Opinion Magazine
Number of visits: 9684726
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ફરિયાદી મહિલા કચડાય છે, આદિવાસીઓ ગોળીએ વીંધાય છે, ઉત્તર પ્રદેશમાં યોગીરાજ ચાલે છે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|2 August 2019

ઉન્નાવમાં ધારાસભ્ય વિરુદ્ધ લડત આપનાર રેઇપ સર્વાઇવરને કચડી નાખવાના અને સોનભદ્રમાં આદિવાસીઓના હત્યાકાંડના બનાવો માત્ર ભા.જ.પ.ની યોગી સરકાર જ નહીં, કેન્દ્રની મોદી સરકાર માટે પણ વધુ એક લાંછન છે

સર્વોચ્ચ અદાલતે ગઈ કાલે, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના નાનાં ગામની બળાત્કાર પીડિતાને ઝડપી ન્યાય મળે તે માટે, રાજય સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન(સી.બી.આઈ.)ને કડક નિર્દેશો આપ્યા છે. અત્યારે ઓગણીસ વર્ષની યુવતીએ ભારતીય જનતા પક્ષ(ભા.જ.પ.)ના બળિયા ધારાસભ્ય કુલદીપ સેંગરની સામે 20 જૂન 2017ના દિવસે બળાત્કારની ફરિયાદ કરી. ત્યારથી લઈને અત્યાર સુધી અસાધારણ હિમ્મતવાળી આ છોકરી રાજ્યનાં અમાનુષ (અ)વ્યવસ્થાતંત્રનો  સામનો તો કરતી જ રહી હતી.

પણ અત્યારે તે વેન્ટિલેટર થકી મોતનો સામનો કરી રહી છે – આરોપીએ રચેલાં હોવાનું કહેવાતાં કાર-ટ્રક  અકસ્માતનાં કથિત કાવતરામાં તે 28 જૂનના રવિવારે ગંભીર રીતે ઘવાઈ છે. આ યુવતી રેઇપ વિક્ટિમ એટલે કે બળાત્કાર પીડિતા હોવાની સાથે રેઇપ સર્વાઇવર એટલે કે બળાત્કારનો ભોગ બન્યા પછી પણ ટકી રહેનાર અને લડનાર નાગરિક છે. તે એવી સર્વાઇવર્સની હરોળમાં છે કે જે વીરાંગનાઓ આસારામ, રામ રહિમ જેવા કે મુંબઈનાં શક્તિ મિલ કમ્પાઉન્ડમાં કે રાજસ્થાનનાં ગામડામાં બળાત્કાર આચરનારા નરાધમોની સામે લડી હોય. ઉત્તર પ્રદેશનુ તંત્ર જાણે એક ધારાસભ્યની સામે પડનાર ગરીબ ઘરની છોકરીને ખતમ કરીને પોતાની ઇજ્જત બચાવવામાં ગયાં દોઢેક વર્ષથી પડ્યું છે. આ કન્યા, કે જેને પોલીસ રક્ષણ પૂરું પાડવાનો પોલીસને આદેશ છે, તેની કારને રવિવારે બપોરે એક ભીષણ અકસ્માત થયો. તેમાં તેના બે કાકી મોતને ભેટ્યાં. તેના વકીલ પણ ગંભીર રીતે ઘાયલ થઈને વેન્ટિલેટર પર છે. તેના કાકા જે તેના પરિવાર વતી લડી રહ્યા હતા તે તાજેતરમાં જ દસ વર્ષની સજા સાથે રાયબરેલીની જેલમાં ધકેલાયા છે. છોકરીનાં માતા, ત્રણ બહેનો અને એક ભાઈ સરાઇ થોક માખી ગામમાં તેમનાં ઇંટ-માટીનાં જર્જરિત મકાનમાં, ગામજનોના બહિષ્કાર વચ્ચે દિવસો ખેંચી રહ્યાં છે. બે ટંક ખાવાનાં સાંસા છે, ભણતર તો અટકી જ ગયું છે. ગામમાં સેંગરના ‘ચેલાઓ’નો ખૌફ છે અને લોકો દબાતા અવાજે ‘સાજીશ’ની વાત કરે છે.

ઉન્નાવની છોકરીએ, સેંગરની સામે પોતે કરેલી ફરિયાદ છતાં કોઈ પગલાં ન લેવાતાં, 8 એપ્રિલ 1918ના દિવસે લખનૌમાં આદિત્યનાથના ઘરની સામે આત્મવિલોપનની કોશિશ કરી. તેનાં બીજા જ દિવસે તેના પિતાને એક કેસમાં આર્મ્સ ઍક્ટ હેઠળ કસ્ટડીમાં પૂરી દેવામાં આવ્યા, અને જ્યુડિશિયલ કસ્ટડીમાં તેમનું મોત થયું. સરકારે કેસ સી.બી.આઇ.ને સોંપ્યો. પણ પાટલી બદલુ અને ચાર વખતથી ધારાસભ્ય એવા સેંગરની ધરપકડ તો 13 એપ્રિલ 2018 અલ્હાબાદની વડી અદાલતે આદેશ આપ્યા બાદ જ થઈ. જો કે સર્વાઇવર અને તેના પરિવારને આરોપીના માણસો ડરાવતા રહ્યા અને પોલીસ પણ તેમને કનડતી જ રહી. અનેક રજૂઆતોને અંતે હમણાં 12 જુલાઈએ છોકરીએ દેશના સર્વોચ્ચ ન્યાયાધીશને પત્ર લખ્યો. તેના થોડા દિવસ અગાઉ સેંગરની સામેની લડતમાં છોકરીની સાથે રહેનાર તેના કાકાને 2000ની સાલના એક હત્યાના કેસમાં દસ વર્ષની સજા મળી. એમને મળવા જઈ રહેલી છોકરીને ઉપર્યુક્ત અકસ્માત નડ્યો. તેની ગાડીને ઠોકર મારનાર ટ્રકની નંબર પ્લેટ પર કાળો રંગ લગાવેલો હતો. આ અકસ્માતને પગલે સેંગર સામે ખૂન અને ખૂનની કોશિશના આરોપ દાખલ કરવામાં આવ્યા. ભા.જ.પે. તેને સસ્પેન્ડ કર્યો કે કેમ એ અંગે પક્ષના મોવડીઓમાં જ મતભેદ છે. જો કે દોઢ મહિના પહેલાં 5 જૂને ભા.જ.પ.ના ઉન્નાઓના સાંસદ સાક્ષી મહારાજે જેલની મુલાકાત લઈને ચૂંટણીમાં સહકાર બદલ સેંગરનો આભાર માન્યો હતો. વડી અદાલતે સેંગરની બાબતમાં નોંધ્યું હતું : ‘કાયદો અને વ્યવસ્થાનું તંત્ર સીધું જ [સેંગરની] સાંઠગાંઠમાં અને તેના પ્રભાવમાં હતું’.

 

courtesy : "The Hindu", 02 August 2019

કાયદો અને વ્યવસ્થાના અંધેરનો ઉત્તર પ્રદેશનો તાજેતરનો બીજો એક ભયંકર દાખલો સોનભદ્ર જિલ્લાના ઉંભા ગામના આદિવાસીઓના હત્યાકાંડનો છે. તેનો હેતુ, ગામથી ત્રણેક કિલોમીટર દૂર આવેલી, મૂળભૂત ગ્રામસભાની માલિકીની જમીન પર, સાઠેક વર્ષથી ખેતી કરતા ગોંડ જાતિના આદિવાસીઓને જમીન પરથી ખદેડીને જમીન પચાવી પાડવાનો છે. આ હત્યાકાંડ 17 જુલાઈની સવારે અગિયાર વાગ્યાના સુમારે થયો. તેમાં બાજુના મૂર્તિયા ગામના સરપંચ (પ્રધાન) યજ્ઞ દત્તએ વિવાદાસ્પદ જમીન પર એકઠાં થયેલા ગોંડ આદિવાસીઓમાંથી ત્રણ સ્ત્રીઓ સહિત દસ વ્યક્તિઓને ગોળીબાર કરીને મારી નાખ્યા અને બાવીસને ઘાયલ કર્યા. સરપંચ દસેક ટ્રૅક્ટરોમાં દસ-બાર બંદૂકો સહિતના સો સાગરિતોને લઈને આવ્યો હતો. ગોંડ ભારતમાં અત્યારે પણ એક સહુથી પછાત ગણાતી આદિજાતિ છે, સોનભદ્ર પંથકમાં તે અનુસૂચિત જાતિ કે દલિત વર્ગમાં આવે છે. હુમલો કરનાર યજ્ઞ દત્ત ઓ.બી.સી. ગણાતી શક્તિશાળી જમીનદાર ગુજ્જર કોમનો છે. બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ અને છત્તીસગઢ રાજ્યોની સરહદો જેને અડે છે તે સોનભદ્ર જિલ્લાની જમીન ખનીજોથી ભરપૂર છે. વારાણસીથી 80 અને પાટનગર લખનૌથી 370 કિલોમીટરના અંતરે ઉત્તર પ્રદેશના પૂર્વ હિસ્સામાં આવેલો આ જિલ્લો રાજ્યનો એક પછાત અને દુર્ગમ વિસ્તાર ગણાય છે. જે જમીન માટે હત્યાકાંડ થયો તે ખેડનારા ભૂમિહીન આદિવાસીઓ ગરીબ છે, કાચાં ઝૂંપડાંમાં રહે છે અને પરંપરાગત ઢબે ખેતી કરે છે. સરકારી યોજનાઓ અને કથિત વિકાસનાં ફળ હજુ અહીં ભાગ્યે જ પહોંચ્યાં છે.

ઉંભા ગામની જે 90 વીઘા જેટલી જમીન આદિવાસીઓ ખેડી રહ્યા છે તે વિવાદાસ્પદ બની રહી છે. ઉત્તર પ્રદેશના 1950ના જમીનદારી નાબૂદી અને જમીન સુધાર ધારા હેઠળ આ વિસ્તારની 600 વીઘા બિનઉપજાઉ જમીનને ગ્રામસભાની માલિકીની જાહેર કરવામાં આવી અને તેની ઉપર ગોંડ લોકો ખેતી કરવા લાગ્યા. 1953માં એક તહેસિલદારે તેમાંથી 463 એકર જમીન ‘આદર્શ કૃષિ સહકારી સમિતિ’ને નામે કરી. આ સમિતિ બિહાર કૅડરના એક આઇ.એ.એસ. ઑફિસરના સસરાના પ્રમુખપદે ચાલતી હતી. આદિવાસીઓ આ જમીનનું ભાડું સમિતિને ચૂકવતા હતા. પ્રમુખના મૃત્યુ બાદ 1984માં એક સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે તેમાંથી 145 વીઘા જમીન ઑફિસરની પત્ની અને દીકરીના નામે કરી. તેમની પાસેથી તે હિસ્સો  યજ્ઞ દત્ત ને બીજા દસ જણે અંદાજે બે કરોડ રૂપિયામાં 2017માં ખરીદ્યો. આ પ્રકારનું ખરીદ-વેચાણ વાંધાજનક હોવા છતાં આદિવાસીઓ મજબૂરીથી તેમની આવકના એકમાત્ર સાધન એવી આ જમીન માટે તેના નવા માલિક દત્તને પણ ભાડું ચૂકવવા તૈયાર હતા, પણ તેને જમીન જ જોઈતી હતી.

વાટાઘાટો નિષ્ફ્ળ નીવડતા અંતે આદિવાસીઓએ દત્તની સામે કેસ કર્યો. તેણે આદિવાસીઓની સામે ત્રણ ક્રિમિનલ કેસેસ કર્યા. તદુપરાંત તેમને ખદેડવા માટે દબાણ તો કરતો જ રહ્યો. આદિવાસીઓએ સંભવિત જોખમની સામે રજૂઆતો પણ કરી હતી. ગ્રામસભાની જમીનને લગતાં આખા ય વ્યવહારની ન્યાયપૂર્ણતા તપાસવાની વર્ષો લગી તસદી ન લેવાઈ. પોલીસ અને પ્રશાસન નિષ્કિય રહ્યાં. આખરે આદિવાસીઓનો ભોગ લેવાયો. ધરપકડો થઈ, વિરોધ પક્ષોએ નિશાન તાક્યું, પ્રિયાંકા વાદ્રાને પીડિતોની મુલાકાત લેતાં રોકવામાં આવ્યાં. આદિત્યનાથે જાતમુલાકાત લઈને વળતર અને તપાસની જાહેરાત કરી.

ઍન્ટિ-રોમિયો સ્ક્વાડ, ખાનગી સેનાઓ, એન્કાઉન્ટર પોલીસ અને  લિન્ચ મૉબ્સથી ખદબદતાં દીનદૂબળાં અને લઘુમતીઓ માટે સતત જોખમકારક એવા યોગીરાજમાં સોનભદ્રના આદિવાસીઓને કેવો અને ક્યારે ન્યાય મળે છે તે જોવાનું રહે. 

*****

01 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 02 ઑગસ્ટ 2019

 

Loading

સામ્યવાદી આંદોલને મોટા ગજાનાં વિચારકો ને નિ:સ્વાર્થ અકિંચન નેતા આપ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 August 2019

આજના યુગમાં કેટલાક લોકોને ચાહીને યાદ કરવા જોઈએ અને પ્રણામ પણ કરવા જોઈએ. જ્યારે શાસકો ઉદ્યોગપતિઓના સેવકો હોય, અભિનેતાઓ ઉદ્યોગપતિઓના ઘરે લગ્નપસંગે નાચતા હોય અને કમંડલ લઈને પીરસણિયા બનીને મહેમાનોને ભોજન પીરસતાં હોય, લોકો શ્રીમંતોનાં લગ્ન જોઇને પોરસાતાં હોય અને બીજી બાજુ મુઝફ્ફરપુરમાં બાળકો મરે ત્યારે શરમ પણ ન અનુભવતાં હોય, ત્યારે એવા કેટલાક લોકોને યાદ કરવા જોઈએ જેમણે સાચી માણસાઈ અને નિસ્બત શું કહેવાય એ જિંદગી જીવીને બતાવી આપ્યું હોય. અરુણ કુમાર  રોય (એ.કે. રોય તરીકે વધુ જાણીતા) આવા એક માણસ હતા.

૧૯૮૪માં જ્યારે હું ‘જન્મભૂમિ’માં નોકરી કરતો હતો, ત્યારે કલકત્તાથી પ્રકાશિત થતા અંગ્રેજી અખબાર ‘ટેલિગ્રાફ’માં એક સાપ્તાહિક કૉલમ છપાતી હતી જેના લેખક હતા : એ.કે. રોય. પહેલીવાર ત્યારે તેમનું નામ સાંભળ્યું હતું. શું વિદ્વતા અને શું નિસ્બત! પછી તપાસ કરતાં જાણ થઈ કે એ.કે. રોય સામ્યવાદી મજૂરનેતા હતા અને ધનબાદમાં ખાણિયા મજૂરો વચ્ચે કામ કરતા હતા. તેઓ બે મુદ્દત માટે એ સમયના અવિભાજિત બિહારની વિધાનસભાના અને ત્રણ મુદ્દત માટે લોકસભાના સભ્ય પણ હતા.

અહીં બે વાત ‘ટેલિગ્રાફ’ વિષે પણ કહેવી જોઈએ. ‘ટેલિગ્રાફ’ આનંદબજાર જૂથનું અંગ્રેજી અખબાર હતું અને એમ.જે. અકબર તેના સ્થાપક તંત્રી હતા. અખબાર કેવું હોય એનો તે આદર્શ નમૂનો હતું. મુંબઈના સુજ્ઞ વાચકો ચર્ચગેટના એ.એચ. વ્હીલરના સ્ટોલ પર પહેલાંથી પૈસા ચૂકવીને પોતાની કોપી અનામત રખાવતા હતા. એ એમ.જે. અકબર પણ જુદા હતા. અકબર ‘ટેલિગ્રાફ’ દ્વારા વાંચકોનું સર્વાંગીણ શિક્ષણ કરતા હતા. એ જમાનાના નખશીખ નેહરુવિયન અકબર બી.જે.પી.માં જાય અને દરેક પ્રકારના સમાધાન કરે એની ત્યારે કલ્પના પણ કરવી મુશ્કેલ હતી.

યુગપ્રભાવ સર્વાંગીણ છે, પરંતુ કેટલાક લોકો યુગના પ્રભાવમાં આવતા નથી જેમાં એક એ.કે. રોય હતા. મારા જોવામાં આવ્યું છે કે કર્મઠ ગાંધીવાદીઓ કરતાં પણ કેટલાક સામ્યવાદીઓએ જીવનમાં ઓછા સમાધાનો કર્યા છે. ત્રિપુરાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માણેક સરકાર આવા એક છે. મુખ્ય પ્રધાન હોવા છતાં આજીવન અકિંચન જીવન જીવ્યા છે. કેન્દ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન ઇન્દ્રજીત ગુપ્તા ૧૯૬૦થી ૨૦૦૧માં તેમનું અવસાન થયું ત્યાં સુધી લોકસભાના સભ્ય હતા. અપવાદ હતો માત્ર ૧૯૭૭થી ૧૯૭૯ની લોકસભાનો. સતત ચાળીસ વરસ લોકસભાના સભ્ય હોવા છતાં, તેઓ સંસદસભ્યો માટેની હોસ્ટેલમાં રહેતા અને સંસદસભ્યોને મળતો પગાર અને ભથ્થાંની રકમ પક્ષમાં જમા કરાવતા હતા.

લોકસભાના ભૂતપૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજી પણ તેમનો પગાર પાર્ટીમાં જમા કરાવતા હતા અને પક્ષ જે માનધન આપે તેનાથી જીવનનિર્વાહ ચલાવતા હતા. બાકી તેઓ ભારતના માતબર વકીલોમાંના એક હતા. કોઈ ઊઠી ગયેલા ઉદ્યોગપતિની નાદારીના કેસમાં એક વખત અદાલતમાં હાજર રહેવાના એક કરોડ રૂપિયા કમાઈ શક્યા હોત.

તેમની કારકિર્દીમાં કલગીરૂપ ઘટના ૨૦૦૮માં બની હતી. લોકસભાના સ્પીકરની ગરિમા જાળવવા માટે તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ વખતે પક્ષની સાથે મતદાન કરવાની ના પાડી દીધી હતી અને પક્ષને જણાવી દીધું હતું કે સ્પીકર પક્ષનો સભ્ય મટી જાય છે. માર્કસવાદી સામ્યવાદી પક્ષે તેમને પક્ષમાંથી પાણીચું આપ્યું હતું, પરંતુ સોમનાથ ચેટર્જીએ મૂલ્યો સાથે સમાધાન નહોતું કર્યું. ૧૯૯૬માં ત્રીજા મોરચાએ પશ્ચિમ બંગાળના એ સમયના મુખ્ય પ્રધાન જ્યોતિ બસુને વડા પ્રધાનપદની ઓફર કરી હતી. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષે નિર્ણય લીધો હતો કે લોકસભામાં સામ્યવાદી પક્ષની બહુમતીના અભાવમાં સરકારનું નેતૃત્વ કરવાથી સામ્યવાદી કાર્યક્રમ લાગુ નહીં થઈ શકે. જ્યોતિ બસુએ પક્ષના આદેશને માન્ય રાખીને વડા પ્રધાન બનવાની તક જતી કરી હતી. આજે આ બધી ઘટનાઓ જોઇને આશ્ચર્ય થશે.

અરુણ કુમાર રોય પણ આવા એક નેતા હતા. તેઓ ભૂતપૂર્વ વિધાનસભ્ય અને સંસદસભ્ય તરીકે પેન્શન નહોતા લેતા. રાજકારણી આજીવન સેવક હોય છે અને તે ક્યારે ય નિવૃત્ત થતો નથી એટલે નિવૃત્તિ પેન્શન લેવાનું ન હોય. તેઓ અપરણિત હતા અને ધનબાદની નજીકના એક ગામડામાં મજૂરના ઘરે ઝૂંપડામાં રહેતા હતા. મૃત્યુ સમયે તેમની પાસે ૨,૪૦૦ રૂપિયા હતા. એક ઘડિયાળ કોઈકે આપ્યું હતું જે ચોરાઈ ગયું હતું.

એ.કે. રોય સામ્યવાદી પક્ષમાં સભ્ય તરીકે જોડાયા હતા. સામ્યવાદી પક્ષમાં વિભાજન થયું ત્યારે તેઓ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષમાં ગયા હતા. ત્યાં પણ તેમનો પક્ષ સાથે મતભેદ થયો હતો અને તેમણે માર્ક્સીસ્ટ કોઓર્ડિનેશન કમિટીની સ્થાપના કરી હતી. અરુણ કુમાર રોયનો જન્મ અત્યારના બંગલાદેશના રાજશાહી જિલ્લામાં થયો હતો. તેમના માતા-પિતા આઝાદીના લડવૈયા હતા. ભારતના વિભાજન પછી પરિવારે પૂર્વ પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું હતું. અરુણ કુમાર રોય કલકત્તામાં ભણતા હતા. ૧૯૫૨માં જ્યારે ઢાકામાં બંગાળી ભાષા માટે અંદોલન થયું, ત્યારે એ.કે. રોય થોડો વખત ભણવાનું પડતું મૂકીને ઢાકા ગયા હતા જ્યાં તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા પછી તેઓ પાછા કલકત્તા આવ્યા હતા અને કેમિકલ એન્જિનિયર બન્યા હતા.

એ.કે. રોયે ધનબાદમાં ખાણમજૂરોના અધિકાર માટે લડવાનું શરૂ કર્યું હતું. ૧૯૯૨માં ભિલાઈમાં શંકર ગુહા નિયોગીની હત્યા કરવામાં આવી એ પછી એ.કે. રોયની પણ હત્યા કરવામાં આવશે એમ માનવામાં આવતું હતું. એવા પ્રયાસ પણ થયા હતા. આમ છતાં તેમણે સિક્યોરિટી લીધી નહોતી. તેઓ લોકોની વચ્ચે ગરીબની જેમ રહેતા હતા. મિલકતમાં હતું એક ઘડિયાળ જે તેમને કોઈએ આપ્યું હતું. એ જ્યારે ચોરાઈ ગયું ત્યારે તેમણે કહ્યું હતું કે કદાચ ચોરને મારા કરતાં પણ વધારે પૈસાની જરૂર હશે.

સામ્યવાદ સામે ગમે એટલો વાંધો હોય, સામ્યવાદી આંદોલને મોટા ગજાના વિચારકો અને અબજો રૂપિયા કમાવાની તાકાત હોવા છતાં નિ:સ્વાર્થ અકિંચન નેતાઓ આપ્યા છે એનો તો સ્વીકાર કરવો જ રહ્યો. એ.કે. રોય આમાંના એક હતા.

30 જુલાઈ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 01 ઑગસ્ટ 2019

Loading

આપી આપીને તમે પીંછું આપો સજન! પાંખો આપો તો અમે આવીએ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|1 August 2019

હૈયાને દરબાર
 

આપી આપીને તમે પીંછું આપો
સજન ! પાંખો આપો તો અમે આવીએ …

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લગી લાવ્યાં

આપી આપી ને તમે ટેકો આપો
સજન ! નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં છોડી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસું આપો
સજન ! આંખો આપો તો અમે આવીએ ….

• કવિ : વિનોદ જોશી  • સંગીતકાર : હરિશ્ચંદ્ર જોશી, રિષભ મહેતા  • ગાયક કલાકાર : રેખા ત્રિવેદી, ગાયત્રી મહેતા – રિષભ મહેતા

————————-

કેવી સરસ કલ્પના છે પ્રથમ પંક્તિમાં જ! આવો જાદુ કવિ વિનોદ જોશી જ કરી શકે. આ ગીતમાં કવિની નાયિકા વટનો કટકો છે. એને કશું જ ઓછું ખપે નહીં. એટલે જ કહે છે કે, આપી આપીને તમે પીંછું આપો સજન, પાંખો આપો તો અમે આવીએ. ફક્ત પીંછાને શું કરવાનું? અમને તો જોઈએ છે પાંખો. પછી પહેલાં અંતરામાં જ કેવી અદ્ભુત વાત કવિએ કરી છે :

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા …

આહાહા! ચાંદનીના વાટકા ભરી મોગરાની કળીએ હલાવ્યા પછી, હોગા યૂં નશા જો તૈયાર, વો ક્યા હૈ, હમ સબ જાનતે હૈ! પ્રેમિકાને ક્ષણભર અપાતો ટેકો સ્વીકાર્ય નથી, એને તો જીવનભરનો નાતો જોઈએ છે.

થોડું દૂરનું વિચારીએ તો આ ‘સજન’ પેલો અંતરમાં બેઠેલો સર્જનહાર, આપણો પોતાનો સ્વજન નથી લાગતો? એ જીવનભર સપનાં અને આશાઓનાં ઝાંઝવાં અને અજ્ઞાનને કારણે ઊપજતી વ્યથાઓનાં આંસુ જ આપતો રહ્યો છે. કવિ તો માંગે છે આંખ – જીવવાની એક નવી જ દૃષ્ટિ, એક નવું જ પરિમાણ. કવિ ઝંખે છે ચિરંતન પ્રેમ સંબંધ, જાત સાથેની ન ખૂટે તેવી ગોઠડી. ફક્ત કહેવા પૂરતો, દેખાવનો, સાંત્વનાનો, અલ્પજીવી ટેકો એમને નથી ખપતો. હાથમાં રાખીને માત્ર હલાવી જ શકીએ તેવું પીંછું નહીં પણ અનંત આકાશમાં ઊડી શકીએ તેવી પાંખોની ઝંખના છે કવિને.

સર્જનહારની ભક્તિમાં આપણે માત્ર કહેવા પૂરતી જ સચ્ચિદાનંદની વાતો કરીએ છીએ. સત્ અને ચિત્ તો જવા દો આપણને તો એ આનંદ લેતાં પણ નથી આવડતો. આપણે પીંછાંથી જ સંતુષ્ટ છીએ. જિંદગીમાં વૈભવ, સમૃદ્ધિ, માન, મરતબો, સત્તા, પદ જેવાં બે-પાંચ પીંછાં મળી જાય એટલે ભયો ભયો. એકાદ નાનકડી સિદ્ધિને ય આપણે ‘ફેધર ઈન માય ક્રાઉન’ કહીને કેવડી મોટી બનાવી દઈએ છીએ!

કવિને એ પીંછાનો કોઇ ખપ નથી. તેમને તો જોઇએ છે, પાંખો – અને તે પણ કેવી? ગરુડરાજની પાંખો. જોનાથન લિવિંગ્સ્ટન સીગલના જેવી પાંખો, જે તેમને મુક્ત ગગનના પ્રવાસી બનાવે, આનંદ, ચૈતન્ય અને સત્યના પ્રદેશોની પાર લઈ જાય તેવી પાંખો.

આવાં સર્જનો વાંચીએ, એનાં ઉત્તમ સ્વરાંકનો સાંભળીએ ત્યારે થાય છે કે આપણી માતૃભાષા, ગુજરાતી ભાષા કેટલી સબળ છે? આવું વાંચીએ અને પીંછાની લોલુપતા છોડી એવી પાંખોની ખેવના કરીએ કે, જે આપણને કમસે કમ સાચા આનંદની અનુભૂતિ કરાવે!

આપણે કવિતા પાસે શા માટે જઈએ છે? કારણ કે એમાં આસ્વાદ છે, આહ્લાદ છે, રસ છે, રસનિષ્પત્તિ છે. જે શબ્દ અને અર્થથી પર છે. બેશક, એ રસ અને માધુર્ય, શબ્દ અને અર્થના માધ્યમ દ્વારા જ પ્રગટ થાય છે. એ પ્રગટ થાય ત્યારે ખરો પ્રકાશ થાય. વિનોદ જોશીની કવિતામાં ચાલાકી કે ચબરાકી નથી એટલે જ એ શુદ્ધ કવિ છે. સાચી કવિતાની શોધ આદરે છે, આંસુને શણગારી શકે છે અને એ આંસુ સારી પણ શકે છે. વિનોદ જોશી હંમેશાં કહે છે કે, "કવિતા ખુદ બહુ મોટી ચેલેન્જ છે. ભાષાના માધ્યમથી આવે છે. હું જન્મ્યો ત્યારે કવિ નહોતો પણ ભાષાને સેવતો ગયો અને કશુક સર્જાતું ગયું. તેથી જ ભાષા આહ્વાન છે. કવિની મજબૂરી છે કે એણે ભાષામાં જ કામ કરવું પડે છે. એટલે કે સર્જનમાં સર્જન કરવું એ કવિતા. કવિતામાં કુદરતના રંગો કે ધ્વનિ નથી પણ એ રંગો અને ધ્વનિ અનુભવી શકાય એવી માણસે બનાવેલી શબ્દાવલિ છે. મને ચિત્રકારીનો ખૂબ શોખ હતો, પરંતુ એમાં ધીરજ જોઈએ. છેલ્લો સ્ટ્રોક લાગે ત્યાં સુધી મારી ધીરજશક્તિ નહોતી ટકતી. જ્યારે, શબ્દો તો જેમ જેમ ઊતરતા જાય તેમ તેમ હળવા થતાં જવાય. એટલે કવિતા કોઠે પડી. લય ગળથૂથીમાં મળ્યો હતો. હું ગામડાનો માણસ તેથી ગીતોને તળપદો સ્પર્શ પણ મળતો ગયો. શબ્દ કાને પડે ત્યારે એના સત્ય સુધી હું પહોંચતો. ભાષાના રહસ્ય જાણવા મથતો. મારાં દરેક ગીતો, કાવ્યો કે સોનેટ જુદી ભાષા લઈને આવે છે.

વિનોદ જોશી ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચૂક્યા છે. ગુજરાતી કવિતાને તળપદી, ગામડાના લોકજીવનની મીઠાશનો અનુભવ કરાવનાર, ઉત્તમ ગીતો આપનાર કવિનું આ એક મીઠું ગીત હરિશ્ચંદ્ર જોશીના ‘સંગત’ સંગીત સંપૂટમાં લેવાયું છે. રેખા ત્રિવેદીએ એની મધુર પ્રસ્તુતિ કરી છે. ઉત્કૃષ્ટ કવિઓ તથા હરિશ્ચંદ્ર જોશીનાં ઉત્તમ સ્વરાંકનો ‘સંગત’માં તમને સાંભળવા મળી શકે છે.

મોરારિબાપુ સાથે સતત પ્રવાસમાં રહેતા સંગીતકાર હરિશ્ચંદ્ર જોશી આ ગીતના સંદર્ભમાં કહે છે, "ગીતના શબ્દો એટલા સુંદર અને સચોટ છે કે એ ભાવ સ્વરાંકનમાં ઉતારવો ખૂબ જરૂરી છે. એટલે જ મેં દરેક શબ્દના ભાવનેે ધ્યાનમાં રાખીને એક એક પંક્તિ સ્વરબદ્ધ કરી છે. વિનોદ જોશીની કવિતામાં નારી સંવેદના અત્યંત નાજુક રીતે પ્રગટ થાય છે તેથી એમનાં ગીતો કંપોઝ કરતી વખતે ભાવ પ્રાબલ્ય અનિવાર્ય બની રહે છે. ગાયક કલાકાર એ જ ભાવ સાથે રજૂ કરે ત્યારે એ ગીત લોકચાહના પામે છે.

સુંદર કવિતા નજરે ચડે એટલે સ્વરકાર તરત એને ઝીલી લે. વિનોદ જોશીના આ ગીતનું સ્વરાંકન પરેશ નાયક, નયનેશ જાની, કલ્પક ગાંધી સહિત અનેક સંગીતકારોએ કર્યું છે. પરંતુ, ગુજરાતમાં વસતા હરિશ્ચંદ્ર જોશી તથા રિષભ મહેતાનાં સ્વરાંકન મેં સાંભળ્યાં છે અને બન્ને પોતપોતાની રીતે અનોખાં છે. ગુજરાતમાં પણ કેટકેટલા સંગીતકારો સરસ કામ કરી રહ્યા છે! ગોધરામાં રહેતા આવા જ એક સંગીતકાર છે રિષભ મહેતા. એમનાં પત્ની ગાયત્રી મહેતા સાથે મળીને અનેક સંગીત કાર્યક્રમો કરે છે. એમનો દીકરો રાગ મહેતા પણ સરસ ગાયક કલાકાર છે અને અમદાવાદમાં રહી સંગીત ક્ષેત્રે અવનવા પ્રયોગો કરે છે. વ્યવસાયે આ દંપતી અધ્યાપક પરંતુ, સંગીતની લગની એવી કે સમય મળે ત્યારે સંગીતને શરણે. રિષભ મહેતા આ ગીત વિશે કહે છે, "૧૯૯૨ની આસપાસ મેં આ ગીત સંગીતબદ્ધ કર્યું હતું. એ વખતે એક ફેસ્ટિવલમાં મેં કેટલાક યુવાનોને લોકગીત ગાતા સાંભળ્યા ત્યારે વિચાર આવ્યો કે અવિનાશ વ્યાસે પણ લોકસંગીતને કેન્દ્રમાં રાખીને ગીતો રચ્યાં અને ખૂબ લોકપ્રિય થયાં. એ સમય દરમ્યાન સૌથી પહેલી આ રચના મારા હાથમાં આવી. લોકસંગીતનો બેઝ બનાવીને જ મેં સ્વરબદ્ધ કરી. અલબત્ત એમાં શાસ્ત્રીય રાગોની છાંટ પણ છે છતાં, જાહેર કાર્યક્રમોમાં આ ગીત ઘણું જ ઊપડે છે. આ ગીતનો મુખડો રાગ ચારુકેશી ઉપર આધારિત છે અને બંને અંતરાઓમાં જુદા જુદા રાગોની છાયા છે. પ્રથમ અંતરામાં રાગ ભીમપલાસ / પીલુ અને ચંદ્રકૌસની છાયા છે તો બીજા અંતરામાં જયજયવંતીની અસર છે. ‘સા’નું સ્થાન અલગ રાખવાથી રાગમાં ફેરબદલ થાય છે એવું મારા અન્ય સ્વરાંકનો સાથે થયું છે તેમ આમાં પણ થઈ શકે. મૂળભૂત રીતે હું કવિ છું તેથી કોઈ કવિતા મારા હૃદયને જે રીતે સ્પર્શે તે રીતનું સ્વરાંકન મારી પાસે આવે છે. એટલે કે મારાં સ્વરાંકનો ઓછાં અને સ્વયં કવિતાએ મારી પાસે બનાવડાવેલાં સ્વરાંકન વધારે છે. એટલે તેઓ કોઈ ચોક્કસ રાગ પર આધારિત ન પણ હોય પણ કવિતાના ભાવ પ્રમાણે અંદરથી આવેલી કોઈ મેલડી પર સવિશેષ આધારિત હોય એ વધુ શક્ય છે.

આ મજાનું ગીત યુટ્યુબ ઉપર તમને સાંભળવા મળશે. જરૂર સાંભળજો.

માલિની પંડિતને કંઠે :

https://www.youtube.com/watch?v=Z9wfHhTWgjA

કલ્પક ગાંધીને કંઠે :

https://www.youtube.com/watch?v=S7mAfTktAiI

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 01 ઑગસ્ટ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=554107 

Loading

...102030...2,7642,7652,7662,767...2,7702,7802,790...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved