Opinion Magazine
Number of visits: 9684292
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાંપ્રત સમાજજીવનમાં વેદનાં સૂત્રાત્મક વાક્યોની પ્રસ્તુતતા

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|9 September 2019

"अधीत्य वेदं, यो न विजानाति अर्थम्, स भारहर :"i

(‘જે વેદનું અધ્યયન અર્થના જ્ઞાન વિના કરે, તે કેવળ બોજો ઉપાડનાર જ છે.') 

ભારતીય સાહિત્યિક શાસ્ત્ર પરંપરામાં ' वेदमूलानि शास्त्राणि ' (બધા જ શાસ્ત્રો વેદમૂલક છે.) એમ દર્શાવાયું છે. પ્રસ્તુત વિધાન વેદને સમગ્ર શાસ્ત્રના મૂળ આધાર તરીકે વર્ણવે છે. મૂર્તિમંત જ્ઞાનગ્રંથ વેદમાંથી મળતાં ચિંતનને સમજવાનો, તેના અર્થઘટનનો, અર્થો તારવવાનો, તેને સહજ રીતે સમજવાનો અને સમજાવવાનો યત્ન સમયે સમયે ભારતીય અને વિદેશી વિદ્વાનોએ કર્યો છે. તેમાં રહેલ માનવીય સ્પર્શ અને સંદર્ભોને કારણે ઋષિને અમુક જ અર્થ અભિપ્રેત છે, એમ કહેવું શક્ય નથી. આ ઉપરાંત વેદની ભાષાશૈલી અને રચનારીતિ વિશેષ હોવાને કારણે પણ અર્થઘટનમાં ચોકસાઈ રાખવી જરૂરી બની જાય છે. મુખ્યત્વે વેદની ઋચાઓમાં રહેલ લાઘવના તત્ત્વને કારણે એ સૂત્રાત્મક અભિવ્યક્તિ પામતી સુભાષિત કે ચિંતનકણિકાઓની ગરજ સારે છે. કહેવત કે રુઢિપ્રયોગની જેમ લાઘવયુક્ત સૂત્રો એ 'અનુભવના અર્ક રૂપે' (વિચાર ભારતી – કહેવત) પ્રાપ્ત થાય છે. જાપાનીસ કાવ્ય હાઇકુ મને ખૂબ ગમે, કારણ કે તે થોડામાં ઘણું કહી જાય. પરમાણુમાં જેમ પ્રચંડ શક્તિ સમાયેલી હોય છે તેમ લઘુકાવ્ય સમાન સૂત્રાત્મક વાક્યોમાં અર્થની અપાર શક્યતાઓ અને જ્ઞાનનો અગાધ સાગર પડેલો હોય છે.

'विद्' જ્ઞાને. એ ક્રિયાપદ પરથી બનેલા વેદ શબ્દનો અર્થ જ્ઞાન એવો થાય છે. (ભા.દ) વિશ્વના પ્રાચીન ગ્રંથોનું જ્ઞાન મહદ્દ અંશે સૂત્રાત્મક રીતે વ્યક્ત થયું છે. એટલે એને સમજવું કઠિન હોય છે. ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા ચારેય વેદનું જ્ઞાન ગહન, ગૂઢ અને રૂપકાત્મક, સૂચનાત્મક કે વ્યંજનાત્મકરૂપે અભિવ્યક્ત થયું છે. જેને સમજવું સરળ નથી. આ લેખમાં સાંપ્રત સમયના આધુનિક માનવજીવનને સ્પર્શતા વેદના કેટલાક સૂત્રો અંગે ચર્ચાનો ઉપક્રમ રાખ્યો છે.

૧. 'अनुव्रत: पितुः पुत्रो, माता भवतु संमना:i'  – अथर्व वेद : ३ -३० – २

(પુત્ર પોતાના પિતાને અનુસરે અને માતાની સાથે સરખું મન ધરાવે)  (પૃ.૫ વેદ સૂક્તિ)

સાંપ્રત સમયની સૌથી મોટી સમસ્યા કૌટુંબિક સંઘર્ષની છે. માતા – પિતા અને સંતાનો વચ્ચેનો વિચારભેદ મતભેદ સર્જે છે અને મતભેદથી મનભેદ સર્જાય છે પરિણામ સ્વરૂપે કુટુંબો તુટવા લાગ્યાં અને આપણી સંયુક્ત કુટુંબવ્યવસ્થા પડી ભાંગી. જનરેશન ગેપને નામે કુટુંબમાં ઊભી થતી તિરાડો સંતાનોને સ્વચ્છંદી અને હઠાગ્રહી બનાવે છે. ઘરમાં વૃદ્ધ મા-બાપોની દશા દયનીય બનતી જાય છે. સમાજમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધવા માંડી છે. મૂલ્યહ્રાસના આ સમયમાં આપણે જો આપણા સાહિત્યિકવારસાને અનુસરીએ અને બાળપણથી જ મૂલ્યો અને સંસ્કારોનું બીજારોપણ બાળકમાં કરીએ તો આ સમસ્યાનું સમાધાન મળી શકે એમ છે. કદાચ અથર્વવેદના એક ઋષિએ આથી જ કહ્યું હશે કે – 'पुत्राः सुमनसो भवन्तु 'i (પુત્રો (સંતતિ) સારા મન વાળા બનો.).

જે માતા પિતા સંતાનોમાં સારા સંસ્કારોનું સિંચન કરે છે, તેમની ઉત્તરાવસ્થા સુખદાયી નીવડે છે. માતાપિતા પોતાના આત્મજ કે તનુજ, પોતાના શરીરથી પેદા થયેલ સંતાન માટે શુભની કામના કરે છે. તેના દીર્ઘાયુની પ્રાર્થના કરે છે. -'आत्मा वै पुत्र नामासि स जीव शरद: शतम् i' (પુત્ર ! તું મારો આત્મા છે, તું સો વર્ષ જીવ.) સંતાન પ્રત્યે આવો વત્સલ ભાવ ધરાવનારમાં બાપનું ઋણ ક્યારે ય ન ચૂકવી શકાય.

૨ 'अन्यो अन्यं अभिहर्यत'  i अथर्ववेद -३-३०-१

(પરસ્પર પ્રેમ રાખો)  (પૃ.૭  વેદ સૂક્તિ)

સાંપ્રત વિશ્વની સમસ્યાઓનું સમાધાન સાધતો મહામંત્ર છે. "પરસ્પર પ્રેમ રાખો" પરસ્પરને સમજવાનો પ્રયત્ન કરીએ (Let us try to understand each other) સામાની સ્થિતિમાં આપણી જાતને મૂકીને વિચારીએ તો ચોક્કસ હમદર્દી જાગે. સહ્રદયતા કે હમદર્દીનો ભાવ, પણ પરસ્પર નિકટતા માટેનું નિમિત્ત બની શકે. ઇસુ ખ્રિસ્ત પણ કહે છે કે love thi  Neighbour આવી ભાવના બીજાના ગુણ જોવાથી જ આવે. બીજાના દોષ જોવાથી તો તેના પ્રત્યે દુર્ભાવ જાગે, તેને હીનતાથી જોવાનું વલણ જન્મે અને તેના તરફ નફરત પેદા થાય છે. આ પ્રકારની લાગણીથી સંબંધોમાં તણાવ સર્જાય અને સંઘર્ષ જન્મે છે. એક સાર્વત્રિક મનોવૈજ્ઞાનિક સત્યનો આધાર લઇ ઋષિ સદ્દભાવ – સંબંધ ઉપદેશે છે. અન્યના દોષ જોવાને બદલે ગુણજ્ઞ દ્રષ્ટિ કેળવાય તો તેનામાં રહેલ સારા શુભ તત્ત્વો દેખાય, તેનું આકર્ષણ થાય, પુનઃ પુનઃ તેને મળવાનું મન થાય. આવા હકારાત્મક અભિગમથી વ્યક્તિનો પોતાનો ઉત્કર્ષ સધાય અને શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમનું સામ્રાજ્ય સ્થપાય.

૩  'अपास्मत सर्व दुर्भूतम' – अथर्ववेद – ३-७-७ 

(અમારા બધા જ દુર્ભાવો દૂર થાઓ.) (પૃ.૯ વેદ સૂક્તિ)

પ્રસ્તુત સૂત્રમાં અથર્વવેદના ઋષિએ આગળના સૂત્રોમાં જે શુભકામના કરી છે તે શ્રેણીમાં વ્યક્તિના શ્રેયની પ્રાર્થના છે. 'सहृदय साम्मनस्यम्'i સૌની સૌની સાથે સહૃદયતા સાધવાની વૃત્તિ ધરાવતા ઋષિ, ક્યાં ય કોઈની પણ સાથે શત્રુતાનો નિષેધ કરે છે. જો બીજા સાથે શત્રુતાનો ભાવ જન્મે તો તે પોતાના અંતરનો દુર્ભાવ છે એવું ઋષિ સમજે છે. પોતાના મનની નીપજ સમા નફરત, ઈર્ષા અને દુર્ભાવને તેઓ શત્રુ માને છે. બહારના શત્રુઓ કરતાં પોતાના ષડરિપુઓ, આંતરશત્રુઓ વધુ ખતરનાક છે. ઋષિ અંદરના આ શત્રુઓને દૂર કરવા ઈચ્છે છે.

સાંપ્રત સમયમાં માણસની વંચનાને Dual Personalityને ઉજાગર કરતું આ સૂત્ર દર્શાવે છે કે વ્યક્તિનું મિથ્યાભિમાન એનો આડંબર એના આ દુર્ભાવને છુપાવે છે. જેથી વ્યક્તિ સમાજને અને પોતાની જાતને છેતરે છે. 'विषकुम्भ पयो मुखम्' (ઝેર ભરેલા ઘડાના મુખ પર, ઉપર ઉપરથી દૂધ ભરેલું હોય) એવું વ્યક્તિત્વ છેતરામણું અને ભ્રામક હોય છે. અથર્વવેદના ઋષિ આ પરિસ્થિતિથી બચવા, પોતાના આંતરશત્રુઓને, પોતાના ષડરિપુઓને બરાબર જાણી લઇ તેને દૂર કરવા ઈશને પ્રાર્થના કરે છે.

૪  'ईर्ष्यामुइनाग्निमिव शमय' i अथर्ववेद ७-४७-१

 (જે રીતે પાણી અગ્નિને શાંત કરે, તેમ ઈર્ષાને શાંત કરો.)  (પૃ.૧૧  વેદ સૂક્તિ)

માણસ માત્રમાં રહેલા તેના આંતરિક દુ:શ્મનો, ષડરિપુઓ પૈકીનો એક ઈર્ષા – અદેખાઈ છે. ઈર્ષા એવી આગ છે જેમાં બીજો તો બળતાં બળે પણ સૌથી પહેલાં ઈર્ષાળુ જ બળીને ખાખ થઇ જાય છે. શેખ સાદી તો ઈર્ષા કરનારની દયા ખાતાં કહે છે – ''इर्षालु मनुष्य स्वयं ही इर्षाग्नि में जला करता है i उसे और जलाना व्यर्थ है i" ઈર્ષા કરનારની માનસિક સ્થિતિ તેના વિકાસને અટકાવે છે.

અન્યની સફળતા કે સુખ સહન ન કરી શકનાર ઈર્ષ્યાનો ભોગ બને છે. ઈર્ષ્યાનો અગ્નિ તેને સતત બાળે છે. તુલસીદાસ પણ આ સંદર્ભે કહે છે –

                    "पर सुख संपति देखि सुनि, जरहिं जे जन बिनु आगि i
                     तुलसी  तिन के  भाग तें  चले चलाई  भागि ii "

૫  मा क्रुध: i  अथर्व वेद ११- २- २०

(ક્રોધ ન કરો) (પૃ.૩૯  વેદ સૂક્તિ)

માણસની સઘળી આપત્તિ અને અવનતિનું મૂળ ક્રોધ છે. અથર્વવેદના ઋષિ આ સમજી ચુક્યા છે એટલે ક્રોધ ન કરવાની શીખ આપે છે. ગીતામાં પણ ક્રોધજન્ય અનર્થની પરંપરા બતાવી છે.

                     "क्रोधाद् भवति संमोह: संमोहात् स्मृति विभ्रम: i
                     स्मृतिभ्रंशाद् बुध्धिनाशो, बुध्धिनाशात प्रणश्यति II

ઉપરોક્ત ઉપરોક્ત શ્લોક પ્રમાણે વિનાશપર્યંતની પરંપરાના મૂળમાં ક્રોધ છે. ક્રોધ વેર વધારે, મૈત્રી મિટાવે, કુરુપતા લાવે મતિ ભ્રષ્ટ કરે, દુર્ભાગ્ય લાવે, કીર્તિને નષ્ટ કરે. સાચે જ ક્રોધ સમાન કોઈ શત્રુ નથી, ક્રોધ માનવને દાનવ બનાવી દે છે.

૬  "मा त्वया समरामहि i" अथर्ववेद -११-२-२०

(આપની સાથે અમારો વિરોધ ન રહો .) (પૃ.૩૫ વેદ સૂક્તિ) 

વર્તમાન વિશ્વ વિરોધોનું વિશ્વ છે. એક બીજાનો વિરોધ કરવો એ દિન પ્રતિદિન સામાન્ય બનતું જાય છે. વિરોધ વેરને જન્મ આપે છે. ઉપનિષદના ઋષિ એટલા માટે જ म 'मा विद्विषावहै' (અમે પરસ્પરનો વિદ્વેષ કે વિરોધ ન કરીએ) એવી પ્રાર્થના કરે છે. ઋષિ સામાના અભિગમની ચિંતા કર્યા વિના, પોતે વિરોધ ન કરે એવી ભાવના વ્યક્ત કરે છે. વિરોધની ભાવના ઝઘડો નોતરે છે, ઝઘડાથી ભેદભાવ સર્જાય અને વિઘટનની પ્રક્રિયા આરંભાય છે. પરંતુ જેને સમત્વ લાધ્યું હોય, રાગદ્વેષ શમી ગયા હોય, સ્થિતપ્રજ્ઞતા પ્રગટી હોય તેને વિરોધ કરવાનો પ્રસંગ જ આવતો નથી. જે દ્વેષ ન કરે તે સર્વ સામાન્ય બને. આ સહજ ફલશ્રુતિ છે. જેવું કરીએ તેવું પામીએ .

                           "Love and you will be loved,
                            Hate and you will be hated."

૭  "मित्रस्याह्ं चक्षुषा सर्वाणि भूतानि समीक्षे i" यजुर्वेद ३६-१८

(પ્રાણી માત્રને હું મિત્રની દ્રષ્ટિથી જોઉં) (પૃ.૩૯ વેદ સૂક્તિ)

પૃથ્વીનું પર્યાવરણ આજના વિશ્વની વિકટ સમસ્યા છે. પશુ પક્ષી અને પ્રકૃતિની એવી ઘણી પ્રજાતિઓ આજે લુપ્ત થવાને આરે છે ત્યારે યજુર્વેદના ઋષિ જાણે પર્યાવરણના જતન -સંવર્ધનનો મંત્ર આપતા હોય એમ  કહે છે કે, પ્રાણી માત્રને હું મિત્રની દ્રષ્ટિથી જોઉં. ઋષિ સાચા અર્થમાં મિત્ર બનવા ચાહે છે અને સૌને મિત્ર બનાવવા કહે છે. સૂર્ય જેમ સૌના હિતમાં જાતે બળીને સમગ્ર વિશ્વને પ્રકાશ અને ઊર્જા આપે છે. તેવી જ રીતે ઋષિ પણ સર્વના શ્રેયની અપેક્ષા રાખે છે. પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ અને સદ્દભાવ કેળવવો જરૂરી છે. બધા જ પોતાના પ્રિય થાય અને પોતે યોગ્યતા કેળવી સૌના પ્રિય બને આવી પરસ્પર પ્રેમના આદાનપ્રદાનની ભાવનાથી પ્રાણી, પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યે પ્રેમ જાગે.

૮  'कृषिम् इत कृषस्व i' – ऋग्वेद -१०-३४-१३

(ખેતી જ કર.)  (પૃ.૧૮ વેદ સૂક્તિ)

ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે ઋગ્વેદના ઋષિની આ વાત આજે પણ એટલી જ પ્રસ્તુત અને માર્મિક છે. કૃષિ ઉત્તમ વ્યવસાય છે. ખેતીમાં પ્રકૃતિના પ્રત્યક્ષ આશીર્વાદ મળે છે. અહીં ઋષિ કૃષિ અને કૃષિકારનું મહત્ત્વ સમાજ સામે ધરે છે. પોતાના પરિશ્રમનું ફળ સમગ્ર સમાજની સેવામાં ધરી દેનાર અને સૌને અન્ન બ્રહ્મનો આસ્વાદ કરાવનાર કૃષિકાર (ખેડૂત) તેથી જ તો 'જગતનો તાત' કહેવાય છે. અન્ય વ્યવસાય કરતાં ખેતીમાં એક વિશિષ્ટ ગુણ છે . અન્ય વ્યવસાયમાં ક્યાંકને ક્યાંક શોષણ પ્રવેશતું હોય છે, જયારે ખેતીમાં એવું નથી. એનાથી અનેકને આનંદની પ્રાપ્તિ થાય છે. પૂજ્ય રવિશંકર મહારાજે ખેતીનું મહત્ત્વ અને ખેડૂતનો આદર કરતાં કહ્યું કે – अर् એટલે એટલે ખેતી કરવી અને ખેતી કરનાર તે આર્ય – પૂજ્ય કે સન્માન્ય.

રૂપકાત્મક રીતે ઋષિ અહીં મનની ખેતી કરવાનું સૂચવી માર્મિક અને મનોવૈજ્ઞાનિક અભિગમ દાખવે છે. વણખેડાયેલું કે ઉજ્જડ, અસંસ્કૃત મન, વણખેડી જમીનની જેમ જ, જંગલો પેદા કરે છે. જંગલ પાસે આવનારને ભટકાવે, અટવાવે માટે ઋષિ મનની ખેતી કરવા કહે છે, તેને શાસ્ત્રવચનોરૂપી હળથી ખેડવાની અને વિદ્વાનોના માર્ગદર્શક આશીર્વાદે સીંચવાની શીખ આપે છે. આમ કરવાથી 'મન'માં વાવેલા સંસ્કારબીજ, ખૂબ ફળે, સુખપ્રદ બને જે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે.

૯  बध्धान्मुञचासि बध्दकम् i अथर्ववेद : ६-१२१-४

(બંધનમાં પડેલાને મુક્ત કરો)

ઉપરોક્ત સૂત્રમાં ઋષિ સર્વને માટે સ્વતંત્રતા, બંધન મુક્તિ ઈચ્છે છે. વસ્તુત: તો, સ્વતંત્રતા એ સ્વભાવ છે. વ્યક્તિ સ્વભાવ વિસરે ત્યારે પરતંત્ર બને અને દુ:ખ અનુભવે. આ દુઃખ અજ્ઞાનજન્ય છે. ઉદાહરણ તરીકે – સાંકડા મુખવાળા ઘડામાંથી ચણા કાઢવા, તેમાં હાથ નાંખીને મુઠ્ઠી વાળતા વાંદરાનો હાથ ઘડામાંથી નીકળતો નથી. વાંદરો માને છે કે પોતાને ઘડાએ પકડી લીધો છે, પોતે બંધાઈ ગયો છે. ચણાની આસક્તિ છોડીને મુઠ્ઠી ખોલી નાંખે તો તેનો હાથ બહાર નીકળે અને તે મુક્તિ અનુભવે.

છૂટવાનું તો વ્યક્તિએ જાતે જ છે: પણ વ્યક્તિને મનમાં ઘર કરી ગયેલી અજ્ઞાનની ગ્રંથિમાંથી કેવી રીતે છુટાય તે ગુરુ બતાવે. બંધનમુક્ત થવાની ચાવી ગુરુ પાસે છે.

૧૦ 'तेन त्यक्तेन भुञ्जीथा:i’ यजुर्वेद -४०-१

(ઈશ્વરે આપેલું ભોગવ.) (પૃ.૨૦ વેદ સૂક્તિ)

વર્તમાન સમયના સ્વાર્થી, સંકુચિત અને અહં કેન્દ્રી વિશ્વને ઋષિ જીવન જીવવાનો ગુરુમંત્ર આપે છે. પ્રામાણિક જીવન માટેનો સાધનામાર્ગ આ સૂત્ર બતાવે છે.

જગત ઈશ્વર સ્વરૂપ છે. (ईशावास्यमिद्ं सर्वम् – यजुर्वेद ४०-१) માટે ઈશ્વરદત્ત સઘળી વસ્તુનો આનંદથી સ્વીકાર કરવાનો છે. આ સ્વીકાર અધિકારીભેદે ત્રણ રીતે થાય છે. (૧) જ્ઞાની માટે त्यक्तेन त्यक्तेन – એટલે ત્યજેલાથી એવો અર્થ છે. વૃક્ષ પરથી સ્વયં ખરી પડેલું ફળ, પાક લીધા પછી પડી રહેલા દાણા એ બધું त्यक्त કહેવાય, જ્ઞાની તેને માણે છે. (૨) ભક્ત માટે त्यक्तेन त्यक्तेन એટલે न्यस्तेन न्यस्तेन – મુકાયેલ પોતાના ઇષ્ટની પાસે સમર્પિત ભાવે મુકેલી વસ્તુ તે त्यक्त છે. તેને પ્રસાદરૂપે માણવાની છે. (૩) કર્મયોગી માટે त्यक्तेन એટલે दत्तेन दत्तेन અપાયેલ અપાયેલ, એવો અર્થ છે. પોતાના કર્મોનાં ફળ સ્વરૂપે જે કંઈ મળેલું હોય (સુખ ,દુઃખ) તેને માણવાનું હોય છે. કર્મયોગી તેને ભોગવે છે. ગુરુની દીક્ષા – આદેશ અનુસાર જગતને માણવાનું છે, તેનો ત્યાગ કરવાનો જ નથી. જગતની વસ્તુ કે વ્યક્તિનો ત્યાગ નહિ, પણ તેમાં પેદા થતી (તે સ્વરૂપમાં થતી) આસક્તિનો ત્યાગ કરવાનો છે. પ્રાપ્ત થયેલ સર્વ પદાર્થોમાંથી કર્તા કે ભોક્તાપણાનો ભાવ છોડી તેનો ઉપભોગ (ભોગવનાર પણ હરિ અને ભોગ કરાવનાર પણ હરિ) એ ભાવે કરવાનો આદેશ ઋષિ આપે છે.

૧૧  यदन्तरं तद् बाह्यं i यद् बाह्यं तदन्तरम i  – अथर्ववेद  २-३०-४

(જે અંદર, તે જ બહાર, અને જે બહાર, તે જ અંદર.) (પૃ.૫૦  વેદ સૂક્તિ)

ભૌતિકતાવાદી આ જગતમાં માણસ હવે વિશ્વાસપાત્ર રહ્યો નથી. એનું વ્યક્તિત્વ હાથીના દાંત જેવું, ચાવવાના જુદા અને દેખાડવાના જુદા જેવું છે. માણસ dual Personalityવાળો બની ગયો છે. આ સૂત્રમાં ઋષિ મન, વચન અને કર્મની એકરૂપતાનો સંદેશ આપે છે. વિચારે તેવું જ બોલે અને બોલે તેવું જ વર્તનમાં લાવે એ વ્યક્તિ જ મહાન છે.

                  'मनस्येकं वचस्येकं कर्मण्येकं महात्मनाम i
                  मनस्यन्द् वचस्यन्यत् कर्मण्यन्यद  दुरात्मनाम् ii'

મહાત્માનાં મન – વાણી અને કર્મ સમાન હોય, દુરાત્મા કે દુષ્ટનાં આ ત્રણેમાં ભિન્નતા હોય. પારદર્શક વ્યક્તિત્વ ધરાવતા, નિષ્કપટ અને શુદ્ધ ચારિત્ર્ય ધરાવતા લોકો જ વંચનાથી વિમુખ રહી શકે.

ધ્યાનનો આડંબર કરતા અને હિંસા આચરતા બગલા કરતાં સ્પષ્ટ રીતે હિંસક દેખાતો અને એ જ રીતે વર્તતો કાગડો વધારે સારો. મ્હોરાં પહેરીને ફરતા, બનાવટી કે ઢોંગી લોકો સમાજ માટે ખતરનાક હોય છે. આથી ઋષિ આદર્શ જીવન માટે મન, વચન અને કર્મની એકરૂપતા ઈચ્છે છે.

૧૨ 'सत्यं वक्ष्यामि, नानृतम i अथर्ववेद -१०-८-१९

(હું સત્ય બોલીશ, અસત્ય નહિ.) (પૃ.૬૪ વેદ સૂક્તિ) 

'सत्यान नास्ति परो धर्मः i' (સત્યથી મોટો કોઈ જ ધર્મ નથી) સત્ય જ પરમેશ્વર છે. सत्यं वक्ष्यामि (સાચું બોલીશ) એ જીવનનો હકારાત્મક અભિગમ છે. અને अनृतं अनृतं न वक्ष्यामि (ખોટું નહિ બોલું) એમાં નકાર છે. પરંતુ ઋષિ બંને દ્વારા સત્યના પક્ષે જ ઢળે છે.

જૂઠ કે અસત્યમાં ભારે આકર્ષણ હોય છે, પણ તે ક્ષણજીવી અને નાશવંત હોય છે. સ્થિરતા તો સત્યમાં જ હોય છે. તે જ ટકે અને વિજયી નીવડે. મુંડકોપનિષદના ઋષિએ એટલે જ તો ભારપૂર્વક કહ્યું હશે કે – 'सत्यमेव जयते' મહાત્મા ગાંધીનું તો જીવન જ સત્યની પ્રયોગશાળા બની રહ્યું. તેમને કહ્યું કે – 'મારા જેવા હજારોનો ક્ષય થાઓ પણ સત્યનો જાય થાઓ, અલ્પાત્માને માપવા સત્યનો ગજ કદી ટૂંકો ન થાઓ. ટોલ્સટોય પણ પોતાના હીરો તરીકે સત્યને જ સ્થાપે છે. દિલમાં સફાઈ અને હોઠો પર સચ્ચાઈ એ જ આત્મકલ્યાણનો વિકાસમાર્ગ છે.

૧૩ 'मय्येवास्तु मयि श्रुतम् i -अथर्ववेद -१-१-२

(પ્રાપ્ત થયેલું જ્ઞાન મારામાં સ્થિર થાઓ.) 

                 'पुस्तकस्था तु या विध्या, परहस्तगतं धनम् i
                  कार्यकाले समुत्पन्ने न सा विध्या न तद्धनम् ii'

પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલું ધન, જ્યારે ઉપયોગ માટે અપેક્ષિત હોય ત્યારે કામમાં આવતું નથી, તેથી આવું ધન કે આવી વિદ્યા નકામા છે. આથી જ ઋષિ જ્ઞાનને પોતાનામાં સ્થિર કરવા ઈચ્છે છે જે અણીના સમયે ઉપયોગી બને , ઉપરાંત આ જ્ઞાનને સતત સ્વાધ્યાય દ્વારા તાજું રાખવા પણ ઋષિ ઈચ્છે છે તેમ જ પોતે સજ્જ રહેવા ચાહે છે. આવું જ્ઞાન તેની શક્તિ બની રહે છે.

બેકન નામના વિચારક પણ Knowledge is  Power એમ કહે છે, તે આવા અણીના સમયે કામમાં આવતા જ્ઞાન માટે જ કહ્યું હશે. તો વળી સર ડબલ્યુ ટેમ્પિલ જ્ઞાનને જ ઉત્તમ મિત્ર ગણતાં Wisdom is Best Friend કહે છે.

A friend in need is a friend in deed જરૂર વખતે ઊભો રહે તેજ સાચો મિત્ર. કસોટીમાં, કપરી સ્થિતિમાં કે કારકિર્દીના ઉન્નત સમયે પણ ન ત્યજે તે મિત્ર અને આ મિત્ર તે જ્ઞાન. માટે ઋષિ જ્ઞાનને સતત પોતાની સાથે રાખવાની કામના કરે છે.

૧૪  'सूत्रस्य सूत्रं यो विध्यात्  स विध्यात् परमं महत्'  – अथर्ववेद – १०-८-३७

(સૂત્રના પણ સૂત્રને જાણે છે, તે પરબ્રહ્મને જાણે છે.)  (પૃ.૬૮ વેદ સૂક્તિ)

આજે LHC (Large Hadron Collider) દ્વારા બ્રહ્માંડની ઉત્પત્તિના રહસ્યને પામવા મથતા માણસને અથર્વવેદના ઋષિ જાણે કોઈ રહસ્ય બતાવતા હોય એમ આ સૂત્ર આપે છે. सूत्र શબ્દને સમજાવતાં તેઓ કહે છે કે 'यो विध्यात् सूत्रं विततम् यस्मिन ओता:प्रजा:इमा:i' (જે આ વિસ્તૃત – વ્યાપક સૂત્રને જાણે છે કે જેમાં આ પ્રજાઓ ઓતપ્રોત છે.) આ વ્યાપક સૂત્ર જ સમગ્ર જીવસૃષ્ટિનો મૂલાધાર પ્રકૃતિ છે. તે સર્વનું કારણ છે. જગતનું તે મૂળ કારણ છે. આ પ્રકૃતિને જાણવી અને તેની મદદથી તેના ય મૂળ કારણ એવા બ્રહ્મને જાણવાનું. આ બ્રહ્મ કારણનું ય કારણ ( कारणं कारणानाम् ) છે. સૃષ્ટિનું કારણ પ્રકૃતિ અને પ્રકૃતિનું કારણ તે આ બ્રહ્મ. एकेन विज्ञातेन सर्वमिदं विज्ञातं भवति i (એકને જાણવાથી બધાનું જ્ઞાન થઇ જાય.)

વેદના આ સૂત્રાત્મક વિધાનોમાં સત્યપૂત વાણીનું સામર્થ્ય રહેલું છે. આપણી આંખ બહાર જોવા ટેવાયેલી છે, અંદર જે મૂલ્યવાન ખજાનો છે તે તરફ તેની નજર જતી જ નથી. આ શબ્દો વિરલ છે, શબ્દ વિરલ થાય છે એમાં રહેલ સત્યને કારણે સત્ય વિનાનો શબ્દ એ હાડપિંજર છે. સત્ય વાણીને પવિત્ર કરે છે. સત્ય તત્કાલીન કે સમકાલીન નથી હોતું સત્યનો સંબંધ શાશ્વતી છે.(ઝલક)

'દરેક જમાનાને એના આગવા વિચારો હોય છે તે સમયે એને આધુનિક કે પછાત ગણવાની સમજ દરેકમાં હોતી નથી. સમય વીતતાં ઇતિહાસ નક્કી કરે છે કે શું આધુનિક હતું, શું પછાત હતું.’ (એકત્રીસ સોનામહોરો પૃ. ૭૬). નવા યુગમાં શ્રદ્ધા સાથે ચેનથી જીવવું હશે તો મનની બારી ખુલ્લી રાખવી પડે એને તાજી હવાનો અનુભવ કરાવવો પડે. જે ધર્મ, જે સંસ્કાર અને જે પરંપરા આધુનિકતાની કસોટીમાંથી પાર ન ઊતરી શકે તો તેને ત્યજી દેવી પડે. (એકત્રીસ સોનામહોરો પૃ.૨૭૨) વેદના આ સૂત્રો આજે પણ સાંપ્રત સમાજજીવન માટે  પ્રસ્તુત છે કારણ કે, એનો વિચાર, એનું ચિંતન એની દાર્શનિકતા, એનું આર્ષદર્શન, અને એની વૈશ્વિકતા આજે પણ આધુનિક અને પ્રસ્તુત છે.

સી.યુ. શાહ આર્ટસ કોલેજ ,અમદાવાદ − 380 001 

સંદર્ભ ગ્રંથ

૧. વેદ સૂક્તિ સુધા

૨. ઝલક

૩. એકત્રીસ સોનામહોર

૪. ભારત દર્શન

Loading

ધરમના પ્રકાશ અને પડછાયા !

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2019

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે આ જગતમાં જેટલા ધર્મો છે એ બધા જ સાચા ધર્મો છે અને એ બધા જ ધર્મો ક્ષતિગ્રસ્ત પણ છે. આ કથન ખૂબ અર્થગંભીર છે. દરેક ધર્મના ઝનૂની લોકો એમ માને છે કે તેમનો ધર્મ જ સાચો, શ્રેષ્ઠ અને સંપૂર્ણ ધર્મ છે અને બાકીના બધા ધર્મો અધૂરા છે. જો દરેકે દરેક ધર્મનો અનુયાયી આમ માનવા લાગે તો જગતનું શું થાય? સહઅસ્તિત્વ અશક્ય થઈ જાય. માટે ગાંધીજીએ કહ્યું છે કે બધા ધર્મો સાચા છે.

તેમણે આવું બધાને રાજી રાખીને વિવિધ ધર્માનુયાયીઓ વચ્ચે સહઅસ્તિત્વ આસાન કરવા માટે નથી કહ્યું. ચાલાકી નહોતી. તું પણ સાચો અને તું પણ સાચો એવો ઈરાદો નહોતો. ગાંધીજી એમ માનતા હતા કે દરેક ધર્મના પ્રવક્તા વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. તેઓ પવિત્ર હતા, સાધક હતા અને સિદ્ધ હતા એ માની લેવામાં પણ વાંધો ન હોવો જોઈએ. એ મહાનુભાવોએ પોતાના યુગને પારખ્યો હતો, પ્રજાની જરૂરિયાત સમજી લીધી હતી અને દીર્ઘકાલ સુધી ઉપયોગી થાય એવાં સૂચનો કર્યા હતાં અને એ રીતે પોતાનું પ્રામાણિક જીવન જીવ્યા હતા. તેઓ તેમના યુગના અને તેમના સમાજના પેગંબર હતા. આ અર્થમાં દરેક ધર્મ સાચા છે.

આ સાથે દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત પણ છે. જો ધર્મો ઈશ્વરે રચ્યા હોત તો જગતમાં આટલા બધા ધર્મો ન હોત. આખા જગતની પ્રજા ઈશ્વરની પ્રજા છે એટલે એક સરખો ધર્મ દરેક લોકો માટે હોવો જોઈતો હતો. બીજું ધર્મોમાં વધારો ઘટાડો ન થતો હોત. અત્યારે તો દર સદીમાં એકાદ ધર્મ કે સંપ્રદાય ઉમેરાય છે. કોઈ ચોક્કસ ધર્મ જો સંપૂર્ણ હોત તો તેમાં સંપ્રદાયના અને પેટા સંપ્રદાયના વિભાજનો ન થયાં હોત. જગતમાં ભાગ્યે જ કોઈ ધર્મ હશે જેમાં વિભાજન ન થયાં હોય. ધર્મમાં કે ધર્માચરણ કરાવનારાઓમાં કોઈક ખામી જોઈ અથવા પોતાનો નોખો ચૂલો માંડવામાં કોઈ સ્વાર્થ જોયો એટલે તો વિભાજીત થઈને અલગ પડ્યા ને? દરેક ધર્મના આદેશ સ્થળ અને કાળ દ્વારા મર્યાદિત છે. એ વાત ખરી કે કેટલાંક કથનો સનાતન સત્ય સમાન હોય છે, પણ દરેક નથી હોતાં. જેને આપણે પયગંબર કહીએ કે અવતાર પુરુષ કહીએ તેના યુગમાં જે કથન પ્રાસંગિક હોય એ અન્ય સ્થળે, અન્ય સમાજમાં, અન્ય યુગમાં પ્રાસંગિક ન પણ હોય. જો ચિરંતન પ્રાસંગિકતા સનાતન સત્ય છે તો સ્થળ-કાળની અપ્રાસંગિકતા પણ સનાતન સત્ય છે.

માટે જ ગાંધીજીએ કહ્યું છે કે જગતના બધા જ ધર્મો સાચા છે, પણ કોઈ ધર્મ ખામીરહિત સંપૂર્ણ નથી. જેવી શ્રેષ્ઠ અને સંપૂર્ણ હોવાની વાત આવી કે પ્રતિવાદ શરૂ થાય અને પ્રતિવાદ કરવા માટે બીજા ધર્મોમાંની ખામી વીણીવીણીને બતાવવામાં આવે. અન્ય ધર્મના ધર્માનુયાયીના આચરણની ખામી ધર્મ ઉપર આરોપવામાં આવે અને પોતાનાં ધર્મનાં શ્રેષ્ઠ વચનોનો આશરો લઈને પોતે પાપાચરણ કરતા હોય તો પણ પોતાને દોષમુક્ત કરવામાં આવે. અનુયાયીઓનું આ મિથ્યાભિમાન અને પાખંડ ધર્મને લજવે છે.

જો દરેક વ્યક્તિ એમ સ્વીકારી લે કે દરેક ધર્મમાં કોઈક એવી ચીજ કહેવાઈ છે જે સનાતન સત્ય સમાન છે; જે દરેક યુગમાં, દરેક સ્થળે દરેક સમાજને ઉપયોગી થાય એમ છે. આ સાથે એમ પણ સ્વીકારી લે કે મારા ધર્મ સહિત જગતના દરેક ધર્મમાં એવું કાંઈક જોવા મળે છે જે મૂળભૂત માનવીયતાની વિરુદ્ધ છે એટલે ત્યાજ્ય છે. હું ધર્મની નિંદા નહીં કરું, પણ જે શોભનીય નથી એનો બચાવ પણ નહીં કરું. કેટલી સરળ વાત, પણ કેટલી અઘરી પડે છે નહીં!

ગાંધીજીને ટાંકીને આટલી પૂર્વભૂમિકા એટલા માટે બાંધવી પડી છે કે હિંદુઓને ઈસ્લામ અને મુસલમાનો માટે પૂર્વગ્રહ છે. તેઓ કાંઈ પણ જાણ્યા વિના બધું જ જાણે છે અને શરમાયા વિના નિંદે છે. મુસલમાનો એમ માને છે કે માત્ર તેમનો ધર્મ સાચો છે, સંપૂર્ણ છે અને શ્રેષ્ઠ છે. તેઓ ઈસ્લામમાં સ્થળ-કાળની મર્યાદા સ્વીકારવા તૈયાર નથી. ખિલાફત આંદોલન વખતે ગાંધીજી જે મૌલાના શૌકતઅલીને પોતાના ભાઈ તરીકે ઓળખાવતા હતા અને દેશભરમાં સાથે ફેરવતા હતા એ મૌલાના શૌકતઅલીએ જ્યારે ગાંધીજી સાથે વાંકું પડ્યું ત્યારે કહ્યું હતું કે ગાંધીજી કરતાં બળાત્કારી મુસલમાન શ્રેષ્ઠ છે કારણ કે તે મુસલમાન છે અને ગાંધીજી કાફિર છે. ગાંધીજીએ ભારતીય પ્રજાને ધર્મને મુલવવાની ધર્મની જે એરણ આપી છે એ પ્રાસંગિક છે. ગાંધીજીને એની જરૂરિયાત વર્તાઈ હતી એ આપણને પણ વર્તાવી જોઈએ.

*****

ભારતમાં જ્યાં સુધી ઇસ્લામ ધર્મ નહોતો આવ્યો ત્યાં સુધી હિંદુઓએ આની ખાસ ચિંતા કરવાની જરૂર નહોતી. જે કોઈ વિદેશથી આવતા હતા એ હિંદુ ખરલમા વટાઈને હિંદુ થઈ જતા હતા. આનું કારણ એ હતું કે તેઓ જે કોઈ ઈશ્વરી શ્રદ્ધા લઈને આવતા હતા એ તેમની પોતીકી- સામાજિક – પરંપરાગત શ્રદ્ધા હતી; કોઈ ચોકઠાબંધ ધર્મ નહોતો જેને આપણે અંગ્રેજીમાં ઓર્ગેનાઈઝ્ડ રિલીજિયન કહીએ છીએ. આમ હિંદુ ખરલ સામે હજુ સુધી પડકાર પેદા નહોતો થયો જે ઇસ્લામના આગમન સાથે થયો હતો.

આમ છતાં ય ખરલે કોઈક રસ્તો કાઢ્યો હોત, પરંતુ ભારતનાં દુર્ભાગ્ય કે ભારતમાં જે ઈસ્લામ આવ્યો એ “શુદ્ધ ઈસ્લામ” નહોતો અને ભારતમાં જે મુસલમાન આવ્યા એ “શુદ્ધ મુસલમાન” નહોતા. આ બે વાત સમજી લેવાની જરૂર છે.

ઈસ્લામના પેગંબર મહમ્મદનો જન્મ અરબસ્તાનમાં ઈ.સ. ૫૭૦ની સાલમાં થયો હતો. તેઓ વેપાર કરતા હતા અને ધર્મ કે આધ્યાત્મિકતા સાથે તેમનો દૂર દૂરનો પણ સંબંધ નહોતો. એક દિવસ તેઓ મીનાના પર્વત પર ગયા ત્યારે તેમને ગેબી અવાજ સંભળાયો. મહમ્મદ સાહેબ ડરી ગયા, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે ડરવાની જરૂર નથી. આ અલ્લાહનો પ્રજા માટેનો સંદેશ છે જે તારે લોકો સુધી પહોંચાડવાનો છે. એ પછી ૨૩ વરસ સુધી તેમને પયગામ મળતા રહ્યા જેમાંથી ૧૩ વરસ તેઓ મક્કામાં હતા અને ૧૦ વર્ષ મદીનામાં હતા.

મુસલમાનો મહમ્મદ સાહેબને પેગંબર, નબી અને રસૂલ તરીકે ઓળખાવે છે. પેગંબરનો અર્થ થાય છે ઈશ્વરનો સંદેશ (પયગામ) લાવનાર. માનવ-ઉપયોગી પરમ જ્ઞાન સંભળાવનારને નબી કહેવામાં આવે છે. નબી એવો દૂત છે જે ઈશ્વર પાસેથી પરમ જ્ઞાન મેળવીને લોકો સુધી પહોંચાડે છે. રસૂલનો અર્થ પણ દૂત જ થાય છે. આમ લગભગ એક જ અર્થના ત્રણ વિશેષણો મહમ્મદ માટે વપરાય છે.

‘લા ઇલાહ ઈલ્લલ્લાહ મુહમ્મદુર્રસૂલલ્લાહ’ એ ઈસ્લામનો મૂળમંત્ર છે જેનો અર્થ થાય છે ‘અલ્લાહ સિવાય કોઈ પૂજનીય નથી અને મહમ્મદ તેના રસૂલ છે.’ આમ સાચા મુસલમાને અલ્લાહનો અને તેના રસૂલ તરીકે મહમ્મદનો પણ સ્વીકાર કરવાનો. એ પછી મુસલમાનોને પાંચ મૂળભૂત શિક્ષા આપવામાં આવી છે. ૧. કલમો પઢવો અર્થાત્ ‘લા ઇલાહ… વાળા મૂળમંત્રનો પાઠ કરવો. ૨. દિવસમાં પાંચ વાર નમાજ પઢવી એટલે કે પ્રાર્થના કરવી. ૩. વરસમાં એક વાર રમઝાનના મહિનામાં રોજા રાખવા. રમઝાન મહિનો પસંદ કરવાનું કારણ એ હતું કે એ મહિનામાં કુરાનની પહેલી આયાત ઉતરી હતી. ૪. દરેક મુસલમાને પોતાની વાર્ષિક આવકનો ચાલીસમો હિસ્સો (અઢી ટકા) દાન માટે કાઢવો. ૫. બને એટલી વાર મક્કા અને મદીનાની હજ કરવી.

આના પરથી જોઈ શકશો કે જગતનો સરલતમ ધર્મ હોય તો એ ઇસ્લામ ધર્મ છે અને ઇસ્લામના ઝડપી ફેલાવાનું આ રહસ્ય છે. દર્શનની કાથાકૂટ એમાં બહુ ઓછી છે. વ્યવહારધર્મ છે. બીજું ખુદા અને બંદા વચ્ચે કોઈ વચેટિયો નથી. કર્મકાંડના કોઈ આડંબર નથી અને પુરોહિતોની પૈસા વિના ભેદી ન શકાય એવી જમાત નથી. હિંદુ ધર્મમાં જેમ અધિકારભેદની વણઝાર છે એનો ઇસ્લામમાં સદંતર અભાવ છે. મુસલમાન એટલે મુસલમાન, એ સિવાયની બીજી કોઈ ઓળખ નહીં. એટલે ઇસ્સ્લામને જગતનો સૌથી વધુ સમાનતા આધારિત સમાજવાદી ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. ઈસ્લામનો જે ઝડપી ફેલાવો થયો એનું કારણ આ સરળતા છે, તલવાર નથી. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઝડપી ફેલાવો થયો એનું કારણ પણ સામાન્ય માણસને આદરપૂર્વકનું સ્થાન આપનારી અને બાથમાં લેનારી સરળતા હતું. 

ઈસ્લામમાં મૂર્તિપૂજા સામે સખત નિષેધ છે. આનું કારણ એ છે કે ઈસ્લામના પ્રાદુર્ભાવ પહેલા આરબો અનેક દેવ-દેવીઓને પૂજતા હતા અને તેના આધારે આપસમાં ઝઘડતા પણ હતા. આરબો હિંસક અને બર્બર હતા અને તેને ઉત્તેજન આપનારું એક કારણ દેવ-દેવીઓ માટેનો પક્ષપાત હતો. ખૂદ મહમ્મદને દેવ-દેવીઓ માટે લોહી રેડનારા આરબોથી જાન બચાવવા મક્કાથી મદીનાની હિજરત કરવી પડી હતી. વળી પૂજામાત્ર અધિકારભેદ પેદા કરે છે. ઉપરાંત આડંબર અને વચેટિયા તો પેદા કરે જ છે. દરેકને એક સરખો દરજ્જો આપનાર, ઈશ્વરપ્રાપ્તિનો દરેકને એક સરખો અધિકારી સમજનાર, જગતનો સૌથી વધુ સમાજવાદી ધર્મ, જગતનો સૌથી સરલતમ ધર્મ; મૂતિપૂજાને કારણે ઝનૂનનો, આડંબરનો તેમ જ વચેટિયોનો શિકાર ન બની જાય એ માટે તેનો નિષેધ કરવામાં આવ્યો છે.

પણ માણસ તો આખરે માણસ છે. તે સરસ કૃતિને બગાડે નહીં તો માણસ નહીં. એટલે ગાંધીજીએ કહ્યું છે કે દરેક ધર્મ સાચા છે અને દરેક ધર્મ ક્ષતિગ્રસ્ત છે. કેટલીક ખામી મૂળમાં જ  છે અને એ પછી તેમાં ખામીઓ ઉમેરાતી ગઈ. એટલી હદે ઉમેરાતી ગઈ કે દરેક ધર્મના મસીહા જો પાછા આવે તો તે તેનો અત્યારનો ધર્મ જોઈને કહે કે આ મારો ધર્મ નથી! ઈસ્લામની બાબતમાં પણ એવું જ બન્યું છે. આમ ભારતમાં જે ઈસ્લામ આવ્યો એ મહમ્મદપ્રેરિત શુદ્ધ ઈસ્લામ નહોતો અને ભારતમાં જે મુસલમાન આવ્યા એ મહમ્મદને અભિપ્રેત એવા સાચા મુસલમાન નહોતા. એમાં ઉમેરાઈ હિંદુઓની ટીપીકલ ઉદાસીનતા અને ઓળખ મેળવવાની તસદી પણ લીધા વિના પૂર્વગ્રહો બાંધવાની મનોવૃત્તિ.

04 સપ્ટેમ્બર 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 સપ્ટેમ્બર 2019

Loading

દલિતોને મનુષ્યત્વનું સન્માન અપાવવા ગાંધીજી પ્રચંડ પડકારો વચ્ચે લડ્યા છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 September 2019

બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનવાદનો અંત આવ્યો હતો અને ભારત સહિત બીજા સો કરતાં વધુ દેશો આઝાદ થવા લાગ્યા હતા. બીજા વિશ્વયુદ્ધ પછી સંસ્થાનો ટકાવવાં અને તેને ગુલામ બનાવીને શોષણ કરતા રહેવું એ શક્ય રહ્યું નહોતું, એટલે એક પછી એક દેશ આઝાદ થવા લાગ્યા હતા. ભારત છોડીને બીજા કોઈ દેશોમાં ગાંધી નહોતો અને છતાં તેને આઝાદી મળી હતી એટલે એ રીતે ભારતને પણ વગર ગાંધીએ આઝાદી મળી હોત. ઘણા લોકો આવી દલીલ કરે છે. આઝાદી શું એકલા ગાંધીજીને કારણે મળી છે? બીજા લોકોનું શું કોઈ યોગદાન નથી? આપણે તેમને જણાવી દઈએ કે ગાંધીજી ન હોત તો પણ ભારતને આઝાદી મળી હોત.

ગાંધીજીએ પણ ક્યાં આઝાદી અપાવવાનો દાવો કર્યો છે! એક જગ્યાએ એવું તેઓ બોલ્યા નથી. વળી તેમણે તેમની આખી જિંદગીમાં આઝાદી શબ્દ વાપર્યો જ નથી. તેઓ હંમેશાં સ્વ-રાજ શબ્દ જ વાપરતા અને તેનો અર્થ તેમને મન વ્યાપક હતો. રાજકીય આઝાદીને તેઓ સત્તાંતરણ (ટ્રાન્સફર ઑફ પાવર) તરીકે ઓળખાવતા હતા. ખરી આઝાદી અંગ્રેજોથી નહીં પણ અંગ્રેજિયતથી મેળવવાની છે અર્થાત્ – સ્વાર્થ, શરીરસુખ આપનારા ભોગ, શોષણ અને હિંસા આધારિત આધુનિક પાશ્ચાત્ય સભ્યતાથી મેળવવાની છે. આમ ગાંધીજીને રાજકીય આઝાદી સાથે આડકતરો સંબંધ હતો, સીધો નહોતો. રાજકીય આઝાદી મળે તો સ્વ-રાજનો પ્રયોગ કરવા માટે રસ્તો ખૂલે એ અર્થમાં. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આઝાદી એ સાધન હતું, સાધ્ય નહોતું. સાધ્ય તો સ્વરાજ હતું. સ્વ-રાજ. આ રીતે ગાંધીજીને આઝાદી અપાવનારા તરીકે ઓળખાવવા એ છત્રપતિ શિવાજીને હિંદુ રાજ્યની સ્થાપના કરનારા મરાઠા તરીકે ઓળખાવવા જેવું થયું.

આમ ગાંધીજીએ ભારતને આઝાદી અપાવી એ બોજથી જો ગાંધીવિરોધીઓને આઝાદ થવું હોય તો તેઓ આ ક્ષણે જ થઈ શકે એમ છે. પણ એક બીજા સવાલથી તેઓ આઝાદ થઈ શકે એમ નથી. ગઈ સદીમાં જે સો કરતાં વધુ દેશો આઝાદ થયા એમાંથી કેટલા દેશો ખરા અર્થમાં આઝાદી ટકાવી શક્યા છે? શું પાકિસ્તાન ખરા અર્થમાં આઝાદ છે? જો પાકિસ્તાનને તમે ખરા અર્થમાં આઝાદ ન માનતા હો તો તમારે આઝાદીનો ખરો અર્થ પણ કરવો પડશે. આ બધા દેશોમાં આંતરવિગ્રહથી લઈને સ્વીકાર કરવામાં આવેલા બંધારણના આખેઆખા ઢાંચાને બદલીને લોકશાહીનો પ્રાણ હરી લેવા સુધીની ઘટનાઓ બની છે. શ્રીલંકા પણ આમાં અપવાદ નથી. ભારત એક માત્ર એવો દેશ છે જે સ્વીકૃત બંધારણના ઢાંચાને બદલ્યા કે લોકતંત્ર ગુમાવ્યા વિના ટકી રહ્યો છે.

અહીં ગાંધીજી આવે છે અને એ ગાંધીના ‘બોજ’ને ગાંધીવિરોધીઓ ફગાવી શકે તેમ નથી. એવું તે કયું યોગદાન હતું ગાંધીજીનું કે આપણે આપણી આઝાદી (હજુ સ્વરાજ નહીં), મહામૂલી લોકશાહી સાથે અને મૂળ બંધારણીય ઢાંચા સાથે ટકાવી શક્યા? ગાંધીજીના આ યોગદાનને નકારી શકાય એમ નથી. આગળ કહ્યું એમ ગાંધીજીને તો સ્વરાજ જોઈતું હતું, પરંતુ સાધ્ય માટેના સાધન તરીકે તેમણે આધુનિક રાજ્યનો સ્વીકાર કર્યો હતો અને તેની તરફેણમાં દેશભરમાં પ્રજાને તૈયાર કરી હતી અને સર્વસ્વીકૃતિ બનાવી હતી.

બીજા દેશો લોકશાહીયુક્ત આઝાદી ટકાવી ન શક્યા અને ભારત ટકાવી શક્યું એનું કારણ રાષ્ટ્રીય સર્વસંમતિ હતું અને તેનો શ્રેય ગાંધીજીને જાય છે. આ બાબતનો શ્રેય તો એકલા ગાંધીજીને જ જાય છે, એમાં બીજો કોઈ ભાગીદાર થઈ શકે એમ નથી. ગાંધીજીના મહાત્મા હોવાપણાને નકારો, રાષ્ટ્રપિતાપણાને નકારો,  નિર્વૈર અને નિર્ભય હતા એનો અસ્વીકાર કરો, બીજી કળશીએક ગાળો આપવી હોય તો આપો; પણ એ વાતનો ઇન્કાર નહીં કરી શકાય એમ નથી કે તેમણે દેશમાં ભારતીય રાષ્ટ્રની કલ્પનાની તરફેણમાં ઠીકઠીક પ્રમાણમાં સર્વસંમતિ બનાવી હતી. અને આવું કરનારા એકલા ગાંધીજી હતા, માટે રાષ્ટ્રીય સર્વસંમતિનો શ્રેય એકલા ગાંધીને જાય છે.

દેશમાં એ સમયે ગાંધીજીની લોકપ્રિયતા આસમાને હતી. ભક્તોની મોટી ફોજ હતી. તેમનો શબ્દ ઈશ્વરી ગણાતો હતો. તેઓ ધારત તો વિરોધીઓને બોલતા અટકાવી શક્યા હોત. ભક્તોનો વિરોધીઓને બોલતા અટકાવવા માટે ઉપયોગ કરી શકાય એ વાતની જાણ અત્યારના નેતાઓને થઈ છે અને ગાંધીજીને નહોતી એવું થોડું છે! ગાંધીજી ભક્તોનો શ્વાનની જેમ ઉપયોગ કરી શક્યા હોત, પણ તેઓ તો તેમના ભક્તોને પણ વિવેકી માણસ બનાવવા માગતા હતા. એટલે તો ૧૯૨૦માં કલકત્તા કૉન્ગ્રેસમાં ગાંધીજીએ મૂકેલા અસહકારના ઠરાવનો વિરોધ કરનારાં એની બેસન્ટને શ્રોતાઓ બોલવા નહોતા દેતા ત્યારે ગાંધીજીએ તેમને ટપાર્યા હતા. વિરોધીઓને જે ભાષામાં ન નિંદે એવી ભાષામાં તેમણે ભક્તોને નિંદ્યા હતા. ભક્તો પણ સ્વ-રાજના અધિકારી હતા એ ગાંધી જેવો જાગ્રત માણસ કેમ ભૂલે!

ગાંધીજી તેમના નિંદકો અને પ્રતિવાદીઓ સાથે ચર્ચામાં ઉતર્યા હતા. કોઈની પણ ઉપેક્ષા નહોતી કરી. આઝાદ ભારતમાં અમે ક્યાં હશું એવા દલિતોના પોતાના પ્રશ્નો હતા, કેટલીક આશંકા હતી, ભય હતો; જેનું ગાંધીજીએ નિવારણ કર્યું હતું. બને એટલો સધિયારો આપ્યો હતો. તેમણે દલિતોને વચન આપ્યું હતું કે ભારતનું શાસન લોકતાંત્રિક હશે, ભેદભાવ વગર દરેકે દરેક નાગરિક એક જ મતના અધિકારી હશે. શાસન બંધારણીય હશે અને બંધારણ ભારતના દરેક નાગરિકના અધિકારોની રક્ષા કરશે અને દરેક પ્રકારની અમાનવીયતાઓને – તે ધર્મચિંધી હોય તો પણ – તેના પર પ્રતિબંધ મૂકાશે. ન્યાયતંત્ર સ્વતંત્ર હશે વગેરે. છેવટે બંધારણ ઘડવાનું કામ કરનારી મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકરને બનાવ્યા હતા કે જેથી દલિતોનો ભારતીય રાષ્ટ્ર પર ભરોસો બેસે.

ગાંધીજી ધારત તો દલિતોની ઉપેક્ષા કરી શક્યા હોત. આખો દેશ તેમની સાથે હતો અને ગાંધીજીને ઇશારે કોઈને પણ બોલતા બંધ કરી દે એવડી ભક્તોની મોટી ફોજ હતી. આની જગ્યાએ ગાંધીજી દલિતો સાથે ચર્ચામાં ઉતર્યા હતા. કેટલી ચર્ચા. કોઈ માણસ એક જિંદગીમાં એક કોમ સાથે આટલો વિમર્શ કરી શકે એ જોઈને જ આશ્ચર્ય થાય છે. હજારોની સંખ્યામાં ભાષણો, લેખો અને પત્રો એકલા દલિતોના પ્રશ્ને ઉપલબ્ધ છે. આનું પરિણામ એ આવ્યું કે દલિતો દલિત નેતાઓને છોડીને ગાંધીજીની કૉન્ગ્રેસને સમર્થન કરવા લાગ્યા હતા, પછી ભલે દલિત નેતાઓ ગાંધીજીને ગાળો આપતા હોય. ૧૯૩૭માં, ૧૯૪૬માં અને ૧૯૫૨માં ખૂદ ડૉ. આંબેડકરને દલિતો માટેની અનામત બેઠક પર તેમના થયેલા કારમાં પરાજય દ્વારા આનો અનુભવ થઈ ગયો હતો. ત્યારે મહદ્ અંશે દલિતો ગાંધીજી સાથે હતા, દલિત નેતાઓ સાથે નહોતા. 

તો વાતનો સાર એ કે ભક્તોને ભાયાતો બનાવીને ગાંધીજી બાપુઓની જેમ વર્ત્યા હોત તો દલિતો મનોમન ગમે એટલા ધૂંધવાયેલા હોત, પણ બોલી ન શકત. ગાંધીજીએ તેમને બોલતા કર્યા અને નિર્ભય બનાવીને બોલતા કર્યા. સમાન સ્તરે અને સમાન આદર સાથે તેઓ તેમની સાથે ચર્ચામાં ઊતરતા હતા. ગાંધીજીને તેમના જીવનમાં સેંકડો નહીં, કદાચ હજારોની સંખ્યામાં નનામા પત્રો મળ્યા હશે અને નનામા ચોપાનિયા પ્રકાશિત થયા હશે. મોટા ભાગના પત્રો અને ચોપાનિયાઓ સનાતની બ્રાહ્મણો લખતા કે છપાવતા હતા જેમાં કહેવામાં આવતું હતું કે ‘આ માણસ ઢેઢાઓને (દલિતો માફ કરે) ચડાવી મારે છે અને સનાતન ધર્મનો નાશ કરી રહ્યો છે.’ ૧૯૩૪માં દલિતોને ચડાવી મારવાના ગુના માટે પૂનામાં ગાંધીજીની મોટર પર બોમ્બ ફેંકીને તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગાંધીજી દલિતોની માફક મુસલમાનો સાથે પણ ચર્ચામાં ઊતર્યા હતા. તેમને પણ એ જ કહેવામાં આવ્યું હતું અને એ જ સધિયારો આપવામાં આવ્યો હતો જે દલિતોને આપવામાં આવ્યો હતો. ત્યારે પણ કોમી માનસિકતા ધરાવતા સનાતની હિંદુઓએ ગાંધીજી પર આરોપ મૂક્યો હતો કે તેઓ મુસલમાનોના થાબડભાણા કરી રહ્યા છે અને છેવટે ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. ગાંધીજીએ સીખો સાથે સંવાદ કર્યો હતો, ખ્રિસ્તીઓ સાથે સંવાદ કર્યો હતો, દક્ષિણ ભારતીયો સાથે સંવાદ કર્યો હતો, સ્ત્રીઓ સાથે સંવાદ કર્યો હતો, મિલીજુલી હિન્દુસ્તાની ભાષાની જગ્યાએ સંસ્કૃતનિષ્ઠ હિન્દીનો આગ્રહ રાખનારા હિન્દી સાહિત્યકારો સાથે સંવાદ કર્યો હતો, સનાતની હિંદુઓ સાથે સંવાદ કર્યો હતો અને નાસ્તિકો સાથે પણ સંવાદ કર્યો હતો. વિરાટ કદના નેતા હોવાનો દર્પ તેમનામાં નહોતો. બાપ સંતાન સાથે જે રીતે ચર્ચા કરે એ રીતે તેમણે આઝાદ ભારતના દરેક લાભાર્થી (સ્ટેક હોલ્ડરો) સાથે ચર્ચા કરી હતી.

તેમને મન કોઈ સ્ટેક હોલ્ડર નાનો નહોતો. સંખ્યા સાથે તેમને સરોકાર જ નહોતો, તેમનો સરોકાર માણસ સાથે અને તેના અભિપ્રાય સાથે હતો. જો માનવીનું મૂલ્ય હોય તો તેના અભિપ્રાયનું મૂલ્ય હોવું જોઈએ. ગાંધીજી વિષે એમ કહેવાય છે કે તેઓ તેમના મુલાકાતીને બે મિનિટ આપતા તો એ બે મિનિટ સો ટકા મુલાકાતીની હોય. અત્યંત ધ્યાનપૂર્વક સાંભળે જાણે કે આ જગતમાં મુલાકાતી સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ ન હોય અને તે જે કહી રહ્યો છે તેનાથી વધુ મહત્ત્વની બીજી કોઈ વાત જ ન હોય! ગાંધીજીની આ સાંભળવાની અને અદના માણસને પણ જવાબ આપવાની ખૂબીને કારણે ભારતીય પ્રજામાં ભારતીય રાષ્ટ્ર વિષે એકંદરે સર્વસંમતિ બની હતી.

અલબત્ત ગાંધીજીએ જે ભારતીય રાષ્ટ્રને સર્વસ્વીકૃત કરાવ્યું હતું તેની સામે હિંદુ રાષ્ટ્રવાદીઓને અને સામ્યવાદીઓને વાંધો હતો, પરંતુ તેમને ત્યારે કોઈ પૂછતું નહોતું.

આ જે ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે મહદ્ અંશે સર્વસંમતિ હતી તેને કારણે ભારત ઊગરી ગયું. બીજા વિશ્વયુદ્ધ પછી આઝાદ થયેલા બીજા દેશોમાં આનો અભાવ હતો. કોઈક દેશમાં ભદ્રવર્ગ શાસકવર્ગ બની ગયો હતો અને તે શાસનમાં બીજાને ભાગીદારી આપતો નહોતો. બીજા કોઈ દેશમાં બહુમતી કોમ લઘુમતી કોમ સામે ‘દેશ મેં રહેના હો તો ..’ની શરતો મૂકતી હતી અને લઘુમતી કોમને દબાવવાની કોશિશ કરી હતી. કેટલાક દેશોમાં ધર્મ, ધાર્મિકતા અને ધર્મગુરુઓએ રાજ્ય પર કબજો જમાવ્યો હતો. કેટલાક દેશોમાં ભાષાની અસ્મિતાઓએ રાજ્ય પર કબજો જમાવ્યો હતો, જેમ કે બંગલાદેશ. કેટલાક દેશોમાં લશ્કરે અસ્મિતાઓનો સંઘર્ષ પેદા કરાવીને કે એવા સંઘર્ષનો લાભ લઈને રાજ્ય પર કબજો જમાવ્યો હતો, જેમ કે પાકિસ્તાન.

આનો નિષ્કર્ષ કાઢો તો એટલો કે મોટા સ્ટેક હોલ્ડરો નાના સ્ટેક હોલ્ડરોને ગણતરીમાં લેતા નહોતા. તેમને સત્તામાં ભાગીદારી આપતા નહોતા. તેમની ઉપેક્ષા કરતા હતા અને તેમને દબાવીને રાખતા હતા. ગાંધીજીએ આવું નહોતું કર્યું. દરેકને રાષ્ટ્રમાં સન્માન અને દરેકને તેનું સ્થાન. ભારત દેશ અત્યાર સુધી અક્ષુણ ટકી રહ્યો તેનું રહસ્ય આ છે. જેને દૂરનું દેખાતું હોય એવો બાપ હોય એ દરેક સંતાનને લાડ કરે અને વખત આવ્યે થાબડભાણા પણ કરે. તેમને એક સનાતન સત્યની જાણ હોય છે કે જ્યાં કુસંપ હોય એ પરિવારનો નાશ અટલ છે અને દાદાગીરી કરીને કોઈને હંમેશને માટે દબાવીને રાખી શકાતું નથી.

છેલ્લે, આ જગતમાં એવો એક દેશ બતાવો જ્યાં શરતી રાષ્ટ્રવાદ સફળ થયો હોય અને પ્રજા સુખેથી રહેતી હોય. આ સકળ જગતમાંથી માત્ર એક દેશનું ઉદાહરણ આપો. બીજું, ૧૯૪૫ પછી જેટલા દેશો આઝાદ થયા એનો ઇતિહાસ તપાસી જુઓ. તમે પોતે જ જોઈ લો તેમાંથી શું શીખવા મળે છે? ભાયાતોમાં અને ભાઈમાં ફરક છે.

તમે હિંદુ હો તો મોટા ભાઈ બનો અને અન્ય કોઈ હો તો નાનો ભાઈ. લાંબા ગાળાનું આમાં હિત છે.

05 સપ્ટેમ્બર 2019

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 08 સપ્ટેમ્બર 2019

Loading

...102030...2,7312,7322,7332,734...2,7402,7502,760...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved