Opinion Magazine
Number of visits: 9684423
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘થેંક્યુ ,ખૈયામ સા’બ : તમે મને જેલમાં જતા બચાવ્યો!’

સંજય છેલ|Opinion - Opinion|29 August 2019

વેંચાયેલા લોકો, ના વેંચાયેલા લોકોને દરેક યુગમાં ગાળો આપે છે

મલ્હાર રાગથી કોઇ વરસાદ વરસાવી શકે, દીપક રાગથી દીવા પ્રગટાવી શકે પણ એક ગીતને કારણે કોઇ જેલમાં જતાં બચી શકે? જી હાં, જો એ ગીત 'ખૈયામ'નું હોય તો! 1997નો સમય હતો. મારી લખેલી ફિલ્મ 'રંગીલા' સુપરહિટ થઇ ગયેલી અને નિર્દેશક રામગોપાલવર્મા (રામુ) સાથે હું બીજી ફિલ્મ 'દૌડ' લખી રહ્યો હતો. જો કે 'દૌડ', 'રંગીલા' જેટલી હિટ નહોતી પણ એના મેડ સંવાદો-પાત્રો આજે ય લોકોને યાદ છે! એ 'દૌડ' ફિલ્મનું શૂટીંગ રાજસ્થાનના રણથંભોર જંગલમાં થઇ રહ્યું હતું ને હું ત્યાં પર હાજર હતો. એક દિવસ જંગલની વચ્ચોવચ્ચ ઝરણામાં ઊર્મિલા-સંજય દત્તનું દૃશ્ય ફિલ્માવાઇ રહ્યું હતું. અચાનક બે ત્રણ પોલીસની જીપ અને ફોરેસ્ટ ઓફિસરો આવ્યા અને શુટિંગની પરમિશન અંગે રામુને અને મને પણ પોલિસે હિરાસતમાં લીધો. આગળ પોલીસની જીપ અને પાછળ રામુની કારમાં હું, રામુ અને ફોરેસ્ટ ઓફિસર. થોડીવાર તો અમને ટેંશન થયું પણ પછી મેં કાર સ્ટીરિયો પર 'ઉમરાવ જાન'નાં ગીતો વગાડ્યા. રામુને ઉર્દૂ-હિંદી બહુ આવડે નહીં, એટલે હું ''દિલ ચીઝ ક્યા હૈ, આપ મેરી જાન લીજીયે'' કે પછી ''યે ક્યા જગહ હૈ દોસ્તો ..'' જેવી ગઝલોના શેર રામુને સમજાવી રહ્યો હતો. ગીતોની બંદિશ, એમાં તબલાંની થાપ, આશાજીની મુરકીઓ, સારંગીના શાર્પ ઉપયોગ વિશે હું રામુને કહેવા માંડ્યો. રામુ પણ નિર્માતા તરીકે ઘડી ભર ભૂલી ગયા કે શૂટીંગ અટકવાથી લાખોનું નુકસાન થઇ રહ્યું છે, કલાકારોની તારીખો વેડફાઇ રહી છે, 200 લોકોનું યુનિટ નવરું બેઠું છે! પણ પછી રામુએ ખૈયામના ગીતો અને એ.આર. રહેમાનનાં 'રોજા'નાં ગીતો વચ્ચે સરખામણી શરૂ કરી. મારી ને રામુ વચ્ચે જામી ગઇ.

એ બધામાં 40-50 કિલોમીટરનો રસ્તો કપાઇ ગયો હતો. પેલો ફોરેસ્ટ ઓફિસર અમને બેઉને ચુપચાપ જોઇ રહ્યો હતો. ના તો અમે અમને છોડી દેવા માટે વિનંતિ કરી કે ના તો ફિલ્મના હિરો સંજય દત્તને કહીને એના મિનિસ્ટર પિતા સુનીલ દત્ત દ્વારા, દિલ્લીમાંથી કોઇ પાસે ફોન કરાવ્યો કે ના તો એ ફોરેસ્ટ ઓફિસરને 10-15 હજાર આપીને છૂટી જવાનો પ્રયત્ન કર્યો! આખરે પેલા ફોરેસ્ટ ઓફિસરથી રહેવાયું નહીં ને એણે ડ્રાઇવરને કહ્યું, ‘ઓયે .. ગાડી રોક. મુઝે ઊતરના હૈ.’ મેં પૂછ્યું, ''ક્યા હુઆ, સાબ?’' ત્યારે ફોરેસ્ટ ઓફિસરે ફિક્કું હસીને કહ્યું,''કૈસે પાગલ લોગ હો! તુમ દોનોં કો પુલીસ પકડ કે લે જા રહી હૈ, લાખોં કા નુકસાન હો રહા હૈ ઔર આપ જૈં કિ ઢોલક-તબલે મેં લગે હુએ હો? અબ તુમ કો સઝા ભી ક્યા દેં? સાલે હમ તો ઐસે હી જંગલકી ખાક છાનતે રહેંગે ઝિંદગી ભર, કમ સે કમ આપ લોગ તો મસ્ત રહો અપને પાગલપન મેં. ચલો જાઓ – અપની ફિલ્મ બનાઓ.’’ ફોરેસ્ટ ઓફિસર કારમાંથી ઊતરીને પોલીસ વેનમાં બેસીને જતો રહ્યો. એ દિવસે ખૈયામના 'ઉમરાવ જાન'વાળાં ગીતો જો ના હોત તો ખબર નહીં અજાણ્યાં રાજસ્થાનમાં અમારી સાથે શું થાત! આખી વાતમાં જાદૂ 'ઉમરાવ જાન'નાં સંગીતનો તો છે જ પણ સરકારી નોકરીના રૂટિન-રાગથી કંટાળેલ પેલો દયાળુ ઓફિસર અમારી ઘેલછા જોઇને કેવો હલી ગયો હશે એ વાત મહત્ત્વની છે.

'ઉમરાવ જાન', 'બાઝાર', 'કભી કભી’, 'રઝિયા સુલ્તાન' કે 'નૂરી' જેવી અનેક યાદગાર ફિલ્મોના સંગીતકાર ખૈયામ 92 વર્ષે હમણાં જતા રહ્યાં. થેંક ગોડ કે બીજાઓની જેમ ઉછીની માહિતી પીરસવાની મને પુરસ્કાર વાંચ્છું જરૂરત નથી પણ ખૈયામ વિશે અમુક જાણી-અજાણી વાતો જરૂરર શેર કરવી છે. શંકર-જયકિશન, લક્ષ્મી પ્યારે, કલ્યાણજી આંણંદજી, ઓ.પી. નૈયર, આર.ડી. બર્મનથી લઇને બપ્પી લહરીના જમાના સુધી ખૈયામ પોતાના મખમલી મુલાયમ સંગીત સાથે ટકી ગયા કારણ કે તેઓ બીજા વિશ્વયુદ્ધમાં સૈનિક તરીકે લડેલા અને એ લડાકૂ લોહી જ એમને બોલિવુડમાં લડવાની શક્તિ આપતું.

કિતાબો મેં છપતે હૈં ચાહત કે કિસ્સે
હકીકત કી દુનિયા મેં ચાહત નહીં હૈ

                                 (સાહિર – ખૈયામ)

ખૈયામે, 1980-83માં 'ઉમરાવજાન' અને 'બાઝાર' જેવી ફિલ્મોમાં શુદ્ધ ગઝલો આપીને હિટ કરાવી (1980-84 સુધી સળંગ ફિલ્મફેર એવોર્ડ જીત્યા) એ ખરેખર સિદ્ધિ જ કહેવાય કારણ કે 80ના દાયકામાં 'રંભા હો – સંભા હો' ટાઇપનાં ડિસ્કો-ગીતો છવાયેલાં હતાં. બોક્સિંગ રિંગમાં કોઇ મોરપિચ્છ લઈને જીતી જાય એવી અદ્ભુત વાત હતી. એનું કારણ? ખૈયામની કવિતાની ઊંડી સમજ. 50ના દાયકામાં સાહિર નામનો નવો શાયર આવ્યો હતો અને એનો પહેલો સંગ્રહ 'તલ્ખિયાં' લોકપ્રિય થયેલો પણ ''ઉર્દૂ મેં આ ગઇ હૈ 'પસ્તીયાં' બહુત, કહતેં હૈ કિ ચલતી હૈ કિતાબ 'તલ્ખિયાં બહુત'.'' જેવા જોડકણાં બનાવીને વિદ્વાનો સાહિરની મજાક કરતાં. (હા,ત્યારે પણ વાતે વાતે બાઝણાં કરીને કેરીઅર બનાવનારા સ્મોલ ટાઉન વાંકદેખાઓ ઓછા નહોતાં!)

એક દિવસ કૈફી આઝમીના ઘરે સાહિર સામે ખૈયામે 'તલ્ખિયાં'માંથી ''કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ'' અને ''મૈં પલ દો પલ કા શાયર હૂં'' જેવી રચના ગાઈ સંભળાવી ત્યારે સાહિરે ખૈયામને કહ્યું, “લગતા હૈ કિ યે નઝમ મૈંને નહીં આપને હી લિખી હૈ!’' પછી તો સાહિર અને ખૈયામે અનેક ફિલ્મો કરી. આઝાદી બાદ દેશ, બેકારી અને નિરાશાના દૌરમાં હતો, ત્યારે 'ફિર સુબ્હ હોગી' નામની ફિલ્મ માટે હિરો રાજકપૂરે શરત મૂકી કે ફિલ્મનું સંગીત એ જ આપી શકે જેણે દોસ્તોવસ્કીની નવલકથા 'વોર એંડ પીસ' વાંચી હોય! ખૈયામે વાંચી હતી અને ખૈયામને ચાન્સ મળ્યો. એ જમાનામાં 'સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા' લોકપ્રિય હતું પણ લેપ્ટિસ્ટ વિદ્રોહી કવિ સાહિરે 'સારે જહાં સે અચ્છા'નું પ્રતિકાવ્ય ''ચીનો અરબ હમારા, હિંદોસ્તા હમારા, રહને કો ઘર નહીં હૈ સારા જહાં હમારા'' લખ્યું અને ખૈયામે ધૂન બનાવી. પછી સેંસર ર્બોડને અને નિર્માતાઓને પણ લાગ્યું કે ગીત બહુ નિરાશાજનક છે અને માટે બે પોઝિટીવ લાઈનો પણ ઉમેરાવી. એ જ ફિલ્મમાં 'વો સુબ્હ કભી તો આયેગી' ગીતમાં ઉદ્દાત, લિબરલ હિંદુસ્તાનનો અદ્ભુત આશાવાદ છે જે આજે તો હવે અતિ અસંભવ ભાસે છે.

પછી 1975ની આસપાસ કવિ સાહિરની કેરિયર ઢળાણ પર હતી, ત્યારે એમણે યશ ચોપરાને 'કભી કભી' જેવી રોમેંટિક ફિલ્મ માટે ખૈયામનું નામ સૂચવ્યું. સૌએ ના પાડી કે ખૈયામનું મ્યુઝિક હિટ થાય છે, પણ ફિલ્મો ચાલતી નથી! પણ યશજી એ વ્હેમમાં ના પડ્યા અને 'કભી કભી' ગોલ્ડન જ્યુબિલી હીટ થઈ! 'કભી કભી' ગીત સાંભળીને અમિતાભ, જૂહુના બંગલેથી ચાલીને અડધી રાત્રે ખૈયામને ભેટવા ગયેલા એ કિસ્સો પણ ફિલ્મ જગતમાં મશહૂર છે!

ખૈયામ અનોખા સંગીતકાર તો હતા, માણસ પણ એટલા જ સંવેદનશીલ. પોતે મુસ્લિમ, પત્ની શીખ ગાયિકા જગજીતકૌર અને દીકરાનું નામ રાખ્યું પ્રદીપ ! પ્રદીપે સમજણા થતા પૂછ્યું, ''હું હિંદુ ધર્મ પાળું?’' ખૈયામે તરત જ હા પાડી. પ્રદીપ ક્રિસમસને દિવસે જન્મેલો, માટે ખૈયામના ઘરના મંદિરમાં ગુરુબાની, ગીતા, કુરાન સાથે બાઇબલ પણ રાખવામાં આવ્યું – જ્યાં રોજ બે વખતની આરતી થતી અને રાત્રે બાઇબલને ચૂમવામાં આવતું! પછી એ પ્રદીપ ખૈયામ 2012માં નાની વયે ગુજરી ગયો … અને ખૈયામે આખી જિંદગીની બચત રૂ.10 કરોડ, નવા કલાકારો અને ટેક્નીશિયનો માટે 'ખૈયામ જગજીત કૌર ટ્રસ્ટ' બનાવીને સમાજને આપી દીધી. થેંક ગોડ, દેશપ્રેમની ઠાલી વાતો ઓકનારાં, ચવન્ની છાપ લોકો વચ્ચે પણ એકાદ ''ખૈયામ'' ભૂલથી આવી જાય છે!

એંડ ટાઇટલ્સ:

આદમ : સા..રે.ગ..

ઇવ : બ,સ,ક,ર

https://www.facebook.com/sanjay.chhel/posts/10156268906546034  

Loading

મચ્છરજન્ય રોગચાળા માટે જનતા જવાબદાર કે સરકારી તંત્રો ?

મનીષી જાની|Opinion - Opinion|28 August 2019

20 ઓગસ્ટ, વિશ્વ મચ્છર દિવસ હતો. એ દિવસે જ ગુજરાત હાઇકોર્ટમાં કોઈ સચિન્ત નાગરિકે જાહેર હિતની અરજી દાખલ કરી દાદ માંગી કે ગુજરાત સરકાર મચ્છરજન્ય રોગગ્રસ્ત દર્દીઓના આંકડા સરકાર છૂપાવે છે. સાચા આંકડા તે જાહેર કરે. હાઈકોર્ટે નોટિસ કાઢી સરકાર પાસે જવાબ માંગ્યો છે.

અને આ જ દિવસે રાજ્યના આરોગ્યમંત્રીએ અધિકારીઓને ધમકાવ્યા છે કે જે વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો જોવા મળશે તે વિસ્તારના જવાબદાર અધિકારીની ખેર નથી.

સાથે સાથે અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને કમિશનર બન્નેએ કહ્યું કે અમે અમારા ઘરની એક કલાક જાતે સફાઈ કરી મચ્છર પેદા કરતી જગાઓનો નાશ કરવાનાં છીએ ને લોકોને અપીલ કરી કે સૌ કોઈ પોતાનાં ઘર સાફ કરે, ઘરમાં જ ડેન્ગ્યુના મચ્છર પેદા થાય છે. અને છાપાંઓમાં ને ટીવી ચેનલો પર રોગચાળો અટકાવવા લોકોએ શું કરવાનું છે તેની જાહેરખબરો પણ અપાઈ ગઈ ..!

જનતાને જાહેરખબરોથી પાણીજન્ય ને મચ્છરજન્ય રોગો વિશે જાગૃત કરવા જરૂરી છે, પરંતુ સવાલ એ થાય છે કે કોઈ પણ રોગચાળો ફાટી નીકળે જેમ કે ટાઈફોઈડ, કમળો, સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા ને મેલેરિયા ત્યારે લોકોએ શું કરવું અને શું ન કરવું એની જાહેરાતો મોટા પાયે સરકારી તંત્રો કરે છે અને સરકાર પોતે શું કરી રહી છે, કેવાં પગલાં કેટલા વખતથી લેવાઈ રહ્યાં છે, કેટલો વધુ સ્ટાફ કે વિશેષ નાણાં આ અંગે ફાળવ્યા છે કે આ રોગ વિશે બેદરકારી દાખવનાર અધિકારીઓ, સ્ટાફને શી સજા કરાઈ તેની વાત નથી કરવામાં આવતી.

વળી હાસ્યાસ્પદ વાત એ હોય છે કે બધા પાણીજન્ય ને મચ્છરજન્ય રોગો વિશેની માહિતી ને જાગૃતિની વાત જ્યારે રોગચાળો વકરી ગયો હોય, બેફામ બની ગયો હોય, લોકોમાં હાહાકાર મચ્યો હોય ત્યારે જ કરવામાં આવે છે. બાકી આગોતરી જાણકારી, જાહેરાતો કે સરકારી તંત્રોને જગાડવામાં આપણે હંમેશાં ઊણાં ઊતરતાં રહ્યાં છીએ એવું દર વર્ષે વધુને વધુ લાગી રહ્યું છે.

મચ્છર કરડવાથી થતો મેલેરિયા કે જેને આપણે ટાઢિયો તાવ કહીએ છીએ તે દુનિયાના ગરીબ દેશોમાં જ છે. આફ્રિકા અને એશિયાના દેશોમાં ખાસ જોવા મળતાં આ મચ્છરજન્ય રોગના દર વર્ષે કરોડો લોકો શિકાર બને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા મુજબ 2017માં દુનિયાભરમાં 21.9 કરોડ કેસ મેલેરિયાના નોંધાયા હતા. જેમાંથી 4.35 લાખ લોકો, આ સાવ સામાન્ય સારવારથી મટી જાય એવો રોગ હોવા છતાં મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા !

અને આ જ 2017માં દુનિયાભરમાં ડેન્ગ્યુના 1,88,401 કેસ નોંધાયા હતા.

હમણાં આપણા ગુજરાતમાં અને દેશના કેટલાક રાજ્યોમાં ડેન્ગ્યુને લઈ સરકારી તંત્રો દર વર્ષની જેમ છેલ્લી ઘડીએ જાગીને હાંફળા ફાંફળા થઈ દોડાદોડ કરતાં હોય એવા રિપોર્ટ મીડિયામાં જોવા મળે છે. જો કે કેટલું કામ ખરેખર આ બાબતે થઈ રહ્યું છે એ તો પ્રશ્નાર્થ રહે જ છે.

આપણા ગુજરાતમાં 2019ના આરંભથી માંડી 20 ઓગસ્ટ સુધીમાં કુલ 1,100 કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. જેમાં આ ઓગસ્ટ મહિનાના 20 દિવસમાં જ 387 કેસ એટલે કે કુલ ડેન્ગ્યુના કેસોમાં સીધો જ 35%નો વધારો !

અને 20 ઓગસ્ટ એટલે કે વિશ્વ મચ્છર દિવસ ! શું એટલે જ વધુ મચ્છરો પેદા થવા માંડ્યા હશે ?કે પછી સરકારી તંત્રો ની નિષ્ઠુર બેદરકારી ?

ડેન્ગ્યુનાં મચ્છરનો લાર્વા લાંબા સમય સુધી પડી રહેતાં ચોખ્ખા પાણીમાં પેદા થાય છે અને તેને લઈ જાણે કે ઊભરાતી ગટરો કે વરસાદી પાણીને પ્રદૂષિત પાણીથી ખદબદતાં તળાવો-ખાબોચિયાં અન્ય પ્રકારના મચ્છરો માટે ય જવાબદાર ન હોય એમ માનીને લોકોનાં ઘરમાં જ ડેન્ગ્યુના મચ્છરો પેદા થાય છે, એવી હવા એક યા બીજી રીતે ઊભી કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા થતો રહે છે.

ખરેખર તો અમદાવાદ ને રાજકોટ જેવાં મોટાં શહેરોમાં ડોક્ટરોનાં જે નીરિક્ષણો છે તે મુજબ તો જ્યાં જ્યાં મોટા પાયે કન્સ્ટ્રક્શન કામો ચાલી રહ્યાં હોય છે, મોટા શૈક્ષણિક કે વ્યાવસાયિક સંકુલો છે તેની આસપાસના વિસ્તારોમાંથી નોંધપાત્ર રીતે ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે.

સરકારી પ્રચારમાં તો સતત કહેવાતું રહ્યું છે કે ઘરમાં રહેલી ફૂલદાનીઓ, એર કૂલર, ઉઘાડાં પાણી ભરેલાં વાસણો, ખૂલ્લી પાણીની ટાંકીઓને લઈને મચ્છરો પેદા થાય છે.

સવાલ એ થાય છે કે ફૂલદાનીઓ શહેરના કેટલા અને ક્યા વર્ગના લોકોના ઘરમાં હશે ? આંગણામાં તુલસીક્યારો જરૂર હશે પણ ફૂલદાની રાખવાની વાત તો કોર્પોરેટ કંપનીઓ, સરકારી ઉચ્ચ અધિકારીઓની કેબીનો કે ઉચ્ચ રાજકીય હોદ્દેદારોની ઓફિસોમાં જ મહદ્દ અંશે જોવા મળે. ઉનાળા પછી કૂકરમાં પાણી ભરાઈ રહેવાની સંભાવના જૂજ માત્રામાં જરૂર હોઈ શકે.

રોજના વપરાશનું પાણી જ જ્યાં માંડ માંડ મળતું હોય ત્યાં તેને દિવસો લગી ભરી રાખવાની વાત શક્ય નથી અને આપણા સમાજમાં તો પાણીની ચોખ્ખાઈ વિશે એવા ભ્રમ, ખોટા ખ્યાલો પ્રવર્તે છે કે રોજેરોજ માટલાનું પાણી અને રસોઈનું પાણી બીજા દિવસે સવારે 'પાણી વાસી થઈ ગયું' એવી માન્યતા સાથે ઢોળી દેવાય છે અને ‘નવું – તાજુ પાણી' ભરાય છે. લોકોને એ ખ્યાલ નથી હોતો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાંકીઓનું કે ભૂગર્ભ જળ કેટલું જૂનું હોય છે …!

પોતાના ઘરમાં રોજ કચરા-પોતું કરવું એ મધ્યમવર્ગ ને ગરીબ, બધાંયમાં ચલણ છે જ. અલબત્ત, આપણે, સૌ કોઈ લોકો, માત્ર ને માત્ર પોતાના ઘરને આંગણાના પગથિયાં સુધી જ સ્વચ્છતા રાખવામાં માનીએ છીએ ! ઘરનો કચરો ઘરની બહાર ચાર-પાંચ દિવસ પડી રહે યા પડોશીનાં આંગણામાં પડ્યો રહે તેની ચિંતા આપણે નથી કરતા એ ય કડવી હકીકત છે.

સ્વચ્છતા બાબતે પોતાના પરિવારને સાચવીને ચાલનારા અને એ ય કચરા – પોતાં કરવા એ સ્ત્રીઓની જ જવાબદારી છે એવું માનનારા આપણે લોકો, ખાસ કરીને પુરુષો કેટલા બધા બેદરકાર છે તે જોવું હોય તો શહેરના નાનાં – મોટાં કોમર્શિયલ સેન્ટરોમાં આવેલી દુકાનો, ઓફિસો જોવા જેવી છે. બહુમાળી મકાનોના પેસેજ માં, સીડી-પગથિયાંઓ પર જે કચરો-ગંદવાડ જોઈએ તો ત્યાં જાણે કે કોઈની જવાબદારી ના બનતી હોય એવું લાગે.

એવી જ દશા મોટા મસ કોમર્શિયલ સેન્ટરના ભોંયરાઓમાં આવેલી વાહન પાર્કિંગની જગ્યાઓની.

અમદાવાદનાં સેટેલાઈટ રોડ પર આવેલા એક સાત માળના વિશાળકાય કોમ્પલેક્ષમાં આવેલા થિયેટરમાં હમણાં ફિલ્મ જોવા ગયો. વાહન પાર્કિંગ ભોંયરામાં હતું. ત્યાં પાણીનાં ખાબોચિયાં ભરેલાં હતાં અને ભેજથી ગંધાતા અંધારા ભોંયરામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ લાગે એવું હતું !

આવી જગ્યાઓએ મચ્છરો પેદા ન થાય એ જોવાની અને તપાસવાની જવાબદારી કોની ?

એ જ રીતે જ્યાં જ્યાં મોટા યા નાના પાયે મકાન કન્સ્ટ્રક્શનનાં કામો ચાલી રહ્યાં છે ત્યાં વરસાદમાં ક્યાંક ને ક્યાંક પાણી દિવસો લગી ભરાઈ રહેવાની શક્યતાઓ રહે છે. બીજું મોટી મોટી જાહેર સંસ્થાઓ જ્યાં મોટાભાગે અનેક મકાનો અને ખૂલ્લી જગાઓ હોય છે ત્યાં રોજેરોજ સફાઈ પૂરી થવાની સંભાવનાઓ ઓછી હોય છે અને સૌથી વધારે તો રસ્તાઓ પર પડતાં ભૂવા-ખાડાઓને ખોદકામને લીધે દિવસો લગી પાણીનાં ખાબોચિયાં ભરાયેલાં રહે છે.

આ બધું જોતાં એક સામાન્ય નાગરિક જે મચ્છર કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યુનો દરદી જરૂર બની જાય છે પણ તેને એનાં માટે કેટલો જવાબદાર ઠેરવવો ?

અને ખાસ નોંધપાત્ર વાત એ છે કે જ્યાં મોટા પ્રમાણમાં મેલેરિયાનો રોગચાળો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય છે તેમાં ડેમ સાઈટ, કેનાલોની પણ ભૂમિકા મોટી છે. વર્ષો પૂર્વે ખેડા જિલ્લામાં ઝેરી મેલેરિયાએ હાહાકાર મચાવેલો, મોટા પ્રમાણમાં લોકોનાં મોત થયેલાં તે અંગે ઘણાં આંતરરાષ્ટ્રીય સંશોધનો થયેલાં. મહી-કડાણા પ્રોજેક્ટનો મેલેરિયા માટે ઉલ્લેખ થયેલો .. આ બધી બાબતે મેલેરિયાનો ભોગ બનતા દરદીઓનો વાંક કેટલો ?

ડેમ ને ગાબડાં પડતી કેનાલોને લઈ થતાં મચ્છરોને અંકુશમાં લેવાની જવાબદારી કોની ?

મચ્છર કરડવાથી મેલેરિયા કે ડેન્ગ્યુ થાય અને દિવસો લગી ઘરમાં કે હોસ્પિટલના ખાટલે પડી રહેવું પડે છે. નોકરી-ધંધા-મજૂરી બંધ અને ઉપરથી હોસ્પિટલો, દવાઓ અને સાથે રહેનાર પરિવારજનોના વાહનભાડાને ભોજનના ખર્ચ !

સુરતની હોસ્પિટલોમાં ડેન્ગ્યુના દરદીઓ પાછળ થતાં ખર્ચ વિશેનો એક અભ્યાસ દર્શાવે છે કે ડેન્ગ્યુ નો એક દરદી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે તે બેથી ચાર દિવસ હોસ્પિટલમાં સારવાર લે છે તે 20થી ત્રીસ હજાર રૂપિયાના ખાડામાં ઊતરી જાય છે !

સરકારી હોસ્પિટલો કરતાં લગભગ 25-30 ગણો વધારે ખર્ચો ! અને સરકારી હોસ્પિટલોમાં દર વર્ષે આ ડેન્ગ્યુ-સ્વાઈન ફ્લુ જેવા રોગચાળાને લઈ ખાસ વોર્ડ ઊભા પડે છે ને અને તે માટે મોટા ખર્ચા કરવા પડે છે એનો ય હિસાબ ગણીએ તો જાહેર આરોગ્યની આગોતરી વ્યવસ્થાઓ કરતાં ખૂબ મોટો ખર્ચો ગણવો જ રહ્યો.

અહીં લોકો પોતે જાગૃત નથી એવી વાત પૂરેપૂરી સ્વીકારી શકાય એમ નથી જ કારણ કે છેવટે તો એમને જ ભોગવવાનું રહે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ વર્ષના અત્યાર સુધીની ફરિયાદોના આંકડા તપાસીએ તો મુખ્ય રસ્તાઓ પરની ઉભરાતી કે જામ થઈ ગયેલી ગટરો માટે લોકોએ કુલ 50,563 ફરિયાદો કરી . વારંવાર ગટરો ઉભરાઈ જવા અંગે 15,435 ફરિયાદો લોકો એ કરી. મેલેરિયા નિયંત્રણ માટેનું દવા છાંટવાનું કે ધૂમાડા છાંટવાનું કામ બરાબર થતું નથી તે અંગે લોકોએ આ આઠ મહિનામાં 10,929 ફરિયાદો જનતાએ નોંધાવી !

જો લોકો આટલી હજારોની સંખ્યામાં ફરિયાદ નોંધાવતા હોય તો પછી મચ્છરોને નાથવામાં ઊણાં કોણ ઊતરે છે ?

એક આંતરરાષ્ટ્રીય અભ્યાસ પ્રમાણે આપણા દેશમાં મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગચાળા ડામવા માટે ખર્ચો વધવો જોઈએ તેને બદલે દિવસે દિવસે ખર્ચો ઘટતો નજરે પડે છે.

શહેરોની જાહેર જગાઓ પર મચ્છરો શોધવા માટેની મોટી ટીમો બનાવી યુદ્ધના ધોરણે કામ કરવું એ મ્યુનિસિપલ તંત્રો માટે સહેજ પણ અઘરું નથી જ. એક બાજુ લાખો બેકાર યુવાનોની ફોજ છે જેને રોજી જોઈએ છે. બીજી તરફ સરકાર મચ્છરો મારવાનાં ફોગ મશીનો ચલાવવા માટે ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી દે છે. કોન્ટ્રાકટરો ઓછા કર્મચારી-કામદારો રાખી અને મચ્છર મારવા માટેનાં પ્રવાહી ઓછામાં ઓછું વપરાય એ ફિરાકમાં જ સતત રહેતા હોય છે ત્યારે લોકોના જ ટેક્ષનાં પૈસા ખર્ચાયા છતાં લોકોને ડેન્ગ્યુ કે મેલેરિયાથી પીડાવું પડે એને કેવી કરુણતા ગણવી રહી ?

હમણાં જ પંજાબના મોહાલીમાં એક 23 વર્ષની યુવતી ડેન્ગ્યુથી મૃત્યુ પામી. તેના ઘરની પાસે જ જ્યાં કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું ત્યાં ડેન્ગ્યુના મચ્છરો પેદા થયાં હતાં તેવું તપાસ કરતાં જાણવા મળ્યું એટલે આ ડેન્ગ્યુથી મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનો એ આ બધી જ સાબિતીઓ ભેગી કરીને ગયા મહિને જ કોન્ટ્રાક્ટર-બિલ્ડર પર કાનૂની પગલાં લેવાય તે માટે સ્થાનિક કોર્ટમાં ફરિયાદ કરી છે.

આવાં પગલાંઓની જાગૃતિથી જ આપણા ભ્રષ્ટ સરકારી તંત્રોમાં બેસી મચ્છરોથી પણ વધુ જનતાનું લોહી પીતાં અધિકારીઓ ને સ્થાનિક રાજકીય નેતાઓને સીધા દોર કરી શકાશે એટલી વાત નિશ્ચિત ગણવી રહી.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 28 ઓગસ્ટ 2019

Loading

તો પંગું બનશે માહિતી અધિકાર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|28 August 2019

સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ ૧૯ (ફ્રીડમ ઓફ સ્પીચ) અને ૨૧(પ્રોટેક્શન ઓફ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી)ને સાંકળીને માહિતીના અધિકારને મૂળભૂત અધિકાર ગણ્યો છે. ભારતના સંવિધાને તો નાગરિકને મૂળભૂત અધિકારો આપ્યા પણ વહીવટીતંત્રની લાલફીતાશાહી લોકોને સામાન્ય માહિતી પણ આપતી નહોતી. તેના કારણે જ માહિતી અધિકારનું સશક્ત આંદોલન ઊભું થયું. લાંબા સંઘર્ષ પછી ૨૦૦૫માં માહિતી અધિકારનો કેન્દ્રીય કાયદો મળ્યો. આ આંદોલનના એક અગ્રણી અને પૂર્વ સનદી અધિકારી અરુણા રોય માહિતીના અધિકારને ‘જીવવાનો અને જાણવાનો હક’ ગણાવે છે.

બીજી આઝાદી કે લોકશાહીને સાર્થક કરતા કદમ તરીકે બિરદાવાતો આ કાયદો દક્ષિણ એશિયાના દેશોના આવા કાયદામાં સૌથી બહેતર મનાય છે. તો પારર્દિશતાના મુદ્દે તે દુનિયાનો સૌથી સારો કાયદો ગણાય છે. આજે આ કાયદાના નબળા અમલ છતાં દરેક રાજકીય પક્ષ અને સરકાર તેનાથી ડરે છે. આ કાયદો ઘડવાનું ઉચિત શ્રેય લેનાર કૉન્ગ્રેસ અને યુ.પી.એ.ના સાથી પક્ષોએ ૨૦૦૬માં ફાઈલ નોટિંગને કાયદાના દાયરામાંથી બહાર કાઢવા અને ૨૦૦૯માં માહિતી અધિકાર અરજીની ગંભીરતા નક્કી કરવા તથા કાયદાની સમીક્ષા કરવા મૂળ કાયદામાં સુધારા કરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેમાં સફળ થયા નહોતા. વિક્રમી સંસદીય કાર્યવાહીના ગણાતા સંસદના છેલ્લા સત્રમાં હાલની સરકારે માહિતી અધિકાર કાનૂન ૨૦૦૫માં સંશોધન કરતું બિલ પસાર કર્યું છે. તેના કારણે આ કાયદો નબળો પડવાની દહેશત ઊભી થઈ છે.

દેશ અને દુનિયામાં માહિતીનો અધિકાર દીર્ઘ ઇતિહાસ ધરાવે છે. ઈ.સ. ૧૭૬૬માં સ્વિડને પ્રથમવાર માહિતી અધિકારનો કાયદો ઘડયો હતો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, નેપાળ, શ્રીલંકા અને ક્વીન્સલેન્ડ સહિતના ૧૦૦ કરતાં વધુ દેશોએ તેના નાગરિકોને માહિતીનો અધિકાર આપેલો છે. ભારતમાં પહેલી પ્રેસ પરિષદે, ૧૯૫૨માં, વહીવટમાં પારદર્શિતાનું સૂચન કર્યું હતું. ૧૯૭૭માં કટોકટી પછી સત્તામાં આવેલા જનતા પક્ષે માહિતી અધિકારના કાયદાનું વચન આપ્યું હતું. પણ તેના અસ્થિર અને ટૂંકા કાર્યકાળમાં તે વચન નિભાવી શક્યો નહીં. માહિતી અધિકારના સૌથી નિષ્ઠાવાન પ્રયત્નો ૧૯૮૯માં વી.પી. સિંઘના સત્તાકાળમાં થયા હતા. ૨૦૦૫નો માહિતી અધિકારનો કેન્દ્રનો કાયદો આવ્યો તે પૂર્વે તમિલનાડુ, ગોવા, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, મહારાષ્ટ્ર, અસમ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કશ્મીર એ નવ રાજ્યોમાં માહિતી અધિકારના કાયદા કે નિયમો અમલમાં હતા.

વહીવટી પારદર્શિતા અને ખુલ્લાપણાનો લોકોને અહેસાસ થાય તે માટે ૧૨ ઓક્ટોબર, ૨૦૦૫થી અમલી બનેલા માહિતી અધિકારના કાયદાનો ઉદ્દેશ, ‘સરકારી તંત્રની કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાનો છે.’ આ કાયદાનો ‘ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખવાનો, સરકારોનું કાર્યક્ષમ સંચાલન થાય છે કે નહીં તે જોવાનો અને સરકાર તથા પ્રજા વચ્ચે માહિતીની આપલે કરી સંવાદિતા સાધવાનો’ પણ હેતુ છે. આર.ટી.આઈ. એક્ટ હેઠળ કોઈ પણ માહિતી ૩૦ દિવસમાં અને જીવન કે સ્વતંત્રતા સાથે જોડાયેલી માહિતી ૪૮ કલાકમાં જ આપી દેવાની જોગવાઈ છે, પરંતુ માહિતી અધિકાર હેઠળ માંગેલી માહિતી આપવામાં સરકારી તંત્રની વરસો જૂની રગશિયા ગાડાની કે ઠાગાઠૈયાની નીતિનો સર્વત્ર અનુભવ છે. માહિતી ન આપવી, અધૂરી, અસ્પષ્ટ અને ભળતીસળતી માહિતી આપવાની વ્યાપક ફરિયાદો છે. માહિતી અધિકારની અરજી તબદીલ કરીને કાયદાની છટકબારીનો પણ અધિકારીઓ વ્યાપક ઉપયોગ કરે છે. તેને કારણે બિનજરૂરી વિલંબ થાય છે. વળી સમયમર્યાદામાં માહિતી મળતી નથી. જો માહિતી ન મળે, મળેલ માહિતીથી અરજદારને સંતોષ ન થાય તો કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગોમાં અપીલ કરવાની કાયદામાં જોગવાઈ છે. તેને કારણે કાયદાનો યોગ્ય અમલ ન કરનારને દંડરૂપી સજા થાય છે.

૨૦૦૫ના માહિતી અધિકાર કાયદાની કલમ ૧૩ અને ૧૬માં સુધારો કરતું બિલ તાજેતરમાં સંસદનાં બંને ગૃહોએ પસાર કર્યું છે. કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગો સ્વતંત્ર અને સ્વાયત્ત હોય તે માટે ૨૦૦૫માં કાયદાના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર સર્વપક્ષીય સંસદીય સ્થાયી સમિતિએ કેટલીક જોગવાઈઓની ભલામણ કરી હતી. કાયદાની કલમ ૧૩ અને ૧૬ મુજબ કેન્દ્રના મુખ્ય માહિતી કમિશનરના વેતન-ભથ્થાં સર્વોચ્ચ અદાલતના જજ અને રાજ્યના મુખ્ય માહિતી કમિશનરનાં વેતન ચૂંટણી કમિશનર કે મુખ્ય સચિવ સમકક્ષ તથા અન્યના પગાર ભથ્થા ચૂંટણીપંચના સભ્ય જેટલાં નક્કી કર્યાં હતાં. તેમનો કાર્યકાળ ૫ વરસ અને વધુમાં વધુ ૬૫ વરસની ઉંમરનો રાખ્યો હતો. મોટે ભાગે સરકારના માનીતા નિવૃત્ત અધિકારીઓની જ નિમણૂકો કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગોમાં થતી હતી. તેમ છતાં સરકારે કલમ ૧૩ અને ૧૬માં સુધારો કરીને કેન્દ્ર અને રાજ્યોના માહિતી આયોગોની નિમણૂક તેમનો કાર્યકાળ, વેતન-ભથ્થા અને સેવાની શરતો હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે તેવી જોગવાઈ કરી છે.

માહિતી અધિકારના કાયદામાં સુધારા સંદર્ભે સરકારની દલીલ છે કે ચૂંટણીપંચ બંધારણીય સંસ્થા છે જ્યારે માહિતી આયોગ કાયદાકીય સંસ્થા છે ત્યારે માહિતી કમિશનરોનાં વેતન-ભથ્થાં ચૂંટણીપંચના સભ્યો સમકક્ષ કઈ રીતે હોઈ શકે ? એ જ રીતે માહિતી કમિશનરોના આદેશોને જો અદાલતોમાં પડકારી શકાતા હોય તો તેમનાં વેતન અદાલતોના જજની સમકક્ષ પણ ન રાખી શકાય. પહેલી નજરે સરકારની આ દલીલ કોઈને પણ સ્વીકાર્ય લાગે તેવી છે. પણ અત્યાર સુધી રાજ્યોના માહિતી આયોગના સભ્ય અને મુખ્ય માહિતી કમિશનરનાં વેતન અને સેવા શરતો રાજ્ય સરકારો નક્કી કરતી હતી. તેના પર કેન્દ્રની આ તરાપ છે. હવે કાર્યકાળ નક્કી કરવાનું સંપૂર્ણપણે કેન્દ્ર હસ્તક રહેશે. એને કારણે આપણા સમવાયી માળખા પર અસર થશે અને વિપક્ષોની રાજ્ય સરકારોને પરેશાની ભોગવવી પડશે. આ કારણસર માહિતી આયોગની સ્વતંત્રતા પણ જોખમાશે.

સરકારો હાલની હોય, ગઈકાલની હોય કે આવતીકાલની, તમામને નબળો માહિતી અધિકાર કાયદો જ ખપે છે. એટલે જ બીજુ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને વાય.એસ.આર. કૉન્ગ્રેસ જેવા પ્રાદેશિક પક્ષોએ આ સુધારા બિલનો લોકસભામાં તો વિરોધ કર્યો પણ જ્યાં સરકારની બહુમતી નથી તેવી રાજ્યસભામાં સમર્થન કર્યું! માહિતી અધિકારનો કાયદો સઘળા રાજકીય પક્ષોને લાગુ પડે છે તેવા કેન્દ્રીય માહિતી આયોગના ૨૦૧૩ના ચુકાદાનો એકે ય રાજકીય પક્ષ અમલ કરતો ન હોય તો તે સબળો માહિતી અધિકાર ઈચ્છે ખરા?

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 28 ઑગસ્ટ 2019

Loading

...102030...2,7402,7412,7422,743...2,7502,7602,770...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved