Opinion Magazine
Number of visits: 9684611
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગોરમાનો વર કેવો?

બિપિન શ્રોફ|Opinion - Opinion|18 July 2019

હાલ ખાસ કરીને ગુજરાતી મધ્યમ વર્ગમાં, આશરે પાંચ વર્ષ ઉપરની, બાલિકઓને ગૌરી વ્રત કરાવવામાં આવે છે. તે બાલિકોને ઘાઘરી પોલકું પહેરીને દોડતી દોડતી નીરખવી તે જ મારા મત મુજબ એક અનેરો લહાવો છે. હકીકતમાં તે એક વ્રત કરતાં બાલિકાઓ માટે સામાજિક રીતે આનંદપ્રમોદનો તહેવાર બની ગયો છે.

આ વ્રત કરાવવાની પાછળ એક અંધશ્રદ્ધા છે. આ વ્રત કરવાથી સારો વર મળશે તેવી બિલકુલ વાહિયાત માનસિકતા આ ઉંમરથી પેલી બાળકીના મનમાં થોપી દેવામાં આવે છે. જે અસહ્ય અને ગુનાહિત ગણાવવી જોઇએ.

ચાલો, આપણે વિચારીએ કે આ બાળકી જ્યારે ૨૦– ૨૫ વર્ષની ઉંમરની થશે, ત્યારે સને ૨૦૪૦ની આસપાસનું તેનું મનોજગત કેવું હશે.

(1) મારે વર જ શા માટે જોઇએ? જો મારે લગ્નની ઝંઝંટમાં જ ન પડવું હોય તો?

(2) શું પુખ્ત ઉંમરનાં સ્ત્રી–પુરુષ લગ્નના બંધન સિવાય, જ્યાં સુધી ઇચ્છા હોય ત્યાં સુધી, સાથે રહે તેમાં મારા–તમારા બાપનો કોઇ ગરાશ તો લુંટાઇ જવાનો નથી ને!

(3) મારે સ્ત્રી તરીકે ગર્ભધારણથી માંડીને પ્રસવની વેદના સુધીના સમયનો લહાવો ન જ માણવો હોય તો તે મારી સ્વતંત્રતા ખરી કે નહીં?

(4) મારી કારકિર્દીનો ભોગ આપ્યા સિવાય, અમને બાળકને ઉછેરવાનું મન થશે તો અમે દત્તક તો ચોક્ક્સ લઇ શકીશું. પણ તેનો હેતુ મારો વંશવેલો ટકાવી રાખવા નહીં, તેમ જ પિતૃ તર્પણ કરવા તો ક્યારે ય નહીં.

(5) સાથે રહેવાની સાથે, મારી અદમ્ય ઇચ્છા છે કે મારા ઘરમાં રસોડું જ ન જોઇએ. સ્ત્રીની સાચી મુક્તિ બિલકુલ રસોડા મુક્તિ સાથે સંકળાયેલી છે.

(6) સ્ત્રી તરીકે અમારા હાથ રસોઇ કરવા નિર્માણ થયેલા નથી. જે દિવસે મારા હાથમાં તપેલી પકડવાની સાણસીને બદલે મસ્ત ખુશ્બૂવાળા રેડફ્રેન્ચ વાઇનની પ્યાલી હશે, તે દિવસ માનવજાતના ઇતિહાસમાં સ્ત્રી સ્વાતંત્ર્યનો પ્રથમ દિવસ ગણાશે.

(7) વો સુબહ કભી તો આયેગી.

e.mail : shroffbipin@gmail.com

Loading

અમે યુ.કે.ના રહેવાસી, અમે યુ.એસ.ના રહેવાસી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|18 July 2019

હૈયાને દરબાર

પોતાના શહેર માટેનો લગાવ દરેકને કેટલો બધો હોય એ કહેવાની જરૂર ખરી? આપણું ઘર, આપણું આંગણું, આપણું ગામ અને આપણા દેશ માટે કંઈક વિશેષ લાગણી આપણે સૌ ધરાવીએ છીએ. એટલે જ દરેક શહેરની ખાસિયતોને વર્ણવતાં ગીતો અપાર લોકચાહના મેળવે છે. પછી એ ગીત અમે અમદાવાદી હોય, આ વડોદરા છે મારું કે પછી અમે મુંબઇના રહેવાસી. રાજકોટ, સુરત અને જૂનાગઢનાં ગીત પણ બન્યાં છે. તો લંડન ને અમેરિકાવાસીઓ શા માટે રહી જાય?

યુનાઇટેડ કિંગ્ડમમાં વસતો કોઈ પણ સાહિત્ય કે સંગીતપ્રેમી ચંદુભાઈ મટ્ટાણીના નામથી અપરિચિત હોય એ શક્ય જ નથી. આર્થિક સમૃદ્ધિ સાથે અપાર સંવેદનસમૃદ્ધિ ધરાવતા ચંદુભાઈનું આતિથ્ય ગુજરાતી-હિન્દી સાહિત્ય-સંગીત જગતની લગભગ તમામ અગ્રગણ્ય હસ્તીઓ માણી ચૂકી છે. આપણા મલકના આ માયાળુ માનવીએ હજુ ગયા વર્ષે જ અચાનક આ જગતમાંથી વિદાય લીધી અને જાણે ખાલીપો ઘેરી વળ્યો. બે વર્ષ પહેલાં લંડનની મુલાકાત વખતે ટ્યુબ ટ્રેનમાંથી છેલ્લે ચંદુભાઈ સાથે વાત કરી હતી, ત્યારે એમણે લંડનથી બે કલાક દૂર આવેલા એમના રમણીય શહેર લેસ્ટર આવવાનું ભાવભીનું નિમંત્રણ આપ્યું હતું. સમયના અભાવે "ફરી આવીશ ત્યારે જરૂર મળીશ”, કહીને આ ઉમદા માનવીને એમના સ્વગૃહે મળવાનો મોકો મેં ગુમાવી દીધો હતો એનો રંજ હજુ ય છે. આ ૨૮ જુલાઈએ, પ્રથમ પુણ્યતિથિએ, એમના ગુજરાતી ભાષા પ્રેમ અને પ્રદાન યાદ કરીને જ ઉચિત અંજલિ આપી શકાય.

ચંદુ મટ્ટાણી એટલે કવિતાના, સાહિત્યના, સંગીતના માણસ. ભારતથી અનેક કલાકારોને આમંત્રે. આમ તો એમની ‘સોના-રૂપા’ નામે સાડીની દુકાન, પરંતુ એ તો ઘરની ગાડી સડસડાટ ચાલે એટલે. બાકી, જિંદગીમાં ઇંધણ પૂરે સંગીત. અવાજ મુલાયમ. પોતે ગીતો લખે, સંગીતબદ્ધ કરે અને જાહેર સમારંભમાં ગાય પણ ખરા. બ્રિટનમાં અનેકવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરનાર સ્વરકાર, ગાયક, સાહિત્યરસિક, ઉદ્યોગ- સાહસિક, ફોટોગ્રાફર, ક્રિકેટર અને ભારતના કલ્ચરલ એમ્બેસેડર કહી શકાય એવા ચંદુભાઈ મટાણીએ ૧૯૮૩માં ‘શ્રુતિ આર્ટસ’ની સ્થાપના કરી હતી.

ચંદુભાઈએ અમેરિકા, આફ્રિકા અને યુનાઇટેડ કિંગ્ડમવાસીઓની માનસિકતાનું વિચારબીજ કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ આપ્યું હતું, જેમાંથી પરદેશીઓને મજા પડી જાય એવાં ત્રણ ગીતોનું સર્જન થયું. કાઠિયાવાડી લહેકામાં ઓર રાઈટ (ઓલરાઈટ) ઓર રાઈટ બોલતાં ગુજરાતીઓ, વિન્ટરમાં વોર્મ્થ મેળવવા દેશ તરફ દોટ મૂકતાં એન.આર.આઈ.ઝ, ડૉલર-સેન્ટમાં જ જેમને દેખાય અડસઠ તીરથધામ એવા વિદેશીઓને દેશની માયા કદી ન છૂટે એવી લાગણી દર્શાવતાં આ મજેદાર ગીતોને આશિત દેસાઈ અને બાલી બ્રહ્મભટ્ટ જેવા કલાકારોના કંઠનો સાથ મળ્યો. પછી પૂછવું જ શું?

આ ગીતો સંગીતબદ્ધ કરનાર આશિત દેસાઈ કહે છે, "ચંદુભાઈએ બ્રિટન, અમેરિકા અને આફ્રિકાના ગુજરાતીઓને ધ્યાનમાં રાખીને એમનાં લક્ષણો નોંધી રાખ્યાં હતાં. ‘મેહુલ’ભાઈએ એને ગીત સ્વરૂપ આપ્યું. ગીતમાં ચમત્કૃતિ ઉમેરવા બાલી બ્રહ્મભટ્ટનો સાથ લેવાયો છેવટે ચંદુભાઈ, મેં અને બાલી બ્રહ્મભટ્ટે સાથે આ ગીત ગાયું, પરંતુ ચંદુભાઈએ સ્વરબદ્ધ કરેલાં અન્ય ગીતો, ખાસ કરીને રમેશ પારેખનું મારા સપનામાં આવ્યા હરિ, સુરેશ દલાલનું અખંડ ઝાલર વાગે, મહેશ શાહનું યમુના કિનારો સૂમસામ અને પન્ના નાયકનું તારા બગીચામાં ઉત્તમ અને સાંભળવા લાયક સ્વરાંકનો છે. પહેલાં બે ગીતો ચંદુભાઈએ પોતે ગાયાં છે તથા અન્ય બે હેમા દેસાઈએ. ગુજરાતી સુગમ સંગીત તથા ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રસારમાં ચંદુ મટ્ટાણીનું પ્રદાન ગુજરાતીઓએ યાદ રાખવું જ પડે.

ચંદુભાઈ કૃષ્ણભક્તિમાં તલ્લીન હોવાથી ભક્તિરચનાઓમાં પૂરેપૂરા લીન હતા. ૨૦૧૭માં બ્રહ્મલીન થયેલાં એમનાં પત્ની કુમુદબહેનની સ્મૃતિમાં ચંદુભાઈએ છેલ્લે આશિત-હેમા-આલાપ દેસાઈ, અનુપ જલોટા, હરિહરન તથા રાકેશ ચૌરસિયાના સંગીત સહયોગથી ‘જીવન ઉત્સવ’ આલબમ બહાર પાડ્યું, જેમાં મોટાભાગનાં ગીતો ચંદુભાઈએ સ્વરબદ્ધ કર્યાં છે. દસ ગીતોની આ ‘જીવન ઉત્સવ’ સી.ડી.માં નવ ગીતોમાં ૮૩ વર્ષે પણ પોતાનો સ્વર આપીને ચંદુભાઈએ પોતાનું અંતરને તળિયે ધરબાયેલું સ્વપ્ન સાકાર કર્યું હતું. રામનારાયણ પાઠક, ભગવતીકુમાર શર્મા, તુષાર શુક્લ, સુરેન ઠાકર, ચંદ્રકાંત સાધુ, પન્ના નાયક, પંડિત માધુર, રમેશ ગુપ્તા વગેરે જેવાં નામી-અનામી કવિઓની કવિતાઓ અને ગીતો જે અત્યાર સુધી પોતાના કંઠમાં જ ગણગણતા હતા, તેને સ્વરબદ્ધ અને સંગીતબદ્ધ કર્યા અને તેના પરિણામરૂપ આપણને મળ્યો, ‘જીવન ઉત્સવ’. તેમણે સ્વર્ગસ્થ સાથી કુમુદબહેનને અનુપમ વિદાય ભેટ આપી, અને ગાયું, જીવતર આખ્ખું ય જાણે એવું વરસ્યું, કે જાણે એવું વરસ્યું કે જાણે તરસ્યું ને તરસ્યું રે આપણે …’!

૧૯૭૭માં યુનાઇટેડ કિંગ્ડમમાં મટ્ટાણી પરિવાર આવ્યો ત્યારથી શરૂ કરી અત્યાર સુધી અગણિત સંગીતજ્ઞો અને સાહિત્યકારોને પોરસાવ્યા, સ્ટેજ આપ્યું અને કદરદાન શ્રોતાગણ આપ્યો. પરદેશમાં રહેતાં ભારતીયોમાં ભારતીય સંગીતની રુચિને સાંગોપાંગ સાચવવા જેમણે તન, મન અને ધનનો સદુપયોગ કરી સફળ અને અથાગ પ્રયત્નો કર્યા એ શ્રૃતિ આર્ટ્સનો ધબકતો પ્રાણ એટલે ચંદુભાઈ મટ્ટાણી.

પરદેશની ધરતી પર ભારતીય સંગીત પ્રત્યે અભિરુચિ કેળવવામાં ‘શ્રુતિ આર્ટસ’નો મોટો ફાળો છે. શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત અને નવરાત્રિને સતત ધબકતી રાખનાર ચંદુભાઈનું આતિથ્ય લતા મંગેશકર, જગજિત સિંહ, હરિપ્રસાદ ચોરસિયા, શિવકુમાર શર્મા, ઉસ્તાદ ગુલામઅલીખાં, ઉસ્તાદ ઝાકિર હુસૈન, હરિહરન, અનુપ જલોટા, સુરેશ વાડકર, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત દેસાઈ, નિરંજન ભગત, ચંદ્રકાંત બક્ષી, સુરેશ દલાલ, સુનિલ ગાવસ્કર તથા કેટલા ય સાધુ સંતો અને કથાકારોએ ભરપૂર માણ્યું છે. ‘સોનારૂપા’ મ્યુઝિક કંપનીના નેજા હેઠળ ૧૫૦ જેટલી સી.ડી.નું નિર્માણ તેમણે કર્યું છે. ચંદુભાઈ મટ્ટાણીની ષષ્ટિપૂર્તિએ સુરેશ દલાલે મટ્ટાણીને શ્રીનાથજીનાં આઠ પદ ભેટ આપ્યાં હતાં. ચંદુભાઈએ આશિત દેસાઈને એ સંગીતબદ્ધ કરવા આપ્યાં અને ‘જય જય શ્રીનાથજી’ નામની અત્યંત લોકપ્રિય સી.ડી.નું નિર્માણ થયું હતું.

ચંદુભાઈનો સ્વભાવ એટલે ‘ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ’. તમે લંડન જાઓ અને ગુજરાતી પુસ્તકો કે ગુજરાતી સંગીતની તરસ લાગે તો ચંદુભાઈને ત્યાં સીધા પહોંચી જઈ શકો. અઢળક સાહિત્યિક સંપદા મળી આવે. સૂરના સાધક અને કળાના મરમી ચંદુભાઈ મટ્ટાણીએ અંતિમ શ્વાસ સુધી સંગીતની સેવા કરી હતી. અત્યારે એમનો સાંસ્કૃતિક વારસો દીકરો હેમંત મટ્ટાણી સંભાળી રહ્યા છે. ટૂંક સમયમાં જ આલાપ દેસાઈના સ્વર નિયોજનમાં અનુપ જલોટાનું આલબમ તેઓ બહાર પાડી રહ્યા છે. ઉચ્ચ ગુણવત્તા એ ‘શ્રુતિ આર્ટ્સ’ની પરંપરા રહી છે. સોના રૂપા યુટ્યુબ પર તમને એમની ઉત્તમ ગુજરાતી રચનાઓ સાંભળવા મળશે. સાથે ક્લાસિકલ અને સ્પિરિચ્યુઅલ સ્વરાંકન તો ખરાં જ. ગરવી ગુજરાતી ભાષાના રખેવાળો દુનિયામાં હજુ ય છે એ વાતનું ગૌરવ છે. સલામ આ સાંસ્કૃતિક દેવદૂતોને!

————————–

અમે યુ.કે.ના રહેવાસી

અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …
સ્ટર્લિંગ પાઉન્ડ ને પેન્સમાં ફરતા ફેરા લખ ચોર્યાસી

હે શિયાળે સોરઠ ભલો, ને ઉનાળે ગુજરાત રે
ચોમાસે વાગડ ભલો, ને કચ્છડો બારે માસ

કચ્છ ચરોતર ખેડા જિલ્લો કે ઉત્તર ગુજરાત
રહ્યા અહીં પણ વતન સાંભરે ભલો એ કાઠિયાવાડ

નોકરી ધંધો કરવા આવ્યા, થયા ભલે અહીં સધ્ધર
ઊંચા જીવે રહ્યા છીએ ને શ્વાસ રહ્યા છે અધ્ધર

અમે ભલે બ્રિટનમાં તો યે ભારતના નિત પ્યાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી

ડાયટ પેપ્સી પિત્ઝા બર્ગર ફિશ એન ચિપ્સનો આનંદ
દુ:ખિયાના બેલી જેવાં ઇંગ્લિશ પબ ને મેક્ડોનલ્ડ .. Big Mac..!!

ઉત્સવ કરીયે ધરમ-કરમના મંદિરે પણ જઇએ
હરે ક્રિશ્ન હરે રામ.(૨) જય સ્વામી નારાયણ

મૂળ વતનના સંસ્કારોને જરી ન અળગા કરીએ
વોર્મ્થ મળે ના વિંટરમાં જાતાં વેધરથી ત્રાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …

ઓક્સફર્ડ સ્ટ્રીટ ને થેમ્સ નદી વળી બકિંગહામ પેલેસ
બેલગ્રેવ રોડ ને ઇલિંગ રોડ પર ગુજરાતીનો ગ્રેસ
સાડી સોનું કરિયાણું ને તેજ તમાકુ તમતમ
ભજિયાં ભાજી ભરે થેલીમાં ગુજરાતી આ મેડમ

ઓલ રાઇટ ઓલ રાઇટ કરતા ચાલે ગુર્જર યુરોપવાસી
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …
અમે યુ.કે.ના રહેવાસી ગરવા ગુર્જર ગુજરાતી …

http://tahuko.com/?p=884

 https://www.youtube.com/watch?v=mTpXHQAZywU  

——————————

અમે યુ.એસ.ના રહેવાસી

અમે યુ.એસ.એ.ના રહેવાસી, પણ છીએ દિલથી ભારતવાસી

અમેરિકા તો વર્લ્ડ-ક્લાસ છે, મનમાં એવો દમામ
ડૉલર-સેન્ટમાં દીઠા સૌએ, અડસઠ તીરથધામ

ન્યુજર્સી કે મેનહટન, વોશિંગ્ટન બાલ્ટીમોર
વેસ્ટકોસ્ટમાં હોલીવૂડ ને ડિઝની કેરો શોર

સાંજ પડે ને સાંભરે અમને ડેડ-મોમ ને માસી
અમે યુ.એસ.ના રહેવાસી, પણ છીએ દિલથી ભારતવાસી

મોટલવાળા પટેલ મગનભાઈ મેક થયા છે ભાઈ
નોખા રહેતા ઇંડિયન થઈ કહેવાયા એન.આર.આઈ.

સ્વિચ ઊંધી નળ ઊંધા ચાલે ગાડી ઊંધે પાટે
ક્રિકેટ ગિલ્લી-દંડા છોડી બેઝબોલ માટે બાધે

ગોટ-પિટ ગોટપિટ કરતા જો મોટેલ પર બેઠા માસી
અમે યુ.એસ.ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

http://tahuko.com/?p=452

https://www.youtube.com/watch?v=XM_MxHSYe5Q

• ગીતકાર : સુરેન ઠાકર ‘મેહુલ’   • સંગીતકાર : આશિત દેસાઈ   • ગાયક : ચંદુ મટ્ટાણી, આશિત દેસાઈ, બાલી બ્રહ્મભટ્ટ

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 18 જુલાઈ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=532926  

Loading

જ્ઞાતિ ગૌરવ અને જ્ઞાતિવાદથી દેશનો વિકાસ નહીં થાય !

મનીષી જાની|Opinion - Opinion|17 July 2019

દેશમાં બંધારણના અમલ થયે હવે સિત્તેર વર્ષ પૂરાં થશે. સિત્તેર વરસ તો વડીલની ઉમ્મર કહેવાય !

પરંતુ દુખદ અને ચિંતાજનક વાત એ છે કે બંધારણમાં દર્શાવાયેલા, સૌ કોઈના હક્ક-અધિકાર તરીકે સ્વીકૃત બનેલાં સમાનતા, બંધુતા અને વ્યક્તિ સ્વાતંત્ર્યની રોજેરોજ ધજ્જિયા ઊડતી આપણા દેશમાં દેખાય છે.

એકાંતરે દિવસે બનતી કેટલીક ઘટનાઓ જોતાં હજીયે આપણે સામંતી સમાજમાં, રાજાશાહીમાં જીવતા હોઈએ એવું અનુભવી રહ્યા છીએ.

આપણા બંધારણે આપેલા હક્ક મુજબ દરેક પુખ્ત વયની વ્યક્તિ પોતાને મનપસંદ સાથી પસંદ કરી શકે છે અને અરસપરસની સમ્મતિથી લગ્ન કરી સંસાર માંડી શકે છે.

પણ હજીયે જાણે કે લગ્ન એ બે વ્યક્તિઓની અંગત બાબત ન રહેતા, બે પરિવારોનો મામલો અને ખાસ તો જ્ઞાતિ-સમુદાયનો મામલો જ બની રહ્યો છે. અને જ્યારે જ્ઞાતિ-જાતિપ્રથાનો અજગર ભરડો પરિવારોને ભીંસી રહ્યો હોય, ત્યારે બે વ્યક્તિઓની, ખાસ કરીને બે યુવાનહૈયાઓની પસંદગીની, વ્યક્તિ સ્વાતંત્ર્યની વાત ન રહેતા પરિવારને પરિવાર પર હાવી થયેલી જ્ઞાતિ-જાતિ અને તેની સાથે ચાલ્યા આવતા ધર્મની પકડ જ લગ્ન જોડાં નક્કી કરવાનું કામ કરી રહી છે.

રાજાશાહીના સમયમાં યુવાપ્રેમીઓ લૈલા-મજનુને ભેગા નહીં થવા દેવા માટે મજનુને પથ્થરો મારી મારીને મારી નંખાય છે, એવી ઘટનાઓ હજી ય આજના સમયમાં બની રહી છે.

હમણાં જ આપણા ગુજરાતમાં એક આવી જ દર્દભરી વાત બની. ઊર્મિલા ઝાલા નામની 22 વર્ષની યુવતી અને 24 વર્ષના હરેશ સોલંકીએ પોતાની પસંદગીથી લગ્ન ગયા વર્ષે કરી લીધાં. પણ ઉચ્ચ જ્ઞાતિના ગૌરવની વાત બનાવી દીકરીના પરિવારજનોએ આ લગ્ન ના સ્વીકાર્યા. અને એક યા બીજા કૌટુંબિક બહાને દીકરીના બાપ અને ભાઈએ પોતાના ઘરમાં જ ઊર્મિલાને પતિ હરેશથી અલગ પાડી ગોંધી રાખી.

હરેશ સોલંકીને ધમકીઓ મળતી રહી એટલે એણે પોલીસ પ્રોટેક્શન માટે માંગણીઓ કર્યા કરી. સમય જતાં પત્ની ગર્ભવતી છે એવું જાણતા તેને પોતાના ઘરે લાવવા તેણે મથામણો કર્યા કરી અને પોલીસના કહેવાથી જ, મુશ્કેલીમાં મૂકાયેલી મહિલાઓને મદદ માટે ચાલતી 181 અભયમ સેવાની વાનમાં જ બેસીને પત્નીના ગામમાં ગયો. જ્યાં એ સરકારી વાન પર જ, જેમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ પણ હતી, ઊર્મિલાના પરિવારજનો ને જ્ઞાતિજનોએ હુમલો કર્યો. ઊર્મિલાના ભાઈએ જ હરેશની જીભ કાપી નાંખી અને બાપે ને અન્ય જ્ઞાતિજનોનાં ટોળાંએ તેને ચપ્પા-છરીઓથી રહેંસી નાખ્યો.

દલિત પરિવારનો એક માત્ર કમાનારો અને ડ્રાઈવર તરીકે વ્યવસાય કરતા આ હરેશનો વાંક શું ? એણે કયું ગેરબંધારણીય કામ કર્યું ? માત્ર દલિત હોવું એ જ ગુનો ?

સવાલ તો એ જ થાય છે કે પોતાના લોહીથી જ પેદા થયેલી, પરિવારમાં જ ઊછરેલી સગી દીકરીનાં તેની ઇચ્છાથી જ થયેલા લગ્નને ખુશી ખુશી સ્વીકારવાને બદલે તેના પેટમાં 'દલિત'-અસ્પૃશ્યનું બાળક જીવી રહ્યું છે એવી હીન ભાવનાથી અને ઊંચી જ્ઞાતિના અહમ્‌ને પોષીને દીકરીના આખા ય ભવિષ્યને તહસ નહસ કરી નાંખવું અને ખાસ તો દીકરીનાં ખુદના આનંદ-ખુશી એ બધાંયની ક્રૂર હત્યા કરી નાંખવી અને એ પણ કોઈ ગુના વગર એ તે કેવો જાતે ઊભો કરેલો ન્યાય ?

આ પાશવી ઘટના ગુજરાતનાં કોઈ અંતરિયાળ ગામની ઘટના નથી. ગુજરાતના મુખ્ય અમદાવાદ જિલ્લામાં માંડલથી વાહન દ્વારા માત્ર પંદર મિનિટમાં પહોંચી જવાય એવાં વનમોર ગામની છે. ગામમાં આ જઘન્ય હત્યા રોકવા કોઈ આગળ ન આવ્યું પણ હત્યાના બે દિવસમાં તો આ ઘટનાને બિરદાવનારા ને હત્યારાઓની હિમ્મત ને ગૌરવ આપી ઈનામ જાહેર કરનારા સોશ્યલ મીડિયામાં છવાઈ ગયા !

પોલીસ પાંચ દિવસે આઠ હત્યારાઓને પકડી શકી છે. આ લખાય છે ત્યાં સુધી છૂપાવી રખાયેલી ઊર્મિલા સુધી પોલીસ પહોંચી શકી છે એવા સમાચાર છે. એ સમાચાર મુજબ ઊર્મિલાએ જણાવ્યું છે કે તે ગર્ભવતી નથી. શંકાસ્પદ ઘટનાઓ બની રહી છે …

અને રાજ્યના પાટનગરમાં વિધાનસભાનું સત્ર ચાલુ છે અને ત્યાં આ ઘોર ગેરબંધારણીય હત્યાકાંડ વિશે કોઈનાં પેટનું પાણી હલ્યું નથી એ ય હકીકત !

આવી જ એક બીજી ઘટના પણ સુખી સંપન્ન બે યુવા પ્રેમીઓની અત્યારે ટીવી, સોશ્યલ મીડિયા અને છાપાંઓમાં ચમકી રહી છે. ઉત્તર પ્રદેશના ભા.જ.પ.ના એક બ્રાહ્મણ ધારાસભ્યની દીકરી સાક્ષી મિશ્રાએ એક દલિત યુવાન સાથે લગ્ન કર્યા છે. અને તેણે સોશ્યલ મીડિયા દ્વારા વીડિયો વહેતો કર્યો કે તેના પિતાજી વગદાર વ્યક્તિ છે અને તે અમારાં લગ્નની વિરુદ્ધમાં છે એટલે અમને મારી નાખવા અમારી પાછળ પરિચિત લોકોને છોડ્યા છે. આ વીડિયોથી દેશભરમાં હોહા મચી. ટીવી ચેનલોનેએ આ યુગલના ઈન્ટરવ્યુ અને ધારાસભ્ય પિતાની મુલાકાતો પણ પ્રસારિત કરવા માંડી.

'આજતક' ઉપરના એક લાઈવ પ્રોગ્રામ દરમિયાન સોશ્યલ મીડિયા પર થતી કોમેન્ટોમાં મેં જોયું કે મોટાભાગના લોકો આ યુગલની હિમ્મત અને સંઘર્ષને બિરદાવવાને બદલે ટીવીનાં એન્કરને ગાળો દેવામાં પડેલા હતા કે "તમારી દીકરી આવું કરે તો તમને ખબર પડે !" “મા-બાપ, પરિવારની ઈજ્જત જાહેરમાં ધૂળધાણી આ છોકરી કરી રહી છે.."

આ પ્રકારની કોમેન્ટો વધારે જોવા મળી.

આ યુગલે પોતાનાં રક્ષણ -સંરક્ષણ માટે હાઈકોર્ટ માં અરજી કરી છે.

દીકરીનાં ધારાસભ્ય બાપ બહુ ઠંડા કલેજે ટીવી ચેનલોને 'સરકારી' જવાબ આપે છે કે 'મારી દીકરી પુખ્તવયની છે અને તેને જેની સાથે લગ્ન કરવા હોય તે એનો અધિકાર છે.'

પણ આ એક રાજકારણી બાપ જે બંધારણનાં શપથ સાથે લોક પ્રતિનિધિ તરીકે કાર્યરત છે તે આવાં લગ્નને, પોતાની દીકરીની પસંદગીને હસતા મોઢે સ્વીકારતા તો નથી જ. બંધારણની વાત કરે છે પણ સમાજમાં અને તે પણ એક નેતા તરીકે આંતરજ્ઞાતિય લગ્નને ઉમળકાથી વધાવી લેવાની વાત તો નથી કરતા પરંતુ એવાં ભયભીત યુગલોને કાનૂની સંરક્ષણ ને પોલીસ રક્ષણ પૂરું પાડવાની તેમની પહેલી ફરજ છે તેવી વાતની તેમની પાસેથી અપેક્ષા રહે છે.

પરંતુ દીકરી જ ખુદ કહે છે કે મારા પિતાજી જ અમને મરાવી નાખવા અમારી પાછળ પડ્યા છે. જાહેરમાં કોઈ પોતાનો જીવ બચાવવા અપીલ કરે છે ત્યારે પોલીસ તંત્ર, ન્યાય તંત્ર, સામાજિક ન્યાય વિભાગ, મહિલા આયોગ, માનવ અધિકાર આયોગ અને રાજકીય નેતાઓ ચૂપચાપ આ બધું જોયા કરે ત્યારે થાય કે આવી લોકશાહીને શું કરવાની ?

આવી ઘટનાઓ રોજેરોજ વર્ષોથી બનતી રહી છે. તે ઘટતી નથી. વર્ણવ્યવસ્થાને લઈ દલિતો ને પદદલિતો પર જુલમો વધતા જ રહ્યા છે.

મને યાદ આવે છે 1978ની સાલ. ઈસરો દ્વારા શરૂ થયેલા પીજ ગ્રામીણ ટીવી પ્રસારણ માટેના કાર્યક્રમો નિર્માણ કરવામાં હું સંકળાયેલો હતો. એ સમયમાં મને સમાચાર મળ્યા કે ભાવનગર જિલ્લામાં આવેલા ઝાંઝમેર ગામમાં કરસન નામના દલિત યુવાનને ગામના લોકોએ પથ્થરો મારી મારી ને મારી નાંખ્યો.

કમુ અને કરસન પ્રેમીઓ. કમુ કોળી પટેલ અને કરસન દલિત સમાજમાંથી હતો. બન્નેએ લગ્ન કરી લીધાં. કમુના પરિવારજનો સામે પડતાં ગામ છોડીને ભાગવું પડ્યું. કરસનનાં સગાંવહાલાંઓને ત્યાં સતત ચાર પાંચ મહિના ભટકતાં રહેવું પડ્યું. છેવટે પરગામમાં સ્થાયી થવાનાં ઈરાદા સાથે કરસન જ્યારે પોતાના ગામમાં ઘરે વાસણ, લોટ, કપડાં જેવી ચીજવસ્તુઓ લેવા આવ્યો તો કહેવાતાં ગામના ઉજળિયાત લોકોએ કમુનાં પરિવારજનોની સાથે રહી પથ્થરો મારી મારીને મોતને ઘાટ ઊતારી દીધો. આ આખીયે વીગતે સમજવા અને ટીવી માટે વીડિયો રેકોર્ડિંગ કરવા ટીમ સાથે ઝાંઝમેર જઈ રહ્યો હતો ને ભાવનગર પહોંચતા પહેલાં જ અમારી જીપને ભારે એક્સિડન્ટ થયો અને અમે એ જીપ લઈને ઝાંઝમેર જઈ શકીએ એમ ન હતાં.

ભાવનગર પહોંચી જાણ્યું કે દરિયા કિનારે અંતરિયાળ આવેલા ઝાંઝમેર જવા, રસ્તાઓ ખરાબ હોવાથી કોઈ ટેક્સીવાળા તૈયાર ન હતા. અમે કલેકટરને મળ્યા, પોલીસ અધિકારીને મળ્યા. બધાએ આખીયે ઘટના વિશે ઠંડો પ્રતિસાદ આપ્યો અને ગામમાં સંપૂર્ણ શાંતિ છે. ત્યાં જીપ સિવાય કોઈ વાહન જઈ શકે એમ નથી અને હવે ત્યાં જવાનો કોઈ મતલબ નથી. ત્યાં બન્ને પરિવારોમાંથી કોઈ નથી. તમે કોને મળશો ? ગામમાં ખૂબ કાદવ કીચડ છે એવી સરકારી વાતો કરી એ જમાનામાં અમને હતાશ કરી નાખ્યાં.

છેવટે અમને ખણખોદ કરતાં ખબર પડી કે કરસનની પત્ની કમુ મહિલા રીમાન્ડ હોમમાં છે અને તે સગીર છે કે પુખ્તવયની તેની તપાસ બાકી છે એવું અમને કહેવામાં આવ્યું.

અમે શોધખોળ કરી ચૂપચાપ ઝપાટાભેર કમુ પાસે પહોંચી ગયા. અને સંસ્થાના અધિકારી બહેનને લેખિત ખાતરી આપી કે કમુ સગીર પુરવાર થશે તો અમે ઈન્ટરવ્યુ ટેલિકાસ્ટ નહીં કરીએ અને ઝડપથી મેં એકાદ કલાકની તેની સાથેની વાતચીત રેકોર્ડ કરી લીધી.

હજી એ તેજસ્વી કમુની નિર્દોષ આંખો ક્યારેક માનસપટમાં છવાઈ જાય છે. એણે પોતે જ વાતચીતના આરંભે મને કહેવા માંડ્યું : '… હું ઊગમણી દિશામાં રહું અને કરશન આથમણી દિશામાં રહેતો હતો …'

અહીં મુદ્દાની વાત એ છે કે પરિવારજનો, જ્ઞાતિજનો, ગ્રામજનો હોય કે પછી સરકારી જિલ્લા કલેકટર કે જિલ્લા પોલીસ અધિકારી કે કહેવાતા સામાજિક કાર્યકરો.. આ બધાં જ્ઞાતિવાદ, જ્ઞાતિ ગૌરવ અને વર્ણવ્યવસ્થાના ઊંચનીચના માપદંડોને સ્વીકારી ને જ જિંદંગી જીવી રહ્યા છે.

અને એટલે આવાં પ્રેમીઓને સ્વીકારવા તેઓ તૈયાર નથી. તેમના પરિવારના, જ્ઞાતિ-જાતિના અભિમાનને જાણે કે તેનાથી ધક્કો પહોંચે છે. તેમની ઈજ્જત, જ્ઞાતિમોભો ખતમ થઈ જાય છે એવી માન્યતાઓ ખૂબ ઊંડે ઉતરેલી છે.

અને સાથે સાથે સવાલ એ છે કે આવી ઘટનાઓ ઘટવાને બદલે કેમ વધુ ને વધુ બનતી રહે છે ? ખાસ કરીને આપણા ગુજરાતમાં જ આર.ટી.આઇ.ના જવાબમાં મળેલા આંકડા દર્શાવે છે કે ગયા 2018ના વર્ષમાં દલિતો પર જુલમ અત્યાચારના 1545 જેટલા ગુના નોંધાયા જેમાં 22 હત્યા,81 ગંભીર રીતે જખમી કરનારા હુમલા, 104 બળાત્કાર, 7 લૂંટફાટ અને અન્ય પ્રકારના દમનના ગુના નોંધાયા છે.

આપણે લોકશાહીના પાયા મજબૂત થાય એવું બંધારણ સ્વીકાર્યું પણ લોકશાહીને આપણે ચૂંટણીઓ પૂરતી જ મર્યાદિત કરી નાંખી અને બંધારણમાં અસ્પૃશ્યતાને કલંક ગણ્યું ને તેને ગુનો ગણ્યો પણ વર્ણવ્યવસ્થાને તોડવાનો કે તેને નાબૂદ કરવા માટેના કોઈ કાયદા કે પ્રયત્નો પણ કર્યા નહીં.

પણ તેનાથી સાવ ઊંધું જ્ઞાતિઓને, જ્ઞાતિ-જાતિના મંડળો-સંગઠનોને મજબૂત કરવાનું કામ જ આપણે સાત-સાત દાયકા લગી લાગલગાટ કરતા રહેવાનું રાખ્યું. ચૂંટણી જીતવા તો જે તે વિસ્તારની જ્ઞાતિ-જાતિઓનાં સંગઠનો અને તેના આગેવાનોને ચૂંટણીના રાજકારણમાં વિશેષ મહત્ત્વ અપાતું રહ્યું અને ચૂંટણીનું અગત્યનું ગણિત જ નાણાંની સાથે સાથે વર્ણો બની ગયા.

અને જ્યારથી ધર્મ આધારિત રાજકારણને વેગ મળવા માંડ્યો, ધર્મ અને રાજકારણના સંબંધો ઘનિષ્ઠ બનવા માંડ્યા તેમ આ જેના પાયામાં ધર્મ છે, તે આ જ્ઞાતિ-જાતિના સંગઠનો વધુ તાકાતવાન બનાવવા રાજકીય પક્ષોએ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું.

અને લોકોમાં પણ એ વાત દૃઢ થઈ કે ચૂંટણીમાં જે જ્ઞાતિજન જીતે એ જ્ઞાતિવાળાઓને ફાયદો મળે, એમનો અવાજ બધે સંભળાય.

વાસ્તવિકતા જોઈએ તો ફાયદાની વાત સામાન્ય જનતાને લઈને તો ભ્રામક છે. પરંતુ જ્યારે સામાન્ય જનતા પાસે કોઈ સંપત્તિ કે સત્તા ન હોય, ત્યારે તેના માટે જન્મથી મળેલું આ 'જ્ઞાતિગૌરવ' જ મોટી મૂડી બની જાય છે.

આમ જ્ઞાતિઓ દેશમાં મજબૂત બની રહી છે અને પોતાની જ્ઞાતિનું મહત્ત્વ ક્યાં પુરવાર કરવાનું ?

તો એ માટે વર્ણવ્યવસ્થાના સહારે પોતાનાથી કહેવાતી નીચી જાતિઓ પર પોતાના જ્ઞાતિ અભિમાનથી, પોતાના વર્ચસ્વને સિદ્ધ કરવા દમન કરવું અને એ રીતે વર્ણવ્યવસ્થામાં ઠેઠ ચોથા ક્રમે આવતા શુદ્ર-દલિતો પર જુલમો વધતાં જાય છે.

જ્યાં જ્યાં દલિતો આર્થિક રીતે થોડાઘણા સુખી થયા છે, ત્યાં ઈર્ષાથી તેમને દબાવવા પ્રયત્નો થાય છે અને જ્યાં દલિતો ગરીબ છે, જમીનવિહોણા મજૂર છે તેમને કાયમ ગુલામ રાખવા તેમના પર જુલમો – અત્યાચાર કહેવાતી ઊંચી જ્ઞાતિઓ કરતી રહી છે.

રાજકારણીઓ પણ જ્ઞાતિ આગેવાનો છે યા તેમના ભરોસે પોતાનું ગણિત ચલાવે છે. અને લોકો જ્ઞાતિમાં વિખરાયેલા રહે અને તેમનામાં એકતા ઊભી ન થાય એ સત્તાધીશો અને ઉદ્યોગપતિઓના હિતમાં જ છે.

એટલે આવી જોરજૂલમ, દમનની ઘટનાઓ વખતે તેમનું મૌન, સિફતભરી ચૂપકીદી સ્વાભાવિક છે.

સામાજિક વિકાસ જ્યારે સમાજનો અટકે છે ત્યારે તર્ક, જ્ઞાન, માહિતી, વિજ્ઞાન, સંસ્કૃતિથી લોકો વિમુખ થાય છે અને એ જ જૂનવાણી રીતરિવાજો, વિધિવિધાનો, માન્યતાઓના અંધારામાં અટવાયા કરે છે.

પ્રગટ : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”; 17 જુલાઈ 2019

Loading

...102030...2,7782,7792,7802,781...2,7902,8002,810...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved