Opinion Magazine
Number of visits: 9664036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધરપકડ માટે કારણભૂત બનેલી *પ્રો.અલી ખાન મહેમૂદાબાદની પોસ્ટ:*

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|20 May 2025

અલી ખાન મેહમૂદાબાદ

પાકિસ્તાનમાં લશ્કર અને આતંકવાદી (એટલે કે બિન-રાજ્ય કર્તાઓ) વચ્ચે વિલય પામતા રહેલા તફાવતના સંદર્ભમાં ભારતે વાસ્તવમાં વ્યૂહાત્મક રીતે નવા તબક્કાનો આરંભ કર્યો છે. હકીકતમાં કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ સામેનો પ્રતિભાવ પરંપરાગત ઉત્તરને જ આમંત્રે, અને તેથી તેની જવાબદારી પાકિસ્તાની લશ્કરની છે કે તે હવે આતંકવાદીઓ અને બિન-રાજ્ય કર્તાઓની પાછળ સંતાય નહીં. 

પાકિસ્તાન ઘણા લાંબા સમયથી લશ્કરીકૃત બિન-રાજ્ય કર્તાઓનો ઉપયોગ આ પ્રદેશને અસ્થિર કરવા માટે કરી રહ્યું છે અને છતાં તે આતંકવાદથી અસરગ્રસ્ત છે તેવું વૈશ્વિક મંચ પર દાવા સાથે કહે છે. તેણે એ જ લોકોનો ઉપયોગ પાકિસ્તાનમાં સંપ્રદાયવાદી તનાવ ઊભો કરવા માટે પણ કર્યો છે અને તેમાંના કેટલાક પર તાજેતરમાં હુમલા કરવામાં આવ્યા છે. 

ઓપરેશન સિંદૂર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના તમામ પ્રસ્થાપિત સિદ્ધાંતોને પુન: ગોઠવે છે, અને તે એમ કહે છે કે આતંકવાદી હુમલાનો જવાબ લશ્કરી પ્રતિભાવ તરીકે આપવામાં આવશે,  અને તે બે વચ્ચેના કોઈ પણ લવારિયા તફાવતને નેસ્તનાબૂદ કરે છે. 

આ તફાવત તૂટ્યો તેમ છતાં, ભારતના લશ્કર દ્વારા એની કાળજી લેવાઈ છે કે લશ્કરી કે નાગરિક મથકો પર કે માળખાગત સવલતો પર હુમલા ન થાય કે જેથી ખોટો બિન-જરૂરી ભડકો ન થાય. આમ, સંદેશ બહુ સ્પષ્ટ છે : જો તમે તમારે ત્યાંના આતંકવાદની સમસ્યા નહીં ઉકેલો તો અમે એ ઉકેલીશું! નાગરિકોની જિંદગીની નુકસાની બંને પક્ષે દુઃખદાયી છે અને તે જ એક મુખ્ય કારણ છે કે યુદ્ધ ટાળવું જોઈએ.

કેટલાક લોકો બેફામપણે યુદ્ધની વકીલાત કરે છે પરંતુ તેમણે કદી પણ સંઘર્ષનો પ્રદેશ જોયો હોતો જ નથી, ત્યાં રહેવાની કે તેની મુલાકાત લેવાની વાત તો સાવ જ બાજુ પર. મોક સિવિલ ડિફેન્સ ડ્રીલના ભાગ બનવાથી તમે સૈનિક નથી બની જતા અને તમે કદી એ જાણતા પણ નથી કે સંઘર્ષને કારણે જે સહન કરે છે એની શી પીડા હોય છે. યુદ્ધ ઘાતકી છે. ગરીબોને ખૂબ સહન કરવું પડે છે અને જેમને લાભ થાય છે તે છે રાજકારણીઓ અને શસ્ત્રો પેદા કરનારી કંપનીઓ. રાજકારણનું મૂળ મુખ્યત્વે હિંસા હોય છે તેથી યુદ્ધ અનિવાર્ય બની જાય છે, માનવજાતનો ઇતિહાસ તો કમ-સે-કમ આ જ શીખવે છે. આપણે એ સમજવું પડશે કે રાજકીય સંઘર્ષો ક્દી પણ લશ્કરી માર્ગે ઉકેલાયા નથી.

છેલ્લે, મને એ વાતની ખુશી છે કે ઘણા જમણેરી વિવેચકોએ પણ કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરી છે. પરંતુ તેમણે એટલા જ બુલંદ અવાજે એવી માગણી કરવી જોઈએ કે મોબ લિન્ચિંગ, સ્વચ્છંદી રીતે ચલાવાતાં બુલડોઝર અને ભા.જ.પ.ના નફરતનાં પીપૂડાંના અસરગ્રસ્તોનું પણ ભારતના નાગરિકો તરીકે રક્ષણ થાય. 

બે મહિલા સૈનિકોને લશ્કરની વાત કહેવા માટે રજૂ કરવાના દેખાડા મહત્ત્વના છે, પણ હકીકતમાં તે જમીની સ્તરે વાસ્તવિકતા બનવું જોઈએ, નહીં તો તે દંભ માત્ર બની રહે છે. જ્યારે અગ્રણી મુસ્લિમ રાજકારણીઓ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહે છે અને તેમને તેથી પાકિસ્તાનીઓ દ્વારા ટ્રોલ કરવામાં આવે છે; ત્યારે ભારતના જમણેરી વિવેચકો તેમનો એમ કહીને બચાવ કરે છે કે “એ તો અમારા મુલ્લા છે.” અલબત્ત, આ રમૂજી બાબત છે, પણ તે એ બાબત પ્રત્યે પણ ધ્યાન ખેંચે છે કે કોમવાદ ભારતના રાજકીય દેહમાં કેટલો ઊંડે સુધી ઘૂસી ગયો છે.

મારા માટે એ પત્રકાર પરિષદ એ તો એક ક્ષણિક આવેશ હતો, એ કદાચ પાકિસ્તાનનું નિર્માણ જેના પર થયું છે તે તર્કને નકારતો ભ્રમ પણ હતો અને અછડતો સંકેત પણ. મેં કહ્યું તે પ્રમાણે સામાન્ય મુસ્લિમો જેનો સામનો કરે છે તે જમીની સ્તરની વાસ્તવિકતા સરકાર જે બતાવવા માગે છે તેના કરતાં જુદી જ છે. પરંતુ તેની સાથે સાથે પત્રકાર પરિષદ એમ દર્શાવે છે કે ભારત તેની વિવિધતામાં એક છે અને તેની વિભાવના સાવ મારી પરવારી નથી.

જય હિન્દ 

*ઉપરોક્ત પોસ્ટ હરિયાણાની વિશ્વ વિખ્યાત અશોક યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના અધ્યાપક પ્રો. અલી ખાન મહેમૂદાબાદ દ્વારા FB પર જય હિન્દ અને રાષ્ટ્રધ્વજ સાથે તા. ૦૮-૦૫-૨૦૨૫ના રોજ મૂકાઈ હતી અને તેમના પર FIR કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.*

*હું આ ધરપકડનો સખત વિરોધ કરું છે કારણ કે તે બંધારણમાં લખવામાં આવેલા વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારના ભંગ સમાન છે.* 

હું મારા એ જ અધિકારનો ઉપયોગ કરીને એ પોસ્ટનો અનુવાદ ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત કરું છું. 

તા. ૧૯-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મને જવા દો

આશા વીરેંદ્ર|Opinion - Short Stories|20 May 2025

રથિનનાં માતા-પિતાને શહેરની મોટામાં મોટી અને મોંઘામાં મોંઘી શાળામાં પોતાના એકના એક દીકરાને ભણાવવાની હોંશ હતી. રથિન આ શાળામાં ભણે છે એમ તેઓ સૌને ગર્વભેર કહેતાં, પણ રથિન ખુશ નહોતો. શાળામાં શિસ્તને નામે કરવામાં આવતી કડકાઈ, પરાણે થોપવામાં આવતા નિયમો અને બોર્ડમાં શાળાનું સો ટકા પરિણામ આવે એ માટે વિદ્યાર્થીઓ સાથે થતી સખતાઈથી એ ત્રાસી જતો. પણ મા-બાપ જ સાંભળવા નહોતાં માગતાં ત્યાં બીજા કોને ફરિયાદ કરે?

“તમે હવે નવમા ધોરણમાં આવ્યા છો. આ વર્ષે જો ઊંધું ઘાલીને મહેનત નહીં કરો તો બોર્ડની પરીક્ષામાં શું ઉકાળશો?” ગણિતના શિક્ષક કહેતા.

“બીજું બધું હવે ભૂલી જવાનું. અર્જુને જેમ પક્ષીની આંખ પર જ નજર રાખી હતી તેમ તમારું પૂરું ધ્યાન દસમાની પરીક્ષા પર જ હોવું જોઈએ.” – અંગ્રેજીના શિક્ષકની શિખામણ.

નવમા ધોરણની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ. આજે બંને ભારે વિષયો – ગણિત અને વિજ્ઞાનનાં ત્રણ ત્રણ કલાકનાં પેપર હતાં. ભલે નવમાની પરીક્ષા હતી પણ શાળાનું વાતાવરણ એવું ભારેખમ હતું કે, જાણે વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં નહીં પણ યુદ્ધભૂમિ પર જતા હોય. બોર્ડની પરીક્ષા કેવી રીતે લેવાશે એનો વિદ્યાર્થીઓને ખ્યાલ આપવા બહારથી સુપરવાઈઝરને બોલાવવામાં આવેલા, જે હંમેશાં સખત ચહેરો રાખીને ફરતા. પહેલો બેલ પડી જાય પછી શાળાનો મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવશે. મોડા આવનારને પરીક્ષામાં બેસવા નહીં મળે એવો સરક્યુલર અઠવાડિયા પહેલાં આવી ગયેલો.

પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ બરાબર આજે જ રથિનની સાઈકલમાં પંચર પડ્યું. કોઈ ઓળખીતાની દુકાને સાઈકલ મૂકીને પસીનાથી રેબઝેબ થતો એ પહોંચ્યો ત્યારે દરવાન ગેટ બંધ કરી રહ્યો હતો. એને હાથ જોડીને વિનંતી કરી ત્યારે માંડ અંદર આવવા દીધો.

“કેમ, અત્યારથી જ પરસેવો છૂટવા માંડ્યો? છેલ્લી ઘડી સુધી રખડી ખાઈએ તો આવું જ થાય.” ઉત્તરવહી આપતાં સુપરવાઈઝરે વ્યંગમાં હસીને કહ્યું. રથિનને લાગ્યું કે, જાણે પોતાને કંઈ આવડતું જ નથી. એ પરીક્ષામાં કંઈ લખી નહીં શકે, પણ એ બે મિનિટ આંખો બંધ કરીને બેઠો, મન શાંત કર્યું પછી પ્રશ્નપત્ર જોયું ત્યારે થયું કે, ના, ઘણું આવડે છે. એણે સડસડાટ દાખલા ઉકેલવા માંડ્યા, પણ હજી તો માંડ દોઢ કલાક પૂરો થયો ત્યાં સાહેબની રનીંગ કોમેંટ્રી ચાલુ થઈ.

“હવે માત્ર દોઢ કલાક જ બાકી છે. એક વાગ્યા પછી એક મિનિટ પણ વધારે નહીં મળે.”

વિદ્યાર્થીઓ જેમતેમ ધ્યાન કેંદ્રિત કરવા જાય ત્યાં વળી બીજી સૂચના.

“છેલ્લી ઘડીએ કહેશો કે, સપ્લીમેંટ્રી બાંધવાની રહી ગઈ તો નહીં ચાલે. પેપર પૂરું થવાનો બેલ વાગે એટલે તરત મને પેપર આપી દેવાનું.”

એમની તાકીદ મુજબ રથિને એક વાગવામાં બે મિનિટ બાકી હતી ત્યાં જ પોતાનું પેપર આપી દીધું. રિસેસમાં દોસ્તો એક જ વાત કરતા હતા,

“યાર, સાહેબ કેટલું બોલતા હતા! માંડ માંડ પેપર પૂરું કર્યું. અત્યારે બીજા કોઈ સુપરવાઈઝર આવે તો સારું!”

થોડુંઘણું ખાઈને ક્લાસમાં ગયા તો એ જ સાહેબ સત્કાર કરવા બારણામાં ઊભા હતા. રથિન હજી તો વર્ગમાં દાખલ થવા જાય ત્યાં એમણે એને રોક્યો. “ક્યાં છે તારી ગણિતની ઉત્તરવહી? મારી સાથે જરા પણ ચાલાકી કરી તો તારી વાત તું જાણજે.”

“સાહેબ, મારું પેપર મેં તમારા હાથમાં જ તો આપેલું.”

“એમ? બહુ સ્માર્ટ બનવા જાય છે? યાદ રાખજે આ પેપર પતે ત્યાં સુધીમાં તારો ગુનો નહીં કબૂલે તો તને ફેલ કરવામાં આવશે.”

રથિને જેમતેમ કરીને વિજ્ઞાનના પેપર પર ધ્યાન આપવાની કોશિશ કરી, પણ વાત પ્રિંસિપલ સાહેબ સુધી પહોંચી હતી અને એમણે સુપરવાઈઝરને ઠપકો આપતાં કહ્યું હતું કે, “તમારી લાપરવાહીને કારણે આમ બન્યું એ માટે તમે જવાબદાર છો. મને કોઈ પણ હિસાબે બધાં પેપર જોઈએ.”

સુપરવાઈઝરના મગજ પર ખુન્નસ સવાર થઈ ગયું હતું, ‘આ છોકરો સમજે છે શું પોતાની જાતને? એને સીધો કરવો પડશે.’

વિજ્ઞાનનું પેપર પત્યું ને બધા વિદ્યાર્થીઓ નીકળી ગયા પછી એ રથિનને ખેંચીને બાજુના રૂમમાં લઈ ગયા. એમને ડર હતો કે, રખેને પ્રિંસિપલ ખૂટતા પેપરની તપાસ કરવા આ વર્ગમાં ન આવી જાય! બીજા રૂમમાં લઈ જઈને એમણે રથિન સામે એક ઉત્તરવહી મૂકીને કહ્યું, “ચાલ, ગણિતનું પેપર લખવા માંડ!”

અત્યાર સુધીમાં રથિન તન-મનથી એવો તો નિચોવાઈ ગયો હતો કે, એને સમજાયું જ નહીં કે એણે શા માટે અને શું કરવાનું છે? એણે ધીમેથી કહ્યું, “સાહેબ, હું ખૂબ થાકી ગયો છું અને મને સખત ભૂખ પણ લાગી છે. પેપર તો શું, હું એક અક્ષર પણ નહીં લખી શકું.”

એના મોંમાં પાર્લે જી બિસ્કીટ ઠોસતાં એમણે કહ્યું, “ચાલ, હવે નખરાં કર્યા વિના લખવા માંડ.”

બરાબર એ જ સમયે પ્રિંસિપલ પરીક્ષા ખંડમાં પહોંચ્યા અને પ્યુનને બોલાવીને કહ્યું, “આજે આ રૂમની સફાઈ નથી કરી? ખૂણામાં કાગળિયાનો આટલો ઢગલો કેમ પડ્યો છે? ચાલ, હમણાં ને હમણાં સાફ કર!”

પ્યુને કાગળો તરફ નજર કરીને કહ્યું કે, “સાહેબ, આ તો પાછલી પરીક્ષાનાં નકામાં પેપરો લાગે છે.”

“લાવ જોઉં!” એમણે ઝીણી નજરે જોતાં કહ્યું, “અરે, પણ આ પેપર પર તો આજની તારીખ અને ગણિતનો વિષય લખેલો છે. પરીક્ષાર્થીનું નામ રથિન વોરા લખેલું છે. આ તો પેલા વિદ્યાર્થીનું જ પેપર! ક્યાં ગયા સુપરવાઈઝર સાહેબ?” ગુસ્સાથી ધમધમતા એ વર્ગમાંથી નીકળીને જવા ગયા ત્યારે બાજુના વર્ગમાં જે દૃશ્ય દેખાયું એ જોઈને એમના પગ થંભી ગયા. સુપરવાઈઝર રથિનનું માથું પકડીને, હાથમાં પેન પકડાવીને જબરદસ્તીથી પેપર લખાવવાની મહેનત કરતા હતા અને રથિન આજીજી કરતો હતો, “હું પેપર નહીં લખી શકું સાહેબ, મને જવા દો!”

ધીમા પગલે ત્યાં જઈને પ્રિંસિપલે રથિનને જવા માટે ઈશારો કર્યો અને સુપરવાઈઝરને કહ્યું, “સાહેબ, આ જ પેપર નહોતું મળતું ને? તમારા વર્ગના ખૂણામાંથી એ મળી ગયું છે ને હવે કાલથી તમારે આવવાની જરૂર નથી.”

(શિવનારાયણની કન્નડ વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઍપ્રિલ 2025; પૃ. 24  

Loading

તિલોર

ભદ્રા વિક્રમ સવાઈ|Opinion - Opinion|20 May 2025

પુસ્તક પરિચય –

ધ્રુવભાઈ ભટ્ટ સમયાંતરે તેમની કથાઓ પુસ્તક સ્વરૂપે આપતા રહ્યા છે. એ બીબાઢાળ નથી. દરેકે દરેકમાં એક આગવું પોત હોય છે. એ જ નીખરી આવતું હોય છે. અમે પ્રથમથી જ એમના ચાહક-ભાવક રહ્યા છીએ. આથી અમે એમની પુસ્તક-પ્રસાદીની વાટમાં જ હંમેશ રહેતા હોઈએ છીએ.

હજી હમણાં જ, તાજેતરમાં ‘તિલોર’ નામે – શીર્ષકથી પ્રકાશિત થયું છે. ધ્રુવભાઈ ક્યારેક એમનાં પુસ્તકોના શીર્ષકની છણાવટ પણ કરતા હોય છે. ‘તિલોર’ નામથી અમે એકદમ અજાણ હતા. એટલે ‘તિલોર’ શું? આથી તરત જ પુસ્તક ખોલ્યું. ત્યારે ખબર પડી કે આ એક કચ્છમાં વસવાટ કરતા પક્ષીનું નામ છે. પુસ્તકનો ઉઘાડ જ હૃદયસ્પર્શી છે. લેખક પક્ષી સાથે વાતચીત કરતા પૂછે છે, તારું નામ શું ? ‘તિલોર’ તેણે કહ્યું. નિશાળમાં ભણતી વખતે મેં કોઈ શબ્દકોશમાં ટિલોર શબ્દ વાંચ્યો હતો.

‘તમે બીજું બોલ્યા તે હશે. અમે તમારા જેટલું સરસ રીતે બોલી નથી શકતા.’ પેલાએ કહ્યું, અને ઉમેર્યું, ‘અને તિલોર પણ મારા એકલાનું નામ નથી. તમારી યાદી પ્રમાણે તો અમે અમારો આખો વંશ તિલોર કહેવાઈએ.’

‘આ વળી નવું’ મેં કહ્યું. કોઈ પોતાના અંગત નામ વગરનું પણ હોઈ શકે એ નવાઈ કહેવાય. જ્યારે આપણે બધા જ મનુષ્યો નામથી તો ઓળખાઈએ પણ સાથે સાથે કેટલાંક વિશેષણો પણ જોડી દઈએ. નિયામક, મંત્રી, પ્રમુખ, ટ્રસ્ટી, ડૉ. (પીએચ.ડી.) – એવા ભાતભાતના અને જાતજાતના. આપણી ઓળખ એ આપણો છૂપો અહંકાર છે. એ વાત એટલી સહજ રીતે મૂકી છે કે આપણે વારી જઈએ.

આ જ વાત આગળ વધારતાં લેખક લખે છે, ‘હા, તારુંયે કોઈ નામ હોવું જોઈએ, હશે પણ ખરું પણ….’ ‘બસ આથી વધુ કોઈ કંઈ કહી શકતું નથી.’ હું બોલ્યો, ‘કુટુંબમાં કે સગાં-સંબંધીઓને, કોઈને તારા નામની ખબર ન હોય તે બહુ નવાઈ કહેવાય.’ ‘હા નવાઈ તો કહેવાય. પણ કોઈને તમે જેને કુટુંબ કહો છો તે ન હોય અને સગાં પણ બહુ જ થોડાં બચ્યાં હોય, ત્યારે કોઈને એકબીજાનાં નામ ન આવડે તો તે નવાઈ નહીં કહેવાતી હોય.’ આ જાતનાં પક્ષીઓ વિલુપ્ત થતાં જાય છે એના સંદર્ભમાં કહેવાઈ છે. ત્યારે લેખક વ્યથા વ્યક્ત કરતાં લખે છે, ‘હું શું કરું ? છાતી ફાટી જાય તેવા ઉત્તરો મળે અને તરત બીજો એવો જ પ્રશ્ન પણ પુછાય ત્યારે શું કરવું તેની ફરજ ભાગ્યે જ કોઈને હોય છે.’

પક્ષી સાથેના સંવાદ-વાતો ખૂબ મઝાનાં છે. આડકતરા ઈશારાઓ પણ છે, જે આપણે પકડવાના છે. પક્ષીઓની સાથે વાત કરતાં કરતાં તેમના અવાજને-ઉચ્ચારણને પકડી તેમનાં નામોની જે કલ્પના કરી છે એ અદ્ભુત છે. ‘અમે જન્મ્યા ત્યારે મા નજીક નહોતી, પણ કોઈ જોરથી બોલતું સંભળાયેલું, ‘યશ ક્લીક, જલદી કર યશ.’ એટલે અમે એક બચ્ચાનું નામ ‘યશ’ અને મારું નામ ‘ક્લીક’ એમ સમજેલાં. એવી જ રીતે બીજી જાતનાં પક્ષી ઘોરાડનાં બચ્ચાંનાં નામ પડેલાં. કોઈક બોલ્યું, ‘સૉ ક્યુટ’ એટલે એકનું નામ ‘સૉ’ અને બીજાનું ‘ક્યુટ’. ધ્રુવભાઈ લખે છે, ‘મેં સોઓઓ ક્યુઉઉટ પૂરા ભાવથી અને લહેકાથી બોલાતું હશે તેની કલ્પના કરી.’

આ પુસ્તકમાંની ઘણી બધી વાતો એકબીજા સાથે સંકળાયેલી છે. માનવતાની મહેક દરેકમાંથી ડોકાય છે જેમ કે ગંગાબા, કે રમીમા, આસ્કાના વગેરે સ્ત્રી પાત્રોમાં. સૌમાં અરસપરસ મદદ કરવાની સહજતા નજરે પડે છે. લેખકની એક વિશિષ્ટતા રહી છે કે એમની કથાઓમાં સ્ત્રી-પાત્રો એક આગવી રીતે તરી આવતાં હોય છે. એવું જ કંઈક આ પુસ્તકમાં પણ છે. રમીમા ગામમાં રહેતી બધી જ જિંદગીઓને સરળતાથી ઓળખતાં, પાસે આવવા દેતાં, સ્વીકારતાં અને તે જિંદગીઓની સમસ્યાને ઉકેલવા મદદ કરતાં. સૌ પ્રથમ પોતાની સમસ્યાને ઉકેલી. પરાણે વૃદ્ધ પુરુષ સાથે પરણી. તેના ત્રણ દીકરા સાથે. પરણી કે તરત જ બધાને લઈને, બીજા એક ગામમાં જઈને પોતાની જિંદગી કાળી મજૂરી સાથે જોડી દીધી. કડિયા-મજૂર તરીકે જ જીવ્યાં. ધીમે ધીમે ગામની સ્ત્રીઓને પણ એ જ કામમાં નિપુણ બનાવી પૈસા રળતી કરી. બચત કરતાં શીખવ્યું. કથાનાયકે જે બેંક ખોલી હતી તેમાં સૌનાં ખાતાં પણ ખોલાવ્યાં. સ્વનિર્ભર બનાવી. આપણે ત્યાં પહેલેથી જ સ્ત્રી સશક્તિકરણ હતું. માત્ર મહિલા દિવસ ન ઉજવાતો.

કથામાં કેટલાક સરસ પ્રસંગો છે, એ આપણે માણીએ. એક વાર લેખક મધ્યરાત્રીએ પોતાની મોટરસાઈકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા. ‘એકાદ રાતપંખી પણ પસાર થતાં બોલ્યું, “હવે તમે પણ રાત-વરત અહીં ફરતા થઈ ગયા ? પાછા આખાં વન ગજવતાં ફરો છો. તમને લોકોને ઘોંઘાટ સાંભળ્યા વગર ચાલતું જ નથી કે શું ?” જવાબ આપ્યા વગર કથાનાયકે મોટર સાઈકલ બંધ કરી અને ધકેલતા આગળ વધ્યા. આમ વાતનો મર્મ પકડી, આચરણમાં મૂક્યું. આ થીંક ઑફ અધર્સ ‘બીજાના વિચારની વાત’ સલૂકાઈથી સાંભળી સરકી જાય છે. જતાં જતાં પણ હેણોતરા (એક જાતનું પશુ) પાસેથી પસાર થતાં સાંભળવું પડ્યું કે, “પહેલાં ચોક્કસ શિકારી કે ચોર લોકો જ રાતે આવતા. હવે તમે ય આવતા-જતા થઈ ગયા. પાછા આખા જંગલને બીવરાવતા ફરો છો.” આ આખી વાત-સંવાદ એવો રમણીય છે કે આપણે આફરીન થઈ જઈએ. આ પુસ્તકમાં લેખક-પક્ષી-પશુ સખ્ય સંવાદ જ વિશેષ છે. આધુનિકતાના નામે આપણે જે વિકાસ ભણી દોટ મૂકી રહ્યા છીએ, એ અભિશાપ છે કે આશીર્વાદ એ નક્કી કરવાનો સમય આવી પૂગ્યો છે એમ જરૂર કહી શકાય.

આવો એક બીજો પ્રસંગ જાણીએ. લેખકને, બેંક કર્મચારી હોવાથી ઝાડ-વૃક્ષો વાવવાનું ફરમાન થાય છે. એ માટે સૌની સાથે એ અંગે વાત કરે છે, એનું મહત્ત્વ સમજાવે છે. ઝાડ-વૃક્ષો જમીન પર રોપાવાં જ જોઈએ. ત્યારે ત્યાંનો સ્થાનિક એક અભણ માણસ કહે છે, “ઝાડ વાવો કે ગમે તે કરો. આ તો સરકારની માલિકીની વાત કરી, તો સરકાર બનાવનાર તો આપણે ને ! રાજા કે સરકાર માણસોએ કેમ રે’વું, કેમ નૈ એના કાયદા ભલે નક્કી કરે પણ ધરતીએ કેમ રે’વું એ સરકાર થોડી નક્કી કરે ? સરકાર જમીનને વતાવે જ શું કામ ? જમીન ક્યાં મત આપવા ગઈ’તી ?” લેખકનું મનોમંથન ચાલે છે અને સ્વગત બોલે છે કે “આદિકાળથી આજ સુધી અનુત્તર રહેલી આ પરિસ્થિતિએ પૃથ્વીને અને તેના પર પાંગરેલા તૃણથી લઈને મનુષ્ય સુધીના તમામ સજીવોને અતિ, અતિ, અતિ વિષમ પરિસ્થિતિમાં મૂકી દીધો છે. ફરી પાછો પેલા અભણનો બડબડાટ સંભળાયો કે ‘જમીનુંને જેમ ફાવે તેમ રગડાવો, પણ યાદ રાખજો, ધરતી તો મા છે. એના ખોળામાં રે’વાય. એને ગમે તેમ રગડાય નૈ. કો’ક દી શ્રાપ દઈ બેસે ત્યારે ભારે પડી જાશે.’ આવો જ એક અનન્ય પ્રસંગ છે. એક રબારીની ભેંસ ખોવાઈ અને મળતી નથી. મુસલમાન બહેનને તે મળી. ભેંસ તો મરી ગઈ પણ તેનું બચ્ચું અદ્દલ તેની મા જેવું છે. એટલે મા નહીં તો તેનું બચ્ચું પરત કરવા જાય છે ત્યારે તે વખતનો વાર્તાલાપ હલાવી નાંખે તેવો છે. બંને પક્ષે હૃદયની વત્સલતા, માનવતા, સમજણની ઊંચાઈ નવાઈ પમાડે તેવી છે. આંખોમાં આંસુ ઊભરાઈ આવે તેવી છે. મનના મોટપની વાત સ્પર્શી જાય તેવી છે.

કથાનાયક બેંક સાથે જોડાયેલા છે. એટલે કચ્છમાં વસતી જત કોમના માલધારીઓ માટેનાં કેટલાંક કામો માટે જવાનું બન્યું. “રસ્તામાં બબ્બુએ રોકાવા કહ્યું. કહે, ‘લ્યો માંક જીભે મૂકો.’ પાંદ પર ઝીલાયેલી ‘માંક’ ઝાકળનો સ્વાદ માણ્યો. ન ચાખેલો એક મંદ, નવતર સ્વાદ, એ અજાણી મધુર સુગંધ, હવા, એ ઝાકળનો સ્પર્શ, જીવનભર જોયા જ કરીએ તેવો ધૂમિલ દૃશ્યોને હળુહળુ ઉઘાડતો જતો ઝાકળભીનો પ્રકાશ, કુદરત કેટલાંક દૃશ્યો, કેટલાક સ્પર્શો, કેટલીક સુગંધ, કેટલાક સ્વર અને કેટલાક સ્વાદ એવી રીતે રજૂ કરે છે કે આપણે તેને ઓળખી નથી શકતા, નથી તેને કોઈ નામ આપી શકાતું. ન તો ‘હું’ અને ‘તે’ એવું સ્પષ્ટ દર્શાવી શકાતું. આપણાથી તેમાં ભળી જવા સિવાય કશું થઈ શકતું નથી !” આ માણેલું વર્ણન આપણને સ્પર્શે તો ખરું જ પણ સાથેસાથે ભીંજવી જાય તેવું છે.

આવી જ વાતો ઊંટોને પણ છે. કાદવ વિસ્તારમાંથી પસાર થવાની અને કાદવમાં ફસાયેલા ઊંટને કાદવમાંથી કેવી રીતે બહાર કાઢવું તેની. સહિયારા પ્રયાસોથી આફતોને ઓળંગે છે તેની રોચક કથાઓ – પ્રસંગો છે. જત-ઊંટ એક જ તત્ત્વે સ્થિત છે. બંને એકબીજાથી એવા સંબંધિત છે કે એ સંબંધનું નામકરણ અશક્ય છે. એક-બીજાના સુખે-સુખી અને દુ:ખે દુ:ખી એવા અરસપરસ આશ્રિત છે. સાવલાપીર ફકીરાણી જત લોકોના પીર છે. એમનાં જે વચનો છે એનાથી જત લોકો બંધાયેલા છે. એ પણ સમજવા જેવું છે.

અભણના મુખેથી વિભાજનની વાત કહેવાઈ છે તે હૃદયને હલબલાવનારી છે. ઈબલાના મુખેથી જ સાંભળીએ : “જન્મથી તેની ઉંમરનાં સાઠ વરસ સુધી ઈબલો અને તેનાં ઊંટ, બકરાં-ઘેટાં કચ્છથી આ તરફ છેક બંગાળના છેડે અને આ તરફ સિંધ વીંધતાં બલોચ અને અફઘાન કબીલાઓમાં નિરાંતે જઈ શકતાં. ૧૯૪૭ના વરસાદી દિવસોમાં એક રાતે ન જાણે શું બન્યું કે આ બધાને કચ્છીભૂમિ વળોટવાની મનાઈ થઈ ગઈ. ‘રાતે સૂતા સુધી બેહદમાં હતાં સવારે જાગતાં પહેલાં તો હદમાં આવી ગયાં.’

“સંસ્કૃતિઓનાં આદાન-પ્રદાન અટકી પડ્યાં. આનંદના કે દર્દભર્યાં ગીતોની આપ-લે અટકી ગઈ, કહેવતો અને રહસ્યકથાઓ વિસરાવા માંડ્યાં. સરળ અધ્યાત્મની રેશમ-દોરી ક્યાંક ગંઠાઈ ગઈ. સાહિત્ય અને સંગીતના લય પણ બે ભાગમાં વહેંચાઈ ગયાં. મારા જેવાને એ ક્યારે ય નથી સમજાવાનું કે અનહદને હદ લાગી જાય એટલે શું ?”

આ વિભાજન અંગે, તેની વીતક-વ્યથા અંગે ખૂબ ખૂબ લખાયું છે. પણ જે શબ્દો થકી, ટૂંકાણમાં, સારગર્ભથી આ લખાયું છે તે નોખું – અનોખું છે એમ અમને લાગે છે. આ આખી કથા કચ્છની પૃષ્ઠભૂમિમાં લખાઈ છે. લેખકની દરેક કથામાં એક વિશેષતા સદા ય રહી છે કે જે પ્રદેશની વાત કરવાની હોય તે પ્રદેશને પોતાનો કરી દે છે. જરૂરી સમય એક યાત્રિક તરીકે રહી, ત્યાંનું લોકજીવન, પરિવેશ, રહેણી-કરણી, બોલાતી બોલી એમ સઘળું આત્મસાત્ કરે છે. માત્ર કલ્પનો જ નથી હોતાં પણ સત્ય અને કલ્પનોને લઈને એક સર્વાંગ સુંદર સાયુજ્ય રચાય છે. જે વાચકને ગ્રસી લે છે. ક્યારેક તો આપણને એવું જ લાગે કે આ સત્યઘટના છે.

પુસ્તકનો ઉઘાડ જેટલો સુંદર છે એટલો જ અંત પણ સુંદર છે. કથાનાયક બેંકમાંથી રાજીનામું આપે છે. વતન જવા નોકરી છોડે છે. એટલે વિદાયવેળાએ સૌને હાય-હેલ્લો કરવા નીકળે છે. સોહનચીડિયા (પક્ષી) મળે છે ને પૂછે છે, “બોલો બોલો તમારાં નામ તો કહો. લોકો તમને જોઈને શું બોલે છે તે જાણું તો ખરો !” ‘મારું નામ’…. એક સોહનચીડિયા બોલી ‘પરહેપ્સ’ (perhaps) કદાચ. લાસ્ટવન (last one) છેલ્લી એક માત્ર.

કવિ-લેખક ધ્રુવભાઈને સો-સો સલામ. ગૂર્જર ગ્રંથરત્નને પણ આવા પ્રકાશન બદલ અભિનંદન.

પ્રાપ્તિસ્થાન  : ગૂર્જર સાહિત્ય ભવન, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧.

ફોન  : ૦૭૯-૨૨૧૪૪૬૬૩, ૦૯૨૨૭૦૫૫૭૭૭

સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઍપ્રિલ 2025; પૃ. 18-19  

Loading

...102030...280281282283...290300310...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved