Opinion Magazine
Number of visits: 9576735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાટલીની પેલે પાર

રિમ્મી વાઘેલા|Opinion - Opinion|17 August 2019

ઑનલાઈન ઍડમિશનના પ્રશ્નો તો અનેક વાર આપણે જોઈ ચૂક્યા છીએ. આજે એક રમૂજી કિસ્સો વર્ણવું છું. તે ઑનલાઈન ઍડમિશન કેટલું ‘પારદર્શક’ છે, તેની પોલ ખોલી આપશે.

મહેશ અમારો જૂનો મિત્ર છે. ટી.વાય.બી.એ. શહેરમાં આવેલી જાણીતી પરંતુ હાલ બંધ થવાના આરે ઊભેલી કૉલેજમાંથી પૂરું કર્યું છે. હાલમાં તેણે એમ.એ. અર્થશાસ્ત્ર વિષયમાં પ્રવેશ લીધો છે. ઑનલાઈન પ્રવેશ પ્રક્રિયાથી પ્રવેશ કેટલી જટિલ પ્રક્રિયા છે, એ તો આપણે જાણીએ જ છીએ. મહેશે પહેલાં તો એલએલ.બી.માં પ્રવેશ લેવાનું નક્કી કર્યું હતું. પરંતુ એલએલ.બી.માં પ્રવેશ મળ્યો નહીં.

એમ.એ.માં પણ પ્રવેશ માટેના નિયમિત રાઉન્ડ પૂરા થઈ ગયા હતા. પણ ‘ઑનલાઈન રજિસ્ટ્રેશન, ઓફલાઈન ઍડમિશન’નો તબક્કો શરૂ થયો એટલે તેણે એમ.એ.માં પ્રવેશ પ્રક્રિયા અનુસરવાનું શરૂ કર્યું. ઓનલાઈન રજિસ્ટ્રેશન – ઑફલાઈન ઍડમિશન એટલે પિન નંબર લઈ, ફોર્મ ઓનલાઇન ભરવાનું અને ઍડમિશન જે કૉલેજમાં જગ્યા ખાલી હોય ત્યાં સીધા જઈને પ્રવેશ મેળવી લેવાનો.

મહેશે જાતે ઑનલાઈન ફોર્મ ભરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કોઈ પણ સંજોગોમાં એની ટી.વાય.બી.એ.ની માર્કશીટ અપલૉડ જ નહોતી થઈ રહી. અંતે સાયબર કાફેમાં જઈને તેણે માર્કશીટ અપલૉડ કરવાનો પ્રયત્ન કર્યો. પૈસા લઈને ફોર્મ ભરી આપતી સાયબર કાફેમાં ૨૦૦ રૂપિયા ગયા અને બે દિવસ પણ ગયા. અંતે મહેશે માત્ર પ્રયત્ન ખાતર તેના બીજા મિત્રની માર્કશીટ અપલોડ કરી અને થઈ પણ ગઈ. એ પછી મહેશે વિચાર્યું કે ભલે બીજાની માર્કશીટ અપલૉડ થઈ, કૉલેજમાં ડૉક્યુમેન્ટ વેરીફિકેશન માટે જઈશ, ત્યારે કૉલેજવાળા મારી ભૂલ સુધારી આપશે !

મહેશે પોતાના તમામ દસ્તાવેજ પ્રમાણિત પણ કરાવ્યા, ફી પણ ભરી દીધી, એમ.એ.માં પ્રવેશ પણ લઈ લીધો, તેના વર્ગો પણ ચાલુ થઈ ગયા છે. ના, તો કૉલેજના એ અધ્યાપકને તપાસમાં ખબર પડી કે માર્કશીટ બીજા કોઈની છે, ના તો ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ – સિસ્ટમમાં ખબર પડી કે ફોર્મ ભરનાર વ્યક્તિનું નામ, માર્કશીટમાં દર્શાવેલ નામથી અલગ છે.

મહેશે જ્યારે પહેલાં આ વાત કરી, ત્યારે અમે બધા ખૂબ હસ્યા પણ પછી દુઃખ પણ ઘણું થયું. આ તો મહેશે, પ્રામાણિકતાથી કહ્યું એટલે અમે જાણ્યું. આવા તો કેટલા ધાંધિયા થતા હશે, એની કોને ખબર ! પણ મહેશના કિસ્સાએ ગુજરાત યુનિવર્સિટીના પ્રવેશ પ્રક્રિયામાં પારદર્શિતાના દાવાને સાવ ખોટો સાબિત કરી દીધો !!

ઑલ ઇન્ડિયા ડી.એસ.ઓ.

e.mail : vaghelarimmi@gmail.com

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 24

Loading

લૈંગિક સમાનતાઃ આદર્શ અને હકીકત

દિશા ગોસ્વામી, દિશા ગોસ્વામી|Opinion - Opinion|17 August 2019

ભારત દેશમાં બહુવિધ ક્ષેત્રે દ્વિમુખીપણું જોવા મળે છે. આ દેશમાં ભૂવાડાકલામાં માનવાવાળા અને ડિજિટલ બંને સ્તરના મતદારો છે. એઇમ્સની અદ્યતન સારવારની અપેક્ષા ધરાવતો વર્ગ પણ છે, તો બીજી બાજુ ડામથી દર્દ દૂર કરાવવાળો વર્ગ પણ છે. આ એવો દેશ છે, જેમાં યાતના વેઠી સંઘર્ષ કરનાર મહિલાઓ પણ અન્ય મહિલાઓ કે અન્ય વર્ગનું શોષણ પણ કરે છે. શ્રેષ્ઠતમ અને કનિષ્ઠતમ બંને એકસાથે એક જ સ્થળે જોવા મળે એવો આ ભારતદેશ છે.

આપણા દેશમાં વિકાસનો વાયરો ફૂંકાતો થયો છે, ત્યારથી એક એવી આશા બંધાઈ છે કે હવે આપણા દેશમાં ‘ટકાઉ વિકાસ – માનવ વિકાસ – સર્વસમાવિષ્ટ વિકાસ’ ઝડપથી આકાર પામશે. આમ, સામાન્ય સંજોગોમાં આપણે એવું માની લઈએ છીએ કે વિકાસનો મહત્તમ લાભ આપણા દેશમાં બહેનોને પણ પ્રાપ્ત થાય છે, તેઓ કારણ કે પર્યાવરણની મર્યાદાઓનો મહત્તમ ભોગ તેઓ બને છે. માનવ વિકાસની શિથિલતામાં મહિલા કારણભૂત બને છે, તો સર્વ સમાવેશનના બધા જ પ્રયાસોમાં મહિલાઓ વિશેષ ધ્યાન ખેંચે છે.

તાજેતરમાં ૪થી જૂને વાનકુંવર ખાતે યોજાયેલ વિમેન્સ ડિલિવર કૉન્ફરન્સમાં વિશ્વના ૧૨૯ દેશોના અભ્યાસના આધારે તૈયાર કરાયેલ ‘લૈંગિક સમાનતા’ – અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે. આ અહેવાલમાં ટકાઉ વિકાસના સંદર્ભમાં મહિલાઓને સ્પર્શતાં જે વિવિધ ચલ-પરિમાણો છે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. તેના આધારે જે તે દેશમાં પુરુષની સરખામણીમાં મહિલાઓનું ચિત્ર તપાસવામાં આવે છે. આ માટે કુલ ૧૦૦માંથી ગુણ આપવામાં આવે છે. ધારો કે શિક્ષણમાં ૫૦ મહિલા અને ૫૦ પુરુષોનું સપ્રમાણ હોય, તો શિક્ષણનો આંક બરાબર ગણાય છે. તેવી જ રીતે બીજાં ચલ પરિમાણોનું માપન કરવામાં આવે છે. હમણાં જ ભારતમાં મહિલા અને બાળકલ્યાણમાં મંત્રી તરીકે સ્મૃતિ ઈરાની બિરાજમાન થયાં છે, ત્યારે તેઓને માટે આ અહેવાલ મોટો પડકાર બને છે કેમ કે આ અહેવાલ મુજબ ભારતને ૧૦૦માંથી એકંદરે ૫૬.૨૦ ગુણ મળે છે. આ ગુણ પ્રમાણે વિશ્વના ૧૨૯ દેશમાં ભારત ૯૫મા ક્રમે આવે છે. ખાસ નોંધનીય બાબત તે છે કે ચીન, રવાન્ડા અને ભુતાન જેવા દેશો પણ ભારત કરતાં સારો દેખાવ ધરાવે છે. આપણે એ પણ ભૂલવું જોઈએ કે માનવ વિકાસમાં ૧૭૮ દેશોમાં ભારત ૧૨૪મા ક્રમે છે. વિશ્વના મહત્તમ આર્થિક વૃદ્ધિ ધરાવતા પ્રથમ ત્રણ દેશોમાં ભારત આવે છે પણ લૈંગિક સમાનતા કે માનવ વિકાસમાં ભારત ઘણું પાછળ છે.

લૈંગિક સમાનતાને ચકાસવા માટે મુખ્ય આરોગ્ય, ઘરેલુ હિંસા, હવામાન-પરિવર્તન, ડિસન્ટ વર્ક, વગેરેની ચકાસણી કરવામાં આવે છે. એકંદરે ૧૦૦ સ્કોરમાં સમગ્ર વિશ્વમાં સરેરાશ સ્કોર ૫૫.૭ નોંધાયો છે. આ અહેવાલનાં મુકરર ધોરણો મુજબ જો સ્કોર ૬૦થી નીચો હોય, તો લૈંગિક સમાનતામાં એવા દેશો ખૂબ નબળા ગણાય છે અને ૭૦થી નીચે સ્કોર હોય તો નબળા દેશો ગણાય છે.આ સંદર્ભમાં અહેવાલ નોંધને ધ્યાનમાં લઈએ, તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સંદર્ભમાં ભૂતકાળ કરતાં વર્તમાનમાં ભારતમાં ખાસ્સો સુધારો જોવા મળ્યો છે, પરંતુ આમ હોવા છતાં શિક્ષણના સંદર્ભમાં ભારતની સરખામણીમાં અન્ય દેશો વધુ સુધારો કરી શક્યા હોવાનું સૂચવે છે. શિક્ષણના સંદર્ભમાં ભારતનો ક્રમ પ્રમાણમાં પાછળ ગયો છે. આ સંદર્ભમાં છેલ્લા અહેવાલ મુજબ ભારતની સરખામણીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ વધુ સારો સુધારો થયો છે. અલબત્ત પાકિસ્તાન અને બાંગ્લાદેશ લૈંગિક સમાનતામાં ભારત કરતાં પાછળ જોવા મળે છે. આજના સંદર્ભમાં અહેવાલમાં દર્શાવ્યા મુજબ શિક્ષણ અને એકંદર લૈંગિક સમાનતામાં દક્ષિણ એશિયાના દેશો વિશેષ પાછળ છે અને તેમાં પણ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ ત્રણ દેશોમાં ૧૮.૬૨ કરોડ કન્યાઓ પ્રાથમિક-માધ્યમિકમાં જતી હતી. જે એશિયાઈ દેશોના કુલ દેશોમાં ૫૨% હિસ્સો ગણાય છે.

સમગ્ર વિશ્વમાં લગભગ ૯૦ના સ્કોર સાથે ડેન્માર્કે સર્વોત્તમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાર બાદ ફિનલૅન્ડ સ્વિડન નૉર્વે અને નેધરલૅન્ડનો સમાવેશ થાય છે. આ સમગ્ર અભ્યાસ મુખ્યત્વે equal measures ૨૦૩૦ અને એશિયા પેસિફિક રિસોર્સ-રિસર્ચ સહિતની સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે. નોંધનીય હકીકત એ પણ છે કે છેલ્લા ૧૧ વર્ષથી પ્રસિદ્ધ થતા આ અહેવાલમાં દુનિયાના એક પણ દેશમાં કાયદો જાહેર નીતિ કે અંદાજપત્રીય સમાવેશનમાં મહિલાઓ પુરુષના સપ્રમાણ ક્યારે ય જોવા મળેલ નથી.

વડા પ્રધાન પાડોશી રાષ્ટ્રોના સાથેના સંબંધો બાબતમાં વધુ ચિંતિત જોવા મળે છે. ત્યારે એ ઉલ્લેખનીય છે કે લૈંગિક સમાનતાનો આંક ચીનમાં ૬૪.૭, શ્રીલંકામાં ૬૨.૧ અને ભુતાનમાં ૫૮.૨ નોંધાયો છે. જે સ્કોર ભારતમાં ૫૬.૨૦ નોંધાયો છે, તેની સરખામણીમાં બાંગ્લાદેશ ૪૯.૨ અને પાકિસ્તાન ૪૮.૯નો સ્કોર ધરાવે છે.

અહેવાલમાં નિર્ધારિત ધોરણો મુજબ ભારત સહિતની લગભગ ૨.૮ અબજ બહેનો લૈંગિક સમાનતાના સંદર્ભમાં ખૂબ નબળાની શ્રેણીમાં આવે છે.

ભારતમાં લૈંગિક સમાનતાના સંદર્ભમાં વિવિધ નિર્દેશકોનું ચિત્ર તપાસીએ, તો સૌથી વધુ સારો સ્કોર આરોગ્યમાં ૭૯.૯ નોંધાયો છે. ભૂખમરો તથા કુપોષણમાં ૭૬.૨ અને ઊર્જામાં ૭૧.૮નો સ્કોર નોંધાયેલ છે. જ્યારે વિકાસમાં એકંદર સહભાગીદારીમાં સ્કોર સૌથી ઓછો ફક્ત ૧૮.૨નો જોવા મળ્યો છે. આ સિવાય ઔદ્યોગિક ક્ષેત્રમાં ૩૮.૩ તથા હવામાન-પરિવર્તનમાં ૪૩.૪નો સ્કોર નોંધાયો છે.

ભારતમાં ૧૮-૨૫ વર્ષની પરણિત કે અપરિણીત મહિલાઓમાં સર્વેક્ષણકૃત મહિલાઓની ૪૭% બહેનો ઘરેલુ હિંસા માટે સંભવતઃ એમની પોતાની જ જાતને જવાબદાર ગણાવે છે. આ સંદર્ભમાં સર્વેક્ષણકૃત ૧૫ વર્ષની દીકરીઓ પૈકી ૬૯% દીકરીઓને મુક્ત રીતે હરવાફરવા માટે એકંદરે સલામતીનો સંતોષ અનુભવ્યો છે.

પ્રશ્ન આંકડા અંગે સંતોષ કે અસંતોષનો નથી. આ પ્રકારનાં સર્વેક્ષણોમાં પણ હજી તળિયા સુધીનું વાસ્તવિક ચિત્ર ઓછું આવે છે. દા.ત. ભારતમાં ૧૭મી લોકસભામાં કુલ ૫૪૨ સભ્યો પૈકી ૭૮ મહિલા સભ્યો છે. તે આંક અગાઉની લોકસભાઓ કરતાં ચોક્કસ વધુ છે, પણ ટકાવારી પ્રમાણ ઘણું ઓછું છે. ભારતના નવા મંત્રીમંડળમાં મહિલાઓનું પ્રમાણ અગાઉના મંત્રીમંડળમાં જે હતું, તેના કરતાં સૌથી ઓછું છે. ૨૫-૪૦ વર્ષના કુલ ૬૪ સંસદસભ્યો છે. પણ તેમાં મહિલા સંસદસભ્યો ૨૦ છે. શ્રમ ભાગીદારીના આંકડાઓ પણ મહિલાઓ પાછળ હોવાનો સ્પષ્ટ નિર્દેશ કરે છે. તેથી આ અહેવાલ કરતાં પણ લૈંગિક સમાનતાના સંદર્ભમાં આપણું ચિત્ર થોડું વધારે નબળું હોવાની સંભાવના છે. આપણા દેશમાં મહિલાઓના સ્થાન સંદર્ભે પણ આપણે સગવડિયા કર્મકાંડમાં સંતોષ માનીએ છીએ. વિકાસદરની પ્રાપ્તિમાં આપણા દેશમાં મહિલાઓનો સાધન તરીકે જેટલો ઉપયોગ થાય છે, તેની સરખામણીમાં વિકાસનો લાભ મહિલાઓમાં રૂપાંતરિત ખૂબ ઓછો થાય છે, એટલે કે નારીસમાનતાની મંઝિલ ભારત માટે હજી ઘણી દૂર છે.

અધ્યાપક સહાયક (અર્થશાસ્ત્ર), તોલાણી કૉલેજ ઑફ આટ્‌ર્સ એન્ડ સાયન્સ, આદિપુર, કચ્છ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑગસ્ટ 2019; વર્ષ – 13; અંક – 141; પૃ. 18-19

Loading

દલિતો અને રૅશનાલિટી

કિરણ ત્રિવેદી, કિરણ ત્રિવેદી|Opinion - Opinion|16 August 2019

દલિતોના સંદર્ભે અધ્યાત્મ હોય, રૅશનાલિસ્ટ હોય કે સમરસતા – આ બધું બહુ મોટા દલિતવર્ગની પહોંચ, સમજ કે જરૂરિયાત બહારની મગજમારીઓ છે. હા, એક સમાનતાનો મુદ્દો છે, જે એમને સીધો સ્પર્શે છે, જીવનજરૂરી પણ છે. ખેર, આપણને લાગે કે આ બધામાં પણ રૅશનાલિટી તો દલિતો માટે એકદમ એલિયન / પરગ્રહી ખ્યાલ હશે – પણ દલિતોનો એક વર્ગ જે ભણીગણીને, સમજદારી કેળવીને મુખ્ય ધારામાં ઊતરી ચૂક્યો છે, એ ખૂબ આશ્ચર્યજનક રીતે રૅશનાલિટી દાખવી રહ્યો છે. અપનાવી રહ્યો છે.

રૅશનાલિટી માનસિક અભિગમ અને વૈચારિક સજ્જતાનો મુદ્દો છે. રેશનાલિટી એટલે વિવેકબુદ્ધિ, સારાસારની સમજ, નિરીક્ષણ અને તર્કબદ્ધ વિશ્લેષણને અંતે વિચારી-સમજીને નિર્ણય પર પહોંચવું કે શું યોગ્ય છે, શું અયોગ્ય છે. એવું યોગ્ય તારણ જ સૌના લાભનું અને ભલા માટેનું હોય તેને સ્વીકારો અને તે રીતે જીવો. રૅશનાલિટીમાં રહેલો ધર્મવિરોધ પણ આ સમજદારીમાંથી આવે છે. એટલે કે રૅશનાલિસ્ટોમાં ધર્મવિરોધ અને નાસ્તિકતા રૅશનાલીટીના રસ્તે આવે છે. દલિતોમાં કદાચ એવું પણ બને કે ધર્મવિરોધના રસ્તે રૅશનાલિટી આવે! જો કે રૅશનાલિટી એટલે માત્ર ધર્મ અને ઈશ્વરનો ઇન્કાર એટલું જ નથી. રૅશનલ થિંકિંગ રોજિંદા જીવન અને સમાજને સ્પર્શતા દરેક મુદ્દામાં તમને સ્પષ્ટતા, સરળતા, નૈતિકતા અને માનવતા બક્ષે છે.

અમે રૅશનાલિસ્ટો ધર્મ, ઈશ્વર, પરંપરાના સૌથી વધુ બોલકા ટીકાકારો છીએ. દલિતોને પણ આવું કરતા જોયા છે. પણ તેઓમાં આ ગુણ બ્રાહ્મણવાદી સમાજવ્યવસ્થામાં સદીઓથી કચડાતા આવ્યાની શોષણ-દમન-અન્યાયની ભાવનામાંથી આવે છે. હું હંમેશાંથી માનતો આવ્યો છું કે દલિતો અને રૅશનાલિસ્ટો એકમેકના natural allies (કુદરતી સાથીદારો) છે. અને અમારા સોશ્યલ મીડિયા ગૃપ ‘અપના અડ્ડા’એ એ વાત ઘણે અંશે સાબિત કરી છે.

વર્ણવ્યવસ્થા સનાતનધર્મ દ્વારા ખોદાયેલી ઘોર છે … અને એટલા શાતિર દિમાગોની ઊપજ છે કે હજુ સુધી ટકી છે. આજે હવે વધુ ઊંડી બનવાનાં એંધાણ છે; એની સૌથી વધુ શેતાની ગોઠવણ એ છે કે બધી જ જ્ઞાતિ – જાતિઓને પોતાને ઊંચા ગણવા માટે એમનાથી નીચા કોઈ ને કોઈ મળી રહે! અને દલિત તો પાછા ચતુર્વર્ણના આ પિરામિડમાં પણ નથી, એ તો ચારે ય વર્ણમાં નીચેના શૂદ્રોથી પણ નીચે દબાયેલા પંચમ વર્ણ ગણાય છે.

રૅશનાલિટીના દલિતો સાથેના આંતરસંબંધો ચકાસતાં મને એક સવાલ થયેલો. દલિતોએ હિન્દુ કહેવાતો આ બ્રાહ્મણધર્મ હજુ સુધી સર્વથા કેમ નથી છોડ્યો?! મારે જાણવું હતું કે અન્યાય દમનનો વિરોધ તો કદાચ દરેક જનરેશને કર્યો છે. પણ અત્યારે જે નામજોગ બ્રાહ્મણવાદ અને હિન્દુધર્મ સામે આક્રોશ દેખાય છે તે બાબાસાહેબ આંબેડકરે લાવેલી જાગૃતિ પછીનો જ છે કે એ પહેલાં પણ હતો? આ સવાલ ઉપર ‘અપના અડ્ડા’માં જ ચર્ચા થઈ. જે સ્પષ્ટતા મળી તે મુજબ અછૂતોની અવદશા માટે સનાતન ધર્મને સીધો જવાબદાર ગણાવીને તેની સામે બળવો પોકારવામાં સૌથી મજબૂત નામ જ્યોતિબા ફુલેનું લેવું પડે. (એમની પહેલાંના સંદર્ભો પણ ઘણા છે, પણ અહીં મારી નિસબત ધર્મ સામે મોરચાની વધુ છે). ફુલે દ્વારા ૧૯મી સદીના મધ્યમાં ધર્મ સામેની લડત ચાલુ થઈ અને ૨૦મી સદીમાં ભીમરાવ આંબેડકરે આ લડતને પૂરેપૂરી રૅશનલ એવી તીવ્રતમ સ્પષ્ટતા સાથે આગળ ધપાવી. આંબેડકરની સમાંતરે દક્ષિણમાં ઈ.વી. રામાસ્વામી પેરિયારે પણ તેમાં ખૂબ મોટું પ્રદાન કર્યું છે, જેને કારણે આજે પણ હિન્દુ ધર્મના નામે સત્તાના ખેલ પાડતી પાર્ટીને દક્ષિણમાં પગ પસારવાના ફાંફાં પડે છે.

આ નોંધ હું એટલે લઉં છું કે દલિતો માટે સામાજિક સમાનતા, ન્યાય અને હકની લડાઈમાં રૅશનાલિસ્ટનો દૃષ્ટિકોણ ફુલે-આંબેડકર-પેરિયાર જેવા મહાનુભાવોથી જોડાઈ ગયેલો ગણો. આંબેડકર સંપૂર્ણપણે રેશનલ હતા. એમનું સમગ્ર સાહિત્ય રૅશનાલિટીની દૃષ્ટિએ લખાયેલું ધારદાર વિશ્લેષણ છે. એ સાહિત્યના સહારે જાગૃત થયેલો દલિતવર્ગ વૈચારિક રીતે થોડો તો રૅશનલ થવાનો જ.

… અને અમને, ‘અપના અડ્ડા’ના આયોજકોને એ સ્પષ્ટપણે દેખાય છે. અને હિન્દુત્વથી પ્રભાવિત સવર્ણ લોકોના વિચારો, અભિગમો, અભિવ્યક્તિના કૉન્ટેક્સ્ટમાં તો આ દલિતો ગૌરવપ્રદ રીતે સજ્જ અને સજ્જન બનીને ઊભરી આવે છે. અડ્ડાની રૅશનલ, લિબરલ અને સેક્યુલર વિચારધારાને કારણે અમારું વલણ હંમેશાં ન્યાય-સમાનતા-સહિષ્ણુતા, બિનસાંપ્રદાયિકતા અને લોકશાહી તરફી રહ્યું છે. તેને કારણે પહેલેથી જ ખૂબ મોટી સંખ્યામાં ગુજરાતભરના દલિત યુવાનો અડ્ડા તરફ આકર્ષાયા છે. કોઈને અમે પકડીપકડીને ત્યાં જમા નથી કર્યા! જે રીતે એમણે રૅશનાલિટીને embrace કરી છે, આત્મસાત્‌ કરી છે એ મારે માટે આશ્ચર્યજનક હતું. ઉગ્ર ચર્ચાઓમાં સવર્ણોને મિજાજ ગુમાવીને બેફામ અપમાનજનક બોલતા, અશ્લીલ અને અપશબ્દો પર ઊતરી આવતા વારંવાર જોયા છે; પણ એવો દલિત જવલ્લે જ મળે! અડ્ડામાંથી રિમૂવ કે બ્લૉક થતા સભ્યોમાં સવર્ણો અને ક્ષત્રિયો જ વધારે હોય છે. તો પણ હું કોઈ એવા વહેમમાં નથી કે આને રૅશનલ ક્રાંતિ હોવાનો દાવો કરું, પણ આ ખૂબ સારી શરૂઆત જરૂર છે.

આમ તો દલિતોનાં હક, ન્યાય, સમાનતા માટેની અનેક રાજકીય સામાજિક લડતો, આંદોલનો ચાલે છે. આંબેડકરવાદી, બહુજનસમાજવાદી ડાબેરી સામ્યવાદી, સંધિ સમરસતાવાદી વગેરે. હવે એમાં એક આ વિવેકબુદ્ધિવાદી / રૅશનાલિસ્ટ ધારાનો પણ સમાવેશ ગણજો. મારો વ્યક્તિગત મત તો એ જ છે કે આમાંની કોઈ લડતો ધર્મ-ઈશ્વર છોડો, જ્ઞાતિ-જાતિ તોડોની વાત નથી કરતી. આ હિન્દુ માળખામાં રહીને જ સમાનતા / હકની વાત કરે છે. જે ક્યારે ય નથી મળવાના. આંબેડકરે પણ એટલે જ હિન્દુ ધર્મ છોડેલો. માત્ર રૅશનાલિઝમ એ બધું છોડવાની વાત કરે છે. એટલે જે લડત વૈચારિક રીતે રૅશનાલિસ્ટને અપનાવશે એ જ દલિતો માટે ન્યાય -સમાનતા હાંસલ કરી શકશે.

(તા. ૧૯-૬-૨૦૧૯ના રોજ વિનોદ વ્યાસ-જટાયુ આયોજિત કાર્યક્રમમાં આપેલું વક્તવ્ય)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019; પૃ. 10 – 11

Loading

...102030...2,7112,7122,7132,714...2,7202,7302,740...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved