Opinion Magazine
Number of visits: 9456624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રેંટિયો 

કાશીનાથ ત્રિવેદી|Gandhiana|25 January 2025

−૧−

સાબરમતી આશ્રમની વાત છે. સન 1929-30નો એ જમાનો હતો બાપુએ આશ્રમનું નામ બદલી નાખ્યુ હતું સાબરમતીનો ‘સત્યાગ્રહ આશ્રમ’ હવે ‘ઉદ્યોગ- આશ્રમ’ કહેવાતો હતો. આશ્રમની પ્રાર્થનાભૂમિમાં સત્યાગ્રહ આશ્રમને સીમિત કરી દેવામાં આવ્યો હતો. પ્રાર્થનાભૂમિ સિવાય બાકીનો આખો આશ્રમ ઉદ્યોગ આશ્રમ માનવામાં આવતો હતો.

આશ્રમનું બધું વાતાવરણ ઉદ્યોગમય હતું. વહેલી સવારે ચાર વાગ્યાથી માંડીને રાતના નવ વાગ્યા સુધી આશ્રમ મધમાખીના મધપૂડાની માફક ભિન્ન ભિન્ન પ્રકારના ઉદ્યોગોથી ગુંજ્યા કરતો હતો. કોઈ આશ્રમવાસી એવો ન હતો જે પોતાના કામમાં આળસ કરતો હોય અથવા તો નકામી વાતોમા સમય ગાળતો હોય.

દરેક આશ્રમવાસીને સવારથી રાત સુધીના પોતાના કામની નોંધ રાખવી પડતી હતી, અને મિનિટે મિનિટનો હિસાબ આપવો ૫ડતો હતો. બાપુ પોતે આ બાબતમાં બહુ જ જાગ્રત રહેતા હતા અને ઘણુંખરું આશ્રમના પોતાના બધા સાથીદારોની ડાયરીઓ પોતે જ તપાસતા હતા. નાના મોટા બધા જ આશ્રમવાસીઓ જાગ્રતભાવથી પોતપોતાનાં કામમાં લાગ્યા રહેતાં હતા એની પાછળ એ પણ એક કારણ હતું.

આશ્રમના ઉદ્યોગોમાં ઝાડુ કાઢવું, પાયખાનાની સફાઈ કરવી, ઘંટીથી દળવું વગેરેથી માંડીને ૨સોઈ કરવી તથા વાસણ માંજવા સુધીના કેટલા ય નાના મોટા ઉદ્યોગો ચાલ્યા કરતા હતા. આ બધા ઉદ્યોગોનો રાજા હતો રેંટિયો. રેંટિયાની આસપાસ નાના મોટા બધા ઉદ્યોગો ગૂંથી લેવામાં આવ્યા હતા. દરેક આશ્રમવાસીને રોજ કાંતવુ પડતું હતું. દરેકે ઓછામા ઓછા ૧૬૦ તાર તો રોજ કાંતવા જોઈએ એવો નિયમ હતો. નાનાં બાળકો અને બીમાર માણસો સિવાય કોઈ બીજા માટે અપવાદ ન હતો.

બાપુનું પોતાનું જીવન તો રેંટિયામય બની ગયું હતું. રેંટિયો એ એમના જીવનનું એક સજીવ અંગ હતું. તેઓ તેને ભૂલી શકતા ન હતા. તેની ઉપેક્ષા કરવી એ તેમને માટે અશક્ય હતું. તેઓ રેંટિયાને ભારતની કામધેનુ કહેતા હતા. રેંટિયાની મદદથી તેમણે દેશને સ્વતંત્ર કરવાનું બીડું ઝડપ્યું હતું. રેંટિયાને તેમણે દેશના દરિદ્રનારાયણોનો મોટો આધાર માન્યો હતો. રેંટિયો તેમને માટે દેશની સ્વતંત્રતા, સ્વાવલંબન અને સ્વાભિમાનનું જીવતું-જાગતું પ્રતીક હતો. તેઓ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે ભગવાન, જો મને આ દુનિયામાંથી કોઈ દિવસ ઉપાડી લે તો એવા સમયે ઉપાડી લેજે કે જ્યારે મારા એક હાથમાં રેંટિયાનો હાથો હોય અને બીજા હાથથી પૂણીમાંથી સૂતર કાઢી રહ્યો હોઉં! રેંટિયો બાપુને માટે આટલો મહાન બની ગયો હતો! એટલા જ માટે બાપુએ પોતાના જન્મ દિવસને રેંટિયાનો જન્મદિવસ બનાવી દીધો હતો. એ જ કારણથી આખો દેશ ભાદરવા વદ ૧૨ને દિવસે રેંટિયાજયંતી ઉજવવા લાગ્યો અને રેંટિયા બારસનો દિવસ દેશને માટે એક પર્વનો દિવસ બની ગયો.

એ દિવસોમાં બાપુ સ્વ. મગનલાલભાઈ ગાંધીના ઘરમાં દિવસનો બધો વખત ગાળતા હતા. મગનલાલભાઈના મૃત્યુ પછી તેમની પત્ની અને બાળકોને આશ્વાસન આપવા માટે બાપુએ આ નવો નિર્ણય કર્યો હતો.  તેઓ ત્યાં જ આખો દિવસ રહેતા, લખતા, વાંચતા, કામ કરતા, લોકોને મળતા, રેંટિયો કાંતતા અને આરામ કરતા હતા.

24 જાન્યુઆરી 2025

•

−૨−

એક દિવસની વાત છે. પોતાના નિયમ પ્રમાણે બાપુએ તે દિવસે રેંટિયા ઉપર સૂતર કાંતી લીધું હતું. તેઓ સૂતરના ફાળકા ઉપર તાર ઉતારી રહ્યા હતા. એટલામાં તેમને કોઈ જરૂરી કામ અંગે બહાર જવાનું થયું. જતી વખતે તેમણે તેમના તે વખતના મંત્રી સુબૈયાને સૂતર ઉતારી લેવાનું અને તાર ગણી પ્રાર્થનાના વખત પહેલાં તેમને જણાવી દેવાનું કહ્યું. સુબૈયાએ “હા” કહી અને બાપુ ગયા.

એ પછી લોકોએ ભોજન કર્યું. પછી બધા સાંજે ફરવા નીકળ્યા. બાપુજી આશ્રમનાં બાળકો અને મોટેરાઓ સાથે રોજની જેમ ફરવા નીકળી પડ્યા. તે પછી પ્રાર્થનાનો ઘંટ વાગ્યો. અને બધા પ્રાર્થનાભૂમિ તરફ આવવા લાગ્યાં. બાપુ પણ ઝડપથી બાળકો સાથે હસતા ખેલતા પ્રાર્થનાના સમય પહેલાં પ્રાર્થનાની જગાએ આવી પહોંચ્યા.

પ્રાર્થના પહેલાં બધાં આશ્રમવાસીઓની હાજરી લેવાનો નિયમ હતો. અને દરેક આશ્રમવાસી પોતાની હાજરીની સૂચના આપતાં “ૐ” કહેતો અને સાથે સાથે તે તે દિવસના પોતે કાંતેલા સૂતરના તારની સંખ્યા પણ બતાવતો.

આશ્રમવાસીઓના હાજરીપત્રકમાં પહેલું નામ બાપુનું હતું. એ દિવસે પ્રાર્થના પહેલાં બાપુનું નામ બોલવામાં આવ્યું ત્યારે તેઓ “ૐ” બોલ્યા અને સૂતરના તારની સંખ્યાને માટે પોતાના મંત્રી સુબૈયાની તરફ જોયું. સુબૈયા ચૂપ હતા. બાપુ પણ ચૂપ રહી ગયા.

હાજરી પૂરી થતા જ પ્રાર્થના શરૂ થઈ. શાંત, પ્રસન્ન, ગંભીર અને સંગીતના સુંદર, સુરીલા વાતાવરણમાં પ્રાર્થના પૂરી થઈ. પ્રાર્થના પછી બાપુ હરરોજ આશ્રમવાસીઓ સાથે કંઈક વાતચીત કરતા. એ વાતચીત કોઈ કોઈ વાર કોઈ પ્રસંગ ઉપર પ્રવચનના રૂપમાં થતી, કોઈ વાર ચર્ચાના રૂપમાં અને કોઈ વખતે સૂચના-સલાહ અથવા આદેશના રૂપમાં થતી. આજે એ વાતચીતે પ્રવચનનું રૂપ લીધું. બાપુ બહુ જ ગંભીરતાપૂર્વક બોલ્યા. સત્યાગ્રહ આશ્રમનો એ અનન્ય સાધક આજે ઊંડી વેદનાથી બોલતો હતો. પ્રાર્થનાભૂમિ ઉપર બેઠાં બેઠાં બાપુએ પોતાનું મનોમંથન કર્યું. તેમને લાગ્યું કે આજે તેમણે ગંભીર ભૂલ કરી છે. તેઓ કર્તવ્યથી પદચ્યુત થયા છે. જેટલી હદે તેમણે એક મોટી ભૂલ કરી છે તેટલી હદ સુધી સત્યની સાધનાનો તેમનો આગ્રહ શિથિલ થયો છે. તેમનું મન વ્યાકુળ થઈ ગયું. તેઓ દુઃખ સાથે આ પ્રમાણે કંઈક બોલ્યા :

“મેં આજે જ સુબૈયાને કહ્યું હતું કે સૂતર ઉતારી લેજો અને મને તારની સંખ્યા જણાવી દેજો. એ  વખતે હું એક મોહમાં ફસાઈ ગયો. મેં વિચાર કર્યો કે સુબૈયા મારું કામ કરી લેશે. પરંતુ આ મારી મોટી ભૂલ હતી. મારે મારું કામ જાતે જ કરવું જોઈતું હતું. સૂતર હું કાંતી રહ્યો હતો. તેને ફાળકા પર ઉતારવાનું કહી હું કામ માટે બહાર ચાલ્યો ગયો. જે કામ મારે પહેલું કરવાનું હતું તે મેં ન કર્યું. ભાઈ સુબૈયાનો તેમાં કંઈ દોષ નથી. દોષ મારો છે. મેં શા માટે મારું કામ તેમના ઉપર છોડ્યું ? મારાથી આ પ્રમાદ શા માટે થયો? સત્યના સાધકે આવા પ્રમાદથી બચવું જોઈએ. તેણે પોતાનું કામ કોઈ બીજાના ઉપર છોડવું જોઈએ નહીં. આજની આ ભૂલથી હું બહુ સારો પાઠ શીખ્યો છું. હવેથી હું એવી ભૂલ કદાપિ ન કરીશ.”

બાપુ બોલી રહ્યા હતા. તેમનો એક એક શબ્દ હૃદયના ઊંડાણમાંથી વ્યથા સાથે નીકળતો હતો. શ્રોતાઓ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા હતા. સૌ અંતર્મુખ બન્યા ને ઊંડા વિચારમાં ગરકાવ બની પ્રાર્થનાભૂમિમાંથી વિદાય થયાં.

આવા આપણા બાપુ હતા. બીજાની ભૂલને પોતાની ઉપર ઢોળી લઈ તેને માટે નાના મોટા સૌની સમક્ષ ખુલ્લા દિલે પશ્ચાત્તાપ કરનાર બાપુ હતા! બીજાની ઢાલ બનવા માટે પોતાની જાતને મિટાવી શકનારા બાપુ હતા. અને તેથી જ આપણી વચ્ચે બાપુ અજોડ હતા અને તેમની વાતો પણ અનોખી હતી.

25 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 221 તેમ જ 222

Loading

જન ગણ મન અધિનાયક….ભારતીય ગણતંત્રના પંચોતેર વર્ષે 

નેહા શાહ|Opinion - Opinion|24 January 2025

નેહા શાહ

થોડા સમય પહેલા એક વીડિયો જોયો હતો, જેમાં એક પત્રકાર કોલેજના વિદ્યાર્થી યુવક – યુવતીઓને ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ વચ્ચેનો ફરક પૂછી રહ્યા હતા. ખૂબ આશ્ચર્ય વચ્ચે મોટા ભાગનાણ યુવાનોને આ અંગે કોઈ સ્પષ્ટતા ના હતી! એમને બે તારીખ ખબર હતી જ્યારે એમને રજા મળે છે પણ બંનેનું આગવું મહત્ત્વ શું છે એ સમજવાની જરૂર એમને કદાચ ન લાગી. ભારત આઝાદ થયો એ વાત સમજવી સરળ છે પણ ભારતે પોતાનું આગવું બંધારણ અપનાવી લોકતાંત્રિક ગણતંત્ર જાહેર કર્યું એનો મતલબ ઘણાને નથી સમજાતો.  લોકતંત્ર અને ગણતંત્ર બંને શબ્દો એકબીજાના પર્યાય લાગે પણ બંનેની વિભાવનામાં થોડો ફરક છે. બંને પદ્ધતિમાં પ્રતિનિધિને ચૂંટવાની રાજકીય સત્તા લોકોના હાથમાં હોય, પણ બંનેમાં પ્રતિનિધિઓના નિર્ણય લેવા માટે જરૂરી દાયરાની સમજ અલગ છે. ગ્રીક પરંપરામાંથી આવેલ ‘લોકતંત્ર’માં ચૂંટાયેલા પ્રતિનિધિ બહુમતી અભિપ્રાય પ્રમાણે નિર્ણય લે, જ્યારે રોમન પરંપરામાંથી જન્મેલી ગણતંત્ર પ્રથામાં પ્રતિનિધિ આડકતરી રીતે ચૂંટાયેલા હોઈ શકે જે દેશના બંધારણને આધીન નિર્ણય લે. ભારતના બંધારણ પ્રમાણે આપણે લોકતાંત્રિક ગણતંત્ર હોવાનું સ્વીકાર્યું છે.  

આ ૨૬ જાન્યુઆરીએ જ્યારે સ્વતંત્ર ભારતને ગણતંત્ર જાહેર કર્યાં ને પંચોતેર વર્ષ પૂરાં થઇ રહ્યાં છે, ત્યારે, પ્રસંગે, આપણું લોકતંત્ર – ગણતંત્ર ક્યાં પહોંચ્યું એનું સરવૈયું કરવું પ્રાસંગિક છે. લોકોના, લોકો દ્વારા અને લોકો માટે ગોઠવાયેલ રાજતંત્ર સાચા અર્થમાં કેટલા અને કયા લોકો માટે લોકતાંત્રિક બન્યો છે એ સવાલ પૂછવો જરૂરી છે. ૧૯૪૭માં ૨૦૦ વર્ષની ગુલામી પછી સ્વતંત્ર થયેલા, 30 લાખ ચોરસ કીલોમીટરથી વધુ ભૌગોલિક વિસ્તાર ધરાવતા, ૩૫ કરોડથી વધુ વસ્તી ધરાવતા, દેશ માટે લોકતંત્ર અપનાવવું અઘરું હતું. આપણે એ પડકાર ઉપાડ્યો અને ૭૫ વર્ષ સુધી લોકતંત્ર ફૂલ્યું ફાલ્યું. તેમ છતાં બંધારણમાં જે ગણતંત્રની જે વિભાવના છે તેના હાર્દ સુધી પહોંચવાથી આપણે જોજનો દૂર છીએ. એક રીતે જોઈએ તો ભારતમાં નાગરિકની  ભૂમિકા ચૂંટણીમાં મત આપવા પૂરતી મર્યાદિત રહી ગઈ છે. કહેવા માટે તો ભારતનાં નાગરિકો ચૂંટણીમાં મત આપી પોતાના પ્રતિનિધિ ચૂંટે છે. વાસ્તવિકતા એ છે કે ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી લોક પ્રતિનિધિઓના અભિગમમાં આસમાન જમીનનો ફરક હોય છે. ધન અને બળનું જોર ચૂંટણીનાં પરિણામ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય ત્યારે ચૂંટાયેલ નેતા લોક હિતમાં નિર્ણય લેશે કે કેમ એ વિષે શંકા જ રહે. જો લોકોના હિતમાં બંધારણ આધારિત નિર્ણય લેવાતા હોત તો આર્થિક અસમાનતા આટલી વધી ના હોત. કુદરતી સંસાધનો પર લોકોનું નિયંત્રણ રહ્યું હોત. શિક્ષણના અધિકારને માન્યતા આપતી વખતે સૌને ગુણવત્તા સભર સમાન શિક્ષણ મળે એ વાત પર ભાર મુકાયો હોત, જેથી શિક્ષણની પ્રક્રિયા અસમાનતામાં વધારો ના કરે. આજે સામાન્ય લોકોને ખાતરી છે કે દેશના વિકાસનાં ફળ એમના સુધી પહોંચતા તો પેઢીઓની પેઢી નીકળી જશે, ત્યારે ચૂંટણી ટાણે રોકડ રકમ સ્વીકારી મત આપવામાં ખચકાતા નથી. કારણ કે લોકતાંત્રિક પ્રક્રિયાનો એટલો જ ફાયદો એમના સુધી પહોંચ્યો છે. આ વાત દરેક રાજકીય પક્ષ પણ સારી રીતે સમજી ગયા છે, એટલે જેમ હરિયાણા, મહારાષ્ટ્ર કે પછી આવનાર દિલ્હીની ચૂંટણીમાં દેખાઈ રહ્યું છે એમ દરેક  પક્ષ વચ્ચે મતદાતાને રીઝવવા બેથી ત્રણ હજાર રૂપિયા આપવાની જાણે હોડ લાગી છે! જેની અસર ચૂંટણીનાં પરિણામ પર દેખાતી હોવાનું વિશ્લેષકો માને છે. આ વાસ્તવિકતાને કારણે સવાલ થાય છે કે દરેક ચૂંટણીમાં ભારતીય નાગરિક મત તો આપે છે એટલે આપણે લોકતંત્ર તો છીએ. પણ શું લોકોના હાથમાં સાચી સત્તા છે? અને શું આ લોકતંત્ર બંધારણનાં આદર્શ એવા સમાનતા સિદ્ધાંત આધારે ચાલી રહ્યું છે?

ગણતંત્રનાં પંચોતેર વર્ષે એ પણ હકીકત છે કે મહિલાઓ માટે સલામતી ઊભી થઇ શકી નથી, જે કોઈ પણ વ્યક્તિના નાગરિકી અધિકારનો પાયો ગણાય. બળાત્કાર અને હત્યાની અવારનવાર બનતી ઘટનાથી આપણે એટલા તો ટેવાઈ ગયા છીએ કે કલકત્તાનો તાલીમી ડોકટરના બળાત્કારનો કેસ જજને રેરેસ્ટ ઓફ ધ રેર ન લાગ્યો. અહી મૃત્યુદંડની યોગ્યતા /અયોગ્યતા પર દલીલ કરવાનો ઈરાદો નથી. એ ચર્ચા અલગથી થઇ શકે. પણ, પોતાનું કામ કરી રહેલી તાલીમી ડોક્ટરને હોસ્પિટલ જેવી જગ્યાએ મળવી જોઈતી યોગ્ય સુરક્ષિત સુવિધા ઊભી કરવા જેવી જરૂરિયાતનો અહેસાસ કરવા માટે જઘન્ય બળાત્કારની રાહ જોવી પડે એ મહિલાઓના નાગરિક તરીકેના દરજ્જા માટેની સરકાર અને સમાજની ગંભીરતા પર પ્રશ્ન ઊભા કરે છે.  

સરકારનો વિરોધ કરવાના અધિકારનો ઉપયોગ લોકો કરી શકે છે એટલું લોકતંત્ર – ગણતંત્ર ધબકતું છે. ખેડૂતોનું આંદોલન, સી.એ.એ. – એન.આર.સીના વિરોધમાં થયેલું આંદોલન, કોલકતામાં થયેલી બળાત્કારની ઘટના બાદ સડકો પર આવી ગયેલા લોકો એટલું આશ્વાસન આપે છે કે ચૂંટાયેલા પ્રતિનિધિ વિરુદ્ધ અભિપ્રાય રજૂ કરવાની સાંકડી બારી હજુ ખુલ્લી છે. અલબત્ત, સરકાર તમને દેશદ્રોહી જાહેર કરે, વર્ષો સુધી કેસ ચલાવ્યા વિના તમને જેલમાં પૂરી રાખી શકે, પોલીસ તમારી વાત સાંભળવાને બદલે લાઠી મારી શકે કે પછી ગોળીબાર પણ કરી શકે, એ જોખમ જરૂર છે. તમારી સામાજિક ઓળખાણ પ્રમાણે આ જોખમમાં વધારો ઘટાડો થઇ શકે. 

ટૂંકમાં, આપણે સાચા અર્થમાં લોકતંત્ર ત્યારે બનીશું જ્યારે સરકાર કોઈ પણ અપવાદ વિના દરેક નાગરિકના હકનો આદર કરતી હશે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બાપુનાં દર્શન 

મનુબહેન ગાંધી|Gandhiana|24 January 2025

તા. 4-4-1947

દિલ્હી 

4 થી 7 વચ્ચેનો ગાળો અહીં ખૂબ જ રળિયામણો લાગે છે. અનેક લોકો પ્રાર્થના માટે આવે અને જાય. અનેક નવા નવા માણસોને મળવાનું થાય છે. અને જેમ કોઈક તહેવારના પ્રસંગોએ આપણા ગામમાં અમુક જગ્યાએ મેળા ભરાય, તેવું વાતાવરણ અહીં થઈ જાય છે. બાપુજી તો વાઈસરોય સાહેબ પાસે ગયા હોય એટલે ભાવુક લોકો બિચારા એમના બેઠકના ઓરડાને જોઈને પાવન થાય છે. એટલુ જ નહીં પણ મારા જેવું કોઈક ત્યાં દરવાજે ઊભું હોય તો એમ પણ ઇચ્છે કે, ગાદીતકિયાને અડી પ્રણામ કરી ચાલ્યા જાય. પણ એવી રજા આપવામાં જોખમ રહે છે. કારણ કે બાપુજીની બેઠકની આસપાસ અનેક ઉપયોગી કાગળો અને અનેક જાતનું બીજું સાહિત્ય પડેલું હોય છે. લોકોને ના પાડતાં મન પણ દુભાય છે. ઘડીભર એમ પણ થાય છે કે, જેઓને ચોવીસ કલાકનો સતત સમાગમ બાપુજીનો મળે છે તેઓને હસવું આવે કે ગાદીતકિયાને અડીને શું ચાળા કરતા હશે? પણ “ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?” એના જેવી હાલત મારા જેવીની છે.

બાપુ સાથે મનુબહેન

હમણાં જ થોડી વાર પહેલાં પંજાબની બે ઘરડી બહેનો અને બાળકો આવ્યાં. આ બાળકોમાં એકનો એક પૌત્ર અને પૌત્રી હતાં. દીકરા વહુનો પત્તો નથી. હુલ્લડ થયું અને આ બે ડોસીઓ ભાગી. બે ડોસીઓમાં પણ એક હિંદુ પંજાબણ છે, અને એક મુસલમાન છે. વર્ષોનાં પડોશીઓ હતાં માઉન્ટગોમરીમાં (ગુજરાનવાલા જિલ્લાના). એ કહેતા હતાં કે, “જ્યારથી અમે પરણ્યાં છીએ ત્યારથી અમે સાથે જ છીએ.” 

એ બંને ડોસીઓના સસરાઓને સગા ભાઈઓ જેવો વ્યવહાર હતો એટલે ડોશીઓએ દેરાણી જેઠાણીનું સગપણું બાંધેલું, ૫ણ વ્યવહારમાં સગી બહેનો જેવી છે. આ બંને ડોશીઓના પતિ ઘણા ઘણા વખતથી ગુજરી ગયા. પેલી મુસલમાન ડોશીને તો કંઈ જ બાળક ન હતું. આ હિંદુ ડોશીને એક જ દીકરો, અને તેની એક દીકરીને દીકરો; એમ બે બાળકો. આ લોકો નિરાશ્રિત કેમ્પમાંથી બાપુજીના દર્શને આવ્યાં. કોઈકે એમને કહ્યું કે, હું મહાત્માજીની પૌત્રી છું અને એમની સેવામાં છું. ‘દેવ કરતા પૂજારીનું માતમ વધે’ એ કહેવત મુજબ બિચારી બંને ડોશીમાએ મને પ્રેમથી ચાંપી અને બધી વાત કરી. પેલી મુસલમાન ડોશી હિંદુના કેમ્પમાં જ રહે છે. પોતાનાં ઘરબાર છોડ્યાં, દીકરા-વહુનો પત્તો નહીં. આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. હીબકાં ભરતાં પોતાની દુઃખી કહાણી સંભળાવી અને કહ્યું કે, કોઈક પાપ આડું આવ્યું કે જેથી અમારી ઉપર આ આપત્તિ પડી. હવે બસ બાપુજીના દર્શન કરી પાવન થવું છે, બીજી કોઈ ઇચ્છા નથી.

હું તો આ વાત સાંભળી ચકિત થઈ ગઈ. વાહ બાપુના ભક્તો!! મેં કહ્યું, ‘માજી ! બાપુજી પ્રાર્થનામાં આવશે ત્યારે તમે જોઈ શકશો.’

માજી – ‘એમ નહીં, બેટા!! અમારે તેમના ચરણસ્પર્શ કરવા છે અને મારી આ દીકરી તથા દીકરા પર હાથ ફેરવે એટલે એમનો બેડો પાર. પણ ગાંધીજી ક્યાં બિરાજે છે?’

મેં પડદો ઉઘાડીને કહ્યું,  ‘સામો ગાદી તકિયો છે ને, ત્યાં બેસે છે. ‘

‘એમ નહીં; અમને ત્યાં જવા દે અને ત્યાં પગે લાગી આવીશું. ‘ 

મેં કહ્યું “માજી, તમને જવા દઉં તો મારાથી બીજા કોને ના પડાય ??’

એટલું કહ્યું અને બંને ડોશીમાની આંખો વળી ભરાઈ ગઈ. મારાથી આ દશ્ય ન જોવાયું એટલે અંદર જવા દીધાં. એટલી બધી ભક્તિ કે ખોળો પાથરીને પ્રણામ કરી પાવનતા અનુભવી તુરત જ તે લોકો બહાર નીકળ્યાં; અને મને અનેક આશીર્વાદ આપ્યા અને પ્રેમથી નવડાવી. મેં કહ્યું, “માજી, મેં તો કશું જ કર્યું નથી.” પણ જટાયુને જ્યારે રાવણે માર્યો ત્યારે પ્રભુનાં દર્શન માટે જ એ રામનામને જપતો જપતો પડ્યો. ભગવાન સીતાજીની શોધ માટે ત્યાં આગળથી નીકળ્યા અને જેમ જટાયુના મનની વેદના ટળી ગઈ, તેમ આ બંને ભક્ત ડોશીઓ ગાદીને પ્રણામ કરીને આનંદિત થઈ ગઈ.

બાપુજી વાઈસરોય હાઉસથી પાછા ફર્યા. અડધી ડાયરી તો બપોરના લખી હતી. બાકીનો આ ભાગ રાતે બાપુજી સૂઈ ગયા પછી ૧૧ વાગ્યે લખું છું.

જે બે ડોશીમા આવ્યાં હતાં તેની વાત બાપુજીને સંભળાવી; અને પ્રાર્થનામાં જવા હાથ મોં ધોઈને બાપુજી બહાર નીકળ્યા ત્યારે તે બંને જણીને મળ્યા. માથે હાથ મૂક્યો અને ડોશીમાએ બાપુજીનો હાથ પકડી પોતાનાં બાળકો ઉપર વારંવાર ફેરવાવ્યો. છોકરો સાત વર્ષનો હતો, છોકરી પાંચ વર્ષની. શી ભક્તિ હતી !

રામાયણનો દોહરો બરાબર આજે નજરે નિહાળ્યો કે: –

कर सरोज शिरू परसे, कृपासिंधु रघुवीर; 

निरखी राम छवि धाम मुख, विगत भयी सब पीर ।

અને ડોશીમાનાં આશીર્વાદ મને તો એવા ફળ્યા કે, આજે ચાર દહાડે  પ્રાર્થના થઈ શકી.

[મનુબહેન ગાંધીકૃત ‘બિહારની કોમી આગમાં’]
23 જાન્યુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક 220

Loading

...102030...276277278279...290300310...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved