Opinion Magazine
Number of visits: 9684597
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશનાં લોકતંત્ર માટે ખતરો તો છે, પણ વિકલ્પ ક્યાં છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|22 August 2019

ભૂલ્યા ત્યાંથી પાછા ગણો એવી એક કહેવત છે, પણ એ રાજકીય પક્ષો માટે શક્ય છે? ભારતમાં જેને ગંભીર કહી શકાય એવા રાજકીય પક્ષો ખાસ ઉદ્દેશ માટે રચાયા હતા. પછી રાજકીય પ્રવાસમાં સત્તાની કે બીજી લાલચે ભટકી પડ્યા અને રાહ ચૂકી ગયા એવું લગભગ દરેક રાજકીય પક્ષની બાબતમાં બન્યું છે. જ્યાં સુધી સફળતા મળતી હતી ત્યાં સુધી સમાધાનો કરવામાં પાછા વળીને જોયું નહોતું. હવે જ્યારે સફળતા મળતી બંધ થઈ ગઈ છે અને અસ્તિત્વનું સંકટ પેદા થયું છે ત્યારે જ્યાંથી શરૂઆત કરી હતી અને જે ઉદ્દેશ માટે શરૂઆત કરી હતી ત્યાં પાછા ફરીને નવેસરથી શરૂઆત શક્ય છે?

એક વાત તો નક્કી છે કે જો એ એટલું સહેલું હોત તો દરેક રાજકીય પક્ષે લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં પછી તેની શરૂઆત કરી દીધી હોત. બે સમસ્યા છે. જે બિંદુએથી યાત્રા શરૂ કરી હતી એ બિંદુ એના એ સ્વરૂપમાં એની એ જગ્યાએ રહેતું નથી. સમાજ સતત પરિવર્તનશીલ હોય છે. તેના સ્વરૂપમાં અને સ્થાનમાં ફરક પડી ગયો છે એટલે એ જ બિંદુએ અને એ જ જગ્યાએ પાછા ફરવું શક્ય નથી. બીજી સમસ્યા એ છે કે રાજકીય પક્ષનું ચારિત્ર્ય ઘડનાર એક વ્યક્તિ હોઈ શકે છે, પરંતુ તેમાં પરિવર્તન લાવનાર અનેક લોકો હોય છે. જેમકે કૉન્ગ્રેસનું ચારિત્ર્ય મુખ્યત્વે ગાંધીજીએ ઘડ્યું હતું, પરંતુ એ પછી હજારો લોકોએ પોતપોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તનો કર્યા હતાં અને કૉન્ગ્રેસ તેના મૂળ ચરિત્રથી દૂર ધકેલાઈ ગઈ. ચિત્ર દોરનાર ચિત્ર દોરીને આગલી પેઢીના લોકોને આપીને જતો રહ્યો. આગલી પેઢીના લોકોએ પોતાના તાત્કાલિક સ્વાર્થને ધ્યાનમાં રાખીને એ ચિત્ર પર ચિતરામણ કરીને ચિત્ર બગાડી નાખ્યું.

હવે પાછા કેવી રીતે ફરી શકાય અને કોણ પાછા ફરવાની જહેમત ઊઠાવે? એક તપ મહેનત કરો ત્યારે કદાચ પરિણામ મળવાનાં હોય તો મળે. કદાચ, ખાતરી તો નહીં જ અને પાછાં એ ક્યાં આપણને ભોગવવા મળવાનાં છે? જો મૂળ ઉદ્દેશ માટે બહુ મમતા હોય અને દેશના કે સમાજના હિતમાં અંગત સ્વાર્થને બાજુએ રાખીને ઘસાવા તૈયાર હો, પ્રચંડ ધીરજ હોય તો કદાચ ભૂલ્યા ત્યાંથી પાછા ગણવાનો એક પ્રયાસ જરૂર થઈ શકે; પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે બીજા લોકો એ યજ્ઞમાં શા માટે સમિધા થાય? કાલ કોણે જોઈ છે અને કાલ માટે આજનો ભોગ કોણ આપે?

કૉન્ગ્રેસમાં અત્યારે આ મથામણ ચાલી રહી છે. એમ કહેવાય છે કે રાહુલ ગાંધી ભૂલ્યા ત્યાંથી પાછા ગણવાની હિમાયત કરી રહ્યા છે. પક્ષને તળિયેથી બેઠો કરવામાં આવે, સમર્પિત કાર્યકર્તા તૈયાર કરવામાં આવે, તેમની અંદર સર્વસમાવેશક ભારત અંગેની વૈચારિક સફાઈ પેદા કરવામાં આવે, વિચારનિષ્ઠા વિકસાવવામાં આવે, પક્ષની અંદર લોકતંત્ર દાખલ કરવામાં આવે, સંગઠનાત્મક ચૂંટણી યોજવામાં આવે અને એક દિવસ કૉન્ગ્રેસ પક્ષને નેહરુ-ગાંધી પરિવાર પરની નિર્ભરતાથી મુક્ત કરવામાં આવે. એમ કહેવામાં આવે છે કે આવો આગ્રહ તેઓ પક્ષ ધરાશયી થયો એ પછીથી કરી રહ્યા છે એવું નથી, કેન્દ્રમાં ડૉ. મનમોહન સિંહની સરકાર હતી ત્યારથી કરી રહ્યા છે; પણ કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી.

સાંભળે પણ શા માટે? ફાયદો શું? આવનારી પેઢી માટે કોણ ખેતી કરે? હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપિન્દર સિંહ હૂડા આનું પ્રમાણ છે. જે માણસે કહેવાતા કૉન્ગ્રેસ કલ્ચરનો સૌથી વધુ દુરુપયોગ કર્યો અને કૉન્ગ્રેસના કલ્ચરને હજુ વધુ તળિયે લઈ જવામાં ભાગ ભજવ્યો એણે એકપક્ષીય જાહેરાત કરી દીધી છે કે આવતા ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ પક્ષના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેઓ પોતે હશે. આનો શો અર્થ કરશો? કૉન્ગ્રેસ હજુ પણ રાજકીય રીતે વટાવી ખવાય એટલી ક્ષમતા ધરાવે છે એટલે જો કૉન્ગ્રેસનું બેનર મળતું હોય તો ઉત્તમ પણ એ બેનર એટલું શક્તિશાળી પણ નથી કે મારે એ બેનર મેળવવા માટે આજીજી કરવી પડે અથવા પક્ષના નિર્ણયને માનવો પડે. મારું મુખ્ય પ્રધાનપદ માન્ય રાખીને કૉન્ગ્રેસનું બેનર મને આપશો તો હું મારી શક્તિ તેમાં ઉમેરીશ અને જો ન આપવા માગતા હો તો તમે તમારે રસ્તે અને હું મારા રસ્તે એવો આમાંથી સૂર નીકળે છે. કૉન્ગ્રેસમાં આવા લોકો જ બહુમતીમાં છે. ભુપિન્દર સિંહ હૂડા એકલા નથી.

જ્યારે બાપાએ સ્થાપેલી કોર્પોરેટ કંપની તૂટે છે અને દીકરાઓને લાગે કે હવે કંપનીને પાછી ઊભી કરવામાં બહુ મહેનત પડે એમ છે ત્યારે ભાઈઓ પોતે જ એકબીજાને અંધારામાં રાખીને કંપનીને લૂંટવા માંડે છે. ગઈ સદીની જે મોટી મોટી કંપનીઓ આજે આથમી ગઈ છે તેનો ઇતિહાસ તપાસશો તો તેમાં આ જ જોવા મળશે. ભૂલ્યા ત્યાંથી પાછી ગણતરી કોણ માંડે, ભરો ખિસ્સા અને નીકળો બહાર. જ્યાં અંગત સ્વાર્થને બાજુએ મૂકીને બાપનો વારસો ઉગારવા કોઈ તૈયાર થતું નથી તો આ તો રાજકીય પક્ષ છે.

રાહુલ ગાંધીએ ગયા મે મહિનામાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં એ પછી તરત જ પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસના નેતાઓ રાહુલના રાજીનામાં અંગે કોઈ નિર્ણય જ નહોતા લેતા. મુક્ત અને સાર્વગ્રાહી ચર્ચા-વિચારણા સુદ્ધાં કરવામાં નથી આવી. કૉન્ગ્રેસના નેતાઓને એકબીજા પર ભરોસો નથી એ તો ગૌણ વાત છે, પોતાના પર પણ ભરોસો નથી. જ્યારે કોઈ વિકલ્પ હાથ નહીં લાગ્યો ત્યારે સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ બનાવવામાં આવ્યાં અને તેઓ બન્યાં પણ. એમ લાગે છે કે કૉન્ગ્રેસનો મદાર સમય પર છે. એડહોક તો એડહોક સ્વરૂપમાં રિંગમાં ઊભા રહો, નરેન્દ્ર મોદીનો સમય બદલાશે ત્યારે મોકો મળશે અને મોકો નહીં પણ મળે તો આપણી રાજકીય ઇનિંગ પૂરી થઈ જશે. વળી પક્ષ ક્યાં નથી બદલાતો. આમ રાહુલ ગાંધી સાથે મજૂરી કરવા કોઈ તૈયાર નથી અને રાહુલ ગાંધીને તકલાદી રાજકારણ કરવું નથી. જો આ વાત સાચી હોય તો રાહુલને તેમની ઈમાનદારી માટે અભિનંદન આપવા જોઈએ.

અને બીજા રાજકીય પક્ષો? ડાબેરી પક્ષોને છોડીને બાકીના પક્ષો પણ કૉન્ગ્રેસની માફક સમાધાન કરતા કરતા રસ્તો ચૂકી ગયા છે. કેટલાક પક્ષો બાપીકી પેઢીમાં ફેરવાઈ ગયા છે. આવા રાજકીય પક્ષોનું ભવિષ્ય નથી અને તેમાં દેશનું હિત છે.

બીજાની ક્યાં વાત કરો, હજુ સાત વરસ પહેલાં સ્થપાયેલ આમ આદમી પાર્ટીને ભૂલ્યા ત્યાંથી પાછા ગણવાનો ભરોસો નથી. ૨૦૧૧નો એ સામાજિક પડાવ હાથથી નીકળી ગયો છે અને મધ્યમવર્ગની એ નિરાશા નરેન્દ્ર મોદીની તરફેણમાં આશામાં ફેરવાઈ ગઈ છે. રાજકીય પક્ષોમાં મોવડી મંડળના નામે અથવા સર્વોચ્ચ નેતાના નામે જે નેતૃત્વની આપખુદશાહીની સંસ્કૃતિ છે એ કેજરીવાલ અપનાવવા ગયા એમાં પક્ષ રસ્તો ચૂકી ગયો. આપના નેતા અરવિંદ કેજરીવાલનું તાજેતરનું નિવેદન એમ બતાવે છે કે તેમણે હથિયાર હેઠાં મૂકી દીધા છે. દિલ્હીમાં હિંદુ મત ગુમાવવા ન પડે એ માટે તેઓ કેન્દ્ર સરકારની કાશ્મીર નીતિનું સ્વાગત કરી રહ્યા છે. તેમનામાં એટલું કહેવાની પણ હિંમત નથી કે કાશ્મીરનો પ્રશ્ન કેન્દ્ર સરકારે જે રીતે હાથ ધર્યો એમાં લોકતંત્રનું કાસળ કાઢવામાં આવ્યું છે અને કાશ્મીર સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલે સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી દિલ્હી પૂરતો પ્રાદેશિક પક્ષ છે. કેજરીવાલ પણ ભૂલ્યા ત્યાંથી પાછા ગણી શકે એમ નથી ત્યાં બીજાની ક્યાં વાત કરીએ!

બીજા તો બહુ ઊંડા કળણમાં ફસાયેલા છે.

લોકતંત્રને રાજકીય વિકલ્પની જરૂર હોય છે. જો વિકલ્પનો શૂન્યાવકાશ હોય તો સરમુખત્યારશાહી આવે અને જો શાસકો બહુમતી રાષ્ટ્રવાદી હોય તો ફાસીઝમ આવે. પહેલાં કરતાં બીજો ખતરો મોટો છે.

પણ માર્ગ શું? ભારતીય લોકતંત્ર સામે આ એક યક્ષપ્રશ્ન છે.

20 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 22 ઑગસ્ટ 2019

Loading

વાંસલડી ડોટ કોમ, મોરપિચ્છ ડોટ કોમ, ડોટ કોમ વૃંદાવન આખું

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|22 August 2019

હૈયાને દરબાર

બે દિવસ પછી જન્માષ્ટમી છે. કૃષ્ણ પરાણે વ્હાલા લાગે એવા ભગવાન છે, જેમના પ્રેમમાં અનાયાસે પડી જવાય. એમાં ય કવિઓના તો એ પ્રિય ઈશ્વર. ગુજરાતી તથા ભારતની અન્ય ભાષામાં કૃષ્ણગીતો એટલાં બધાં રચાયાં છે કે કયા ગીતની વાત કરવી અને કયું બાજુએ મૂકવું એ દ્વિધા નિવારીને આજે કેટલાંક થોડાંક વધારે ગમી ગયેલાં ગીતો અહીં મૂક્યાં છે. વાંચવા અને સાંભળવાં બન્ને ગમે એવાં આ ગીતો તમને જરૂર ગમશે.

આજનું મુખ્ય ગીત છે વાંસલડી ડોટ કોમ. જેમના નામમાં જ ગિરિધારી સમાયા છે એ કવિ કૃષ્ણ દવે ભગવાન કૃષ્ણનું કેવું મસ્ત ગીત લઈને આવે છે! આધુનિક જમાનાને અનુરૂપ આ ગીત બ્રિટનના સ્વ. ચંદુભાઈ મટ્ટાણીએ સ્વરબદ્ધ કર્યું છે અને ગાયું છે હેમા દેસાઈએ. કાનજીની વિશાળ વેબસાઈટની વાત આધુનિક સંદર્ભમાં હૃદયસ્પર્શી રીતે રજૂ થઈ છે. એ સિવાય કેટલાંક અન્ય કૃષ્ણગીતો અહીં મૂક્યાં છે એ પણ વાંચજો અને સાંભળજો.

———————-

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ …



ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ …

એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ …

• કવિ : કૃષ્ણ દવે   • સ્વરકાર : ચંદુભાઈ મટ્ટાણી   • ગાયિકા : હેમા દેસાઈ

http://tahuko.com/?p=509

Gujarati Poem of Krushna Dave, Vansaladi Dot Com

https://www.youtube.com/watch?v=HA7uNckW7wU
————————-

હરીન્દ્ર દવેના શબ્દો અને પરેશ ભટ્ટનું સ્વરાંકન, એમના જ અવાજમાં જ રજૂ થયેલું ગીત રાધાની લટની લહેરાતી કાળાશે… અમારું ઓલટાઈમ ફેવરિટ ગીત છે. સ્કૂલ-કોલેજના દિવસોમાં સ્પર્ધાઓમાં ગાઈને ઈનામો પણ મેળવ્યાં છે. એ સ્મૃતિઓ તાજી કરવા લ્યો તમે ય અમારી સ્મૃતિમાં સહભાગી થાઓ.

રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો ક્હાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?

એક તો વૃંદાવન કેડી
ને કેડી પર ઊગ્યા કદમ્બ કેરા ઝાડ
હળવો હડસેલો લાગે લહેરીને
સૌરભના અણધાર્યા ઉઘડે કમાડ

સમજું સૈયર તમે ઘરભેગી થાઓ
હવે ભૂલી હું ભાન કેમ શોધું?

ઊડતા વિહંગ કેરા ટહુકા વણાયા હશે
વહેતી હવાની કોઇ લહેરમાં
ગોકુળનો મારગ તો ઢૂંકડો લાગે છે
હવે સમજાવો કેમ જવું ફેરમાં

યમુનાનાં વ્હેણનું તરંગાતું ગાન
એમાં મનગમતી તાન કેમ શોધું

આ ગીતમાં કેવી સરસ વાત કરી છે કવિ હરીન્દ્ર દવેએ. એ જાણે કહે છે કે કૃષ્ણ બહુ દૂર ચાલી નીકળ્યા હોય તો સમજી શકાય, પણ આસપાસ હોય તેને કેવી રીતે ખોળવા? રાધાની લટમાં છુપાયેલા કાનને શોધવા રાધાદૃષ્ટિ જોઈએ.

http://tahuko.com/?p=693

———————–

કવિ અનિલ જોશીની લાજવાબ રચના. પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને ઉષા મંગેશકરનો કંઠ.

નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું

ધખતી બપોરમાં બળતું વેરાન બધે ઊના તે વાયરા ફૂંકાતાં
ભાદરવે તડકાનાં પૂર ચડ્યા એટલાં કે છાંયડાઓ જાય છે તણાતા!

બંધ કરું પોપચાં તો મળે સ્હેજ છાંયડી એટલે વેરાન નહીં છોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું

પીળચટ્ટા ગીતમાંથી ઊડીને પતંગિયાં આવળના ફૂલ થૈ છવાય!
આવળનાં ફૂલ પીળા રંગનાં ખાબોચિયાં એમાં વેરાન પડી ન્હાય!

આવા વેરાનને બાંધતાં દોરીને જેમ વગડાનું ગાન પડે થોડું
નેજવાને પાંદડે પોઢ્યા માધવ તમે એટલે હું પાન નહીં તોડું

https://madhurgeeto.wordpress.com/2018/12/10/૩૨૯/

———————-

કવિ દિલીપ રાવલની કલ્પના આ ગીતમાં સુંદર છે.

બંસીના સૂર તમે છેડો જો કા’ન, મારા કાનોમાં મધનો વરસાદ જો,
એક મનગમતો જન્મે ઉન્માદ જો …

છલક્યાં ને કીધું મેં ગોકુળિયું ગામ, અને મલ્કયાંનું કાલિંદી નામ,
છલકયાં ને મલક્યાંનો સરવાળો કીધો, તો પ્રગટ્યા’તા પોતે ઘનશ્યામ,
પ્રગટીને પનઘટ પર પ્રીતિનો પાડયો’તો કા’ન તમે મીઠેરો સાદ જો …

બંસી જેવા જ તમે પાતળિયા શ્યામ, અને હળવા કે પાંપણનો ભાર,
એક એક હૈયામાં કેવા વસો છો, ને રાખો છો સૌની દરકાર,
કા’ન તણા કામણને બિરદાવું કૈ રીતે, મનમાં જન્મે છે વિવાદ જો …

રાધાની આંખ મહી કા’નાનો પ્રેમ, અને કા’નાની કીકીમાં રાધા,
જ્યાં લગ ઓ શ્યામ તમે જાકારો ના દો ને, ત્યાં લગ છે રહેવાની બાધા,
કા’ન તમે મારું એ અણપ્રગટયું ગીત હવે ગોકુળિયું દેશે રે દાદ જો …

http://tahuko.com/?p=12853

————————

કૃષ્ણપ્રિય કવિ સુરેશ દલાલની કૃતિ, પુરુષોત્તમ ઉપાધ્યાયનું સંગીત અને હંસા દવેનો કંઠ. ગીત ગમતીલું જ હોયને!

તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી,
ને મને સૂતીને સપને જગાડ્યા કરી.

બાંવરી આ આંખ મારી આમતેમ ઘૂમે,
                         ને ઝાંઝરથી લજ્જા વેરાય,
એકલીના મહેલમાં ઓશીકે જોઈ લ્યોને
                         મધુવનમાં વાયુ લહેરાય.

હું તો બાહુના બંધમાં બંધાયા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી ..

નીલરંગી છાંય થઈ તારો આ સૂર મારી
                        યમુનાના વહેણ માંહી દોડે,
જાગીને જોઉં તો જાણું નહીં કે
                        કેમ મોરપીંછ મહેકે અંબોડે.

મને અનહદના રંગમાં ડુબાડ્યા કરી,
તેં તો રાત આખી વાંસળી વગાડ્યા કરી

https://www.youtube.com/watch?v=ENlClhQ-MQo

———————–

કવિ મહેશ શાહની આ રચનામાં વિરહવેદના કેવી પ્રગટી છે સાંભળો!

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહિ આવું,
જમનાનાં વ્હેણમાંથી પાણી લઇ મૂકો કે મુરલીની તાન નહિ લાવું.

જમનાને તીર તમે ઊભા તો એમ જાણે ઊભો કદમ્બનો પ્હાડ,
લીલેરી લાગણીઓ ક્યાં ય ગઇ ઓસરીને રહી ગઇ વેદનાની વાડ,
ફૂલની સુવાસ તણા સોગન લઇ કહી દો કે શમણાંને સાદ નહિ આવું.

આટલી અધીરતા જવામાં છે કેમ જરા એક નજર ગાયો પર નાખો,
આખરી યે વાર કોઇ મટુકીમાં બોળીને આંગળીનું માખણ તો ચાખો,
એકવાર નીરખી લે ગામ પછી કહી દો કે પાંપણને પાન નહિ આવું.

http://tahuko.com/?p=13094

————————

કવિ કનુ સૂચક ‘શીલ’એ રાધા અને ગોપીઓની વ્યથાને એમના ગીતમાં આબાદ ઝીલી છે. મોહન બલસારાએ રાગ તોડીમાં સ્વરબદ્ધ કરેલી આ રચના વારંવાર સાંભળવી ગમે એવી છે.

એકવાર ગોકુળ છોડી ગયા પછી પાછા ન આવ્યાં ઘનશ્યામ,
રાધા સલૂણાં સમજી ગયા ક્હાન છાંડી ગયા છે બાળાભાવ.

ડાળી કદંબની, યમુના કિનારો, સાથીઓ હતાં ગોપ ગાય,
મહીં માખણની ફોડવી મટુકીઓ, બંસીમાં છેડ્યા સૂર સાત,
બાંધ્યો પવન એણે ફાટ ફાટ છાતીમાં, લીધી મથુરાની વાટ.

અંગ અંગ ટેરવાંના સ્પર્શને જે ઝૂરતાં’તા ફૂલોનો લાગતો’તો ભાર,
મોહનમૂરત તેણે સાંભળી’તી વાત જેના દર્શનથી આયખું રળિયાત,
હેતે ગ્રહી એણે હૈયે જ ચાંપી, મળ્યો કુબ્જાને નવો અવતાર.

સંદેશા આવ્યાં કદી ઉદ્ધવને સાથ લઇ પરમની પોકળ વાત,
જાણે અબુધ શું એ ધરણીના કણકણમાં ગૂંજે છે જેનું નામ,
શિરામાં લોહી વહે યુગોથી ગોપીઓનાં, છાંડી ગયા છે જે શ્યામ

———————

જીવનની છેલ્લી ક્ષણોમાં કૃષ્ણને કેવી રીતે અને કેટલી હદે રાધા સાંભરી હશે, એવી આંખ ભીની કરી દેતી મુકેશ જોષીની આ ગઝલ પણ કંઇક એવા જ ભાવ લઇને આવે છે ..  રાધા કે બિના શ્યામ આધા!! અને આખી ગઝલનો હાર્દ હોય એવો છે ગઝલનો મક્તા ..!

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

આ ગઝલનાં સ્વર-સંગીત અનંત વ્યાસનાં છે. જુઓ આ અદ્ભુત ગઝલ!

કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.

ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.

http://gujaratigazal.com/1660/

———————-

કવિ અંકિત ત્રિવેદીની આ આધુનિક કવિતા અને કંઠ આશિત દેસાઈનો.

કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રિંગટોન રાધાનો વાગે,
જન્મોજનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.

મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.

s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું;
મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં વાંસળી વાગે છે એક રાગે.

http://tahuko.com/?p=13261

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 ઑગસ્ટ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=575949

Loading

એક્ટિંગ અને સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્ય કરીને ‘વિજેતા’ બનેલા એક્ટર વિક્ટર બેનરજી

નિલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|22 August 2019

આજે આપણે એક એવા ભારતીય એક્ટર વિશે વાત કરીશું કે જેઓ દેશ-વિદેશના મહાન ડિરેક્ટરની ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે. વિક્ટર બેનરજી નામના એક્ટર અંગ્રેજી, હિન્દી, બંગાળી અને અસામી ભાષાની ફિલ્મોમાં તેમના અભિનયની પ્રતિભા દેખાડી ચૂક્યા છે અને તેઓ જે મહાન ડિરેક્ટરની ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, તેમાં જેમ્સ આઇવરી, સર ડેવિડ લીન, સત્યજીત રાય, મૃણાલ સેન અને શ્યામ બેનેગલનો સમાવેશ થાય છે.

એક જમીનદાર બંગાળી હિન્દુ પરિવારમાં જન્મેલા એક્ટર વિક્ટર બેનરજીએ કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક કર્યા બાદ જાદવપુર યુનિવર્સિટીમાંથી કમ્પેરેટિવ લિટરેચરમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. વિક્ટર બેનરજીએ સૌ પ્રથમ મહાન ભારતીય ફિલ્મમેકર સત્યજીત રાયની એકમાત્ર હિન્દી ફિલ્મ 'શતરંજ કે ખિલાડી'માં અભિનય કર્યો ત્યારબાદ તેઓ બોલિવૂડ ડિરેક્ટર શ્યામ બેનેગલની ફિલ્મ 'કલયુગ' અને 'આરોહણ'માં જોવા મળ્યા. વર્ષ 1982માં રિલીઝ થયેલી ફિલ્મ 'આરોહણ'માં વિક્ટર બેનરજી એક જમીનદારના નકારાત્મક પાત્રમાં જોવા મળ્યા હતા. વિક્ટર બેનરજીને એ સમયે ઈન્ટરનેશનલ ઓળખ પ્રાપ્ત થઈ કે જ્યારે તેમણે હોલિવૂડ ફિલ્મમેકર ડેવિડ લીનની ફિલ્મ 'અ પેસેજ ટૂ ઈન્ડિયા'માં ડૉ અઝીઝ અહેમદનું પાત્ર ભજવ્યું. 'અ પેસેજ ટૂ ઈન્ડિયા' નામની નવલકથા પર આધારિત આ ઐતિહાસિક ફિલ્મને કુલ 11 ઓસ્કર નોમિનેશન્સ પ્રાપ્ત થયા હતા. આ ફિલ્મનું શૂટિંગ ભારતના વિવિધ પ્રદેશોમાં કરવામાં આવ્યું હતું. વિક્ટર બેનરજીએ જે અન્ય બોલિવૂડ ફિલ્મોમાં અભિનય કર્યો તેમાં 'જોગર્સ પાર્ક', 'માય બ્રધર … નિખિલ', 'સરકાર રાજ' જેવી કેટલીક ફિલ્મોનો સમાવેશ થાય છે.

પરંતુ, આજે એક્ટર વિક્ટર બેનરજીની અહીં ચર્ચા કરવી એટલા માટે જરૂરી છે કારણ કે તેમણે ફિલ્મજગત માટે જે વિશિષ્ટ કાર્ય કર્યું છે તે ભાગ્યે જ ફિલ્મજગતની સાથે સંકળાયેલા લોકો કરી શકે છે. વિક્ટર બેનરજી તેમની એક્ટિંગ માટે જેટલા પ્રખ્યાત છે તેટલા જ પ્રખ્યાત તેઓ તેમના સામાજિક કાર્યો માટે પણ છે. તેમણે દેશ-વિદેશની જે કોઈ ફિલ્મમાં કામ કર્યું ત્યાં તેમણે સહકર્મીઓ(સહઅભિનેતા)ના હક માટે અવાજ ઉઠાવ્યો છે. એક્ટિંગના કાર્યને સામાજિક જવાબદારી સમજનાર વિક્ટર બેનરજીએ એક સમયે ફિલ્મોમાં કામ કરતા એક્સ્ટ્રા કલાકારોના હક માટે લાંબી લડત ચલાવી હતી.

સૌથી વધુ બંગાળી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા વિક્ટર બેનરજી જણાવે છે કે પશ્ચિમ બંગાળમાં ગરમીના સમયમાં ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારો પાસે દિવસના 8થી 10 કલાક કામ કરાવવામાં આવતું હતું, તેમના કામના કલાકો નિશ્ચિત નહોતા અને તેઓને બાળકો સાથે ગરમીમાં સતત ઊભા રહેવું પડતું હતું. ગરીબ વિસ્તારોમાંથી આવતા એક્સ્ટ્રા કલાકારોને કોઈ પ્રકારની સુવિધા આપવામાં આવતી નહોતી અને કામના પૈસા આપવાના બદલે એક ટાઈમનું જમવાનું આપીને પરત મોકલવામાં આવતા હતા. વિક્ટર બેનરજીએ આ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો, તેમની સાથે પણ માનવીય વ્યવહાર થાય અને કામ પૂરતું વળતર મળે તે માટે લાંબી લડત ચલાવી. આ એક્સ્ટ્રા કલાકારોને આખા દિવસનું કામ કરે ત્યારે માત્ર પાંચ રૂપિયા મળતા હતા, ત્યારે વિક્ટર બેનરજીએ તેમના હક માટે એક યૂનિયનની રચના કરી અને તેનું નામ આપ્યું સિનિક કો-આર્ટિસ્ટ યુનિયન. ત્યાર બાદ એક્સ્ટ્રા કલાકારોને ન્યાય મળ્યો અને તેમના વળતરમાં પણ વધારો થયો. એક સમયે ફિલ્મના સેટ પર આ ગરીબ એક્સ્ટ્રા કલાકારોની સાથે પશુ જેવું વર્તન કરવામાં આવતું હતું તેમાં પરિવર્તન જોવા મળ્યું અને શોષણમાંથી મુક્તિ મળી.

વિક્ટર બેનરજી એક ઈન્ટરવ્યૂમાં વાત કરતા જણાવે છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ, વિદેશમાં પણ એક્સ્ટ્રા કલાકારોની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે.  ડેવિડ લીનની હોલિવૂડ ફિલ્મ 'અ પેસેજ ટૂ ઈન્ડિયા'ના એક અનુભવની વાત કરતા વિક્ટર બેનરજી જણાવે છે કે મેં ત્યાં ફિલ્મના શૂટિંગ પર જોયું કે સેટ પર એક્સ્ટ્રા કલાકારોને અન્ય કલાકારો કરતાં અલગ પ્રકારનું સાવ સામાન્ય ફૂડ આપવામાં આવતું હતું, કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી આ ભવ્ય હોલિવૂડ ફિલ્મના સેટ પર એક્સ્ટ્રા કલાકારોની સાથે થઈ રહેલા ખરાબ વર્તનને વિક્ટર બેનરજી જોઈ શક્યા નહીં અને તેમના હકમાં અવાજ ઉઠાવ્યો હતો. અહીં વિક્ટર બેનરજીને જીત મળી અને ફિલ્મ 'અ પેસેજ ટૂ ઈન્ડિયા'ના એક્સ્ટ્રા કલાકારોના વળતરમાં પણ વધારો થયો તેમ જ તેઓનું ફૂડ મેનુ પણ બદલવામાં આવ્યું. માત્ર ભારતમાં જ નહીં પણ ઇંગ્લેન્ડની ફિલ્મોમાં પણ વિક્ટર બેનરજીએ એક્સ્ટ્રા કલાકારોના હક માટે અવાજ ઉઠાવ્યો કે જ્યાં તેઓને રંગભેદની નીતિનો અનુભવ થયો હતો.

વિક્ટર બેનરજી એકમાત્ર એવા ભારતીય વ્યક્તિ છે કે જેઓને ત્રણ અલગ-અલગ કેટેગરીમાં નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. વિક્ટર બેનરજીને 'Where No Journeys End' નામની ડોક્યુમેન્ટરી માટે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે. 'The Splendour of Garhwal' અને 'Roopkund' નામની ડોક્યુમેન્ટરી માટે તેઓને ડિરેક્ટર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને સત્યજીત રાયની ફિલ્મ 'ઘરે બાઈરે' માટે તેઓને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં આવેલી બોલિવૂડ ફિલ્મ 'જોગર્સ પાર્ક'માં વિક્ટર બેનરજીના અભિનયની ભારે પ્રશંસા કરવામાં આવી હતી. સુભાષ ઘાઈ લિખિત આ ફિલ્મમાં વિક્ટર બેનરજીએ જસ્ટિસ જ્યોતિન પ્રસાદ ચેટરજીનું પાત્ર ભજવ્યું હતું કે જેઓ જેની (પેરિઝાદ ઝોરાબિયન) નામની મોડલના પ્રેમમાં પડે છે. ફિલ્મ 'જોગર્સ પાર્ક'ને સમય કરતાં આગળની ફિલ્મ ગણાવતા વિવેચકોએ તેની ભારે પ્રશંસા કરી હતી. વિક્ટર બેનરજીએ ભારતના મહાન ફિલ્મમેકર સત્યજીત રાયની બંગાળી શોર્ટ ફિલ્મ 'પીકૂ'માં અને રવીન્દ્રનાથ ટાગોરની નવલકથા આધારિત ફિલ્મ 'ઘરે બાઈરે'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિવાય વિક્ટર બેનરજી ઈન્ટરનેશનલ લેવલે ઈસ્માઈલ મર્ચન્ટ પ્રોડક્શન અને જેમ્સ આઇવરી દિગદર્શિત ફિલ્મ 'Hullabaloo Over Georgie and Bonnie's Pictures’માં પણ એક્ટિંગ કરી ચૂક્યા છે.  

પહાડ અને પ્રકૃતિને પસંદ કરનારા વિક્ટર બેનરજી હિમાચલ પ્રદેશમાં તેમના ઘણાં વર્ષો પસાર કરી ચૂક્યા છે. સાહિત્ય પ્રેમી એવા વિક્ટર બેનરજી અનેક ટૂંકી વાર્તાઓ લખી ચૂક્યા છે અને દેશના વિવિધ ન્યૂઝપેપર્સ તેમ જ મેગેઝિન્સમાં તેમના આર્ટિકલ્સ પ્રકાશિત થયેલા છે. ઉત્તરાખંડને અલગ કરવા માટેની જે ચળવળ ચાલી હતી તેમાં પણ વિક્ટર બેનરજી જોડાયા હતા. વિક્ટર બેનરજી લગભગ 40 વર્ષથી અસમમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે "Moran Blind School" નામની શાળા ચલાવે છે કે જ્યાં ચાના બગીચામાં કામ કરતા કામદારો અને ગામના ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. તેઓ "Bird Watchers Association of Uttarakhand"ના બ્રાન્ડ એન્બેસેડર છે. ફિલ્મ સિવાય સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવનાર એક્ટર વિક્ટર બેનરજી ખરા અર્થમાં વિજેતા છે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...2,7432,7442,7452,746...2,7502,7602,770...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved