Opinion Magazine
Number of visits: 9577262
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહી – પડકારો અને વિકલ્પો

સ્વાતિ જોશી|Opinion - Opinion|20 June 2019

૨૩મી મેએ ભારતમાં એક મોટું, ઐતિહાસિક અને ચોંકાવનારું રાજકીય પરિવર્તન આવ્યું છે.  લોકસભાની ચૂંટણીમાં બહુમતવાદી લોકશાહી, એટલે કે હિન્દુ રાષ્ટ્રવાદની જીત થઈ છે. બીજા શબ્દોમાં, લોકશાહીની પ્રક્રિયા દ્વારા ફાસીવાદ વિજયી થયો છે. આ ક્ષણ ભારતના ઇતિહાસમાં એક મહત્ત્વના વળાંકની ક્ષણ છે. ટાગોરની કલ્પનાનું ભારત જેમાં મન ભયથી મુક્ત અને સ્વતંત્ર હોય અને માથું સ્વમાનથી ઊંચું હોય, એની શક્યતાઓ રહેલી હતી, એની જગાએ આજે ‘નવા ભારત’માં મન ભયથી ભરેલું અને માથું વ્યથાથી નીચે ઝૂકેલું હોય, એવો અહેસાસ થાય છે.

શરૂઆતમાં જ એ કહેવાની જરૂર છે કે આ ચૂંટણીનાં પરિણામો સાથે ચેડાં થયાં છે, એ ચર્ચામાં આપણે ગૂંચવાઈ ન જઈએ. એ ચર્ચા આજે જે વાસ્તવિકતા છે, એની તરફથી ધ્યાન બીજી તરફ દોરે છે. આપણી લડત અને શક્તિ ઇ.વી.એમ. સામે નહીં, પરંતુ જે સામાજિક તત્ત્વો વિભાજનનાં બીજ રોપી રહ્યાં છે એના પર કેન્દ્રિત થવી જોઈએ. આજે એક બહુ મોટો રાજકીય બદલાવ આવ્યો છે, જેમાં હિંદુત્વનાં બળોનો વિજય થયો છે. આ પરિસ્થિતિને આપણે સમજવી પડશે અને એને કેવી રીતે પડકારી શકાય એ વિચારવું પડશે. જો પરિણામો સાથે ખરેખર ચેડાં થયાં હોય અને એ શક્યતા પૂરેપૂરી નકારી શકાય એવી નથી, તોપણ આ પરિસ્થિતિ બદલાતી નથી. હા, એક વાત એ જરૂર છતી કરે છે કે ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ જે ન્યાય આપનારી સંસ્થાઓ છે એ પણ આ બળોને તાબે છે, જે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવે છે અને એ સૂચવે છે કે બંધારણને બદલ્યા વગર, આ અને બીજી સંસ્થાઓની મદદથી, કોઈ પણ નિયંત્રણ વગર હવે શાસકપક્ષ પોતાનું ધાર્યું કરી શકશે. 

એ વાતનો સંદેહ ન હોવો જોઈએ કે મોદી જેને ‘નવું ભારત’ કહે છે, એ છેવટે હિંદુત્વનો આવિર્ભાવ છે. આ ચૂંટણી એ બહુમતીના રાજકીય વર્ચસ્વ – હેજેમની -નું પરિણામ છે. હિન્દુઓને એકત્ર કરવા માટે બે દલીલો વપરાય છે : એક તો ભારતને મજબૂત કરવા હિન્દુઓની એકતા સ્થાપવી અને બીજું દેખીતા સામાન્ય દુશ્મન પર ધ્યાન કેન્દ્રિત કરવું.  જે પોતાથી અલગ છે, ‘બીજા’ કે ‘દુશ્મન’ છે, એની સામે નફરતનો ઊભરો ઠાલવવો અને એ રીતે લોકોની સહાનુભૂતિ અને ટેકો મેળવવા. ચૂંટણીનાં પરિણામો ‘નવું ભારત’ રજૂ કરે છે, જેમાં લઘુમતી કોમોને, ખાસ કરીને મુસ્લિમ અને ખ્રિસ્તીઓને, પોતાની જગ્યા બતાવી દેવામાં આવી છે અને એમને બહુમતવાદી વાસ્તવિકતાને શાંતિથી સ્વીકારવાનું કહેવાનો સંકેત છે. એ વિશે કોઈ શક ન હોવો જોઈએ કે આ જીત એ આર.એસ.એસ.ની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, જીત છે. બેશક એ જીતના પ્રણેતા એક (કે કદાચ બે) ખૂબ જ શક્તિશાળી નેતા છે. આ વિજયનાં ઘણાં પરિમાણો છે, જે આપણે સમજવાં જોઈએ.

પહેલું તો, આ વખતના ચૂંટણીપ્રચારમાં વડાપ્રધાન મોદીએ વિકાસનો, આર્થિક પ્રશ્નોનો, સ્વાસ્થ્ય કે બીજી યોજનાઓ કે કાર્યક્રમોનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. છેલ્લાં પાંચ વર્ષમાં આર્થિક વ્યવસ્થામાં થયેલી અધોગતિ, ખેડૂતોની કટોકટીભરેલી પરિસ્થિતિ, બેરોજગારીમાં થયેલો દેખીતો અકલ્પ્ય વધારો વગેરે પ્રશ્નો સરકારને ચુનૌતી આપવા માટે ઘણા ગંભીર હતા. આ છતાં એ પ્રશ્નો વિશે ભા.જ.પ. શું કરવા ધારે છે, એની પ્રચારમાં કોઈ વાત થઈ ન હતી. એને બદલે મોદીના ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીય સલામતીનો પ્રશ્ન અગ્રસ્થાને રહ્યો, જેમાં ‘ચોકીદાર’ રૂપક – ૫૬ ઇંચની છાતીવાળા પ્રધાનમંત્રીની દેશનું રક્ષણ કરનાર સૌથી શક્તિશાળી નેતાની છબી દ્વારા રજૂ થતા પૌરૂષીય રાષ્ટ્રવાદનો સફળ ઉપયોગ થયો, જેમાં પુલવામા અને બાલાકોટની ઘટનાઓનો પૂરેપૂરો ફાયદો લેવાયો અને એના પર તેમજ લશ્કરી બળો પર મત માગવામાં આવ્યા. ચૂંટણી-વિસ્તારોને બહુમતી-લઘુમતીના સંદર્ભમાં ઓળખાવવામાં આવ્યા. આમ, છડેચોક નૈતિક આચારસંહિતાનું ઉલ્લંઘન કરીને લોકોને ઉશ્કેરવામાં આવ્યા. દરેક જગાએ લોકોની લાગણીઓ ઉત્તેજીને મોદીએ લોકો સાથે અનુસંધાન સાધ્યું. અમિત શાહે પણ કાશ્મીર સંબંધે અને રાષ્ટ્રીય નાગરિક પંજીકરણના મુદ્દાઓ ઉઠાવી બહુમતવાદને ઉશ્કેર્યો અને લઘુમતીને માટે ‘ઊધઈ’ જેવા શબ્દ વાપર્યા અને વિભાજનની વિચારધારાને ઉત્તેજન આપ્યું. આ પરિણામો ચોખ્ખું બતાવે છે કે બંગાળ, તેલંગણા, બિહાર અને ઉત્તરપ્રદેશમાં તો પહેલેથી જ, મોટા પાયા પર હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વિભાજન થયું છે.

બીજું, હિન્દુ આતંકવાદના આરોપી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપવાનું ભા.જ.પે. યોગ્ય ઠેરવ્યું છે અને ખુલ્લી રીતે હિંસક અને ઉગ્ર હિંદુત્વનું સમર્થન કર્યું છે જે ગોડસેને દેશભક્ત તરીકે પૂજે છે. હિન્દુરાષ્ટ્રની સ્થાપના તરફ આ મહત્ત્વનુ સૂચક પગલું છે, જેને માટે અનંત હેગડે, સાક્ષીમહારાજ અને પ્રજ્ઞા ઠાકુર જેવાં લોકસભાના સભ્યો તૈયાર છે. ભવિષ્યમાં આ પ્રકારનાં હિંદુત્વ પરિબળો વધુ આક્રમક સ્વરૂપ ધારણ કરી શકે, એનાં એંધાણ પણ એ આપે છે.

ત્રીજું, ૨૦૧૯ની ચૂંટણી એ ૨૦૧૪ની ચૂંટણી કરતાં ઘણી મહત્ત્વની છે, કેમ કે આજે વધુ મોટો વિજય મળ્યો છે, એટલું જ નહીં, પરંતુ ૨૦૧૪ની ચૂંટણી આગળની યુ.પી.એ. સરકારની નિષ્ફળતા સામે લડાઈ હતી, જ્યારે આ ચૂંટણી અને વિજય એ ભા.જ.પ. સરકાર છેલ્લાં પાંચ વર્ષમાં બધાં ક્ષેત્રે નિષ્ફળ ગઈ હોવા છતાં, ભા.જ.પ. જે સિદ્ધાંતો માટે લડે છે, જેમાં એના દેશને ધર્મને નામે વિભાજિત કરવાનો એજન્ડા પણ સામેલ છે, એનું સ્પષ્ટ સમર્થન છે.

ચોથું, આજે જે બની રહ્યું છે તે નવ-ઉદારીકરણના મૂડીવાદની કટોકટીથી ઊભી થયેલી પરિસ્થિતિ છે. ફાસીવાદ એ મૂડીવાદનો છેલ્લો મરણિયો પ્રયત્ન છે જેની પાસે લોકોને પોતાનાં હિતોની વિરુદ્ધ જઇ રાજ્યને ટેકો આપવા માટે છેતરવા સિવાય કોઈ ઉપાય નથી. એક બાજુ લાખોની સંખ્યામાં લોકો દર વર્ષે કામ માટે તૈયાર થાય છે તો બીજી બાજુ એમને આપવા માટે નોકરીઓ નથી. બેરોજગારી અને અત્યંત અસમાન અર્થ વ્યવસ્થાથી પીડાતા અસંખ્ય લોકોનું ધ્યાન મૂળ પ્રશ્ન પરથી હટાવવા રાષ્ટ્રવાદ જેવી કલ્પના એમને જીવનમાં કોઈ હેતુ હોવાનો અહેસાસ કરાવે છે. આ ચૂંટણીની કોઈ એક સૌથી મોટી સફળતા હોય, તો એ મોદીની સામાન્ય, ગરીબ લોકો સાથે આત્મીયતા બાંધવાની છે. મોદી એમને ગરીબી દૂર કરવાનું સ્વપ્ન બતાવે છે, જે આ મૂડીવાદની એક જરૂરિયાત છે. કાર્યકર્તાઓને કરેલા વિજયભાષણમાં મોદીએ કહ્યું કે બે જાતિના લોકો છે – ગરીબો અને ગરીબોને ગરીબીમાંથી બહાર લાવનારાઓ. એ સૂચક છે કે મોદી ગરીબ અને તવંગર વચ્ચે વર્ગભેદની વાત નથી કરતા અને એને અનુરૂપ આર્થિક સમાનતા માટેની સરકારની યોજનાઓ વગેરેનો ઉલ્લેખ નથી કરતા; પરંતુ ગરીબોની ગરીબી દૂર કરનાર તારણહારની પોતાની છબી રજૂ કરે છે. જ્યારે આખી અર્થવ્યવસ્થા ભાંગી પડી હોય કે ધીમી પડી ગઈ હોય, નોટબંધી જેવી યોજનાઓને કારણે અસંખ્ય લોકોને નુકસાન થયું હોય, કેવળ ઉપરના એક ટકા લોકોને અતિશય આર્થિક નફો થયો હોય, ત્યારે આ એકમાત્ર રસ્તો પ્રજાને ભ્રમમાં રાખવાનો છે અને એ સફળ થયો છે.

ઉપરાંત, એ પણ ચોક્કસ છે કે આ ચૂંટણી અનેક ભાંગ્યાતૂટ્યા, નબળા, અંદર-અંદર લડતા વિપક્ષો સામે એક અતિ શક્તિશાળી નેતાને રજૂ કરવાને કારણે પણ સફળ થઈ છે. આજે આખી દુનિયામાં આ ચાલ દેખાય છે કે જમણેરી લોકભોગ્ય રાજકારણ એક અતિ શક્તિશાળી નેતામાં અને એના દ્વારા રજૂ થાય. એ પણ સાચું છે કે ચૂંટણીનાં રાજકારણમાં દેશમાં ફાસીવાદ વિરોધી મંચ નથી. કોઈ રાજકીય પક્ષ ફાસીવાદ સામે સત્ય બોલવા તૈયાર નથી. વિજયભાષણમાં પ્રધાનમંત્રીએ એક ભય પમાડે એવી વાત કહી કે ૨૦૧૯ની ચૂંટણીએ ધર્મનિરપેક્ષતાને ખતમ કરી દીધી છે. એક રીતે આ સાચી વાત છે. છેલ્લાં પાંચ વર્ષમાં મુસ્લિમોની થયેલી હત્યા કે એમની તરફ વધતાં જતાં નફરત અને ભયના વાતાવરણ વિશે કૉંગ્રેસ કે બીજા કોઈ પક્ષે સીધો ઉલ્લેખ કર્યો ન હતો. બહુમતીના મત ખોવાની બીકે લઘુમતીને વિશ્વાસ આપવાની કોઈ વાત થઈ ન હતી. આ પણ બતાવે છે કે આ ચૂંટણી એ બહુમતવાદનો વિજય છે.

આજે ભારતની લોકશાહી અને લોકતાંત્રિક સંસ્થાઓમાંથી આપણી ઘટતી જતી શ્રદ્ધા એ અત્યંત ચિંતાનો વિષય છે. જમણેરી તત્ત્વોને જે સંસ્થાઓ અધિકારો અને ન્યાય માટે ઊભા રહેવાનો દાવો કરે છે – જેમ કે ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ – એમનો ટેકો મળે છે. એ એક ખતરનાક શક્યતા ઊભી કરે છે. શાસકપક્ષને બંધારણ બદલવાની પણ કોઈ જરૂર ના રહે, કેમ કે એ આ સંસ્થાઓ દ્વારા પોતાનું ધાર્યું કરી શકે છે. લોકશાહીની દરેક પ્રક્રિયા, દરેક સંસ્થા, દરેક અધિકારો આજે ખતરામાં છે. આ સૌથી મોટો પડકાર છે.

આજે લોકશાહીની મદદથી ફાસીવાદ સત્તા પર આવ્યો છે.  લોકશાહીના માળખામાં રહીને એનો કેવી રીતે પ્રતિરોધ કરવો? આજની લોકશાહીનું સ્વરૂપ પહેલાની લોકશાહીના સ્વરૂપથી જુદું છે. ઉદારમતવાદી લોકશાહી એ ઔદ્યોગિક મૂડીવાદની જરૂરિયાત હતી. આજે નવ-ઉદારીકરણના મૂડીવાદનું લક્ષણ એ બહુમતવાદી/જમણેરી લોકશાહીનું સ્વરૂપ છે. એને  કેવી રીતે પડકારી શકાય? ચૂંટણી દરમિયાન સતત ‘ખાન માર્કેટગેંગ’ કે ‘લત્યન્સ દિલ્હી’[Lutyens’ Delhi]ના ‘એલીટ’, ચુનંદા લોકો, પર મોદીએ જોરથી પ્રહાર કર્યા. જે કોઈ પોતાની સ્વતંત્ર બુદ્ધિથી વિચારે છે અને એમને તાબે નથી થતા એ બધા એમને માટે ‘એલીટ’ છે. રામ માધવે ચોખ્ખી ફાસીવાદી ભાષામાં આવા લોકોને દેશના સાંસ્કૃતિક અને બૌદ્ધિક જીવનમાંથી બહાર ફેંકવાની વાત કરી. ખાસ તો એમના ‘સેક્યુલર’ ભારતના વિચારનો વિરોધ થયો, જેમાં સ્વાભાવિક રીતે બહુમતી કોમને વિશિષ્ટ મહત્ત્વ મળે નહીં. આથી એક ‘નવા ભારત’ના વિચારને વિકસાવવાની વાત ઉપર ભાર મૂક્યો, જે ધાર્મિક લાગણીઓ પર રચાયેલો છે અને જે એક વિશ્વસ્ત હિન્દુ કેન્દ્ર વગર વિકસાવી ન શકાય. ૨૦૧૯ની ચૂંટણીનો આ કદાચ આ સૌથી અગત્યનો સંદેશ છે.

મોદી-શાહની ચૂંટણી જીતવાની ફૉર્મ્યુલાએ આપણી પૃથક્કરણ કરવાની, પ્રશ્નોને સમજવાની અને ઉપાય શોધવાની તમામ પદ્ધતિઓને અપ્રસ્તુત બનાવી દીધી છે. વર્ગ, જાતિ, લિંગ કે ધર્મ વિશેના સામાન્ય માપદંડો વિશે આપણે નવેસરથી વિચારવવું પડશે. ઉત્તરપ્રદેશનાં પરિણામો બતાવે છે કે જાતિનાં કોઈ સમીકરણો ચાલ્યાં નહીં. મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે બે જ જાતિ છેઃ ગરીબો અને ગરીબોનો ઉદ્ધાર કરનાર. જાતિનો અહીં એમણે જુદો ઉપયોગ કર્યો. કદાચ એ એમ કહેવા માંગે છે કે એમણે જાતિનો નાશ કર્યો. પરંતુ હિન્દુધર્મ મૂળમાં જ જાતિવાદી છે અને ભા.જ.પ. અને આર.આર.એસે. જાતિને વધુ મજબૂત બનાવી છે. એક બાજુ એ હિન્દુઓની એકતાની વાત કરે છે અને બીજી બાજુ બ્રાહ્મણવાદી હિન્દુ વિચારાધારા મુજબ દલિતો પર દમન થાય છે. એક સામે બીજી જાતિને ભિડાવીને એ ચૂંટણી જીત્યા છે. આનો પ્રતિકાર કેવળ સીધા જાતિ આધારિત રાજકારણથી નહીં, પરંતુ જુદી રીતે વિચારવો પડશે. એવી જ રીતે એ વર્ગનો પ્રશ્ન જુદી રીતે, ઉપર કહ્યું તેમ મૂકે છે. દેશમાં આજે ચંદ અમીરો, જે અઢળક સંપત્તિના માલિક છે અને અકલ્પ્ય આર્થિક અસમાનતાનું મૂળ કારણ છે, એમને ગરીબોના દુશ્મન સમજવાને બદલે, અને અસમાનતાના એ પ્રશ્નને હલ કરવાના પ્રયાસને બદલે, મોદી પોતાને વંચિતોના તારણહાર તરીકે રજૂ કરી, થોડી કલ્યાણ યોજનાઓના ટુકડા ધરી, આર્થિક અસમાનતાના પ્રશ્નને મૂળમાંથી દૂર કરવાને બદલે, વંચિતોને ભોળવે છે. મોદી-શાહે, નવ-ઉદારીકરણ અને હિન્દુ રાષ્ટ્રવાદે, વિમર્શની શરતો અને રીતો બદલી નાખી છે. આપણે એમના વિમર્શને બરાબર સમજાવો પડશે, જેથી એનો અસરકારક પ્રતિકાર થઈ શકે.

આ ચૂંટણીનો સૌથી અગત્યનો નિષ્કર્ષ એ મોદીનું સામાન્ય લોકો સાથેનું તાદાત્મ્ય, જે વર્ગ, જાતિથી પર છે, એ છે. એની સામે એક નવું પ્રગતિશીલ, ડાબેરી સંગઠન ઊભું કરવાની જરૂર છે, જે સામાજિક અને આર્થિક પ્રશ્નો વિશે નવેસરથી વિચારી શકે. પરંતુ આ બહુ મુશ્કેલ છે. એક રાજકીય વિકલ્પ માટે વર્ગ, જાતિ, ધર્મ વગેરે પ્રશ્નોના સામાજિક અને આર્થિક જવાબો આપણી પાસે છે, જે ફાસીવાદનો પ્રતિકાર કરી શકે? આ પ્રશ્નોના નવેસરથી વિશ્લેષણની જરૂર છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે આજે આર.આર.એસ. દેશમાં એક માત્ર સંગઠન છે જે સામાન્ય, ગરીબ લોકો સુધી દેશના છેક અંદરના ભાગોમાં પહોંચી ગયું છે. બેશક એનું ધ્યેય એમને હિંદુત્વ તરફ વાળવાનું છે અને એ માટે શિક્ષણના મુખ્ય સાધનનો એ ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લાં સો વર્ષથી શરૂ થયેલા પ્રયાસોને કારણે આજે એની પાસે એક શિસ્તબદ્ધ, લડવા માટે સજ્જ લોકોનું અતિ વિશાળ માળખું છે. આવું વ્યવસ્થિત માળખું કદાચ દુનિયામાં કોઈ જમણેરી સંગઠન પાસે નથી. આની સાથે ભા.જ.પ. પાસે એ ધારે તે કરી શકે, એ માટે અનેક ગણાં પૈસા છે. અઢળક પૈસા અને શિસ્તબદ્ધ સેનાએ એના વિજયને સરળ બનાવ્યો છે અને એની મદદથી એ ધારે એ કરી શકે એમ છે. અતિશય ધનસંગ્રહ અને લડાયક સૈન્યનો સામનો કરવો અત્યંત મુશ્કેલ છે.

છેલ્લાં પાંચ વર્ષમાં આપણે ખેડૂતોનાં વિશાળ આંદોલનો, આદિવાસીઓનો પોતાના જંગલ અને જમીન માટેનો સંઘર્ષ, વિશ્વવિદ્યાલયોમાં, જે સ્વતંત્ર, રૅશનલ વિચારો અને વિવાદનાં કેન્દ્રો છે, ત્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની લડત વગેરે અનેક આંદોલનોના સાક્ષી બન્યા છીએ. આ આંદોલનોએ વધુ સબળ થઈ ભેગા થવું પડશે, જેથી એક સશક્ત, સહિયારું, સંગઠન જમણેરી તત્ત્વોને પડકારી શકે. જમણેરી, ફાસીવાદી બળોનો મુખ્ય હુમલો પોતાની વિચારધારાથી અલગ વિચારનારાઓ અને શિક્ષણસંસ્થાઓ પર છે, જેથી ખરું શિક્ષણ, જ્ઞાન, સ્વતંત્ર વિચારવાની શક્તિ બધું જ ખતમ થઈ જાય. આ એક બિહામણા ભવિષ્યનો સંકેત છે. વિશ્વવિદ્યાલયો પર આથી વધારે દબાણ આવવાની શક્યતા છે, પરંતુ શિક્ષણ સંસ્થાઓમાં જ સૌથી વધારે વૈચારિક વિદ્રોહની અને વિકલ્પોની શક્યતાઓ પણ રહેલી છે. ત્યાંથી નવી પરિસ્થિતિને પડકારી શકે એવા નવા વિચારો નીકળશે, એવી આશા રાખીએ.  

[૨૫ મેએ ‘લોકશાહીપર્વ’ પર અમદાવાદમાં યોજાયેલા પરિસંવાદમાં બોલાયેલું.]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 06, 07 તેમ જ 09

Loading

‘નવી શિક્ષણ નીતિ’ વ્યાપક ચર્ચા માગે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|20 June 2019

નવી શિક્ષણ નીતિની તાકીદ અને તીવ્રતા બાબત બેમત અલબત્ત નથી. ખાસ કરીને, અમદાવાદને તો ઈસરોને કારણે પરિચિત અને પોતાના લાગતા રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અવકાશવિજ્ઞાની કે. કસ્તૂરીરંગન જ્યારે કૉલેજને નામે ધોરણ વગરની ચાલતી હાટડીઓ પર, ‘નકલી કારખાનાં’ પર રોક લગાવવાની વાત કરે ત્યારે કોણ રાજી ન થાય. એમની ચિંતા ને ચેતવણી બિલકુલ વાજબી છે. પણ પ્રશ્ન એ છે કે એના અમલ માટે રાજકીય સંકલ્પ શક્તિ ક્યાં છે? જો કે, કસ્તૂરીરંગન અને સાથીઓ જ્યારે વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ રાષ્ટ્રીય શિક્ષા આયોગ (નૅશનલ એજ્યુકેશન કમિશન) નામની સર્વોચ્ચ સંસ્થાની ભલામણ કરે છે ત્યારે એક સાથે બે પરસ્પરવિરોધી સંકેતો મળે છે. એક સંકેત, નવી શિક્ષણ નીતિમાં અમલની દૃષ્ટિએ શાસનના સર્વોચ્ચ સત્તાસ્તરેથી હોવા જોઈતા દાયિત્વનો છે. સંભવતઃ કસ્તૂરીરંગન અને સાથીઓને અભિમત પણ એ જ હશે. પરંતુ, બીજો સંકેત સંમિશ્ર છે. અને તે એ કે જે ક્ષેત્રમાં સ્વાયત્તતાની ખાસી બધી, બલકે કહો કે પ્રાણવાયુ શી જરૂરત છે તે ક્ષેત્રમાં વડાપ્રધાનનું અધ્યક્ષપદ સ્વાયત્તતાને ગ્રસવાની રીતે સત્તાના કેન્દ્રીકરણનું સૂચક તો નથી ને.

જે બધાં નકલી કારખાનાં બાબતે નવી શિક્ષણ નીતિના મુસદ્દાકારો ચિંતિત કે આશંક્તિ જ નહીં પણ આતંકિત હોવાની છાપ આપે છે એ કારખાનાં આપણા રાજકીય-શાસકીય અગ્રવર્ગ સાથે સીધા નહીં તો આડકતરા મેળાપીપણાથી ચાલે છે. રાજકારણીઓ અને સત્તાપુરુષોની સંદિગ્ધ ડિગ્રીઓ વિશે વખતોવખત ઊઠતા અવાજો અને સેવાતી ચૂપકીદી કે પછી આવી તેવી વિગતોને માહિતી અધિકારની બહાર જાહેર કરવાનો રવૈયો તો ખરું જોતાં હિમદુર્ગનું એકદશાંશમું ટોચકું જ માત્ર છે. આ હાટડીઓ ખાનગી માલિકોને સારુ તેમ જ એમના પક્ષનિરપેક્ષ મળતિયાઓ સારુ ભરપેટ તગડમસ્ત થવાની રીતે (પછી ભલે એથી શિક્ષિત બેરોજગારો કે અશિક્ષિત શિક્ષિતોનો ફાલ સુંડલામોંઢે ઉતરે) એક જીવાદોરીની ગરજ સારે છે.

એક રીતે, નવી શિક્ષણ નીતિએ વાજબીપણે સેવેલી આ ચિંતાની જરી બહાર જઈને કહીએ તો ‘ફેક’ નહીં એવી શિક્ષણસંસ્થાઓ પણ જે તે રાજ્યના કથિત નિયમન તંત્રની રહેમનજરી છટકબારી હેઠળ ફીનાં ઉઘરાણાંમાં મલાઈવાળી કરી શકે છે એ આપણું તંત્ર કઈ હદે અવદશાને પામેલું છે એની દ્યોતક બીના છે.

૨૦૧૭ના, એટલે કે હજુ હમણાંના આંકડાની રીતે જોઈએ તો આપણે જી.ડી.પી.ના આખા ૨.૭ ટકા માત્ર જ શિક્ષણમાં નાખીએ છીએ. ટચૂકડું બ્રાઝિલ છ ટકા નાખે છે, જ્યારે ઇંગ્લંડ-અમેરિકામાં પાંચ ટકાનો નિયમિત જેવો રવૈયો માલૂમ પડે છે. અહીં જી.ડી.પી.ની વિગત જાણી જોઈને આગળ કરી છે; કેમ કે સરકાર જ્યારે નકલી કારખાનાં સામે લોકતરફી બાંયચડાઉ મુદ્રામાં આગળ વધવાનો વાસ્તવિક નિર્ણય લે ત્યારે શિક્ષણક્ષેત્રે રોકાણ બાબતે સરકારની પોતાની જવાબદારી એક ચાવીરૂપ તપાસમુદ્દો બનીને સામે આવે છે.

શિક્ષણને એક ‘ઉદ્યોગ’ તરીકે ખાનગીકરણ અને બજારીકરણને હવાલે થવા દેવામાં આવે ત્યારે શું થાય એ અજાણ્યું નથી. એથી દાયિત્વ અને ઉત્તરદાયિત્વ એમ બેઉ છેડેથી આવે વખતે સરકાર પોતે જી.ડી.પી.માંથી ધોરણસરનું રોકાણ શિક્ષણમાં ફાળવવા તૈયાર છે કે નહીં એ મહત્ત્વનો મુદ્દો બની રહે છે.

૨૦૦૯માં તે વખતની સરકારે આર.ટી.ઈ. કહેતાં શિક્ષણના અધિકારને અન્વયે ૬થી ૧૪ના વયજૂથ માટે સાર્વત્રિક શિક્ષણનું ધોરણ બંધારણની પરંપરામાં સ્વીકાર્યું હતું જેમાં હજુ આટલે વરસે (એન.ડી.એ.નાં પાંચ વરસ પછી પણ) ખાસું અંતર કાપવું રહે છે. હવે નવી નીતિ મુજબ આ વયજૂથમાં સાત વરસનો વધારો કરવાની વાત છે. ૬થી ૧૪ને બદલે, ૩થી ૧૮ વરસની જવાબદારી આર.ટી.ઈ. અન્વયે બને છે. સાફ જાહેર છે કે જી.ડી.પી. અંતર્ગત હાલની ફાળવણી, કમસે કમ, બેવડાવવી જોઈએ. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્‌ અને શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ સરકારમાં આ બાબતે આગ્રહપૂર્વક અમલ કરાવી શકશે કે કેમ તે જોવાનું રહે છે.

બાય ધ વે, કસ્તૂરીરંગન પૂર્વે જે.એન.યુ.ના ચાન્સેલર હતા અને નિર્મલા સીતારામન્‌ તેમ જ વિદેશ પ્રધાન જયશંકર પણ ટુકડે ટુકડે જે.એન.યુ.ની જ પેદાશ છે. આ જોગાનુજોગમાં જે કટાક્ષસુવિધા છે એનો લાભ આ લખનારે જરૂર લીધો છે. પણ એટલી એક ચૂક માફ કરીને વાચકે વિચારવાનું એ છે કે જે નવી નીતિ આપણે ત્યાં વિશ્વસ્તરની યુનિવર્સિટીઓને આમંત્રવા ઇચ્છે છે તેના અમલકારો, ખાસ કરીને સત્તાપક્ષ, જે.એન.યુ.ને શા માટે પોતે કબજે કરવા જોગ અગર ધ્વસ્ત કરવા જોગ કિલ્લા તરીકે જુએ છે. જે.એન.યુ. ટીકાપાત્ર ન હોઈ શકે એમ કહેવાનો આશય નથી; પણ જે નકલી યુનિવર્સિટીઓ અને નકલી કૉલેજો વિશે કસ્તૂરીરંગને કકળતી આંતરડીએ ને જલતા જિગરે રાડ નાખી છે એની વચ્ચે રણદ્વીપ જેવું અને દેશ બહાર લેવાતાં જૂજ નામો પૈકીનું એક ઠેકાણું જે.એન.યુ. છે એ હકીકત છે.

જે.એન.યુ., એના આરંભ સમયની સ્થાપિત ને સુખ્યાત જે થોડીકેક યુનિવર્સિટીઓ હશે એના કરતાં ગુણાત્મકપણે જુદો પડતો એક પ્રયોગ હતો અને છે. અહીં એ સંભારવાનું કારણ નવી શિક્ષણ નીતિમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ૨૦૦ જેટલી વિદેશી યુનિવર્સિટીઓને આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણ કેન્દ્રો ખોલવા માટે બોલાવવાની વાત છે. માનવીય શિક્ષાકર્મી અનિલ સદ્‌ગોપાલે માર્મિક ટિપ્પણી કરી છે કે આ વિદેશી યુનિવર્સિટીઓનું ‘ઉચ્ચ’ એવું રૅન્કિંગ ત્યાંનાં ઉદ્યોગ સંસ્થાનો પોતાને ધોરણે કરતાં હોય છે. (આ ધોરણોએ ૧૯૬૮માં આંતરરાષ્ટ્રીય કૅમ્પસો પર યુવા અજંપો જગવ્યો હતો.) આ બધું પણ વિચારવું રહેશે.

એક બીજી વાત. આપણે સૌને માટે શિક્ષણના ખયાલ સાથે આગળ વધીએ છીએ એ સાચું; પણ આપણે ત્યાં એક અંદાજ મુજબ સાડાત્રણ કરોડ જેટલા યુવાનો (૧૫થી ૨૪ વયજૂથ) અશિક્ષિત છે અને જો ૧૫થી વધુ વયના સૌ એટલે કે બધા પ્રૌઢોને ગણતરીમાં લઈએ તો જુમલો ખાસા ૨૬.૫ કરોડે પહોંચે છે. દેખીતી રીતે જ, એમને માટે જુદી રીતે વિચારવું રહે. મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ પ્રૌઢશિક્ષણને અગ્રતાની જે કોશિશ શરૂ થઈ હતી તેને નવેસર મૂલવી આગળ લઈ જવા ઉપરાંત ગુજરાતના માઈધાર જેવો પ્રયોગોને પણ અવકાશ આપવો જોઈશે.

વસ્તુતઃ અહીં તો સહેજસાજ જિકર કેવળ કરી છે. વ્યાપક ચર્ચાની ખાસી જરૂર છે. દેશને માત્ર એક જ મહિનાનો સમય સૂચનો માટે અપાયો તે ઓછો, અત્યંત ઓછો છે. ચાલુ પખવાડિયે રાજ્યોના શિક્ષણમંત્રીઓ પોતપોતાનાં સૂચનો સાથે મળવાના છે ત્યારે વધુ મુદ્દત બાબતે વિચારે તેમ જ પોતપોતાનાં રાજ્યોમાં સ્થાપિત સંસ્થાનો અને સરકારી બાબુઓ ઉપરાંત નાગરિક સમાજ સાથે પણ ચર્ચા કરે તે ઇષ્ટ લેખાશે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 13 તેમ જ 15

Loading

કૉંગ્રેસનો પરાજય અને ખલદુનની શીખ

રામચંદ્ર ગુહા|Opinion - Opinion|20 June 2019

વર્ષ ૨૦૧૩માં કૉંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં હતી અને લોકસભાની ચૂંટણી એક વર્ષથી વધારે દૂર હતી સમયે મેં રાહુલ ગાંધી પર એક લેખ લખ્યો હતો. એમાં મેં એમની એક દાયકાની રાજકીય કારકિર્દીની સમીક્ષા કરી હતી. મેં લખ્યું હતું કે “રાહુલ ગાંધીના ઇરાદા સારા છે, પણ એમની અંદર નિર્ણય લેવાની ક્ષમતાનો અભાવ છે. તેઓ સતત દુવિધામાં રહે છે. વળી, એમણે વહીવટી યોગ્યતા ધરાવે છે, એવી કોઈ કામગીરી કરી દેખાડી નથી કે એવો કોઈ સંકેત પણ આપ્યો નથી. એમણે મોટી અને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ઉઠાવવાની ઇચ્છા પણ પ્રકટ કરી નથી. એમણે ગંભીર સામાજિક સમસ્યાઓની ફક્ત ઓળખ કરી છે, પરંતુ દેશની જનતાની નજરોમાં આ સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતા ધરાવતા હોવાની કે એ માટેની કટિબદ્ધતા ધરાવતા હોવાની છાપ ઊભી કરી શક્યા નથી. જ્યારે તેઓ દેશના સૌથી મોટા, સૌથી જૂના અને હજુ પણ સૌથી વધુ પ્રભાવશાળી રાજકીય પક્ષ કૉંગ્રેસના ઉપાધ્યક્ષ અને કૉંગ્રેસ તરફથી પ્રધાનમંત્રીપદના ઉમેદવાર સ્વરૂપે પોતાની ભૂમિકા અદા કરશે, તો જ દેશની જનતાનો ભરોસો જીતી શકશે.”

મારી કૉલમનો નિયમિત અભ્યાસ કરતાં અને કૉંગ્રેસ સાથે નિકટતા ધરાવતા એક સામાજિક કાર્યકર્તાએ મારો એ લેખ વાંચ્યો હતો. એમણે મને એક રસપ્રદ વાત જણાવી હતી. જ્યારે વર્ષ ૨૦૦૯માં રાહુલ ગાંધીએ ખેડૂતોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને એ જ વર્ષે યુ.પી.એ.-૨ સરકારની રચના થઈ હતી, ત્યારે સામાજિક કાર્યકર્તાઓએ એમને ગ્રામીણ વિકાસમંત્રી બનવા વિનંતી કરી હતી. રાહુલ મંત્રી બનીને એમના વિચારોને વ્યવહારમાં ઉતારી શક્યા હોત અને એમને વહીવટી અનુભવ પણ મળ્યો હોત. જો કે એમણે સામાજિક કાર્યકર્તાઓની સલાહની ઉપેક્ષા કરી. આ માટે કોઈ કારણ જણાવવામાં આવ્યું નહોતું, પણ એમની માતા કૉંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીને વિશ્વાસ હતો કે એમનો પુત્ર કૉંગ્રેસનું નેતૃત્વ ધરાવતી સરકારમાં પ્રધાનમંત્રી સ્વરૂપે જ સામેલ થશે, એવું લાગતું હતું.

આ ધારણાને સપ્ટેમ્બર, ૨૦૧૩માં બળ મળ્યું હતું. એ સમયે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રાહુલ ગાંધી વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પછી પ્રધાનમંત્રીપદ માટે આદર્શ વિકલ્પ હશે. જો કે વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને એના ઇતિહાસના સૌથી ખરાબ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. કૉંગ્રેસ સત્તામાંથી ફેંકાઈ ગઈ અને લગભગ ૧૬૦ બેઠકો ગુમાવી હતી. જોગાનુજોગે એ જ મહિને બ્રિટનમાં પણ ચૂંટણીઓ યોજાઈ હતી અને એમાં લેબર પાર્ટીને ફક્ત ૨૦ બેઠકોનું નુકસાન થયું હતું છતાં એના નેતા મિલિબેન્ડે તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દીધું હતું. પણ કથિત રીતે બ્રિટનના વેસ્ટમિન્સ્ટર મૉડલ પર ચાલતી આપણી રાજનીતિ પોતાના મૂળ મૉડલથી ઘણી વિચલિત થઈ ગઈ હતી. અહીં સત્તાધારી પક્ષના ઉપાધ્યક્ષને જવાબદારી લેવાથી બચાવી લેવામાં આવ્યા હતા. એટલું જ નહીં બ્રિટનથી વિપરીત રાહુલ ગાંધીને પક્ષના પરાજય બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા. એમની માતાએ પક્ષનાં અધ્યક્ષપદેથી રાજીનામું આપીને એમના માટેનો માર્ગ મોકળો કરી દીધો. અત્યારે એનાં પાંચ વર્ષ પછી રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં સતત બીજા પરાજયમાં પક્ષનું નેતૃત્વ કર્યું છે.

હવે કૉંગ્રેસ શું કરી શકે છે? એ નવા અધ્યક્ષને શોધશે? એ પ્રથમ પરિવાર ગાંધી-નેહરુ સિવાયની અન્ય કોઈ વ્યક્તિનો વિચાર કરી શકે છે? વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને ‘નામદાર’ કહીને મજાક ઉડાવી હતી અને પોતાને ‘કામદાર’ ગણાવ્યા હતા. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદીએ મતદારોને સીધું પૂછ્યું હતું કે એમને મહેનતુ ‘કામદાર’, ‘ચોકીદાર’ જોઈએ કે રાહુલ સ્વરૂપે ‘નામદાર’ જોઈએ? બીજી તરફ, અંગ્રેજીના કેટલાંક પત્રકાર ભારતમાં વંશવાદ કોઈ સમસ્યા નથી એવું જણાવે છે. આ માટે તેઓ લોકસભાની ચૂંટણી સાથે આંધ્રપ્રદેશ અને ઓડિસામાં જગન મોહન રેડ્ડી અને નવીન પટનાયકના વિજયને પુરાવા સ્વરૂપે રજૂ કરે છે.

જ્યારે મેં ટ્‌વીટ કર્યું કે કૉંગ્રેસ વંશવાદી રાજનીતિને છોડી દે, ત્યારે ઉત્તરપ્રદેશના એક મિત્રલેખક અનિલ મહેશ્વરીએ મને મહાન અરબ વિદ્વાન ઇબ્ન ખલદુનનું એક લાંબું અવતરણ મોકલ્યું હતું. ૧૪મી સદીમાં ઇબ્ને તર્ક આપ્યો હતો કે સામાન્ય રીતે વંશવાદ ત્રીજી પેઢી પછી પોતાનો પ્રભાવ અને વિશ્વસનીયતા ગુમાવી દે છે. ઇબ્નના કહેવા અનુસાર, વંશ કે વૈભવનો સ્થાપક જ એની પાછળની મહેનત અને વૈભવની કિંમત સમજે છે. એટલે એ વંશને જાળવવા ગુણોને જાળવી રાખે છે. એ પછી એનો પુત્ર પિતાના સીધા સંપર્કમાં રહીને વૈભવને જાળવવાનું શીખે છે, પણ કમનસીબે એના પિતાએ સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું, એનું જ્ઞાન મેળવી શકતો નથી. એટલે પોતાના પિતાની સરખામણીમાં એ જ્ઞાનની દૃષ્ટિએ નબળો હોય છે. હવે બને છે એવું કે બીજી પેઢી પ્રથમ પેઢીના વૈભવને જાળવી શકે છે, પણ કમનસીબે એ પોતાની આગામી એટલે કે ત્રીજી પેઢીને પ્રથમ પેઢીના ગુણો આપી શકતો નથી, પ્રથમ પેઢી પાસે રહેલું જ્ઞાન આપી શકતો નથી. એટલે ત્રીજી પેઢી નકલ અને ખાસ કરીને પરંપરાઓ પર વિશ્વાસ મૂકીને સંતુષ્ટ થઈ જાય છે. ત્યાર બાદ ચોથી પેઢી તો દરેક બાબતે પોતાના પૂર્વજોથી નબળી રહે છે. આ પેઢીના સભ્યો પાસ એ ગુણો હોતા નથી, જેના કારણે આ સામ્રાજ્યનું નિર્માણ થયું હતું. ચોથી પેઢીના સભ્યોને માનપાન મળે છે, પણ આ માનપાન એને કેવી રીતે મળી રહ્યું છે અને એની પાછળનાં કારણો શું હતાં એ સમજી શકતા નથી. ઇબ્ન ખલદુન આ પ્રકારની સ્થિતિસંજોગોમાં નેતૃત્વને અન્ય કોઈ સંતોષજનક ગુણો ધરાવતા નેતાને સુપરત કરવાની સલાહ આપે છે. ઇબ્ન લખે છે કે જે પણ વંશ ચોથી-પાંચમી પેઢી સુધી પહોંચી ગયો, એણે પોતાના પતનનો પાયો પોતે જ નાખ્યો છે. બીજી અને ત્રીજી પેઢી પાસેથી ચોથી પેઢીના હાથમાં આવીને વૈભવ કે વંશ માનપાન ગુમાવી દે છે અને ‘નામદાર’ તરીકે ઓળખાવાની હકદાર બની જાય છે.

ઇબ્ન એ સમજવામાં આપણી મદદ કરે છે કે જગન અને નવીનને શા માટે સફળતા મળી, અને રાહુલને શા માટે નિષ્ફળતા. જગન અને નવીન બીજી પેઢીના છે. એમણે પોતાની નજર સામે એમનાં પિતાનાં કાર્યો જોયાં છે. આ દૃષ્ટિએ જોઈએ તો ઇન્દિરા ગાંધીને જવાહરલાલ નેહરુનું સાંનિધ્ય મળ્યું હતું અને સ્વતંત્રતાસંગ્રામના આદર્શો સાથે એમનો ઉછેર થયો હતો. ઇન્દિરા ગાંધી અત્યંત વિશ્વસનીય અને પ્રભાવશાળી નેતા હતાં. એમના જેવા નેતૃત્વના ગુણો મેળવવાનું રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી ક્યારે ય વિચારી પણ ન શકે. કૉંગ્રેસમાં દરેકે ઇબ્ન ખલદુનના વિચારો સમજવાની અને એને પચાવવાની જરૂર છે. રાહુલ ગાંધી યોગ્યતા ધરાવતા હશે, પણ ઇતિહાસ અને સમાજશાસ્ત્ર એમની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. જ્યારે મધ્યયુગ અને સામંતવાદી અરબમાં ચોથી અને પાંચમી પેઢીના વંશવાદને સ્વીકારવામાં આવ્યો નહોતો, ત્યારે આધુનિક અને લોકતાંત્રિક ભારતમાં આવી આશા રાખી શકાય?

[Live हिन्दुस्तानમાંથી; અનુવાદ : કેયૂર કોટક]

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2019; પૃ. 10-11

Loading

...102030...2,7642,7652,7662,767...2,7702,7802,790...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved