Opinion Magazine
Number of visits: 9456494
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઓમ શાંતિ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|21 January 2025

હું, હરીશ, સોનુ તથા મોનુ – એમ અમારું નાનકડું કુટુંબ. આડોશી-પાડોશી કે સગાં-વહાલાં સૌ કોઈ મારા ભાગ્યની ઈર્ષા કરતા. સખીઓ તો અંદર અંદર ગુસપુસ પણ કરતી, “આ નીલી ખરી નસીબદાર છે હં! ગોરમાને પાંચ નહીં પણ દસ આંગળીએ પૂજ્યાં હોય ત્યારે આવો વર મળે.”

“સાચી વાત છે. હરીશભાઈને તો બધી રસોઈ બનાવતાં આવડે, ને મારા વરને એક ગેસ પેટાવતાં ય નથી આવડતું.”

વાત પણ સાચી હતી. કોઈ વાર તબિયત સારી ન હોય કે, બહુ થાકી હોંઉ તો હરીશ કહે, “નીલી, તું આરામ કર. હું હમણાં શાક ને પરાઠા બનાવી કાઢું છું.”

મારે જિંદગી પ્રત્યે ફરિયાદ કરવા જેવું કશું નહોતું, પણ હમણાં હમણાં કોણ જાણે કેમ, હું ચીડકણી થતી જતી હતી. કોઈ મારી આડું ઊતર્યું નથી ને મને બરાડા પાડવાનું બહાનું મળ્યું નથી એવી મારી પ્રકૃતિ થતી જતી હતી. હરીશનો સ્વભાવ અત્યંત શાંત. એ તો એનું જમા પાસું ગણાય પણ મને એમાં પણ એનો વાંક દેખાતો.

“છે તારા પપ્પાને કંઈ ચિંતા? માસ્તર મારે ય નહીં ને ભણાવે ય નહીં. બધા સાથે હસી હસીને વાત કરે, પછી ભૂંડા મારે જ થવાનું ને?”

આવા વખતે હરીશ ભલે સ્મિત કરીને જતું કરે પણ નાનો સોનુ મને છોડે એમ નહોતો. “મમ્મી, પપ્પા તારે માટે, આ ઘર માટે શું નથી કરતા? ને સાંભળ, એ નથી બોલતાને, એ તારે માટે જ સારું છે, નહીંતર રોજ ઊઠીને આપણા ઘરમાં મહાભારત સર્જાત!”

મોનુ એના પપ્પા પર ગયો હતો. હું મોટે મોટે બોલીને ઘરનું વાતાવરણ તંગ બનાવું એ એને જરા ય પસંદ નહીં એટલે એ કહેતો, “જવા દે ને સોનુ, તું શા માટે વચ્ચે બોલે છે?”

મારા વર્તનથી ખૂબ દુ:ખી થાય ત્યારે હરીશ રૂમ બંધ કરીને એકાદ પુસ્તક લઈને બેસી જતા. મારા ધૂંધવાટનો કોઈ પ્રત્યુત્તર ન મળતાં હું વળી વધુ ભડકતી. એવું પણ નહોતું કે, મને મારી ભૂલ દેખાતી નહોતી. એકલી પડું ત્યારે વિચારતી કે, નાની સરખી વાતમાં હું આખું ઘર માથે લઉં છું અને મારો મૂડ ઠેકાણે ન હોય ત્યારે દિવસો સુધી મૌનવ્રત ધારણ કરું છું. એની બધાનાં મન પર કેટલી અસર થાય છે! મારે આમ ન કરવું જોઈએ, પણ ઘણી વખત પરિસ્થિતિ મારા કાબૂ બહાર જતી રહેતી. એક વખત કોઈ સાવ નાની બાબતમાં હું હરીશ પર છેડાઈ પડેલી અને ઉશ્કેરાઈને બોલી ગયેલી,

“નક્કામી જ તમને પરણીને આ ઘરમાં આવી! પચીસ પચીસ વર્ષોમાં આ ઘરે મને શું આપ્યું?”

મારી વાત સાંભળીને હરીશ અત્યંત આઘાત પામ્યા. એમનો ચહેરો કાળોધબ્બ થઈ ગયો. આ વાત સાંભળી રહેલો સોનુ બોલી ઊઠ્યો, “મમ્મી, પહેલાં નક્કી કર કે, તને આ ઘર પાસેથી શું અપેક્ષા હતી અને એમાંથી શું ન મળ્યું? તું આ રીતે બોલ્યા કરશે અને મોનુભાઈ માટે આવેલી છોકરી સાંભળશે તો એને થશે કે, જે ઘરે પચીસ વર્ષમાં મારી સાસુને કંઈ ન આપ્યું એ ઘર મને શું આપવાનું?”

એની આ વાત મારા મર્મસ્થાને ચોટ કરી ગઈ. બે-ત્રણ દિવસ સુધી હું એની પર વિચાર કરતી રહી. મોનુ હવે તેવીસ વર્ષનો થયો હતો. એનાં લગ્ન થશે ને વહુ ઘરમાં આવશે. મારા કચકચિયા સ્વભાવને કારણે હું એ બંને વચ્ચે કલહનું કારણ બની જાઉં તો તો આખો પરિવાર વેરવિખેર થઈ જાય. ઘણી ગડમથલને અંતે હું સોનુને શરણે જ ગઈ.

“બેટા, તું ભલે નાનો હોય પણ તારી સમજણને કારણે તેં મારી આંખ ખોલી દીધી છે. મારે બગડતી બાજીને સુધારવી છે પણ ગુસ્સો આવે ત્યારે હું જાત પર કાબૂ નથી રાખી શકતી. તું જ કંઈ ઉપાય બતાવ.” એ હસી પડ્યો. “મમ્મી, તું વાત એવી રીતે કરે છે કે, મને એવું ફીલ થાય છે કે, જાણે હું કોઈ ગુરુ હોંઉં!”

“હા, મારે માટે તો તું ગુરુ જ છે. તું જેમ કહે એમ હું કરીશ, બસ?”

આશીર્વાદ આપતી મુદ્રામાં એ બેઠો અને કહેવા લાગ્યો, “માતે, તમારી મૂંઝવણનો ઉકેલ એક મંત્રમાં રહેલો છે. જ્યારે પણ ગુસ્સા પર કાબૂ ન રહે તો એ મંત્રનો જાપ કરવો. કબૂલ છે?”

મેં પણ બે હાથ જોડીને કહ્યું, “કબૂલ છે ગુરુદેવ! હવે આપ કૃપા કરીને મંત્ર આપો.”

“જ્યારે પણ લાગે કે, ક્રોધ આવવાની શરૂઆત થઈ રહી છે કે તરત જ મનમાં ‘ઓમ શાંતિ, ઓમ શાંતિ’ મંત્રનું રટણ ચાલુ કરી દેવું. હમણાં આ ઉપચાર ફક્ત બે દિવસ માટે કરવાનો છે. પ્રયોગ સફળ થાય તો પછી આ જ દવા લાંબો સમય માટે લેવી.”

હું હસી પડી. મેં કહ્યું, “જેવી આજ્ઞા ગુરુદેવ, આ ઉપાય તો સાવ સરળ છે. એનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે.”

પહેલે દિવસે તો કોઈ તકલીફ ન પડી. સૌને લાગ્યું કે એક જ દિવસમાં મારું હૃદયપરિવર્તન થઈ ગયું. બીજે દિવસે રવિવાર હતો. જમી પરવારીને મેં બપોરે પથારીમાં લંબાવ્યું. થોડીવારમાં  ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. ત્યાં મને સંભળાયું, “મમ્મી .. થોડીવાર પછી ફરીથી સોનુનો અવાજ સંભળાયો, મમ્મી .. બહુ ભૂખ લાગી છે. જરા મેગી બનાવી આપને!”

મને ભયંકર ગુસ્સો આવ્યો. ‘શરમ નથી આવતી આવડા મોટા છોકરાને, એની માને ઊંઘમાંથી ઉઠાડીને મેગી બનાવવાનું કહે છે? હમણાં એને સીધો કરું.’ આમ વિચારતાં આંખ ખૂલી એ ભેગી મારી પ્રતિજ્ઞા યાદ આવી. વોશ બેસીનનો નળ ખોલીને આંખ પર પાણીની છાલક મારી ને રસોડામાં જઈ, મેગી બનાવી. પ્લેટમાં કાઢીને ડાયનીંગ ટેબલ પર મૂકી. ત્યાં તો સોનુ આવીને મને વળગી પડ્યો અને કહ્યું, “મારે કંઈ મેગી નહોતી ખાવી, પણ આજે બીજો દિવસ છે ને એટલે તારી ચકાસણી કરવી હતી.”

ત્યાં તો બાજુના રૂમમાંથી મોનુ અને હરીશ બોલતાં બોલતાં આવ્યા – ‘ઓમ શાંતિ, ઓમ શાંતિ’ ને અમે ચારે ખડખડાટ હસી પડ્યાં.

(ભગવાન અટલાનીની સિંધી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 જાન્યુઆરી 2025; પૃ. 24 

Loading

બાદશાહ ખાન અને નારાયણભાઈ દેસાઈની મુલાકાત

પ્રેષક : હિદાયત પરમાર|Gandhiana|20 January 2025

‘તમારી તબિયત કેવી છે ?’ – આ સવાલ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન જેટલી વાર પૂછ્યો એટલી વાર ઉત્તર ન મળ્યો. પહેલી વાર તો મારો સવાલ પૂરો થાય તે પહેલાં જ તેઓ પૂછી બેઠા – ‘વિનોબા સાહેબની તબિયત કેવી છે ?’

ઉત્તર દેતી વખતે મારે મારું ગળું સાફ કરવું પડ્યું. અને પછી એ દિવસની બેઠક ચાલી પૂરા છ કલાક. બેઠક દરમિયાન આપવીતીનો એક વાર પણ ઉલ્લેખ નહીં. દર્દ વ્યક્ત થઈ રહ્યું હતું, પણ તે વધારે ભારતની સ્થિતિ અંગે, ધર્મના નામે ચાલી રહેલ ઢોંગ અંગે અને રાજનૈતિક અધઃપતન અંગે.

મારા આવતા પહેલાં એક યુવક એમની પાસે બેઠો હતો. તેના વિશે કહ્યું – ‘આ મારો પડોશી છે. મને કહી રહ્યો હતો કે અરબસ્તાન જવું છે. મેં તેને કહ્યું કે અસલી ઘર્મ હજ કરવામાં નથી, પણ ખુદાની સૃષ્ટિની સેવા કરવામાં છે. ઘર્મે તો આજે લોકોને અંધકારમાં નાખી રાખ્યા છે. ધર્મ રહ્યો ક્યાં ? અમેરિકા ખ્રિસ્તી દેશ છે. ઈશુએ તો કહેલું કે એક ગાલ પર કોઈ મારે તો બીજો ગાલ તેની સામે ધરવો. પરંતુ અમેરિકા વિયેતનામ સાથે કેવો વર્તાવ કરી રહ્યું છે ? શું હિંદસ્તાન, શું પાકિસ્તાન, શું અમેરિકા, ક્યાં ય પ્રેમ જોવા નથી મળતો. સર્વત્ર હિંસા છે, દ્વેષ છે. અને જ્યાં દ્વેષ છે, ત્યાં ધર્મ ટકી નથી શકતો. ધર્મ તો સેવા કરવામાં છે. સેવા માટે નિઃસ્વાર્થી માણસો ઊભા થવા જોઈએ.’

ઓક્ટોબર ૧૯૬૯માં ભારત આવતાં સ્વાગત કરતાં પ્રધાન મંત્રી ઇંદિરા ગાંધી અને જયપ્રકાશ નારાયણ.

પોતાના ભારત આવવા અંગે બોલ્યા : ‘હું તો ગાંધી શતાબ્દી છે એટલા માટે ત્યાં આવવાનો છું. મારે ત્યાં કોઈ રાજનીતિ ડહોળવી નથી. મારે ત્યાં કોઈ ઉપદેશ આપવો નથી, કાંઈ શીખવવું નથી. લોકો લખે છે કે તમે આવો અને અમને દોરવણી આપો, અમને બોધ આપો. પરંતુ જ્યારે તમે લોકોએ ગાંધીજીની દોરવણી ન માની અને એમનું માગદર્શન ન સ્વીકાર્યું, ત્યારે મારી તે શી વિસાત ? હું તો ખિદમતગાર છું.’

દેશ-દેશ વચ્ચેની હિંસાની વાત છોડી દઈએ, તોયે દેશની અંદર શું થઈ રહ્યું છે ? તેલંગણામાં કેવી હિંસા થઈ ! એક જ દેશના લોકો, કાંઈ દેશથી જુદા થવાની માગણી તો નથી કરતા, એમને તો કેવળ પોતાનું રાજ જોઈએ છે. પણ તેની પાછળ કેટલી બધી હિંસા થઈ ગઈ ! એક બાજુ ગાંધી શતાબ્દી ઊજવાઈ રહી છે અને બીજી બાજુ દેશમાં આવી હિંસા થઈ રહી છે !’

‘અરે, દારૂની જ વાત લો ને ! તને તો કદાચ ખબર હશે કે અમારા સરહદ પ્રાંતમાં દારૂબંધી કરવા માટે લોકોએ કેટલી બધી કુરબાનીઓ કરેલી ! ચારસદ્દામાં પિકેટિંગ ચાલી રહ્યું હતું. અંગ્રેજ સરકારે યુવક ખિદમતગારોને પકડ્યા. એમને નાગા કરીને એમનાં મર્મસ્થળો પર દોરડાં બાંધી એમને સતાવ્યા. કેટલા ય તો તેમાં પોતાનું પુરુષત્વ ખોઈ બેઠા. આઝાદી પહેલાં કેટલાં કષ્ટ લોકોએ દારૂને કાઢવા માટે સહન કરેલાં ! અને હવે સ્વરાજની સરકારો દારૂને છૂટ દઈ રહી છે, અને તે પણ ગાંધી શતાબ્દી વરસમાં !’

એક લાખના’ એવોર્ડ’ અને એંશી લાખની થેલી બાબતમાં કહ્યું – “તેની મને પરવા નથી. હું તો ફકીર છું. મને પૈસા સાથે શી નિસ્બત ? મને તો કરોડો મળતા હતા, તે મેં છોડી દીધા. મારે તો ગાંધી શતાબ્દી નિમિત્તે દેશમાં આવવું છે. મારા માટે ત્યાં આલીશાન મકાનમાં ઉતારવાની વ્યવસ્થા ન કરતા, મારે રાષ્ટ્રપતિ ભવનમાં નથી ઊતરવું. મારે તો જનતાની વચ્ચે રહેવું છે.’

સરકારમાં સારા લોકોએ આવવું જોઈએ, એમ તેઓને વારંવાર ભારપૂર્વક કહેતા એવા લોકો કઈ રીતે તૈયાર થઈ શકે ?’

એમણે કહ્યું – ‘તે માટે ગામેગામ જઈ લોકોને એમની ભાષામાં સમજાવવું નથી. એમની સામે આપણી વિદ્વત્તા દેખાડવાની જરૂર નથી. મૌલવી લોકો સામાન્ય જનતા સમક્ષ પોતાની વિદ્વત્તા દેખાડવાની કોશિશ કરતા રહે છે. પણ તેનાથી લોકોની સેવા નથી થતી, લોકોની સેવા તો ગામેગામ અને ઘરેઘર જઈને સમજાવવાથી થાય છે, અને એમનામાંથી જ આખરે સાચા લોકો બહાર આવશે, અને એવા સાચા લોકોના હાથમાં સરકાર આવવાથી જ સવાલનો ઉકેલ આવશે.’

અત્યારે અફઘાનિસ્તાનમાં પણ બાદશાહખાં આ જ કામ કરી રહ્યા છે. ગામેગામ એ વાત સરળ ભાષામાં સમજાવે છે. ખાસ કરીને શુક્રવારની નમાજ વખતે તેઓ મસ્જિદોમાં જાય છે. કહેતા હતા કે ‘આ પણ એક પ્રકારની પાર્લમેન્ટ જ છે, લોકસભા જ છે. પહેલાં લોકો અહીં કાંઈ પણ વાત કરતાં ડરતા હતા, હવે ધીરે ધારે નીડરતા આવતી જાય છે. અહીં પણ કેટલાંક એવાં તત્ત્વો છે, જેમને દેશમાં રાજકીય જાગૃતિ આવે તે પસંદ નથી. પરંતુ મારા કામને સરકારનું પૂર્ણ સમર્થન છે.’

કાબૂલની એક નાનકડી સભામાં હુંયે ગયેલો. એક નવા અખબાર ‘અફઘાન જનતા’નો આરંભ થઈ રહ્યો હતો. તેમાં આશીર્વાદ આપવા સારુ બાદશાહ ખાનને બોલાવેલા, પૂશ્તુ ભાષા સમજતો ન હોવા છતાં તેમાં જવા હું ઉત્સુક હતો. એક મકાનમાં વીસ-પચીસ ખુરસી નાખી સભાનું આયોજન કરવામાં આવેલું. બાદશાહખાં ખુરસી પર બેઠા બેઠા જ વાતચીતના ઢબે બોલ્યા. એમના અવાજમાં આરોહ-અવરોહ નહોતો. ભાષણ જેવું તો તે લાગતું જ નહોતું. પરંતુ સાંભળનારાઓની આંખો પરથી એમ લાગતું કે જાણે તેઓ એક એક શબ્દ પી રહ્યા છે. એ વાતચીતમાં એક શબ્દ આવ્યો હતો, अहम तशद्दुद અર્થાત અહિંસા. એટલે બીજે દિવસે મેં એમને પૂછ્યું, ‘તમે અહિંસા વિશે ત્યાં શું કહ્યું હતું?’ 

ત્યારે બોલ્યા -’ ના, એ તો કાંઈ નહીં. એક દાખલો આપી રહ્યો હતો. મેં એ લોકોને કહ્યું કે આઝાદીની લડત દરમિયાન કેટલાક લોકો મારી પાસે આવીને કહેતા કે અમને અહિંસામાં વિશ્વાસ નથી, પણ અમારે આઝાદીની લડત લડવી છે, તો હું એમને કહેતો કે તમે તમારી ઢબે લડો, મારે તમારી સામે કોઈ ફરિયાદ નથી. આ તો મેં એક ઉદાહરણ રૂપે કહ્યું હતું. હું એમને કહી એ રહ્યો હતો કે અખબારનો ઉપયોગ એકબીજા સાથે વાદ-વિવાદ અને તકરાર કરવામાં ન કરવો.વાદવિવાદ કરવાથી જનતાની સેવા નથી થતી. તમે જેમાં માનતા હો, તે ઇમાનદારીથી લખતા રહો. બીજા અલગ વિચારના હશે તો તેઓ પોતાની ઢબે લખશે. પણ તમે એમની સાથે જીભાજોડી કરવામાં ન પડતા.’

છાપાની વાત નીકળી એટલે બોલ્યા -‘છાપાવાળા મારા આવવા વિશે જાતજાતની અટકળો કરીને કાંઈ ને કાંઈ લખે છે. તેનો ઊલટો પ્રચાર પાકિસ્તાનમાં થાય છે. પરંતુ આટલી સરળ વાત એમની સમજમાં કેમ નથી આવતી કે હું ત્યાં કોઈ રાજનીતિની ખટપટ કરવા નથી આવતો, હું તો ગાંધી શતાબ્દી માટે આવી રહ્યો છું. મારો દીકરો વલી અહીં આવ્યો, તો છાપાંવાળાઓએ કહ્યું કે તેને પાકિસ્તાનવાળાઓએ મોકલ્યો છે. પાકિસ્તાનવાળાઓએ કહ્યું કે એ તો ઇન્દિરાને મળવા અહીં આવ્યો હતો. એ બિચારાની આંખો ખરાબ રહે છે, તે દેખાડવા સારુ તેને યુરોપ જવું હતું. છ વરસથી તેને પાકિસ્તાનમાંથી નીકળવાની રજા નહોતી મળતી, હમણાં મળી, એટલે યુરોપ જતી વખતે રસ્તામાં પોતાના બાપને મળવા આવ્યા. તેમાં આટલી બધી અટકળબાજી ?’

મેં કહ્યું, “બધા પોતપોતાનાં ચશ્માંથી દુનિયાને જુએ છે.’

એમની વિદાય લેતી વખતે મેં પણ અહીંના એમના અનુયાયીઓની જેમ એમની તરફ ઝૂકીને હાથ મિલાવી તેના પર ચુંબન કર્યું. એમણે મને બાથમાં લઈને મારા ગાલે ચૂમી કરી. મેં કહ્યું, ‘હવે તો હિંદુસ્તાનમાં મળીશું.’ એમણે કહ્યું, ‘અગર જિન્દગી…..!’

સંદર્ભ : 

સર્વોદય અગ્રણી નારાયણભાઈ દેસાઈ બાદશાહ ખાનને મળવા કાબૂલ ગયા. ત્રણ દિવસ રહ્યા. એમની મુલાકાતની નોંધ (“ભૂમિપુત્ર”; તા. 26 સપ્ટેમ્બર 1969) 
સૌજન્ય : હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

WEST SIDE STORY : સ્પીલબર્ગની મ્યુઝિકલ ડ્રામેટિક ફિલ્મ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 January 2025

સ્ટીવન સ્પીલબર્ગ

FMC 2025 તરફથી દર્શાવાયેલી ‘સિંગિંગ ઇન ધ રેઇન’ (1952), ‘ફિડલર ઓન ધ રૂફ’ (1971) જેવી સાંગીતિક ફિલ્મોની શ્રેણીમાં Steven Spielbergની ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ જોવાનું બન્યું. સ્પીલબર્ગ ‘શીંડલર્સ લિસ્ટ’, ‘જોઝ’, ‘કેચ મી ઇફ યૂ કેન’ જેવી જુદા જ વિષય પરની ફિલ્મો માટે ઓસ્કાર સુધી પહોંચેલા સફળ ફિલ્મ નિર્દેશક છે. 2021ની ‘વેસ્ટ સાઈડ સ્ટોરી’ સ્પીલબર્ગની એક માત્ર સાંગીતિક ને નાટ્યાત્મક પ્રણયકથા છે. તેની વિશેષતા એ છે કે તેનાં ગીતો જે તે કલાકારે પોતે ગાયાં છે. 94માં ઓસ્કાર એવોર્ડ્સમાં આ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મ સહિતનાં 7નૉમિનેશન્સ મળ્યાં છે ને તે ઉપરાંત ફિલ્મમાં અનિતાની ભૂમિકા માટે(Ariana DeBose)ને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ તરીકેનો એકેડેમી એવોર્ડ પણ મળ્યો છે. 1957 સ્ટેજ મ્યૂઝિકલનું આ રૂપાંતર પોતે પણ શેક્સપિયરનાં નાટક ‘રોમિયો જુલિયટ’ પર આધારિત છે. આ ફિલ્મ પ્રેમ, હિંસા, બદલાની રજૂઆત રંગીન આક્રમક્તાથી કરે છે. પ્રેમ છે, પણ કરવાનો નથી ને દુશ્મની છે તે કરવાની છે. જેટ્સ અને શાર્કસ એવા બે વંશીય (ETHNIC) ભિન્નતા ધરાવતા યુવા જૂથ છે જે શત્રુતા તો નિભાવે છે, પણ પ્રેમને સફળ થવા દેતાં નથી.

ન્યૂયોર્ક હાઉસિંગ ઓથોરિટી ફોર સ્લમ ક્લીયરન્સ – બોર્ડે પ્રોપર્ટી પરચેઝ કરી છે એવાં લખાણ સાથે ફિલ્મ શરૂ થાય છે. શહેરમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે. કેમેરા તૂટેલાં મકાનો સેરવતો આગળ વધે છે. અહીંના યુવકો ગોરા છે. એમની ટીમ જેટ્સ તરીકે ઓળખાય છે ને તેનો લીડર રીફ (Mike Saist) છે. જેટ્સની તકરાર ઇમિગ્રન્ટ્સ સાથે છે. ઇમિગ્રન્ટ્સનું ગ્રૂપ શાર્કસ તરીકે ઓળખાય છે. તેનો લીડર બર્નાન્ડો (David Alvarez) પોર્ચુગીઝ છે. જેટ્સને લાગે છે કે ઇમિગ્રન્ટ્સ મેનહટન પર કબજો કરી લેશે. જેટ્સના યુવાનો કલર્સનાં ટીન લઈને રીફને મળે છે ને દુકાનોને નુકસાન પહોંચાડતાં PUERTO RICO પાસે આવે છે ને કલર નાખીને તેને ખરાબ કરે છે. આ વાતે જેટ્સ અને શાર્કસ વચ્ચે તકરાર થાય છે. ગેરીને કાન નજીક વાગ્યું છે. લોહી નીકળે છે. પોલીસ, કોણે માર્યું તેવું પૂછે છે, પણ તે નામ એટલે નથી દેતો, કારણ બંને ગ્રૂપ આપસમાં હિસાબ પતાવવામાં માને છે. પોલીસ કહે છે કે તે બંનેને કાઢી મૂકી શકે તેમ છે, તો બર્નાન્ડો કહે છે કે કાઢી શકો તો કાઢો. રીફ, ટોની(Ansel Elgort)ની મદદ લેવાનું વિચારે છે, તો જેટ્સ તેને આમાં ન નાખવાનું કહે છે. જો કે, આ ગ્રૂપ ટોનીને લીધે જ છે.

રીફ અને ટોની મિત્રો છે. ઇમિગ્રન્ટ્સને નફરત કરે છે, પણ ટોની, પોર્ચુગીઝ વેલન્ટિના(Rita Moreno)ને નફરત કરતો નથી. તે ડ્રગ કેમિસ્ટની દુકાન ચલાવે છે. અહીં દુકાન બંધ કરતી વખતે ટોનીને બાલ્કનીમાં મારિયા (Rachel Zegler) દેખાય છે. મારિયા તેના ભાઈ બર્નાન્ડો, તેની ગર્લફ્રેન્ડ અનિતા અને ચીનો (Josh Rivera) સાથે પાર્ટીમાં આવે છે. અહીં પણ શાર્કસ અને જેટ્સ ટકરાય છે. ટોની, મારિયાને મળે છે. બર્નાન્ડો ટોનીને મારિયાથી દૂર રહેવા કહે છે, પણ બંને નજીક આવે જ છે. બંને રાતના બાલ્કનીમાં મળે છે. બંને વચ્ચે જે રીતે જાળી આવે છે તે ભવિષ્યમાં કેવી જાળ બનવાની છે તેનો સંકેત આપે છે. TO NIGHT TO NIGHT ગીત બંને ગાય છે. એની એક લાઇન છે – I SAW YOU AND THE WORLD WENT AWAY …  તે ઉપરાંત મારિયા વિષેનું એક ગીત ટોની મણકા ફેરવતો હોય તેમ ગાય છે – THE MOST BEAUTIFUL SOUND I EVER HEARD – MARIA ! સવારે ઊઠવાની બૂમ પડે છે, પણ ઊંઘે તો ઊઠેને ! ઊંઘીને ઊઠી છે એ બતાવવા મારિયા સવારે નાઈટ ડ્રેસ પહેરે છે, વાળ વિખેરે છે, કરચલી વગરની ચાદર પર ઊંઘના સળ પાડે છે.

બર્નાન્ડો અને અનિતા પ્રેમમાં છે, પણ ટોની અને મારિયાનો પ્રેમ તેમને અસહ્ય છે. આ લોકો મધ્યમ વર્ગના છે. કપડાં એપાર્ટમેન્ટ્સ વચ્ચેની દોરીઓ પર સૂકવાય છે. કપડાં ખસે છે, તેમ તેમ કપડાંઓ વચ્ચેનું આકાશ પણ ખસે છે. ડાન્સ અને તકરાર સમાંતરે ચાલે છે ને એમાં ગાવું સામાન્ય છે. ટોની અને મારિયાને તકરાર ગમતી નથી, પણ બંને પોતાનાં જ માણસોને રોકી શકે એમ નથી. ટોની મારિયા સાથે જીવવા માંગે છે. ચર્ચમાં બંને બે હાથ એક થવાનું, બે હૃદય એક થવાનું ને હવે મૃત્યુ જ અલગ કરે એવી પ્રાર્થના કરે છે.

બીજી તરફ રીફ સુરક્ષાને નામે પિસ્ટલ ખરીદે છે, પણ ટોની વધારે કશું ખરાબ ન થાય એટલે તે લઈ લે છે. ઘણોખરો સમય ગાવા, નાચવા ને મારવામાં જ વીતે છે. ટોની કોઈને પક્ષે નથી, પણ તે સુધર્યો છે તે સ્વીકારવા બર્નાન્ડો તૈયાર નથી, તેમાં મારિયા સાથેના પ્રેમનો એકરાર થતાં તે વધારે ભડકે છે. ચાકુની મારામારીમાં બર્નાન્ડો રીફને મારી નાખે છે ને ટોની તેને મારી નાખે છે. ચીનો મારિયાને જણાવે છે કે ટોનીએ તેના ભાઈને મારી નાખ્યો છે. ટોની પોલીસને શરણે જતાં પહેલાં મારિયાને મળવા આવે છે, તો મારિયા ભાઈને ખોયા પછી ટોનીને ખોવા તૈયાર નથી, પણ અનિતાને આઘાત એ વાતે લાગે છે કે સગા ભાઈને મારનાર ટોનીને, મારિયા ચાહી જ કઈ રીતે શકે? તો ય તે કહે છે કે પ્રેમમાં સારું-ખરાબ હોતું નથી, પ્રેમમાં પ્રેમ જ હોય છે. તે ટોનીને માફ કરતી નથી, કારણ મારિયાનો ભાઈ તેનો પ્રેમી પણ હતો. અનિતા બહુ સિફતથી વેલેન્ટિનાની દુકાને જઈ સંતાયેલા ટોની સુધી એટલો મેસેજ પહોંચાડે છે કે ચીનોએ મારિયાને મારી નાખી છે. ટોની બહાર આવીને ચીનોને પડકારે છે, ત્યાં મારિયા આવતી દેખાય છે ને ચીનોએ મારિયાને તો નહોતી મારી, પણ ટોનીને તો તે મારે જ છે. રીફ પાસેથી ઝૂંટવેલી પિસ્ટલ આમ ટોનીનાં મોતનું કારણ બને છે. ટોની, અનિતાને બર્નાન્ડો વગરની કરે છે તો અનિતા પણ મારિયાને ટોની વગરની કરે છે …

આ પ્રકારની મ્યુઝિકલ ફિલ્મો અગાઉ પણ આવી છે. આવી કોરિયોગ્રાફીની, ડ્રેસ ડિઝાઇનિંગની પણ નવાઈ નથી. આવી ફિલ્મો હવે આવતી નથી એ જ સૂચવે છે કે ફિલ્મોનો ટ્રેન્ડ બદલાયો છે, પણ જેમને ફ્લેશબેકમાં જવાનું ગમે છે તેમને આ ફિલ્મનાં પાત્રો, તેમની રહેણીકરણીમાં, તેમની સમસ્યાઓમાં રસ પડી શકે છે. એ સમયને ઉજાગર કરતી ફોટોગ્રાફી, લાઇટિંગ વગેરે … ધ્યાન ખેંચે એમ છે. આમ તો આ લવસ્ટોરી છે, પણ ખરેખર તો આ ટીમવર્કની ફિલ્મ છે. દરેક કલાકારે અભિનયમાં જીવ રેડ્યો છે, પણ સમૂહ અહીં પાત્ર તરીકે ઊપસે છે. કરુણતા એ છે કે ઘણું બધું સમૂહમાં બને છે ને પીડા વ્યક્તિએ ભોગવવાની થાય છે. લવસ્ટોરી સમૂહમાં ઉપસે છે, પણ પરિણામ અનિતા કે મારિયાએ ભોગવવાનું આવે છે.

એક દૃશ્ય છે, રાતનું. શાર્કસ અને જેટ્સ સામસામેથી ધસે છે ને કટ્ટરતા બતાવવા તેમના પડછાયા એકબીજામાં અનેક ભાલાની જેમ ઘૂસી જતા બતાવ્યા છે. આ બધું છતાં સ્પીલબર્ગની ફિલ્મ એ ઓછી જ છે, ફિલ્મમાં નબળું કૈં નથી, પણ સ્પીલબર્ગની શ્રેષ્ઠતા ઓછી પડે છે. કદાચ એટલે જ એમના તરફથી બીજી મ્યુઝિકલ ફિલ્મ આવી નથી. જો કે, તેમણે પોતાને બહુ રિપીટ કર્યા નથી એ પણ એક કારણ હોઈ શકે. જે તે સમય સંદર્ભને ધ્યાનમાં રાખીએ તો કોરિયોગ્રાફી નોંધપાત્ર છે. એવું જ મ્યુઝિક અને લિરિક્સનું પણ ખરું. Leonard Bernsteinનું મ્યુઝિક છે અને ગીતો Stephen Sondheimનાં છે. SOMEWHERE નામનાં ગીતની પંક્તિ જુઓ – SOMEWHERE THERE IS A PLACE FOR US … કહેવું તો એ છે કે આપણે માટે ક્યાં ય જગ્યા નથી, એટલે તો શરૂઆત SOMEWHEREથી થાય છે.

કોણ જાણે કેમ પણ આટલાં શિક્ષણ અને વિકાસ છતાં દુનિયા ભેદભાવ છોડી શકતી નથી, એ સાથે જ ઇમિગ્રન્ટ્સને જે તે દેશ ચલાવી શકતો નથી. મોટા માણસોમાં તો હોય, પણ યુવાનો પણ એ મામલે નફરતથી દૂર રહી શકતા નથી ને છતાં પ્રેમ તો કોઈ મર્યાદાઓને સ્વીકારતો નથી. એ ન થવો જોઈએ ત્યાં જ થાય છે. એને માટે જિંદગી ચૂકવવાની હોય તો તે કિંમત પણ ઓછી જ છે. કોઈ દેશ પ્રેમ વગર રહ્યો નથી ને સૌથી વધુ ભોગ પણ તેનો જ લેવાય છે. બધાંને બધું સમજાય છે, પણ લોહી રેડ્યા વગર પ્રેમ ભાગ્યે જ ટકે છે – એવો ધ્વનિ WEST SIDE STORYનો છે. વેસ્ટનો જ કેમ, તે ઈસ્ટ, નોર્થ કે સાઉથનો પણ ખરો જ ને !

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 જાન્યુઆરી 2025

Loading

...102030...280281282283...290300310...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved