Opinion Magazine
Number of visits: 9684425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવાં અંગ્રેજી પુસ્તકો : ઑગસ્ટ 2019

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|31 August 2019

હમણાં જોવામાં આવેલાં કેટલાંક નવાં અંગ્રેજી પુસ્તકોની ઝલકની શરૂઆત ઘરદીવડાથી કરવાની થાય. બાર વર્ષના રેહાન મેઘાણીએ Richie Harrer and the Map of Zends નામની રસપ્રદ સાહસકથા લખી છે. ચુંવાળીસ પાનાંની વાર્તામાં જોવા મળતી આ કિશોરની  લેખનકળા અચંબો પમાડે તેવી છે. ખજાનાની શોધની આસપાસ ગૂંથાયેલી  મૂળ વાર્તા  રેહાનની સમૃદ્ધ કલ્પનાશીલતાની ફળશ્રુતિ છે. તેણે સ્થળો અને પાત્રો પણ મજાનાં ઊભાં કર્યાં છે. પછી તેમાં ઉમેરાય છે આખર સુધી ઉત્કંઠા જગાડે તે રીતે વાર્તા કહેવાનો કસબ. સહુથી વધારે નોંધપાત્ર છે તે રેહાનની ભાષાની ફેલિસિટી. તેની લેખનશૈલી સાદી, ભારે શબ્દો કે અલંકારો વિનાની અને છતાં કેવળ બોલચાલની ન બને એવાં ધોરણની છે. વાર્તાનાં પાત્રો, સ્થળો, તેમાં ઊભો કરવામાં આવેલો પરિવેશ અને ખાસ તો એની ભાષાને જોતાં એમ કહેવાનું મન થાય કે લેખકનું નામ છાપવામાં ન આવ્યું હોય તો માનવામાં ન આવે કે અંગ્રેજી જેની પ્રથમ ભાષા નથી એવી કોઈ વ્યક્તિએ આ પુસ્તક લખ્યું હશે.

ભાવનગરની સિલ્વર બેલ પબ્લિક સ્કૂલમાં ભણતો રેહાન લેખક તરીકેની નોંધમાં કહે છે : ‘આ પુસ્તક લખવા માટેની પ્રેરણા હૅરિ પૉટર સિરિઝ પરથી મળી ….. [તે વાંચ્યાં બાદ] એક વખત હું એકલો બેઠો હતો ત્યારે મને એકદમ  વિચાર આવ્યો, મેં કાગળ-પેન લીધાં અને બાર વર્ષના બહાદુર, સાહસિક અને ચતુર છોકરા વિશે લખવાનું શરૂ કર્યું. હું એના વિશે વધારે વિચારતો ગયો એમ એમ આ વાર્તાને રહસ્યમય કેવી રીતે બનાવી શકાય તેનાં માટેનાં ચિત્રો મારા વિહરતાં  થયાં.’

રેહાનનો સાહિત્યવિહાર ચાલતો રહે એવી એને શુભેચ્છા. અલબત્ત, કિશોર ઉંમરે નવલકથા લખવામાં રેહાનની પુરોગામી બે સગી બહેનો છે. અમદાવાદની પંખી અને પરી બ્રહ્મભટ્ટે બે તરુણીઓએ અનુક્રમે Exalated અને The War of Darakoff નામની ફેન્ટસી વર્ગમાં મૂકી શકાય તેવી નવલકથાઓ લખી છે.

પ્રશિષ્ટ સંસ્કૃત નાટ્યકાર ભાસ વિશે વડોદરાના પીઢ નાટ્યવિદ મહેશ ચંપકલાલનો ગ્રંથ Bhasa’s Ramayana Plays From Page to Stage શિમલાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝે બહાર પાડ્યો છે. લેખકે આ અભ્યાસ ઇન્સ્ટિટ્યૂટની જ ફેલોશીપ પ્રોજેક્ટ હેઠળ કર્યો હતો. તેમણે ડિ.લિટ. માટે પણ ભાસ પસંદ કર્યો હતો. અહીં તેમણે નાટ્યકારની કલમે પાનાં પર લખાયેલાં / છપાયેલાં નાટકનો પાઠ અને દિગ્દર્શક એ જ નાટક તખ્તા પર મૂકે ત્યારે એના નિર્માણ માટે એણે તૈયાર કરેલો વિગતવાર આલેખ એ બંનેનો વિશ્લેષણાત્મક અને તુલનાત્મક અભ્યાસ કર્યો છે. નાટકના લેખિત/મુદ્રિત પાઠના અભ્યાસ માટે તેમણે ભાસનાં તેર નાટકોમાંથી રામાયણ પર આધારિત બે નાટકો ‘અભિષેકનાટકમ્‌’ અને ‘પ્રતીમાનાટકમ્‌’ લીધાં છે. વળી તેના મંચનનાં અભ્યાસ માટે સંશોધકે ત્રણ ભજવણીઓ પસંદ કરી છે : ‘અભિષેકનાટક’ના ‘બલિવધમ્‌’ નામના પહેલા અને ‘તોરમયુદ્ધ’ નામના બીજા અંકની કેરળની પરંપરાગત કુડિયાટ્ટમ્‌ શૈલીમાં ભજવણી; અને ‘પ્રતીમાનાટક’નું પ્રસિદ્ધ દિગ્દર્શક કે.એન. પનિક્કરે 2002માં કરેલું મંચન. નાટ્યપ્રયોગોની અનેક શ્વેત-શ્યામ તસવીરો ધરાવતો સવા છસો જેટલાં પાનાંનો આ ગ્રંથ આમ તો નાટ્યવિદ્યામાં આગળ વધેલા અભ્યાસીઓ માટે છે. પણ તે પહેલાંના તબક્કાના વિદ્યાર્થીઓને ‘પરફૉર્મન્સ ટેક્સ્ટ’ કેવી હોય તેનો એક વિસ્તૃત નમૂનો  અહીં મળી શકે. એક ગુજરાતી સંશોધકે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઍડવાન્સ્ડ સ્ટડીઝની અભ્યાસવૃત્તિ (ફેલિશીપ) હેઠળ કરેલાં સામાજિક પ્રસ્તુતતા ધરાવતાં સંશોધનનો અહીં ઉલ્લેખ કરવો જોઈએ.  વર્ષાબહેન ભગત-ગાંગુલીએ કરેલાં લોકઆંદોલનોનાં સંભવત: એકમાત્ર વિસ્તૃત અભ્યાસને ઇન્સ્ટિટ્યૂટે Protest Movements and Citizens’ Rights in Gujarat 1970-2010 પુસ્તક તરીકે 2015માં બહાર પાડ્યો છે.

મહારાષ્ટ્રમાં ગયાં બે દાયકામાં હજ્જારો ખેડૂતોએ કરેલી આત્મહત્યાઓ રાજ્યની અને કેન્દ્રની સરકારો માટે કલંક છે. આપઘાત કરનાર ખેડૂતના પરિવારની અને તેમાં ય તેના પત્નીની હાલત અત્યંત કફોડી થતી હોય છે. પણ દુર્દશાનો સામનો કરીને પોતાનાં અને પરિવારને ફરીથી સુખી બનાવનાર સેંકડો ખેડૂત-પત્નીઓ છે. તેમાંથી કેટલીક મહિલાઓનાં બળ અને ધૈર્ય વિશેની પ્રેરક અને હૃદયસ્પર્શી સમાચારકથાઓ (ન્યૂઝ સ્ટોરિઝ) Harvesting Hope in the Suicide Zone છે. અંગ્રેજી પત્રકાર રાધેશ્યામ જાધવે તેમના આ પુસ્તકને બિલકુલ બંધબેસતું પેટાશીર્ષક આપ્યું છે ‘Women Who Challenged Drought, Death and Destiny’. દુકાળ, મોત અને કિસ્મતને પડકારનારી વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારોની ચાળીસ વીરાંગનાઓ અહીં છે. દેવાદાર પતિએ ઘર સળગાવી દીધેલાં ઘરમાંથી વિદ્યા મોરે બાળકો સાથે દાઝતાં-દાઝતાં પણ નીકળી ગયાં. તેમણે દેવું ચૂકવ્યું, ખેતર સંભાળ્યું, બાળકોને ભણાવ્યાં. અનિતા ગાયકવાડે પતિના આપઘાત બાદ હતાશ છતાં લોભી કુંટુંબની સામે લડત આપીને પોતાના પતિના નામની જમીન પોતાના નામે કરાવીને ખેડી, બાળકોને સારો ઉછેર આપ્યો.

ઓસ્માનાબાદ જિલ્લાના હિંગળજવાડીનાં કમલબહેન કુંભારનો ફુવડ વર તેને છોડીને જતો રહ્યો, માથે દેવાં અને દુકાળ. પછીનાં વર્ષોમાં મહિલા ઉદ્યોગસાહસિક તરીકે રાષ્ટ્રપતિના હસ્તે સન્માન મેળવનાર કમલબહેન આજે આ વિસ્તારનાં રોલ મૉડેલ છે. ત્રણ હજારની વસ્તી ધરાવતાં તેમનાં ગામની બહેનો પતિના મોત કે તેમની હતાશા વચ્ચે સક્રિય થઈ. નજીવાં પાણી છતાં પરંપરાગત ઢબે ખેતી, કુદરતી ખાતરનો ઉપયોગ, શાકભાજીની વાડી તેમ જ મરઘાં-ઉછેર, બચતજૂથ જેવાં માર્ગે ‘આપઘાતનાં મોજાંને ગામની સીમમાં અટકાવ્યું’. મંગલ વાઘરમારેએ પતિની મોટી જમીન વેચી, દેવું ઊતાર્યું, વધેલા પૈસામાંથી જમીનનનો નાનો ટુકડો ખરીદ્યો, સજીવ ખેતી અપનાવી, ‘આજે તેઓ લાખો રૂપિયા કમાય છે’.

દલિત મહિલા સુનિતા કાંબળેએ વાડા તોડીને મહિલાઓને સમૂહખેતીમાં સામેલ કરી. તેમનાં જેવાં જ સુભદ્રા વાટેકરે પતિની જમીન પર સખત મહેનતથી પેદાશ લીધી, આભડછેટ અને ઇર્ષ્યાથી પીડાતા પુરુષોના હુમલાનો પણ સામનો કર્યો. વનમાળાબહેન શિંદેનાં પતિ અને પુત્ર, બીજા અનેક નબળા પુરુષોની જેમ હતાશાને કારણે દારૂ પીને મરી ગયા. બહેને એમનાં વિસ્તારમાં પોલીસ અને રાજકારણીઓની સાંઠગાંઠથી ચાલતી લિકર લૉબીની સામે લગભગ એકલા હાથે લડત આપી. આવી અનેક સમાચારકથાઓ લેખકે અંતરિયાળ આપઘાતગ્રસ્ત વિસ્તારોની અને બહાદુર મહિલાઓનીરૂબરૂ મુલાકાતોના આધારે પુષ્કળ વિગતો સાથે લખી છે. ખેડૂત આત્મહત્યાઓ પર પી. સાઈનાથે કરેલું વિરલ અને પ્રભાવક પત્રકારત્વ જાણીતું છે. રાધેશ્યામનું પુસ્તક તેને આગળ લઈ જનાર એક માઇક્રો-પ્રોજેક્ટ જેવું ગણી શકાય.

અમેરિકાથી ભારતમાં આવીને વસેલા, શેક્સપિયર ઉપરાંત નાટક-સિનેમાના અભ્યાસી અને અશોકા યુનિવર્સિટીના અધ્યાપક જોનાથન ગિલ હૅરિસનું Masala Shakespeare : How a Firangi Writer Became Indian પુસ્તક ભારતીય સિનેમા પરના શેક્સપિયરના પ્રભાવનો એકંદરે હળવી અને રસાળ શૈલીમાં અભ્યાસ કરે છે. પુસ્તકનો વિશાળ વ્યાપ બૉલિવૂડ ઉપરાંત દેશની પ્રાદેશિક નાટ્ય-ચિત્રપટ સૃષ્ટિ ઉપરાંત દેશના ઇતિહાસ, રાજકારણ, સામાજિક પરિસ્થિતિ જેવાં ક્ષેત્રોને આવરી લે છે. ‘ઓથેલ્લો’ને તે ઑનર કિલિન્ગના, ‘મકબુલ’ના એક નૃત્યને તે સહિયારા સંસ્કૃતિક વારસાના, અને અલબત્ત ‘હૈદર’ને તે કાશ્મીરના સંદર્ભોમાં જુએ છે. ભારતમાં શેક્સપિયરનાં નાટકનો પહેલો પ્રયોગ એક વહાણ પર થયો હતો, ઉત્પલ દત્તે શેક્સપિયરને ભારતની ભૂમિમાં રોપવા ખૂબ રસ લીધો હતો, પારસી અને મરાઠી રંગભૂમિ પર પણ શેક્સપિયર પ્રવેશ્યો હતો જેવી અનેક રસપ્રદ માહિતી લેખક આપે છે. શેક્સપિયરના ત્રણ-ત્રણ સુખાન્ત અને દુખાન્ત નાટકોના ઉલ્લેખો વિશેષ મળે છે. ભારતનાં ભાતીગળ જીવનના આશિક હૅરિસ એ મતલબનું પણ લખે છે કે આ પુસ્તક ‘આઇડિયા ઑફ ઇન્ડિયા’ને લખેલો પ્રેમપત્ર છે.

બીજી કેટલીક મજાની કિતાબો : શહેરોમાં જોવાં મળતાં વૃક્ષો પર લાગણીથી લખાયેલું પુસ્તક Cities and Canopies : Trees in Indian Cities (લેખક – હરિણી નાગેન્દ્ર અને સીમા મુન્ડોલી) ડૉ. બાબાસાહેબ આંબેડકર પરનાં કાર્ટૂન્સ વિશેનું પુસ્તક No Laughing Matter : The Ambedkar Cartoons, 1932-1956 (ઉન્નમતિ સ્યામ સુન્દર), આકર્ષક શૈલી ઉપરાંત ભ્રમણ-સંશોધન-પરિપ્રેક્ષ્ય માટે પણ વાંચવા જેવું અત્યારના સમય વિશેનું મહત્ત્વનું પુસ્તક  Dreamers : How Young Indians are Changing Their  World (સ્નિગ્ધા પૂનમ).

એક બહુ વિશિષ્ટ પુસ્તક પર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’(2 ઑગસ્ટ)માં નોંધ આવી હતી. પુસ્તકનું નામ Semicolon : The Past, Present and Future of a Misunderstood Mark, લેખક સેસિલિયા વૉટસન.  ‘એક્સપ્રેસ’ લખે છે :

અંગ્રેજી લેખનનાં બધાં વિરામચિહ્નોમાં સેમીકોલન (અર્ધવિરામ) કદાચ સહુથી વધુ વિવાદાસ્પદ છે. તેની જરૂરિયાત અને અસરકારકતા વિશે લેખકોમાં મતભેદ છે. સ્ટીફન કિન્ગને એ ગમતું નથી, અર્નેસ્ટ હેમિન્ગ્વે અને જ્યૉર્જ ઑરવેલનું પણ એમ જ હતું. પણ હર્મન મેલ્વિલ અને હેંન્રિ જેમ્સને સેમિકોલન પ્રિય હતું. આવાં આ ખાસ વિરામ ચિહ્ન વિશેનાં એમનાં પુસ્તકમાં  ઇતિહાસકાર અને શિક્ષક સેસિલિયા વૉટસને સેમિકોલનના આરંભથી અત્યાર સુધીનો ઇતિહાસ આલેખ્યો છે,  અને તેની સાથે સંકળાયેલા વિવિધ વિવાદો વિશે પણ લખ્યું છે.

સેમિકોલનનાં બે મુખ્ય કાર્યો છે. એક કાર્ય એટલે, જે શબ્દો પછી અલ્પવિરામ મૂકવામાં આવ્યું હોય એવા શબ્દોને એક જૂથમાં મૂકીને અલગ તારવવા. જેમ કે, ‘ઉત્તરપ્રદેશનાં ગોરખપુર, અમેઠી, અને આઝમગઢ; બિહારનાં પટના, વૈશાલી અને નાલંદા; આસામનાં ધુબ્રી, બારપેટા અને ગુવાહાતી …’ સેમિકોલનનું બીજું કાર્ય એકંદરે વિવાદાસ્પદ છે. વિરામચિહ્નોના કોટિક્રમ (હાયરાર્કિ)માં અલ્પવિરામ અને પૂર્ણવિરામ વચ્ચે આવતું અર્ધવિરામ એવું ચિહ્ન છે કે જે, સ્વતંત્ર વાક્યો તરીકેનાં અસ્તિત્વની ક્ષમતા ધરાવતાં હોય તેવાં બે ઉપવાક્યોને છૂટાં પાડીને એક જ વાક્યમાં રાખે. સેમિકોલન કેટલાંક વાક્યોમાં ગોઠવાઇ જાય છે, જ્યારે કેટલાંક વાક્યો તેનાથી અટપટાં બની જાય છે.

સેમિકોલનની શોધ Aldus Manutius નામનાં મુદ્રકે 1494માં વેનિસમાં કરી. ત્યાર બાદ ઘણાં સમય સુધી આ વિરામચિહ્નનું ખાસ કોઈ સુનિશ્ચિત કાર્ય ન હતું. ઓગણીસમી સદીમાં ભાષાવિમર્ષમાં નવા-નવા નિયમો પ્રવેશ્યા, એટલે સેમિકોલનનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ વિશે વારંવાર વિવાદ થવા લાગ્યા. સેમિકોલનનાં આ જીવનચરિત્રમાં વૉટસન, મિલ્ટનથી લઈને નાગરિક અધિકારની ચળવળના અગ્રણી માર્ટીન લ્યૂથર કિન્ગ સુધીના બહોળા સમયપટમાંથી, દાખલા ટાંકે છે. તેનો  મુદ્દો એ છે કે વ્યાકરણ-ઝનૂનીઓ(gramamar fanatics)એ નિયમપોથીઓને મહત્ત્વ આપવાને બદલે વાત વધુ સારી રીતે કમ્યુનિકેટ કેવી રીતે કરી શકાય તેની પર ધ્યાન આપવું જોઈએ. તો પછી એનો અર્થ એવો થાય કે ગમે તે ચાલે ? ‘ના, બિલકુલ નહીં’,  એમ કહીને, આ પુસ્તકનાં અવલોકનમાં ‘ન્યુયૉર્ક ટાઇમ્સ’ લખે છે : ‘લેખન-પ્રણાલીઓ જ્યારે આપણને વિચાર કરતાં અટકાવે ત્યારે જ તેમનો વિરોધ કરવો જોઈએ એમ વૉટસન માને છે. એમનું હોશિયારીભર્યું, કુતૂહલપ્રેરક પુસ્તક આપણને પ્રેરે છે, એ કહે છે કે પૂછતાં શીખો કે નિયમો કોના (અને એ પૂછતાં પૂછતાં જ સેમિકોલનની કદર કરો).’ 

આવાં બધાં મજાનાં પુસ્તકોનો માત્ર ઉલ્લેખ કરીને અર્ધવિરામ લઈએ, કેમ કે પુસ્તકોની વાતમાં ક્યારે ય પૂર્ણવિરામ નહીં આવવાનો !

****

e.mail : sanjaysbhave@yahoo.com

[શુક્રવાર, 30 ઑગસ્ટ 2019ના, દૈનિક “નવગુજરાત સમય”માં પ્રકાશિત લેખકની સાપ્તાહિક કટાર, ‘ક્ષિતિજ’ની આ વિસ્તૃત આવૃત્તિ છે.]    

Loading

ધરમને નામ હોય ?

ધ્રુવ ભટ્ટ|Opinion - Opinion|31 August 2019

‘એઠું વધારતા નંઈ. વધે તો ગાય-કૂતરાને નો નાખતા. ઈનું એઠું ખાવાની તમારી તયારી હોય તો ખવરાવજો.’ જમીને ઊભા થતાં યુવાનોને માએ કહ્યું.

જમીને ઓટલા પર બધાએ સૂવાની વ્યવસ્થા ગોઠવવા માંડી. થોડી વારે મા આવ્યાં. ‘હવે ઊંઘી જાવું છ કે સતસંગ કરવો છ ?’

‘વાતો કરીએ’ બે-ત્રણ જણે કહ્યું.

એક વિદેશી નારીને આ પ્રદેશની ગ્રામ્ય ભાષા ખૂબ સહેલાઈથી બોલતી જોઈને અમને નવાઈ લાગી. કેટલે દૂરથી, કયા પ્રદેશમાંથી તે અહીં આવી ચડી છે. આ લગભગ જનહીન સ્થાનમાં, થોડા ઝૂંપડાવાસીઓ વચ્ચે ગોઠવાતાં તેને કેટકેટલી મુશ્કેલીઓ પડી હશે ! સહુથી મોટો પ્રશ્ન તો ભાષાનો. કેવો નડ્યો હશે ? અમે અમારી મૂંઝવણ કહી.

‘લે’ કરતી મા હસી પડી. ‘તે બોલી નો આવડે તો તકલીફ સું પડે ? એક માણાં બીજા માણાને ઓળખે નંઈ?’

‘પણ તોયે આ બધા તમારી ભાષા ન જાણે. તમે તેમની ભાષા ન જાણો. મુશ્કેલી તો પડે જ ને !’ મેં કહ્યું.

‘માસ્તર, કે’જોઈ, તું મૂંગો હો તો સું કર્ય ?’ જવાબ આપવાને બદલે સામો પ્રશ્ન કરીને પોતાની વાત સમજાવી દેવાની, આ પ્રદેશના માનવીઓની ટેવ માની વાતચીતની ઢબમાં ઊતરી આવી છે. તે આગળ બોલ્યાં : ‘ને ભાસા સીખવા હું ક્યાં બેહું ? હું તો બોલી સીખી ગઈ. આંયનું લોક જે બોલે ઈ બોલી સકું. તમ જેવી ભાસા મને નો આવડે.’

અહીંના લોકોમાં ભળીને અહીંની પ્રાદેશિક બોલી શીખેલી આ સ્ત્રી મૂળે કયા દેશની હશે ? તે કોણ હશે ? તેનાં માતા-પિતા કોણ, ક્યાં હશે ?

‘તે મા-બાપ તો હોય જ ને ? તમારે હોય એમ મારેય છે.’

પોતાના પૂર્વાશ્રમની વાત ટાળવા તેણે કહ્યું. પણ અમે વારંવાર ફરી ફરીને એ જ પ્રશ્ન પર અટકતા.

‘ભાર્યે બાપા તમીં તો. તે હવે તમારે જાણવું જ પડસે ?’

‘હા’.

‘તો હાંભળો. પણ હું બોલી રઉં પછી કાંય પૂછવાનું નંઈ.’

‘નહીં પૂછીએ’ કહેતા, જાણે બ્રહ્માંડની ઉત્પત્તિનું રહસ્ય જાણવા મળવાનું હોય એટલી ઉત્કંઠાથી અને જરા નજીક ખસ્યા. તે ફરી હસી અને બાળક જેવી નિર્દોષતાથી બોલી; ‘આ તમીં દાગ્તર પાંહે આવ્યા છ. ને વકીલનું લો પૂછો છ. હવે ક્યો, સું જબાપ દેય ? હું જગ્યા ગોતતી નીકળી. આંય ગમી ગ્યું ને રઈ ગઈ.’

પણ તે સાધ્વી શા માટે થઈ ? અને તે પણ હિન્દુ ધર્મની સાધ્વી ! સાધુઓ તો તેના ધર્મમાં પણ હશે જ. વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધતી ચાલી.

‘કીયો ધરમ ?’ માએ પૂછ્યું. ‘ધરમને નામ હોય ?’

કેમ ન હોય રે ! ધરમના નામો માટે તો જગત યુદ્ધ આચરે છે. કેટલું લોહી વહે છે. આમ ગણવા બેસીએ તો સવાર સુધી ગણીએ એટલા ધર્મોનાં નામ તો અમે અજ્ઞાનીઓ પણ જાણીએ છીએ અને આ સ્ત્રી તો જ્ઞાની ગણાય. તોયે પૂછે છે, ‘ધરમને નામ હોય ?’

‘તમીં કેસો કે હોય. પણ ઈ ચોપડિયુંમાં હોય. માણાંના મનમાં ધરમ હોય ઈનું કોઈ નામ નંઈ. જીવની સેવા કરવી ને આનંદથી રે’વું ઈ ધરમ.’

વેદકાળ, સત, દ્વાપર, ત્રેતા કે કળિ. અનેક યુગોથી હજારો સંતો, ઋષિઓ અને જનસામાન્યમાંથી પ્રગટેલા વીરલાઓ આ વાત જગતને સમજાવવા પોતાના જીવન ખર્ચી ગયા છે. પણ માણસ આ સીધી સાદી વાત ક્યારેય સમજ્યો નથી. તે તો આવી વાત કરનારો જીવે ત્યાં સુધી તેને ઓળખતો નથી અને મરે એટલે તેના નામનો નવો ધર્મ કે પંથ ઊભો કરવા તત્પર રહે છે.

આ નારીના જીવનમાં એવી તે કઈ ઘટના બની હશે કે સંસાર ત્યાગીને નીકળી પડી ? અને ઘર છોડ્યા પછી પાછા સંસારમાં જવાની ઈચ્છા તેને કદી થઈ હશે ? વિદ્યાર્થીઓ સત્સંગ કરવાને બદલે નદીનું મૂળ શોધવામાં જ પડ્યા છે.

‘તે તને હું સંસારમાં નથ લાગતી ? આંય તારી સામે તો બેઠી છું.’ કહી હસી પડી. ‘મને આ વેસ પે’રવાનું મન થ્યું ને પેર્યો. નંઈ ગમે તંયે ઉતારીય નાખીસ. તું સું કરવા ભારે મર છ ?’

મને લાગ્યું કે હવે વાત વાળવી જોઈએ.

(‘સમુદ્રાન્તિકે’ − પ્રકરણ – 19; પૃ.120-122)

Loading

બેરફૂટ કૉલેજ

આશા બૂચ|Opinion - Opinion|30 August 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી મણકો – 9

નામ સાંભળતાં સવાલ થાય, આ તે કઈ કૉલેજનું નામ હોઈ શકે? તેના દ્વારા થતું શૈક્ષણિક અને અન્ય અનેક દિશાઓમાં થતાં કાર્યની વિગતો જાણીને એ નામની સાર્થકતા જરૂર સમજાઈ જાય. 

ટૂંકમાં કહું તો બેરફૂટ કૉલેજ તેમના દ્વારા તાલીમ પામેલી માતાઓ થકી દુનિયાના દરેક ખૂણે પ્રકાશ રેલાવે છે.

આ કૉલેજનું લક્ષ્ય સ્પષ્ટ કરતું વિધાન છે : અમે ગ્રામ્ય વિસ્તારમાં વસતી ગરીબ પ્રજાની સંભાવ્ય શક્તિ પર પારાવાર વિશ્વાસ ધરાવીએ છીએ. બેરફૂટ કૉલેજ સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને જ્યાં ગરીબી અસ્તિત્વ ધરાવે છે તેવા દરેક સમૂહમાં ટકાઉ વિકાસ સાધવા માટે વિશ્વ સ્તરનું એક માળખું ઊભું કરવા આગળ ધપી રહી છે, જે આ પ્રકારનો પ્રથમ પ્રકલ્પ છે.

મહાત્મા ગાંધીજીએ વિદેશની રાજકીય ધુરામાંથી સ્વતંત્ર થવા પ્રયત્નો આદરેલા તેની સાથે જ સામાજિક પુનરુત્થાનની અહાલેક જગાડેલી. તેમાંનો એક કાર્યક્રમ તે ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી મહિલાઓ માટે શિક્ષણ દ્વારા આર્થિક સ્વનિર્ભરતા અને મહિલા સશક્તિકરણનો હતો. તેઓ દ્રઢપણે માનતા કે જે સમાજ પોતે જ પોતાના વિકાસ માટે પ્રયાસ કરશે તો પહેલાં બીજા લોકો તેમને અવગણશે, પછી તેમની હાંસી ઉડાવશે, ત્યાર બાદ તેઓની સાથે ઝઘડો કરશે અને આખરે તેઓ જ જીતશે.  

બેરફૂટ કૉલેજે અમલમાં મુકેલ વલણો ગાંધીજીના અપનાવેલા સિદ્ધાંતોનું જ સીધું પરિણામ છે. આ સંગઠન ગ્રામોદ્ધારની ધૂણી ધખાવીને ગરમાયુ વિસ્તારોમાં વીજળી અને પીવાના પાણીની સુવિધા સ્થાનિક પ્રજા – અને ખાસ કરીને અશિક્ષિત મહિલાઓ કરે તે માટે તેમને તાલીમબદ્ધ કરવા કટિબદ્ધ છે અને પર્યાવરણની જાળવણી કરવાની સાથે જ મહિલાઓને આધુનિક ટેક્નિકની પૂરેપૂરી તાલીમ આપીને આર્થિક તેમ જ સંસાધનો ઊભા કરવાની બાબતમાં સ્વનિર્ભર બનાવવાનું એક અત્યંત મહત્ત્વનું કામ કરે છે. વધુ આનંદ થાય તો એ વાતનો છે કે માત્ર ભારતની મહિલાઓને જ નહીં, પરંતુ દુનિયાના જાણ્યા-અજાણ્યા દેશોમાં અંતરિયાળ પ્રદેશોમાં રહેતી નારીઓને સોલર મામા (Solar Mama) બનવાની તક પૂરી પાડે છે. મને તો લાગે છે કે અહીં ગાંધીજીના વિચારોને અમલમાં મુકવા માટેનું તંત્ર બદલાયું પણ તત્ત્વ સુપેરે જળવાયું છે.

આ સંગઠનનો હેતુ છે બેરફૂટના અભિગમનો દુનિયાના તમામ ગ્રામ્ય સમુદાયોમાં પ્રસાર કરવો. બીજા સમાવેશી અભિગમો આ ધ્યેય પર પાડવામાં સફળ નથી થયા, તે શિખર સર કરવાની તેમની નેમ છે. એ માર્ગમાં વિવિધતામાં એકતા સ્થાપિત કરવી એમાં જ મજા છે અને આપણી સભ્યતાની કસોટી પણ છે એમ તેનો કાર્યકારીગણ જાણે છે.

બેરફૂટ કૉલેજના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર મેગન ફાલને (Meagan Fallon) કહ્યું છે, “અમે ગ્રામ્ય મહિલાઓ માટે અલગ પ્રકારની તકો ઊભી કરવાનું સ્વપ્ન સેવેલું. એવી તક, જેમાં તેઓ કંઈ પણ શીખવા માટે સ્વતંત્ર હોય.”

ઈ.સ. 1972થી શરૂ થયેલ આ સાહસ અત્યાર સુધીમાં 96 દેશોમાં પાંખ પસારી ચૂક્યું છે. લગભગ 10,00,000 લોકો સુધી વીજળી પહોંચાડી, અને એ કામ ‘સોલર મામા’ તરીકે ઓળખાતી મહિલાઓએ કર્યું. આશરે દુનિયા આખીના 750થી વધુ એન્જીનિયર્સના પ્રયાસોથી 1,300 ગામડાંઓને સૂર્ય ઊર્જાથી વીજળી મળી છે.

આખર આ બેરફૂટ કૉલેજ શાનું શિક્ષણ આપે છે? શું કરે છે? કહી શકાય કે તેઓ માત્ર સૂર્ય શક્તિને નાથે છે! આપણે સહુ જાણીએ છીએ કે સૂર્ય ઊર્જા વીજળી પેદા કરે છે જેના ઉપયોગથી કાર્બનનું હવામાનું પ્રમાણ ઘટે છે. સાથે સાથે તેનાથી રોજગારીની તકો વધે, કર્મચારીઓની આવકમાં વધારો થાય અને ગ્રામ્ય પ્રજાને સ્વનિર્ભર બનાવાની તક મળે. પરંતુ આટલી સાદી સીધી લાગતી બાબતનો અમલ શી રીતે થઇ રહ્યો છે એ જાણવા યોગ્ય છે.

આંતરરાષ્ટ્રીય સોલર (સૂર્ય ઊર્જા) તાલીમ કાર્યક્રમનો 2008ની સાલમાં પૂર્ણતયા પ્રારંભ થયો. ભારત સરકારની વિદેશી ખાતાની એક શાખા ઇન્ડિયન ટેક્નિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશનની સહાય બેરફૂટ કૉલેજને મળે છે. વર્ષમાં છ છ મહિનાના બે તાલીમી અભ્યાસક્રમ બેરફૂટ કૉલેજ, આઈટેક (Indian Technical and Economic Cooperation), અને ભાગ લેનાર જે તે દેશના બિનસરકારી સંગઠનની સાજેદારીથી ચાલે છે. અહીં મહિલાઓને ટેકનિકલ પ્રશિક્ષણ આપવાનું ઉત્તમ કાર્ય સહિયારા પ્રયાસોથી થાય છે.

તાજ્જુબીની વાત એ છે કે બેરફૂટ કૉલેજની તાલીમાર્થી મહિલાઓ સામાન્ય રીતે તદ્દન અશિક્ષિત દાદી કે નાની હોય છે કે જેમનાં મૂળ પોતાનાં ગામડામાં મજબૂતપણે સચવાયેલાં હોય છે. અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી પૂરી પાડીને તેઓ પોતાની કોમના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવતાં હોય છે. કુદરતી સ્રોતોનો સમજણપૂર્વક અને જોઈતી માત્રામાં જ ઉપયોગ કરવાની શાણી વાતો આપણા પૂર્વજોએ કહેલી, જે હવે આજે સ્વીકારાઈ રહી છે. તો જુઓ, સૂર્ય ઊર્જાથી પેદા થતી વીજળીક શક્તિથી CO2 ઓછી માત્રમાં પેદા થાય, વીજળી અને ગરમી પેદા કરવા લાકડાંનો ઉપયોગ કરવા જતાં જંગલો કાપવાથી થતી વિપરીત અસરોમાં ઘટાડો થાય અને બળતણનાં લાકડાં અને કેરોસીન વાપરવાથી થતા પ્રદૂષણમાં ધરખમ ઘટાડો થાય એ વાતને લક્ષ્યમાં લઈને બેરફૂટ કૉલેજે આ અભિયાન શરૂ કર્યું. માની ન શકાય એવી હકીકત એ છે કે આશરે 2,200 અશિક્ષિત મહિલાઓ (અહીં ‘અશિક્ષિત મહિલાઓ’ શબ્દ પર ભાર મુકું છું) સોલર સિસ્ટમની ડિઝાઇન કરવામાં, તેને પોતાના ઘર કે શાળા અથવા બીજાના કામના સ્થળે ફિટ કરવામાં અને તેની જાળવણી કરવામાં નિષ્ણાત થયાં છે. મહિલા ઉત્થાનનો કેવો અનોખો પ્રયોગ!

ભારત અને અન્ય દેશોની મહિલાઓને વીજ શક્તિ ઉત્પન્ન કરનાર એન્જીનિયર્સ બનાવવા એ જાણે અપૂરતું હોય તેમ બેરફૂટ કૉલેજે ગરમ પાણી માટે પણ સૂર્ય ઊર્જાને ઉપયોગમાં લઈને સાધનસંપન્ન ન હોય તેવા વર્ગને ગરમ પાણીની સુવિધા પૂરી પાડવાનું 2000ની સાલથી માથે લીધું છે. ગ્રામ્ય વિસ્તારોના રહેવાસીઓને ધુમાડો પેદા કર્યા વિના ગરમ પાણીના હીટર મળતા થયા છે. સ્થાનિક સમાજના યુવકોને હીટર બનાવવા, ફિટ કરવા અને તેની જાળવણી કરવાની તાલીમ આપીને તેમને આ કાર્યક્રમમાં ભાગીદાર બનાવાય છે. આજે ભારતના આઠ રાજ્યોના ગામડાંઓમાં હજારો લોકોને પોતાના જ લોકો દ્વારા બનાવેલ હીટરથી ગરમ પાણીની સુવિધા પ્રાપ્ત થઇ રહી છે. આટલેથી ન અટકતા બેરફૂટ કૉલેજના નેજા હેઠળ વધુ એક સાહસનો આરંભ થયો છે. ભારતના પ્રથમ સૂર્ય શક્તિથી ચાલતા પાણીના શુદ્ધિકરણના પ્લાન્ટને સફળતા મળી છે. સામાન્ય વીજ શક્તિને બદલે 2.5 કિલો વોટની સૂર્ય ઊર્જાથી ચાલતા આ પ્લાન્ટથી પાણીમાંનો ક્ષાર અને બીજી અશુદ્ધિઓ નાશ પામે છે. એ પાણીનો એક મોટી ટાંકીમાં સંચય કરવામાં આવે છે. આ રીતે લગભગ 3,600 લિટર્સ પાણી એકઠું થાય અને એકાદ હજાર ગામડાંઓને પૂરું પાડવામાં આવે છે.

આમ તો સૂર્ય કુકરનો ઉપયોગ ઘણાં વર્ષોથી થવા લાગ્યો છે, પરંતુ બેરફૂટ કૉલેજે મહિલાઓની બેરફૂટ કૉલેજ સૂર્ય કૂકરની સોસાયટી ટીલોનિયા – રાજસ્થાનમાં સ્થાપના કરી. આ પહેલું એવું સંગઠન છે, જે અશિક્ષિત અને અલ્પ શિક્ષિત મહિલાઓ જાતે જ સૂર્ય કુકર બનાવે, ફિટ કરે અને તેની જાળવણી કરવાની પૂરેપૂરી તાલીમ આપે. આ પેરાબોલિક સૂર્ય કુકર કાચના 300 ટુકડાઓથી બનેલ હોય છે જે સૂર્યના કિરણોને તપેલીના તળિયા સુધી પહોંચાડે અને અંદરનું અનાજ રાંધી શકાય. આ રીતે જે મહિલાઓ દિવસના કલાકો ઇંધણ મેળવવા પાછળ ગાળતી અને કલાકો સુધી ધુમાડા ભરેલ રસોડામાં ચૂલો ફૂંક્યાં કરતી તેમાંથી તેમને મુક્તિ મળી અને હવે એ સમય વધુ ઉપયોગી પ્રવૃત્તિઓમાં વિતાવી શકે છે. આમ થવાથી જંગલનાં લાકડાં કપાતાં ઓછાં થયાં અને પ્રદૂષણ પણ ઘટ્યું.

બેરફૂટ કૉલેજના કાર્યના વ્યાપ અને પદ્ધતિ પર નજર નાખતાં ખ્યાલ આવશે કે તેના દરેક સભ્યોની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જ્ઞાતિ કે જાતિ તેમનું ઓછું કે વધુ મૂલ્ય આંકવામાં મદદરૂપ કે બાધારૂપ નથી થતી. તેની બીજી એક ખાસિયત એ છે કે સંગઠનમાં કોઈ ઉચ્ચ પદાધિકારીઓ કે હાથ નીચે કામ કરનારાઓ એવું કોઈ સ્તરીકરણ નથી. બધાને સમાન માહિતી મળે, પોતાનો મત વ્યક્ત કરવાની મુક્તિ મળે અને પરસ્પરને જવાબદાર રહીને નિર્ણયો લે તેવી કાર્ય પદ્ધતિ અપનાવી છે. આ સ્વાયત્તતાનો ઉત્તમ નમૂનો કહેવાય. મોટા ભાગના અન્યાયો અને શોષણ કેન્દ્રીય વ્યવસ્થામાંથી જન્મે. આથી આયોજન અને તેના અમલમાં વિકેન્દ્રીય પદ્ધતિ અપનાવીને બેરફૂટ કૉલેજે તેવા દૂષણની શક્યતાને બારણાં બહાર રાખી.

કૉલેજની સ્થાપના જ એ વિચાર સાથે થયેલ કે જો લોકો પોતાના જીવનને સ્પર્શતા પ્રશ્નોનો હલ શોધવા એકઠા મળે, તો એમનામાં આત્મવિશ્વાસ જાગૃત થાય અને અહેસાસ થાય કે અમારી સમસ્યાઓને તકમાં પરિવર્તિત કરવા માટે અન્ય કોઈ પર આધારિત થવાની જરૂર નથી. બેરફૂટ કૉલેજનો પ્રયાસ છે, તેના લાભાર્થીઓ પોતાની જીવન પદ્ધતિ અને કાર્યમાં નીતિમત્તાના ધોરણો દ્વારા ગાંધી ચિંધ્યા આદર્શોને અમલમાં મૂકે. એવા આદર્શો કે જે વિશ્વ આખાને અને એકવીસમી સદીના જીવનને આજે પણ અનુરૂપ અને પ્રસ્તુત હોય. આથી જ તો વીજ શક્તિ પેદા કરવા જેવી આધુનિક ટેકનિકને ગ્રામ્ય આધારિત સંકુલમાં સ્થાપી, જેને પરિણામે ગરીબ પ્રજાનું સદીઓ પુરાણું અનુભવ જનિત સંચિત શાણપણ અને નવી ટેકનિકનો સંયોગ સાધી શકાય. આજની આંટીઘૂંટી વાળી ટેક્નોલોજીનો ઉપયોગ જરૂર કરવો, પરંતુ એનું સંચાલન અને માલિકી છેવાડાના લોકોના હાથમાં હોવા જોઈએ જેથી તેઓ અન્ય સત્તા કે સંગઠન પર નિર્ભર ન રહે અને એ રીતે શોષણ મુક્ત વિકાસ સાધી શકે. કૉલેજના સ્થાપકો અને તાલીમ આપનારાઓએ માત્ર લેખન-વાંચન શીખવે તેવા શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ બરાબર સમજીને આ પ્રકારની તાલીમ શરૂ કરેલ છે.

મહિલા ઉત્થાન માટે તો સદીઓથી ઘણા નામી-અનામી સામાજિક સુધારકો દ્વારા પ્રયાસો થતા આવ્યા છે અને તેનાથી ભારતના નારી જીવનને ધીમે ધીમે ઘણી મુક્તિ પણ મળતી રહી છે. બેરફૂટ કૉલેજ મહિલાઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ અને સમાનતાના ખ્યાલનો આદર કરે છે. તો આવો, બેરફૂટ કૉલેજ દ્વારા આદરાયેલ મહાયજ્ઞનના પરિણામ સ્વરૂપ મળેલ સુવિધાઓ અને સિદ્ધિઓ જોઈએ : રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કુલ મળીને 530 ગામડાંઓમાં આશરે 1,735 હેન્ડપમ્પ નાખીને સાઈઠ હજાર જેટલા લોકોને પાણી પૂરું પાડ્યું છે. જો કે માત્ર હેન્ડપંપ, કૂવાઓ અને તળાવોનાં પાણી પુરવઠા પર આધાર રાખવાને બદલે વરસાદી પાણીનો સંચય કરવાનું – પાણીની ખેતી કરવાનું શરૂ કર્યું છે. આમ તો આ રીત પુરાણી છે, પરંતુ તેને નવી ટેક્નોલોજી સાથે સાંકળીને શુદ્ધ અને સલામત એવું પીવાનું પાણી પૂરું પાડી શક્યા છે. છાપરા પર પડતા વરસાદને જમીનમાં ઊતારેલી – બહુ ખર્ચાળ નહીં તેવી – ટાંકીમાં સંચિત કરીને 18 રાજ્યોમાં 90 મિલિયન વરસાદનું પાણી બે મિલિયન લોકો સુધી પહોંચતું કરીને એક સ્વસ્થ નિરોગી સમાજ ઊભો થઇ રહ્યો છે.

કોઈ પણ સંગઠન માટે 1,600 જેટલી શાળાઓ અને ગ્રામ્ય સમુદાયોને 50 બિલિયન લિટર્સ જેટલું પીવાનું પાણી પૂરું પાડવું, 1,042 જેટલા એન્જીનીનિયર્સને રોજગારી આપવી અને દક્ષિણ અમેરિકા તથા આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્રના દેશોની મહિલાઓ સુધી આ ટેક્નોલોજી પહોંચાડવી એ કઇં નાનીસૂની સિદ્ધિ નથી. અહીં એવી એક સોલર મામા તાલીમની લાભાર્થી મહિલાનો પ્રતિભાવ જણાવો ઊચિત થશે. બલિઝની એક બેરફૂટ એન્જીનિયર ફ્લોરેન્ટીન પાસેથી તેનો અહેવાલ વાંચો : જિંદગી ભર તેણે પોતાના વતન માયાન ગામડામાં અંધારામાં રાત્રિઓ વિતાવેલી. ફ્લોરેન્ટીન પોતાને ઘેર વીજળીનું અજવાળું લઈ જવાની આકાંક્ષાથી બેરફૂટ કૉલેજ આવી પહોંચી. તેણે કહ્યું, “મેં કદી ધાર્યું નહોતું કે હું કોઈ પણ પ્રકારનું ઉપયોગી કામ કરી શકું. મારું જીવન મકાઈ અને કસાવાની વાવણી કરવાની આસપાસ ઘુમતું હતું. તમને ખબર છે, મેં માત્ર છ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. હું બહુ લખી-વાંચી નથી શકતી. મને ખબર નહોતી સોલર પેનલ એ શું છે કે સૂર્ય આપણને વીજ શક્તિ આપી શકે. અહીં આવી ત્યારે મને સૂર્ય ઊર્જાથી ચાલતો લેમ્પ જોઈને નવાઈ લાગી. પણ હવે હું જાતે આવી સોલર લાઈટ બનાવી શકું છું!”

કેટલાંક કાર્યો કરવાથી એક કાંકરે બે પક્ષી મરે તેમ કહેવાય છે, અહીં બેરફૂટ કૉલેજે તો એક સાથે છ લક્ષ્યો પર તીર સંધાન કર્યું; જેમ કે વીજ શક્તિ અને પીવાનાં પાણી જેવી મૂળભૂત જરૂરિયાતો અંતરિયાળ ગામડાંઓ સુધી પહોંચાડવી, અશિક્ષિત પ્રજાને તાલીમ આપવી, મહિલા સશક્તિકરણને અગ્રતા આપવી, ગામડાંના લોકોને શહેરના મોટા મોટા પાવર પ્લાન્ટમાં ખસેડવાને બદલે ખુદ વીજ ઉત્પાદનનો પ્રકલ્પ ગ્રામ્ય વિસ્તારમાં લઈ જવો, સૂર્ય ઊર્જાના ઉપયોગ દ્વારા પર્યાવરણની જાળવણી કરવી અને વિકેન્દ્રિત ઔદ્યોગિક સાહસ મારફત શોષણ મુક્ત અર્થ અને સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું.

બેરફૂટ કૉલેજના સ્થાપકો, વહીવટ કરનારાઓ તાલીમ આપનારા નિષ્ણાતો અને તાલીમ લેનારા તમામને ધન્યવાદ અને સફળતા બદલ અભિનંદન. 

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...2,7382,7392,7402,741...2,7502,7602,770...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved