Opinion Magazine
Number of visits: 9684425
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિચરતા વિચારો

સુમન શાહ|Opinion - Opinion|13 September 2019

લૂઝ કનેક્શન શ્રેણી : 5 : ઇચ્છા :

ઈશ્વરને એક વાર થયું કે પોતે એકમાંથી બહુ થાય. આપણે મનુષ્યો અને પ્રાણીઓ એટલે છીએ કે એમને એવી ઇચ્છા: થઇ. એકમાંથી બહુ થવાની એમની ઇચ્છા આપણને વારસામાં મળી છે. આપણે પણ એકમાંથી અનેક થઇ ગયાં છીએ. એ પરમ્પરા ચાલુ છે, ચાલુ રહેવાની છે.

સવાલ એ છે કે ઈશ્વરની કે આપણી ઇચ્છા પાછળ કશોક હેતુ તો હશે ને. ઈશ્વરે આપણને સરજ્યાં ને એનાં સરજેલાં આપણે બીજાંઓને સરજીએ છીએ. હેતુ શો? પ્રયોજન? આશય? મને તો આનન્દદાયી સર્જન સિવાયનો કશો હેતુ દેખાતો નથી. સવાલ એ છે કે ઈશ્વર પોતે કોની ઈચ્છાનું પરિણામ છે. સવાલ એ પણ છે કે એમના હોવાનો હેતુ શો છે. હું નથી જાણતો. કેટલાક મનીષીઓ તો ઊંધું કહે છે, એમ કે ઈશ્વર, માણસની ઇચ્છાનું પરિણામ છે. જે હોય એ … આપણે જે પ્લગ-પિનની વાર્તા માંડી છે, એમાં પાછા જઇએ.

પ્લગ અને પિન બન્નેનું સર્જન એને પ્રોડ્યુસ કરનારી કમ્પનીની ઇચ્છાનું પરિણામ છે. એ પ્રોડક્શન પાછળનો હેતુ સ્પષ્ટ છે : પિને પ્લગ પાસેથી પાવર મેળવવો. પ્લગે પોતાની પાછળની પાવરલાઇન સાથે પિનને જોડી દેવી. બન્નેનાં જીવનના હેતુ આમ સુનિશ્ચિત છે.

પ્લગ હેતુ વીસરીને સુસ્ત ઉદાસીન રહે, પિન દાખલ થઇ હોય છતાં, પ્લગ કશી મચક ન આપે, ઠૂંઠા જેવો પડી રહે, ન ચાલે. પિન પણ હેતુ વીસરીને એકલીઅટૂલી આમતેમ અફળાયા કરે, ન ચાલે. એણે પણ પ્લગ લગી પ્હૉંચીને પ્લગમાં દાખલ થવું જોઇશે. દાખલ થઇ હોય છતાં સરખી ન રહે, ન ચાલે.

સત્ય એ છે કે ઇચ્છા પાછળ હેતુ હોય છે પણ હેતુ પાર પડે એ માટે ઇચ્છા થવી જોઇશે.

પ્લગ કે પિન ઇચ્છા જ ન કરે, તો એ બેમાંથી એકેય પાવરફુલ થઇ શકશે નહીં. નિષ્પ્રાણ થઇ જશે. પોતાનાં કે બીજાંનાં જીવનમાં વીજચમકાર નહીં સરજી શકે. પ્લગ-પિનને એકબીજાંમાં જોડાઈ રહેવાની બલકે એકબીજાંનાં થઈ રહેવાની કાયમ ઈચ્છા થવી જોઇશે. આ સત્ય બચુભાઈ અને બચીબહેને પણ સમજી રાખવાનું છે. કહો કે કોઇપણ મનુષ્યે સમજી રાખવાનું છે. બચુ ઇચ્છતો હોય કે પોતે બચીને ચાહે, તો ચાહી શકશે. બચી ઇચ્છે કે જેમ બચુ પોતાને ચાહે છે એમ પોતે બચુને ચાહે, તો ચાહી શકશે.

વાતનો સાર એ છે કે ઇચ્છા નહીં કરીએ તો કશું થશે નહીં. જીવનનો કોઇપણ હેતુ સરશે નહીં.

જુઓ, ફૂલ ખીલેલું ઝૂમતું હોય, એ કહેતું નથી કે મારાં રૂપરંગ જુઓ, મારી સુગન્ધને માણો. એની ઇચ્છા એના આવિષ્કારમાં એકરૂપ છે. સર્જનહારની ઇચ્છા થકી મનુષ્યોમાં, નર છે, નારી છે. અન્ય જીવોમાં પણ નર છે, માદા છે. જડ છે, તેમ ચેતન સૃષ્ટિ છે. એ દરેક પોતે શું છે અને શા માટે છે એ એમણે નક્કી રાખ્યું છે. તેમછતાં, નર કે નારીએ પોતાના સ્વ રૂપને ઓળખીને પ્રયત્નો તો કરવા જ પડે છે.

ઇચ્છા પ્રયત્નને પ્રેરે છે. ઇચ્છા કરાય પણ પાર પડે પ્રયત્નથી. જુવાનજોધ બચુ વડ નીચે સૂતેલો. ઉપરથી ટેટા પડે, કોઈ કોઈ તો છાતી પર ચૉટી ગયા હોય, પણ જાતે હટાવે નહીં. ઇચ્છા ખરી પણ પ્રયત્ન નહીં. જુવાનડી બચી જાંબુડી નીચે સૂતેલી. ઉપરથી જાંબુડાં પડે પણ જાતે ખાય નહીં. કોઇ આવશે ને ખવડાવશે. ઇચ્છા ખરી પણ પ્રયત્ન નહીં. બચુ બચી બાજુ બાજુમાં જ હતાં. બચુએ બચીને વિનન્તી કરવા જેટલો પ્રયત્ન કર્યો હોત તો એ પુરુષ-વિનન્તીને એણે સ્ત્રીસહજ 'હા' જ પાડી હોત. બચીએ વિનન્તી કરી હોત તો એ સ્ત્રી-વિનન્તીને બચુએ માન આપ્યું જ હોત. સ્ત્રીદાક્ષિણ્ય જેવું એનાથી થઇ શક્યું હોત..

કેટલીયે વાર આપણને ખબર નથી પડતી કે આપણી ઇચ્છા પોતે કેટલી શક્તિશાળી છે. ઈચ્છા કે વિલ કે ડિઝાયર બરાબર, પણ એ પાવર છે, શક્તિ છે. પ્લગને પિન માટે ને પિનને પ્લગ માટે દોડતા કરી દે એવી શક્તિ છે એ. ઇચ્છા માણસની શોધબુદ્ધિને જગાડે છે, ખીલવે છે. પણ મોટા ભાગના લોકો ઈચ્છાને શક્તિ તરીકે વાપરવામાં પાછા પડે છે.

એટલું જ નહીં, ઉંધું, આપણે વગર સમજ્યે ઇચ્છાઓ કર્યા જ કરીએ છીએ. આપણી દરેક પળ ઈચ્છાથી ઓતપ્રોત હોય છે. જાણે આપણે ઇચ્છા નામની માટીનાં પૂતળાં છીએ. પણ આ હકીકતને કારણે જ અનેક મુસીબતો સરજાય છે. એટલા માટે કે ત્યારે આપણે ઇચ઼્છા પાછળના હેતુને અભરાઇએ મેલી દીધો હોય છે. ઘણી વાર આપણે ઇચ્છા પ્રમાણેનું વર્તન કરવામાં પાછા પડ્યા હોઇએ છીએ. ઇચ્છા સજ્જતા સાહસ તત્પરતા માગી લે છે. ઇચ્છાનાં જોખમો ઉઠાવવાં પડે છે. એવી બધી આપણી તૈયારી નથી હોતી. કહે, પ્રેમ કરું છું, પણ કહે, મૅરેજ હમણાં નહીં. કહે, મૅરેજ કરીએ, પણ બાળકો હમણાં નહીં …

મૂછ ફૂટે એ યૌવનનો અંકુર છે. છોકરી રજસ્વલા થાય એ પણ યૌવનનો પ્રારમ્ભ છે. મનુષ્યમાં ત્યારે જાતીયતા અને પ્રેમ એક સાથે જાગે છે. મારે એમ કહેવું છે કે જાતીયતા અને પ્રેમ જુદાં નહીં પણ બન્ને એક જ હોય છે, એકરૂપ હોય છે. એને દરેક લવ્લિ ચીજ સૅક્સી લાગે છે ને દરેક સૅક્સી ચીજ લવ્લિ લાગે છે. ત્યારે ઇચ્છાશક્તિ એની અગ્નિજિહ્વા કાઢીને દસે દિશામાં ભમતી હોય છે. પણ કેટલાક છોકરાઓને તેમ જ કેટલીક છોકરીઓને આ સત્યની ખબર નથી પડતી. ઇચ્છાને ન ઓળખી શકનારાઓ જતે દિવસે ઇચ્છાને મારી નાખે છે. કહે છે : એ મારાથી નહીં થાય : એ કામ મને નહીં ફાવે : લાચારી. પરવશતા. આત્મદયા. જાતનું અવમૂલ્યાંકન. કહો કે, કુદરતદીધી શક્તિઓથી અજાણ રહેવાની હઠ. આવી વ્યક્તિઓ ઉદાસીન અને બરબાદ દીસે છે. એમને કોઇની મદદ ખપતી નથી. કોઇ એમને મદદ કરવા માગતું પણ નથી.

મોટે ભાગે તો એમની આસપાસનાંઓએ એમની એ ઊગતી ઇચ્છાશક્તિને ડામી દીધી હોય છે. જતે દિવસે બને કે એમનાંમાં સૅક્સ્યુઅલ ફ્રિજિડિટી આવી જાય – જાતીય ઉદાસીનતા. જાતીયતા પરત્વે ઉદાસીન યુવતી 'ટાઢી' હોય છે, એને સ્પર્શાદિથી કશું થતું નથી. એવો યુવક 'ઠંડો' હોય છે. એને સ્પર્શની ઇચ્છા થતી જ નથી. દમ્પતીમાંથી કોઇ એક એવું હોય, તો જીવવું ખારું ઉસ થઇ પડે છે. સરવાળે વ્યક્તિ ઇમોશનલ ફ્રિજિડિનો શિકાર બને છે. ન તો એને કોઇનો પ્રેમ સ્પર્શે છે, ન તો કોઇનો તિરસ્કાર. એવી ભાવાત્મક ઉદાસીનતા મારી દૃષ્ટિએ એક જાતનું મૃત્ય જ છે ..

ઈચ્છામતિ નામની માણકીને જીવનમાં પલાણી જાણીએ એ જરૂરી છે. ઈચ્છાના સ્વરૂપને ઓળખીએ એ પણ જરૂરી છે. 'હા' પાડવાની ક્ષણે 'હા' પાડવી , 'ના' પાડવાની ક્ષણે 'ના' પાડવી. પણ છોકરી કે છોકરો એમ કરી શકતાં નથી. એટલે કાં તો રહી જાય છે અથવા તો ફસાઇ જાય છે. એઓએ પોતાની ઈચ્છાને ઓળખવાનો કદી પ્રયત્ન જ નથી કર્યો હોતો. નાનપણમાં મેં અમારા ફળિયા બાજુના મુસલમાનવગામાં જોયું હતું કે ઈમામનો ઘોડો ગાડીએ જોડાવાને તૈયાર થાય જ નહીં. પાટીદારવગામાં એથી અવળું જોયેલું કે પશાભૈની ભૅંશ ડોકું ઊંચું કરીને ભાંભરતી હોય – મને દોહવા માંડો ને … પ્રાણીઓ પોતાની ઈચ્છા કે અનિચ્છા સ્પષ્ટ જણાવી દે છે. ન માનો તો ઘોડો બચકું પણ ભરી શકે છે. ભૅંશ લાત પણ મારી શકે છે.

ઘણું કહી શકાય ઇચ્છા વિશે પણ જેટલું કહીએ એટલું ઓછું પડે. માટે, અલમ્ અતિવિસ્તરેણ ..

= = =

https://www.facebook.com/suman.shah.94/posts/2719638271400402

Loading

અવકાશ વિજ્ઞાન હોય કે અણુ ટેકનોલોજી, વિકાસ અગત્યનો છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|12 September 2019

ચન્દ્રયાન-ટુમાં શું ખરાબી આવી અને ખરેખર અત્યારે તે કઈ સ્થિતિમાં છે અને શું પરિણામ મળ્યું કે મળશે એની જાણકારી તો ભવિષ્યમાં અવશ્ય મળશે, પણ અત્યારે હું બીજો મુદ્દો ચર્ચવા માગું છું. આ પ્રશ્ન એકલી નરેન્દ્ર મોદીની સરકારને લાગુ પડતો નથી, બલકે તેને તો કરાય લાગુ નથી પડતો; પરંતુ આઝાદી પછીના ભારતને લાગુ પડે છે. ભારતની અત્યાર સુધીની દરેક સરકાર માટે આ સવાલ છે.

ઈસરો(ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)ની સ્થાપના જવાહરલાલ નેહરુએ ૧૯૬૨માં ‘ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ’ના નામે કરી હતી. એ સમયે એ વિભાગ અણુ ઊર્જા પંચ હેઠળ કામ કરતો હતો. ૧૯૬૯ની ૧૫મો ઑગસ્ટે ઇન્દિરા ગાંધીએ ડિપાર્ટમેન્ટ ઑફ સ્પેસ રિસર્ચની રચના કરીને ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચને ઈસરોમાં ફેરવી હતી. નેહરુના સમયમાં ભારતે જ્યારે સ્પેસ રિસર્ચનું કામ હાથ ધર્યું ત્યારે પણ તેની આવશ્યકતા વિષે સવાલ પેદા થયો હતો. અનેક લોકો ત્યારે એમ કહેતા હતા કે ભારતની પ્રાથમિકતા રોટી, કપડાં અને મકાન માટેની હોવી જોઈતી હતી. કૃષિવિકાસ હોવો જોઈએ, કારણ કે ભારત ગામડાંમાં વસે છે. ત્યારે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને જાણીતા વિજ્ઞાની વિક્રમકુમાર સારાભાઈએ બચાવ કર્યો હતો કે વૈજ્ઞાનિક સંશોધન માટે કરવામાં આવતું રોકાણ સર્વાંગીણ રાષ્ટ્રીય ઉત્થાન માટેનું છે. ગરીબ દેશ તેની થોડી મૂડી ભવિષ્યના વિકાસ માટે ખર્ચે તો એને દેખાવ ન કહેવાય. બીજું, બૌદ્ધિક ક્ષેત્રે જગત સાથે કદમ મેળવવાથી એક પ્રકારની રાષ્ટ્રીય ચેતના જન્મે છે અને એ પણ વિકાસ જ છે.

એ સમયે તેમની એ વાત સાચી હતી એમ હું માનું છું. ભારત જો અવકાશ સંશોધન કરે અને ભવિષ્યમાં ઉઘડતી બારીઓ માટે તૈયાર રહે તો તેમાં કાંઈ ખોટું નહોતું. બારીઓ ઉઘડી પણ હતી અને હજુ વધુ ઉઘડતી જતી હતી. સેટેલાઈટ દ્વારા સંદેશવહન અને જમીન તળેના સંશોધન માટે ઈસરોના અવકાશ સંશોધન કાર્યક્રમે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તરતની જ વાત કરીએ તો ગયા વર્ષે ઓરિસ્સા અને તેલંગાણામાં વાવાઝોડું ત્રાટકે એ પહેલાં રાજ્ય સરકારો સમુદ્રકિનારેનાં ગામો ખાલી કરાવી શકી તો એનું કારણ ઈસરો હતું. ઈસરોએ પ્રચંડ મોટા વાવાઝોડાની ચેતવણી આપી હતી.

જે પ્રશ્ન છે એ એ પછી હાથ ધરવામાં આવેલા સંશોધન વિષે છે. ચન્દ્ર, મંગળ અને બીજા ગ્રહો-ઉપગ્રહોના સંશોધન હાથ ધરાવાની કોઈ જરૂર હતી ખરી? અમેરિકા આ છ દાયકાથી કરે છે. ૧૯૬૯માં અમેરિકાએ ખગોળશાસ્ત્રીઓને ચન્દ્ર પર મોકલ્યા હતા. પાંચ દાયકા પહેલાંની અમેરિકાની સિદ્ધિ સામે ભારતની સિદ્ધિ ખાસ કોઈ વિસાતમાં નથી. અમેરિકાની હરીફાઈમાં રશિયા(એ સમયના સામ્યવાદી રશિયા)એ અવકાશ સંશોધનના કાર્યક્રમ હાથ ધર્યા હતા. પાછળ ચીન એમાં જોડાયું હતું, એ બતાવવા કે હમ ભી કિસી સે કમ નહીં હૈ. લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય એ ન્યાયે સામ્યવાદી રશિયાની અમેરિકા સામે દેખાડો કરવામાં આર્થિક રીતે ઉઠાંતરી થઈ ગઈ. ૧૯૮૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં જ્યારે રશિયાની બાંધી મૂઠી ખૂલી ગઈ ત્યારે જગતને જાણ થઈ કે એની પાસે ખાવાના પણ વાંધા હતા.

સવાલ એ છે કે છ દાયકા પહેલાં અમેરિકાએ ચન્દ્ર વિષે જે શોધ્યું એ પછી આ છ દાયકામાં નવું શું હાથ લાગ્યું છે? જોઈ જુઓ વિજ્ઞાનની વેબસાઈટો. કાંઈ ખાસ હાથ નહીં લાગે, કારણ કે કોઈને કશું હાથ લાગ્યું નથી. પાછળથી જોડાયેલા સામ્યવાદી રશિયા, ચીન અને ભારત પણ કોઈ નવું તથ્ય જગતને આપી શક્યાં નથી. બીજું ચન્દ્ર પર પાણી છે એમ શોધી પણ કાઢો તો તેનાથી પ્રજાની સુખાકારીમાં શો ફરક પડે છે? આવું જ મંગળની બાબતમાં. અબજો ડોલર કારણ વિનાના સંશોધન પાછળ જગતના દેશોએ ખર્ચી નાખ્યા છે. બીજું કોઈ એક દેશ એક સંશોધન કરતું હોય તો તેનું અનુકરણ કરવાની શી જરૂર છે? એ વિજ્ઞાન અને એ ટેકનોલોજી આખા જગતની બની ગઈ.

યુરેનિયમને ભઠ્ઠીમાં સમૃદ્ધ કરીને અણુ બનાવી શકાય છે અને તેમાંથી મહાવિનાશક અણુ બોમ્બ બનાવી શકાય છે એ અમેરિકાએ ૧૯૪૦માં શોધી કાઢ્યું હતું. એ ટેકનોલોજી છૂપી નહોતી. અમેરિકા આગળ નીકળી ગયું એટલું જ. બીજા વિશ્વયુદ્ધ પછી એ ટેકનોલોજી ઉઘાડી પડી ગઈ હતી. એમાં પણ અનુકરણ કરવાની હોડ શરૂ થઈ હતી. જવાહરલાલ નેહરુએ ત્યારે અણુ કાર્યક્રમ વિષે શું કહ્યું એ યાદ છે? ભારત જગતનો પહેલો દેશ છે જે પ્રજાકીય વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવા માગે છે, લશ્કરી ઉપયોગ માટે નહીં. વિકાસલક્ષી કાર્યકર્મ, દેખાવલક્ષી તો બિલકુલ નહીં.

પાછળથી અણુ અને અવકાશ સંશોધન બંને હરીફાઈના અને દેખાવના વિષયો બની ગયા. તમે જ્યારે અણુઉત્પાદન કરી શકો છો તો બોમ્બ તો ટૂંકી નોટિસમાં પણ બનાવી શકાય છે. કારણ વિના અણુ હરીફાઈ પેદા કરવામાં આવી હતી.

મને ખબર છે કે મોટા ભાગના વાચકોને મારા વિચાર નહીં ગમે. ‘હમ ભી કિસીસે કમ નહીં’નો દેખાવ કરવાની લાલચ રોકવી મુશ્કેલ છે. ખાસ કરીને ગરીબ માણસ મધ્યમવર્ગી બને ત્યારે તે આગલી પેઢીના શ્રીમંત કરતાં પણ વધુ દેખાવ કરવા માંડે છે. ભારત અન્ન પુરવઠાની બાબતમાં સ્વાવલંબી બન્યું નહીં કે દેખાવ કરવાનું શરૂ કરી દીધું હતું. ભારતે લાખો કરોડ રૂપિયા ગ્રહો-ઉપગ્રહોના સંશોધન પાછળ ખર્ચ્યા છે જે ગરીબોના વિકાસ માટે ખર્ચી શકાયા હોત.

બુલેટ ટ્રેન આવું બીજું ઉદાહરણ છે. જ્યારે ઉતારુ ટ્રેન ઓછી પડતી હોય, દેશમાં અનેક રૂટ પર હજુ બે લાઈન પાથરવામાં ન આવી હોય, હજુ હજારો કિલોમીટર રેલવે લાઈનને બ્રોડગેજમાં ફેરવાવાની બાકી હોય, જ્યાં દરેક ટ્રેન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવમાં મોડી પડતી હોય ત્યાં પ્રાથમિકતા શું હોવી જોઈએ? બુલેટ ટ્રેન? ઘરમાં છાપરું મળે નહીં અને બાવન ઈંચનું એલ.ઈ.ડી. ટીવી વસાવવા જેવી આ વાત છે. પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે જ એક વાર કહ્યું હતું કે દિખાના પડતા હૈ જી. 

ભારત કરતાં સમૃદ્ધિમાં ઘણાં આગળ અને જેને વિકસિત કહી શકાય એવા એક ડઝન દેશ ગ્રહો-ઉપગ્રહોના સંશોધન પાછળ અને બુલેટ ટ્રેન પાછળ પૈસા વેડફતા નથી. એક એક સમૃદ્ધ દેશ પર સગી આંખે નજર કરી જુઓ. જેમાં ખાસ કાંઈ હાથ લાગતું નથી, કોઈ માહિતી હાથ લાગે તો પણ તેનો કોઈ ખપ નથી અને વળી બીજા દેશો એ કરે જ છે તો પછી તેની પાછળ પૈસા ખર્ચવાની જરૂર શું છે? મુંબઈની કે.ઈ.એમ. હોસ્પિટલમાં એક આંટો મારી આવો, પ્રાથમિકતા કઈ હોવી જોઈએ એનું જ્ઞાન થશે.

10 સપ્ટેમ્બર 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 સપ્ટેમ્બર 2019

Loading

પ્રથમ નમું ગિરિજાસુત ગણપતિ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|12 September 2019

હૈયાને દરબાર

પ્રથમ નમુ ગિરિજાસુત ગણપતિ
પ્રાત: સમય ઊઠ કર મૈં ધ્યાઉં
સુમિરત નામ તિહારો તિહારો
એક દંત ગજકર્ણ કહાવે
રિદ્ધિ સિદ્ધિ કે દાતા હોવે
વંદન તુઝ કો હે પરમેશ્વર
પૂરણ કામ હમારો હમારો
સબ દેવો મેં પહેલે પૂજા
મહાદેવ ભી આયે દૂજા
લંબોદર હાથ મેં મોદક
મૂષક પર પધારો પધારો

•  ગીતકાર-સંગીતકાર : આશિત દેસાઈ •  ગાયક કલાકાર : આશિત દેસાઈ-હેમા દેસાઈ

——————–

જગતમાં વિદાય હંમેશાં વસમી જ હોય, ચાહે એ કન્યા વિદાય હોય, મૃત્યુની વિદાય હોય, ઘર- વતન છોડવાની વિદાય હોય કે પછી શાળા-કોલેજની વિદાય વેળા હોય, લાગણીના તાણાવાણા એવી રીતે જોડાયેલા હોય છે કે વિદાય હંમેશાં આપણું હૈયું ભીંજવી જાય. આ બધી સંયોગાત્મક વિદાય છે છતાં આપણે વ્યથિત થઈએ છીએ તો આજે તો આપણા વહાલા દેવ ગણપતિને વિદાય આપવાનો દિવસ છે.

દસ દિવસ ભરપૂર લાડ લડાવ્યા પછી એમને પૂઢચ્યા વર્ષી લવકર યા … કહીને આજે દરિયામાં વહાવી દેવાના છે, ત્યારે વિદાય દિને ગણેશવંદના જ કરી લઈએ ને! હેમંત મટ્ટાણી, સોના-રૂપા નિર્મિત ‘જય ગણેશ’ સિરીઝમાં આશિત-હેમા દેસાઈને કંઠે સાંભળેલી રચના, પ્રથમ નમું ગિરિજાસુત ગણપતિ … મારી પ્રિય ગણેશ સ્તુતિ છે. અત્યંત મધુર રાગ યમન કલ્યાણ પર આધારિત આ વંદનાની મ્યુઝિક અરેન્જમેન્ટ, ગાયન, વાદન ખૂબ સરસ છે. સાંભળીને પવિત્ર વાતાવરણ બંધાઈ જાય. ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં પ્રચલિત આ સ્તુતિ આશિતભાઈએ પોતે લખી છે.

ભગવાન શ્રીગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર ગણી પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા કહેવાય છે. કોઈ પણ હિંદુ મંદિરમાં તમે દાખલ થાઓ ત્યારે તમને એક બાજુ રિદ્ધિ-સિદ્ધિના દેવ ગણપતિ અને બીજી બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિમાઓ અચૂક જોવા મળે.

દરેક મંગલ કાર્યમાં ગણેશજીને સૌથી પહેલાં પૂજવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્ત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંતચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશચતુર્થીથી સતત દસ દિવસ સુધી મહાભારત કથા ભગવાન શ્રીગણેશને સંભળાવી હતી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવી ને એવી) જ લખી હતી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા, ત્યારે તેમણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. તેમને ખબર જ ન પડી કે કથાનો ગણેશજી પર શું પ્રભાવ પડી રહ્યો છે. મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત ૧૦ દિવસ સુધી કથા સાંભળતાં સાંભળતાં ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું. તેમને પુષ્કળ તાવ આવી ગયો હતો. તેથી મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઈ જઈને ડૂબકી લગાવડાવી જેનાથી તેમના શરીરનું તાપમાન ઓછું થયું.

એવું પણ કહેવાય છે કે ભગવાન ગણપતિ ગણેશચતુર્થીથી અનંતચતુર્દશી સુધી એ જ મૂર્તિમાં સગુણ સાકાર રૂપમાં સ્થાપિત રહે છે. જે મૂર્તિને ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છાપૂર્તિ કરવા ઇચ્છે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. ગણેશ સ્થાપના પછી ૧૦ દિવસ સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંતચતુર્દશીના દિવસે વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે. આ બધી છેવટે તો લોકવાયકા છે, પરંતુ જે રીતે એમને વિસર્જિત કરવામાં આવે છે એ ઘણીવાર બહુ દુ:ખદાયી છે. તાજેતરમાં જ એક વીડિયો જોયો, એમાં સાત દિવસના વિસર્જન પછી ગણપતિની ખંડિત મૂર્તિઓ રસ્તે રઝળતી હતી. કંઈક આવું જ દૃશ્ય આજે સાંજ પછી જોવા મળે તો નવાઈ નહીં! ઉત્સવની ઉમંગભેર ઉજવણી ભલે કરીએ, પણ ઘોંઘાટનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને ફટાકડા ફોડીને વાયુ પ્રદૂષણ ફેલાવવાનો અધિકાર આપણને ગણપતિ બાપ્પાએ નથી આપ્યો. એમને તો એવી રીતે વિદાય આપવાની કે આવતે વર્ષે ફરીથી એમને આવવાનું મન થાય. ડૉ. સ્મિતા ખંભાતીએ વિસર્જનની સ્તુતિ બહુ સુંદર રચી છે :

જાઓગે જબ દૂર નઝર સે
હૃદય સે જા નહીં પાઓગે
રહ ન સકોગે હમ બિન બાપ્પા
વાપસ લૌટ કે આઓગે
ચૌથ કે દિન જબ ઘર આઓગે
પ્રેમ સે તુમ્હેં સજાયેંગે
જો હમ ખાયેં વો હી ખિલાયેં
અપના તુમ્હેં બનાયેંગે
અપના બન કે રહો જહાં પે
ઉસ ઘર સે કૈસે જાઓગે …
અનંત ચૌદસ કે મંગલ દિન
ઐસી ધૂમ મચાયેંગે
ગુલાલ કી હોલી બરસા કે નાચેંગે
શ્રદ્ધા ભક્તિ દેખ હમારી
જા કે ભી તુમ પછતાઓગે …!

વિદાય એવી આપવાની કે બાપ્પાને ફરી ફરી આવવાનું મન થાય. સોલી કાપડિયાએ થોડાં વર્ષો પૂર્વે ‘ગણેશ ઉત્સવ’ નામે આલ્બમ તૈયાર કર્યું હતું. વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. સ્મિતા ખંભાતી રચિત સુંદર ગણેશ સ્તુતિઓને સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી અને સોલી-નિશાના કંઠે એ આલ્બમ રજૂ થયું હતું. ‘ગણેશ ઉત્સવ’ આલ્બમમાં વિસર્જનનું આ ગીત સોલી કાપડિયાએ ગાયું અને સ્વરબદ્ધ કર્યું છે.

નારાયણ સ્વામીએ ગાયેલી અન્ય એક ગણેશ સ્તુતિ પણ સરસ છે :

સરસ્વતી સ્વર દીજિયે
ગણપતિ દીજિયે જ્ઞાન
બજરંગજી બલ દીજિયે
સદ્ગુરુ દીજિયે સાન
પ્રથમ પહેલાં પૂજા તમારી
મંગળ મૂર્તિવાળા ગજાનન
કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારાં
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાળુ દયાવાળા
સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભય ભંજન રખવાળા
સર્વ સફળતા તમ થકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા
અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળાં

ગણેશોત્સવ આપણે ત્યાં બહુ મોટો ઉત્સવ છે. વિઘ્નહર્તા ગજાનન ગણેશના ઉત્સવમાં લોકો ભક્તિથી તરબોળ બની ગયા હોય છે. ગણેશચતુર્થીએ લાડુનો પ્રસાદ તો હોય જ. નાનાં બાળકો ગણેશજીને ભરપૂર લાડ લડાવે, આરતી ઊતારે, ફૂલ ચડાવે ને પ્રશસ્તિ ગાન કરે. દસ દિવસ ગણરાયાને લાડ-પ્યાર કર્યા પછી વિસર્જન વખતે વિદાય આપવાનું આકરું લાગે પણ એ જ આપણી રીત અને એ જ આપણી પરંપરા.

દસ દસ દિવસથી ભગવાનની પૂજા-અર્ચના-આરતી સાથે બાપ્પાની વિદાયનો સમય આવી ગયો છે. દસ દિવસથી ગણેશમય બની ગયેલાં ભક્તોને આજનો દિવસ કપરો લાગશે. દરરોજ ઢોલ-નગારા સાથે બાપ્પાની આરતીઓ કરવી, ડીજેના તાલમાં ગણેશ પંડાલ ગજવવા, બાપ્પાના સાંનિધ્યમાં ગરબાનો રંગ જમાવવો વગેરે સાથે ગણેશનો પાવન તહેવાર પૂરો થશે, ગણેશમય માહોલ દૂર થઇ જશે અને નવરાત્રિની તૈયારી પૂરજોશમાં ચાલશે.

નવરાત્રિના આગમનને ગણતરીના દિવસો બાકી છે અને ગણેશોત્સવ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે નિનુ મઝુમદાર રચિત ખૂબ વખણાયેલો ચોપાટનો ગરબો યાદ આવે છે જેમાં એમણે માતાજીની સાથે ગજાનન તથા ભગવાન શંકરનું આખું કુટુંબ ચોપાટ રમતું હોય એવી સુંદર કલ્પના છે. જેના શબ્દો છે :

સર્વારંભે પરથમ નમીએ, રિદ્ધિ-સિદ્ધિ સ્વામી ગણપતિ,
સાથે મળીને ચોપાટ ખેલે, ઈશ્વર ને સતી પારવતી …!

પાસાં પાડે મંગલ રીતે, પહેલો દાવ ગજાનન જીતે
સાવ સોનાની સોગઠી પીળી, બાજીએ નીસરતી રમતી

બીજો દાવ તો રિદ્ધિ સિદ્ધિનો, પૂર્ણ રચાવે ખેલ વિધિનો
ભક્તિનું મહોરું લીલું સદાનું, ઊતરે અંતર આરતી

ત્રીજે ભુવન માતાજી બિરાજે, જય જય નાદે ત્રિભુવન
ચુંદડી રંગી સોગઠી રાતી, ગોળ ઘૂમે ગરબે રમતી

ચોથા પદનું તત્ત્વ વિચારી, રમતને નીલકંઠે ધારી
અનંત ભાસે અગમ રંગે, વિશ્વ રમાડે વિશ્વપતિ …!

એનો અર્થ એ છે કે ભગવાન શંકરે રમતમાં ભાગ લીધો છે પણ એ દાવ રમતા નથી, પરંતુ વિશ્વ આખાને રમાડે છે. કેવી સરસ કલ્પના છે! એ વખતનાં ગરબા ક્વીન વીણા મહેતાએ આ ગરબો નિનુભાઈ પાસે ખાસ લખાવ્યો હતો અને એમના ગરબા ગ્રુપે એ રજૂ કર્યો હતો.

અનંત ચૌદશે આજે વિઘ્નહર્તા ગજાનનને અશ્રુભીની આંખે વિદાય આપી પ્રાર્થના કરીએ કે આખું વર્ષ આપણા સૌને માટે, સમાજ તથા દેશને માટે નિર્વિઘ્ને પસાર થાય. હવે મા અંબેના આગમનને વધાવવા તૈયાર થઈ જઈએ ને?

ગણપતિ બપ્પા મોરયા
પુઢ્ચ્યા વર્ષી લવકર યા!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 સપ્ટેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=577852

Loading

...102030...2,7272,7282,7292,730...2,7402,7502,760...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved