Opinion Magazine
Number of visits: 9684625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 8

દીપક મહેતા|Opinion - Opinion|1 September 2019

પહેલો કિલ્લો, પહેલી કોર્ટ, પહેલી પોલીસ, પહેલી ફાંસી

લવજી વાડિયા સુરતથી મુંબઈ આયા અને મોટાં મોટાં બારકસ બનાવવાનો ધંધો શરૂ કીધો તે આપણે અગાઉ જોઈ ગયા છીએ. પણ લવજીભાઈ મુંબઈ આવનારા કાંઈ એક માત્ર ગુજરાતી નહોતા. સુરતથી, દીવથી, ઘોઘાથી, ભરૂચથી, એમ ગુજરાતનાં જુદાં જુદાં બંદરોથી ધીમે ધીમે વેપારી લોકો મુંબઈ તરફ આવવા લાગ્યા. એ વખતે હજુ રેલવે તો શરૂ થઈ જ નહોતી અને આસપાસના પ્રદેશ સાથે મુંબઈ સારા રસ્તાઓથી પણ જોડાયેલું નહોતું એટલે બહારથી મુંબઈ આવવું હોય તો દરિયા વાટે આવવું એ એક જ રસ્તો હતો. મુંબઈના પહેલા વસાહતીઓ જુદાં જુદાં બંદરેથી મુંબઈ આવ્યા તેની પાછળનું કારણ આ છે.

લવજીભાઈ પછી ઘણા બધા ગુજરાતી વેપારીઓ મુંબઈ આવવા લાગ્યા અને આમ થવા પાછળનું કારણ ખરું જોતાં તો એક જ વ્યક્તિ અને તેની ઉદાર વિચારણા હતી. આજે એ વ્યક્તિ વિશે વાત કરવી છે. આવડા મોટા મુંબઈ શહેરમાં એ વ્યક્તિના નામનો એક પણ રસ્તો નથી. આખા શહેરમાં ફરી વળો પણ તમને ક્યાં ય એનું એકાદું નાનકડું પૂતળું પણ જોવા મળશે નહીં. અરે એનું એકાદું ચિત્ર કે એકાદો ફોટો પણ ક્યાં ય શોધ્યો જડતો નથી. એટલે તેઓ દેખાવે કેવા હતા એ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. પણ તેમનાં અનેક જુદાં જુદાં કામો વિશે આજે આપણે ધારીએ તો જાણી શકીએ તેમ છીએ. અને એ રીતે જો થોડી વાતો જાણીએ તો આપણે ચોક્કસ એ વ્યક્તિને બ્રિટિશ બોમ્બેના પિતાનું માન અને સ્થાન આપ્યા વગર રહી શકીએ નહીં.

એમનું નામ ગેરાલ્ડ ઓન્ગીઆર. જન્મ ચોક્કસ કઈ તારીખે થયો એ તો જાણવા મળતું નથી પણ ૧૬૪૦માં તેમનો જન્મ થયો હતો અને ૧૬૭૭ના જૂન મહિનાની ૩૦મી તારીખે સુરતમાં તેમનું અવસાન થયું હતું. તેમણે સુરતમાં આવેલ કંપની સરકારની ફેક્ટરી(ઓફિસ)નાં ગોદામના રખેવાળ તરીકે નોકરીની શરૂઆત કરી હતી, અને વખત જતાં એ ફેક્ટરીના પ્રેસિડન્ટ અને મુંબઈના ગવર્નર બન્યા હતા. આ ગેરાલ્ડ ઓન્ગીઆરે મુંબઈની ધરતી પર પહેલી વાર પગ મૂક્યો તે ૧૬૬૨ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે. એ દિવસે તેઓ અર્લ ઓફ માલબરો સાથે સુરતથી મુંબઈ આવ્યા હતા. શા માટે આવ્યા હતા? તે દિવસે પોર્ટુગીઝ સરકાર મુંબઇનો કબજો અંગ્રેજોને સોંપવાની હતી, અને અને અર્લ ઓફ માલબરોની સાથે ઓન્ગીઆરે અંગ્રેજો વતી મુંબઇનો કબજો તે દિવસે લીધો. આ માટે કોઈ બહુ મોટો સમારંભ યોજાયો ન હતો.

આજના ફોર્ટ વિસ્તારમાં જ્યાં ભારતીય નૌકા સૈન્યનું આઈ.એન.એસ. આંગ્રે આવેલ છે તે જગ્યાએ પોર્ટુગીઝોએ એક નાનકડો કિલ્લો બાંધ્યો હતો જેને પછીથી અંગ્રેજોએ ‘બોમ્બે કાસલ’ તરીકે ઓળખાવ્યો હતો. ત્યાર બાદ મુંબઈમાં અંગ્રેજોએ ફોર્ટ કહેતાં કિલ્લો બાંધ્યો તે આ કિલ્લો નહિ. એ તેના કરતાં જુદો કિલ્લો. આ બોમ્બે કાસલ મૂળ તો એક ધનવાન પોર્તુંગાલી ગાર્સા દ ઓર્તાએ પોતાને માટે બાંધેલો બંગલો હતો જેનું નામ હતું મનોર હાઉસ. પછીથી તે પોર્ટુગાલી સરકારે લઇ લીધો. એ કિલ્લાની અંદરની જમીનમાંથી થોડીક માટી ખોદી કાઢી અને એ માટી પોર્ટુગીઝ અધિકારીએ અર્લ ઓફ માલબરોને આપી. એટલું જ નહીં, બોમ્બે કાસલના કિલ્લાની દીવાલમાંથી થોડાક પથ્થર કાઢીને એ પણ આ બંને અંગ્રેજોને આપવામાં આવ્યા. અને એ રીતે મુંબઈ ઉપર પોર્ટુગીઝોના શાસનનો સત્તાવાર રીતે અંત આવ્યો અને બ્રિટિશ રાજવટની શરૂઆત થઈ. પછીથી વખત જતાં એ જગ્યા બ્રિટિશ નેવી પાસે આવી અને તેણે નામ બદલીને રાખ્યું એચ.એમ.એ.સ ડેલહાઉસી. આઝાદી પછી આપણા દેશના નૌકા સૈન્યે તેનું નામ રાખ્યું આઈ.એન.એસ. આંગ્રે. આજ સુધી મૂળ બોમ્બે કાસલનું ઘણું લાક્ષણિક બાંધકામ જાળવી રાખવામાં આવ્યું છે. અને જે નવું બાંધકામ થયું છે તે પણ મૂળ ઈમારત સાથે ભળી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અસલનું પ્રવેશદ્વાર અને આજનું પ્રવેશદ્વાર એ બેને સરખાવી જોતાં આ વાત તરત સમજાશે.

બોમ્બે કાસલ

બોમ્બે કાસલનો દરવાજો અને આઈ.એન.એસ. આંગ્રેનો આજનો દરવાજો

એ વખતે પશ્ચિમ ભારતમાં કંપની સરકારના રાજ્યનું વડું મથક સુરત હતું. એટલે પોર્ટુગીઝો પાસેથી મુંબઈનો કબજો લઈને ઓન્ગીઆર સુરત ગયા અને ત્યાં પોતાના ઉપરીઓને જાણ કરી કે મુંબઈ હવે આપણા તાબામાં આવી ગયું છે. પણ તે પછી છેક ૧૬૬૮ના સપ્ટેમ્બરની ૨૩ તારીખે જ્યોર્જ ઓક્સેનડેન નામના પોતાના અધિકારીની મુંબઈના ગવર્નર તરીકે કંપની સરકારે નિમણૂક કરી. પણ આ મહાશય મુંબઈમાં તો બહુ ઓછું રહ્યા હતા. મોટે ભાગે તો તેઓ સુરતમાં બેઠા બેઠા જ મુંબઈનો કારભાર ચલાવતા હતા, કારણ કે એ વખતે કારભાર ચલાવવા જેવું મુંબઈમાં ખાસ કશું હતું જ નહીં. પણ મુંબઈના આ પહેલા ગવર્નરનું શાસન બહુ લાંબુ ચાલ્યું નહીં, કારણ કે બીજે જ વર્ષે, ૧૬૬૯ના જુલાઈની ૧૪મી તારીખે તેમનું અવસાન થયું અને તેમને સુરતના અંગ્રેજો માટેના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. તે જ દિવસે કંપની સરકારે સુરતની ફેક્ટરીના પ્રમુખ અને મુંબઈના ગવર્નર તરીકે ઓન્ગીઆરની નિમણૂક કરી અને તેઓ ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખ સુધી મુંબઈના ગવર્નર રહ્યા.

મુંબઈના પહેલા ગવર્નર જ્યોર્જ ઓક્સેનડેન

હકીકતમાં એ વખતે એવો રિવાજ હતો કે સુરતની અંગ્રેજોની ફેક્ટરીનો જે પ્રેસિડન્ટ હોય તે જ મુંબઈનો ગવર્નર પણ બને. ત્યારબાદ ૧૬૭૦માં તેઓ મુંબઈની મુલાકાતે આવ્યા. એ મુલાકાત વખતે જ તેમને ખ્યાલ આવી ગયો કે મુંબઈમાં જો ખરેખર કંપની સરકારની હકુમત સ્થાપવી હોય તો એ કામ સુરતમાં બેઠાં બેઠાં થઈ શકે તેમ નથી. એ માટે મુંબઈ આવીને રહેવું જોઈએ. એટલે ૧૬૭૨ના મે મહિનામાં તેઓ મુંબઈ આવ્યા અને ૧૬૭૫ સુધી મુંબઈમાં જ બોમ્બે કાસલમાં રહ્યા. મુંબઈના ગવર્નરનું આ પહેલું રહેઠાણ. પણ એ વખતે ઘણા અંગ્રેજોને મુંબઈની આબોહવા માફક આવતી નહોતી કારણ અહીં ઠેર ઠેર પુષ્કળ ગંદકી રહેતી અને તેથી જાતજાતના રોગો ફેલાતા. ઓન્ગીઆરને પણ મુંબઈની આબોહવા બહુ માફક ન આવી એટલે ૧૭૭૫માં તેઓ સુરત પાછા ગયા અને ત્યાંથી મુંબઈના ગવર્નર તરીકેની કામગીરી બજાવી. ૧૬૭૭ના જૂનની ૩૦મી તારીખે તેમનું અવસાન થયું અને તેમને મુંબઈના પહેલા ગવર્નરની કબરની બાજુમાં જ દફનાવવામાં આવ્યા.

સુરતના બ્રિટિશ કબ્રસ્તાનમાંની ઓન્ગીઆરની કબર

મુંબઈના ગવર્નર તરીકે ઓન્ગીઆરે કેટલાંક ખૂબ જ મહત્ત્વનાં કામો કર્યાં જેને લીધે એમ કહી શકાય કે બ્રિટિશ બોમ્બેનો પાયો તેમણે નાખ્યો અને અર્વાચીન મુંબઈના તેઓ જનક બન્યા. મુંબઈ રહેવા આવ્યા પછી તેમના ધ્યાનમાં પહેલી વાત એ આવી કે અહીં સ્થાનિક લોકોની વસ્તી ત્રણ મુખ્ય જૂથમાં વહેંચાયેલી છે : હિન્દુ, મુસ્લિમ, અને પારસી. હવે આ જુદાંજુદાં ધર્મ, ભાષા, રીત-રિવાજો ધરાવતી સ્થાનિક પ્રજા પર જો શાસન કરવું હોય તો તેમના ઉપર બ્રિટિશ કાયદો શરૂઆતથી જ લાદવાનું યોગ્ય ન ગણાય. આથી તેમણે ભારતની પરંપરાગત શાસનવ્યવસ્થામાંથી પંચાયતનો વિચાર અપનાવ્યો અને પાંચ પાંચ સભ્યોની બનેલી ત્રણ પંચાયતોનું તેમણે ગઠન કર્યું. આ પંચાયતો પોતપોતાના ધર્મના અનુયાયીઓના જીવનવ્યવહાર પર ધ્યાન આપતી, તેમની વચ્ચેના નાના મોટા ઝઘડાઓનો નીવેડો લાવતી, અને એકંદરે આ ત્રણ જૂથના લોકો એકબીજા સાથે સુલેહશાંતિથી, હળીમળીને રહે તે માટે પ્રયત્ન કરતી.

બીજી વાત તેમના ધ્યાનમાં એ આવી કે દરિયા કિનારે પોર્ટુગીઝોએ જે નાનકડો કિલ્લો બાંધ્યો હતો તે મુંબઈના રક્ષણ માટે ઘણો નાનો અને ઓછાં સાધનસગવડવાળો હતો. એ વખતે મુંબઈ ઉપર મરાઠાઓના, સીદીઓના અને વિદેશના કેટલાક સાહસિક ચાંચિયાઓનાં આક્રમણ દરિયાઈ માર્ગે થવાનો મોટો ખતરો હતો. એટલે મુંબઈના કિલ્લાને વધુ મોટો, વધારે મજબૂત, વધારે સાધનસગવડવાવળો, વધારે શસ્ત્રસરંજામવાળો બનાવવાનું તેમણે શરૂ કર્યું.

પણ જે ત્રણ પંચાયતો સ્થાપી હતી તેનાથી કાંઈ કાયદો અને વ્યવસ્થાના બધા પ્રશ્નો ઉકેલી શકાય તેમ નહોતું. કારણ બે જુદા જુદા ધર્મ કે જાતિના લોકો વચ્ચે ઝઘડો થાય ત્યારે તેનો નિવેડો કઈ રીતે લાવવો? સ્થાનિક લોકો અને અંગ્રેજો કે બીજા પરદેશીઓ વચ્ચે ઝઘડો થાય ત્યારે તેનો નિવેડો કઈ રીતે લાવવો? એટલે ઓન્ગીઆરે મુંબઈમાં સૌથી પહેલીવાર બ્રિટિશ પદ્ધતિની કોર્ટની સ્થાપના કરી. ૧૬૭૨ના ઓગસ્ટ મહિનાની ૮મી તારીખે મુંબઈની આ અદાલતનું વિધિસર ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જ્યોર્જ વિલકોકસની પહેલા ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી. પણ આ ન્યાયાધીશને ઓન્ગીઆરે જે સૂચના આપી તે આજ સુધી આપણા દેશની અદાલતો માટે આદર્શરૂપ બની રહે તેવી હતી. તેમણે કહ્યું કે અદાલતમાં ચુકાદો આપતી વખતે કોઈ પણ પક્ષના લોકોનાં જાતિ, ધર્મ, સામાજિક દરજ્જો, સંપત્તિ વગેરે ઉપર બિલકુલ ધ્યાન આપવું નહીં અને સૌને એક સરખી રીતે બ્રિટિશ કાયદો લાગુ પાડવો.

અને તેમણે બીજાને જે શિખામણ આપી હતી તેનો અમલ તે પોતે કરે છે કે નહીં તે માટેની પરીક્ષાના સંજોગો તરત જ ઊભા થયા. ૧૬૭૪માં મુંબઈના કેટલાક બ્રિટિશ સૈનિકોએ કંપની સરકાર સામે બળવો પોકાર્યો. મુંબઈના ગવર્નર તરીકે તેને દાબી દેવાની જવાબદારી ઓન્ગીઆર પર આવી. જે સૈનિકો પર લશ્કરી કાયદા હેઠળ કામ ચલાવવાનું હતું તે સૈનિકો પણ અંગ્રેજ હતા. છતાં કશા ભેદભાવ વગર તેમણે એ સૌનિકો પર કામ ચલાવ્યું અને તેમાંના એક સૈનિકને ફાંસીની સજા પણ અપાવી. ૧૬૭૪ના ઓક્ટોબરની ૨૧મી તારીખે કંપની સરકારના શાસન હેઠળ અપાયેલી આ પહેલી ફાંસી. સૈનિકને બંદૂકની ગોળી મારીને ફાંસી આપવામાં આવી.

બહારથી વેપારીઓ આવીને મુંબઈમાં વસવાટ કરે અને અહીં વેપાર ધંધો વિકસાવે એ માટે ઓન્ગીઆરે ઘણા પ્રયત્નો કર્યા. આ રીતે બહારથી આવીને મુંબઈમાં વસનારા એક મોટા વેપારી હતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના દીવ બંદરના નીમા પારેખ. પણ ઓન્ગીઆર સાથેની વાટાઘાટોમાં નીમા પારેખે કેટલીક શરતો મૂકી અને કહ્યું કે આ શરતો લેખિત રીતે કંપની સરકારના સહી સિક્કા સાથે સ્વીકારવામાં આવે તો જ હું અને મારા સાથીઓ મુંબઈ આવીને વસવાટ કરીએ. તેમની જે માગણીઓ હતી તેમાંની પહેલી માગણી એ હતી કે મુંબઈ આવ્યા પછી અમને અમારો ધર્મ પાળવાની પૂરેપૂરી છૂટ આપવી અને કંપની સરકારે કે બીજા કોઈ અંગ્રેજોએ અમારી ધાર્મિક બાબતમાં દખલ કરવી નહીં કે અમારી જાતિના લોકોને વટલાવવાનો પ્રયત્ન કરવો નહીં. મૃતદેહને અગ્નિદાહ આપવાની પરંપરા ચાલુ રાખવા માટે અમને બધી સગવડ આપવી અને મૃતદેહને દફનાવવા માટે આગ્રહ રાખવો નહીં. આ બધી શરતો માત્ર અમને જ નહિ, અમારા બધા જ વંશવારસોને પણ લાગુ પાડવી. નીમા પારેખની આ બધી શરતો ઓન્ગીઆરે સ્વીકારી અને ૧૬૭૭ના માર્ચની ૨૨મી તારીખે એ અંગેના દસ્તાવેજ પર તેમણે સહી-સિક્કા કર્યા.

તેમણે બીજું પણ એક મહત્ત્વનું કામ કર્યું, અને તે સ્થાનિક લોકોનું પોલીસ દળ શરૂ કરવાનું. તેમણે ભંડારી જાતિના ૬૦૦ યુવકોને એકઠા કરીને તેમની સરકારના સિપાઈઓ તરીકે નિમણૂક કરી અને એ રીતે મુંબઈમાં આધુનિક પોલીસ વ્યવસ્થાની શરૂઆત કરી. વળી તેમણે પહેલીવાર મુંબઈમાં સિક્કા પાડવા માટે ટંકશાળ(મિન્ટ)ની  સ્થાપના કરી. અગાઉ આપણે જેની વાત કરી છે તે બોમ્બે કાસલની અંદર જ આ ટંકશાળ શરૂ કરવામાં આવી હતી. આ  ટંકશાળમાંથી પહેલી વાર રૂપિયાના સિક્કા ૧૬૭૨માં બહાર પાડવામાં આવ્યા. અલબત્ત, તે વખતે આ સિક્કા માત્ર મુંબઈમાં જ ચાલતા, મુંબઈની બહારના કંપની સરકારના પ્રદેશમાં પણ નહિ!

મુંબઈની ટંકશાળમાથી બહાર પડેલા પહેલવહેલા એક રૂપિયાના સિક્કા

ઓન્ગીઆરે મુંબઈના ગવર્નર તરીકે અખત્યાર સંભાળ્યો ત્યારે મુંબઈની કુલ વસ્તી દસ હજારની હતી. તેમના અવસાન વખતે આ વસ્તી વધીને ૮૦ હજાર જેટલી થઇ હતી. તે ગવર્નર બન્યા ત્યારે મુંબઈમાંથી કંપની સરકારને થતી કુલ આવક ૨,૮૨૩ બ્રિટિશ પાઉન્ડ જેટલી હતી. તે વધીને ૯,૨૫૪ બ્રિટિશ પાઉન્ડ જેટલી થઈ. ઓન્ગીઆરે જ્યારે મુંબઈના ગવર્નર તરીકે અખત્યાર સંભાળ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે જો પરમ કૃપાળુ પરમાત્માની કૃપા હશે તો આ મુંબઈ શહેરનું નામ એક દિવસ આખા દેશમાં ગાજતું થશે. અને તેમણે આશા અપેક્ષા રાખ્યાં હતાં તેમ ખરેખર ઈશ્વરના આશીર્વાદ મુંબઈ ઉપર ઊતર્યા અને તેનું નામ માત્ર દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં ગાજતું થયું. ૮૦ હજારની વસ્તીવાળું એ મુંબઈ શહેર ઓન્ગીઆરે પોતાની પાછળ છોડ્યું. આજે તેઓ મુંબઈમાં એક લટાર મારવા આવે તો? મહાકવિ પ્રેમાનંદના આખ્યાન કાવ્ય ‘સુદામાચરિત’ના સુદામાની જેમ તેમના મુખમાંથી પણ આજના મુંબઈને જોઈને આ શબ્દો કદાચ સરી પડે:

કનક કોટ ઝળકારા કરે, માણેક-રત્ન જડ્યાં કાંગરે.
શોભે હાટ, ચહુટાં ને ચોક, રાજે છજાં, ઝરૂખા, ગોખ;
જાળી, અટાળી, મેડી, માળ, જડિત્ર કઠેરા ઝાકઝમાળ.
ઝલકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાખું ઓવારી.

XXX XXX XXX

email : deepakbmehta@gmail.com

(પ્રગટ : “ગુજરાતી મિડ ડે”, 31 ઑગસ્ટ 2019)

Loading

ક્યાં જઈ રહ્યા છીએ આપણે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 September 2019

હવે ઑક્ટોબરના પહેલા અઠવાડિયાથી આપણે એક અધ્ધરજીવ મનઃસ્થિતિમાં હોઈશું : સત્તાવીસમી ઑગસ્ટે જ્યારે જમ્મુ-કાશ્મીરની બાબત સર્વોચ્ચ અદાલત સમક્ષ આવી, ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિ ગોગોઈએ સમગ્ર પ્રશ્નનું મહત્ત્વ પ્રમાણી વિશેષ બંધારણીય પીઠની જરૂરત જોઈ અને ઑક્ટોબરના પહેલાબીજા અઠવાડિયામાં તે દેવડીએ લેવાશે એમ પણ કહ્યું. અયોધ્યાની રોજેરોજની સુનાવણી ત્યારે પૂરી થવામાં હશે, અને તરત જમ્મુ-કાશ્મીર (૩૭૦ એ અને ૩૫ એ-ના સંદર્ભમાં) હાથ ધરાશે.

હમણાં અનાયાસ જ અયોધ્યા અને જમ્મુ-કાશ્મીર બંને એક સાથે, લગભગ એકશ્વાસે યાદ કરવાનું બન્યું એ જોગાનુજોગમાં એક ઔચિત્ય પણ છે. કલમ ૩૭૦ હો કે રામ મંદિરનો પ્રશ્ન (કોર્ટ કેસ ખરું જોતાં તો જમીન પરના કબજાનો એટલે કે ટાઈટલ સુટનો છે, તેમ છતાં) : બંને હાલના હાકેમો અને હુકમરાનોને મન કોઈ કાયદો અને વ્યવસ્થા કે ન્યાયિક રાજવટના મુદ્દા નથી. રાષ્ટ્રવાદની એમની પોતાની જે ચોક્કસ વ્યાખ્યા અને સમજ છે તે ધોરણે તેઓ આ બાબતો જુએમૂલવે છે અને ખપમાં લે છે.

સદ્‌ભાગ્યે, સર્વોચ્ચ અદાલતે રાજ્યકર્તાઓની કાશ્મીર સમજને પરબારી નહીં સ્વીકારી લેતાં સર્વ રજૂઆતો સાંભળી બંધારણીય ધોરણે ઘટાવવાનું વલણ લીધું છે. આ જ સંદર્ભમાં એણે સંઘ સરકાર અને જમ્મુ-કાશ્મીર સરકાર બેઉને નોટિસ પાઠવવાનું પણ નક્કી કર્યું છે. ભારત સરકારના એટર્ની જનરલ અને સોલિસિટર જનરલ બંને અદાલતમાં હાજર હતા અને એમણે કહ્યું કે અમે અહીં છીએ જ તો બંને સરકારોને અલગથી નોટિસ પાઠવવાની જરૂર નથી. તેમ છતાં, સર્વોચ્ચ અદાલતે વિધિવત્‌ નોટિસનો રાહ લેવું ઉચિત લેખ્યું એ બીના, ખાસ તો, બંને સરકારી ધારાશાસ્ત્રીઓની જે એક દલીલ હતી એ જોતાં મહત્ત્વની બની રહે છે. ધારાશાસ્ત્રીઓની દલીલ એ હતી કે બંને સરકારો જોગ આવી નોટિસ પાઠવવામાં આવશે એથી આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં પાકિસ્તાનને પોતાના એકતરફી પ્રચાર માટેનું ઓજાર મળી રહેશે. આમ તો, આ દલીલ એ જ કુળની હતી અને છે જે ભા.જ.પ. પ્રવક્તાઓએ રાહુલ ગાંધીની ટીકામાં પ્રયોજી હતી. કાશ્મીરમાં સત્તાવાર પ્રચારની જેમ બધું સમુંનમું નથી એવું રાહુલ ગાંધીએ કહ્યું અને પાક વર્તુળોએ આ ટિપ્પણીને પોતાના પ્રચાર સારુ ખપમાં લીધી એ જાણીતું છે. વસ્તુતઃ રાહુલ ગાંધી કે બીજાઓ એક લોકશાહી મુલકને ધોરણે પેશ આવી રહ્યા છે, અને સર્વોચ્ચ અદાલતે પણ સરકારના ધારા-અધિકારીઓના અનુનય અને આગ્રહને વટીને વિધિવત્‌ નોટિસનો રાહ લીધો તે પુખ્ત લોકતંત્રને લાયક સ્વતંત્ર ન્યાયતંત્રની ભૂમિકા છે.

જે સંજોગો ઊભા થયા એમાંથી ૩૭૦ને તરાપે તરવાનો રાહ દેશના નેતૃત્વે આટલાં વરસ ખપમાં લીધો છે, અને નેહરુ વાજપેયી ફ્રિકવન્સી પરની એની કામગીરીએ અહીં બાંગલાદેશ સરજાતું ટાળ્યું છે. હાલના હાકેમો ૩૭૦ની નાબૂદી(અને ૩૫ એ ની નાબૂદી)ને લગભગ એક વિદેશી કિલ્લો કબજે કર્યો હોય એવા વિજ્યોન્માદથી જુએ છે. એટલું જ નહીં ભા.જ.પ. શ્રેષ્ઠીઓ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં તેમ જ ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીમાં ૩૭૦ની નાબૂદીના કથિત વીરકર્મને મુખ્ય મુદ્દો બનાવવા વાસ્તે લાલાયિત માલૂમ પડે છે. અહીં લાંબી ચર્ચામાં નહીં જતાં એટલું જ કહીશું કે નવી દિલ્હી કોઈ સાંસ્થાનિક સામ્રાજ્યશાહીની માનસિકતાથી જમ્મુ-કાશ્મીરથી માંડીને ઇશાન ભારત સહિતનાંને પોતાનાં કરી શકવાનું નથી. જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનું કોઈ લોકસ સ્ટૅન્ડાઈ નથી એ જો સાચું છે તો એટલું જ સાચું એ પણ છે કે પાક હસ્તકના કાશ્મીર (પી.ઓ.કે.) કરતાં અહીં જે લોકશાહી ગુંજાશમોકળાશ હોઈ શકે છે એને માટે આપણી રાજવટ સતત પરીક્ષણની સ્થિતિમાં હતી અને છે.

રાજકીય અખાડામાં પક્ષવિપક્ષની મલ્લકુસ્તી ચાલતી હોય ત્યારે એમાં એક પક્ષકાર, રિપીટ, પક્ષકાર હોય એવી અદાથી રાજ્યપાલ સત્યપાલ મલિક ક્વચિત પેશ આવતા જણાતા હોય તે બીનાને કોઈ એકલદોકલ દાખલાને બદલે આપણે ત્યાં બંધારણીય અને સ્વાયત્ત સંસ્થાઓ પરની કૃષ્ણછાયાના એક નમૂના દાખલ જોવી જોઈએ. સરકારમાત્ર બંધારણીય સંસ્થાઓમાં સંભવિત તાંબુલવાહિની જોતી હોય છે, જેની એક પરાકાષ્ઠા ૧૯૭૫ના જૂનના કટોકટીરાજરૂપે આપણે જોઈ હતી. આ સ્તો એ પરિસ્થિતિ હતી જેણે જનસંઘ સહિતના વિપક્ષી એકત્રીકરણને એક ગતિ આપી હતી. આ પ્રક્રિયાનો, અંતતો ગત્વા, સૌથી વડો લાભાર્થી ભા.જ.પ. (જનસંઘ) સ્વાયત્ત સંસ્થાઓ પરત્વે ‘અધો અધો ગંગેયમ્‌’નું જે ચિત્ર ઉપસાવે છે એને વિશે શું કહેવું, સિવાય કે રુક જાવ.

ન્યાયમૂર્તિ ગોગોઈ અને અન્ય ત્રણ વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ જાન્યુઆરી ૨૦૧૮માં દેશજનતા સમક્ષ ધા નાખવાપણું જોયું હતું તે બાબતે આપણે સવિશેષ સચિન્ત અને સતર્ક રહેવાપણું સતત લમણે લખાયું દીસે છે. ચિદમ્બરમ્‌ને જામીન નહીં આપનાર હાઈકોર્ટ જજ નિવૃત્તિના બે જ દિવસમાં (પૂર્વે અરુણ જેટલીએ ક્વચિત્ ‌હિમાયત કરી હતી તેમ બેત્રણ વરસના ‘કુલિંગ પિર્યડ’નો મલાજો મેલીને) એપેલેટ ટ્રિબ્યુનલ પર આરૂઢ થઈ રહ્યાના સમાચાર સાચા હોય તો એમાં શું વાંચશું ?

અને સન્માન્ય ન્યાયમૂર્તિઓ? ભીમા-કોરેગાંવ કેસમાં જજસાહેબ એક આરોપીને ટૉલ્સ્ટૉય કૃત ‘વૉર ઍન્ડ પીસ’ સંઘરવા બદલ ધધડાવે છે. ભાઈ, ચારેક દાયકા પર ગુજરાતમાં ‘માઓવાદી સાહિત્ય’ સામે સરકારી પોલીસ કારવાઈ ચાલી ત્યારે ન્યાયમૂર્તિ પ્રફુલ્લ ભગવતીએ ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે વિચારપ્રસાર તે પોતે કરીને કોઈ ગુનો નથી. વાંસોવાંસ, સન્માન્ય ન્યાયમૂર્તિ સારંગ કોતવાલની સ્પષ્ટતા આવી છે કે હું જેને વિશે ટિપ્પણી કરતો હતો તે ટૉલ્સ્ટૉય કૃત ‘વૉર ઍન્ડ પીસ’ પુસ્તક નહોતું પણ બિસ્વજીત રૉયનું ‘વૉર ઍન્ડ પીસ ઈન જંગલમહાલ : પીપલ, સ્ટેટ ઍન્ડ માઓઇસ્ટ્‌સ’ હતું. અહીં એટલું જ કહીશું કે એ સંજોગોમાં પણ ભગવતી ચુકાદો અક્ષરશઃ ઊભો જ છે. બીજું, ન્યાયમૂર્તિ કોતવાલની ટિપ્પણી ‘તમે બીજા દેશની યુદ્ધવાર્તામાં કેમ રસ લો છો’ એ તરજ પર હોય તો એ આપણે ત્યાંના માઓવાદીઓને બીજા મુલકના માને છે કે કેમ એવો સવાલ પણ લાજિમ છે. જો કે, આ લખનારનો અધીન મત છે કે ટૉલ્સ્ટૉયથી ગાંધી સહિતના સૌને પાછલી અસરથી અને આગલી કહેતાં આગળની સંભાવનાઓ લક્ષમાં લઈ સતત અદાલતમાં પેશ કરતા રહેવું જોઈએ. પૂર્વે ગાંધીએ અંગ્રેજ અમલમાં ‘રાજદ્રોહ’ના આરોપ સબબ જે કહેલું તે આ સામયિકે છેલ્લા દસકામાં એક વાર અગ્રલેખને સ્થાને મૂક્યું હતું તે સાંભરે છે. કદાચ, થોડે થોડે અંતરે તે ફરી ફરી છાપવું જોઈએ જેથી કથિત રાષ્ટ્રવાદ અને ઘોર સત્તાવાદની મૂઠ ન વાગે અને મૂર્છા વળતી રહે.

અને પોલીસકર્મીઓ વિશે શું કહીશું ? ‘મૉબ લિન્ચિંગ’ને પોતાની ધર્મશ્રદ્ધા કે રાષ્ટ્રપ્રીતિને ધોરણે તેઓ ધર્મ્ય ગણે છે; (જેમ સત્તાવર્તુળો પણ ગણે છે), અને એ અંગે નકો નકો કારવાઈમાં મત્ત મહાલે છે. (બુલંદ શહર ઘટનામાં કોઈ સુબોધકુમાર સિંહ જેવા પ્રામાણિક અધિકારી જુદા પડે તો એમની હત્યા થાય અને પછી જામીનધન્ય હત્યારાઓ બહાર આવે એટલે એમનું ફૂલેકું ચડે. પ્રજા તરીકે ક્યાં જઈ રહ્યા છીએ, આપણે ?) વાત અલબત્ત પોલીસકર્મીઓની કરતા હતા – અને હમણાં જ કૉમન કૉઝ અને સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝના સર્વેક્ષણ પ્રમાણે તો દરેક બીજો પોલીસકર્મી મુસ્લિમ એટલે ગુનેગાર એવા સમીકરણને સ્વીકારીને ચાલે છે અને દરેક ત્રીજો ઉન્માદી ટોળાશાહી હસ્તકની હત્યાઓમાં કુદરતી ન્યાય જુએ છે.

ભારત સરકારને, સત્તાપક્ષી વિચારધારાકીય વરિષ્ઠોને એક છેડેથી આર્ત પોકાર તો બીજે છેડેથી બંધારણબદ્ધ પૃચ્છાની રીતે કહેવું રહે છે કે તમે લોકશાહી રાજવટને ન્યાયાધીન માનો છો કે સત્તાધીન. જે ન બનવાનું બની રહ્યું છે એમાં તમારું સૅન્ક્‌શન હોય એવી છાપ કેમ ઊઠે છે, એ સવાલ વિપળવાર પણ વહેલો નથી.

ઑક્ટોબરના પહેલાબીજા અઠવાડિયામાં ન્યાયની દેવડીએ કાશ્મીર ચર્ચા આવશે, પણ ત્યાં સુધીનો ગાળો, તે દરમ્યાનનો ગાળો, અને તે પછીનો પણ, ‘રુલ ઑફ લૉ’ની ભૂમિકા સ્પષ્ટસુરેખ લેવાનો અને કોઈ સાંસ્થાનિક સામ્રાજ્યશાહી નહીં પણ પ્રજાસૂય રાજવટને અધોરેખિત કરવાની સવિશેષ સભાનતાનો બની રહેવો ઘટે છે.

મથાળે જરી સલામત સંડોવણીએ પૂછ્યું કે ક્યાં જઈ રહ્યા છીએ આપણે; પણ પૂછવું તો સંકેલાતે આ સમજાય છે : ક્યાં જવું છે આપણે.

ઑગસ્ટ ૨૮, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 01-02

Loading

ભાષાકારણ

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|1 September 2019

આપણી સૌથી પહેલી ભાષા હોય છે કાલાઘેલા ઉચ્ચાર, જે આપણા સિવાય કોઈ નથી સમજી શકતું. પણ આપણે વડીલો અને મોટા કુટુંબીઓને સાંભળીને, એમનું અનુકરણ કરીને, ભાષા શીખવા મંડીએ છીએ. એમની પહેલી ભાષાને આપણે માતૃભાષા કહીએ છીએ, કારણ કે એ ભાષા આપણે સૌથી વધુ આપણી મા પાસે સાંભળીએ છીએ. અને જો આપણે નસીબદાર હોઈએ અને આપણા પિતા બીજી ભાષા બોલતા હોય, તો બબ્બે ભાષા આપણે નાનપણથી સમજીએ અને બોલી શકીએ છીએ.

નિશાળે જવા મંડીએ, એટલે આપણને ભાષાશિક્ષકો વ્યવસ્થિત રીતે શીખવે છે – એનું કારણ એ છે કે એને લીધે આપણે સમાજમાં અને એની પ્રવૃત્તિઓમાં સમજપૂર્વક ભાગ લઈ શકીએ છીએ. દરેક ભાષાની હોય છે ખાસિયત, સંસ્કૃતિ, સાહિત્ય, અને માધુર્ય. કમનસીબે આપણને દેશભરની બધી ભાષા શીખી શકવાનો નથી સમય, નથી આપણામાં ધગશ.

તો કઈ ભાષા શીખવી અને કઈ ભાષામાં વ્યવહાર કરવો, એ કોણ નક્કી કરે અને કયા નિયમસર આ બધું નક્કી કરાય?

ભારતનાં શહેરોમાં ઘણી ભાષા બોલાય છે. જો તમે કોઈ શહેરમાં રહેતા હો અને બીજા પ્રદેશથી આવ્યા હો અને તમે કહો કે મને મારા નવા શહેરની ભાષા નથી ગમતી કે એ ભાષા ન શીખવાનો તમે નિર્ણય લો, તો એનો ગેરલાભ તમને છે અને તે તમારી ખામી પુરવાર કરે છે. તમારી પોતાની ભાષા અને એ શહેરની ભાષા, આ બે તો જાણવી/સમજવી જ જોઈએ. એ ઉપરાંત અંગ્રેજી – એટલા માટે કે નહીં, કે આપણે હજુ અંગ્રેજ સામ્રાજ્યથી અંજાયેલા છીએ; એટલા માટે પણ નહીં કે અંગ્રેજી ભારતની ભાષાઓ કરતાં ચડિયાતી છે – પણ એટલા માટે કે અંગ્રેજી જગતભરમાં બોલાય અને સમજાય છે અને વાણિજ્ય, વેપાર, વિજ્ઞાન અને વ્યવહારમાં સફળતા અને સહેલાઈથી આગળ વધવું હોય, તો તે માટે અંગ્રેજી આવશ્યક છે. હા, તમે અંગ્રેજી સિવાયની બીજી કોઈ પણ ભાષામાં ગણિત, વિજ્ઞાન અને ઇતિહાસ ભણી શકો છો – મારો જ દાખલો લો – પણ અંગ્રેજી સરખું બોલીસમજી ના શકાતું હોય, તો દુનિયામાં આગળ વધવું અને કીર્તિ પ્રાપ્ત કરવી અઘરી તો પડે.

વિવિધ ભાષાઓની સમજ અને જાણકારી આપણી પોતાની વિચારધારાને સંકુચિત રાખવાને બદલે વિસ્તૃત કરે છે. બહુભાષી હોવું એ તો સદ્‌ગુણ છે અને વિવિધભાષી બનવું જટિલ નથી.

હું ગુજરાતી છું; મારો જન્મ ગુજરાતી ઘરે થયો હતો. મારી મુંબઈની શાળા – ન્યૂ ઇરા (મુંબઈ) – અમને ગુજરાતી માધ્યમમાં શીખવતી. બાલમંદિરથી બધા વિષય અમે ગુજરાતીમાં શીખ્યા. બીજા ધોરણમાં અમને અંગ્રેજી એક વિષય તરીકે શીખવા મળ્યું, ત્રીજા ધોરણથી હિન્દી. અમારા હિન્દીના શિક્ષકે અમને પ્રોત્સાહન આપ્યું કે અમે સૌ રાષ્ટ્રભાષા પ્રચારસમિતિ યોજિત હિન્દી પરીક્ષા આપીએ. એ પોતે રહ્યા હિન્દીભાષી. (આ સમિતિને ય ગતાગમ નહોતી; ‘રાષ્ટ્રભાષા’ પ્રચારસમિતિ કહેવું એ જ એક ભૂલ છે – હિન્દી ભારતની ઑફિશિયલ, એટલે કે સત્તાવાર ભાષા છે; નૅશનલ, એટલે કે રાષ્ટ્રભાષા નથી – પણ જવા દોને એ વાત – ખાલી ફોગટ હિન્દીવાળાઓ જોડે ઝઘડો થશે!) એક વાત મારે કબૂલ કરવી જોઈએ – મારું હિન્દી કાચું – હું પ્રાથમિક અને પ્રારંભિક પરીક્ષામાં (માંડ માંડ) પાસ થયો અને પ્રવેશ, પરિચય, કોવિદ અને રત્ન – એ પરીક્ષાઓને દૂરથી જ નમસ્કાર કર્યા. મને ગુજરાતી વહાલી.

પાંચમાથી સાતમું ધોરણ અમે મરાઠી શીખ્યા – મુંબઈ હતાને? ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી અમે દસમી સુધી શીખ્યા. સાતમા ધોરણ સુધી અમારા બધા વિષયો અમને ગુજરાતીમાં શિખવાતા હતા – એટલે હું ભૂગોળ ભણ્યો, જ્યોગ્રાફી નહીં; વિજ્ઞાન ભણ્યો, સાયન્સ નહીં; બીજગણિત, અલ્જિબ્રા નહીં; ભૂમિતિ, જ્યૉમેટ્રી નહીં. પણ એ છતાં અમારો અંગ્રેજીનો પાયો પુષ્કળ મજબૂત! આઠમીમાં ગણિત અને વિજ્ઞાન અંગ્રેજીમાં શિખવાયાં; નવમીમાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિકશાસ્ત્ર પણ અંગ્રેજીમાં; અને દસમીમાં તમામ વિષય અંગ્રેજીમાં. એનું પરિણામ? માધ્યમિક શિક્ષણ પત્યું, ત્યારે અમે ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષા માતૃભાષા જેવી સહજતાથી બોલતા, વાંચતા અને લખતા થયા, અને હિન્દી અને મરાઠી સમજી શકતા.

વળી પછી મારી શાળા રાષ્ટ્રવાદમાં માને – ભગવાધારી રાષ્ટ્રવાદ નહીં, પણ ખાદીધારી રાષ્ટ્રવાદ. એટલે કે ગાંધી અને ટાગોરની વિચારસરણીથી પ્રેરિત અમારી શાળા – એટલે અમને મન હોય, તો રવિવારે અમને ભારતની બીજી કોઈ પણ ભાષા શીખવી હોય, તો એ માટે વિકલ્પ ઉપલબ્ધ હતો. (મહિને વીસ રૂપિયાની ફી). કોઈક વર્ગમાં ચિત્રકામ ચાલે, હૉલમાં ભરતનાટ્યમ્‌ના વર્ગ ચાલે, ઑડિટોરિયમમાં નાટકનો વર્ગ અને બીજા ત્રણ વર્ગમાં બીજી ભાષા શિખવાય – અમારા વખતે બંગાળી, મલયાલમ અને સંસ્કૃત વર્ગ ચાલતા હતા. હું ત્યાં બે વર્ષ બંગાળી શીખ્યો અને સોળ વર્ષે એ નિર્ણય લીધાથી હું આજે પણ ખુશ છું  – એને જ કારણે હું ભારતની કલા સમૃદ્ધિ અને સાહિત્યથી વધારે પરિચિત છું – ફાયદો મને થયો છે; સત્યજિત રાય, મૃણાલ સેન અને ઋત્વિક ઘટકની ફિલ્મો મેં સબટાઇટલ વાંચ્યા વગર જોઈ છે, બાદલ સરકારનાં નાટકો બંગાળીમાં ભજવાતાં મેં જોયાં છે, જેનો હું ઋણી છું.

પણ આ નિર્ણય મેં લીધો હતો અને એ સૌથી અગત્યની વાત છે. જે ભાષા વગર કામ ન થઈ શકે, જે જરૂરી હોય એ અમને અમારા શિક્ષકોએ ફરજિયાત શીખવી. મુંબઈમાં રહીને મરાઠી ના સમજો તો એનો ગેરલાભ તમને જ છે. જો તમારે દુનિયાભરમાં કામ કરવું હોય કે પ્રવાસ કરવો હોય, તો અંગ્રેજી વગર અઘરું પડે. જે દેશમાં ઘણા લોકો હિન્દી બોલતા હોય, ત્યાં હિન્દી સમજવામાં કોઈ નુકસાન નથી અને બીજી ભાષા શીખવી હોય, તો એ માટે સુવિધા પણ છે.

તકલીફ ત્યારે ઊભી થાય છે, જ્યારે આ નિર્ણય તમને કોઈ ના લેવા દે, પણ તમારા પર કોઈ જોર કરી લાદે. કારણ કે જ્યાં જોર વપરાય, એને તો બળજબરી કહેવાય.

થોડા દિવસ પહેલાં મોદી સરકારે નવી શિક્ષણનીતિ જાહેર કરી, જેમાં હિન્દી પર ખાસ મહત્ત્વ અપાયું. ઘણાં રાજ્યોએ વિરોધ કર્યો. ઓગણીસસો સાઇઠના દાયકામાં તમિળનાડુ પ્રાંત દેશથી છૂટા થવા તૈયાર થઈ ગયેલો આ જ કારણસર. બળજબરીથી કોઈ પણ સરકાર હિન્દી શીખવવાનો આગ્રહ કરે, એ તો જુલમ કહેવાય. રાજ્યોએ એ વખતે અને અત્યારે વિરોધ કર્યો એનાં બે કારણ છે. એક કે સરકાર ભારતની બીજી ભાષાઓને હિન્દી જેટલી મહત્ત્વની નથી ગણતી; અને બીજું કે આ નીતિનો લાભ ભારતની ચાલીસ ટકા પ્રજાને થાય છે, કારણ કે ભારતના માત્ર બે-પંચમાંશ નાગરિક હિન્દી બોલે છે; ત્રણ-પંચમાંશ, એટલે કે મોટા ભાગના લોકોની માતૃભાષા હિન્દી નથી.

એ વાત સાચી કે ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે – પણ ઉત્તર ભારતમાં બોલાતી બધી ભાષાને ‘હિન્દી’ કહેવી, એ બીજી ભાષાઓ – ખડી બોલી, બ્રજભાષા, ઇત્યાદિ – સાથે અન્યાય કહેવાય. યીડિશ ભાષાશાસ્ત્રી હતા મેક્સ વાઇનરાઇચ. એમણે એક વખત કહ્યું હતું કે ભાષા અને બોલી વચ્ચે એક જ ફરક છે – પ્રત્યેક ભાષા બોલી છે, પણ ભાષા પાસે લશ્કર અને નૌસેના છે. બોલી ભાષા બને છે, કારણ કે બોલી બોલનારી પ્રજા શક્તિશાળી છે. ભાષાને બોલી કહેવું, એ દરેક બીજી ભાષા, જેને બોલી કહેવાય છે, એનું અપમાન છે.

એવું નથી કે હિન્દી લોકપ્રિય નથી. હિન્દી સિનેમાને કારણે બમ્બૈયા હિન્દી શબ્દો – ફાલતુ, ખિટપિટ, ગડબડ, ખડુસ, કાંદા-બટાટા (આલુ-પ્યાજ નહીં!) અને ગુલામી અને આઝાદી જેવા ઉર્દૂ શબ્દ ભારતભરની પ્રજા સમજે છે અને સ્વીકારે છે. શેરીઓમાં બોલાતી હિન્દી સામે બહુ ઓછાને વાંધો છે – પણ ભદ્રંભદ્ર જેવું દસેક જણ જ સમજી શકે એવું હિન્દી જ્યારે પ્રજા પર બળજબરીથી ઠોસીને દબાવાય છે, ત્યારે પ્રજા વીફરે છે.

મરાઠી લેખિકા ગૌરી દેશપાંડે (૧૯૪૨-૨૦૦૩) મારા મિત્ર હતાં. એમણે મને એક વખત કહ્યું હતું  કે જો ભારતમાં એક ભાષા રાષ્ટ્રભાષા તરીકે નીમવી હોય, તો ખાસી અથવા ગારો ભાષા પસંદ કરવી જોઈએ. ખૂબ ઓછા લોકો એ ભાષા બોલે છે, એટલે જો એ ભાષા રાષ્ટ્રભાષા બને, તો બધા ભારતીયો એક જ જગ્યાએથી પ્રારંભ કરશે અને કોઈને વિશેષાધિકાર નહિ મળે.

ગૌરી હતી હંમેશાં શાણી અને વ્યંગમ્ય, પણ એની વાતનો મર્મ આજના ભારત માટે ઘણા કામનો છે.

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 10-11

Loading

...102030...2,7372,7382,7392,740...2,7502,7602,770...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved