Opinion Magazine
Number of visits: 9577098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય દંપતી

માલિનીબહેન દેસાઈ|Opinion - Opinion|24 May 2019

ગુજરાતી આલમનાં એક ઊંચેરાં કમર્શીલ કેળવણીકાર, વિચારક લેખક દંપતી માલિનીબહેન − જ્યોતિભાઈ દેસાઈએ, ઘણું કરીને વિક્રમ સંવત 2044 વેળા, મધ્ય અમેિરકાનો શંતિસૈનિકને નાતે પ્રવાસ કરેલો. ત્યાંના અનુભવો તેમ જ સંસ્મરણોને આલેખતા એમણે જે પત્રો લખેલા, તેનું ‘અમાસ’ (મધ્ય અમેરિકાના પ્રવાસના છ પત્રો) નામે આ પુસ્તક 1988 વેળા પ્રગટ થયું હતું. તે પુસ્તિકાના પાન 54-58 પરે આ લેખ અપાયો છે.

સેન્ટૃલ અમેરિકામાં કોઈ ભારતીય મળશે એવી કલ્પના જ મૂર્ખામી ભરેલી ! ક્યાં ના ક્યાં ! અમને એમ જ લાગતું કે, આપણા પુરાણોમાં વર્ણવ્યું છે પાતાળમાં ઉલુપીને ત્યાં અર્જુનને જેમ લાગતું હશે તેવું ખરેખર હશે હોં કે ! શાંત પળોમાં હું વેડછી પહોંચી જાઉં અને ક્યારેક મારો બગીચો, ક્યારેક અમારી નજીકની મજૂરી કરી જીવન વીતાવતી વસતિનાં બાળકોની સેના બગીચામાં પાણી પાતી હોય એવું એવું જોઈ લઉં ! ક્યારેક ગાંધી વિદ્યાપીઠની મહિલાઓ, બાળકો, ભાઈઓ યાદ આવી જાય ! તો ક્યારેક અણુ શક્તિ વિરોધના છઠ્ઠી ઓગસ્ટના પોલીસદળ અને લોકો પર છોડેલા ઘોડાદળ યાદ આવે !

આઠમી ઓગસ્ટે આ અલકા અચાનક મળી ગઈ ! એટલાં તો ખુશ થયાં અમે પરસ્પર કે ન પૂછો વાત ! અલકા કહે, ‘કોઈ ભારતીય અહીં આવી શકે એવી કલપના અમે કરી જ નથી શકતાં ! માન્યામાં જ નથી આવતું ને ! તમે બે જણા આ ઉંમરે અહીં ! બસ ! હવે મારે ઘેર ચાલો-જમો અને તમારો સામાન હોટલમાંથી લાવી અહીં જ રહો.’ ઘરે લઈ ગઈ. પતિ શ્રી રઝા કહે, ‘એવું તે કાંઈ હોય ? અમે અહીં હોઈએ અને તમે હોટલમાં રહો ?’ એમની મોટરમાં ઘરે જતાં જતાં વાતોમાંથી આ દંપતીના અને અમારા-આપણા-ઘણા ઓળખીતા સમાન નીકળ્યા. મુખ્ય તો રઝાજી ભૂદાન, વિનોબાજી, સર્વોદય કેન્દ્રો અને તેમની ભૂમિકા ઇત્યાદિના સંપૂર્ણ જાણકાર ! મધ્ય પ્રદેશના બૈતુલના બુઝર્ગ કાર્યકર્તા બનવારીલાલ ચૌધરીના પૂરા પ્રશંસક અને પોતાને તેમના પુત્રવત્‌ માનનારા. ભારતમાં રઝાજી બાળકોને દત્તક લેનારી સંસ્થા વતી દરેકે દરેક રાજ્યમાં છાત્રાલયનાં બાળકોનો શિક્ષણનો ખર્ચ મેળવી આપવાની વ્વસ્થા કરેલી. અને એ નિમિત્તે સર્વત્ર ફરેલા ! તે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના અનુસ્નાતક તેમ જ ઉત્તર પ્રદેશ મેરઠના વતની ! પછી કાંઈ અતિથિસત્કારમાં ઊણપ હોય ?

તાજેતરમાં (જુલાઈ 1987માં) થયેલા મેરઠના હિન્દુમુસ્લિમ તોફાનો દરમ્યાન એમના કાકાના દીકરા ભાઈ જેઓ ડોક્ટર છે તેમણે એક હિંદુનો જીવ બચાવ્યો. હુમલાખોરો સમક્ષ ઊભા રહી કહ્યું, ‘પહેલાં મને મારો પછી એને મારજો.’ અને પછી તેને પોતાને ઘેર રાખ્યો. ડૉ. રઝા એટલા લોકપ્રિય કે બન્ને કોમો એમની તરફ આદર અને પ્રેમથી જુએ. તેથી કોઈએ એક કદમ આગળ આવવાની હિમ્મત કરી નહિ. આવા કુટુંબના નબીરા તે આ રઝાજી. રઝાજી જુવાન અને બાહોશ વ્યક્તિત્વ ધરાવે છે. અલકા રઝાની જુવાન જોડી જોઈ અમે ખૂબ જ પ્રસન્ન થયાં. એમને ત્યાં જમીને અમારા નિવાસની હોટલે પાછાં આવવું પડ્યું. તે દિવસે અને ત્યાર પછી તો અમારે ઘણાં બીજાં કામો હતાં જ તેથી તરત તેમને ત્યાં ન જઈ શક્યાં. છેલ્લે તા. 15મી ઓગસ્ટે અમે બે દિવસ તેમને ત્યાં રહેવાને પહોંચી ગયાં.

પરસ્પર ખૂબ સારું લાગ્યું. વાતોના ગપાટા કરવાની મઝા આવી. કારણ ભાષા એક, વિષય એક, અને વિચારોની પણ ઘણી સમાનતા. પત્રકારને નાતે ભારતના રાજકારણની સંપૂર્ણ માહિતી. આથી અમને જાણે ઘરે પહોંચ્યા જેવું લાગ્યું. લગભગ અઢી મહિને ભારતના બધા સમાચાર મળ્યા. છાપાંયે મળ્યાં અને માસિકોયે મળ્યાં ! હિન્દી, અંગ્રેજી, તમામ ભારતથી મંગાવેલા ! અમને મઝા જ પડી ગઈ.

શ્રી રઝાએ અમારી પાસે સંપૂર્ણ વિદ્યાલય, ગાંધી વિદ્યાપીઠ, ભારતમાં ચાલતી શૈક્ષણિક, સર્વોદયી અને બીજી પ્રવૃત્તિઓ જેમાં જેમાં અમે સંકળાયેલા છીએ દાખલા તરીકે કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટૃ, આપણી અણુવીજકેન્દ્ર વિરોધી પ્રવૃત્તિ, સત્યાગ્રહ બધું જ જાણી લેવા પ્રયત્ન કર્યો. આમ કરતાં કરતાં એક વિચાર સ્ફૂર્યો. અહીં કેટલાંક શિક્ષણકારો, શિક્ષકો અને અન્ય એવા મિત્રો ‘સત્ય સાંઈબાબા’ના શિષ્યો છે ! તેઓને થોડી વધુ સમજણોથી કામ કરવા આકર્ષવા છે. ખાસ કરીને ગામડામાં નઈ તાલીમ, ઓછાં સાધનો કે નહિવત્‌ એવાં સાધનોની બાલવાડી આવું આવું બતાવવું, સમજાવવું છે. લગભગ દર વર્ષે એવા 50-60 મિત્રો ભારત – બેંગલોર તેમના ગુરુના દર્શને દેશ જોવા, યાત્રા કરવા, પવિત્ર થવા (!) આવે છે. તેમને તે પછી ગુજરાત આવે. થોડો સમય ત્યાં ગાળીને ગાંધીજીની વાતો સમજે અને નવાં પરિમાણો (dimensions) પ્રાપ્ત કરે તેવી યોજના બનાવીએ. આથી અહીંના પ્રશ્નોમાં પણ મદદ મળે.

રઝાજીને એ જાણ થઈ હતી જ કે U.N.ની Peace University – શાંતિની વિશ્વવિદ્યાપીઠે અમને આમંત્રણ આપીને કોસ્ટારિકા બોલાવ્યા છે. તો કહે કે, ‘આ આવા શૈક્ષણિક પ્રોજેક્ટમાં તે યુનિવર્સિટીનો ય સાથ લેવાય. હું ત્યાં જઈ આવું અને સંપર્ક કરી કાંઈક ગોઠવીએ !’ આ તો ગમી જાય તેવી જ વાત હતી ને. એ માટેની યોજનાનો પહેલો મુસદ્દો હજી હમણાં જ જ્યોતિભાઈએ તૈયાર કર્યો અને 26મી જાનેવારી 1988 રઝાજીને મોકલ્યો છે. મિત્રો, આ યોજનાની શક્યતા વધશે તો આશા રાખીએ કે તમારા સૌનો સહકાર મળી રહેશે. આપણે સૌ સાથે મળીને આ મિત્રોને રચનાત્મક અભિગમ મેળવી આપવા મથીશું તો કાંઈક તો પરિણામ આવશે જ !

આ વાતો ઉપરાંત અમારી સાથે કેવા કપરા અનુભવો થયા છે તેની વાતો પણ થઈ. કમાલ તો અલકાની. એને તો બે ખરા જોખમકારક અનુભવોમાંથી પસાર થવું પડ્યું.  એ વાતો રજૂ કરતાં રોમાંચિત થઈ જવાય છે. વાંચીને તમને શું લાગે તે તે ય જાણવાની ઇચ્છા છે. ત્યારે વાંચો એની વાતો : અલકાને બે વાર kidnap (ઉપાડી) કરેલી ! એકવાર કહેવાતા આતંકવાદીઓ અને બીજી વાર મિલિટરીએ ! બંનેમાંથી હેમખેમ પાર પડીને આવી ! અને અત્યંત નિર્ભયતાથી રહે છે.

એટલું ખરું કે ઘરની બહાર પગ મૂકતાની સાથે જ પૂછે, ‘પાસપોર્ટ લીધા, વીઝા છે ને ?’ ફરવા જાવ, કે બજારમાં ઘરમાં ય હાથવગું જ હોવું જરૂરી. તમારા ઓળખપત્ર એ જ મુખ્ય સાધન. અલકા પોતે પત્રકાર છે એટલે પત્રકારનો બધે હરવા ફરવાનો વિશેષ પરવાનો છે જ. રઝાજી તો આંતરરાષ્ટૃીય સંસ્થાના પ્રતિનિધિ છે માટે તેમને તો ખાસ V.I.P. સમો પાસ પ્રાપ્ત છે !

અલકા એમની પડોશણ બહેન સાથે (55-60 વર્ષનાં) બજાર જવાને સાડાચારની આસપાસ નીકળ્યાં. ઘર આંગણે જ મોટરમાં બેઠાં ને ત્યાં જ અલકાના ગળા ઉપર બંદૂકની નળી લગાડી એક જણાએ હુકમ કર્યો, ‘બિલકુલ હલનચલન કરતા નહિ. અવાજ પણ કરતા નહિ. મોટરની ચાવી મને આપી દો. ચલો જલદી કરો.’ ત્યારે અલકાને પૂરું સ્પેનીશ સમજાય નહિ એટલે એણે મોટરમાંથી નીચે ઊતરવાનો પ્રયત્ન શરૂ કર્યો. એ એમ સમજી કે મોટરમાંથી ઊતરી જવાનું કહે છે, આથી પેલો વધુ ગુસ્સામાં બોલ્યો, ‘જરા પણ હવે હલીશ ને તો ગોળી છોડીશ જ. તદ્દન સ્થિર થઈ જા.’ પણ અલકા સમજે તો ને ? પણ સાથેનાં બહેને રાડ પાડી, ‘અલકા શાંત થઈ જા ! તને સ્થિર રહેવાનું કહે છે. તારે બિલકુલ હલનચલન નથી કરવાનું. એને જે કરવું હોય તે કરવા દે.’ માંડ વાત પાટે ચઢી. પેલાએ મોટર કબજે લઈ હંકારવા માંડી. અલકા બિલકુલ મૌન ! અને સ્થિર ! હવે, પેલા પડોશણ બહેન પણ ગભરાયેલાં તો ખરાં પણ ઈશ્વને પ્રાર્થના કરી માર્ગદર્શન માંગવા લાગ્યાં. શું કરું ? ઓ સત્યસાંઈબાબા, મને રસ્તો સુઝાડો !! અચાનક જ તેને પ્રેરણા થઈ, ‘આ પ્રેમભૂખ્યો જુવાન છે. એને પ્રેમ આપ !’ બસ ! તે ક્ષણે એ બહેને નિર્ણય કર્યો કે આ તો મારો દીકરો જ છે. અને તેમ માનીને જ તેની સાથે વર્તવા સમજાવવા લાગ્યાં. ‘મારા વ્હાલસોયા, મારા કલેજાના કટકા ! શા માટે આ ધંધો કરે છે ? અમે કાંઈ તારા દુશ્મન નથી. તું તો પ્રેમનો ભૂખ્યો છે. હું તારી “મા” સમાન છું. દીકરા, આ બધું છોડી દે!’ વગેરે કહેવાથી પેલો જુવાન પ્રભાવિત થયો. ગળગળો થયો અને બોલ્યો, ‘હું તમને બેયને કોઈ ઈજા કરવાનો જ નથી. હું તો તમારા વિસ્તારમાં ફસાઈ ગયેલો. તમારા મહોલ્લાના સૈનિક કમાન્ડર પર અમારી ટુકડીએ હુમલો કરેલો પણ તેમના માણસો સતર્ક હતા તેથી અમારે ભાગવું પડ્યું. ભાગવામાં હું એકલો આ તરફ આવી પડ્યો. હવે, મારે તો મારા સ્થાને પાછા પહોંચવાને વાહનની અને તમારા બેયના સંરક્ષણની જરૂર પડી છે.  માટે મેં તમને બાન લીધાં છે. હું મારે સ્થળે પહોંચીને તમને તમારી ગાડી પાછી જ આપીશ અને સલામત તમે પાછાં જઈ શકો તેમ ગોઠવણ કરાવીશ!’ એમ પોતાને જવું હતું ત્યાં પહોંચીને તેમને વિદાય કર્યા. બિલકુલ કોઈ પ્રકારે હેરાન ન કર્યાં.

અલકા બજારે ગઈ છે અને તેને ચાર કલાક થયા અને પાછી કેમ નથી આવી તેવું કશું જ રઝાજીને ધ્યાન પર ન આવ્યું. તેઓ તો પોતાનાં કામોમાં નિરાંતે બેઠેલા. અલકા ઘેર આવી ત્યારે ખૂબ જ અસ્વસ્થ થઈ. ત્રણેક દિવસ તો બીમારશી રહી. પણ રઝાજીએ તેને તૈયાર કરી દીધી. આપણે અહીં રહેવાના છીએ માટે ખંખેરી નાંખો ભય! અને અલકા ઊઠીને ટટાર થઈ ગઈ. અને હવે, તો અલકા જ આપણને બધે ફેરવે એવી બહાદુર મહિલા છે. 1986ના નવેમ્બરમાં સેન સેલવેડોર ભૂકંપમાં તારાજ થયું. ત્યારે એ ભૂકંપ વખતે આ દંપતી શહેરમાં બધે ફરી વળ્યું.  ક્યાં કેવું નુકસાન થયું છે અને શું કરવાની તાત્કાલિક જરૂર છે તેનો પૂરો ક્યાસ મેળવી લીધો. અને મંડી પડ્યાં. તેમની કામગીરી અને બહાદુરી પર અહીંની આ મિલિટરી સરકાર પણ ખુશ થઈ અને તેમને પુનર્વસવાટની જવાબદારી ઉપાડવાને આમંત્ર્યાં. મુખ્ય વ્યવસ્થાપક રઝાજીને બનાવી દીધા. હજી, આજે ય શહેરમાં કાંઈક મોટાં મકાનો તરડાઈને પડ્યાં છે. ભૂકંપથી વાંકા વળેલા અને ઈંટો, સ્ટીલના ભંગાર વખતોવખત નજરે ચઢે છે. કહે છે, ભૂકંપમાં દસ હજારની જાનહાનિ થયેલી!

અલકાને મિલિટરીએ તો તેમના કેમ્પમાં જ પકડેલી. અલકા છાપાના ખબરપત્રીનું કામ કરે છે, એટલે તે માટે સામગ્રી એકત્ર કરવા ગયેલી ત્યાં એને પકડી. એના પર જાસૂસ છે એવો શક પડેલો. ચાર કલાક પૂછતાછ ચાલી. કેમે કર્યા માને નહિ. પણ, અલકા ડરી જાય તેમ ન હતી. બરોબર પ્રશ્નકારોને જવાબ આપતી રહી અને પોતાનો ‘આંતરરાષ્ટૃીય પત્રકાર પાસ’ના બળે છૂટી આવી.

મે પૂછ્યું, ‘आपको डर नहीं लगता ? ऐसी दो घटनाओं के बावजूद भी यहाँ रहने की हिम्मत कैसे करती हो ?’ બંને જણાએ તરત જવાબ આપ્યો, ‘अरे ! भारतीय है ! बहादूर कौम है भारतकी। भगोडे भारत के नहीं होते। डरके कैं कैसे काम चलेगा ? इसी तरह हिम्मतवाले बनेगे तभी तो दुनियामें शांति की स्थापना होगी।’

અમે એમને ત્યાં બે દિવસ રહ્યાં. ખાસ તો એમને ત્યાં 15મી ઓગસ્ટ ઉજવી. મેં સુખડી અને હાંડવો બનાવી ખવડાવ્યો. ખુશ થયાં.

અલકા હિન્દુ બહેન, અને રઝા મુસ્લિમ જુવાન ! બન્ને લગ્નગ્રંથિથી જોડાયાં. ખૂબ સારી રીતે રહે છે. ધર્મ આડે નથી આવતો. અલકા પૂજા પાઠ વ્રતો કરે છે. પણ રઝાને કોઈ દિવસ નમાજ પઢતા જોયો નહિ. આમ સંગીતના સાત સૂરો એકરાગિતામાં ગવાય છે. અમને ખૂબ સારી રીતે રાખ્યાં. ‘आप हमारे बुझुर्ग है। आपका ही घर है। जितने दिन चाहें रहें। भारतीय खाना चाहें बनवायें।’ ઇત્યાદિ દ્વારા અમારું ભરપૂર આતિથ્ય કર્યું. અમને દૂર સમુદ્ર કિનારો જે ખૂબ વખણાય ત્યાં 25 માઈલ પોતાની ગાડીમાં લઈ ગયાં. આમ અહીં સેલવેડોરમાં ભારતીય કુટુંબમાં રહેવા મળ્યું જે અકલ્પિત હતું. અમારા શાંતિ સેનાના મિત્રોને પણ 16મીએ રાત્રે જમવા ‘ઘેર’ બોલાવ્યા. ફિલીપ એન્ડરસનને ય આમંત્ર્યા હતા. પણ તેઓ ન જ આવી શક્યા. ‘અમારે મિત્રતા કરવી છે અને તમારા મિત્રો સાથે અમે પણ શાંતિનું કામ કરવા પ્રયત્ન કરીશું.’ આમ અમારું જ નહિ, અમારાં સાથીઓનું પણ તેમણે સ્વાગત કરી લેવાનું ગોઠવ્યું.

તા. 17મી તો અમારે કોસ્ટારિકા દેશે જવા નીકળવાનું હતું. વિમાની મથક તો ઘણું દૂર. ટેક્સીનો તો 75 ડોલર ખર્ચ થાય. પણ શહેરની ઓફિસેથી બસ નીકળે ત્યાં પહોંચવાનો રસ્તો, સરળ હતો. 23 દિવસ આ શહેરમાં રહીને અમે શહેર તો ખૂંદી જ વળેલા. પદયાત્રી અને બસયાત્રી ખરાંને ? ટેક્સી મોંઘી અને વળી ટેક્સીમાં ફરીએ તો આમ લોકોનો પરિચય થાય જ નહિ. તેથી અમે આ દંપતીને ઘણી ના કહી કે અમે જતા રહીશું. સવારે વહેલા નીકળવાનું છે. પણ આ મિત્રો તો ભારતીય આતિથ્યનાં આગ્રહી. તેથી ન જ માન્યા. વિમાની ઓફિસે અમને સવારે છ વાગ્યે પહોંચાડ્યાં. વિમાની બસ આવી તેમાં રઝાજીએ જ જાતે સામાન મૂકવાનો આગ્રહ રાખ્યો. અમને બેસાડ્યાં, ચરણ સ્પર્શ કર્યાં ! અને વિદાય કર્યાં. ભાવભીની વિદાય આપી અને કહે, ‘ફરી વધારે દિવસ માટે આવજો. અમે પણ વેડછી – ગુજરાત આવીશું.’

•

[મુદ્રાંકન : વિપુલ કલ્યાણી]

Loading

સત્તાધીશો કલાકારોના વ્યંગ-વિરોધ સામે ઉગ્ર (અ)સંવેદનશીલ કેમ બની જાય છે?

મનીષી જાની|Opinion - Opinion|23 May 2019

વસ્ત્રવિહીન નાગા રાજા જો રાજમાર્ગ પર ચાલતા હોય, ત્યારે 'રાજા નાગા છે !' એવું કહેવાની હિંમત બહુ ઓછા કલાકારો, સર્જકો દર્શાવતા હોય છે. કારણ કે સદીઓનો અનુભવ છે કે સત્તાધીશોને કોઈ તેમની ઠેકડી ઉડાડે યા તેમના વિશે સત્ય કહે તે ગમતું નથી.

એટલે સત્તાની સમીપ રહેવા માંગતા કલાકારો-સર્જકો તો રાજમાર્ગ પર ચાલતા વસ્ત્રવિહીન નાગા રાજાએ કેટલાં સુંદર, મનોહર, અમૂલ્ય અને આ અગાઉ કોઈએ ન પહેર્યાં હોય એવાં વસ્ત્રો પહેર્યાં છે, અને તેમાંથી નિખરતી રાજાની ભવ્યતાનાં ભરચક વખાણ જે તે કલાકારની વાણી, પીંછી કે કલમથી વ્યક્ત થતાં રહેતાં હોય છે. આ કડવી વાસ્તવિકતાથી આપણે સૌ વાકેફ છીએ અને વર્ષો જૂની 'નાગા રાજાને કોણ નાગો કહે ?' એ કહેવતનું રટણ ચાલુ રાખીને આજના લોકશાહી રાજ્ય વ્યવસ્થા તંત્રમાં પણ એ જ વાત ઘૂંટ્યા કરવામાં સંતોષ માની કલાકારની અભિવ્યક્તિ, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર તાળાં કૂંચી મારવાનું કામ આપણે જ કરીએ છીએ.

લોકશાહીમાં લોકોનો અવાજ, વિરોધના અવાજને વાચા આપવાનું કામ પત્રકારો, કલાકારો અને એમાં ય ખાસ કરીને કાર્ટૂનિસ્ટો કરતા હોય છે. કવિઓ અને બૌદ્ધિકોની કલમ પણ તેમાં વિશેષ ભૂમિકા ભજવતા હોય છે.

અને રાજકર્તાઓ જેટલા જુલ્મી કે જનતાના અવાજને કાને ધરનારા નથી હોતાં ને લોકવિરોધી પગલાં લેવામાં અને માત્ર પોતાના સ્વાર્થ સાધવામાં રચ્યાપચ્યા રહેતા હોય છે તેમની સામે કલાકારો એક યા બીજી રીતે પોતાનો અવાજ કલા માધ્યમો દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે.

વળી, જ્યારે જનતા દુ:ખી હોય, તેમને જ્યારે પોતાના બહેતર જીવન માટેની અપેક્ષાઓ ધૂંધળી થતી દેખાતી હોય છે અને રાજકારણમાં દંભ, વૈચારિક અને આચરણના વિરોધાભાસ દેખાતા હોય છે ત્યારે આ બધું વ્યંગ કે હાસ્ય-ટુચકારૂપે વ્યાપકપણે લોકોની વચ્ચે ચાલતું હોય છે.

જે રીતે 2014માં ચૂંટણી ટાણે 'અચ્છે દિન આયેંગે' એવી નારાબાજી, રામનાં નામે બાબરી મસ્જિદ જ્યાં તોડી એ સ્થાને રામમંદિર બનાવીશું, ગેસ-પેટ્રોલના ભાવ નીચા લાવીશું, કરોડો યુવાનોને રોજગારી-નોકરી આપીશું, અબજો રૂપિયાનું કાળું નાણું વિદેશથી પાછું લાવી દેશના દરેક પરિવારનાં ખાતામાં પંદર લાખ રૂપિયા જમા કરાવીશું.

આવાં અનેક વચનો અપાયાં હતાં તે બધાં વિશે ગંભીરતાથી કોઈ નક્કર પગલાં લેવાની શરૂઆત જ ન થતાં આ બધાં મુદ્દે વ્યંગ, મજાક, ટુચકા સતત દેશના લોકોમાં સતત સંભળાતાં, દેખાતાં અને બોલાતાં રહ્યાં.

અને જે રીતે લવ જેહાદ, ધાર્મિક કટ્ટરતા, ધાર્મિક નફરત અને ગૌવંશને નામે મોબલીન્ચિન્ગની ઘટનાઓ બનતી રહી અને વિશેષ તો દેશના મહત્ત્વના ચાર બૌદ્ધિકો-રેશનાલિસ્ટો, લોક પ્રહરીઓની ધર્મ ઝનૂની વ્યક્તિઓએ-સંગઠનોએ એક પછી એક હત્યાઓ કરી. દાભોળકર, પાનસરે, કલબુર્ગી અને ગૌરી લંકેશ. નોંધપાત્ર દુ:ખદ વાત તો એ રહી કે આ હત્યાઓ વિશે સરકારે જે રીતે ચૂપકીદી સેવી યા હત્યારાઓને પકડવામાં જે ઢીલાશ રાખી કામ થયું અને થતું રહ્યું છે.

આ હત્યાઓનાં વિરોધમાં દેશના કલાકારો-સર્જકોએ પોતાની અભિવ્યક્તિ ઠેર ઠેર કરી.

કેટલાક સાહિત્યકારો, કલાકારો, ફિલ્મકારો એ દેશમાં આ વધતીજતી ધાર્મિક કટ્ટરતા, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર મોતના ભયથી ઊભી કરવાની રીતરસમો જોઈ એવોર્ડ વાપસીની ઝૂંબેશ ચલાવી.

સરકારી માન-સન્માનને પાછા આપવાની આ ઝૂંબેશને હસી કાઢવાની ને તેની મજાક કરવાની પણ મુહીમ સત્તાપરસ્ત બૌદ્ધિકો તરફથી મોટા પ્રમાણમાં ચાલી.

કલાકારો અને સાહિત્યકારોની આ ભદ્દી મજાકની સામે કોઈ પ્રતિ આંદોલન કે હિંસક બનાવો તો ન થયાં. પણ કાયમ બને છે એમ સત્તાધારીઓએ તો તેમના પર થતાં વ્યંગ, હાસ્ય-મજાકને તો દેશદ્રોહ કે નેતાઓની અવમાનના કે ભારે ક્રિમિનલ કલમો લગાડી દઈ કલાકારો ને સાહિત્યકારોને ડરાવવાના ને દબાવવાનાં પ્રયાસો આ છેલ્લા દસ-બાર વર્ષોમાં ખાસ વધુ પ્રમાણમાં નોંધાતા જોવા મળ્યા.

આ માત્ર કોઈ એક સત્તાધારી પક્ષની વાત નથી જ.

હમણાં જ આ 2019ના ચૂંટણી સમયગાળા માં જ પશ્ચિમ બંગાળ નાં મુખ્યમંત્રીએ એક યુવાન ભા.જ.પ. કાર્યકર પ્રિયંકા શર્માએ એક કાર્ટૂન બનાવ્યું અને તે પણ ફિલ્મ એક્ટ્રેસ પ્રિયંકાનાં વિચિત્ર વેશભૂષાવાળા ફોટામાં ચહેરો બદલીને ત્યાં મુખ્યમંત્રી મમતા બેનરજીનો ચહેરો ચીપકાવી દીધો ..!

મમતા સરકારે ભારે ક્રિમિનલ કલમો લગાડીને કલાકાર યુવતી પ્રિયંકાની ધરપકડ કરી તેને જેલમાં નાખી દીધી !

આ નીંદનીય અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યને અવરોધનારો બનાવ તો હતો જ. તેની ઠેર ઠેર ટીકા ય થઈ જ. પરંતુ જેઓ ખુદ કેટલાક બૌદ્ધિકોને 'અર્બન નક્સલ' ગણી માત્ર ઈન્ટરનેટ પર રજૂ કરેલા વિચારોને મુદ્દો બનાવી, દેશના લોકતરફી કામ કરતા એ બધાં બૌદ્ધિકો, વકીલો ને કર્મશીલોને જેલમાં ખોસી દેનારા ભા.જ.પ. સરકારના જ મંત્રીઓ તરીકે કામ કરનારા અરુણ જેટલીએ તો આ બનાવને લઇને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મુદ્દે નિવેદન કરતાં કહ્યું કે : 'હાસ્ય, વ્યંગ, મજાક મુક્ત સમાજમાં જ ટકી શકે. સરમુખત્યારશાહીમાં તેમનું કોઈ સ્થાન નથી. સરમુખત્યારો જનતા સામે હસે છે. લોકો તેમનાં તરફ હસે તો તે તેમને પસંદ નથી. બંગાળમાં અત્યારે આવું જ ચાલી રહ્યું છે ..'

આ નિવેદની સામે તરત જ પ્રતિનિવેદન કરતાં કૉન્ગ્રેસના યુવા કાર્યકર દિવ્યા સ્પંદને કહ્યું કે 'વડાપ્રધાનનાં એક વ્યંગચિત્ર મારી સામે ગયા સપ્ટેમ્બરથી રાષ્ટ્રદ્રોહનો ખટલો તમારી સરકાર ચલાવી રહી છે તે અંગે તમે શું કહેશો ?'

વડાપ્રધાને ખુદ પ્રિયંકા શર્માને જેલમાં નાખી તે અંગે પ્રત્યાઘાત આપતા એક ચૂંટણી સભામાં કહ્યું કે : 'દીદીએ બંગાળની એક બેટી પર ભારે ગુસ્સો દેખાડ્યો છે. ગુસ્સો તો એવો કે બેટીને જ દીદીએ જેલમાં નાખી દીધી છે. મમતાદીદી ! તમે અહંકારમાં કેવાં કેવાં કામ કરી રહ્યાં છો ? દીદી તમે જે દીકરીઓને જેલમાં નાખી રહ્યાં છો તે તમને પાઠ ભણાવે તેવી છે .. એક ફોટા માટે થઈને આટલો ગુસ્સો ?

તમે તો ખુદ આર્ટીસ્ટ છો. પેઇન્ટિંગ કરો છો. સાંભળવા મળે છે કે તમારાં પેઇન્ટિંગ તો શારદા-બારદાનાં નામ લઈને કરોડો રૂપિયામાં વેચાય છે ! હું તમને આગ્રહ કરું છું કે તમે મારું ભદ્દામાં ભદ્દુ, ગંદામાં ગંદું ચિત્ર બનાવો .23 મે પછી તમે પ્રધાનમંત્રીના આવાસ પર આવીને એ ગંદું ચિત્ર મને ભેટ કરો. હું તેને પ્રેમથી સ્વીકારીશ અને જિંદગીભર એને મારી સાથે રાખીશ. હું તમારા પર એફ. આઈ. આર. નહીં કરું …'

વડાપ્રધાનનાં આ ભાષણ પછી મીડિયામાં ઘણા લોકોએ 17 ઘટનાઓ વિગતવાર, તારીખ સાથે છાપી જેમાં વડાપ્રધાનની મજાક કરવા બદલ, મજાકીયા ચિત્ર સોશ્યલ મીડિયામાં મૂકવા બદલ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હોય !

ભા.જ.પ.ની આ યુવા ચિત્રકારના સમર્થનમાં આખી પાર્ટી ઊભી રહીને સુપ્રીમ કોર્ટમાંથી તેનાં શરતી જામીન મેળવી તેને જેલમાંથી મુક્તિ અપાવી. સુપ્રીમ કોર્ટે શરતમાં કલાકારને જણાવ્યું કે તમારે મુખ્યમંત્રી મમતાજીની ચિત્ર દ્વારા અવમાનના કરવા બદલ માફી તો માંગવી પડશે.

અને જેલમાંથી મુક્ત થયેલી પ્રિયંકાએ જણાવ્યું કે હું મમતાજીની માફી નહીં માંગું. મેં કશું એવું કર્યું નથી કે મારે માફી માંગવી પડે અને જેલમાં જે માફીનામું લખ્યું છે તે જેલ સત્તાવાળાઓના દાબ અને દમન હેઠળ લખેલું છે ..!

મુખ્યમંત્રીની મજાક કરતું એક કાર્ટૂન ચિતરવા માટે થઈ સાત દિવસ જેલમાં વીતાવવા પડે એ મોટી અને ખોટી સજા કહેવાય અને સુપ્રીમ કોર્ટ મુખ્યમંત્રીની માફી માંગવાની શરતે જામીનમુક્તિ આપે એ પણ મોટી દુર્ઘટના ગણવી રહી.

આ જજમેન્ટના સમાચાર વાંચતા મને વર્ષો પહેલાંની આવી જ ઘટના યાદ આવી ગઈ. અને ખાસ તો હમણાં જ ગયા અઠવાડિયે ગુજરાતના ઊંચેરા કવિ નીરવ પટેલનું અવસાન થતાં તે ઘટના મનમાં વધુ ને વધુ ઘૂંટાતી રહી.

1981ના આરંભે જેતલપુર ગામમાં એક યુવા દલિત ખેત મજૂરને ધાબળાની ચોરીના આરોપસર પંચાયત ઘરમાં જ ગામના સવર્ણ આગેવાનોએ જીવતો સળગાવી મૂક્યો હતો. આ ઘટનાને લઈ ગુજરાતભરના દલિતોમાં ઘોર આક્રોશ પ્રગટી ઊઠયો. બીજા જ દિવસે જેતલપુરમાં હજારો દલિતો ઊમટી પડ્યા હતા અને એ જ દિવસોમાં અનામત વિરોધી તોફાનો પણ ગુજરાતમાં ફાટી નીકળ્યા અને અમદાવાદથી માંડી ઠેર ઠેર દલિતોની ચાલીઓ, ઝૂંપડાં સળગાવવામાં આવ્યાં હતાં.

ગુજરાત દલિત પેન્થર્સ દ્વારા તે સમયે દલિત કવિતાનું સામયિક આક્રોશ પ્રગટ થતું હતું. જેતલપુર હત્યાકાંડને લઈ વિશેષાંક કાઢવાનું નક્કી થયું. આ વિશેષાંકમાં સાત કવિઓની કવિતાઓ હતી. અને મુખપૃષ્ઠ પર પાનાચંદ લુણેચિયાનું કાર્ટૂન ચિત્ર હતું જેમાં ચારેબાજુ પોલીસ નીચા મોંએ, નીચી બંદૂકે ઊભી છે અને વચ્ચે ઝૂંપડાં બળી રહ્યાં છે.

આક્રોશનાં આ વિશેષાંકની સામે તે સમયની માધવસિંહ સોલંકીની કૉન્ગ્રેસ સરકારે, સમાજમાં વૈમનસ્ય અને સરકાર ઉથલાવવાના કાવત્રાની ભારે ક્રિમિનલ કલમો લગાડી કવિ નીરવ પટેલ અને આ લખનારનાં ઘરોમાં રેડ પાડી તમામ વસ્તુઓને વેરણછેરણ કરી 'ઉગ્રવાદી સાહિત્ય' પકડવાનો નિષ્ફળ પ્રયત્ન ક ર્યો.કવિ નીરવ પટેલ અને અશ્વિન જાનીની ધરપકડ કરી તેમને કસ્ટડીમાં નાંખ્યા. તંત્રી રમેશચંદ્ર પરમાર અને અમે અન્ય કવિઓ પોલીસ તપાસની ખબર પડતાં ભૂગર્ભમાં ચાલ્યા ગયા.

બીજા દિવસે મેજિસ્ટ્રેટને ત્યાં નીરવ પટેલ અને અશ્વિન જાનીને પોલીસ લઈ ગઈ. પોલીસે આક્રોશનું મુખપૃષ્ઠ બતાવ્યું અને પછી નીરવની કવિતાની પંક્તિઓ ટાંકી જેમાં 'બાપડો મેજિસ્ટ્રેટ પણ મૂતરે એમનું નામ સાંભળી..’ એવી પંક્તિઓ હતી અને મારી કવિતાની પંક્તિઓ બતાવતા કહ્યું કે 'જુઓ સાહેબ! આમાં તો ન્યાયનાં ત્રાજવાના કાંટા તમારા માથામાં ખોસવાની ને તમારા માથામાં હથોડા ઠોકવાની વાત છે..! એટલે આમના સાત દિવસના રિમાન્ડ લઇ પૂછપરછ કરવી છે …'

આ સાંભળી મેજિસ્ટ્રેટ હસી પડ્યા અને પોલીસને કહ્યું કે .. 'આ તો કવિતા છે .. આ યુવાનો આવું નહીં લખે તો પછી કોણ લખશે ?'

અને મેજિસ્ટ્રેટે પોલીસ રિમાન્ડ મંજૂર નહીં કરી જામીન પર છોડી મૂક્યા. આ કેસ એકાદ વર્ષ ચાલ્યો ને પછી પડતો મૂકાયો.

અહીં મહત્ત્વનો મુદ્દો એ જ છે કે કલા એ પછી કાર્ટૂન હોય કે કવિતા એ જનતાના પ્રતિરોધની અભિવ્યક્તિ છે. સત્તા સામેનો આક્રોશ છે તેને માટે થઈ તેમની અભિવ્યક્તિ રોકાય નહીં અને જેલમાં ન પૂરી દેવાય.

પણ અહીં સાથે સાથે એ સવાલ પણ મહત્ત્વનો ઊભો થાય છે કે આમ એકદમ જડ બની સત્તા માટે, જીતવા માટે રાજકીય નેતાઓ કોઈની હત્યા કરી નાખતા હોય છે, હુલ્લડોનાં ષડયંત્ર કરી લોકોના નરસંહાર કરી નાખતા હોય છે, રૂપિયાના ત્રાજવે નેતાઓ – કાર્યકરો ખરીદતા હોય છે અને કરોડોનાં કૌભાંડ બેશરમીથી કરતા હોય છે અને છતાં ય આ જડ નેતાઓ કોઈ કાર્ટૂન કે ચિત્ર કે તસવીર કે કવિતાનાં મુદ્દે કેમ આટલા સંવેદનશીલ બની તેમને ખતમ કરવા, નારાજ થઈ તેનાં કલાકારોને સજા કરવા તેમની પાછળ પડી જાય છે ?

અને હવે તો નેતાઓ મીડિયા હાઉસનાં માલિકો ને તંત્રીઓ પર દબાણ કરી કાર્ટૂનિસ્ટોને, કલાકારો ને કોલમિસ્ટોની અભિવ્યક્તિને, તેમના અવાજને બંધ કરવા દબાણ કરતા રહેતા હોય છે.

આપણા દેશમાં રાજકીય કાર્ટૂન દ્વારા વિરોધની અભિવ્યક્તિ કરનારામાં સશક્ત પીંછી ધરાવતા સતીષ આચાર્ય છે.

પ્રતિષ્ઠિત છાપાં-સામયિકોમાં તેમના કાર્ટૂન પ્રગટ થાય છે. એક છાપાએ ચૂંટણી પૂર્વેના સમયમાં તેમના કાર્ટૂન કોઈ ના કોઈ બહાને નાપસંદ કરી પરત કરવા માંડ્યા. અને આ કાર્ટૂનિસ્ટે તેનો વિરોધ કરતા લાંબો પત્ર લખી જાતે જ પોતાની કોલમ બંધ કરી.

હમણાં જ જ્યારે દેશના વડાપ્રધાન કેદારનાથ ગયા અને લાંબા ડગલા પહેરી ખેસ ધારણ કરી રેડ કાર્પેટ પર ચાલતા જે રાજાશાહી ઢબે દેવદર્શન કરવા ગયા, અને તેનાં ફોટા મીડિયામાં છવાયા ત્યારે આ કલાકાર સતીશ આચાર્યે આ ફોટા ને જ, તેની ઉપર 'નો કૉમેન્ટ'નું મથાળું કરી સોશ્યલ મીડિયામાં વહેતા કર્યા .. આ જોઈ એવું જ લાગ્યું કે રાજકીય નેતાઓનાં વર્તન, વિચાર અને ખુદને જાણે કે વ્યંગચિત્ર જેવા, મશ્કરીરૂપ બનાવી દીધાં છે ત્યારે સવાલ થાય છે કે કોણ કોને હવે જેલમાં નાંખશે ?

પ્રગટ : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 22 મે 2019

Loading

સુખનું સરનામું આપો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|23 May 2019

હૈયાને દરબાર

સુહાના સફર ઔર યે મૌસમ હસીં, હમેં ડર હૈ હમ ખો ન જાયેં કહીં …! મુંબઈથી હજારો કિલોમીટર દૂર એવા એક રમણીય પ્રદેશની નશીલી, મદીલી, મસ્તીલી રાહ પર અમે ઝૂમી રહ્યાં છીએ. અત્યાર સુધી જે નામો પરગ્રહનાં લાગતાં હતાં એ ઝાગ્રેબ, સ્પ્લીટ, ડુબ્રોવ્નિક, બોલ અને બ્રાક આ સાત દિવસમાં એવાં પોતીકાં થઈ ગયાં છે કે જાણે અહીંનો અફાટ વિસ્તરેલો દરિયો સ્વજન હોય એવો વહાલો લાગે છે. જલની આટલી બધી રંગછટાઓ, ગતિ-રીતિ અને મૂડ હોઈ શકે એ આ દરિયાઈ ડેસ્ટિનેશન પર અનુભવી રહ્યાં છીએ. છેલ્લાં ત્રણેક વર્ષથી જે ડ્રીમ ડેસ્ટિનેશનની કલ્પના કરી હતી એ દુનિયાના સેક્સીએસ્ટ, જાદૂઈ દરિયાઈ પ્રદેશ ક્રોએશિયાની ધરતી પર અમે વિહરી રહ્યાં છીએ. શું અદ્ભુત નજારો છે નજર સામે! સમુદ્રનું સ્ફટિક જેવું નીલરંગી નિતર્યું જળ, એક ટાપુ પરથી બીજાં ટાપુ પર વિહરતી નાની નાની નૌકાઓ, લહેરો પરથી પસાર થઈને આવતી, મનને તરબતર કરતી તાજી હવા અને ટમટમતી રોશનીથી ઝબૂકતી ઢળતી સાંજની રંગીનિયત. હૈયાનો દરબાર ભરવા માટે આનાથી ઉત્તમ વાતાવરણ કયું હોઈ શકે? સંગીત અને સફર એકબીજાનાં પૂરક છે. સંગીત સાથે હોય તો સફરની મજા બેવડાઇ જાય.

પ્રવાસ આપણે કેમ કરીએ છીએ? કંઈક નવું જોવા, જાણવા અને પામવાની ઝંખનામાં?

વર્તમાનથી મુક્ત થવા? એકધારી, બોરિંગ જિંદગીમાં બ્રેક લેવા કે પછી કોઈ સુખનાં સરનામાંની શોધમાં? એ જે હોય તે, પણ ફરવું આપણને ગમે છે. ગમા-અણગમા, રાગ-દ્વેષ, પાપ-પુણ્ય કે જાહેર-અંગત આ સઘળું ત્યજીને એક તાજી હવાનો શ્વાસ લેવાની વૃત્તિ પ્રબળ બને ત્યારે પ્રવાસ શક્ય બને છે. ટ્રાવેલ ઇઝ લાઈક અ મેડિટેશન. એ છે આત્મખોજ. પ્રવાસ એટલે મુક્તિની દિશામાં પહેલું કદમ. રોજિંદી ઘટમાળ અને સાંસારિક જંજાળમાંથી મુક્ત થવા કુદરતી વાતાવરણ આપણને આપણી આંતરિક દુનિયામાં ડૂબકી મારવાની તક આપે છે. આ ઈન્ટરોસ્પેકશન કરતી વખતે ઉષ્માભર્યું એકાંત, માફકસરની આદ્રતા અને હ્રદયમાં ચપટીભર આનંદ હોય ત્યારે સુખ અસીમ વિસ્તરતું લાગે. એમાં સંગીતનો સાથ ભળે પછી તો પૂછવું જ શું? વિચારોની સાથે સંગીત લગભગ સમાંતર ચાલતું હોય છે મારા મનમાં. તેથી જ દરેક સફર સાથે કોઈક ગીત આપોઆપ સંકળાઈ જાય છે.

વિદેશના આ દરિયા કિનારે આત્મમંથન કરતાં ‘સુખ’ વિશે જાતજાતના વિચારો આવી રહ્યા છે. સુખ એ આમ તો એક મધુર ભ્રમણાથી વિશેષ કંઇ નથી. રમેશ પારેખનું ‘સુખ’ નામનું કાવ્ય તમે વાંચ્યું હશે તો ખબર હશે જ. આપણાં જાણીતાં કલાકાર મીનળ પટેલે અભિનય દ્વારા પ્રખ્યાત કરેલી ‘સુખ’ નામની એ કવિતામાં ભ્રામક સુખ વિશેની વાત બહુ સચોટ વર્ણવી છે. કવિ કાવ્યના જ અંતિમ ભાગમાં લખે છે કે ;

મૂળે ખુસાલિયાને ગોતવું’તું સુખ,
જોવું’તું નજરોનજર.
પછી પારકું હોય કે પોતાનું – પણ સુખ.
ઈ અડબાઉને એમ કે ચોપડિયું’માં લખ્યું હોય ઈ બધું સાચું જ હોય.
સુખનાં ઝાડવાં ફિલમુમાં ઊગે
સુખના ફુવારા કવિતામાં ઊડે
નવલકથાયું વાંચે એમાં હોય સુખના હિલ્લોળા
તે ખુસાલિયાને બસ એમ જ થઇ ગ્યું કે સુખ હોય.
દીકરો અહીંયા જ થાપ ખાઈ ગ્યો …
એને એમ કે
સોમવાર રવિવાર હોય એમ સુખ પણ હોય જ !
ટપુભાઈ ને તરવેણીબેનની જેમ
સુખે ય આપડે ત્યાં આવે …
અક્કલના ઇસ્કોતરાને કહેવું ય સું ?
આપણે તો જાણીએ, ચંદુભાઈ કે
સસલાને સિંગડા હોય તો
માણસને સુખ હોય.
ઠીક છે, ડાહી ડાહી વાતું કરીએ
ચોપડિયું વાંચીએ
પણ ખુસાલિયા, સુખો માટે આવી ખોતરપટ્ટી?
જે નથી એને માટે આવો રઘવાટ?
અભણ હતો, સાલો.
જે વાંચવું જોઈએ ઈ વાંચ્યું નહીં.
નવલકથાયું નહીં, ઇતિહાસ.
પૂછજો એને, ઇતિહાસ વાંચ્યો છે એણે ?
એમાં છે ચપટી ય સુખ મળ્યાનો ઉલ્લેખ કોઈ પાને?
આપડા આ ખુસાલિયાનાં હાથ
જેને જેને અડે ઈ પદારથ દુ:ખ થઇ જાય –
એક દિવસ ખુસાલિયો
પોતાનાં સપનાંને અડ્યો’તો !
ત્યારથી છે આવી દિમાગને ચાટી જાતી બળતરાઉ !
પણ હાળો, મરસે !
સુખ નથી આઠે ય બ્રહ્માંડમાં.
સુખ નામનો પદારથ જ નથી આ ભોં પર
આવી વાત ઈ જાણતો નથી
ઈ જ એનું સુખ !
આપડે સું, મરસે, હાળો –
આપડને તો એના વધ વધ થતા હાથની દયા આવે,
આવે કે નહીં, ચંદુભાઈ?

આ ચોટદાર કવિતા અમદાવાદની સુપ્રસિદ્ધ સંગીત ત્રિપુટી શ્યામલ-સૌમિલ-આરતી મુનશીને સ્પર્શી ગઈ. એમાંથી સર્જાયું આ લોકપ્રિય ગીત, સુખનું સરનામું આપો.

"દર બે મહિને અમે જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ. દર બે મહિને નવી થીમ સાથે કાર્યક્રમ કરવો એ અમારે માટે ચેલેન્જ જ છે છતાં ઘણાં વર્ષોથી આ ઉપક્રમ ચાલે છે. એ રીતે એક વખત અમે એવો થીમ નક્કી કર્યો હતો જેમાં એક વાર્તા, એક વિષય અને એક ગીત, એ પ્રમાણે આખો કાર્યક્રમ ઘડાયો. આ થીમનો હેતુ એ હતો કે સામાન્ય રીતે શ્રોતાઓ ગીતના શબ્દો સાંભળે, સંગીતની ચમત્કૃતિને માણે પણ એના ભાવવિશ્વમાં ડૂબકી મારવી એના માટે થોડી મુશ્કેલ હોય કારણ કે એ માટે એણે ગીત વારંવાર સાંભળવું પડે તો જ એ ગીતના ભાવવિશ્વમાં પ્રવેશી શકે. તેથી આ કાર્યક્રમમાં અમે નાની નાની વાર્તાઓ લેવાનું નક્કી કર્યું. અવાજના માલિક એવા જાણીતા રેડિયો જોકીઝને નિમંત્રણ આપી આ વાર્તાઓનું પઠન, એના ચિંતનનું નરેશન અને પછી ગાયન રજૂ કરવાની થીમ નક્કી થઈ. આમ કથન, મનન અને ગાયન પર આધારિત કાર્યક્રમનું આયોજન કર્યું.

આ કાર્યક્રમમાં રમેશ પારેખની લાજવાબ કૃતિ ‘સુખ’નું પઠન થયું ત્યારે એને અનુરૂપ ગીત કયું લેવું તે તરત મળ્યું નહીં. શ્યામલ મુનશીએ તેથી તાત્કાલિક આ ‘સુખનું સરનામું’ ગીત લખી કાઢ્યું જેમાં સુખનું સરનામું તો છે જ નહીં, પરંતુ એક પ્રશ્ન તરતો મુકાયો છે કે સુખ ખરેખર છે કે નહીં? છે તો એ ક્યાં છે? કયું સુખ છે? પોતાનો પરિવાર? પોતાનું ઘર? પ્રિયજનો? પોતાનો દેશ-પરદેશ? આસમાન સુખ છે? જમીન, દરિયો, પહાડ કે પાતાળ? સુખ નજરની સામે છે કે પછી દુ:ખની બરાબર પાછળ? એવા પ્રશ્નોને આધારે સુખનું સરનામું ગીત બન્યું અને રજૂ થયું. પહેલા જ પરફોર્મન્સમાં શ્રોતાઓને ખૂબ ગમ્યું કારણ કે એમાં ઊંડા ઊતરીને સુખ પામવાની વાત હતી. આ ગીત સાંભળીને કોઈકે મને સૂચવ્યું કે સુખ થીમ પર આધારિત આખો સંગીત કાર્યક્રમ જ કરો ને! ત્યારે મેં હસીને કહ્યું કે આપણી પાસે એક સુંદર બટન હોય એના પરથી આખો કોટ સીવડાવવા જેવી આ વાત છે. બટ અગેઇન, એ અમારે માટે ચેલેન્જ હતી. અમે ફરીથી સુખનાં ગીતો શોધવા માંડ્યાં. વેણીભાઇનું સુખના સુખડ જલે રે મનવા ઉપરાંત કેટલાંક ગીતો મળ્યાં અને કેટલાંક શ્યામલ અને તુષાર શુક્લે નવાં લખ્યાં. આમ ફક્ત આ ગીતના આધારે ‘સુખનું સરનામું’નાં બે સફળ કાર્યક્રમો થયા. અમને ઘણી વખત એવું લાગે કે ગીત કેટલાં નિમિત્ત લઈને આવતું હોય છે અને પર્ફોર્મન્સને ઉજાગર કરતું હોય છે. ગીતોની પણ જન્મકુંડળી હોય છે. ‘સુખનું સરનામું’ અમારે માટે ખરેખર સુખનું સરનામું બની રહ્યું છે, કહે છે સૌમિલ મુનશી.

કાવ્યના રચયિતા શ્યામલ મુનશી કહે છે, "માનવમાત્રને શોધ છે સુખની. સહુને સુખી થવું છે. સુખી થવાની સાદી રીત છે અન્યને સુખી કરવાની ! પણ સુખની શોધ વાસ્તવમાં ‘સ્વાર્થ’ બની ગઈ છે. આવા સમયે, સુખનું સરનામું આપતાં ગીતો અને સુખની સમજણ સ્પષ્ટ કરતું સંકલન કાર્યક્રમની વિશેષતા બને છે.

સુખને સ્પર્શવાની, સુખને અનુભવવાની, સુખને પામવાની અને સુખને શાશ્વત કરવાની ઝંખના એ માનવસહજ વૃત્તિ છે. સુખ શું? સુખ ક્યાં છે? સુખ કેટલું છે? એવા પ્રશ્નો વચ્ચે માણસનું મન ભટકતું રહે છે. સુખનું સરનામું શું? સુખ સુધી પહોંચવાની દિશા કઈ? સુખને બહાર શોધવામાં રહેલી ભ્રમરવૃત્તિ કે સુખને ભીતર જોવામાં થતી પ્રાપ્તિ? ગુજરાતી ગીતો દ્વારા સુખને સમજવાનો પ્રયત્ન, સુખને જુદા જુદા દ્રષ્ટિકોણથી મૂલવવાનો, સુખને જુદાં જુદાં દ્રષ્ટાંતોથી આલેખવાનો પ્રયાસ અમે કર્યો ‘સુખનું સરનામું’ દ્વારા. શ્રોતાઓએ એને ભરપૂર વધાવી લીધો.

અહીં આ પરદેશમાં અમે પણ કોઇક પ્રકારના સુખને પામવા જ નીકળ્યા છીએ. ક્ષણિક તો ક્ષણિક, સુખ જ્યાં જેટલું મળે એટલું મેળવી લેવું.

કુદરતના પ્રેમમાં ફરી ફરી પડવાનું મન થાય એવા ક્રોએશિયાના સાગર કિનારે અમે પ્રિયજનો, મિત્રો અને ‘મુંબઈ સમાચાર’ના વ્હાલા વાચકોને સ્મરીએ છીએ. મરીઝ સાહેબ કહી ગયા છે ને :

બસ એટલી સમજ મને પરવરદિગાર દે
સુખ જ્યારે જ્યાં મળે, બધાના વિચાર દે.

‘ગેમ ઑફ થ્રોન્સ’ વેબસિરીઝ દ્વારા રાતોરાત ફેમસ થઈ ગયેલા ક્રોએશિયાના ક્યુટ ટાઉન ડુબ્રોવ્નિકના કોસ્ટલ રોડ પર, દરિયાની બરાબર સમાંતર અમારી કાર તેજ ગતિએ સરકી રહી છે. રાત્રે સાડા આઠે અહીં સૂર્યાસ્ત થાય છે. ક્ષિતિજ પર ધરતીને ચૂમવા મથી રહેલો સૂરજ સમુદ્રમાં સોનેરી આભા રેલાવી રહ્યો છે. ડુબ્રોવ્નિક રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. આપણે ભલે કોસ્મેટિકલી, ડિજિટલી મોડર્ન થઈ ગયાં હોઇએ, પરંતુ કુદરત એકમાત્ર આપણો કમ્ફર્ટ ઝોન છે. આ ક્ષણે તો એ જ અમારા સુખનું સરનામું છે. તમે ત્યાં ‘સુખનું સરનામું’ ગીત યુટ્યુબ પર સાંભળીને અમને યાદ કરજો, સુખનું સરનામું શોધજો.

————————

સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર
એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો?
ચરણ લઈને દોડું સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો

* ગીત : શ્યામલ મુનશી  * સંગીત : સૌમિલ મુનશી  * કલાકાર: શ્યામલ-સૌમિલ મુનશી

https://www.youtube.com/watch?v=YCqmkhmdnKg

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 23 મે 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=507834

Loading

...102030...2,7832,7842,7852,786...2,7902,8002,810...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved