Opinion Magazine
Number of visits: 9576910
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકપ્રતિનિધિઓ પાસેથી ગાંધીજીની અપેક્ષા

ગાંધીજી|Opinion - Opinion|22 June 2019

સત્તરમી લોકસભાનાં પરિણામ આવી ચૂક્યાં છે અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની આવનારાં પાંચ વર્ષ સુધી શી ભૂમિકા રહેશે, તે ટૂંક સમયમાં નિશ્ચિત થશે. દેશની અંદાજિત એકસો પાંત્રીસ કરોડની વસ્તી સામે સંસદમાં ૫૪૫ સભ્યો ચૂંટાઈને આવે છે. આ સભ્યો પર દેશની સ્થિતિ અને પાંચ વર્ષનો સમય જોતાં જંગી કાર્યબોજ હોય છે. આ કાર્યબોજને પહોંચી વળવા માટે જ સંસદસભ્યોને વિશેષ અધિકારો અને સવલતો મળે છે. જો કે, જનપ્રતિનિધિઓને જમીની સ્તરે જ્યારે કામ કરવાનું આવે છે ત્યારે તેઓ તેમાં મહદંશે ઊણા ઊતરે છે, અને તેમાં અપવાદ કહી શકાય તેવા સંસદસભ્યોનો આંકડો ત્રણ ડિજિટ સુધી ય પહોંચતો નથી! સંસદસભ્યોના પક્ષે થઈ રહેલી પ્રજાનાં કાર્યોની સતત ઉપેક્ષાને પ્રજાની અપેક્ષા સુધી પહોંચાડવી હોય તો ગાંધીજીનાં કેટલાંક લખાણો ઉપયોગી થાય એમ છે. આ લખાણ હરિપ્રસાદ વ્યાસે સંપાદિત કરેલાં પુસ્તક 'ગાંધીજીની અપેક્ષા'[લોકપ્રતિનિધિઓ પાસે રાષ્ટ્રપિતાએ રાખેલી અપેક્ષા]માં ક્રમવાર જોવા મળે છે. આ પુસ્તક હાલ ગુજરાતીમાં તો ઉપલબ્ધ નથી [હિન્દીમાં गांधीजी की अपेक्षा અને અંગ્રેજીમાં Gandhiji’s Expectationsના નામે ઉપલબ્ધ છે] પણ તેમાંથી કેટલાંક સંપાદિત થયેલાં લખાણ આજે ય પ્રસ્તુત છે. કેટલીક વાતો તો પ્રજાના પ્રતિનિધિઓ માટે દીવાદાંડી સમાન બને એમ છે. …

•••

આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી એક ગંભીર ભૂલ માનતો આવ્યો છું. એ ભ્રમનું કારણ કાં તો આપણી જડતા છે, કાં તો અંગ્રેજોના રીતરિવાજોએ આપણા પર જે ભૂરકી નાખી છે તે છે. બ્રિટિશ લોકોના ઇતિહાસના ઉપરચોટિંયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજ્યતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટોમાંથી સત્તા ઝમીને પ્રજાની અંદર ઊતરે છે. સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે, અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતોવખત જેમને પસંદ કરે છે તેમને તેટલા વખત પૂરતી તેની સોંપણ કરે છે. અરે, લોકોથી સ્વતંત્ર એવી પાર્લમેન્ટોની સત્તા તો શું, હસ્તીયે હોતી નથી. છેલ્લાં એકવીસથીયે વધારે વર્ષોથી આટલી સીધીસાદી વાત લોકોને ગળે ઉતારવાને હું મથ્યા કરું છું. સત્તાનો અસલ ભંડાર તો સત્યાગ્રહ અથવા સવિનયભંગની તાકાત છે. એક આખી પ્રજા પોતાની ધારાસભાના કાયદાઓ પ્રમાણે ચાલવાનો ઇનકાર કરે છે, અને એવા સવિનયભંગનાં પરિણામો વેઠવાને તૈયાર થાય તો શું થાય તેની કલ્પના કરો! એવી પ્રજા સરકારના ધારાસભાના ને વહીવટી તંત્રને આખું ને આખું થંભાવી દેશે. સરકારનું પોલીસનું ને લશ્કરનું બળ, ગમે તેવી જબરી હોય તો પણ લઘુમતીને દબાવવા પૂરતું જ કામ આવે છે. પણ આવી પડે તે બધું સહન કરવાને જે આખી પ્રજા તૈયાર હોય તેના દૃઢ સંકલ્પને નમાવવા કોઈ પોલીસની કે લશ્કરની જબરજસ્તી કામ આવતી નથી.

°

… ધારાસભાઓમાં બેસનારા સભ્યોને મળતો પગાર અને ભથ્થાં, તે લોકો દેશનું જે કામ કરે છે, તેના પ્રમાણમાં અત્યંત વધારે પડતાં છે. જે દેશ દુનિયામાં સૌથી ગરીબ છે, તેની સામાન્ય આવક સાથે જરાયે મેેળ ન ખાય એવા પગારો ને ભથ્થાંના એ દર અંગ્રેજી નમૂનાને ધોરણે મુકરર થયેલા છે. તેથી … હું એવું સૂચવું છું કે, પ્રધાનોએ પોતપોતાની ધારાસભાની સંમતિ મેળવી, જરૂરિયાતો નજરમાં રાખી, એ બધા દર ઉતારી નાખવા, અને દરમિયાન સભ્યે, પોતે જે પક્ષનો હોય તેને પોતાને મળતી આખી રકમ આપી દઈ પક્ષ જે ઠરાવી આપે તેટલું જ લેવાનું રાખવું; અને એમ ન બની શકે, તો પોતાનું અંતઃકરણ કહે તે મુજબ કેવળ પોતાને માટે તેમ જ પોતાના કુટુંબને માટે વાજબી લાગે તેટલું જ રાખી, બાકીની રકમ રચનાત્મક કાર્યક્રમના એકાદ અંગના અમલમાં અથવા એવી જ કોઈ જાહેર સેવાની પ્રવૃત્તિમાં વાપરવી. જે પગાર અને ભથ્થાંની રકમ લેવાની છૂટ છે, તે લેવી જ પડે એવી સ્થિતિ હોય એ ખરું, પણ તેથી જરૂર હોય તેથી વધારે વાપરી ખાવાની જબરજસ્તી થોડી જ છે? સાધ્ય સારું હોય તો ગમે તેવું સાધન ચાલે, એ મુદ્દો આમાં ક્યાંયે આવતો નથી.

°

સાદાઈ આ પ્રધાનો તેમના પ્રાંતોના વહીવટમાં દાખલ કરે એવી આશા રાષ્ટ્ર એમની પાસેથી રાખશે. એ સાદાઈની એમને શરમ ન આવવી જોઈએ, તેઓ એમાં ગૌરવ માને. આપણે જગતની ગરીબમાં ગરીબ પ્રજા છીએ, અને આપણે ત્યાં કરોડો માણસો અડધો ભૂખમરો વેઠે છે. એવા દેશના પ્રતિનિધિઓએ પોતાને ચૂંટનાર મતદારોના જીવનની જોડે જેનો કશો જ મેળ ન હોય એવી ઢબે ને એવી રહેણીએ રહેવાય જ નહીં. વિજેતા અને રાજ્યકર્તા તરીકે આવનાર અંગ્રેજોએ જે રહેણીનું ધોરણ દાખલ કર્યું તેમાં જિતાયેલા અસહાય લોકોનો બિલકુલ વિચાર કર્યો નહોતો.

°

પ્રધાનો જો તેમને ૧૯૨૦થી વારસામાં મળેલી સાદાઈ અને કરકસર કાયમ રાખશે તો તેઓ હજારો રૂપિયા બચાવશે, ગરીબોનાં દિલમાં આશા પેદા કરશે, અને સંભવ છે કે સરકારી નોકરોની ઢબછબ પણ બદલાવશે. મારે એ તો બતાવવાની જરૂર ભાગ્યે જ હોય કે સાદાઈનો અર્થ એ નથી કે મેલાઘેલા રહેવું. સાદાઈમાં જે સુંદરતા ને કળા રહેલી છે તે ઊડીને આંખે વળગે એવી હોય છે. સ્વચ્છ, સુઘડ ને ગૌરવશીલ રહેવાને સારુ પૈસા બેસતા નથી. આડંબર તથા દબદબો અને અશિષ્ટતા એ ઘણી વાર એક જ અર્થના શબ્દો થઈ પડે છે.

°

પ્રધાનપદ એ કેવળ સેવાનાં દ્વાર છે, અને જેમને એ કામ સોંપવામાં આવે તેમણે તે પ્રસન્નતાપૂર્વક અને પોતાની બનતી બધી શક્તિ વાપરીને એ સેવા કરવી જોઈએ. એટલે આ હોદ્દાઓને વિશે પડાપડી તો કદી કરાય જ નહીં. અનેક માણસોના સ્વાર્થોને સંતોષવાને સારુ પ્રધાનોની જગાઓ ઊભી કરવી એ તો તદ્દન ગેરવાજબી ગણાય. હું મુખ્ય પ્રધાન હોઉં અને મને આવી માગણી કરનારાઓ આવીને પજવ્યા કરે તો મને ચૂંટનારાઓને કહી દઉં કે તમે બીજો આગેવાન ચૂંટી લો. આ હોદ્દાઓ તો ગમે ત્યારે છોડી દેવા પડે એમ માનીને રાખવાના છે; એને બાથ ભીડીને બેસી જવાનું નથી. એ તો કાંટાના મુગટ હોવા જોઈએ, કીર્તિના કદી નહીં. એ હોદ્દા આપણે લીધા છે તે તો એટલા માટે કે એનાથી આપણા ધ્યેય પ્રત્યે વધારે વેગથી કૂચ કરવાની શક્તિ આપણને મળે છે કે નહીં એ આપણે જોવું છે. જો સ્વાર્થી લોકો અથવા અવળે રસ્તે દોરાયેલા અતિ ઉત્સાહી માણસો મુખ્ય પ્રધાનો પર જબરદસ્તી કરીને ચડી બેસે એવું બનવા દઈએ તો એ મહા ખેદજનક વસ્તુ થઈ જાય. જેઓને આખરે પ્રધાનોના હાથમાં સત્તા સોંપવાનો અધિકાર છે એમની પાસેથી ખોળાધરી લેવી જો આવશ્યક હતી, તો આપણા પક્ષના માણસો પાસેથી સમજ, અડગ, વફાદારી ને ઐચ્છિક નિયમપાલનની ખોળાધરી લેવી બમણી આવશ્યક છે.

°

સૌથી સચોટ કસોટી તો એ છે કે જે પક્ષે મુખ્ય પ્રધાનોની ચૂંટણી કરી છે તે પક્ષના સભ્યોને પ્રધાનોની થયેલી પસંદગી ગમવી જોઈએ. કોઈ પણ મુખ્ય પ્રધાન પોતાની પસંદગીના પુરુષ કે સ્ત્રીનો પક્ષની પાસે પરાણે સ્વીકાર કરાવી ન શકે. એ આગેવાન એટલા માટે છે કે શક્તિ, માણસો વિશેનું જ્ઞાન, અને નેતાપદને માટે આવશ્યક બીજા ગુણો એનામાં છે એવો એના પક્ષનો એના પર પૂરેપૂરો વિશ્વાસ છે.

°

પ્રધાનો સાદાઈથી રહે ને સખત કામ કરે એટલું બસ નથી. તેઓ જે ખાતાં પર કાબૂ ધરાવે છે તે પણ એવી વૃત્તિમાં સામેલ થાય એ એમણે જોવાનું રહ્યું છે. એટલે ન્યાય સસ્તો થવો જોઈએ ને જલદી મળવો જોઈએ. આજે તો એ ધનવાનોના શોખની ને જુગારીની મોજની વસ્તુ છે. પોલીસો પ્રજાને ડરાવનારા નહીં પણ પ્રજાના મિત્ર હોવા જોઈએ. કેળવણીમાં ધરમૂળથી એવો પલટો થવો જોઈએ કે જેથી દેશને ચૂસનાર સામ્રાજ્યવાદીની નહીં પણ ગરીબમાં ગરીબ ગ્રામવાસીની જરૂરિયાત પૂરી પાડે.

°

… પ્રધાનોને સિવિલ સર્વિસની સંગઠિત કાર્યશક્તિનો ઉપયોગ તેમની નીતિનો અમલ કરવા માટે મળવો જ જોઈએ. ગમે તેવા મનસ્વી ગવર્નરો અને વાઇસરોયે ઠરાવેલી રાજ્યનીતિને અમલમાં ઉતારવાનું સરકારી નોકરવર્ગ શીખેલો છે. પ્રધાનો ઠીક ઠીક વિચાર કરીને ઘડેલી પણ નિશ્ચિત રાજ્યનીતિ નક્કી કરે, અને સરકારી નોકરવર્ગ તેના વતી અપાયેલાં વચનો પણ સાચાં પાડે ને જે લૂણ ખાય છે તેને વફાદાર નીવડે.

°

વ્યક્તિ તરીકે પ્રધાન મુખ્યત્વે પોતાને ચૂંટનાર મતદારોને જવાબદાર છે. જો તેની ખાતરી થાય કે પોતે એ મતદારોનો વિશ્વાસ ગુમાવી બેઠો છે અથવા તો પોતે જે વિચારોને સારુ ચૂંટાયેલો તે વિચારો પોતે બદલ્યા છે, તો તે રાજીનામું આપે. પ્રધાનો મંડળ તરીકે ધારાસભાના સભ્યોની બહુમતીને જવાબદાર છે, અને એ સભ્યો એમના પર અવિશ્વાસનો ઠરાવ પસાર કરીને કે એવી બીજી રીતે પ્રધાનોને હોદ્દા પરથી ખસેડી શકે છે.

°

પ્રધાનોએ લોકોને મળવું જ જોઈએ. તેમના સદ્દભાવ ઉપર જ તેમની હસ્તીનો આધાર છે. હળવી તેમ જ ગંભીર બધી ફરિયાદો તેમણે સાંભળવી જ જોઈએ. પરંતુ બધાનું અથવા તેમને મળેલા પત્રોનું અથવા તો તેમણે આપેલા નિર્ણયોનું પણ તેઓ દફ્તર ન રાખે તો ચાલે. પોતાની સ્મૃતિને તાજી કરવા પૂરતું તથા નક્કી કરેલી પ્રથાને ચાલુ રાખવા પૂરતું જરૂરી દફ્તર જ તેઓ રાખે. ખાતાની રૂએ ચાલતો ઘણોખરો પત્રવ્યવહાર બંધ થવો જોઈએ …. તેઓ તો આ દેશમાં વસતા પોતાના કરોડો શેઠના ગુમાસ્તા છે.

°

પ્રધાનો અને પ્રાંતિક ધારાસભાના સભ્યો પ્રજાના સાચા સેવક હોવા જોઈએ, મુખી કે શેઠ નહીં. જો તેઓ પગારનું સરકારી ધોરણ સ્વીકારે તો તેઓ ખુએ. અમુક પગાર બધાને મળી શકે છે માટે તે બધાએ લેવો જ જોઈએ એમ નથી. પગારનું ધોરણ મર્યાદા બાંધવા પૂરતું જ છે. કોઈ શ્રીમંત માણસ પૂરો પગાર અથવા તો તેનો અંશમાત્ર પણ લે તો તે હાસ્યાસ્પદ ગણાય. જે વગર પગારે સેવા નથી આપી શકતા તેને માટે પગાર છે. દુનિયામાં ગરીબમાં ગરીબ પ્રજાના તેઓ પ્રતિનિધિ છે. ગરીબોના પૈસામાંથી તેમનો પગાર નીકળે છે. આ મુખ્ય વસ્તુ ધ્યાનમાં રાખીને તેઓએ જીવવાનું છે ને રાજતંત્ર ચલાવવાનું છે.

°

પ્રધાનોના દિલમાં અસ્પૃશ્યતાના, નાતજાતના કે મારું તારું એવો ભેદભાવ ન હોય. કોઈની જરા પણ લાગવગ ક્યાં ય ન ચાલવી જોઈએ. સત્તાધારીને મન પોતાનો સગો ભાઈ, કે એક સામાન્ય ગણાતો શહેરી, કારીગર, મજૂર, બધા જ સરખા હોવા જોઈએ.

°

અંતરનાદને વશ વર્તીને ચાલનાર પ્રધાનને માનપત્રો અને બીજાં માનપાન લેવાનો કે અતિશયોક્તિવાળી કે યોગ્ય સ્તુતિવાળાં ભાષણ કરવાનો વખત હોય જ નહીં. અથવા જે મુલાકાતીઓને પોતે બોલાવ્યા ન હોય કે જેઓ પોતાના કામમાં મદદ કરે એમ લાગતું ન હોય તેવાઓ જોડે વાતો કરવા બેસવાનો વખત હોય નહીં. સિદ્ધાંતની દૃષ્ટિએ જોતાં તો લોકશાહીનો આગેવાન હંમેશાં પ્રજાનો બોલાવ્યો તેમને મળવા કે ગમે ત્યાં જવા તત્પર રહેશે. એ એમ કરે એ યોગ્ય જ છે. પણ પ્રજાએ એને માથે મૂકેલા કર્તવ્યમાં ક્ષતિ આપવા દઈને તેમ કરવાની ધૃષ્ટતા તે ન કરે. પ્રધાનોને જે કામ સોંપાયેલું છે તેમાં જો તેઓ પારંગત નહીં થાય કે પ્રજા તેમને પારંગત નહીં થવા દે તો પ્રધાનોની ફજેતી થશે.

°

કાયમના અમલદારો પ્રધાનોની આગળ જે કાગળો મૂકે તે વાંચવા ને સહી કરવી એટલું જ કામ જો પ્રધાનો પાસે હોત તો એ તો સહેલ વાત હતી. પણ દરેક કાગળનો અભ્યાસ કરવો અને નવી-નવી કાર્યપ્રણાલી વિચારી કાઢવી ને તેને અમલમાં ઉતારવી એ સહેલું કામ નથી. પ્રધાનોએ સાદાઈ ધારણ કરી એ આરંભ તરીકે આવશ્યક હતું. છતાં જો તેઓ આવશ્યક ઉદ્યોગ, શક્તિ, પ્રામાણિકતા, નિષ્પક્ષપણું અને વિગતો ઉપર કાબૂ મેળવવાની અગાધ શક્તિ નહીં બતાવે તો એકલી સાદાઈ એમને કંઈ કામ આવવાની નથી.

°

પોતાનાં નામો મતદાર તરીકે નોંધાવી આવવાની તસ્દી લેનાર તથા અંગમહેનત કરી રાજ્યને પોતાની સેવા આપનાર દરેક જણ, મરદ અથવા ઓરત, અસલ વતની અથવા હિંદુસ્તાનને પોતાના દેશ કરી અહીં વસેલા, મોટી ઉંમરના વધારેમાં વધારે લોકોના મતો વડે મેળવેલી સંમતિથી થતું હિંદુસ્તાનનું શાસન એટલે સ્વરાજ.

આધુનિક જમાનાના સંપૂર્ણ હકવાળી પાર્લમેન્ટથી હિંદુસ્તાનનું રાજ્યતંત્ર ચાલે એને હું સ્વરાજ કહું છું.

આજે મારી સામુદાયિક પ્રવૃત્તિનું ધ્યેય હિંદુસ્તાનની પ્રજાની ઇચ્છા પ્રમાણેનું પાર્લમેન્ટરી ઢબનું સ્વરાજ પ્રાપ્ત કરવાનું છે એ વિશે કશી શંકા નથી.

એવી પાર્લમેન્ટ આપણને ન મળે તો આપણે અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ થઈ જઈએ. …

###

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 181-184

Loading

માનો યા ના માનો – પ્લાસ્ટિકનો કચરો એ જ શાળા શિક્ષણના અભ્યાસનું શુલ્ક!

આશા બૂચ|Opinion - Opinion|22 June 2019

આસામની એક અદ્વિતીય શાળા પોતાના વિદ્યાર્થીઓ પાસેથી પ્લાસ્ટિકનો કચરો શિક્ષણ માટેના શુલ્કના બદલામાં સ્વીકારે છે!

પામોહી – આસામના જંગલમાં છુપાઈને બેઠેલી શાળા – અક્ષરની મુલાકાત લો તો ઉપરનું દ્રશ્ય જોવા મળે જ્યાં વિદ્યાર્થીઓ પોલિથિન બેગમાં પ્લાસ્ટિકનો કચરો ભરીને લાવે. એ શાળા માત્ર આ કચરાને જ શાળાના શુલ્ક તરીકે સ્વીકારે છે!

“અમે બધાં બાળકો માટે નિ:શુલ્ક સેવા આપતી શાળા શરૂ કરવા માગતા હતા, પરંતુ આ વિસ્તારમાં પ્રવર્તતા સામાજિક અને પર્યાવરણને સ્પર્શતી મોટી સમસ્યાઓએ અમને તેમ કરતા રોક્યા. મને બરાબર યાદ છે, શાળાની નજીક જ્યારે પણ કોઈ પ્લાસ્ટિકનો કચરો બાળતું ત્યારે એ ઝેરી ગેસથી અમારા વર્ગખંડો કેવા ભરાઈ જતા. અહીં શરીરને ગરમી આપવા પ્લાસ્ટિક બાળવું એ જાણે સામાન્ય ધોરણ બની ગયું હતું. અમારે આ પરિસ્થિતિ બદલવી હતી તેથી અમારા વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો કચરો શાળાનાં શુલ્ક તરીકે લાવવા માટે પ્રોત્સાહિત કર્યા.” આ વિધાન પારમિતા શર્માનું છે, જેમણે મઝિન મુખ્તાર સાથે મળીને જૂન 2016માં આ શાળાની સ્થાપના કરી હતી.

અક્ષર શાળાની કહાણી કઇંક આવી છે:

2013ની સાલમાં મઝિન ન્યૂયોર્કથી ભારત કોઈ એક પ્રકલ્પ પર કામ કરવા આવ્યા. તેના કામ અંગે તેને પારમિતા સાથે મેળાપ થયો, કે જેણે  ટાટા સ્કૂલ ઓફ સોશ્યલ સાયન્સિસમાં સોશ્યલ વર્કમાં માસ્ટર્સની ઉપાધિ મેળવેલી. ઇત્તફાક એવો કે તે પણ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવા ચાહતી હતી.

મૂળે આસામની હોવાને કારણે પારમિતાએ મઝિનને એ વિસ્તારના સામાજિક તાણાવાણાઓથી પરિચિત કર્યા, ત્યાંના પડકારો કેવા હશે તે કહ્યું અને કાગળ પરના આંકડાઓ અને વાસ્તવિક પરિસ્થિતિઓથી વાકેફ કર્યા. છેવટ તેનું પરિણામ સામાન્ય શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ વચ્ચેની ખાઈ પૂરી કરી શકે તેવી આ ‘અક્ષર’ શાળાની સ્થાપનામાં આવ્યું.  

મઝિને કહ્યું, “અમને પ્રતીત થયું કે અહીંના બાળકો માટે શિક્ષણ એક સામાજિક, આર્થિક અને પર્યાવરણની દ્રષ્ટિએ અનુબંધ ધરાવનારું હોવું જોઈએ. સહુથી મોટો પડકાર હતો, આસપાસનાં ગામડાંના લોકોને પોતાનાં બાળકોને શાળાએ મોકલવા માટે કબૂલ કરાવવા. મોટાં ભાગનાં બાળકો નજીકની પથ્થરની ખાણમાં મજૂરી કરતાં હતાં. આથી બીજા મુદ્દાઓ ઉપરાંત અમારે એ પણ ધ્યાનમાં લેવાનું હતું કે શાળાનું શિક્ષણ મેળવ્યા બાદ એ બાળકોને રોજગારી અપાવી શકે તેવો અભ્યાસક્રમ ઘડવાનો હતો.”

બીજું પગલું ભરવાનું હતું, શાળા વિદ્યાર્થીઓ પાસેથી શુલ્ક કેટલું અને કયા સ્વરૂપમાં લેવું  અને બદલામાં બાળકોને શું આપવું. પારમિતાએ કહ્યું, “અમારી પાસે એક વિકલ્પ હતો, એક એવું ચલણ આપી શકાય જેનાથી નજીકની દુકાનમાંથી બાળકો નાસ્તો, નાનાં રમકડાં કે ચોકલેટ જેવી વસ્તુઓ ખરીદી શકે. અથવા વિદ્યાર્થીઓ પોતે એકઠી કરેલી ચીજો લઈને આવે અને અમે તેને નાણામાં ફેરવી આપીએ અને એ રકમમાંથી એમેઝોનમાંથી તેમને જરૂરી વસ્તુઓ અપાવી દઈએ.” પરંતુ એ બધા વિકલ્પો અમલમાં ન મૂકતાં એક નવીન વિચાર અમલમાં મુકવાનો નિર્ણય થયો. વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાની સાથે એ સમાજના લોકોને પણ પ્લાસિટિકના કચરાને બાળવાની તેમની રસમના જોખમ વિષે સમજણ કેળવવાની પણ એક ફરજ બની રહેતી હતી. પારમિતાએ કહ્યું તેમ શિયાળાની ઋતુમાં બધા પરિવારો પ્લાસ્ટિકના કચરાનું તાપણું કરીને એક બીજાની નજદીક બેસીને ઠંડીનો સામનો કરે એ સર્વ સાધારણ બાબત હતી.

‘અક્ષર’ શાળાના સ્થાપકોએ તેમનો અભ્યાસક્રમ એવી રીતે ઘડ્યો કે જેથી વિદ્યાર્થીઓ પર્યાવરણ અને સ્વાસ્થ્યના મુદ્દાઓ વિષે જાગૃત થાય, માહિતગાર બને અને તેને સુધારવા માટે સક્રિય બને. ત્યાર બાદ ભરવાનું પગલું એ હતું કે ગામના લોકોને પ્લાસ્ટિકનો તમામ કચરો એકઠો કરીને રિસાઇકલ કરવાની સમજ કેળવવા કબૂલ કરવા, જેથી તેઓ પોતાના સમાજમાં આ પ્રકારનું પરિવર્તન લાવવા માટેના પ્રચારક બની શકે. પારમિતાએ જણાવ્યું, એ લોકોને આ ટહેલનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો. જે પરિવારોએ આ યોજનામાં ભાગ લીધેલો તેઓએ પોતાનાં ઘર અને દુકાનો પર આ યોજના વિશેના પોસ્ટર મુકવા કબૂલ થયા. આ કાર્યનો અમલ મોટી ઉંમરના વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોની સહાયથી કર્યો. એ જ વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોની મદદથી એ કેમ્પસના માળખામાં વિવિધ કામમાં ઉપયોગમાં લઇ શકાય તેવાં સાધનો પણ એ નકામા પ્લાસ્ટિકમાંથી બનાવવા શરૂ કર્યાં. માત્ર 20 વિદ્યાર્થીઓથી શરૂ થયેલ આ શાળામાં હાલમાં ચારથી પંદર વર્ષની આયુના 100થી વધુ બાળકો અભ્યાસ કરે છે. પોતાના સમાજ અને પર્યાવરણ પ્રત્યે ફરજ બજાવવા દરેક બાળક અઠવાડિયામાં ઓછામાં ઓછી પ્લાસ્ટિકની 25 વસ્તુઓ લાવે છે.

‘અક્ષર’ શાળામાં વૈકલ્પિક અને છતાં સ્થાનિક લોકો માટે અત્યંત પ્રસ્તુત શિક્ષણ અપાઈ રહ્યું છે, જે આ નીચેની તસ્વીરમાં જોઈ શકાય.

જયારે પારમિતા અને મઝિને શાળાની સ્થાપના કરી ત્યારે તેમનો હેતુ સ્થાનિક બાળકોની આકાંક્ષાઓને બંધબેસે તેવો અભ્યાસક્રમ બનાવવાનો હતો જેથી કરીને તેઓ અને તેમના માતા-પિતા સાથે મળીને ઉજ્વળ ભાવિનું નિર્માણ કરી શકે. આથી જ તો અન્ય પારંપરિક શાળાઓની માફક અક્ષર શાળામાં ઉંમર પ્રમાણે વર્ગ વ્યવસ્થાને બદલે બાળકનાં જ્ઞાન અને શક્તિ આધારિત વર્ગ ગોઠવાય છે. બાળકોનું જ્ઞાન તેમના પ્રવેશ સમયે ચકાસવામાં આવે. જે તે વિદ્યાર્થી આગલા વર્ગમાં પહોંચવા માંગતો હોય તો તેણે તે માટે મહેનત કરવાની રહે. પારમિતા કહે છે તેમ આ પદ્ધતિને કારણે શિક્ષણનું સ્તર સતત સુધરતું રહે છે. જો કે આ વિચારો પણ કેટલીક સમસ્યાઓમાંથી જ સ્ફુરેલા. મઝિનનું કહેવું છે કે સહુથી મોટો સવાલ આ ક્ષેત્રમાં છે, શિક્ષણની સુસંગતતા. આ બાળકોને પુસ્તકમાંના સિદ્ધાંતો અને વ્યવહારના મિશ્રણ યુક્ત અભ્યસક્રમની જરૂરત છે, જેથી તેમને ભવિષ્યમાં રોજગારી મેળવવા આવશ્યક કુશળતા ખીલવી શકે. પરિણામે આ શાળામાં વ્યવસાયિક અભ્યાસક્રમ જેવાં કે ગાયન, નર્તન, સૂર્ય પેનલ બનાવવી, ભરતકામ, બાગકામ, સજીવ ખેતી, ઇલેક્ટ્રોનિક્સ, રિસાઇકલિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. આ રીતે ઉદ્યોગોને જરૂરી કુશળતા અને વિદ્યાર્થીઓની પસંદગી તથા શક્તિને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ ગોઠવાય જેથી ભણનારાઓ અને રોજગારી પૂરી પાડનારાઓને લાભ થાય.

મઝિનના કહેવા પ્રમાણે એ લોકોને તાજેતરમાં વિદ્યાર્થીઓમાં બાગકામ તરફ વધુ ઝોક જોવા મળ્યો, જેથી હવે તેઓ ટકાઉ બાગકામ(sustainable landscaping)નો એક અલાયદો કોર્સ શરૂ કરવાનું આયોજન કરી રહ્યા છે, જેથી મોટી ઉંમરના વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો થતાં તરત તેને યોગ્ય વ્યવસાય મેળવી શકે.

મઝિન અને પારમિતા 2018માં લગ્નગ્રંથિથી જોડાયાં. ‘અક્ષર’ની સફળતા અનુભવ્યા બાદ તેમની ઇચ્છા આવતાં પાંચ વર્ષોમાં આખા દેશમાં આવી સો એક શાળાઓ શરૂ કરવાની છે. એ માટે તેમને સર્વ રીતે અનુકૂળતાઓ મળી રહે અને આ પ્રકલ્પમાં જ્વલંત સફતા મળે તેવી શુભેચ્છાઓ.

(મૂળ લેખક: અનન્યા બરુઆ. મુંબઈ સર્વોદય મંડળ અને ગાંધી રિસર્ચ ફાઉન્ડેશનમાં પ્રકાશિત લેખ; તેમની અનુમતિથી અહીં પ્રસ્તુત)

e.mail : 71abuch@gmail.com

Loading

જેલમાં મનુષ્યેતર પ્રાણીઓ

જવાહરલાલ નેહરુ|Gandhiana|21 June 2019

દહેરાદૂન જેલમાં મારી નાની કોટડી અથવા ઓરડીમાં હું સાડા ચૌદ મહિના રહ્યો. મને એમ લાગવા માંડ્યું કે એ ઓરડીનું હું એક અંગ બની ગયો છું. તેના ખૂણેખૂણાથી હું પરિચિત થઈ ગયો હતો. તેની ચૂનાથી ધોળેલી દીવાલો પરના, તેની ખડબચડી ભોંય પરના, તથા જીવડાંએ ખાધેલી વળીઓવાળા છાપરાના એકેએક ડાઘ અને ખાડાને હું ઓળખતો થઈ ગયો હતો. બહાર નાના વાડામાં ઘાસનાં નાનાં જડિયાંને તથા અહીંતહીં પડેલા નાના નાના પથરાને હું જૂના મિત્રો તરીકે સત્કારતો થયો હતો. મારી કોટડીમાં હું એકલો નહોતો. મોટા ભમરા અને નાની ભમરીઓની ત્યાં ઘણી વસાહતો હતી, અને વળીઓની પાછળ ઘણી ગરોળીઓએ ઘર કર્યાં હતાં, તેમાંથી તે સાંજે શિકારની શોધમાં બહાર ફરવા નીકળી પડતી. જો વિચારો અને લાગણીઓ આસપાસના સ્થૂળ પદાર્થો ઉપર પોતાના સંસ્કાર રાખી જતાં હોય તો તો એ કોટડીની આખી હવા તેથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી, અને એ સાંકડી જગ્યાના એકેએક પદાર્થને એ સંસ્કારો વળગી રહ્યા હતા.

કોટડીઓ તો બીજી જેલોમાં મને વધારે સારી મળેલી, પરંતુ દહેરાદૂનમાં મને એક ખાસ લાભ હતો અને તે મારે મન બહુ મૂલ્યવાન હતો. ત્યાંની જેલ મૂળે બહુ નાની હતી, તેમાં ય વળી અમને તો જેલના જ કમ્પાઉન્ડમાં પણ જેલની દીવાલોની બહાર જૂની હવાલાતમાં રાખ્યા હતા. એ હવાલાત એટલી સાંકડી હતી કે ત્યાં હરવા-ફરવાની જગ્યા જ નહોતી. તેથી સવારસાંજ અમને બહાર કાઢવામાં આવતા. જેલના દરવાજા આગળ સો વાર જેટલી જગ્યામાં આંટા મારવાની અમને રજા મળી હતી. અમારે રહેવું પડતું તો એ જેલના કમ્પાઉન્ડમાં જ, પરંતુ તે જેલની મુખ્ય દીવાલોની બહાર હોઈ પહાડો અને ખેતરો તથા થોડે છેટે આવેલી એક મોટી સડક અમને જોવાને મળતાં. આ કાંઈ મને ખાસ આપેલી છૂટ નહોતી; દહેરાદૂનની જેલમાં રાખેલા બધા ‘એ’ અને ‘બી’ વર્ગના કેદીઓને આ છૂટ હતી. કમ્પાઉન્ડની અંદર જ પરંતુ જેલની દીવાલોની બહાર એક બીજું મકાન હતું. તેને ‘યુરોપિયન લૉકઅપ’ કહેતા. તેની આસપાસ વંડી કે એવું કાંઈ નહોતું એટલે કોટડીમાં રહ્યે રહ્યે પણ કેદી પહાડો તથા બહારનું જીવન બહુ સુંદર રીતે જોઈ શકતો. અહીં રાખવામાં આવતા યુરોપિયન કેદીઓ તથા બીજાઓને પણ જેલના દરવાજા આગળ સવારસાંજ આંટા મારવાની રજા હતી.

ઊંચી દીવાલોની પાછળ બહુ લાંબા વખત સુધી જે કેદી પુરાઈ રહ્યો હોય તેને જ આ બહાર આંટા મારવાનું તથા ખુલ્લા દેખાવોનું અસાધારણ માનસિક મૂલ્ય સમજાય. મને આમ બહાર ફરવાનું બહુ જ ગમતું, અને ચોમાસામાં દિવસો સુધી ધોધમાર વરસાદ પડતો હોય અને ઘૂંટણપૂર પાણીમાં ફરવાનું હોય ત્યારે પણ હું બહાર ફરવાનું જતું કરતો નહીં. કોઈ પણ જગ્યાએ હોઉં ત્યાં બહાર નીકળવાનું મને ગમે જ, પણ અહીં તો ઉત્તુંગ હિમાલયનાં દર્શન એ એક વધારાનો આનંદ હતો અને તેને લીધે મારો જેલજીવનનો કંટાળો ઘણો ઓછો થતો. લાંબા વખત સુધી મેં મુલાકાત ન લીધી અને લાંબા વખત સુધી મારે તદ્દન એકલા રહેવાનું થયું ત્યારે આ જ એક મારું સદ્ભાગ્ય હતું કે આ મારા માનીતા ગિરિરાજને હું નિહાળી શકતો. મારી કોટડીમાંથી હું એ પર્વતોને જોઈ શકતો નહીં. પરંતુ મારું મન તેમનાથી ભરેલું રહેતું, અને તેમના સાંનિધ્યનું મને હંમેશાં ભાન રહેતું અને જાણે અમારી વચ્ચે ગૂઢ મૈત્રી વધતી જતી.

પંખી ટોળું ઊડી ગયું ઊંચે દૂર આકાશમાં રે;


ને ઊડી ગઈ રડીખડી હતી વાદળી એકલી જે;


સાથી મારો ગિરિ થઈ રહ્યો એક ઉત્તુંગ દૂર,


હું થાકું ના ગિરિથી કદીયે, કે ગિરિ હું થકી ના.

મને ભય છે કે, ચીનના આ પ્રાચીન કવિ લી તાઈ પોની માફક હું ન કહી શકું કે હું પર્વતથી કદી થાકતો નહોતો, પરંતુ એવો કંટાળો ક્વચિત જ આવતો. એકંદરે તો તેના સાંનિધ્યથી મને વિરલ એવો આરામ જ મળતો. તેની ઘનતા અને તેની અક્ષુબ્ધતા લાખો વર્ષોના જ્ઞાનવાળી દૃષ્ટિથી નીચે ઊભેલા મને જોતી અને મારી પલટાતી જતી મનોવૃત્તિઓનો ઉપહાસ કરતી તથા મારા તપ્ત ચિત્તને શાંતિ આપતી.

દહેરાદૂનમાં વસંત બહુ આહ્લાદક હોય છે, અને મેદાનો કરતાં બહુ લાંબો વખત તે રહે છે. પાનખરે લગભગ બધાં જ ઝાડનાં પાંદડાં ખેરવી નાંખ્યાં હતાં, અને તે બધાં ખુલ્લાં અને નગ્ન દેખાતાં હતાં. જેલના દરવાજા સામે ઊભેલાં ચાર ભવ્ય પીપળાનાં ઝાડ પણ લગભગ પોતાનાં બધાં જ પાંદડાં ગુમાવી બેઠાં તે જોઈ મને બહુ અજાયબી થઈ. બિચારા પીપળા ચીમળાઈ ગયેલા અને ગમગીન દીસતા હતા, પણ વસંત આવતાં હવાએ તેમનામાં ઉત્સાહ પ્રેર્યો અને તેમના અન્તરતમ કોષને જીવનનો સંદેશ આપ્યો. પીપળામાં તેમ જ બીજાં ઝાડમાં એકાએક પ્રાણનો સંચાર થયો, અને પડદાની પાછળ છૂપી ક્રિયાઓ ચાલી રહી હોય તેમ તેમની આસપાસ કાંઈક ગૂઢતાનું વાતાવરણ છવાયું. દરેક ઝાડ ઉપર લીલી નાની નાની કૂંપળોને ફૂટતી જતી જોઈ હું ચકિત થઈ ગયો. એ બહુ હર્ષપ્રદ અને પ્રસન્ન દૃશ્ય હતું. જોતજોતામાં તો લાખો નવાં પાંદડાં આવી ગયાં અને સૂર્યના પ્રકાશમાં તે ચળકવા લાગ્યાં. અને હવાની લહેરી આવતાં તેમાં ખેલવા લાગ્યાં. કૂંપળમાંથી પાંદડાંમાં એકાએક થતું રૂપાન્તર કેવું અજબ છે! પહેલાં કદી મારા ધ્યાન પર નહીં આવેલું કે આંબાનાં તાજાં પાંદડાં લાલાશપડતા તપખીરિયા રંગનાં હોય છે — કાશ્મીરની ટેકરીઓમાં શરદઋતુમાં જે રંગ દેખાય છે તેવાં, પરંતુ તેમનો રંગ જલદી બદલાઈને લીલો થઈ જાય છે.

ચોમાસાનો વરસાદ તો હંમેશાં આવકાર લાયક લાગતો. કારણ, ઉનાળાની ગરમી તે આવતાંવેંત ખતમ થાય છે. પણ સારી વસ્તુ પણ વધારે પડતી હોય તો અકારી થાય છે તેમ દહેરાદૂનમાં થતું. ત્યાં તો મેઘરાજા ધરાઈ ધરાઈને પડે છે. ચોમાસું શરૂ થાય ને પાંચછ અઠવાડિયાંમાં તો ૫૦થી ૬૦ ઇંચ જેટલો વરસાદ પડી જાય. છાપરામાંથી પાણી ચૂતું હોય અથવા બારીમાંથી વાછંટ આવતી હોય તે નિવારવા ફાંફાં મારતાં એક સાંકડી જગ્યામાં ભરાઈ રહેવું પડે એ તે કોને ગમે?

શરદ પણ આહ્લાદક હતી અને શિયાળો પણ. પણ શિયાળામાં વરસાદ આવે ત્યારે ન ગમે. ગાજવીજ થતી હોય, વરસાદ પડતો હોય અને ઠંડો પવન શરીરમાં સોંસરો પેસી જતો હોય ત્યારે કાંઈક સારા રહેઠાણની તથા કાંઈક ગરમી અને સગવડની ઇચ્છા થઈ આવતી. ઘણી વાર કરા પડતા. લખોટીઓ કરતાં મોટા કરા પતરાંના છાપરા ઉપર ભયંકર અવાજ કરતા પડતા હોય ત્યારે દારૂગોળો ફૂટતો હોય એવું લાગતું.

મને એક દિવસનું ખાસ સ્મરણ છે. ૧૯૩૨ની ૨૪મી ડિસેમ્બરનો એ દિવસ હતો. ગાજવીજનું તોફાન હતું. વરસાદ આખો દિવસ પડ્યો હતો અને કડકડતી ઠંડી હતી. જેલમાંના મારા બધા દિવસોમાં શરીરની દૃષ્ટિએ એ દિવસ મારો સૌથી ખરાબ નીવડેલો. પણ સાંજે એકાએક આકાશ સ્વચ્છ થઈ ગયું અને મારી પડોશના બધા પહાડો અને ટેકરીઓને બરફના ગાઢ આચ્છાદનથી છવાયેલા જોઈ મારું બધું દુ:ખ ભાગી ગયું. બીજો દિવસ એટલે નાતાલનો દિવસ, એ તો સ્વચ્છ અને સુંદર હતો; હિમાચ્છાદિત ગિરિમાળાનું સુંદર દૃશ્ય નીકળ્યું હતું.

જેલે અમારી રોજની સ્વાભાવિક પ્રવૃત્તિઓ કરતા અમને અટકાવ્યા એટલે કુદરતનું અમે વધુ નિરીક્ષણ કરતા થયા. અમારા જોવામાં આવતાં જુદી જુદી જાતનાં પશુઓ તથા જીવજંતુઓનું પણ અમે નિરીક્ષણ કરવા લાગ્યા. મારું નિરીક્ષણ જેમ વધતું ગયું તેમ તેમ મારી કોટડીમાં અથવા તેની આગળના નાના વાડામાં રહેતાં જાતજાતનાં જંતુઓ મને નજરે પડવા લાગ્યાં. મને સમજાયું કે હું જો કે એકાંતની ફરિયાદ કરતો હતો છતાં એ નાનો વાડો જે ખાલી અને સૂનો લાગતો હતો તે તો જીવસૃષ્ટિથી ઊભરાઈ રહ્યો હતો. આ બધાં પેટે ચાલતાં, પગે ચાલતાં કે ઊડતાં જંતુઓ કોઈ પણ રીતે મારી આડે આવ્યા વિના પોતપોતાનાં જીવન ગુજારતાં હતાં. મારે પણ તેમની આડે આવવાનું કશું કારણ નહોતું. પરંતુ માંકડ, મચ્છર તથા કાંઈક અંશે માખીઓ સાથે તો મારે સતત યુદ્ધ ચાલતું. ભમરા તથા ભમરીઓની તો હું દરકાર કરતો નહીં. મારી કોટડીમાં એ સેંકડો હતાં. એક વખત એક ભમરીએ, હું ધારું છું અજાણતાં, મને ડંખ માર્યો, ત્યારે અમારી વચ્ચે એક નાનો ઝઘડો થયેલો. ક્રોધે ભરાઈને મેં એ તમામને નાબૂદ કરી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ તેમણે તો પોતાનાં ઘરોના બચાવમાં, (કદાચ તેમાં તેમનાં ઈંડાં હશે.) બહાદુરીથી લડત ચલાવી અને હું પાછો પડ્યો. મેં નક્કી કર્યું કે જો ફરી તેઓ મને દખલ ન કરે તો ભલે શાંતિથી રહે. ત્યાર પછી તો આ ભમરાઓ તથા ભમરીઓથી વીંટળાયેલો એ કોટડીમાં હું એક વરસ રહ્યો. પણ તેમણે મારી ઉપર કદી હુમલો ન કર્યો, અને અમે પરસ્પર આદર કેળવ્યો.

ચામાચીડિયાં મને બિલકુલ ગમતાં નહોતાં પણ મારે તેમને વેઠી લેવાં પડ્યાં. સાંજે અંધારું થતાં અવાજ કર્યા વિના ઊડવા માંડે. અંધકારથી છવાતા આકાશમાં તેઓ ઝાંખાં દેખાય. એ ભમરાળાં પ્રાણીઓને જોતાં મને ભારે ત્રાસ થતો. મોઢા પાસેથી એક જ ઇંચ છેટે રહી પસાર થઈ જાય. મને હંમેશાં ડર રહ્યાં કરે કે રખેને હું તેમની અડફેટમાં આવી જાઉં. મોટાં ચામચીડિયાં અથવા વનવાગોળો હવામાં ઊંચે ઊડતાં.

કીડીઓ, ઊધઈ તથા બીજાં જંતુઓની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ તો હું કલાકો સુધી કરતો. તે જ પ્રમાણે રાતે ફરતી ગરોળીઓને શિકાર પકડતી જોવાની તથા એકબીજાની પાછળ પડતી અને આપણને બહુ હસવું આવે એવી રીતે પોતાની પૂંછડી હલાવતી જોવાની મજા આવતી. સાધારણ રીતે તેઓ ભમરીને પકડતી નહીં પણ બે વાર અતિશય કાળજીથી તેનો પણ શિકાર કરતાં અને બરાબર આગળથી પકડતાં મેં જોઈ. ભમરીના ડંખથી તે બચી ગઈ તે બુદ્ધિપૂર્વક હતું કે અકસ્માત હતું તે હું જાણતો નથી.

ત્યાં ખિસકોલીઓ પણ હતી — પાસે ઝાડ હોય ત્યાં તો ટોળેટોળાં. તેઓ ઘણી ધૃષ્ટ થઈને અમારી છેક નજીક આવતી. લખનૌ જેલમાં બહુ વાર સુધી બિલકુલ હાલ્યાચાલ્યા વિના હું વાંચતો બેસતો. ખિસકોલી મારા પગ ઉપર ચડતી અને મારા ઘૂંટણ ઉપર બેસીને આમતેમ જોતી. પણ તે મારી આંખ સામે તાકતી ત્યારે તેને ભાન થતું કે હું કોઈ ઝાડ અથવા તો તેણે બીજું જે કાંઈ ધાર્યું હોય તે નહોતો. ક્ષણભર ભયથી તે ગભરાઈ જતી અને પછી ભાગતી. ખિસકોલીનાં બચ્ચાં કોઈ વાર ઝાડ ઉપરથી પડી જતાં. તેમની પાછળ મા આવે. બચ્ચાંને વાળી નાનો દડો બનાવે અને તેને સહીસલામત ઉપાડી જાય. કોઈ વાર બચ્ચું ભૂલું પડી જતું. આવાં ભૂલાં પડેલાં ત્રણ બચ્ચાંને મારા એક સાથીએ સંભાળ્યાં હતાં. તે એટલાં નાનાં હતાં કે તેમને ખવડાવવું શી રીતે એ સવાલ થઈ પડ્યો. તેનો ઉકેલ કાઢવા અમે એક યુક્તિ રચી. પેનમાં શાહી પૂરવાની નળી આગળ થોડુંક રૂ લગાડ્યું એટલે તે એક દૂધ પાવાની સુંદર શીશી બની ગઈ.

અલ્મોડાની પહાડી જેલ સિવાય બીજી જે જે જેલોમાં હું ગયો ત્યાં કબૂતર ખૂબ હતાં. હજારો કબૂતર. એટલે સાંજે તો આકાશ તેમનાથી છવાઈ જાય. કેટલીક વાર જેલના અમલદારો તેમનો શિકાર કરી તે આરોગતા.

મેનાઓ તો દરેક સ્થળે જોવામાં આવતી. દહેરાદૂનમાં મારી કોટડીના બારણા ઉપર તેમનાં એક જોડાંએ માળો બાંધેલો, અને હું તેમને ખવડાવતો. બંને બહુ હળી ગયાં હતાં અને સવારના કે સાંજના ખાણામાં જરા પણ વિલંબ થાય તો મારી છેક નજીક બેસીને મોટેથી ખાવાનું માગતાં. તેમના સંકેતો જોવાની અને તેમની અધીરી બૂમો સાંભળવાની મજા પડતી.

નૈનીમાં હજારો પોપટ હતા. મારી બરાકની ભીંતની બખોલોમાં ઘણા રહેતા. તેમના સંવનનનું અને પ્રેમારાધનનું દૃશ્ય અતિશય ચિત્તાકર્ષક હોય છે. કોઈ વાર એક માદા પોપટ માટે બે નર પોપટ વચ્ચે ઝનૂની લડાઈ થાય, પેલી માદા પોપટ લડાઈના પરિણામની શાંતિથી રાહ જુએ, અને વિજયી વીરને પોતાના પ્રેમથી સત્કારવા તત્પર રહે.

દહેરાદૂનમાં અનેક જાતનાં પક્ષીઓ હતાં. તેમનાં ગાયન અને કૂજનનું તાલ અને મેળ વિનાનું છતાં મધુર વૃંદસંગીત ચાલતું. તે બધામાંથી કોયલના દર્દભર્યા ટહુકા અલગ તરી આવતા. ચોમાસામાં તથા તેના થોડા વખત જ આગમચ દેવતરસ્યો અથવા પપૈયો આવી ચડતો. તેનું આવું નામ કેમ પડ્યું હશે તે મને ત્યાં સમજાયું. દિવસે અને રાતે, તડકામાં અને ધોધમાર વરસાદમાં એ ‘દેવ-તરસ્યો,’ અથવા ‘પીઉ, પીઉ’ક લગાતાર પોકાર્યા જ કરતો. આમાંનાં ઘણાંખરાં પક્ષીઓને અમે જોઈ શકતા નહીં, અમે તેમનો અવાજ જ સાંભળી શકતા. અમારા નાના વાડામાં એક્કે ઝાડ નહોતું જેના ઉપર આવીને પક્ષીઓ બેસે. પરંતુ આકાશમાં ઊંચે છટાથી ઊડતાં, કેટલીક વાર નીચે ઝડપ મારીને આવતાં તથા વળી પાછાં હવાના સપાટા સાથે ઊંચે ચડી જતાં સમડીઓ અને ગરુડો હું નિહાળતો. કેટલીક વાર જંગલી બતકોનાં ટોળેટોળાં અમારા માથા ઉપર થઈને ઊડી જતાં.

બરેલી જેલમાં વાંદરાની મોટી વસાહત હતી. તેમનાં દાંતિયાં અને ચાળા જોવાની હંમેશાં મજા પડતી. એક પ્રસંગની છાપ મારી ઉપર ખાસ રહી ગઈ છે. એક વાંદરાનું બચ્ચું અમારી બરાકના કમ્પાઉન્ડમાં આવી ચડ્યું. તે દીવાલ ઉપર પાછું ચડી શકતું નહોતું. સરકારી મુકાદમ તથા કેદી મુકાદમો અને કેદીઓએ તેને પકડ્યું અને તેને ગળે દોરી બાંધી દીધી. દીવાલ ઉપર ઊંચે બેઠેલાં તેનાં માબાપે — માબાપ જ હશે તો — આ જોયું અને તેમને ગુસ્સો ચડ્યો, એકાએક તેમાંથી એક મોટો ઘરડિયો ઘડચ કૂદી પડ્યો અને પેલાં બચ્ચાંને વીંટળાઈ વળેલાં ટોળામાં ધસી ગયો. આ કામ અસાધારણ બહાદુરીનું હતું. કારણ, સરકારી મુકાદમ તથા કેદી મુકાદમો પાસે લાકડીઓ અને લાઠીઓ હતી, અને તેઓ તે આમતેમ વીંઝતા હતા, અને વળી તેમની સંખ્યા ઘણી મોટી હતી. પરંતુ તેની આ બેપરવા હિંમતનો વિજય થયો. નરોનું ટોળું, પોતાની લાકડીઓ અને લાઠીઓ છતાં, વાનરથી બીને ભાગ્યું! નાના બચ્ચાનો છુટકારો થયો.

એવાં પ્રાણીઓ પણ અમારી મુલાકાત લેતાં, જેમનો સત્કાર કરવા અમે તૈયાર નહોતા. અમારી કોટડીઓમાં વીંછી ઘણી વાર નીકળતા. ખાસ કરીને ગાજવીજના તોફાન પછી વીંછીના ડંખમાંથી હું બચી ગયો તે આશ્ચર્ય જ કહેવાય. કારણ, ન ધારેલી જગ્યાઓએથી, કોઈ વાર પથારીમાંથી, તો કોઈ વાર હાથમાં લીધેલી ચોપડી ઉપરથી ઘણી વાર વીંછી નીકળ્યા હતા. એક ખાસ કાળો અને ઝેરી દેખાતો વીંછી પકડીને મેં થોડાક દિવસ એક શીશીમાં ભરી રાખ્યો હતો, અને તેને હું માખીઓ વગેરે ખવડાવતો. પછી એક દોરીથી બાંધીને મેં તેને ભીંતે ટીંગાડી રાખ્યો પણ ત્યાંથી એ નાસી છૂટ્યો. છૂટી સ્થિતિમાં ફરી પાછો મને એ મળી આવે એવી મારી ઇચ્છા નહોતી એટલે આખી કોટડી મેં સાફ કરી અને તેની બધે શોધ ચલાવી પણ ભાઈસાહેબ અદૃશ્ય થઈ ગયા હતા.

મારી કોટડીમાં અથવા તેની નજીક ત્રણચાર વખત સાપોએ પણ દર્શન દીધેલાં. એક વખત એ સર્પના ખબર બહાર પહોંચ્યા અને છાપામાં મોટા અક્ષરવાળાં મથાળાં છપાયાં. વસ્તુત: મને તો એનું દર્શન મનોરંજક થઈ પડેલું. જેલજીવન મૂળ તો નીરસ હોય છે, એટલે તેના એકધારા જીવનમાં જે કોઈ કારણથી ફેર પડે તે ગમે છે. તેનો અર્થ એ નથી કે મને સર્પનો શોખ છે અથવા તેમને હું સત્કારવા તૈયાર છું. પરંતુ કેટલાક લોકો તેમને જોઈ જેટલા ડરી જાય છે તેટલો હું ડરી જતો નથી. સર્પ કરડવાનો તો મને જરૂર ડર છે, અને હું સર્પને જોઉં તો મારું રક્ષણ કરવાની સંભાળ જરૂર રાખું. પરંતુ તેને જોતાં કમકમાટી છૂટે કે ગાત્રેગાત્ર ઢીલાં થઈ જાય એવું મને નથી થતું. કાનખજૂરાથી હું વધારે ત્રાસ પામું છું. તેમાં પણ ભય કરતાં તેના પ્રત્યેનો સહજ અણગમો એ કારણ વધારે છે. કલકત્તામાં અલિપુર જેલમાં એક વાર હું મધરાતે જાગી ઊઠ્યો અને મારા પગ ઉપર કંઈક સળવળતું મને લાગ્યું. મારી પાસે ‘ટૉર્ચ’ (ખીસાબત્તી) હતી તે મેં સળગાવી તો મારી પથારીમાં કાનખજૂરો હતો. સહસા જ અજબ ઉતાવળથી હું પથારીમાંથી બહાર કૂદી પડ્યો અને કોટડીની દીવાલ સાથે અથડાતો રહી ગયો. પાવલોવનો માનસિક પ્રતિક્રિયાનો સિદ્ધાંત તે વખતે હું પૂરેપૂરો સમજ્યો.

દહેરાદૂનમાં મેં એક નવું જ પ્રાણી જોયું. અથવા તો એ પ્રાણી મારે માટે નવું હતું. જેલરની સાથે વાતો કરતો જેલના દરવાજા આગળ હું ઊભો હતો, તેટલામાં એક માણસ કોઈ વિચિત્ર પ્રાણીને લઈને જતો અમારા જોવામાં આવ્યો. જેલરે એને બોલાવ્યો. ગરોળી અને મગરના કાંઈક વચલા બાંધાનું એ પ્રાણી હતું. બે ફૂટ લાંબી એ ઘો હતી, તેને મોટા નહોર હતા અને તેની પીઠ ભીંગડાંભીંગડાંવાળી જાડી હતી. આ કઢંગું પ્રાણી જીવતું હતું છતાં તેને કંઈક વિચિત્ર રીતે બેવડું કરી ગાંઠની જેમ વાળી નાખ્યું હતું અને એ ગાંઠના વચલા ભાગમાં લાકડી ભેરવી પેલો માણસ તેને ઉપાડીને મોજથી ચાલ્યો જતો હતો. તેણે એનું નામ ‘બો’ કહ્યું. તેનું શું કરીશ એમ જેલરે પેલાને પૂછ્યું ત્યારે ખડખડાટ હસીને તેણે જવાબ આપ્યો ‘એની બનાવશું ભજ્જી અથવા સાલન’. એ વનવાસી હતો. પાછળથી એફ. ડબ્લ્યુ. ચૅમ્પિયનની ‘જંગલ, ધૂપમાં અને છાયામાં’ (ધી જંગલ ઇન સનલાઇટ ઍન્ડ શૅડો) એ નામની ચોપડીમાંથી મેં શોધી કાઢ્યું કે આ પ્રાણી ‘પૅન્ગોલિન’ હતું.

કેદીઓમાં, ખાસ કરીને લાંબી સજાવાળા કેદીઓમાં, લાગણીની અથવા પ્રેમની ભૂખ અણસંતોષાયેલી બહુ રહે છે. તેઓ આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન જાનવરો પાળીને કરે છે. સામાન્ય કેદી તો જાનવર ન રાખી શકે, પરંતુ કેદી મુકાદમોને વધારે સ્વાતંત્ર્ય હોય છે અને જેલ અમલદારો આ બાબતમાં વાંધો ઉઠાવતા નથી. પાળવામાં આવતાં જાનવરોમાં મોટે ભાગે ખિસકોલીઓ અને, વિચિત્ર લાગે છે પણ, નોળિયા હોય છે. કૂતરાને જેલમાં આવવા દેતા નથી, પણ બિલાડીઓને ઉત્તેજન મળતું હોય એમ લાગે છે. બિલાડીનું એક નાનું બચ્ચું એક વાર મારી સાથે હળી ગયું હતું. જેલના એક અમલદારનું એ હતું અને તેની બદલી થઈ ત્યારે એને પોતાની સાથે એ લઈ ગયો. મને એનો વિયોગ સાલ્યો. કૂતરાની પરવાનગી નથી, છતાં દહેરાદૂનમાં અકસ્માત થોડાંક કૂતરાં સાથે મારે દોસ્તી થઈ ગઈ હતી. જેલનો અમલદાર એક કૂતરી લાવેલો. તેની બદલી થઈ ત્યારે તેને એ છોડી ગયો. ગરીબ બિચારી કૂતરી ઘરબાર વિનાની ભટકતી થઈ ગઈ. ગમે ત્યાં પડી રહે, વૉર્ડરોને ત્યાંથી કટકો બટકું મળે તે વીણી ખાય, પરંતુ મોટે ભાગે ભૂખે મરે. હું મુખ્ય જેલની બહાર કાચી જેલની ખોલીઓમાં રહેતો એટલે તે મારી પાસે ખોરાકની ભીખ માગતી આવતી. મેં તેને નિયમિત ખવડાવવા માંડ્યું. પછી તો પાણી જવાના એક ગરનાળા નીચે તેણે કુરકુરિયાંને જન્મ આપ્યો. આમાંથી ઘણાં તો બીજાઓ લઈ ગયા પણ ત્રણ રહી ગયાં અને તેમને હું ખવડાવતો. એક કુરકુરિયું ખૂબ માંદું પડ્યું અને તેણે મને ઠીક તકલીફ આપી. મેં તેની કાળજીથી સારવાર કરવા માંડી અને કોઈ કોઈ વાર તો રાતે મારે તેને જોવા દસબાર વખત ઊઠવું પડતું. છેવટે તે બચ્ચું અને મારી મહેનત કારગત આવ્યાનો મને આનંદ થયો.

બહાર કરતાં જેલમાં હું જાનવરોની સાથે વધુ સંબંધમાં આવ્યો. મને કૂતરાંનો શોખ છે અને મેં કૂતરાં પાળેલાં પણ છે પણ બીજાં કામની આડે હું તેમની જોઈએ તેવી સંભાળ રાખી શક્યો નથી. જેલમાં તેમણે મને સાથ આપ્યો તે માટે હું તેમનો ઋણી છું. સાધારણ રીતે હિંદીઓને ઘરમાં જાનવર રાખવાં ગમતાં નથી. પ્રાણીઓ પ્રતિ અહિંસાની તેમની ફિલસૂફી હોવા છતાં તેમના પ્રત્યે તેઓ તદ્દન બેદરકાર અને માયા વિનાના હોય છે એ નોંધવા જેવું છે. ગાય તો એમનું માનીતું જાનવર ગણાય. ઘણા હિંદુઓ તેના પ્રત્યે બહુ આદર રાખે છે અને તેની પૂજા પણ કરે છે. ઘણી વાર એ હુલ્લડનું કારણ પણ બની છે. છતાં હિંદુઓ ગાયને સારી રીતે રાખતા નથી. પૂજા અને દયા હંમેશાં કાંઈ સાથે જોવામાં આવતાં નથી.

જુદા જુદા દેશોએ પોતાની મહત્ત્વાકાંક્ષા અથવા ચારિત્ર્યના પ્રતીક તરીકે જુદાં જુદાં પ્રાણીઓ પસંદ કર્યાં છે. અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ તથા જર્મનીએ ગરુડ પસંદ કર્યું છે. ઇંગ્લંડે સિંહ તથા ડાઘિયો કૂતરો (બુલડૉગ) પસંદ કર્યા છે, ફ્રાન્સે લડાયક કૂકડો પસંદ કર્યો છે અને જૂના રશિયાએ રીંછ પસંદ કર્યું હતું. આવાં રાષ્ટ્રમાન્ય પશુઓ રાષ્ટ્રના ચારિત્ર્યના ઘડતરમાં કેટલો ફાળો આપે છે! તેમાંનાં ઘણાં તો આક્રમણકારી, લડાયક અને શિકારી પ્રાણીઓ છે. પોતાની નજર સામે આવાં દૃષ્ટાન્તો રાખીને જે પ્રજા ઊછરે તેનું ઘડતર જ્ઞાનપૂર્વક એ જાનવરોના સ્વભાવને અનુસરતું થાય અને આક્રમણકારી વૃત્તિઓ ધારણ કરે, તથા મોટી મોટી ગર્જનાઓ કરે અને બીજાઓનો શિકાર કરે એમાં કશી નવાઈ નથી. હિંદુ લોકોનું આરાધ્ય પશુ ગાય છે એટલે તેઓ નરમ અને અહિંસક થાય એમાં પણ નવાઈ નથી.

[‘મારી જીવનકથા : જવાહરલાલ નેહરુ’માંથી]

પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 154-161

Loading

...102030...2,7612,7622,7632,764...2,7702,7802,790...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved