Opinion Magazine
Number of visits: 9576923
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દુર્ઘટના પછી મળતી રાહત, શાસનની નિષ્ફળતાને ઢાંકવા માટે હોય છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|11 July 2019

તમે એક વાત નોંધી? આજકાલ ભારતભરમાં કોઈ પણ જગ્યાએ દુર્ઘટના ઘટે એટલે શાસકો વિના વિલંબે મોટી રકમ રાહત તરીકે જાહેર કરી દે છે. મલાડમાં ભીંત તૂટવાની ઘટના ઘટવાની હોય, રત્નાગિરીમાં બંધ તૂટવાની ઘટના હોય, બિહારમાં મસ્તિષ્ક જ્વરમાં બાળકોનાં મરવાની ઘટના હોય કે એવી બીજી કોઈ પણ ઘટના હોય; શાસકો ઘટના બનતાની સાથે જ મોટી રકમની રાહતની જાહેરાત કરી દે છે. સરકાર ગમે તેની હોય, આ તત્પરતા તમને દેશભરમાં જોવા મળશે. તમને એમ લાગતું હોય કે શાસકો કૃપાળુ છે, દુર્ઘટના જોઈને તેમની આંતરડી કકળે છે, દુ:ખી પરિવારજનોને તાત્કાલિક મદદરૂપ થવા તેઓ દોડી જાય છે, તો તમે ખોટા છો.

આ રાહત દુર્ઘટનાગ્રસ્તોને મદદરૂપ થવા માટેની નથી, પરંતુ શાસનની નિષ્ફળતાનું વળતર છે. છે તો આ વળતર, જેને રાહત તરીકે જાહેર કરવામાં આવે છે અને ખરું પૂછો તો એ નથી વળતર કે નથી રાહત; પણ મૂંગા રહીને દુ:ખ સહન કરી લેવાની કિંમત છે. શાસનની નિષ્ફળતા સ્વીકારી લો અને પૈસા લઈને મૂંગા રહો. એક રીતે જુઓ તો ઘૂસ છે. પ્રજાને આ વાતની જાણ પણ નથી કે તેમની શાંતિ અને અપમાન પૈસા આપીને ખરીદવામાં આવે છે.

પહેલાં આવું નહોતું બનતું. પહેલાં દુર્ઘટનાની તપાસ કરવામાં આવતી હતી, બીજીવાર આવી ઘટના ન બને એ માટે ઉપાયો સૂચવવામાં આવતા હતા. જવાબદારોની સામે ખટલા માંડવામાં આવતા હતા અને સજા થતી હતી. અમલદારોની સર્વિસ બુકમાં શેરો મૂકવામાં આવતો હતો જેને કારણે બઢતીમાં મુશ્કેલી પડતી હતી. ઘટના જો કોઈ મોટી હોય તો તપાસપંચ બેસાડવામાં આવતાં. શાસનની નિષ્ફળતા એ શાસકો માટે ચિંતા ઉપજાવવનારી ઘટના હતી અને વિરોધ પક્ષો સક્રિયપણે શાસકોના કાન આમળતા હતા. સ્મરણને બે-ત્રણ દાયકા પાછળ લઈ જાઓ, આવા પણ દિવસો હતા એની યાદ આવશે. ઘણીવાર તો સગાંઓએ વળતર માટે અદાલતમાં જવું પડતું. સામેથી પહેલી તકે વળતર આપવામાં નહોતું આવતું.

એ દિવસોમાં રામરાજ્ય હતું એવું નથી. ભ્રષ્ટાચાર અને શાસનની નિષ્ફળતાની સમસ્યા ત્યારે પણ હતી. ફરક એ છે કે ત્યારે આવું અપવાદરૂપે બનતું હતું, અત્યારની જેમ છાશવારે નહોતું બનતું. આજે શાસકોને સમજાઈ ગયું છે કે શાસન તળિયે ગયું છે અને હવે તેની ગુણવત્તા સુધારવાનો કોઈ માર્ગ જ નથી બચ્યો. જ્યારે કાંઈ થઈ શકે એમ જ નથી ત્યારે ખોટાં નાટક કરવાની જગ્યાએ અને એ રીતે વધારે ઊંડા વમળમાં ફસાવાની જગ્યાએ દુર્ઘટનાગ્રસ્તોને પૈસા આપીને શાંતિ ખરીદવી શું ખોટી? બીજા શબ્દોમાં કહીએ તો શાસકોએ હાથ ઊંચા કરી દીધા છે. જે છે એ આવું શાસન છે, જો તેની તમારે કિંમત ચુકવવાની આવે તો પૈસા લઈ જાવ. આનાથી વધારે અમે કાંઈ કરી શકીએ એમ નથી.

મુંબઈની સડકો પર જેટલા પેવરબ્લોક બેસાડવામાં આવે છે એનો એક હિસ્સો મંત્રાલય સુધી જાય છે. જે તે કમિટીઓ ટેન્ડર પાસ કરે છે અને તેમાં વિરોધ પક્ષના સભ્યો પણ હોય છે. કેન્દ્ર સરકાર જેટલા મોટા પ્રોજેક્ટ હાથ ધરે છે તેમાં એક હિસ્સો દિલ્હી સુધી જાય છે. ત્યાં પણ પ્રોજેક્ટોને મંજૂર કરનારી અને ટેન્ડર પાસ કરનારી કમિટીઓમાં વિરોધ પક્ષો હોય છે. કામનું નિરીક્ષણ કરનારી સમિતિઓ એમ દરેક જગ્યાએ શાસક પક્ષ અને વિરોધ પક્ષના સભ્યો હોય છે અને તેઓ મળીને પૈસા ખાય છે. કોણ કોનો કાન આમળે જ્યારે બધા જ મળેલા હોય! એટલે તો વિધાનસભામાં કે સંસદમાં ઝીરો અવરમાં કોઈ દુર્ઘટનાની ભાગ્યે જ ચર્ચા થાય છે. તમને નજીકના ભવિષ્યમાં થયેલી કોઈ ચર્ચા યાદ છે? રાહત આપી દો એટલે પ્રજા ચૂપ રહેશે અને આપણે કમાતા રહીશું.

એક બીજું પરિવર્તન પણ નોંધવું રહ્યું. આજકાલ મોટાભાગના પ્રોજેક્ટો પ્રજાકીય જરૂરિયાતના ભાગરૂપે હાથ ધરવામાં નથી આવતા પણ કોન્ટ્રાક્ટરોના કહેવાથી તેમના તેમ જ શાસકવર્ગના લાભાર્થે હાથ ધરવામાં આવે છે. કોન્ટ્રક્ટરો પ્રોજેક્ટો શોધી કાઢે છે. જેમ કે બી.આર.ટી. (બસ રેપીડ ટ્રાન્ઝીટ) પ્રોજેક્ટ. ભારતનાં કેટલાંક શહેરોમાં સડકની વચ્ચોવચ્ચ સરકારી બસો માટે રીઝર્વ કૉરીડૉર રાખવામાં આવી છે. એ રીઝર્વ કૉરીડૉરમાં બીજાં વાહન ચાલી ન શકે. માત્ર બસ જ ચાલી શકે કે જેથી જાહેર પરિવહનનો ઉપયોગ કરનારાઓ વહેલાસર તેમના નિર્ધારિત સ્થળે પહોંચી શકે. દરેકને ઉપાય સરસ લાગ્યો અને મંજૂરી મળવા લાગી. એક પછી એક શહેરમાં બી.આર.ટી. કૉરીડૉર આવવા લાગી એ પછી ધ્યાનમાં આવ્યું છે કે કૉરીડૉર અંદરના ભાગમાં હોવાથી વૃદ્ધોને પહેલી કૉરીડૉર ઓળંગીને બસ સ્ટોપ સુધી જવામાં મુશ્કેલી પડે છે. 

આ અડચણ પહેલાં ધ્યાનમાં ન આવી હોય એવું બને? ન જ બને. માની લો કે ધ્યાનમાં નહોતું આવ્યું તો કોઈ એક સ્થળે પ્રયોગ કરીને પરિણામ જોઈ લેવું જોઈતું હતું. શા માટે ભારતનાં અનેક શહેરોમાં અને શહેર આખામાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે? પૈસા કમાવા. કોન્ટ્રાક્ટરોએ આઈડિયા આપ્યો, શાસકોએ મંજૂર રાખ્યો, બધા પક્ષોએ મળીને પોતાનો હિસ્સો રાખીને કોન્ટ્રાક્ટરના ટેન્ડરને મંજૂરી આપી. યોજના વ્યવહારુ છે કે નહીં તેની ચકાસણી નહીં કરવામાં બીજો એક લાભ છે. અનુભવે અડચણ ધ્યાનમાં આવી એમ કહીને સડકને કિનારે બીજી કૉરીડૉરનો કોન્ટ્રાક્ટ આપી શકાય અને એ રીતે ફરી વાર કમાઈ શકાય. મુંબઈમાં બાંધવામાં આવેલા સ્કાય-વોક આવું બીજું ઉદાહરણ છે. લોકો-સ્કાય વોકનો ધારણા મુજબ ઉપયોગ કરતા નથી અને સ્ટેશનની નજીકના ભીડવાળા વિસ્તારોમાં ટ્રાફિકમાં અવરોધ પેદા કરે છે એટલે તેને તોડી નાખવામાં આવે. એક વાર બાંધીને કમાવાનું અને બીજી વાર તોડીને કમાવાનું.

દરેકે દરેક સેવા તૂટી પડી છે. શાસકો આ જાણે છે એટલે પહેલી તકે અને બને એટલી મોટી રકમ રાહત તરીકે આપી દેવામાં આવે છે. હકીકતમાં આ શાસનની નિષ્ફળતાનું વળતર છે. દેશમાં જે દુર્ઘટનાઓ બની રહી છે એ દુર્ઘટના કહેતા અકસ્માત નથી, પણ ખૂન છે. દર વર્ષે શાસકો અને કોન્ટ્રાક્ટરો મળીને વીસેક હજાર ભારતીય નાગરિકોનાં ખૂન કરે છે.

આપણને કોઈ ફરક પડતો નથી. ભારત વર્લ્ડ કપ જીતશે એટલે ભારત દેશ મુઠ્ઠી ઊંચેરો સાબિત થઈ જશે!

09 જુલાઈ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 11 જુલાઈ 2019

Loading

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને આ હાથ આખેઆખો બળે એમ પણ બને

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|11 July 2019

હૈયાને દરબાર

છે અજબ વાતાવરણ અને ગઝલની કુમાશ ઘેરી વળી છે. ગત છઠ્ઠી જુલાઈએ જેમનો જન્મદિવસ ગયો, એ મનોજ ખંડેરિયાનું સ્મરણ ઘેરાયેલાં વાદળોની વચ્ચે સહજ થઈ આવ્યું છે. કેટકેટલી સુંદર, અર્થગહન ગઝલો એમણે આપી છે! આધુનિક ગઝલકારોમાં મનોજ ખંડેરિયાનું નામ બહુ જ આદરપૂર્વક લેવાય છે. એ ઋજુ અને કમનીય ગઝલકાર કહેવાયા છે. ‘પીછું’, ‘ક્ષણોને તોડવા બેસું’ તથા ‘રસ્તા વસંતના’ જેવી નખશિખ ગઝલો આ કવિને ગુજરાતી ભાષાના ઋજુ કવિઓમાં અગ્રિમ સ્થાને બેસાડે છે. મનોજ ખંડેરિયાને મુશાયરાઓમાં સાંભળવા એક લ્હાવો છે. જો કે એ પોતે મુશાયરાના માણસ નહોતા. સ્વસ્થપણે ગઝલ રજૂ કરતા મનોજ ખંડેરિયા લોકોની વાહ વાહ અને તાળીઓથી સહેલાઈથી દોરવાઈ જાય એવા નહોતા. એમણે પોતે જ ગઝલ વિશે જે લખ્યું છે એમાં વિશ્વ પ્રત્યેની પ્રીતિનો સંકેત છે.

જેને તું મારી ગઝલો માને છે
વિશ્વ પ્રત્યેનું વહાલ છે આ તો!

મનોજ ખંડેરિયાની ગઝલો માત્ર મનોરંજન માટે નથી. અપાર મનોમંથન પછી એમણે કાવ્યસંગ્રહ આપ્યાં છે. ગઝલ એ એવું સ્વરૂપ છે કે એને અનુભૂતિનો સ્પર્શ ન મળે તો ગઝલનું પોત પાતળું પડે છે. આવી અનુભૂતિ મનોજભાઈની ગઝલોમાં અનુભવાય છે. જેમ કે;

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

છઠ્ઠી જુલાઈએ, મનોજ ખંડેરિયાના જન્મદિવસે એ શાયર સાંભરે છે એટલે એમનાં ચિત્રકાર પત્ની પૂર્ણિમાબહેનને સીધો રાજકોટ ફોન જોડું છું.

"તમે નહીં માનો પણ આજે હજ્જાર વોટ્સ એપ મેસેજ અને ફોનકોલ્સ મને આવ્યા છે. લોકો, ખાસ કરીને યુવા પેઢી મનોજને એમનાં મૃત્યુના પંદર વર્ષ પછી ય યાદ કરે છે એ અમારા પરિવાર માટે બહુ મોટી ભાવનાત્મક મૂડી છે. પૂર્ણિમાબહેન વાતનો આરંભ કરે છે. "મનોજની પ્રકૃતિ પ્રમાણમાં શરમાળ અને અંતર્મુખી. પિતાજી જૂનાગઢમાં મહેસૂલી અધિકારી હોવાને કારણે વારંવાર બદલીઓ થતી રહેતી. તેથી મનોજની મૈત્રી કોઈ સાથે લાંબી ટકે નહીં. પરિણામે પગ લાઈબ્રેરી તરફ મંડાય. એમ કરતાં વાચન અને કવિતાલેખનનો રસ કેળવાયો. પંદર વર્ષની વયથી જ તેમણે કવિતા લખવાની શરૂઆત કરી, પરંતુ, છપાવી ત્રીસમાં વર્ષે. કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની એમના ગુરુજી તખ્તસિંહજી પરમાર સાહેબની સ્પષ્ટ સલાહ અને શિખામણ હતી એટલે આદિલ મન્સૂરી, મણિલાલ દેસાઈ વગેરે મિત્રોના આગ્રહને કારણે છેક ડિસેમ્બર ૧૯૬૫માં બે ગઝલ ‘કુમાર’ માટે મોકલી. એમાંથી ‘દીવાલો’ શીર્ષકની રચના ફેબ્રુઆરી ૧૯૬૬ના ‘કુમાર’માં પ્રકાશન પામી. સાતત્યપૂર્ણ કાવ્યસર્જનના ફળરૂપે એમણે પછીથી અન્ય કાવ્યસંગ્રહો આપ્યા હતા.

એમના ગુરુએ છેવટે કહ્યું કે ભવિષ્યમાં મારે મનોજ અને રાજેન્દ્ર શુક્લની કવિતાઓ ભણાવવી પડશે એવું લાગે છે. ગિરનાર અને જૂનાગઢ પ્રત્યે અપાર લગાવ હોવાથી એમની ઘણી કવિતાઓમાં આ બંનેનો ઉલ્લેખ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આવે. પકડો કલમ પણ એ જ પ્રકારની ગઝલ હતી જેમાં વાત એવી છે કે નરસિંહ મહેતાએ રાસ જોતી વખતે હાથમાં મશાલ પકડી હતી. રાસમાં એ એવા તલ્લીન થઇ ગયા હતા કે મશાલ સળગતી સળગતી છેક નીચે હાથ સુધી આવી ગઈ તો ય એમને ભાન નહોતું રહ્યું. એ જ કલ્પનાને એમણે જુદી રીતે આ ગઝલમાં પ્રતિબિંબિત કરી છે. કાવ્યસર્જન અથવા તો કોઈપણ સર્જન, સર્જક માટે ઘણીવાર અત્યંત વ્યગ્રતાપૂર્ણ, પીડાજનક હોય છે, જે કરતાં હાથ આખેઆખો બળે એમ પણ બને. એ જ વાતને મનોજે જુદા જુદા શેરમાં ખૂબ સરસ રીતે વણી લીધી છે. જગજિત સિંહ અને અટલ બિહારી વાજપેયીજીએ પણ એમની ગઝલની સરાહના કરી હતી. છેલ્લે છેલ્લે તો માંદગીના બિછાનેથી એમણે સર્વોત્કૃષ્ટ ગઝલો લખી હતી. એમને શ્રમ ન પડે એટલે મારી બંને દીકરીઓ રૂચા અને વાણી એમના તકિયાની બાજુમાં કલમ, કાગળ અને ટોર્ચ મૂકી રાખતાં જેથી અડધી રાત્રે ઊંઘ ઊડે તો ય તેઓ શેર ટપકાવી શકે.

આવી શબ્દસમૃદ્ધ ગઝલ રાસબિહારી દેસાઈ, અમર ભટ્ટ તથા સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી છે. જેમની ગઝલગાયકીને ગુલામ અલી જેવા શ્રેષ્ઠ ગઝલગાયકે બિરદાવી છે એવા હિન્દી, ગુજરાતી અને ઉર્દૂ ગઝલોમાં નીવડેલા કલાકાર સોલી કાપડિયાએ શાસ્ત્રીય સંગીતની બારીકીઓથી લઈને સુગમ સંગીતની ઋજુતા અને પ્રાચીન ભક્તિગીતોની સુમધુર સરવાણી સુધીની યાત્રા ખેડી છે. તેઓ માને છે કે હૃદયમાંથી નીકળીને શ્રોતાઓના આત્માને સ્પર્શતું સંગીત એ જ સાચું અને સારું સંગીત કહેવાય. સ્પષ્ટ ઉચ્ચારોની પણ ઊંડી અસર પડે છે. એમની રચનાઓમાં ભાવનું પ્રાધાન્ય સૌથી વધારે હોય છે. સોલી કાપડિયા પકડો કલમ … ગઝલની સર્જન કથા આલેખતા કહે છે,

"સાલ ૧૯૮૯. ગુજરાતી સુગમસંગીત-સાહિત્યનું સંમેલન મુંબઈમાં યોજાયું હતું. આ અંગે જુલાઈ મહિનામાં ગ્રાન્ટ રોડની એક હોટલમાં ઊતારો મળ્યો હતો. હું અને મનોજ ખંડેરિયા એ જ હોટલમાં ભેગાં થઇ ગયા. હું એમને પહેલી વાર મળી રહ્યો હતો. સંમેલન સફળતાપૂર્વક પૂરું થયું એ જ રાત્રે મૂશળધાર વરસાદ! એટલો બધો કે હોટલની બહાર પગ ન મુકાય. આખા મુંબઈમાં પાણી ભરાઈ ગયાં’તાં. બે દિવસ સુધી આયોજકો જમવાનું હોટલ પહોંચાડે એની રાહ જોતાં અમે બેઠા હોઈએ. બીજું કોઈ કામ જ નહિ. મનોજભાઈ સાથે ખૂબ વાતો કરીએ. તેઓ એમનાં ગઝલ ગીત શેર કરે અને હું સાંભળતો જ રહું! બે દિવસો અત્યંત સુંદર કવિતામય અને સંગીતમય ગયા. વરસાદનું જોર ઓછું થયું એટલે છૂટા પડવાના દિવસે આ ગઝલ મને આપીને એ કહે: "સોલી, આ ગઝલ ખૂબ ચોટદાર છે. એને સ્વરબદ્ધ કરી ગાજે. મઝા આવશે. એમના અક્ષરે લખેલી એ ગઝલ ત્યારે તો મેં મારી ડાયરીમાં મૂકી દીધી. એક વર્ષ પછી મારું ‘પ્રેમ એટલે કે’ આલ્બમનું રેકોર્ડિંગ હતું ત્યારે એ ડાયરીમાંથી આલ્બમ માટે ગીતો નક્કી કરતો હતો ત્યાં એમના હાથે લખેલી એ ગઝલ જડી આવી.

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
કે હાથ આખેઆખો બળે એમ પણ બને

સવાર ઉપરાંત રાત્રે પણ રોજ મોડે સુધી હું રિયાઝ કરતો. એ વખતે રાગ વાચસ્પતિએ મગજમાં જમાવટ કરેલી. રાત્રે બે વાગ્યે તીવ્ર, મધ્યમ અને કોમળ નિષાદ સાથે ઓડવ – સંપૂર્ણ જાતિમાં સ્વરાવલિઓ વહેતી હતી. એમાં આ ગઝલનો મત્લા સ્મરે છે અને ગઝલનું મુખડું કમ્પોઝ થઇ જાય છે. બાકાયદા શાસ્ત્રીય રાગની સીમાઓમાં બંધાયેલી આ બંદિશ બે ત્રણ દિવસ સુધી મગજમાં ચાલતી રહી. ત્રીજે દિવસે એનો પહેલો શેર અને પછી બીજા શેરો પણ સ્વરબદ્ધ થયા. અઠવાડિયામાં આ ગઝલનાં ચાર શેરોના ચારે અલગ અલગ મૂડ બન્યા. ગઝલમાં સામાન્ય રીતે બધા શેરોની સરખી જ ધૂન હોય પણ આ ગઝલમાં દરેક શેર અલગ મૂડમાં કમ્પોઝ થયા છે. ત્યાં એ શુદ્ધ વાચસ્પતિ ન રહે એ સ્વાભાવિક છે. દિવસો સુધી આ ગઝલ મઠારતો રહ્યો.

મુંબઈમાં એક કાર્યક્રમમાં આ ગઝલ પહેલી વાર ગાઈ ત્યારે સામે શ્રોતાગણમાં મનોજભાઈ પણ હતા. એમની ગઝલ એ દિવસે હિટ ગઈ. કવિની ખુશીનો પાર નહોતો. એ દિવસે મેં નક્કી કર્યું કે મારા આલ્બમ ‘પ્રેમ એટલે કે’માં આ રચના ચોક્કસ લઈશ. એટલું જ નહિ, આલ્બમ જ્યારે બહાર પડ્યું ત્યારે એની રચનાઓમાંથી આ અઘરામાં અઘરી રચના યુવાનવર્ગને ખૂબ પસંદ આવી! પેચીદા ચીજને સરળ રીતે પેશ કરી હતી એટલે એ કદાચ એમના હૃદય સુધી આસાનીથી પહોંચી પણ. દરેક કાર્યક્રમમાં ‘પકડો કલમ’ની ફરમાઈશ તો આવે જ. સ્વ. અજિત મર્ચન્ટની હાજરીમાં સ્વ. ઝરીન દારૂવાલા (સરોદ), પં. બાબુલાલ ગંધર્વ (બેલાબહાર), સ્વ. વિક્રમ પાટિલ (તબલા) અને ટોની વાઝ (બેઝ ગિટાર) સાથે આ ગઝલ સ્ટુડિયોમાં રેકોર્ડ થયેલી એ પળો હજુ અકબંધ યાદ છે. એચ.એમ.વી. દ્વારા રિલીઝ થયેલી આ કેસેટ વિશ્વભરમાં પ્રસિદ્ધ થઇ, સાથે આ મારી પ્રિય રચના પણ બધેબધ પ્રસરી એનો વિશેષ આનંદ છે!

મનોજ ખંડેરિયા ગુજરાતી પ્રયોગશીલ કવિતાના અગ્રણી સર્જક હતા. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક સ્વાયત્ત કાવ્યસ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં મનોજ ખંડેરિયાનો કાવ્યપુરુષાર્થ નોંધપાત્ર છે.

મનોજ ખંડેરિયા વ્યવસાયે વકીલ. ૧૯૬૭માં એલ.એલ.બી. થયા અને ૧૯૬૮થી જૂનાગઢમાં જ વકીલાતનો આરંભ કર્યો હતો. ૧૯૮૪થી તેઓ પથ્થરની ખાણના ઉદ્યોગક્ષેત્રે સંકળાયા હતા. કવિ વિશેની સામાન્ય છાપ ફકીરીની હોય પરંતુ, મનોજ ખંડેરિયા ‘સમૃદ્ધ’ કવિ કહેવાતા. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિના સ્થાપક-પ્રમુખપદની જવાબદારી પણ બજાવી હતી. સાયન્સના વિદ્યાર્થી હોવા છતાં એમનો જીવ તો કવિતાનો જ. ગુજરાતી સાહિત્ય જગતની અમર રચનાઓમાં જેની ગણના થાય છે એ;

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

તથા,

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

એ બન્ને મારી પર્સનલ ફેવરિટ ગઝલો છે. શું અદ્ભુત શબ્દો છે આ બન્ને ગઝલના!

સુરેશ દલાલે ‘મશાલ અને દીવો’ શીર્ષક હેઠળ પકડો કલમ ગઝલનો સુંદર રસાસ્વાદ કરાવ્યો છે. તેઓ લખે છે, "કોરા કાગળનો મુકાબલો કરીએ અને કવિતા આવે જ એની બાંયધરી તો કોણ આપે? હાથમાં કલમ લઈએ અને કવિતાનો ઇલમ થાય એવું તો બને, અર્થાત્, ક્યારેક, ન પણ બને. કાગળ અને કલમની વચ્ચે કવિનો અશબ્દ શબ્દ છે. અથવા કવિનું મૌન છે. આ મૌન મૂર્ત પણ થાય અને એમાંથી કવિતાની મૂર્તિ પણ ઘડાય.

મનોજ ખંડેરિયા આપણા ઉત્તમ ગઝલકાર છે. એ લખે છે ઓછું, પણ લખે છે ત્યારે કશુંક નીપજે છે. પ્રારંભના શેરમાં એમણે કાવ્ય-સર્જન પ્રક્રિયાની વાત છેડી છે. કવિતા એમ ને એમ નથી લખાતી. નરસિંહ મહેતાના ગામ જૂનાગઢમાં રહેતો આ શાયર એમ કહે છે કે કલમ ને કાગળની વચ્ચે આખો હાથ નરસિંહની મશાલ થઈને બળવો જોઈએ. ગઝલના સ્વરૂપની મજા એ છે કે આપણે એક બાગમાં હોઈએ ને બાગમાં જુદાં જુદાં ઝાડ હોય ને પ્રત્યેક વૃક્ષને પોતીકું વ્યક્તિત્વ અને સૌંદર્ય હોય અને વળી પછી પ્રત્યેક વૃક્ષની છટાઘટા અને છાયામાયા જુદી હોય. બીજા શેરમાં કવિએ વેદનાની વાત છેડી છે. ક્યાંક પહોંચવાની ઝંખના વર્ષોથી હોય અને માનો કે આપણે ત્યાં પહોંચી પણ ગયા ને પહોંચ્યા પછી મનને પાછા વળવાનું મન થાય એવું પણ બને.

જરાક જુદા સંદર્ભમાં એક મરાઠી કવિના બાળગીતના ભાવની યાદ આવે છે. બનતા લગી આ બાળગીત વિંદા કરંદીકરનું છે. માએ છોકરાને એક દિવસ કહ્યું છે કે હું તને પૂના લઈ જઈશ. મુંબઈથી એક દિવસ મા ને દીકરો પૂના જવા માટે ટ્રેનમાં બેસે છે. થોડી વાર થાય છે. સ્ટેશન પર સ્ટેશન આવતાં જાય છે. પ્રત્યેક સ્ટેશને બાળક પૂછે છે, મા પૂના આવ્યું ? અને જ્યારે પૂના આવે છે ત્યારે મા કહે છે કે બેટા પૂના આવ્યું ને બાળક કહે છે કે હવે મુંબઈ ક્યારે જઈશું? ગઝલમાં આપણે ત્યાં આત્મનિરીક્ષણ અને એને પરિણામે ચિંતન કાવ્યમય રીતે પ્રગટે છે એટલે એનો ભાર લાગતો નથી. મનોજની ગઝલની આ લાક્ષણિકતા છે. મનુષ્યમાત્રનો સ્વભાવ છે કે પોતાનો દોષ બીજા પર ઢોળવો. આપણે ક્યાંક ખોટે રસ્તે વળી ગયા હોઈએ તો રસ્તાનો કે ભોમિયાનો વાંક કાઢીએ, પણ આપણને છળનારાં તત્ત્વો કેવળ બાહ્ય નથી, આપણું મન જ આપણા મનને છળતું હોય છે; પણ કવિએ આ વાતને બહુ સરસ રીતે મૂકી છે. આપણો એક પગ બીજા પગને છળતો જાય છે. કશું અશક્ય નથી. આપણી સ્થિતિ પણ કસ્તૂરીમૃગ જેવી છે. કેડે છોકરું ને ગામમાં શોધીએ એમ જે આપણા પગની તળે હોય એની જ આપણે તલાશ કરતા હોઈએ છીએ, અંતે મક્તામાં ગઝલનો મહિમા અને પ્રણયનો મહિમા બંનેને ગાયા છે. તાળીઓની વચ્ચે ગઝલ ભીંસાઈ જતી હતી ત્યારે મનોજ જેવા કવિએ ગઝલના દીવા પ્રગટાવ્યા છે.

કવિ સુરેશ દલાલના આ રસપ્રદ આસ્વાદ પછી કશું કહેવાનું રહેતું નથી. માત્ર આ પંક્તિઓ જ મનમાં રૂડો રાસ રમી રહી છે;

તું ઢાળ ઢોલિયો; હું ગઝલનો દીવો કરું!

——————————

એમ પણ બને!

પકડો  કલમ  ને  કોઈ પળે, એમ પણ બને
આ હાથ આખે આખો બળે, એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાં
મન પહોંચતા  જ પાછું વળે, એમ પણ બને

એવું   છે  થોડું  છેતરે  રસ્તા   કે  ભોમિયા
એક પગ  બીજા પગ ને છળે, એમ પણ બને

જે શોધવામાં  જિંદગી  આખી  પસાર થાય
ને  એ જ  હોય  પગની તળે, એમ ૫ણ બને

તું  ઢાળ  ઢોલિયો,  હું  ગઝલનો  દીવો  કરું
અંધારું   ઘરને    ઘેરી   વળે, એમ પણ બને

                                      — મનોજ ખંડેરિયા

https://www.youtube.com/watch?v=tt0dclqKpu8

—————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 11 જુલાઈ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=532253

Loading

‘તરણ પારશી વીદીયારથીઓ’એ કરેલો તરજુમો

દીપક મહેતા|Opinion - Literature|11 July 2019

કાળચક્રની ફેરીએ

આજથી લગભગ દોઢ-સો વર્ષ પહેલાંની વાત છે. ત્રણ પારસી છોકરાઓ મુંબઈમાં ભણે. ત્રણે પાકા દોસ્તો. ખાધેપીધે સુખી કુટુંબના, એટલે નવરાશના સમયમાં મનગમતી પ્રવૃત્તિ કરી શકે. પણ ૧૮૬૫ના અરસામાં તેમણે જે પ્રવૃત્તિ કરી તે એવી કરી કે લાંબા સમય સુધી જાણકાર લોકો તેની વાહ વાહ કરતા રહ્યા.

એવું તે કયું કામ એમણે કર્યું? ૯૬૪ પાનાંનું એક પુસ્તક બે ભાગમાં પ્રગટ કર્યું, સંખ્યાબંધ ચિત્રો સાથે. ના. ‘મૌલિક’ પુસ્તક નહોતું એ. તરજુમો કહેતાં અનુવાદ હતો, અરેબિયન નાઈટસની વાર્તાઓનો. અહીં એ યાદ રાખવું ઘટે કે અરેબિયન નાઈટ્સનો પહેલવહેલો અંગ્રેજી અનુવાદ જોનાથન સ્કોટે કર્યો હતો જે  ૧૮૧૧માં પ્રગટ થયો હતો. એટલે કે, તેના ૫૪ વર્ષ પછી તો આ ત્રણ વિદ્યાર્થીઓએ ગુજરાતી અનુવાદ કર્યો. પુસ્તકના ટાઈટલ પેજ પર કે બીજે ક્યાં ય પણ કોઈનું નામ નહિ! ટાઈટલ પેજ પર લખ્યું હતું: ‘બનાવનાર તરણ પારશી વીદીયારથીઓ.’ ૧૯મી સદીમાં પારસી લેખકો – અને કેટલીક વાર બિન-પારસી લેખકો પણ – લેખક, અનુવાદક, સંપાદક વગેરેને માટે આ ‘બનાવનાર’ શબ્દ વાપરતા. આ ‘બનાવનાર’ એટલે કર્તા, અંગ્રેજીમાં ઓથર. અને કાયદાની દૃષ્ટિએ અનુવાદક તેના અનુવાદનો, સંપાદક તેના સંપાદનનો ઓથર, કર્તા છે એટલે આ ‘બનાવનાર’ એવો સાવ ઘરેલુ શબ્દ પારસીઓએ ‘કર્તા’ને બદલે ચલણી કર્યો. વળી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે ‘મૌલિક’, અનુવાદ, રૂપાંતર વગેરે વચ્ચે આજે આપણે જેટલો સ્પષ્ટ ભેદ કરીએ છીએ તેટલો ૧૯મી સદીમાં થતો નહોતો.

બીજું, ૧૯મી સદીમાં ગદ્ય અને પદ્યના પ્રવાહોમાં જુદા જુદા પ્રવાહ જોવા મળે છે. કવિતા માટેનું વાહન – અક્ષરમેળ અને માત્રામેળ છંદો, દેશીઓ, ગેય ઢાળો, વગેરેનું માળખું તો તૈયાર હતું. જે ફરક પડ્યો તે વસ્તુનો, સામગ્રીનો. પારલૌકિકને સ્થાને ઐહિકતા આવી. ઈશ્વરભક્તિને સ્થાને મનુષ્યપ્રેમ આવ્યો. જ્ઞાનવૈરાગ્યને સ્થાને જીવનનો ઉલ્લાસ આવ્યો. આમ, કવિતાની બાબતમાં સંદેશો નવો હતો, સંદેશવાહક નહિ. જ્યારે ગદ્યની બાબતમાં સંદેશો અને સંદેશવાહક બંને નવા હતા. કેટલાક અપવાદોને બાદ કરતાં આપણા મધ્યકાલીન સાહિત્ય પાસે સાહિત્યિક/લિખિત ગદ્યની લાંબી કે સમૃદ્ધ પરંપરા નહોતી. ગદ્યના વિવિધ પ્રકારો – નિબંધ, લેખ, વાર્તા, નવલકથા, પ્રવાસ વર્ણન, આત્મકથા, જીવનચરિત્ર વગેરે – નો વિકાસ મુદ્રણ વગરના જમાનામાં શક્ય જ નહોતો. એ શક્ય બન્યો આપણે ત્યાં મુદ્રણ આવ્યા પછી, ૧૯મી સદીમાં. એટલે, કવિતાની બાબતમાં પહેલાં ‘મૌલિક’ કવિતાઓ મળી, અને પછી બીજી ભાષાની (મુખ્યત્ત્વે અંગ્રેજી અને સંસ્કૃતની) કવિતાના અનુવાદ મળતા થયા. જ્યારે ગદ્યની બાબતમાં ઊલટું બન્યું: પહેલાં, ફારસી, સંસ્કૃત, અંગ્રેજીમાંથી અનુવાદો, પછી અંગ્રેજીને અનુસરી ગદ્યપ્રકારોમાં ‘મૌલિક’ કૃતિઓ. વળી, બીજી ભાષાના અનુવાદોએ અને શરૂઆતનાં પાઠ્ય પુસ્તકોએ આપણી ભાષાના ગદ્યને ઘડવામાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે. પણ આપણા સાહિત્યનાં સંશોધન, સંપાદન, વિવેચન, ઇતિહાસ-લેખન કરનારાઓના મનમાં કોણ જાણે કેમ પણ આજ સુધી અનુવાદોનું મહત્ત્વ વસ્યું જ નથી!

પણ એ જમાનામાં આવા અનુવાદ વાંચતું કોણ? પુસ્તકના દિબાચા(પ્રસ્તાવના)માં જણાવ્યું છે કે મુખ્યત્ત્વે પારસી બાનુઓ અને બુઝર્ગ ગૃહસ્થોને ધ્યાનમાં રાખીને આ અનુવાદ કર્યો છે. તેમને વાંચવામાં સહેલું પડે માટે પુસ્તકમાં બને ત્યાં સુધી સંસ્કૃત શબ્દો વાપર્યા નથી, અને જોડાક્ષરો પણ બને તેટલા ઓછા વાપર્યા છે. યાદ રાખો: તરણ પારશી વીદીયારથીઓ. પછી કહે છે: “આ માહાભારત પુસતક દૈવજોગથી સમાપત થયું છે અને તે પરસીધ કરવામાં ભાષાંતર કરનારાઓએ પૈસાની મુતલગ આશા રાખી નથી, પણ આ પુસતકનાં ફેલાવાથી જો આપણા કેટલાક પારસી ભાઈબંધો અને અગત કરીને તેઓની ઓરતોમાં ગુજરાતી ભાષા વાંચવાનો શોખ ઉતપન થાય અને તેઓ જો પોતાનો વખત જે ગામનાં ગપાટામાં અને પર લોકની નિંદા કરવામાં રોકે છે તેનો બરાબર ઉપયોગ કરે તો, તરજુમાં કરનારાઓને પુરતો બદલો મલીઓ એમ તેઓ સમજશે.” (અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે.) બાનુઓ અને બુઝર્ગો માટે આજે દોઢ-સો વરસ પછી આપણે ત્યાં કેટલાં પુસ્તક પ્રગટ થાય છે?

પુસ્તકમાં ત્રણ અનુવાદકોનાં નામ છાપ્યાં નથી તો શું થયું? ભાંગ્યાનાં ભેરુ જેવો પારસીઓ વિશેનો આકરગ્રંથ પારસી પ્રકાશ તો છે જ ને! તેના બીજાં દફતરના ૧૬૮મા પાના પર જણાવ્યું છે કે ૧૮૬૫ના નવેમ્બરની ૨૫મી તારીખે આ પુસ્તક પ્રગટ થયું હતું, અને તેના બનાવનાર હતા હોરમજજી મનચેરજી ચીચગર, એદલજી જમશેદજી ખોરી, અને શાપુરજી બરજોરજી ભરૂચા. નામ મળ્યાં એટલે કામ મળવામાં કેટલી વાર! હા, પારસી પ્રકાશના દસ દફ્તરનાં હજારો પાનાંમાંથી વિગતો વીણવી પડે, અલબત્ત, વિસ્તૃત સૂચિની મદદથી.

અહીં જેમનું નામ છેલ્લું છે તે શાપુરજી બરજોરજી ભરૂચા ત્રણે મિત્રોમાં સૌથી ઓછું ભણેલા, સૌથી વધુ કમાયેલા, અને સૌથી વધુ જાણીતા થયેલા. અટક બતાવે છે તેમ શાપુરજીનો જન્મ ભરૂચ શહેરમાં, ૧૮૪૫ના એપ્રિલ મહિનાની ૩૦મી તારીખે. ૭૬ વર્ષની ઉંમરે ૧૯૨૦ના જૂનની ૨૩મી તારીખે મુંબઈમાં બેહસ્તનશીન થયા. નાનપણમાં પિતા ગુમાવ્યા. ૧૨ વર્ષની ઉંમરે મમ્મા સાથે મુંબઈ આવ્યા. એક મોટા ભાઈ થોડુંઘણું કમાતા તેમાંથી કુટુંબનું ગાડું ગબડતું. પણ થોડા વખતમાં જ મોટા ભાઈ પણ ખોદાઈજીને પ્યારા થઇ ગયા એટલે ભરણપોષણની બધી જવાબદારી આવી પડી નાલ્લા શાપુરજીના માથા પર. જાહેર બત્તી નીચે બેસીને શાપુરજી, તેમનાં મમ્મા અને બહેનો ભરતગૂંથણ કરે તેમાંથી ગુજરાન ચલાવવાનું. છતાં ભણવાનું છોડ્યું નહિ અને મેટ્રિકની પરીક્ષા આપી. પણ નસીબ બે ડગલાં આગળ, તે નાપાસ થયા. બીજી વાર પરીક્ષા આપી શકાય તેવી ઘરની હાલત નહોતી. એટલે મનેકમને બી.બી.સી.આઈ. રેલવે(આજની વેસ્ટર્ન રેલવે)માં નોકરી લઇ લીધી. પછી એકાદ વરસ એશિયાટિક બેન્કમાં કારકૂન બન્યા. ભલે ઝાઝું ભણી શક્યા નહોતા, પણ ઘટમાં ઘોડા થનગનતા હતા. એટલે થોડા વખત પછી નોકરીને અલ્વિદા કહી ૧૮૬૪માં શેર બજારના ધંધામાં પડ્યા. પડ્યા એવા જ ઉછળ્યા, ઉભરાયા. પાંચમાં પૂછાતા થયા. સરકારી અમલદારો, બેન્કના મેનેજરો, જાણીતા વેપારીઓ તેમની સલાહ લેતા. મુંબઈના નેટિવ શેર બ્રોકર્સ એસોસિયેશનના વર્ષો સુધી પ્રમુખ રહ્યા. પછી વધારામાં પડ્યા કાપડની મિલોના ઉદ્યોગમાં. કેટલીક મિલોમાં ડિરેક્ટર બન્યા. જાતમહેનતે અંગ્રેજી શીખી તેની ઉપર સારો એવો કાબૂ મેળવ્યો. ચાંદીના ભાવ અંગેના એક ઝગડામાં જુબાની આપવા સરકારે તેમને વિલાયત મોકલ્યા. તેમની જુબાનીને કારણે ફિનાન્સ કમિટીએ પોતાનો રિપોર્ટ બદલવો પડ્યો હતો. ૧૮૯૬માં જેપી બન્યા, ૧૯૧૧મા મુંબઈના શેરીફ. અને તે જ વર્ષે મિસ્ટરમાંથી બન્યા સર શાપુરજી બરજોરજી ભરૂચા. બાર વર્ષની ઉંમરે ભરૂચ છોડ્યા પછી ફરી ક્યારે ય તેની જમીન પર પગ મૂક્યો નહોતો, પણ ભરૂચને ક્યારે ય ભૂલ્યા નહોતા. ત્યાંના જરથોસ્તીઓ જ નહિ, સૌ કોઈને માટે કામ કરતી સંસ્થાઓને સતત દાન આપતા. મુંબઈમાં અને બીજે પણ સતત દાન આપતા. પોતાની જિંદગી દરમ્યાન તેમણે કુલ ૪૦ લાખ રૂપિયા (આજના ૪૦ કરોડ?) કરતાં વધુ રકમની સખાવત કરી હતી. તેમના ઉઠમણા વખતે બીજા ૧૪ લાખ ૨૨ હજાર રૂપિયાની સખાવત તેમનાં કુટુંબીઓએ જાહેર કરી હતી. 

બીજા અનુવાદક હોરમજજી મનચેરજી ચીચગરનો જન્મ ૧૮૪૭માં, ૧૯૦૫ના ડિસેમ્બરની ૩૦મી તારીખે બેહસ્તનશીન થયા. ૧૮૬૪માં મેટ્રિક થયા. ૧૮૭૮માં બોમ્બે હાઈકોર્ટની સોલિસીટર માટેની પરીક્ષામાં પાસ થયા અને ત્યાં વકીલાત શરૂ કરી. આ ઉપરાંત તેઓ સ્ત્રીબોધ માસિકમાં અવારનવાર લેખો લખતા અને ૧૮૫૮થી કેખુશરૂ કાબરાજીના વડપણ હેઠળ પારસી રંગભૂમિ પર સક્રિય બન્યા.

ત્રીજા અનુવાદક એદલજી જમશેદજી ખોરીનો જન્મ ૧૮૪૭માં, અવસાન ૧૯૧૭ના જૂનની ૧૦મી તારીખે. ૧૮૬૫માં મેટ્રિક થયા. ૧૮૮૨માં ઈંગ્લન્ડની બેરિસ્ટરની પરીક્ષા પાસ કરી. ૧૮૮૦માં તેમનું પ્રાણીવિદ્યા નામનું પુસ્તક પ્રગટ થયું હતું. વિક્ટોરિયા નાટક મંડળીએ નાટ્યલેખન માટે એક હરીફાઈ જાહેર કરેલી તેમાં તેમના લખેલા રુસ્તમ અને સોહરાબ નાટકને ૩૦૦ રૂપિયાનું ઇનામ મળ્યું હતું અને તેથી તે નાટક એ મંડળીએ ભજવ્યું હતું. આ ઉપરાંત નુરજેહાન, ખોદાબક્ષ જેવાં તેમનાં નાટકો છપાયાં હતાં. તેમણે સોને કી મુળકી ખુરશેદ નામનું નાટક ઉર્દૂ ભાષામાં લખ્યું હતું જે વિક્ટોરિયા નાટક મંડળીએ એ ભાષામાં ભજવેલું પહેલું નાટક હતું. વળી એક એમેચ્યોર નટ તરીકે તેમણે શેક્સપિયરના મર્ચન્ટ ઓફ વેનિસ નાટકમાં કામ કર્યું હતું. પણ પછી સ્વદેશ છોડી તેઓ પહેલાં સિંગાપુર અને પછી ઇન્ગલંડ જઈ વસ્યા હતા અને ત્યાં વકીલાત કરી હતી. તેમનું અવસાન પણ ત્યાં જ થયું હતું. પોતાની બધી મૂડી – ૬૦ હજાર રૂપિયા તેવણે પારસીઓ માટેની યોગ્ય સખાવાતમાં આપવા માટે મિત્ર રુસ્તમજી રતનજી દેસાઈને માત્ર મૌખિક સૂચનાથી આપી દીધી હતી.

એક વાત નોંધી? ૧૮૬૫માં જ્યારે આ પુસ્તક પ્રગટ થયું ત્યારે આ ત્રણેની ઉંમર ૨૦-૨૨ વર્ષની. ભણતર પૂરું કર્યું નહોતું. અને છતાં ભલે અનુવાદિત, પણ ૯૬૪ પાનાંનું પુસ્તક ધગશથી તૈયાર કર્યું અને કેટલાક દાતાઓની મદદથી પ્રગટ પણ કર્યું. આજના વિદ્યાર્થીઓ આવું સાહસ કરે? પણ ૧૯મી સદીમાં થયેલો અરેબિયન નાઈટ્સનો આ કાંઈ એકમાત્ર અનુવાદ નથી. પણ બીજા અનુવાદો વિષે ફરી ક્યારેક વાત.

xxx xxx xxx

પ્રગટ “શબ્દસૃષ્ટિ”, જુલાઈ 2019

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

Loading

...102030...2,7472,7482,7492,750...2,7602,7702,780...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved