Opinion Magazine
Number of visits: 9577301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘એક રાષ્ટૃ, એક ચૂંટણી’ના લાભાલાભ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|3 July 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમના બીજા કાર્યકાળના આરંભે જ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના મુદ્દે સર્વપક્ષીય બેઠક યોજી તેના પરથી આ મુદ્દે તેમની પ્રાથમિકતા અને ગંભીરતા જણાઈ આવી છે. વડાપ્રધાને ‘વન નેશન, વન ઈલેક્શન’ને સરકારનો નહીં પણ દેશનો એજન્ડા ગણાવ્યો છે પરંતુ સર્વપક્ષીય બેઠકમાં સમૂળગા વિપક્ષની ગેરહાજરી દર્શાવે છે કે વિપક્ષનું આ અંગેનું વલણ વિરોધ અને અસ્વીકારનું છે. લોકસભાની સાથે જ રાજ્યોની વિધાનસભાની પણ ચૂંટણીઓ યોજાવી જોઈએ તેવા વિચાર બાબતે દેશમાં મતમતાંતર પ્રવર્તે છે. તેને અંગે દેશ માટે બહુ જ જરૂરી, આકર્ષક અને ઈચ્છનીય, ધનબળ અને જનબળની બચત કરનાર, ભારે બંધારણીય ઉથલપાથલ કરનાર, અશક્ય, અવ્યવહારુ, બકવાસ, બોગસ અને દીવાસ્વપ્ન જેવા સામસામા છેડાના મત પ્રગટ થયા છે. વિપક્ષો આ વિચાર પાછળ દેશમાં સર્વત્ર ભા.જ.પ.નું પ્રભુત્વ ઊભું કરવાનો ઉદ્દેશ હોવાનું ગણાવી તે પ્રાદેશિક પક્ષોને નામશેષ કરી નાંખશે તેવો ભય પણ વ્યક્ત કરે છે.

‘વન નેશન, વન ઈલેક્શન’નો મુદ્દો લાંબા સમયથી દેશમાં ચર્ચાઈ રહ્યો છે. તે કંઈ સાવ અચાનક અને કોઈની સત્તા લાલસામાંથી જન્મેલો છે એવું પણ નથી. તેના બંધારણીય, કાનૂની અને રાજકીય પાસાં પણ ચર્ચાયા છે. છેક ૧૯૮૩માં ચૂંટણી પંચે સરકારને ચૂંટણી સુધારાઓની ભલામણ કરતાં દેશમાં બધી જ ચૂંટણીઓ એક સાથે યોજવા સૂચન કર્યું હતું. વાજપેયી સરકારે રચેલા બંધારણીય સમીક્ષા પંચે ૨૦૦૨માં તેની તરફેણ કરી હતી. બી.જે.પી.એ તેના ૨૦૧૪ના ચૂંટણી ઢંઢેરામાં ‘વન નેશન વન ઈલેક્શન’નું વચન આપ્યું હતું. કાયદાપંચ અને નીતિઆયોગ પણ આ વિચારના સમર્થનમાં છે. લો કમિશને હાલમાં જ એક વિસ્તૃત વર્કિંગ ડોક્યુમેન્ટ આ મુદ્દે રજૂ કર્યો છે.

દેશના આરંભના લગભગ બે દાયકાની, ૧૯૫૨થી ૧૯૬૭ની, ચાર ચૂંટણીઓ એક સાથે જ યોજાઈ હતી. તે સમયે દેશમાં બધે જ કૉન્ગ્રેસની આણ પ્રવર્તતી હતી. ૧૯૬૭ની ચૂંટણીઓમાં કૉન્ગ્રેસની એક પક્ષ પ્રભાવ પ્રથા તૂટી હતી. કેટલાંક રાજ્યોમાં વિપક્ષોના બનેલા સંયુક્ત વિધાયક દળની સરકારો રચાઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, પંજાબ, કેરળ, ઓરિસ્સા અને મદ્રાસ રાજ્યમાં જે સંવિધ સરકારો બની હતી તેમાંની કેટલીકમાં જનસંઘ અને સામ્યવાદી પક્ષો પણ સામેલ હતા, પરંતુ આ સરકારો બહુ લાંબું ન ટકી કે ઇંદિરા ગાંધીએ ન ટકવા દીધી. એટલે રાજ્યોમાં મધ્યસત્ર ચૂંટણીઓ આવી. તેના કારણે એક સાથે ચૂંટણીઓ યોજાતી બંધ થઈ. આવી રાજકીય અસ્થિરતા ન માત્ર રાજ્યોમાં, કેન્દ્રમાં પણ જોવા મળી. ૧૯૭૧ અને ૧૯૮૪માં કૉન્ગ્રેસે વહેલી ચૂંટણી યોજી હતી. ૧૯૮૦, ૧૯૯૧, ૧૯૯૮ અને ૧૯૯૯માં પણ લોકસભાએ તેની પાંચ વરસની નિર્ધારિત મુદ્દત પૂરી કરી નહોતી તેથી પણ વહેલી અને અલગ અલગ ચૂંટણીઓ થઈ હતી.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના વિચારના સમર્થનમાં જે મજબૂત દલીલ છે તે સમય, શક્તિ અને નાણાંની બચતની છે. હાલમાં વારંવાર ચૂંટણીઓ યોજાતી હોવાથી દેશમાં જાણે કે બારેમાસ ચૂંટણીનો જ માહોલ હોય છે. વળી આચારસંહિતાને કારણે વિકાસકામો ઠપ થઈ જાય છે. ૨૦૧૬-૧૭ના વરસમાં મહારાષ્ટ્રમાં ૩૬૫માંથી ૩૦૭ દિવસ રાજ્યના જુદાજુદા ભાગોમાં આચારસંહિતા અમલમાં હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ત્રણ મહિના પહેલાં પાંચ રાજ્યોમાં અને લોકસભા ચૂંટણી સાથે બીજાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી હતી. હવે આ વરસના અંતે હરિયાણા અને મહારાષ્ટ્ર, ૨૦૨૦માં બિહાર, દિલ્હી અને ઝારખંડ અને ૨૦૨૧માં કેરળ, તમિલનાડુ, બંગાળ, અસમ, પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીઓ થશે. એકલી રાજ્યોની ચૂંટણીઓમાં સરકારને ૪,૫૦૦ કરોડનો ખર્ચ થાય છે. જો સાથે ચૂંટણીઓ થાય તો તે ખર્ચ નિવારી શકાય. બંને ચૂંટણી માટે એક જ મતદારયાદી બની શકે અને વહીવટીતંત્ર તથા પોલીસતંત્રનો પણ એક સાથે ઉપયોગ કરવાનો થાય.

વિરોધપક્ષો ‘વન નેશન, વન ઈલેક્શન’ના વિચારને રાષ્ટ્રવાદ વિરુદ્ધ પ્રાદેશિક અસ્મિતાની રીતે જુએ છે. કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકારની ચૂંટણી માટેના મુદ્દા અલગ હોય છે અને જો બંને ચૂંટણીઓ સાથે થાય તો રાજ્યોના સ્થાનિક મુદ્દા દબાઈ જાય, મોટા રાજકીય પક્ષો હાવી થાય અને ભવિષ્યમાં દેશ પ્રમુખશાહી કે એકપક્ષી સરકાર તરફ જઈ શકે તેવી દહેશત પણ વ્યક્ત થાય છે. ૧૯૯૯થી ૨૦૧૪ સુધીની ૬ રાજ્યોની ૧૬ ચૂંટણીઓની ૨,૬૦૦ વિધાનસભા બેઠકોનો એક અભ્યાસ દર્શાવે છે કે ૭૭% મતદારોએ એક જ પક્ષને મત આપ્યા હતા. આ હકીકત પણ વિપક્ષની દહેશત સાચી ઠેરવે છે. લોકસભા ચૂંટણીના ત્રણ જ મહિના પૂર્વે બી.જે.પી.એ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની વિધાનસભામાં સત્તા ગુમાવી હતી. પણ લોકસભામાં તેને આ જ રાજ્યોમાં મોટી બહુમતી મળી છે. તેલંગાણામાં ત્રણ મહિના પૂર્વે જે પ્રાદેશિક પક્ષ ભારે બહુમતી મેળવી શક્યો તે લોકસભા ચૂંટણીમાં તેની બેઠકો જાળવી શક્યો નહીં. લોકસભા ચૂંટણીની મોદીલહેર ઓરિસ્સા અને આંધ્રના પ્રાદેશિક પક્ષોએ ખાળી અને સતા મેળવી છે. એટલે રાષ્ટ્રીય અને સ્થાનિક મુદ્દા કેટલા ભાગ ભજવે છે તે સવાલ છે.

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની તરફ્દારી કરતા ભા.જ.પે. લોકસભા ચૂંટણીની સાથે જેની મુદ્દત ટૂંકાવીને લોકસભાની સાથે ચૂંટણી કરાવી શકાય તેમ હતી તે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓ કરાવી નથી. પણ ઓરિસ્સા, તેલંગાણા અને આંધ્રના વિપક્ષી મુખ્યમંત્રીઓ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ના સમર્થનમાં છે. લોકસભાની સાથે જ રાજ્ય વિધાનસભાની ચૂંટણી થઈ શકે તે માટે ૨૦૦૪માં ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિધાનસભાની વહેલી ચૂંટણી યોજી હતી. તેથી ૨૦૦૪, ૨૦૦૯, ૨૦૧૪ અને ૨૦૧૯માં ઓરિસ્સામાં બંને ચૂંટણીઓ સાથે યોજાઈ છે.

આ વિચારના અમલમાં મોટો અવરોધ હાલની બંધારણીય જોગવાઈઓનો છે. ખાસ તો લોકસભા અને રાજ્યોની વિધાનસભાના કાર્યકાળ, અવિશ્વાસની દરખાસ્ત, વ્હીપ વગેરે સંબંધી જે બંધારણીય જોગવાઈઓ છે તેમાં બંધારણીય સુધારા કરવા પડે. વળી ભૌગોલિક, ધાર્મિક, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા આપણા વિશાળ દેશમાં કયો સમય ચૂંટણી માટે, સમગ્ર દેશ માટે આદર્શ ગણાય તે પણ મોટો સવાલ છે. આખા દેશમાં એક જ સરખી ઋતુ કે ધાર્મિક તહેવારો હોતા નથી. તેને કારણે પણ સમગ્ર દેશને અનુકૂળ હોય તેવો ચૂંટણી સમય નક્કી કરવો બહુ મુશ્કેલ બાબત છે.

ફાયદા અને ગેરફાયદામાંથી કોનું પલ્લું નમે છે કે બહુમતી કઈ બાજુ છે તે દ્રષ્ટિથી આ વિચારને મૂલવવાને બદલે સતત વિચારમંથન કરતાં રહીને સર્વસંમતિ સાધવાનો પ્રયત્ન થતો રહે અને દરમિયાનમાં ઓરિસ્સાની જેમ સમર્થક રાજ્યો અને પક્ષો અમલ શરૂ કરે.

e.mail : maheriyachandu@gmail.com

(પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 03 જુલાઈ 2019)

કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય

Loading

ઇન્ટરનેટની આલમમાં સામાજિક નિયમો લાગુ પડે?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|2 July 2019

જૂઠાણાને પ્રતિષ્ઠિત કરવાની સૌથી પ્રચલિત રીત છેઃ સચ્ચાઈને ધૂંધળી કે સંદેહાસ્પદ કરી નાખો. કશું સો ટકા ભરોસાપાત્ર રહેવા ન દો. કોઈના પણ વિશે ગમે તેવી વાત થઈ શકે અને તેને ઝીલનારા પણ મળી રહે, એવો માહોલ પેદા કરો. અમેરિકાના અવકાશયાત્રીઓ ચંદ્ર પર ગયાના આધારભૂત પુરાવા હોય અને તેને લગતી શંકાના તમામ જવાબ અપાઈ ચૂક્યા હોય તો પણ ‘અમેરિકાની અવકાશયાત્રા નકરું તૂત હતું’ એવી કાવતરાકથાઓ ચગળ્યા કરો. પૃથ્વીની ફરતે ઉપગ્રહો પરિક્રમા કરતા હોવા છતાં, ‘પૃથ્વી ગોળ નથી’ એ વિશેનાં ‘સંશોધનો’ મુખ્યત્વે ર્ધાિમક ઉત્સાહથી પ્રેરાઈને કરતા રહો. માણસજાતનાં કરતૂતોથી પૃથ્વીના પર્યાવરણનો કચ્ચરઘાણ નીકળી ગયો છે, એવું માનવાને બદલે ક્લાયમેટ ચેન્જ-ગ્લોબલ વોર્મિન્ગના અસ્તિત્વનો જ ઇનકાર કરો.

આવાં જૂથો દરેક સમયમાં રહેવાનાં. ‘કોન્સ્પિરસી થિયરી’ એટલે કે દરેકે દરેક બાબતને અસ્વસ્થ શંકાથી જોનારા લોકોનો અને તેમની વાતોમાં આનંદ લેનારાનો આખો વર્ગ હોય છે. પહેલાં તેમના માટે વપરાતો અંગ્રેજી શબ્દપ્રયોગ હતોઃ ‘લુનેટિક ફ્રિન્જ’ એટલે કે થોડા આત્યંતિક, પોતાના વિચારને ઝનૂનથી વળગેલા, હિંસક અને બુદ્ધિશાળી લાગતાં છતાં ચોક્કસ પ્રકારની મનોરુગ્ણતા ધરાવતા લોકો. હવે એવા લોકોનો સમુદાય નાનો – નગણ્ય નથી રહ્યો. તે જાહેર ચર્ચાને અને રાજકારણને ખતરનાક વળાંક આપી શકે એટલો મોટો બન્યો છે અને એવા સમુદાયમાંથી કોઈ અમેરિકાનો પ્રમુખ પણ બની શકે છે. નવા જમાનામાં આ વર્ગનું પાલનપોષણ કરવામાં અને તેમને એકજૂથ કરવામાં સોશિયલ મીડિયાનો ફાળો નોંધપાત્ર છે. આ વર્ગ હાંસિયાને બદલે મુખ્ય ધારામાં આવી ગયો અને તેને રાજ્યાશ્રય મળ્યો, તેના માટે સમાજનું બદલાયેલું સ્વરૂપ જવાબદાર છે? કે આ વર્ગના વધેલા જોરે સમાજનું સ્વરૂપ બદલ્યું છે? આ સવાલ ‘પહેલી મરઘી કે પહેલું ઈંડું?’ એના જેવો છે. પરંતુ બંને એકબીજાને પોષે છે તેમાં બેમત નથી.

સમાજોના અભ્યાસમાં કેટલાક સમાજને ‘હાઇ ટ્રસ્ટ સોસાયટી’, તો કેટલાકને ‘લો ટ્રસ્ટ સોસાયટી’ ગણવામાં આવે છે. હાઇ ટ્રસ્ટ સોસાયટીમાં વિશ્વાસે વહાણ ચાલે છે. બધા નહીં, છતાં મોટા ભાગના માણસો સામાન્ય સંજોગોમાં કાયદાનું પાલન કરે છે, નિયમો પાળે છે, બાંયધરીઓ પર ભરોસો મૂકે છે. અદાલતમાં જવાનું થાય તો ત્યાં ન્યાય મળશે એવો ભરોસો રાખે છે. ટૂંકમાં, આ પ્રકારના સમાજમાં છેક ‘રામરાજ્ય’ નહીં, તો પણ ઘણી હદે ‘ભરોસારાજ્ય’ તો હોય છે. તમે રાજ્યની અને સમાજની ‘સિસ્ટમ’ પર ભરોસો કરી શકો છો અને સામાન્ય સંજોગોમાં દુઃખી થવાનો વારો આવતો નથી. આવા સમાજમાં કોન્સ્પિરસી થિયરીને અમુક હદથી વધારે મહત્ત્વ મળતું નથી.

પરંતુ ‘લો ટ્રસ્ટ સોસાયટી’માં કશું ભરોસાપાત્ર નથી હોતું. શાસક બોલે ત્યારે જ લોકોને ખબર હોય છે કે એ જૂઠું બોલી રહ્યો છે, નાટક કરે છે. છતાં એ શાસક પણ ચાલે છે ને લોકોને તેનાં જૂઠાણાં સામે એટલો વાંધો પણ પડતો નથી, કારણ કે ફ્ક્ત શાસક નહીં, બીજી સંસ્થાઓ અને એ બધાને ચલાવનારા મોટા ભાગના લોકો પણ જૂઠાણાં સાથે ઘરોબો કેળવી ચૂક્યા હોય છે. જૂઠાણાં રાજ્યાશ્રય મેળવીને મુખ્ય ધારાનો હિસ્સો બની જાય છે. પછી (સચ્ચાઈની દૃષ્ટિએ) કશું પવિત્ર રહેતું નથી. આવા સમાજમાં સામાન્ય નિયમનું શીર્ષાસન થઈ જાય છેઃ જૂઠાણાં પર આંખ મીંચીને ભરોસો ન મૂકનારને – તેના પ્રત્યે શંકા સેવનારને સમાજવિરોધી કે લોકવિરોધી કે દેશવિરોધી તરીકે ખપાવી દેવામાં આવે છે. આવા સમાજમાં લોકોને કોઈ સંસ્થા પાસેથી ન્યાયપૂર્ણ – નિયમ મુજબની કાર્યવાહીની અપેક્ષા નથી રહેતી. લોકોએ સ્વીકારી લીધું હોય છે કે એમાં તો આવું જ બધું ચાલશે.

અવિશ્વાસનું અને જૂઠાણાંનું વાતાવરણ લાંબું ટકે તે આપખુદશાહી માટે મોકળું મેદાન કરી આપે છે, કેમ કે ચોતરફ અનિશ્ચિતતાથી ઘેરાયેલા લોકોને શાસકો નહીં, ઉદ્ધારકો ખપે છે. તેમને લાગે છે કે અસાધારણ પરિસ્થિતિમાં અસાધારણ પગલાંથી કામ લેવામાં અને કાયદા – નિયમો નેવે મૂકવામાં કશું ખોટું નથી. ઘણા બધા લોકોની માનસિકતાનું ‘હેકિંગ’ થઈ જાય છે. મૂળભૂત મૂલ્યો પ્રત્યેનો આદર માળિયે ચડી જાય છે ને શાસક પ્રત્યેનો અહોભાવ વિચારપ્રક્રિયા પર પડદો પાડી દે છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાના પ્રોફેસર તુફૈકીએ ‘વાયર્ડ’ વેબસાઇટના એક લેખમાં લખ્યું છે તેમ, ઘાતકી અને આપખુદ શાસક કુબ્લાઈ ખાનના રાજ માટે કહેવાતું હતું કે ત્યાં ‘અડધી રાત્રે નાની છોકરી સોનું પહેરીને નીકળી હોય તો પણ તેને કંઈ ન થાય.’ આવી ‘સલામતી’નાં વખાણ કરતી વખતે એવું અપેક્ષિત હોય છે કે આવી સલામતી જોઈતી હોય તો નાગરિક તરીકેના અધિકાર ભૂલી જવાના, પરંતુ યેલ યુનિવર્સિટીના ઇતિહાસના અધ્યાપક તિમોથી સ્નાઇડરે લખ્યું હતું તેમ, જે શાસક તમને તમારી સ્વતંત્રતાના બદલામાં સુરક્ષા આપવાની વાત કરે, તેની વાત માનતા નહીં, કારણ કે તે સ્વતંત્રતા લઈ લેશે ને સુરક્ષા આપી નહીં શકે. (કેમ કે તેમનું રાજપાટ જ તમે ભયમાં – માનસિક અસુરક્ષામાં – રહો તેના પર ટકેલું હોય છે.)

પ્રોફેસર તુફૈકીએ લખ્યું છે કે સમાજને લાગુ પડતી આ વાત ઇન્ટરનેટની આલમ માટે પણ સાચી છે. ઇન્ટરનેટ પર શું સાચું એ નક્કી કરવું લગભગ અશક્ય થઈ પડયું છે. અમુક વાત ‘ફેક’ છે એવો દાવો પણ વિરોધીઓએ કે હિતશત્રુએ કરાવેલો હોઈ શકે છે. આવી સ્થિતિમાં લોકોનું સ્વાભાવિક વલણ ફેસબુક-એપલ-ગૂગલ-એમેઝોન જેવી તોતિંગ કંપનીઓ પર ભરોસો કરવાનું રહે છે. ઉદ્ધારક હોવાનો દાવો કરતા શાસકોની જેમ, આ મહાકંપનીઓનાં પોતાનાં લક્ષણ સીધાં નથી. તેમના અનેક ગોટાળા બહાર આવતા રહે છે. છતાં, લોકોની માનસિકતા એવી થઈ ગઈ છે કે તે બધા ગોટાળા નજરઅંદાજ કરીને પણ તેને વળગેલા રહે છે. તેમની આપખુદશાહી ચલાવી લે છે અને તેને સ્થિરતાની-વિશ્વસનિયતાની કિંમત ગણી લે છે, પરંતુ આ જાતને છેતરવાનો ધંધો છે.

કોઈ વ્યક્તિ કે કંપની પર આંખ મીંચીને કે તેનાં બધાં કરતૂતો નજરઅંદાજ કરીને ભરોસો મૂકવાથી, એકને બદલે બીજું અનિષ્ટ ફૂલેફાલે છે અને એક તબક્કા પછી તે રાક્ષસી બની જાય છે. આવી સ્થિતિમાં તુફૈકીએ સૂચવેલો ઉપાય વ્યક્તિ કે કંપની નહીં, સંસ્થાઓ મજબૂત કરવાનો છે. એટલે જ, આ પ્રકારના શાસકો સંસ્થાઓનાં નામ રાખીને તેમનાં માળખાં તોડીફેડી નાખે છે.

ઇન્ટરનેટ પણ આખરે સમાજમાં વસતા લોકોથી જ ચાલતું હોય, તો તે સમાજના નિયમોથી શી રીતે બાકાત રહી શકે?

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 જૂન 2019

Loading

સત્ય માનવીય દાવાનો વિષય હોઈ જ ન શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|1 July 2019

સત્યને સમજવાના કે પામવાના ત્રણ અભિગમ દુનિયામાં પ્રવર્તમાન છે. એક અભિગમ એવો છે કે અમારો ધર્મ સંપૂર્ણ છે એટલે સત્યની એમાં જે વ્યાખ્યા કરવામાં આવી છે એમાં મીનમેખ ન હોઈ શકે. ટૂંકમાં, સત્યને સમજવાનો, પામવાનો અને એ રીતે મુક્તિ મેળવવાનો માર્ગ એ જ છે જે અમારા ધર્મમાં કહેવામાં આવ્યો છે.

બીજો અભિગમ એવો છે કે સત્યને સમજવાના અને તેને પામવાના અનેક માર્ગ છે. સત્ય એક છે, તેનાં સ્વરૂપ અને માર્ગો અનેક છે. કોઈ પણ માર્ગ શ્રેષ્ઠ કે કનિષ્ઠ નથી. હિંદુ દાર્શનિક પરંપરા આવો અભિગમ ધરાવે છે.

ત્રીજો અભિગમ એવો છે કે સત્ય એક જ છે, પરંતુ મર્ત્ય માનવી તેને તેની મર્યાદિત દૃષ્ટિથી જુએ છે એટલે દ્રષ્ટાની દૃષ્ટિમર્યાદાથી સત્ય પ્રભાવિત થાય છે. આ સ્થિતિમાં આપણને સમજાયેલું સત્ય શુદ્ધ સત્ય હોઈ એમ માની લેવાની જરૂર નથી. સત્ય તમે જે સ્વરૂપમાં જુઓ છો તેનાથી જુદું પણ હોય શકે છે. આમ મને કે આપણને સમજાયું એ જ સત્ય એવો દુરાગ્રહ રાખવો એ ખોટું છે. આવો દુરાગ્રહ સત્યને રૂંધે છે. હા, મર્ત્ય માનવી જીવન ઊજાળીને પરમ સત્યને પામવાને લાયક બનાવી શકે છે. અહીં છેલ્લું વાક્ય ફરી વાંચો, જીવન ઊજાળીને સત્ય પામવાને લાયક બનાવી શકે છે, પામે જ છે એમ કહેવામાં આવ્યું નથી. કારણ કે સત્ય માનવીય દાવાનો વિષય હોય જ ન શકે.

આ ત્રણ અભિગમમાં ત્રીજો અભિગમ આપણને જૈનદર્શન પાસેથી મળ્યો છે અને એ જૈનોનો આપણા ઉપર અને સમગ્ર જગત પર ઉપકાર છે. જો એનું તાત્પર્ય સમજવામાં આવે તો આ જગત જીવવા જેવું બની જાય. જૈન તીર્થંકરો નમ્રતાપૂર્વક કહે છે કે આ જગતમાં કોઈ કહેતાં કોઈ તેને પરમ સત્ય સમગ્રપણે લાધ્યું હોવાનો અને તેનાં ચોક્કસ સ્વરૂપ વિશેનો દાવો ન કરી શકે. કારણ કે આવો દાવો કરનારા એકાંતવાદી બની જાય અને સત્ય એકાંતિક હોતું નથી. દર્શન-પ્રવર્તકો પોતે જ સામે ચાલીને કહે કે અમને પણ સત્ય તેના અંતિમ સ્વરૂપમાં નથી લાધ્યું, પરંતુ તપશ્ચર્યાને અંતે અમે એવું સમજ્યા છે કે તેમાં અનેક સંભાવનાઓ રહી છે એટલે એકાંતિક દુરાગ્રહ નકામો છે.

જેમણે કોઈ તપશ્ચર્યા કરી નથી અને જેને કાંઈ જ હાથમાં આવ્યું નથી એવા લોકો દુરાગ્રહ સેવે છે અને જેમણે આકરી તપશ્ચર્યા કરી છે એ જીવનશોધનની તપશ્ચર્યાને અંતે એવા તાત્પર્ય પર પહોંચે છે કે સત્ય અંગેની સંભાવનાઓ તમે નકારી ન શકો. આમ ભારતીય દાર્શનિક પરંપરામાં જૈન દર્શન કલગીરૂપ છે. સનાતન ધર્મ પર શ્રમણ ધર્મનો ઉપકાર છે. જેમ આંબેડકરે ગાંધીજીને પડકારીને ગાંધીજીને વિકસવા માટે તેમના ઉપર ઉપકાર કર્યો હતો એમ શ્રમણ દર્શને વૈદિક દર્શન પર ઉપકાર કર્યો છે. પણ બન્યું છે એવું કે જેમ ગાંધીજીને પડકારનારાઓ ગાંધીજીમાં થયેલો વિકાસ સ્વીકારતા નથી એમ વૈદિકદર્શનના દુરાગ્રહીઓ શ્રમણદર્શનનો ઉપકાર સ્વીકારતા નથી. ઊર્ધ્વમુખી પરસ્પર પૂરકતાનો દુરાગ્રહોના કારણે છેદ ઉડાડવામાં આવે છે. ત્યારે પણ એમ જ થયું હતું અને અત્યારે પણ એ જ થઈ રહ્યું છે.

હવે ગયા સપ્તાહે જેમ કહ્યું હતું એમ જો અનેકાંતને સ્વીકારવો હોય તો માખણ જેવા મુલાયમ અને મોકળા મનના બનવું પડે. જો કોઈ અભિમાન, આગ્રહ, ગૃહીતો, પૂર્વાનુમાન, અણગમા હોય તો તમે મોકળા મનના બની જ નહીં શકો. એને માટે જીવનશોધન કરવું પડશે, જીવનને પખાળવું પડશે. માનવી દરેક પ્રકારના સંસ્કારોથી મુક્ત થઈ જાય એટલે તેનું જીવન સાર્થક થઈ જાય. જે તપશ્ચર્યા છે તે એક માત્ર અને એક જ સ્વરૂપમાં સત્યને સત્ય પામવા માટેની નથી, પણ સત્ય સાથે જોડાયેલી એક કરતાં વધુ સંભાવનાઓ સ્વીકારવા જેટલી પાત્રતા માટેની છે. આટલો જ માનવીનો અધિકાર છે.

આમાંથી એક નવો અભિગમ પેદા થયો છે. વૈદિક પરંપરા મહદ્ અંશે ઈશ્વરવાદી છે. ઈશ્વરવાદીઓ જગતના નિયંતા એવા એક ઈશ્વરને માને છે. એ સૃષ્ટિનો જનક છે, કર્તા-ધર્તા છે, સર્વશક્તિમાન નિયામક છે, પાપ-પુણ્યનો હિસાબ રાખે છે વગેરે. ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ નથી ખસતું. મનુષ્ય પાસે ત્રણ વિકલ્પ છે. સાંખ્યબુદ્ધિ દ્વારા પરમતત્ત્વ કે આત્મા અને પરમાત્માનું સ્વરૂપ સમજી લે. બીજો વિકલ્પ છે ભક્તિમાર્ગે ઈશ્વર સાથે એકાકાર થઈ જાય અને ત્રીજો વિકલ્પ છે માલિક અને દાસનો સંબંધ સ્વીકારીને પોતાની પામરતા સ્વીકારી લે. 

આમાંથી ફક્ત ઈશ્વરોપાસના જ નથી વિકસી, ગુરૂપાસના, મંત્રોપાસના, ગ્રંથોપાસના વગેરે બીજી અનેક આનુષંગિક ઉપાસનાઓ વિકસી છે. તેમની પ્રસન્નતા સંપાદિત કરવામાં આવે તો તેઓ આપણું જીવન ધન્ય કરી આપે. જ્યારે જિંદગીની સાર્થકતા બીજાની કૃપા પર આધારિત હોય ત્યારે માનવી બે ચીજ કરે. સમર્થની કૃપા મેળવવા તેમને પ્રસન્ન રાખવાના પ્રયાસ કરે અને તે સાથે જ કૃપાવાન નારાજ ન થાય અને તેનો ખોફ ન વહોરવો પડે એ માટે ડરીને રહે. એ સમયના વૈદિક ધર્મને અનુસારનારાઓમાં આ બન્ને તત્ત્વો નજરે પડતાં હતાં અને પછી તો તેમાં અતિરેક પણ જોવા મળતો હતો.

આની સામે જે પરંપરા વિકસી તે નિરીશ્વરવાદી પરંપરા. એ છે તો આત્મવાદી, પણ તે સાથે  નિરીશ્વરવાદી પણ છે. આપણે જો આત્મોદ્ધાર કરવો હોય, આપણી અમૂલ્ય જિંદગી ઉજાળવી હોય તો બીજા પર અવલંબન રાખવાની શી જરૂર છે? આપણા નિયામક આપણે પોતે જ કેમ ન હોઈએ? બીજાની પ્રસન્નતા, બીજાની કૃપા, બીજાની ખફા આપણી જિંદગીનું ચાલકબળ શા માટે હોય? બીજું જેના પર અવલંબન રાખવામાં આવે છે તે અંતિમ અને એક માત્ર સત્ય છે કે સત્યનો જાણકાર છે એની કોઈ ખાતરી નથી. સત્ય અલગ અલગ વ્યક્તિને, એકની એક વ્યક્તિને, અલગ અલગ સમયે, અલગ અલગ સ્થળેથી, અલગ અલગ સંદર્ભોમાં; અલગ અલગ સ્વરૂપે નજરે પડતું હોય છે. સત્ય એકાંતિક નથી હોતું, અનેકાંતિક હોય છે અને જો સત્યનું સ્વરૂપ આવું જ અનેકાંતિક જ હોય તો ઈશ્વર સહિત બીજાઓ પર અવલંબન રાખવાનો કોઈ અર્થ નથી.

આમ નિરીશ્વરવાદીઓ વ્યક્તિના સ્વતંત્ર વિકાસમાં માને છે. આ અર્થમાં તે અવલંબનમુક્ત સ્વતંત્ર છે. પ્રત્યેક વ્યક્તિ અથવા જીવ પોતાનો વિકાસ સાધી શકે છે, પોતાનામાં રહેલ રાગ-દ્વેષની ગ્રંથિઓથી મુક્ત થઈ શકે છે, જૈનો માટે સર્વોચ્ચ એવી વીતરાગ અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. એ પોતે જ પોતાનો નિયામક છે, સંચાલક છે અને માટે સ્વતંત્ર છે. હું આને નિરીશ્વરવાદી પરંપરા કરતાં પુરુષાર્થી પરંપરા કહું છે. એક છે કૃપાર્થી પરંપરા અને બીજી છે પુરુષાર્થી પરંપરા. મહાવીર, મહાવીર પહેલાંના તીર્થંકરો, બુદ્ધ અને બીજા અનેક જાણીતા અને અજાણ્યા વિચારકોએ આ જે આત્મોદ્ધારની આ જે પુરુષાર્થી પરંપરા વિકસાવી હતી તે શ્રમણ પરંપરા તરીકે ઓળખાય છે. શ્રમણ શબ્દ શ્રમ પરથી બનેલો છે. કોઈની કૃપા નહીં, આપણો પોતાનો શ્રમ. કૃપાર્થી પરંપરા વૈદિક, સનાતન કે બ્રાહ્મણ પરંપરા તરીકે ઓળખાય છે અને પુરુષાર્થી પરંપરા શ્રમણ તરીકે.

એ યુગમાં શ્રમણ-બ્રાહ્મણ (જાતિ નહીં, પરંપરા) યુદ્ધ જામ્યું હતું. કૃપાને પડકારનારો પુરુષાર્થ સ્થાપિત હિતોને માફક આવે એવો નહોતો. વ્યક્તિ કે જીવ પોતે જ સ્વતંત્ર રીતે વીતરાગ અથવા પરમપદ પ્રાપ્ત કરી લે તો પ્રપંચો ચાલે કેવી રીતે? ત્યારે થયેલાં શ્રમણ-બ્રાહ્મણ યુદ્ધનો લાંબો ઇતિહાસ છે જેમાં જવાની જરૂર નથી, પરંતુ ‘સમણસુત્તં’ના આધારે જૈનદર્શનના તત્ત્વજ્ઞાનનો નમૂનારૂપ પરિચય કરાવીને અને તેના બ્રાહ્મણ પરંપરા પર પડેલા પ્રભાવની વાત કરીને આગળ વધીશું.  

25 જૂન 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 30 જૂન 2019

Loading

...102030...2,7562,7572,7582,759...2,7702,7802,790...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved