Opinion Magazine
Number of visits: 9576736
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હે ગોવિંદ, હે નંદલાલા પોઢાડું પ્રેમે, પોઢી જા વ્હાલા

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|8 August 2019

હૈયાને દરબાર

હે ગોવિંદ, હે નંદલાલા
પોઢાડું પ્રેમે, પોઢી જા વ્હાલા
શયન સમા થયો હવે ગિરિધારી,
ઝૂલો ઝૂલાવું સૂઈ જા મુરારી
સૂરજદાદા પોઢી ગયા છે,
રાતની ચાદર ઓઢી રહ્યા છે,
નયન ઉઘાડે, મીંચે છે શાનો,
ઊંઘી જા કાના, તું છાનોમાનો
આંખો થઈ છે નીંદર ભારી … ઝૂલો ઝૂલાવું

નયનોને લાગી મુખડાની માયા
તારું ધામ બની છે કાયા
હે મોહન હે મુરલીધારી
મોહે છે સૌને લીલાઓ તારી
રાખજે તું કેશવ પત મારી
ગોવાળો સંગે તું લઈને ગોધન
વહેલી પરોઢે, ભટકે વન વન
સાંજ સમે તું ગોકુળ આવે
માડીનાં ભોજનિયાં ભાવે
રાત થઈ હવે, કુંજબિહારી … ઝૂલો ઝૂલાવું

• કવિ : ભરત આચાર્ય  • સંગીતકાર : અનુપ જલોટા  • ગાયિકા : લાલિત્ય મુન્શા

————————

ઑગસ્ટ મહિનો ભક્તિભાવ લઈને આવે છે. શ્રાવણ માસથી શરૂ કરીને રક્ષાબંધન, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, ગણેશ ચતુર્થી ઈત્યાદિ તહેવારોની વણઝાર શરૂ થઈ જાય. જન્માષ્ટમી નજીક આવી રહી છે એટલે મન કૃષ્ણમય થવા લાગ્યું છે. એમાં ય ‘શામળિયા શ્રીનાથજી’ની કૃતિઓ હાથ લાગી છે, એટલે તો મન ગોકુળ-વૃંદાવનમાં અત્યારથી જ પહોંચી ગયું છે. બહુ જૂનું આલબમ છે અને કેટલીક રચનાઓ ભજન-સમ્રાટ અનુપ જલોટાજીએ સ્વરબદ્ધ કરીને ગાઈ છે, પરંતુ આજે જે ગીતની વાત કરવાની છે એ ગાયું છે લાલિત્ય મુન્શાએ. ધીમી લયમાં શરૂ થતું, હાલરડાંનો સહજ સ્પર્શ ધરાવતું આ કર્ણપ્રિય ભક્તિગીત બાળકને સુવાડતી વખતે સંભળાવવામાં આવે તો બાળક આ મીઠી મેલડીથી જરૂર ઊંઘી જાય.

કૃષ્ણ એ સર્વપ્રિય ભગવાન છે. મધ્યકાલીન સાહિત્યથી લઇને અર્વાચીન સાહિત્યના કોઈ પણ યુગમાં કૃષ્ણ વિશે લખાયું ન હોય એવું બન્યું નથી. નરસિંહ મહેતાથી લઈને હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, અનિલ જોશી સુધી અને મીરાંથી લઈને આજના યુગનાં કાજલ ઓઝા-વૈદ્ય સુધીનાં તમામ સર્જકોએ તેમની કલમ કૃષ્ણ નામની શાહીમાં બોળીને ભાવકોને તેમાં રસ તરબોળ કર્યાં છે. કોઈએ તેની રચનામાં કૃષ્ણને ગોપીઓ સાથે રાસ રમાડ્યા છે તો કોઈએ શામળા શેઠને હાથ હૂંડી પહોંચાડી છે. કોઈએ નેજવાને પાંદડે પોઢાડ્યા છે, કોઈ મધુવનમાં માધવને ઢૂંઢે છે તો કોઇ તેની ઉપર આંધળો વિશ્વાસ રાખીને ઝેરનાં પ્યાલા ગટગટાવી જાય છે. કોઇએ તેને ગોકુળમાં ફરી પગ મૂકવાની ધરાર ના પાડી દીધી છે, તો કોઈએ તેને રોજ સવારે તેની મોર્નિંગ વોક ઉપર લઈ જવાની કે કોફી ટેબલ પર તેની સાથે બેસીને હૂંફાળી કોફી પીવાની વાત કરી છે. કેટકેટલી વિવિધતા અને કેવી કેવી કલ્પનાઓ કૃષ્ણ ગીતોમાં આકારાઈ છે અને એ તમામમાં પેલું સનાતન પાત્ર એકદમ સમરસ અને એકરૂપ.

કૃષ્ણ ગીતોનાં પ્રેમમાં પડી જવાય એવી એક એકથી ચડિયાતી કૃતિઓ ગુજરાતી-હિન્દી-વ્રજ ભાષામાં રચાઈ છે.

આજનું ગીત જેમણે લખ્યું એ છે કવિ ભરત આચાર્ય. સ્વરબદ્ધ અનુપ જલોટાજીએ કર્યું છે. આ ગીતનાં ગાયિકા લાલિત્યા મુન્શા કલાકાર તો છે જ, પરંતુ બિઝનેસ વુમન છે. એક મ્યુઝિક કંપનીનાં સ્થાપક છે.

અનુપજીની ભક્તિ રચનાઓ ઘર ઘરમાં લોકપ્રિય છે. અનુપ જલોટાનું બચપણ લખનઊમાં વીત્યું. સંગીતની તાલીમ એમણે પિતા પુરુષોત્તમદાસ જલોટા પાસે લીધી હતી. ૧૯૭૭માં ‘શિરડી કે સાંઇબાબા’ નામની ફિલ્મમાં બ્રેક મળ્યો એ પછી અનુપજીનું નામ લોકો જાણતા થયા. ત્યારબાદ એમને ફિલ્મો પણ મળતી ગઈ, પરંતુ અનુપજીનો રસ કંઈક જુદો જ હતો. એમને ભક્તિભાવની લગની હતી, તેમ જ ગઝલ સાથે પણ ઘરોબો હતો. તેથી ૧૯૮૦માં એમણે ‘ભજન સંધ્યા’ નામે સૌપ્રથમ આલબમ બહાર પાડ્યું, જેનાં તમામ ગીતો સંગીત ચાહકોના ઘરમાં ગુંજવા લાગ્યાં. એ જ આલબમનું ઐસી લાગી લગન, મીરાં હો ગઈ મગન … આજે પણ એટલું પોપ્યુલર છે કે એમના દરેક પ્રોગ્રામમાં આ ગીતની ફરમાઈશ તો આવે જ. એમણે પોતે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો મને ‘ભજન-સમ્રાટ’ તરીકે સંબોધે છે, પરંતુ ભગવાનની ભક્તિમાં સમ્રાટ ના હોય, ફકીર હોય એટલે મને ભજન સમ્રાટ નહીં પણ ભજન ફકીર કહો તો વધારે ગમે. અનુપ જલોટાએ અનેક ભજન આલબમ બહાર પાડી દેશ-વિદેશમાં અત્યંત લોકચાહના મેળવી છે.

આ ગીતના સંદર્ભમાં અનુપજી કહે છે, "કૃષ્ણ પ્રેમ હંમેશાં મારે માટે મહત્ત્વનો રહ્યો છે. આ એક જ એવા ઈશ્વર છે આપણને જીવન જીવવાની કલા શીખવે છે, પ્રેરણા આપે છે. કમ્પોઝિશન બનાવતી વખતે સ્વરકારના મનમાં એ ગીત કોની પાસે ગવડાવવું એ લગભગ નક્કી હોય છે. ગાયકની કેપેસિટી, એ કેટલું ગાઈ શકે છે, રેન્જ કેટલી છે એના આધારે ગાયક કે ગાયિકા નક્કી થતાં હોય છે. હે ગોવિં દ… ગીત સ્વરબદ્ધ કરતી વખતે મારા મનમાં લાલિત્યનું જ નામ, એનો અવાજ જ યાદ આવ્યાં હતાં. મને લાગ્યું કે આ ગીત એના અવાજમાં બરાબર બંધ બેસે એવું છે. ખરેખર એણે ખૂબસૂરતીથી નિભાવ્યું. કમ્પોઝિશન બનાવતી વખતે કવિતાના ભાવમાં સંગીતકારે ડૂબી જવું પડે. ડૂબીએ તો ભાવ ભગવાન સુધી પહોંચી જતો હોય છે. ભાવમાં ઊંડા ઊતરીએ તો ઘણી વાર આંખમાં આંસુ આવી જાય, ગળે ડૂમો બાઝી જાય એવા અનુભવો પણ થયા છે. બધાં દેવી-દેવતાઓમાં શ્રીકૃષ્ણ આપણને સ્વતંત્રતા આપે છે. એમની સાથે તમે રમી શકો, નૃત્ય કરી શકો, એને ચોર કહી શકો, એને રણછોડ પણ કહી શકો. મર્યાદા પુરુષોત્તમ રામની સાથે આવું કંઈ ન થઈ શકે. રામ સાથે નૃત્ય ના થઈ શકે જ્યારે કૃષ્ણ તો આપણને ઇજાઝત આપે છે, એમની સાથે બધી મોજ-મસ્તી કરવાની. તેથી જ કૃષ્ણ સૌથી વધારે ગવાયાં છે. રાધા-કૃષ્ણ આપણા માટે પ્રેમનું પ્રતીક છે તેથી રાધા કૃષ્ણ પર પણ કેટલાં બધાં સુંદર ગીતો રચાયાં છે. આ ગીત કમ્પોઝ કરતી વખતે પણ મને રાધા-કૃષ્ણ જાણે મારી નજર સમક્ષ હોય એવી જ અનુભૂતિ થતી હતી.

બહુમુખી પ્રતિભા ધરાવતાં લાલિત્ય મુન્શાના કેટલાંક આલ્બમ્સનું વિમોચન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મોરારિ બાપુ, શ્રી શ્રી રવિ શંકર, હેમા માલિની ઈત્યાદિ દ્વારા કરવામાં આવ્યું છે. પોતાની સંગીત કંપની અંતર્ગત અત્યાર સુધી તેમણે ગુજરાતના પ્રખ્યાત અને નવા કલાકારોના ૩૦૦થી વધુ આલ્બમોને રિલીઝ અને પ્રમોટ કર્યા છે. શાસ્ત્રીય સંગીત માટે પંડિત ઓમકારનાથ ઠાકુર ટ્રોફી, વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૬માં રાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ એવોર્ડ સહિત અનેક પુરસ્કાર મેળવનાર લાલિત્ય આ ગીતના સંદર્ભમાં કહે છે, "મારું બાળપણ અમદાવાદમાં વીત્યું છે. અમારા પરિવારમાં પહેલેથી જ ભક્તિભાવનો મહિમા હતો. અમારે ત્યાં સંત-મહંત આવતા. ઘરમાં બે મંદિર પણ હતાં એટલે નાનપણથી જ હું સંગીત અને ભક્તિ તરફ વળી હતી. દર અમાસ અને પૂનમે અમારે ત્યાં ભજનો યોજાય અને મારા પપ્પા મને ત્યાં બેસાડી દે. એટલે પરોક્ષ રીતે મનમાં આ બધા સંસ્કાર પડતા ગયા. પછી તો મને સંગીતમાં વધારે રસ પડતાં મેં શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. શાસ્ત્રીય સંગીતનો પાયો પાકો થતાં પપ્પા મને મુંબઈ લઈ આવ્યા. કલ્યાણજી-આણંદજીભાઈ, અનુપ જલોટાજી સાથે પરિચય કરાવ્યો હતો. વોઇસ કલ્ચર અને ગાયનની બારીકીઓ હું કલ્યાણજીભાઈ-આણંદજીભાઈ પાસેથી શીખી. મેં સૌપ્રથમ આલબમ ‘સખી, મૈં દીવાની’ નામે કર્યું. પછી એ જ આલબમ ગુજરાતી ભાષામાં ‘શામળિયા શ્રીનાથજી’ નામે પ્રગટ થયું હતું.

હે ગોવિંદ, હે નંદલાલા … એમાંનું જ ગીત છે અને મારા દિલની બહુ નજીક છે. કારણ કે ગીતનું સ્વરાંકન ખૂબ સુંદર છે. અનુપજીનાં ગીતોમાં અપાર માધુર્ય હોય છે. અલબત્ત હવે તો હું સૂફી, રોમેન્ટિક હિન્દી ફિલ્મી ગીતો, ગઝલ, ફ્યુઝન તેમ જ સંગીતના અનેક પ્રકારો ગાઉં છું, પરંતુ મારા મનમાં રેકોર્ડિંગ કંપની શરૂ કરવાનો વિચાર ઘણા વખતથી ચાલતો હતો. એમાંથી રેડ રિબનની સ્થાપના થઈ અને આજે તો એ વટવૃક્ષ બની ગઈ છે. અમે હિન્દી-ગુજરાતીના લગભગ દરેક મોટા કલાકારના રેકોર્ડિંગ તથા ડિસ્ટ્રિબ્યુશન અને પ્રમોશન કરીએ છીએ જેમાં હરિહરનજી, અનુપ જલોટા, રૂપકુમાર રાઠોડ, જગજિત સિંહથી લઈને આજના સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહ અને ગુજરાતીમાં ઐશ્વર્યા મજમુદાર, પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ અને આશિતભાઈનાં તો ઘણાં જ આલબમો અમે રેકોર્ડ કર્યા છે. અત્યારે ટૂંક સમયમાં રજૂ થનારી એક ગુજરાતી ફિલ્મમાં મેં બે ગીતો ગાયાં છે.

ગીતના રચયિતા ભરત આચાર્ય જાણીતા ગીતકાર છે. તેમણે શંકર મહાદેવન, સુરેશ વાડકર, હરિહરનજી, આલાપ દેસાઈ, લાલિત્ય મુન્શા સહિત અનેક કલાકારો માટે ગીતરચના કરી છે. "મારા હૃદયની ભાવનાઓને કલમમાં બોળીને કાગળ ઉપર ઉતારું છું. કહે છે ભરત આચાર્ય.

આ ગીત તથા અન્ય કલાકારોની ભાવપૂર્ણ રચનાઓ યુટ્યુબ પર ઉપલબ્ધ છે જ. તમે ઈચ્છો ત્યારે માણી શકો છો.

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 08 ઑગસ્ટ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=554729

Loading

નકશા નવા હિન્દુસ્તાનના

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|8 August 2019

તું  મારા મોંમાં ડૂચો દઈ 
રહેંસી નાખે મારા વિદ્રોહને 
કે ગોઠવે એકેએક ગલીને નાકે ચોકીદારને  
જે રોકી રોકીને તપાસ્યા કરે 
મારી જાત-પાત- મારા દેશ ને પહેરવેશને 
કે મને જેલમાં નાખીને 
રોકે ખુલ્લેઆમ બાંગ પોકારતા મારા વિચારને 
કે દાબીને ગળું મારું 
લલકારે તું મને 
ગાવા રાષ્ટ્રભક્તિનાં ગીતો હવે 
તો હું સહીશ ધરાર ના  
હું થઈશ દેશદ્રોહી હવે 
નહિ ભરું હામીમાં હામી 
નહિ મરું હું તારા માટે 
ના ઝૂકાવીશ માથું 
બિહામણા સિંહાસન તળે 
નહિ ઉગામું હાથ 
ન તો હથિયાર 
તારા પૌરુષત્વની સેવા રૂપે 
નહિ ઉપાડું પગ 
નહિ ચાલું તારા ચીંધેલા રસ્તે ચૂપચાપ 
નહિ કરું કલંકિત કલ્પનાને 
ઝબોળીને તારા આદર્શો મહીં 
ના વેચીશ મારી સર્જકતા
નફરતના બજાર મહીં  
હા, લખીશ હું કવિતા
આગા શાહિદ અલી થઈ 
અખરોટિયાં તારા હૈયે કરીશ
નમણી, ખોકરદર કોતરણી
મારા શબ્દોના ટાંકણાની ધાર પર 
ખીલશે જંગલો કૈં ભોજપત્ર, ચિનારના 
શબ્દોની વચમાં રહ્યા એ સન્નાટામાં ઊગશે 
જાંબુડિયા મઘમઘ ખેતર લહેરાતા કેસરના 
શબ્દોના એ આવાજમાં વસશે ફરી 
ઉજડેલાં રેશમી ગામો, રેશમી રસ્તા,  
શાંતિપ્રિય જણ મારા પરિવારના  
ને શબ્દોના લયમાંથી જ વહી આવશે 
નીર નિર્મલ જેલમ, ચેનાબના   
અહીં જ તો બનશે હવે  
નકશા નવા હિન્દુસ્તાનના

°

The Maps of A New Hindustan

 

• Pratishtha Pandya

 

If you were to gag me

and muffle my rebellion,

or put a chowkidar

at every street corner

to stop and interrogate me

about my community

my religion

my whereabouts

my loyalties,

or put me in jail

and imprison my thoughts

blowing in the wind

like the Muezzin’s call for Azan,  

or throttle and dare me

to sing patriotic songs;

I wouldn't tolerate.

No more.

Now I will be the traitor

Not a sycophant,

Not your yes-man

I will not die for you

or not bow this head

at the feet

of your formidable throne

No raised hand

No weapons

No more at the service of

your machismo

I will not move an inch,

will not walk obediently

on your suggested paths.

Will not blemish

my imagination

by dipping it

in your tainted ideals

I will not trade

creativity for hatred.

Yes, I will write poems.

Like Agha Shahid Ali.

On your walnuty heart

I will carve

intricate Khatam-band.

Forests of Birches and Chinar

will grow on the tip of

every word, my chisel.

In the silent spaces

between words shall bloom

fragrant, purple fields of Kesar.

Silken villages, silken roads

once destroyed

peace-loving members of my family

shall come to inhabit

sounds of these words.

And from their rhythm

shall flow pure waters

of Jhelum and Chenab

Here

Here is where

we shall redraw

the maps of a new Hindustan.

 

https://indianculturalforum.in/2019/08/19/the-maps-of-a-new-hindustan/

Loading

મંદીના મંદવાડમાં સબડતું ન્યૂ ઇન્ડિયા !

મનીષી જાની|Opinion - Opinion|7 August 2019

બજાજ ઓટોના ચેરમેન રાહુલ બજાજ, જેઓ રાજકારણને જાણે છે અને તેમાં સામેલ છે એવાં ઉદ્યોગપતિ છે. તેમણે બે અઠવાડિયા પૂર્વે પોતાની વાહનો ઉત્પાદન કરતી કંપનીની સામાન્ય સભામાં આક્રોશપૂર્ણ રીતે, દેશમાં ઓટો ઈન્ડસ્ટ્રીની કથળતી સ્થિતિ વિશે જણાવ્યું કે 'ઘરાકી નથી, રોકાણ નથી તો પછી શું વિકાસ આકાશમાંથી ટપકશે ?'

એક ઉદ્યોગપતિની આવી નારાજગી ભરી, કહો કે વ્યથા ભરી વાતને વાંચતા મને આજથી પાંચ દાયકા પહેલાંની બજાજ ઓટોની જાહોજલાલી યાદ આવી ગઈ. ઈટાલિયન વેસ્પા સ્કૂટરનું ઉત્પાદન કરવાનું બજાજે 1960માં શરૂ કર્યું હતું. અને તે વખતે અમદાવાદના મધ્યમવર્ગીય યુવાનોમાં વેસ્પા સ્કૂટર ખરીદવાનું જબરજસ્ત ગાંડપણ હતું.

એ સમયે દેશનાં શહેરોમાં સૌથી વધુ વપરાતું વાહન સાયકલ હતી. મોટર કાર – ગાડી તો બંગલાવાળા – સુખીસંપન્ન પરિવારો પાસે જ હતી પણ મધ્યમવર્ગમાં તો સ્થાનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ – બસ નું જ મહત્ત્વ હતું અને બીજી હતી સાયકલ.

રાત્રે સાઈકલસવારે પણ સાઈકલના આગળના ભાગે બત્તી લગાવવી પડતી. એ જમાનામાં દીવેટવાળી કેરોસીનથી ચાલતી બત્તીઓ હતી. મને યાદ છે જાહેર રોડ પર બત્તી વગરના સાઈકલસવારોને પોલીસ પકડે. જેમ અત્યારે સ્કૂટર-બાઈક સવારને હેલ્મેટ વગર ફરવા માટે પકડે છે. સાઈકલસવારની બત્તી ચાલુ ના હોય ને પોલીસ પકડે તો યુવા સાઈકલ સવાર એમ જ કહે કે પવનથી હમણાં જ હોલવાઈ ગઈ !

એ પછી તો ડાઈનેમોથી ચાલતી સાઈકલ બત્તીઓ આવી.

પણ જે ઘરમાં બે નોકરીઓ કે ડોક્ટર-વકીલ જેવાં સ્વતંત્ર વ્યવસાયની કમાણી આવી તેમાં આ વેસ્પા સ્કૂટર ખરીદી એ એક સ્ટેટસ સિમ્બોલ તે સમયમાં બનવા માંડ્યું. વેસ્પા – બજાજ એ મોટરસાયકલ કરતાં ઓછાં ઈંધણથી ચાલનારું અને કિંમતમાં સસ્તું હોવાથી તેની માંગ ખૂબ જ વધવા માંડી.

અમારે ત્યાં સોસાયટીના બાંકડે યુવાનો ભેગા થતા હોય અને એમાં જો કોઈનાં ઘરે આ નોંધાયેલા સ્કૂટરની ડિલીવરી માટેનો કાગળ આવે તો ભારે ખુશાલી થઈ આવતી. સ્કૂટર હાજર સ્ટોકમાં ના મળતું અને આ સ્કૂટરની એટલી માંગ હતી કે તેનાં 'ઓન' બોલાતાં ! એટલે કે ખરીદેલાં સ્કૂટરની કંપની કિંમત કરતાં 10-12 % વધારે ભાવથી વેચી શકાતું. અને બે-ચાર વર્ષ વાપર્યાં પછી પણ તેની 'રીસેલ વેલ્યુ' ઘણી ઊંચી ગણાતી.

શહેરોમાં છેલ્લાં પચીસેક વર્ષ માં આ જ મધ્યમવર્ગીય પરિવારોમાં જેમની પાસે સ્કૂટર-બાઈક હતાં, જેમનાં ઘરે બે નોકરિયાતો છે કે પ્રોફેશનલ જોબ છે ત્યાં કારની ખરીદી થવા માંડી અને મધ્યમવર્ગ માટેની મારુતિ સ્મોલ કારે 30-35 વર્ષ પહેલાં કાર વસાવવાનાં સપનાં જગાડેલાં.

1992માં નવી આર્થિક નીતિ અને વૈશ્વિકીકરણને લઈ જાતભાતની મોટર કાર, બાઈક ને સ્કૂટરની કંપનીઓ દેશભરમાં ઊભી થઈ.

શહેરી વિસ્તારોમાં સ્કૂટર-બાઈક જેવાં દ્વિચક્રી વાહનો નીમ્ન મધ્યમવર્ગ અને ખાસ કરીને 'કુશળ કારીગર' વર્ગમાં અને ગ્રામીણ વિસ્તારોમાં મધ્યમવર્ગીય ખેડૂતોનાં ઘરોમાં અને જ્યાં ખેતી ઉપરાંત પગારદાર નોકરી કરનારા એક બે જણ ઘરમાં બન્યાં ત્યાં મોટરસાયકલની ખરીદી જોવા મળી.

પણ આ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી છેલ્લાં બે-ત્રણ વર્ષમાં કપરી સ્થિતિમાં મૂકાયેલી આપણા દેશમાં જોવા મળી રહી છે જે ચિંતાજનક બાબત ગણવી રહી ‌. અને તે જ ચિંતા આ દેશના ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીના મોભી જેવા ઉદ્યોગપતિએ વ્યક્ત કરી છે.

આપણા દેશમાં 2017-18માં કુલ 18,21,538 કાર વાહનો વેચાયેલાં અને ગયા વર્ષે એટલે કે 2018-19ના માર્ચ સુધીમાં 8%નો ઘટાડો નોંધાયો અને 16,82,625 વાહનો વેચાયા.

ટુવ્હીલર એટલે કે સ્કૂટર-બાઈકનાં વેચાણમાં આ વર્ષ દરમિયાન 17%નો ઘટાડો જોવા મળ્યો. એમાં ય ખાસ કરીને દેશની પ્રતિષ્ઠિત હીરો કંપનીના દ્વીચક્રી વાહનોમાં 15% અને હોન્ડા મોટરસાઇકલમાં 32% વેચાણમાં ઘટાડો નોંધાયેલો જોવા મળ્યો.

વળી ગ્રામીણ ક્ષેત્રોમાં અગાઉનાં વર્ષોમાં ટ્રેક્ટરોનાં વેચાણમાં 20-21%નો વાર્ષિક વધારો નોંધાતો હતો તે ઘટીને આ વર્ષે વાર્ષિક વધારો 10.25% જેટલો જ રહ્યો છે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ્સ મેન્યુફેક્ચર્સના તાજેતરના આંકડા દર્શાવે છે કે આ જૂન મહિનામાં પેસેન્જર કારનું વેચાણ 24.97% ઘટ્યું છે. એટલે કે આ જૂન મહિનામાં 1,39,628 કારોનું વેચાણ થયું જે ગયા વર્ષના જૂનમાં 1,83,885 કારોનું હતું.

અને આ સતત આઠમો મહિનો છે જેમાં દર મહિને વેચાણમાં ઘટાડો નોંધાતો જોવા મળે છે.

આપણા દેશમાં મોટરકારની ઈન્ડસ્ટ્રી ઘણા મોટા પ્રમાણમાં છે. દુનિયામાં આપણા દેશનું કારબજાર ચોથા નંબરે આવે છે.

આપણા દેશમાં આ ઓટો ઈન્ડસ્ટ્રી કુલ મળીને 3.7 કરોડ લોકોને રોજગારી પૂરી પાડે છે. અને આ મોટરકારોના વેચાણમાં કમી આવવાને કારણે જ દેશમાં 300 જેટલા ડીલર્સની દુકાનો છેલ્લાં છ મહિનામાં બંધ થઈ ગઈ અને કાર વેચાણની મંદીને લઈ આવી દુકાનોમાંથી જ આશરે 3,000ની નોકરીઓ ગઈ.

આપણા ગુજરાતનું રાજકોટ દેશમાં બનતાં ઓટો સ્પેરપાર્ટ્સના ઉત્પાદનમાં અગ્રણી છે અને દેશના 70% જેટલાં ઓટો સ્પેરપાર્ટ્સ માત્ર રાજકોટમાં જ બને છે ને અહીં મોટરકારોના વેચાણમાં કમી આવવાથી 24 કલાક ધમધમતાં કારખાનાઓ હવે અઠવાડિયા માં 3-4 દિવસ ચાલતાં થઈ ગયાં છે અને જેને લઈ 10,000 જેટલા કામદારોની નોકરીઓ છીનવાઈ ગઈ છે.

ઓટો ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોના માનવા મુજબ જો આ જ પ્રકારની મંદી બજારમાં ચાલુ રહેશે તો આપણા દેશમાં લગભગ દસ લાખ લોકો પોતાની રોજગારી ગુમાવશે.

આ બધા મંદીના આંકડા જોતાં સવાલ તો થાય જ કે દેશમાં એકાએક થયું શું ?

એનો એક સૂચક જવાબ ઉદ્યોગપતિ રાહુલ બજાજે જ આપ્યો છે કે "સરકાર બતાવે કે ના બતાવે પરંતુ ઈન્ટરનેશનલ મોનીટરી ફંડ – આઈ એમ એફ અને વર્લ્ડબેંકના આંકડા કહે છે કે છેલ્લાં ત્રણ ચાર વર્ષોમાં વિકાસદરમાં કમી આવી રહી છે, દર ઘટ્યો છે. બીજી સરકારોની જેમ એ પોતાનો ચહેરો હસતો દેખાડવા માંગે છે પણ સચ્ચાઈ તો આ છે જ."

અને બજાજની વાતને સમર્થન આપતા આંકડા હમણાં ગયા અઠવાડિયે જ બહાર આવ્યા છે. જેમાં આપણા દેશનું અર્થતંત્ર દુનિયામાં પાંચમા સ્થાનેથી ગબડીને સાતમા સ્થાને પહોંચી ચૂક્યું છે.

વિશેષમાં આ મંદી નું કારણ તો આપણા દેશમાં લોકોની ખરીદશક્તિમાં આવેલી ભારે કમી છે અને બેકારી દર છેલ્લાં 45 વર્ષની વિક્રમજનક સપાટીએ અત્યારે પહોંચેલો છે. બેરોજગારી દર અત્યારે 7.2%એ પહોંચેલો છે અને આ વર્ષના ફેબ્રુઆરી મહિનાના આંકડા કહે છે કે 3.12 કરોડ લોકો આપણા દેશમાં રોજગારીની શોધમાં હતા.

બીજી બાજુ પેટ્રોલ – ડીઝલના ભાવ વધતાં જ રહે છે, શાકભાજીથી માંડી જીવન જરૂરિયાતનાં ખાદ્યાન્ન ને ખાદ્યતેલોના ભાવો આસમાન છૂતા રહ્યા છે અને એટલે જ 'વિકાસદર' હવે આસમાનથી ટપકે એ જ માત્ર વિકલ્પ રહ્યો છે.

ગ્રામીણ ક્ષેત્રોમાં ખેડૂતોને ઉત્પાદનના યોગ્ય ભાવ મળતા નથી. વચેટિયા, દલાલો અને બજારમાં ભાવ ઊંચા નીચા કરતા સટોડિયાઓનું જ રાજ જો ખેતી અને ખેતર પર હાવી હોય ત્યારે ખેડૂતોને બે ટંક રોટલા બારે માસ કેમ ખાવાં એ જ મૂંઝવણ સતાવી રહે છે અને તેને લઈ મોટરસાયકલને ટ્રેક્ટર જેવાં વાહનોની ખરીદી મંદ પડી ગયેલી જોવા મળે છે.

શિક્ષિતોની બેકારી યા 'ફીક્સ' પગારની નોકરીઓ એ મધ્યમવર્ગના ઘરમાં બે -ત્રણ જણાં કમાનારા હોય છતાં ય આવક તો સરકારી નોકરીનાં પગાર ધોરણો કરતાં ઘણી ઓછી કહો કે મળતાં એક સરકારી નોકરિયાતના વેતન જેટલો પગાર ત્રણ જણાના ફીક્સ પગાર જેટલો ગણવો રહ્યો ! આને એક ખરીદશક્તિ ઓછી થવાનું કારણ ગણી જ શકાય ને ?

એ ઉપરાંત સરકારી નીતિ પણ જાણે દેશમાં એવી થઈ ગઈ છે કે દેશના આંગળીના વેઢે ગણાતા કોર્પોરેટ હાઉસ- ઈન્ડ્સ્ટ્રિયાલિસ્ટોને ખોબલે ખોબલે, કાયદા કાનૂન ઢીલાં કરીને કે ભંગ કરીને પણ લાભ કરી આપવામાં આવી રહ્યો છે અને તે સિવાયના મધ્યમકક્ષાના ઉદ્યોગપતિઓ, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના માલિકો; પહેલાં નોટબંધીના ભરડામાં ફસાયા અને પછી અણગઢ રીતે વસુલાતા જી.એસ.ટી.ના ચક્કરમાં ફસાયા !

અને ખાસ તો માત્ર ઓટો ઉધોગ નહીં પણ જેને પાયાનાં ઉદ્યોગો કહેવાય એવાં આઠ ઉદ્યોગોમાં ઉત્પાદન છેલ્લાં ચાર વર્ષથી ઘટતું રહ્યું છે અને આ જૂન મહિનામાં તેનો વૃદ્ધિ દર 0.2 સુધી પહોંચી ગયો જે 2018ના જૂન મહિનામાં 7.8 હતો. દેશનાં આ પાયાગત આઠ ઉદ્યોગોમાં ઈલેક્ટ્રીસિટી, લોખંડ, રિફાઈનરી ઉત્પાદનો, ઓઈલ, કોલસો, સિમેન્ટ, કુદરતી ગેસ અને ફર્ટીલાઈઝરનો સમાવેશ થાય છે.

આ આઠ ઉદ્યોગોમાં ધીમો પડી રહેલો વૃદ્ધિ દર ઘણી ગંભીર બાબત ગણવી રહી. આ ઉદ્યોગો એ દેશના તમામ પ્રકારના ઔદ્યોગિક વિકાસ માટે, તમામ ઉત્પાદનો માટે પહેલી જરૂરિયાત છે. આ ઉત્પાદનો ઘટી જાય એટલે દેશના ઉદ્યોગધંધાનું હ્રદય ધીમું ચાલતું થઈ ગયું કે માંદુ પડી ગયું એમ કહીએ તો પણ ચાલે.

આપણા દેશમાં એકબાજુ રાજકીય નેતાઓ, સત્તાધારીઓ પાંચ લાખ કરોડ રૂપિયાનાં અર્થતંત્રને આંબવાની ગુલબાંગો પોકારી રહ્યા છે અને બધું જ બધું રુડું રૂપાળું છે એમ કહીને આંકડાઓ છૂપાવવાની કાર્યવાહીમાં લાગેલા છે. અને આ છૂપાવવાની માનસિકતા દેશને ક્યાં લઇ જશે એ પણ એક મોટો સવાલ છે.

તાજેતરની નોંધપાત્ર વાત એ પણ છે કે દેશના અર્થતંત્રની તબિયત જાણવા માટેનું જે નાણાં ખાતું છે તેની કચેરીમાં પત્રકારો માટે પ્રવેશની બંધી ઘણા વખતથી મૂકાયેલી તો હતી જ ત્યાં હવે નાણાખાતાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે જ્યારે નાણાપ્રધાન કે ઉચ્ચ અધિકારી પ્રેસ બ્રીફીન્ગ કરશે ત્યારે પત્રકારોને સવાલો પૂછવાની મનાઈ રહેશે.

સરકારનું નાણાં ખાતું જે કંઈ દેશની તબિયત વિશે કહે તે માની લેવાનું.

દેશની તંદુરસ્તી કે રોગ વિશેનાં બ્લડ ટેસ્ટ કે એક્સરેના રિપોર્ટ માંગવાના નહીં એનાં જેવી આ વાત થઈ.

અને બીજી બાજુ આ આર્થિક બીમારીને છૂપાવવા કે તેનાથી ધ્યાન હટાવવા ફરજિયાત જયશ્રી રામ બોલાવવાના નફરતના ગતકડાં કે અયોધ્યામાં રામમંદિરને કલમ 370 નાબૂદીનાં રમકડાં અને આતંકવાદની ભયાનકતા ઊભી કરી લોકોને સતત મીડિયાની મદદથી ઊંધે રવાડે ચડાવી દેવાની રમત રોજેરોજ આપણાં દેશમાં ચાલી રહી છે.

મેજોરિટી – બહુમતીના જોરે લોકસભા – ધારાસભાઓમાં જાતભાતના કાયદા કાનૂન પાસ કરાવી એક યા બીજા પ્રકારના દમનના દાવ સરકાર ખેલી રહી છે.

આ બધું જ હોવા છતાં શરીરની બીમારીને મેકઅપ, ઘરેણાં કે ચમકતાં વસ્ત્રોથી ઢાંકી નથી શકાતી એમ જ આ અર્થતંત્રની બીમારીનું હોય છે. લાંબા સમયે ય અર્થતંત્રની બીમારીનાં ચિન્હો દેખાયાં વિના રહેતાં નથી. અર્થતંત્રનાં ધબકારા સમાજજીવનમાં ઝીલાતાં હોય છે. ધીમા પડતાં ધબકારા દેશમાં અનુભવાઈ રહ્યા છે.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન ઈસ્લામ ધર્મ આધારિત બની ગયો અને સાત દાયકામાં જે ઉગ્ર અને ક્ટ્ટર ધાર્મિક નેતાઓએ સત્તા એક યા બીજી રીતે પોતાની પાસે રાખીને શાસન કર્યું ને જે રીતે દેશના અર્થતંત્રને ખાડે નાંખી દીધું છે તેને હવે બહાર કાઢવું ઘણું મુશ્કેલ બની ચૂક્યું છે.

પાકિસ્તાનની સરકારને અત્યારે ગરીબોની રોટી સમી 'નાન'ની કિંમતને પંદર રૂપિયામાંથી દસ રૂપિયા કરવાની જે મસક્કત કરવી પડે છે ! શું એવું જ આપણે ધાર્મિક કટ્ટરતાવાદને રસ્તે ચાલીને આપણાં દેશમાં કરવું છે ? એ સવાલનો જવાબ હવે લોકો એ જ પોતાની જાતને પૂછવો પડશે.

સૌજન્ય : ‘ચિંતા’ નામે લેખકની સાપ્તાહિકી કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 07ઓગસ્ટ 2019

Loading

...102030...2,7202,7212,7222,723...2,7302,7402,750...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved