Opinion Magazine
Number of visits: 9577301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુખનું સરનામું આપો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|23 May 2019

હૈયાને દરબાર

સુહાના સફર ઔર યે મૌસમ હસીં, હમેં ડર હૈ હમ ખો ન જાયેં કહીં …! મુંબઈથી હજારો કિલોમીટર દૂર એવા એક રમણીય પ્રદેશની નશીલી, મદીલી, મસ્તીલી રાહ પર અમે ઝૂમી રહ્યાં છીએ. અત્યાર સુધી જે નામો પરગ્રહનાં લાગતાં હતાં એ ઝાગ્રેબ, સ્પ્લીટ, ડુબ્રોવ્નિક, બોલ અને બ્રાક આ સાત દિવસમાં એવાં પોતીકાં થઈ ગયાં છે કે જાણે અહીંનો અફાટ વિસ્તરેલો દરિયો સ્વજન હોય એવો વહાલો લાગે છે. જલની આટલી બધી રંગછટાઓ, ગતિ-રીતિ અને મૂડ હોઈ શકે એ આ દરિયાઈ ડેસ્ટિનેશન પર અનુભવી રહ્યાં છીએ. છેલ્લાં ત્રણેક વર્ષથી જે ડ્રીમ ડેસ્ટિનેશનની કલ્પના કરી હતી એ દુનિયાના સેક્સીએસ્ટ, જાદૂઈ દરિયાઈ પ્રદેશ ક્રોએશિયાની ધરતી પર અમે વિહરી રહ્યાં છીએ. શું અદ્ભુત નજારો છે નજર સામે! સમુદ્રનું સ્ફટિક જેવું નીલરંગી નિતર્યું જળ, એક ટાપુ પરથી બીજાં ટાપુ પર વિહરતી નાની નાની નૌકાઓ, લહેરો પરથી પસાર થઈને આવતી, મનને તરબતર કરતી તાજી હવા અને ટમટમતી રોશનીથી ઝબૂકતી ઢળતી સાંજની રંગીનિયત. હૈયાનો દરબાર ભરવા માટે આનાથી ઉત્તમ વાતાવરણ કયું હોઈ શકે? સંગીત અને સફર એકબીજાનાં પૂરક છે. સંગીત સાથે હોય તો સફરની મજા બેવડાઇ જાય.

પ્રવાસ આપણે કેમ કરીએ છીએ? કંઈક નવું જોવા, જાણવા અને પામવાની ઝંખનામાં?

વર્તમાનથી મુક્ત થવા? એકધારી, બોરિંગ જિંદગીમાં બ્રેક લેવા કે પછી કોઈ સુખનાં સરનામાંની શોધમાં? એ જે હોય તે, પણ ફરવું આપણને ગમે છે. ગમા-અણગમા, રાગ-દ્વેષ, પાપ-પુણ્ય કે જાહેર-અંગત આ સઘળું ત્યજીને એક તાજી હવાનો શ્વાસ લેવાની વૃત્તિ પ્રબળ બને ત્યારે પ્રવાસ શક્ય બને છે. ટ્રાવેલ ઇઝ લાઈક અ મેડિટેશન. એ છે આત્મખોજ. પ્રવાસ એટલે મુક્તિની દિશામાં પહેલું કદમ. રોજિંદી ઘટમાળ અને સાંસારિક જંજાળમાંથી મુક્ત થવા કુદરતી વાતાવરણ આપણને આપણી આંતરિક દુનિયામાં ડૂબકી મારવાની તક આપે છે. આ ઈન્ટરોસ્પેકશન કરતી વખતે ઉષ્માભર્યું એકાંત, માફકસરની આદ્રતા અને હ્રદયમાં ચપટીભર આનંદ હોય ત્યારે સુખ અસીમ વિસ્તરતું લાગે. એમાં સંગીતનો સાથ ભળે પછી તો પૂછવું જ શું? વિચારોની સાથે સંગીત લગભગ સમાંતર ચાલતું હોય છે મારા મનમાં. તેથી જ દરેક સફર સાથે કોઈક ગીત આપોઆપ સંકળાઈ જાય છે.

વિદેશના આ દરિયા કિનારે આત્મમંથન કરતાં ‘સુખ’ વિશે જાતજાતના વિચારો આવી રહ્યા છે. સુખ એ આમ તો એક મધુર ભ્રમણાથી વિશેષ કંઇ નથી. રમેશ પારેખનું ‘સુખ’ નામનું કાવ્ય તમે વાંચ્યું હશે તો ખબર હશે જ. આપણાં જાણીતાં કલાકાર મીનળ પટેલે અભિનય દ્વારા પ્રખ્યાત કરેલી ‘સુખ’ નામની એ કવિતામાં ભ્રામક સુખ વિશેની વાત બહુ સચોટ વર્ણવી છે. કવિ કાવ્યના જ અંતિમ ભાગમાં લખે છે કે ;

મૂળે ખુસાલિયાને ગોતવું’તું સુખ,
જોવું’તું નજરોનજર.
પછી પારકું હોય કે પોતાનું – પણ સુખ.
ઈ અડબાઉને એમ કે ચોપડિયું’માં લખ્યું હોય ઈ બધું સાચું જ હોય.
સુખનાં ઝાડવાં ફિલમુમાં ઊગે
સુખના ફુવારા કવિતામાં ઊડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને બસ એમ જ થઇ ગ્યું કે સુખ હોય.
દીકરો અહીંયા જ થાપ ખાઈ ગ્યો …
એને એમ કે
સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય જ !
ટપુભાઈ ને તરવેણીબેનની જેમ
સુખે ય આપડે ત્યાં આવે …
અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું ?
આપણે તો જાણીએ, ચંદુભાઈ કે
સસલાને સિંગડા હોય તો
માણસને સુખ હોય.
ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ
ચોપડિયું વાંચીએ
પણ ખુસાલિયા, સુખો માટે આવી ખોતરપટ્ટી?
જે નથી એને માટે આવો રઘવાટ?
અભણ હતો, સાલો.
જે વાંચવું જોઈએ ઈ વાંચ્યું નહીં.
નવલકથાયું નહીં, ઇતિહાસ.
પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે ?
એમાં છે ચપટી ય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઈ પાને?
આપડા આ ખુસાલિયાનાં હાથ
જેને જેને અડે ઈ પદારથ દુ:ખ થઇ જાય –
એક દિવસ ખુસાલિયો
પોતાનાં સપનાંને અડ્યો’તો !
ત્યારથી છે આવી દિમાગને ચાટી જાતી બળતરાઉ !
પણ હાળો, મરસે !
સુખ નથી આઠે ય બ્રહ્માંડમાં.
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઈ જાણતો નથી
ઈ જ એનું સુખ !
આપડે સું, મરસે, હાળો –
આપડને તો એના વધ વધ થતા હાથની દયા આવે,
આવે કે નહીં, ચંદુભાઈ?

આ ચોટદાર કવિતા અમદાવાદની સુપ્રસિદ્ધ સંગીત ત્રિપુટી શ્યામલ-સૌમિલ-આરતી મુનશીને સ્પર્શી ગઈ. એમાંથી સર્જાયું આ લોકપ્રિય ગીત, સુખનું સરનામું આપો.

"દર બે મહિને અમે જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ. દર બે મહિને નવી થીમ સાથે કાર્યક્રમ કરવો એ અમારે માટે ચેલેન્જ જ છે છતાં ઘણાં વર્ષોથી આ ઉપક્રમ ચાલે છે. એ રીતે એક વખત અમે એવો થીમ નક્કી કર્યો હતો જેમાં એક વાર્તા, એક વિષય અને એક ગીત, એ પ્રમાણે આખો કાર્યક્રમ ઘડાયો. આ થીમનો હેતુ એ હતો કે સામાન્ય રીતે શ્રોતાઓ ગીતના શબ્દો સાંભળે, સંગીતની ચમત્કૃતિને માણે પણ એના ભાવવિશ્વમાં ડૂબકી મારવી એના માટે થોડી મુશ્કેલ હોય કારણ કે એ માટે એણે ગીત વારંવાર સાંભળવું પડે તો જ એ ગીતના ભાવવિશ્વમાં પ્રવેશી શકે. તેથી આ કાર્યક્રમમાં અમે નાની નાની વાર્તાઓ લેવાનું નક્કી કર્યું. અવાજના માલિક એવા જાણીતા રેડિયો જોકીઝને નિમંત્રણ આપી આ વાર્તાઓનું પઠન, એના ચિંતનનું નરેશન અને પછી ગાયન રજૂ કરવાની થીમ નક્કી થઈ. આમ કથન, મનન અને ગાયન પર આધારિત કાર્યક્રમનું આયોજન કર્યું.

આ કાર્યક્રમમાં રમેશ પારેખની લાજવાબ કૃતિ ‘સુખ’નું પઠન થયું ત્યારે એને અનુરૂપ ગીત કયું લેવું તે તરત મળ્યું નહીં. શ્યામલ મુનશીએ તેથી તાત્કાલિક આ ‘સુખનું સરનામું’ ગીત લખી કાઢ્યું જેમાં સુખનું સરનામું તો છે જ નહીં, પરંતુ એક પ્રશ્ન તરતો મુકાયો છે કે સુખ ખરેખર છે કે નહીં? છે તો એ ક્યાં છે? કયું સુખ છે? પોતાનો પરિવાર? પોતાનું ઘર? પ્રિયજનો? પોતાનો દેશ-પરદેશ? આસમાન સુખ છે? જમીન, દરિયો, પહાડ કે પાતાળ? સુખ નજરની સામે છે કે પછી દુ:ખની બરાબર પાછળ? એવા પ્રશ્નોને આધારે સુખનું સરનામું ગીત બન્યું અને રજૂ થયું. પહેલા જ પરફોર્મન્સમાં શ્રોતાઓને ખૂબ ગમ્યું કારણ કે એમાં ઊંડા ઊતરીને સુખ પામવાની વાત હતી. આ ગીત સાંભળીને કોઈકે મને સૂચવ્યું કે સુખ થીમ પર આધારિત આખો સંગીત કાર્યક્રમ જ કરો ને! ત્યારે મેં હસીને કહ્યું કે આપણી પાસે એક સુંદર બટન હોય એના પરથી આખો કોટ સીવડાવવા જેવી આ વાત છે. બટ અગેઇન, એ અમારે માટે ચેલેન્જ હતી. અમે ફરીથી સુખનાં ગીતો શોધવા માંડ્યાં. વેણીભાઇનું સુખના સુખડ જલે રે મનવા ઉપરાંત કેટલાંક ગીતો મળ્યાં અને કેટલાંક શ્યામલ અને તુષાર શુક્લે નવાં લખ્યાં. આમ ફક્ત આ ગીતના આધારે ‘સુખનું સરનામું’નાં બે સફળ કાર્યક્રમો થયા. અમને ઘણી વખત એવું લાગે કે ગીત કેટલાં નિમિત્ત લઈને આવતું હોય છે અને પર્ફોર્મન્સને ઉજાગર કરતું હોય છે. ગીતોની પણ જન્મકુંડળી હોય છે. ‘સુખનું સરનામું’ અમારે માટે ખરેખર સુખનું સરનામું બની રહ્યું છે, કહે છે સૌમિલ મુનશી.

કાવ્યના રચયિતા શ્યામલ મુનશી કહે છે, "માનવમાત્રને શોધ છે સુખની. સહુને સુખી થવું છે. સુખી થવાની સાદી રીત છે અન્યને સુખી કરવાની ! પણ સુખની શોધ વાસ્તવમાં ‘સ્વાર્થ’ બની ગઈ છે. આવા સમયે, સુખનું સરનામું આપતાં ગીતો અને સુખની સમજણ સ્પષ્ટ કરતું સંકલન કાર્યક્રમની વિશેષતા બને છે.

સુખને સ્પર્શવાની, સુખને અનુભવવાની, સુખને પામવાની અને સુખને શાશ્વત કરવાની ઝંખના એ માનવસહજ વૃત્તિ છે. સુખ શું? સુખ ક્યાં છે? સુખ કેટલું છે? એવા પ્રશ્નો વચ્ચે માણસનું મન ભટકતું રહે છે. સુખનું સરનામું શું? સુખ સુધી પહોંચવાની દિશા કઈ? સુખને બહાર શોધવામાં રહેલી ભ્રમરવૃત્તિ કે સુખને ભીતર જોવામાં થતી પ્રાપ્તિ? ગુજરાતી ગીતો દ્વારા સુખને સમજવાનો પ્રયત્ન, સુખને જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલવવાનો, સુખને જુદાં જુદાં દ્રષ્ટાંતોથી આલેખવાનો પ્રયાસ અમે કર્યો ‘સુખનું સરનામું’ દ્વારા. શ્રોતાઓએ એને ભરપૂર વધાવી લીધો.

અહીં આ પરદેશમાં અમે પણ કોઇક પ્રકારના સુખને પામવા જ નીકળ્યા છીએ. ક્ષણિક તો ક્ષણિક, સુખ જ્યાં જેટલું મળે એટલું મેળવી લેવું.

કુદરતના પ્રેમમાં ફરી ફરી પડવાનું મન થાય એવા ક્રોએશિયાના સાગર કિનારે અમે પ્રિયજનો, મિત્રો અને ‘મુંબઈ સમાચાર’ના વ્હાલા વાચકોને સ્મરીએ છીએ. મરીઝ સાહેબ કહી ગયા છે ને :

બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

‘ગેમ ઑફ થ્રોન્સ’ વેબસિરીઝ દ્વારા રાતોરાત ફેમસ થઈ ગયેલા ક્રોએશિયાના ક્યુટ ટાઉન ડુબ્રોવ્નિકના કોસ્ટલ રોડ પર, દરિયાની બરાબર સમાંતર અમારી કાર તેજ ગતિએ સરકી રહી છે. રાત્રે સાડા આઠે અહીં સૂર્યાસ્ત થાય છે. ક્ષિતિજ પર ધરતીને ચૂમવા મથી રહેલો સૂરજ સમુદ્રમાં સોનેરી આભા રેલાવી રહ્યો છે. ડુબ્રોવ્નિક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. આપણે ભલે કોસ્મેટિકલી, ડિજિટલી મોડર્ન થઈ ગયાં હોઇએ, પરંતુ કુદરત એકમાત્ર આપણો કમ્ફર્ટ ઝોન છે. આ ક્ષણે તો એ જ અમારા સુખનું સરનામું છે. તમે ત્યાં ‘સુખનું સરનામું’ ગીત યુટ્યુબ પર સાંભળીને અમને યાદ કરજો, સુખનું સરનામું શોધજો.

————————

સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર
એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો?
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો

* ગીત : શ્યામલ મુનશી  * સંગીત : સૌમિલ મુનશી  * કલાકાર: શ્યામલ-સૌમિલ મુનશી

https://www.youtube.com/watch?v=YCqmkhmdnKg

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 23 મે 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=507834

Loading

દક્ષા પટેલ

માલિનીબહેન દેસાઈ|Opinion - Opinion|23 May 2019

ગુજરાતી આલમનાં એક ઊંચેરાં કમર્શીલ કેળવણીકાર, વિચારક લેખક દંપતી માલિનીબહેન − જ્યોતિભાઈ દેસાઈએ, ઘણું કરીને વિક્રમ સંવત 2044 વેળા, મધ્ય અમેિરકાનો શંતિસૈનિકને નાતે પ્રવાસ કરેલો. ત્યાંના અનુભવો તેમ જ સંસ્મરણોને આલેખતા એમણે જે પત્રો લખેલા, તેનું ‘અમાસ’ (મધ્ય અમેરિકાના પ્રવાસના છ પત્રો) નામે આ પુસ્તક 1988 વેળા પ્રગટ થયું હતું. તે પુસ્તિકાના પાન 40-42 પરે આ લેખ અપાયો છે.  

આ તો આપણા ગુજરાતનાં બહેન. વર્ષોથી ગ્વાટેમાલા જઈને વસ્યાં છે. એ મૂળ વતની પૂર્વ આફ્રિકાના − અને ભારતીઓએ ત્યાંથી નીકળીને ઇંગ્લૅન્ડ કે અમેિરકા જવું પડયું ત્યારે આ બહેન પોતાનાં પતિ સાથે આ દેશમાં વ્યાપાર અર્થે ગયાં. ગ્વાટેમાલા એલચીના પાક માટે પ્રસિદ્ધ છે. ગુજરાતીઓ વ્યાપારખેડૂઓ-સાહસી તેમાં દક્ષાબહેન કંઈક વિશેષ બહાદુર, નિડર અને સાહસી લાગ્યાં.

અમે અમારા વીસા અને પાસપોર્ટ મેળવવા માટે તા. 25મી જૂને જ્યારે ભારતીય એલચી કચેરીમાં ગયા ત્યારે મારી સાડી જોઈ તરત જ ત્યાં કામ કરતાં સ્પેનીશ સેક્રેટરી બહેને પૂછ્યું, ‘બહેન તમે ભારતના કયા પ્રદેશનાં ?’ મેં જવાબ આપ્યો, ‘અમે ગુજરાતથી આવીએ છીએ.’ એણે તરત બીજો સવાલ કર્યો, ‘તમે કોઈ ભારતીયને અહીં ઓળખો છો ?’ મેં કીધું, ‘ના, અમે હજુ ગઈ કાલે રાત્રે તો વિમાનમથકે અટકાવેલ. વગેરે વગેરે. અમે ક્યાંથી કોઈને જાણીએ ?’ એણે કીધું, ‘મારાં એક બહેનપણી છે. ગુજરાતી છે. નામ દક્ષા પટેલ, એ કહેતાં હોય છે કે કોઈ ભારતીય અને તેમાં પણ ગુજરાતી આવે તો મને તરત જણાવજો. તમારે મળવું છે ?’ મેં તરત હા પાડી. હું તો ખુશ ખુશ થઈ ગઈ. કોઈ આપણા દેશનું મળશે તો કેવું સારું. રાત્રિના અનુભવથી થોડી અસ્વસ્થ તો હું હતી જ. જ્યોતિભાઈ તદ્દન સ્વસ્થ અને એમને આવા પ્રસંગો આવે તો ગમે; કહે, ‘કસોટીઓમાંથી પસાર ન થાઓ તો જીવન જીવવું નકામું. ખુમારીથી જીવવું હોય તો આવી કપરી, વિપરીત ઘટનાઓ ઘટવી જ જોઈએ.’ વિમાનમથકે પણ એ મને એમ જ કહી આશ્વાસન આપે કે આપણો અહિંસક સત્યાગ્રહ અહીંથી જ શરૂ થયો. શાતિ કાર્ય માટે આવ્યાં છો ને ? તો આ શરૂઆત છે એમ સમજવું. જેલ લઈ જાય તો ઓર મજા. તદ્દન પાસેથી જેલ જોવા મળે અને ઘણું શીખવા મળે. જાત અનુભવ જેવું શિક્ષણ કયું ?’

પેલાં સેક્રેટરી બહેને તરત ફોન જોડ્યો અને દક્ષાબહેન તો શુદ્ધ ગુજરાતીમાં બોલવા માંડ્યાં ! ‘ક્યાંથી આવ્યાં ? શું કામ આવ્યાં ? નામ ઠામ ગામ, અમારે ત્યાં કેમ ન ઉતર્યાં ? તરત આવતાં રહો. ગુજરાતીમાં બોલવાવાળું કોઈ મળે તો મને પણ સારું લાગે છે. વગેરે વગેરે. મારે ઘેર કામવાળી બાઈ છે. ઘર મોટું છે. ગુજરાતી ભોજન રાંધીને ખાઈશું. તમને ભારતીય – ગુજરાતી ભોજન યાદ આવતું હશે ને ?’ પોતાનું સરનામું, કેવી રીતે ત્યાં પહોંચવું વગેરે વગેરે ફોન નંબર આપ્યો. અમે કીધું, ‘અમારે પહેલાં પાસપોર્ટ-વીસા પ્રાપ્ત કરવા છે. પછી તમને જણાવીશું અને આવીશું.’

દક્ષાબહેન હાલ બે દુકાનોના ત્યાં માલિક છે. એ દુકાનોમાં ભારતીય કળા કારીગરીની વસ્તુઓ વેચે છે. દર વર્ષે બે વાર ભારત આવીને જાતે પસંદ કરી લઈ જાય છે. ધનવાન લત્તામાં રહે છે. તેમની સાથે એક અંગરક્ષક કાયમી હોય છે. ઉત્તમ સ્પેનીશ બોલી શકે છે. પહેરવેશ ત્યાંનો જ અપનાવી લીધો છે. અમને મળવા, શાંતિમથકે આવેલાં ત્યારે અમે એમને ગુજરાતી તરીકે નહિ ઓળખ્યાં, પણ જ્યારે ગુજરાતીમાં બોલવા માંડ્યાં ત્યારે જાણ્યું કે અરે ! આ તો અમને મળવા આવેલાં બહેન, દક્ષાબહેન છે ! હશે માંડ 35થી 40 વર્ષની ઉંમરની. ત્યક્તા છે. પણ ખુમારીથી અને નિર્ભયતાથી સ્વાલંબી જીવન જીવે છે. ખુશખુશાલ છે.

એમના જીવનની કથા એક નવલકથા સમાન છે. જે અમે એમનાં બહેનપણી અલકા શ્રીવાસ્તવ, જેઓ પણ એક એવાં જ નીડર અને સાહસી પત્રકાર છે. એલસેલવેડોરમાં પોતાના પતિ રઝા સાહેબ સાથે રહે છે, તેઓની પાસેથી એમને ત્યાં ગયાં ત્યારે સાંભળી. અલકાબહેનની પણ પોતાની કહાની છે જે કદાચ ચોથા કે પાંચમા પત્રમાં આપીશું.

ગ્વાટેમાલામાં 1986 પહેલાં જે ઘણી વધુ ગડબડો થઈ તેમાં દક્ષાબહેનના પતિને કોઈ ઉપાડી ગયેલું. દક્ષાને ખબર પડતાં વેંત એણે આકાશ પાતાળ એક કરી એની શોધ ચલાવેલી. રડવા ન બેઠી. વખત ન ગુમાવ્યો, હાંફળી ફાંફળી ન થઈ. ન લમણે હાથ દઈ એ બેઠી. મોટા મોટા ઓફિસરો સૈનિક પ્રતિનિધિઓ, પોલીસખાતું ઇત્યાદિ જેની દ્વારા પતિે છોડાવી શકાય એવું હોય તેમનો સંપર્ક કરીને પ્રયત્નો કરતી જ રહી. જ્યારે કાંઈ પરિણામ ન આવ્યું ત્યારે મિત્રોની સલાહથી એક ખાનગી જાસૂસી (ડિટેક્ટીવ) સંસ્થાને મળી. 30 લાખ રૂપિયા આપો તો છોડાવી લાવીએ. દક્ષાને આ આશાસ્પદ જવાબ લાગ્યો ને એણે ક્ષણનો પણ વિચાર કર્યા વગર બન્ને દુકાનો ગીરવી મૂકી 30 લાખ આપવાના કબૂલ્યા. 24 કલાકમાં પતિ શ્રી પટેલ ઘેર આવી પહોંચ્યા. મિત્રો, વિચાર માત્રથી રુંવાડા ઊભા થઈ જાય ! આપણા દેશમાં થાય તો આવી હિમ્મત કરે તે સમજાય, કારણ ઓળખીતા, સગાં વહાલાં ભાષા જાણીતી વગેરે, પણ પરદેશમાં આ રીતે એક મહિલા પોતાના પતિને છોડાવી લાવે? એના પર 4 દિવસ શું વીતી હશે? કેવા કેવા વિચારો આવ્યા હશે? કેવા કેવા સાથે પાલો પડ્યો હશે? અમે જ્યારે આ સાંભળ્યું ત્યારે આભા જ બની ગયાં. ક્ષણવાર તો સ્તબ્ધ બની બેઠાં. અલકા કહે, मालिनीबहेन ! इन देशोमें डरपोक लोगोंका काम नहीं। दक्षा जैसे ही टीक सकते है।’ દક્ષાએ 30 લાખ ધીમે ધીમે વાળવા માંડ્યા. પણ એના જીવનની કરુણતા હજી બાકી હતી. પતિ ગભરાઈ ગયેલા, સ્વાભિવક જ છે. જેલમાં એની પર ઘણી વીતેલી એ ગ્વાેમાલાથી ભાગી છૂટવા તૈયાર થયા. એમનાં મા-બાપે આગ્રહપૂર્વક ઘેર આવવા દબાણ કર્યું. દક્ષા અહીં જ રહી દેવું ચૂકવી ફરીથી નવજીવન શરૂ કરવાના પક્ષમાં હતી. આ ગૃહયુદ્ધમાં પતિ પત્નીએ જુદાઈ પસંદ કરી. દક્ષા આજે હિમ્મતપૂર્વક દેવું ચૂકવી ગ્વાટેમાલા શહેરની વચ્ચે બે દુકાનો જેમાંની એક તો Centro, આપણા દેશમાં શહેરોમાં જે શ્રીમંતોનું બજાર હોય છે તેવા વિભાગમાં ચલાવે છે. ઘણા નોકરો રાખ્યા છે. પોતે સવારે 9થી 1 અને બપોર પછી 3થી 7 દુકાનમાં હાજર હોય છે. અંધારામાં કે રાત્રે કશે ન જવાનું જીવનનો નિયમ બનાવી લીધો છે. છતાં જવું જ પડે તો અંગરક્ષક રાખ્યો છે જે પેલી ડિટેક્ટીવ સંસ્થાનો માણસ છે તે છૂપાવેશમાં સાથે રહે છે. દક્ષા ખુશખુશાલ, હિમ્મતભેર ખુમારીભર્યું જીવન જીવી રહી છે.

મેં પૂછ્યું, ‘તમે ભારતમાં કેમ ન વસ્યાં ?’

જવાબમાં તેણે કહ્યું, ‘તમે જાણો છો ભારતમાં ત્યક્તાની શી સામાજિક દશા થાય છે. અને હું કાયમ સ્વતંત્ર રહી છું, પગભર છું. અને ભારત તો કદી રહી જ નથી. તેથી ત્યાં ન ગમે. મારું ક્ષેત્ર, વલણ − પરિસર ભારતીય રહ્યું નથી. છતાં ભારત પ્રતિ પ્રેમ ખરો. તેથી જ કોઈ પણ ભારતીય આ દેશમાં આવે તો મારા મહેમાન બને એવું હું ઇચ્છું છું. બા, બાપુજીને મળવા ગુજરાત આવું છું. વડોદરામાં બહેન છે તેને મહિનામાં બે વાર ફોન કરી ખબર અંતર પૂછી લઉં છું, મારા પણ આપું છું. માયામી − ઉત્તર અમેરિકા તથા ઇંગ્લૅન્ડમાં ભાઈ-બહેન છે તેમને મળી આવું છું પણ રહેવાનું તો − પોતાનું વતન તો ગ્વાટેમાલા જ એવું અનુભવું છું. મને બીક નથી લાગતી. મારી બહેનપણીઓ ઘણી છે અને નિરાંતે પ્રસન્ન રહું છું.’

આ રીતે આ બહેનની નિર્ભયતા − ખુમારી − બહાદુરી જોઈ જાણી અમને પણ એનો ચેપ લાગ્યો અને મધ્ય અમેરિકાના આ બે દેશોમાં આપણી બહાદુર મહિલાઓને મળવાનો જે લહાવો મળ્યો તેથી ધન્ય થયાં.

•

Loading

ચૂંટણી પંચ : બઢતી ઉમરિયા, ઘટતી ચુનરિયા

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 May 2019

“આવશે તો મોદી જ’ના અવાજ અને પડઘા વચ્ચે ૨૩મી મેની સવારથી ઈ.વી.એમ. ખૂલશે અને સાંજ સુધીમાં હારજીતનો ફેંસલો જણાઈ આવશે. લોકસભાની આ ચૂંટણીમાં કાં સત્તાપક્ષ જીતશે કાં વિપક્ષ. પણ હાર ચૂંટણી પંચની થઈ છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૨૪માં ચૂંટણી પંચની રચના અને સત્તાઓ નિર્ધારિત કરવામાં આવ્યાં છે. ચૂંટણી પંચનું કાર્ય માત્ર ચૂંટણીઓ કરાવવાનું છે તેવી માન્યતા ઘણે અંશે સાચી છે પરંતુ ચૂંટણીને આનુષાંગિક અને તે ઉપરાંતના ઘણાં કામો પણ તેણે કરવાનાં હોય છે. મતદાર યાદીઓ તૈયાર કરવાનું ગંજાવર કામ ચૂંટણી પંચનું મહત્ત્વનું કાર્ય છે. મતદાર યાદીઓ જેટલી સાચી અને અધ્યતન તેટલી ચૂંટણી પ્રક્રિયા દૂષિત થવાની શક્યતા ઘટે છે. એ જ રીતે મતવિસ્તારોનું સીમાંકન, રાજકીય પક્ષોની નોંધણી, મતદાર ઓળખકાર્ડ અને છેલ્લે મતદાન અને મત ગણતરીની કામગીરી ચૂંટણી પંચ બજાવે છે.

આમ તો ભારતનું ચૂંટણી પંચ તેની તટસ્થતા અને સ્વતંત્રતા માટે વિશ્વખ્યાત છે. પરંતુ હાલની લોકસભા ચૂંટણીમાં તેની કામગીરી જોતાં તેની શાખ તળિયે બેઠેલી લાગે છે. કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ચૂંટણી પંચ કેન્દ્ર સરકારના દબાણ હેઠળ કામ કરી રહ્યાનું જણાવે છે તો દલિત નેતા અને ભારતીય બહુજન મહાસંઘના પ્રમુખ પ્રકાશ આંબેડકર, તેમનો પક્ષ સત્તામાં આવશે તો ચૂંટણી પંચના હાલના ભેદભાવભર્યા વલણ માટે ચૂંટણી કમિશનરોને જેલભેગા કરવાની આત્યંતિકતા વ્યક્ત કરે છે. દેશના ૬૬ પૂર્વ નોકરશાહો પણ રાષ્ટ્રપ્રમુખને પત્ર લખી ચૂંટણી પંચ વિશ્વસનીયતાની કટોકટીમાંથી પસાર થઈ રહ્યાનું જણાવી તેની તટસ્થતા અંગે સવાલો ઉઠાવે છે.

દેશમાં મુક્ત અને સ્વતંત્ર ચૂંટણીઓ કરાવવાનું કામ સ્વાયત્ત એવા ચૂંટણી પંચનું છે.  આ કામ ભારે પડકારભર્યું છે. આ વખતે સાત ચરણોમાં લોકસભાની ચૂંટણીનું મતદાન થયું. મતદાનની જે તારીખો ચૂંટણી પંચે જાહેર કરી તેની સામે જ સવાલો થયા હતા. વડાપ્રધાનના મત વિસ્તારમાં સૌથી છેલ્લે મતદાન હોય કે ભા.જ.પ. માટે પડકારરૂપ વિપક્ષી રાજ્યોની લોકસભા બેઠકો પર બહુ મોડેથી કે અંતિમ ચરણમાં મતદાનનો કાર્યક્રમ શંકા જન્માવનારો નીવડ્યો હતો. આ મતદાનની તારીખો વડાપ્રધાન અને સત્તા પક્ષને માફક આવે તે રીતે ગોઠવાઈ હોવાનો આરોપ ચૂંટણી પંચ સામે લગાવવામાં આવ્યો હતો.

તટસ્થ, ન્યાયી અને મુક્ત ચૂંટણી માટેના નિયમો કહેતાં આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવવું ચૂંટણી પંચ માટે લોઢાના ચણા ચાવવા જેટલું કઠણ હોય છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આચાર સંહિતાના પાલનમાં પંચ સરેઆમ નિષ્ફળ રહ્યાની વ્યાપક લાગણી પ્રવર્તે છે. આદર્શ આચાર સંહિતાને કોઈ કાનૂની પીઠબળ નથી. તમામ રાજકીય પક્ષોની સર્વ સંમતિથી તે ઘડાઈ છે. એટલે તેના અમલની જવાબદારી રાજકીય નેતાઓની અને રાજકીય પક્ષોની પણ  બને છે. જો કે આ ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને બી.જે.પી.ના પ્રમુખો જ નહીં ખુદ વડાપ્રધાન આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં ઊણા ઉતર્યાની ફરિયાદો થઈ છે. આ ફરિયાદોના નિકાલમાં પંચે જે વિલંબ કર્યો તેનાથી તેનું વલણ પક્ષપાતી જ નહીં, સત્તા પક્ષના મદદગારનું હોવાની છાપ દ્રઢ બની હતી. ત્રણ ચૂંટણી કમિશનરો(સુનીલ અરોરા, સુશીલ ચંદ્રા અને અશોક લવાસા)એ વડાપ્રધાન સામેની આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદોમાં સર્વાનુમતે નહીં પણ બહુમતીએ નિર્ણય લઈને વડાપ્રધાનને નિર્દોષ ઘોષિત કર્યા હતા. ચૂંટણી પંચના આ સર્વાનુમત નહીં પણ બહુમત નિર્ણય એ વાતની ગવાહીરૂપ છે કે પંચ હજુ સ્વતંત્ર ,સ્વાયત્ત અને નકારને સાંભળવા-સ્વીકારવાની તટસ્થતા ધરાવે છે.

ચૂંટણી પંચની સ્વતંત્રતા અને તટસ્થતા સ્વીકારવી પડે તેવા નિર્ણયો તેણે લીધા છે. બ.સ.પા. પ્રમુખ માયાવતી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ, સમાજવાદી પક્ષના નેતા આઝમ ખાન અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીને આચાર સંહિતાનાં ઉલ્લંઘન માટે થોડા દિવસની ચૂંટણી  પ્રચારબંધીની  સજા પંચે ફરમાવી હતી. પરંતુ એ પણ નોંધવું રહ્યું કે પંચનું આ પગલું સુપ્રીમ કોર્ટની ફટકાર અને પંચને પોતાની સત્તાઓનું ભાન કરાવી તેનો અમલ કરવાનું કહેવાયા પછી બહુ વિલંબથી લેવાયું હતું. પંચે વડાપ્રધાન પરની બાયોપિક તે જોયા સિવાય જ રોકી હતી. તો ગુજરાતમાં તલાળા વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર કરવામાં અક્ષમ્ય ઉતાવળ કરી હતી. પંચ ગુજરાત અને કર્ણાટકમાં વિધાનસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી તાબડતોબ કરાવે છે પણ  તમિલનાડુ વિધાનસભાની ખાલી બેઠકોની પેટાચૂંટણી ન કરાવે તે કેવું ? એ પ્રશ્ન થવો સહજ છે. બંગાળની ચૂંટણી હિંસા અને પંચના એક નિરીક્ષકની તેની ૧૫ વરસ પૂર્વેના બિહાર સાથેની સરખામણી પછી પણ પંચે કોઈ ઠોસ કદમ લીધાં જણાતાં નથી.

બંધારણીય હોદ્દે રહેલા રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંઘ, સત્તા પક્ષના નેતાની જેમ વર્તી ‘વડાપ્રધાન તરીકે તો મોદી જ આવવા જોઈએ’ તેવું જે જાહેર ઉચ્ચારણ કર્યું હતું તે આચાર સંહિતાનો ભંગ છે અને તે માટે પંચ કલ્યાણ સિંઘને દોષી પણ ઠેરવે છે. પરંતુ તેમની સામે પગલાં લેવા રાષ્ટ્રપ્રમુખને પત્ર લખીને સંતોષ માને છે. બીજી તરફ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર કૉન્ગ્રેસના ચૂંટણી ઢંઢેરાની ટીકા કરે અને તે ય બંધારણીય હોદ્દે રહીને તો પંચ તેમને હોદ્દેથી ફારેગ કરવાને બદલે ઠપકો આપે છે. પંચનું આ બેવડું વલણ બેશક ટીકાપાત્ર રહેવાનું .

રાજકીય પક્ષોના ઈ.વી.એમ. સંબંધી વિચારો અવસરવાદી હોય તો પણ જ્યારે ૨૧ વિપક્ષો ઈ.વી.એમ. [Electronic Voting Machine] અને વી.વી.પી.એ.ટી.[Voter verifiable paper audit trail]ની ચકાસણી માટે સર્વોચ્ચ અદાલતમાં ધા નાંખે છે ત્યારે આ મુદ્દે પંચનું વલણ સાવ જ વિપક્ષવિરોધી જણાય છે. વી.વી.પી.એ.ટી. સાથે ઈ.વી.એમ.ની ચકાસણી વધુ માત્રામાં થાય તેનો પંચનો વિરોધ અને સત્તાપક્ષનો વિરોધ પંચની સ્વતંત્રતા અને તટસ્થતા જોખમાવે તેવો છે.

સાત દાયકા વળોટી ચૂકેલી ભારતીય લોકશાહીના સ્વાયત્ત અને સ્વતંત્ર ચૂંટણી પંચ સામે  આ વખતે જે રીતે સવાલો ઉઠયા તેના પરથી પંચની છાપ, ઉત્તર ભારતના લોકગીતની આ પંક્તિ” ઉમરિયા બઢતી જાયે રે, ચુનરિયા ઘટતી જાયે રે”ની પડી છે. હાલની સ્થિતિ અને ચૂંટણી પંચની લોપાતી મર્યાદા સ્વસ્થ લોકશાહી માટે યોગ્ય નથી. ચૂંટણીનાં પરિણામો ભલે ગમે તે આવે ચૂંટણી પંચની શાખ બની રહેવી જોઈતી હતી. આ સ્થિતિનું નિવારણ સૌએ સાથે મળીને કરવું જોઈએ. ચૂંટણી કમિશનરોની નિયુક્તિ રાષ્ટ્ર પ્રમુખ કરે છે પણ તે સરકાર એટલે કે વડાપ્રધાન અને મંત્રીમંડળની ભલામણ મુજબ કરે છે .તેને બદલે તટસ્થ સમિતિ મારફત ચૂંટણી કમિશનરોની નિયુક્તિ થાય અને પંચના સભ્યો માત્ર સનદી અધિકારીઓ જ ન હોય પણ બિનસરકારી સભ્યો પણ હોય તે દિશામાં વિચારવું પડશે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ’ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 22 મે 2019

Loading

...102030...2,7842,7852,7862,787...2,7902,8002,810...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved