનો ઉપયોગ કરવો? સબકા સાથ સબકા વિકાસની સીડી વાપરીએ અને ન કરે નારાયણ ને બીજી તક ન મળે તો? પહેલે માળે પહોંચી ગયા છીએ તો બીજા માળે પહોંચી શકાશે, પણ જમીન પર પટકાયા તો ખબર નહીં ક્યારે બીજે અને પછી ત્રીજે માળે પહોંચશે. માટે પહેલા માળેથી બીજા માળે જવાની યાત્રા ન થંભાવવી જોઈએ. ભારે મથામણ પછી બન્ને સીડી સાથે વાપરવાનો પ્રયોગ કરવામાં આવ્યો. ૧૯૮૪માં અને ૨૦૦૪માં સીડી બદલી નાખવામાં આવી હતી, પરંતુ ૨૦૧૪માં સત્તામાં આવ્યા પછી બન્ને સીડી એક સાથે વાપરવામાં આવી રહી છે. બન્ને નિસરણી અલગ અલગ દિશામાં લઈ જનારી હોવા છતાં. 

‘સબકા સાથ સબકા વિકાસ’ અને ‘હિન્દુસ્તાન મેં રેહના હો તો ..’નો સંયુક્ત ખેલ શરૂ થયો. એક જ રંગમંચ પર, એના એ જ કલાકારો દ્વારા એના એ જ ઓડિયન્સ સમક્ષ ‘મહાભારત’ અને ‘અકબર અને અનારકલી’નો અદ્ભુત સંયુક્ત ખેલ. જગતના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવો કમાલનો ખેલ ભજવવામાં આવ્યો હતો. ઓડિયન્સમાંથી કેટલાક સીટીઓ વગાડતા હતા, કિકિયારીઓ પાડતા હતા, સીટ પર ઉછળતા હતા તો બીજા કેટલાક એકબીજાને પૂછતા હતા કે એ સબ ક્યા હો રહા હૈ? જાણકારોને જાણ હતી કે આ તો વડલા ઉપર બાવળિયો મૂકવામાં આવ્યો છે. જો જોશમાં ને જોશમાં પ્રજા ચડી જતી હોય તો ગંગા નાહ્યા.

આ પ્રયોગ સફળ નીવડી શકત પણ તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ નિષ્ફળ બનાવ્યો. પોતાના માટેના અગાધ પ્રેમના કારણે. આત્મમુગ્ધતાને કારણે. કામ કરવાની જગ્યાએ નજરબંધી કરીને છવાઈ રહેવાના અભરખાને કારણે. સભાગૃહમાં પ્રેક્ષકોના એક વર્ગે સબ કા સાથ સબ કા વિકાસ માટે વોટ આપ્યો હતો અને તેઓ એમાં કાંઈક થાય એની રાહ જોતા હતા, પણ એની જગ્યાએ યે સબ ક્યા હો રહા હૈ એવો પ્રશ્ન પૂછવો પડે એવી રીતે પ્રહસન ભજવાયું. કારણ એ હતું કે ‘માલેગાંવ કે શોલે’ની માફક જય, વીરુ, ગબ્બર, બસંતી, ચાચા વગેરે દરેક ભૂમિકામાં એક જ કલાકાર અને અભિનય, ડાન્સ, ફાઈટીંગ એમ દરેક સીન માટે એક જ દિગ્દર્શક. આ ઉપરાંત; કાંઈક અણધાર્યું કરીને આઘાત આપવાનો, આશ્ચર્ય સર્જવાનો, દરેક ઘટનાને મેગા ઇવેન્ટમાં ફેરવવાનો, પોતાનો જયજયકાર કરાવવાનો, ગમે તેમ બોલવાના અને ગમે તે જુમલા ફેંકવાની આદત અને કોઈ પણ ભોગે સ્ટેજ પરથી નહીં ખસવાનો દૂરાગ્રહ વગેરે તત્ત્વોને કારણે સમાંતરે ચાલતા બે ખેલમાંથી વિકાસના ખેલને ફારસ અથવા પ્રહસનમાં ફેરવી નાખ્યો હતો. વિકાસ જોવા આવેલા પ્રેક્ષકો પૂછવા લાગ્યા હતા કે યે સબ ક્યા હો રહા હૈ? અને ભક્તો હિંદુ રાષ્ટ્રનું ટ્રેલર જોઇને ચીસો પાડતા હતા.

હવે ‘મહાભારત’ અને ‘અકબર અને અનારકલી’નો અભૂતપૂર્વ સંયુક્ત પ્રયોગ પૂરો થયો છે. નવા પ્રયોગ માટે રિહર્સલ ચાલી રહ્યા છે. ૨૦૧૪માં હિંદુરાષ્ટ્રની બાવળની સીડીને જમીનમાં દાટી દીધી હતી જે આ વખતે આગળ મૂકવામાં આવી છે અને વિકાસના વડલાની સીડી પાછળ ધકેલી દેવામાં આવી છે. ૨૦૧૪ના મૅનિફેસ્ટોના મુખપૃષ્ઠ પર વાજપેયી, અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, ગડકરી એમ ટીમ હતી. ૨૦૧૪ના મૅનિફેસ્ટોમાં અંદરના પાને બી.જે.પી.ના સ્થાપક શ્યામા પ્રસાદ મુખર્જી અને ઇન્ટેગ્રેટેડ હ્યુમેનિઝમની વિચારધારાના જનક દીનદયાળ ઉપાધ્યાયની તસવીર મૂકવામાં આવી હતી. ૨૦૧૪ના મૅનિફેસ્ટોમાં ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’નું સૂત્ર હતું. ૨૦૧૪ના મૅનિફેસ્ટોમાં રામ મંદિર, આર્ટીકલ ૩૭૦, યુનિફોર્મ સિવિલ કોડ વગેરેને છેક છેલ્લે પાને છેલ્લા ફકરામાં ધકેલી દેવામાં આવ્યા હતા.

૨૦૧૯ના મૅનિફેસ્ટોમાં સર્વત્ર નરેન્દ્ર મોદી છે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી છેલ્લા કવર પર ખસેડવામાં આવ્યા છે. ૨૦૧૪માં જે ટીમમાં સાથે હતા એને ૨૦૧૯માં સાવ ફેંકી દેવામાં આવ્યા છે. ૨૦૧૪માં આગળનાં પાનાંઓમાં વિકાસ હતો તો અત્યારે રાષ્ટ્રવાદ, દેશભક્તિ, સુરક્ષા વગેરે છે, રામમંદિર વગેરેને છેલ્લા પાનેથી બઢતી આપીને આગળ લાવવામાં આવ્યા છે, વિકાસ વાસ્તવિક વિકાસની જેમ આડોઅવળો જે તે પાનાંઓમાં વિખરાયેલો છે. ૨૦૧૪માં જે વાત જોરજોરથી કહેવામાં આવી હતી એનો આ વખતે ઉચ્ચાર સુધ્ધાં કરવામાં આવ્યો નથી, એટલું જ નહીં કેટલાંક કોમોની ક્રેડીટ પણ લેવામાં આવી નથી.

વાતનો સાર એટલો કે બે નાટકોની સંયુક્ત ભજવણીમાં મુખ્ય અભિનેતાની રંગમંચ પરની વધારે પડતી હાજરીને કારણે ખેલ બગડી ગયો. અભિનય સમ્રાટો પણ થોડી વાર વીંગમાં જતા હોય છે, કે જેથી પ્રેક્ષકો રાહ જુવે કે હીરો પાછો ક્યારે એન્ટ્રી મારે!

10 ઍપ્રિલ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 ઍપ્રિલ 2019

Loading

...102030...2,8232,8242,8252,826...2,8302,8402,850...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved