Opinion Magazine
Number of visits: 9684625
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવનમૂલ્ય શ્રેણી = ૨: સુસંગતતા – consistency :

સુમન શાહ|Opinion - Opinion|12 October 2019

વિચરતા વિચારો …

દરેક વાતે સુસંગત – consistant – રહેવું એ જીવનમૂલ્ય છે.

તર્કશાસ્ત્રમાં એમ આવે છે કે ‘અ’ ‘અ’ છે – A is A. એટલે કે હું જો ભીખીબહેનની કે ભીખાભાઈની વાત કરતો હોઉં તો મારે એ વાતને વળગેલા રહેવું જોઈએ. A પછી ભલે B આવે છે કે ભલે ને M કે R આવવાના હોય, મારે એમને ન આવવા દેવા. વાર્તા મુકુંદરાય વિશે હતી એટલે દ્વિરેફ એમાં મગનલાલની વાત ન લાવ્યા. સુસંગતતાને વળગી રહેવાથી વાતમાં ‘સિન્ગલ ઇફૅક્ટ’ પ્રગટે છે. સાંભળનાર કે વાંચનાર આઘોપાછો નથી થઈ શકતો. પણ કેટલાક લેખકો અને વક્તાઓ વિષયસંગત નથી રહેતા, વિષયાન્તર કરી જાય છે. અમારા એક સાથી અધ્યાપક વર્ગમાં હંમેશાં પોતે કરેલા પ્રવાસની વાતો જ પીરસ્યા કરે. ચાર દા’ડા પૅરીસમાં આવડે એવું ને એટલું જ ભટક્યા હોય પણ વાત એવી મલાવે જાણે ચાર મહિના ફ્રાન્સ આખામાં રહી આવ્યા હોય. વિદ્યાર્થીઓ સાંભળી લે પણ બહાર બોલે – યાર, આ પ્રવાસી માસ્તર આપણને હરખું ભણાવશે ક્યારે …

કોઈ માણસના વ્યક્તિત્વની કે એના કોઈ લખાણની આપણે ચર્ચા કરતા હોઈએ તો જે મુદ્દો હાથમાં લીધો હોય તેને પૂરો કર્યા પછી જ બીજામાં જવાય. એટલું જ નહીં, મથામણ એ માટે કરવી જોઈએ કે એના લખાણ પાછળના આશયને સૌ પહેલાં જાણીએ અને માણીએ. એને બદલે ઘણા તો ચર્ચાની ખીંટી પર પોતાનાં જ ખમીસ લટકાવે છે ! મૅલાંઘૅલાં ન હોય તો પણ એમ તો કેમ કરાય? આપણા સાહિત્યક્ષેત્રે મેં જોયું છે કે લેખક વાત કરતો હોય કાફ્કાની તો પેલો શું કરે છે, જાણો છો? એ કહે છે, આપણા કાફ્કા કિશોર જાદવ છે ! વડોદરામાં એક લેખક જાતે ને જાતે એટલો બધો ન-સુસંગત થઈ ગયેલો કે પોતાને જૅમ્સ જૉય્યસ ક્હૅવરાવતો’તો ! બીજા કેટલાક છે જેઓ અમુકને નોબેલ પ્રાઇઝને લાયક ગણીને ચાલે છે. બધા દાઢીવાળા કવિઓને રવીન્દ્રનાથ ન જ ગણાય, પણ અમદાવાદમાં એક છે જેને એમ ગણો તો વાંધો તો નથી જ લેતો, મલકાય છે ! વળી, એ કવિ તો છે જ નહીં !

સાચાં પ્રેમીઓ સુસંગત રહે છે – પ્રેમીએ ગમે તેટલી આડોડાઈ કરી હોય પ્રિયા નભાવી લે છે. Womanness – સ્ત્રીત્વ – એટલે જ ઋજુતા. સમ્બન્ધમાત્રને તૂટવા ન દે બલકે છેલ્લા તાંતણાને ય છેવટ લગી ઝાલી રાખે. સાચો પ્રેમી પણ પ્રિયાને વ્હાલ કરતો, માની જાય છે. કેટલાક લોકો વાત કરતી વખતે આંખમાં આંખ મિલાવીને વાત નથી કરતા, એમનું ચિત્ત આજુબાજુમાં ભટકતું હોય છે. કોઇ તમારી સાથે ગોગલ્સ પ્હૅરીને વાત કરે તો? ન ચલાવી લો. કેમ કે સમજાતું નથી કે એ ખરેખર તમારો ચ્હૅરો જુએ છે કે કંઈ બીજું. મોટા ભાગના પતિઓ સુસંગત રહેવામાં નથી માનતા. પત્ની પૂછે કે ચા કે કૉફી, તો ક્હૅ – તને જે ઠીક લાગે તે. કેટલીયે વાતે કશો પણ ફોડ ન પાડે. ઘણાને તો એમાં એમ લાગે છે કે પોતે પત્નીના શરણે કે ચરણે બેસી ગયા. ખરેખર તો અહંકારના ખીલે બંધાયેલા હોય છે.

સમ્બન્ધોમાં અને ખાસ તો સ્ત્રી-પુરુષે બન્નેએ સુસંગત રહેવું બહુ જરૂરી છે. પ્રેમ કરો છો તો સામી વ્યક્તિને પ્રેમ અનુભવાય એ વાતની નિરન્તર કાળજી રાખવી, એ સુસંગતતા છે. જો નથી તો ‘મને હવે રસ નથી’ કહેવું, એ પણ સુસંગતતા છે. અમુક પુરુષો મગનું નામ મરી પાડતા જ નથી. અનેક છૂપા હેતુઓને કારણે સમ્બન્ધને ન-નામો રાખે છે. પ્રિયા ટટળતી રહે ને છેવટે થાકી જાય. મજબૂત મનની હોય એ હૅમખૅમ નીકળી જાય. ગઈ કાલે હું એક મૂવિ (અમેરિકામાં ‘ફિલ્મ’ ન બોલાય) જોતો’તો : ગૅબ્રિયેલાના બૉસે એને ઘણી રાહતો આપેલી એટલે એ એમ માનતો થઈ ગયેલો કે ગૅબ્રિયેલા એને ચાહે છે. પછી ગૅબ્રિયેલા અમેરિકાથી ન્યૂ ઝીલૅન્ડ ગઈ હોય છે. ત્યાં રહી પડે છે. એક દિવસ એકાએક બૉસ આવી ચડે છે ને ભેટી પડવાનું વગેરે કરે છે. એ પણ આશાનો માર્યો રહી પડે છે. પણ એક તબક્કે ગૅબ્રિયેલા એને રોકડું પરખાવે છે કે – આઈ ડોન્ટ લવ યુ, પ્લીઝ ગૅટઆઉટ ઑફ માય લાઈફ …

સ્કૂટરની કે કારની કી-ચેઈન કે ફોન કે ફોનનું ચાર્જર, ટીવીનું રીમોટ, કશી ધાંધલધમાલ વિના એ જ જગ્યાએથી મળી જાય; સૉયમાં દોરો ઝટ પરોવી શકાય; સભામાં પંખા પૂરપાટ ફરતા હોય છતાં હાથની ધ્રુજારી વિના દીવેટને યોગ્ય ક્ષણે દીવાસળી ચાંપીને દીપ પ્રગટાવી શકાય; એ સુસંગતતાનાં પરિણામો છે. મૌનમાં સુખે ટકી રહેવાય અને માપસરનું અસ્ખલિત – કશા ખચકાટ કે ઉચ્ચારદોષ વિનાનું – બોલી શકાય, એ સુસંગતતાની કસોટીઓ છે.

હું તો એમ માનું છું કે દુનિયાના મોટા ભાગના ક્લેશ-કંકાસ જીવનમાં સુસંગત ન રહેવાથી જન્મ્યા હોય છે. માણસો ‘હા’ પાડવાની વખતે ‘હા’ નથી પાડતા અને ‘ના’ પાડવાની વખતે ‘ના’ નથી પાડતા. મારી આ વાતની ‘ના’ તો કોઈ નથી પાડવાનું …

= = =

Loading

શિક્ષણ અને કેળવણી, મજલ અને મંઝિલ

રોહિત શુક્લ|Opinion - Opinion|12 October 2019

ઘણી વાર શિક્ષણ અને કેળવણીને સમાનાર્થી શબ્દો રૂપે પ્રયોજવામાં આવે છે. સાર્થ જોડણીકોશ ‘શિક્ષણ’ એટલે ‘કેળવણી, બોધ, ઉપદેશ …’ એવો અર્થ આપે છે. ભગવત્‌ગોમંડળ ‘કેળવણી’ એટલે ‘કેળવવું તે, શિક્ષણ, તાલીમ, વાચન અને લેખન અને સાદું ગણિત’ અને ‘શિક્ષણ’ એટલે ‘કેળવણી વિદ્યા’ એવો અર્થ આપે છે. વ્યાવૃત્તિમાં તે જણાવે છે. શિક્ષણ આપવું તે, ભણાવવું તે આચાર, વિચાર, રીતભાત અને કલા વગેરેનું જ્ઞાનદાન.’

દરેક ભાષા સાથે તેની સંસ્કૃતિ જોડાયેલી હોય છે. તે રીતે ભારતીય પરંપરામાં શિક્ષણ માટે ગુરુગૃહે જવું, ત્યાં રહીને કૃષ્ણ-સુદામાની જેમ જાતજાનાં કાર્યો કરવાં, ક્ષણે ક્ષણે ગુરુની નિગરાનીમાં રહેવું અને સવારે ઊઠવાથી માંડી રાત્રે સૂતા સુધી ગુરુની આજ્ઞા અનુસાર જીવવું. ગુરુ દ્વારા વિદ્યાર્થીનાં વાણી, વર્તન, વ્યવહાર, ટપારતા રહીને અક્ષરજ્ઞાન અને શાસ્ત્રો વગેરેની સમજ આપવાનું કામ થતું.

આ રીતે બ્રહ્મચર્યાશ્રમમાં, સમાજના ઉપલા ત્રણ વર્ણના વિદ્યાર્થીઓનું શિક્ષણ થતું. દલિત વર્ગને આ વ્યવસ્થામાંથી બહાર રખાતો, જેનું માર્મિક ઉદાહરણ મહાભારતમાં કર્ણ કે એકલવ્યના પાત્ર દ્વારા સાંપડે છે.

ભારતીય પરંપરાના પ્રવાહથી બહાર નીકળી પશ્ચિમ જગતની દૃષ્ટિએ જોઈએ તો શિક્ષણ અને કેળવણી સમાનાર્થી શબ્દો રહેતા નથી. કેળવણી અને તાલીમ પણ સમાનાર્થી રહેતા નથી. અંગ્રેજી શબ્દો, ટુ એડ્યુટ, ટુ ટ્રેઈન, ટુ કલ્ટિવેટ વગેરે સમાનાર્થી નથી.

પશ્ચિમના શિક્ષણના ઇતિહાસમાં, ઈસુના જન્મ પછી અને ગુટનબર્ગની શોધ પહેલાં, ચર્ચની ભૂમિકા હતી. પણ સોળમી અને સત્તરમી સદીમાં પ્રગટેલા જ્ઞાનપ્રકાશ યુગથી એ સમાજોમાં ધર્મથી રાજ્ય અને શિક્ષણ પણ છૂટા પડ્યા. કેમ્બ્રિજ, ઑક્સફર્ડ, હાર્વર્ડ, સ્ટેનફર્ડ કે વિયેના યુનિવર્સિટીમાં ધર્મ, પરંપરા અને સંસ્કૃતિ ગણાતી વિચારશૈલીઓ આથમતી ગઈ, આધુનિકતા અને નવજાગૃતિના પ્રભાવથી આ યુનિવર્સિટીઓ, મુક્ત વિચાર અને સ્વતંત્ર અભિવ્યક્તિનાં પ્રભાવક કેન્દ્રો રૂપે વિકસી. સાથે સાથે માળખાગત અને સંસ્થાગત સ્વાતંત્ર્ય પણ જોડાયું. આથી, દા.ત. પેરિસમાં મિશેલ ફુકો, મહિનાઓ સુધી માત્ર વાંચે, વિચારે અને પછી સજ્જ થાય એટલે પોતાનો કોર્સ જાહેર કરે, ઠીક લાગે તે વિદ્યાર્થીઓ આવે; પણ શિક્ષણ ખાતું, સંસ્થાના નિયામક કે સમાજ એવું ક્યારે ય ન વિચારે કે આ માણસે નિયમિત વર્ગો ન લીધા અને પગાર ખાધો. આપણે ત્યાં નિયમિત વર્ગો લઈને નિવૃત્ત થઈ ગયેલા હજારોને આજે કોઈ ઓળખતું પણ નથી પણ સાર્ત્ર કે ફુકો, રસેલ કે અમર્ત્ય સેન વિશાળ ફલક ઉપર લાંબા કાળખંડ સુધી ચર્ચાતા રહેશે.

શિક્ષણ-એજ્યુકેશ, મૂળભૂત રીતે એક ઔપચારિક અભિગમ દર્શાવે છે. નિશાળો કે કૉલેજમાં પ્રવેશ મેળવનારા ખાન-પાન કે નિંદ્રા માટેની કેળવણી માટે આવતા નથી. એ તો સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન વગેરેનું શિક્ષણ લેવા આવે છે. આ શિક્ષણને જીવનલક્ષિતા સાથે કોઈ જ સંબંધ નથી. શિક્ષણ આપનાર કોઈને પણ ભાગ્યે જ ‘ગુરુ’ કહી શકાય; એનામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાપન શોધવા નીકળવાની કોઈ જરૂર જ નથી. એક આદર્શની કલ્પના કરી, બાંધ્યો પગાર મેળવનાર અધ્યાપકને, ગુરુપદના પાંજરામાં પૂરવો અને તેનું કદ નૈતિક અને આદર્શ ધોરણો અનુસારનું નથી એમ કહેવું તે પરિસ્થિતિની સમજ વિકસાવવાનો તકાજો ઊભો કરે છે. ટૉલ્સટૉયની અન્ના કેરેનિનાને, અપેક્ષિત અને આદર્શ વ્યવહાર અને સામે વાસ્તવિક જગતની સ્ત્રી વચ્ચે તનાવ અનુભવવા મળ્યો હતો. એવું શિક્ષક માટે કરવા જેવું ખરું ? સો-દોઢસો વિદ્યાર્થીના વર્ગને ભણાવી પણ ન શકાય – માત્ર સાચવી શકાય! અને આવા, બાંધ્યા પગારમાં માંડ માંડ બે છેડા ભેગા કરી શકનારને અને પોતાના જીવનને પણ સુપેરે ગોઠવી ન શકનારને ગરુ અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરંબ્રહ્મ કહેવા તે મજાક માત્ર છે.

શાળા-કૉલેજો ઔપચારિક શિક્ષણ માટે જ છે એટલું સ્પષ્ટ થાય તો વર્ગખંડો ઉપરથી પરંપરાવાદ અને સાંસ્કૃતિક દબાણો હટવા માંડે. આ સમજવું મુશ્કેલ નથી; વનસ્પતિશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર કે રસાયણ વિજ્ઞાનના વર્ગો હોય કે એનેટોમી શીખવાની હોય ત્યાં કોઈ ઈશ્વરની મૂર્તિ સ્થાપી પૂજા-આરતી કરવાની હોતી નથી. શિક્ષણની મજલ ધર્મનિરપેક્ષ અને ઈહલોકવાદી છે.

શિક્ષણ અને કેળવણી વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય તો તેની મજલ અને મંઝિલ પણ નક્કી કરી શકાય. જ્યારે ‘મેકોલે છાપ’ શબ્દો બોલાય છે ત્યારે તેની પૂર્તિ માટે ‘કેળવણી’ નહીં પણ ‘શિક્ષણ’ શબ્દ જ મૂકાય છે. તે પ્રકારના ગુણદોષની ચર્ચા અહીં જરૂરી નથી. પરંતુ શિક્ષણ ઔપચારિક અને હેતુલક્ષી બને છે ત્યારે તે મેળવવાની ગતિ તેના અભ્યાસક્રમો દ્વારા નિશ્ચિત કરી દેવાય છે. તેના ઉદ્દેશો – મંઝિલ પણ નક્કી છે. ભણીને નોકરી કરવી તે તેનો સ્પષ્ટ ઉદ્દેશ છે. આથી જ, ‘આટલું ભણ્યા પછી પણ નોકરી નથી મળતી’ એવો ખેદ અકારણ નથી રહેતો. આ જ મુદ્દા સાથે ‘આજનું શિક્ષણ ગુણવત્તા વગરનું છે.’ અને આપણે માત્ર ‘અનએમ્પલોઈડ’ નહીં પણ ‘અનએમ્પ્લોએબલ્સ પેદા કરીએ છીએ’ એવાં વિધાનો પણ સાંભળવા મળે છે. ખરેખર તો હેતુની સ્પષ્ટતા વગર અને જરૂરી શૈક્ષણિક સજ્જતા અને સગવડો વગર, ખાનગી મૂડી વડે અને માત્ર નફાના ઉદ્દેશથી ચાલતા વેપાર-સંકુલો પાસેથી અન્ય આશા રખાય પણ નહીં. આ મુદ્દો સમાજમાં મૂલ્યહ્રાસ થઈ રહ્યો છે એવા વિલાપનો નથી; અપ્રગટ રીતે તો, શિક્ષણનો નફાનો વેપાર સારી રીતે ચાલે છે એમ કહી ગૌરવ કરવાનો આ મુદ્દો છે.

આ વિડંબણાની રેખાને આગળ લંબાવીએ તો ‘શિક્ષણ મંત્રાલય’ને ‘માનવ સંસાધન વિકાસ મંત્રાલય’ સુધી લંબાવવામાં આવે છે. શિક્ષણનો ઉદ્દેશ માનવ સંસાધનનો વિકાસ છે જ નહીં. તેનો એકંદર ઉદ્દેશ દેશના યુવાઓને ઘરથી બહાર રહેવાની મોકળાશ કરી આપવાનો છે. જે જે ક્ષેત્રમાં માંગના પ્રમાણમાં પુરવઠો ઓછો છે તે તે ક્ષેત્રમાં જે તે વિષયમાં શિક્ષણ મેળવેલાને નોકરી અથવા કામ મળી રહે છેઃ મેડિકલ, આઈ.આઈ.ટી.ના સ્નાતક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગેરે માટે હજુ આ સાચું છે પરંતુ ડેન્ટલ, ફાર્મસી નામાંકિત ન હોય તેવી સંસ્થાઓના એમ.બી.એ. વગેરે માટે તો પેલું અનએમ્પ્લોયેબલનું સ્ટીકર જ ઉપયોગી બની રહે છે.

આ સાથે જ શિક્ષણના અર્થશાસ્ત્રમાં પ્રવર્તતી કેટલીક ધારણાઓ સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ આવી જાય છે. અર્થશાસ્ત્ર પોતાનો મૂડીવાદી ચહેરો જ સાચો છે એમ ઠસાવવા માટે ગ્રાહકની તર્કયુક્ત વર્તણૂકની ધારણા કરે છે. જો વિદ્યાર્થી ગ્રાહક ગણાય તો એ બેકાર રહેવાની શક્યતાવાળું શિક્ષણ શા માટે લે? એન્જિનિયરિંગ, ફાર્મસી, ડેન્ટલ વગેરેનું કૉલેજ શિક્ષણ લેનારનું – ‘લાઈફ ટાઈમ અર્નિંગ’ – બારમા ધોરણ ભણીને પાણીપુરી કે ચોળાફળી ફાફડા વેચનાર કરતાં વધુ હોય? જો ન હોય તો આવું શિક્ષણ મેળવવા વાસ્તે ખર્ચેલા વર્ષો અને નાણાં તર્કયુક્ત વ્યવહાર દર્શાવતા નથી. આનો અર્થ એ થાય કે કાં તો નિર્ણય કરનાર પાસે પૂરતી માહિતી નથી અથવા તેને પોતાના સાંસ્કૃતિક પરિવેશમાં રહીને અમુક પ્રકારનાં કામ કરવાની છૂટ નથી. મહંમદ અલી ઝીણાના પિતા હિંદુ હોવા છતાં ચૂકી માછલીનો વેપાર કરતા હતા. ‘હિંદુ થઈને માછલીનો વેપાર ?’ આવા વિરોધના કારણે તેમની સામે ભૂખે મરવું કે મુસલમાન બની જવું; એવા બે જ વિકલ્પ હતા. સમાજના આગ્રહો, પૂર્વગ્રહો અને પરંપરાગત જડતાને લીધે ગતિશીલતા જ અવરોધાય છે. આવા સમાજમાં તર્કયુક્ત વર્તન અને મુક્ત બજારના મૂડીવાદી મૉડેલને શિક્ષણના ક્ષેત્રે લાગુ પાડી શકાતું નથી.

આનો અર્થ એ છે કે શિક્ષણમાં રાજ્યની કામગીરી અતિ મહત્ત્વની છે. ક્યુબામાં શિક્ષણ પાછળ જી.ડી.પી.ના લગભગ પંદર ટકા વપરાય છે; ભારત હજુ ચાર ટકાએ પણ પહોંચ્યું નથી. શિક્ષણ ક્ષેત્રે રાજ્યનો ઉપક્રમ અને સામેલગીરી વધારવા માટેનું બીજું કારણ શિક્ષણની બાહ્યતા-એક્સ્ટર્નાલિટી છે. શિક્ષણ લેનાર વ્યક્તિ માત્ર પોતે જ લાભાન્વિત નથી બનતી; તેના અસ્તિત્વથી સમગ્ર સમાજને લાભ થાય છે. જો લાભ, વ્યક્તિ અને સમાજ એમ બંનેને થતો હોય તો શિક્ષણ લેવાનું ખર્ચ માત્ર વ્યક્તિ જ શા માટે ભોગવે ?

ભારત-પાકિસ્તાનના બે દેશ બન્યા ત્યારે પંજાબના પણ બે ટુકડા થયા. પશ્ચિમ પંજાબમાં મોટા ખેડૂતો અને વધુ સિંચાઈ હતાં. ભારતના પંજાબમાં નાના ખેડૂતો અને ઓછી સિંચાઈ હતી. નેહરુએ વિશાળ બંધ યોજનાઓ કરી, ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું થયું. પણ ૧૯૬૬-૬૭માં ભારતના પંજાબ-હરિયાણામાં હરિયાળી ક્રાંતિ થઈ, પાકિસ્તાનમાં ન થઈ. તેનું કારણ એ હતું કે ભારતના ખેડૂતને પ્રાથમિક કક્ષા સુધીનું શિક્ષણ મળ્યું હતું. શિક્ષણની આ બાહ્યતાને કારણે, ૧૯૭૧માં બાંગ્લાદેશ માટેનું યુદ્ધ થયું ત્યારે અમેરિકન દબાણની સામે ભારત અન્ન ક્ષેત્રના પોતાના સ્વાવલંબનના કારણે નમતું જોખ્યા વગર ઊભું રહી શક્યું.

સમગ્ર દેશને જો શિક્ષણનો લાભ મળતો હોય તો તેનું ખર્ચ માત્ર વ્યક્તિ ઉપર શા માટે ? આ વિગતો સ્પષ્ટ કરે છે કે

(૧)  શિક્ષણ અને કેળવણી અલગ છે,

(૨) માણસમાત્ર તર્કયુક્ત વર્તન કરે છે તેવી અર્થશાસ્ત્રની સર્વદેશીય ધારણા પાયાવિહોણી છે,

(૩)  પ્રવર્તમાન શિક્ષણ પ્રથાની મંઝિલ ખાનગી હાથોમાં નફો વધે તે છે, અને

(૪) શિક્ષણ ક્ષેત્રે રાજ્યે પોતાની આર્થિક જવાબદારી ઉઠાવી નથી.

બીજી તરફ, કેળવણીની બાબત પણ થોડીક ચર્ચા માંગી લે છે. ભારત હિંદુ બાહુલ્ય ધરાવતો દેશ છે અને તેના ભદ્ર સમાજની ઓળખ પરંપરાગત સંસ્કારો વડે થાય છે. પરંપરા અને સંસ્કારોમાં વિજ્ઞાન કે તર્કનો ઉપયોગ ટાળવામાં આવે છે. વિકલ્પે, ‘અમારું બધું વૈજ્ઞાનિક જ છે’, એવો દાવો કરાય છે. વાસ્તુ, જ્યોતિષ, આયુર્વેદથી માંડીને શુકન, મહુરત વગેરેનું પ્રાપ્ત જ્ઞાન અને તેનું ‘હાઈપોથિસિસ ટેસ્ટિંગ’ કરવામાં કોઈને ભાગ્યે જ રસ પડે. આધુનિકતા સાથે આ સઘળાંનો મેળ બેસાડવો મુશ્કેલ છે. કેળવણી, સંસ્કાર, વિદ્યા, જ્ઞાન વગેરેમાં ઘણી વાર આ પરંપરાઓને જીવંત રાખવાની વૃત્તિ છૂપાયેલી જણાય છે. બધી જ પરંપરા નકામી છે એમ કોઈ ન કહે; પણ આ પ્રકારની કેળવણી અને આધુનિકતાસભર શિક્ષણ વચ્ચે સંઘર્ષ ઊભો થાય છે તે પણ સ્વાભાવિક જ છે. દરિયો નહીં ઓળંગવાની ‘શાસ્ત્રજ્ઞા’નો અર્થ એ પછી થાય કે ગાંધીજી, સ્વામી વિવેકાનંદ અને રામતીર્થ, નહેરુ અને સરદાર પટેલ કે સાવરકર અને આંબેડકર પાસે શાસ્ત્રાનુસાર પ્રાયશ્ચિત કરાવવું પડે! જો આ બધા ઓગણીસમી સદીના અંતથી વિદેશ જતા થયા ન હોત તો ?  દાદાભાઈ નવરોજીની ‘ડ્રેઈન થિયરી’ તૈયાર થઈ ન હોત, રાજા રામ મોહનરાયના સુધારા શરૂ થયા ન હોત; વિવેકાનંદની હિંદુ અસ્મિતાની ગૂંજ ઊઠી ન હોત. આંબેડકરના ભારતના રૂપિયા ઉપરનો અભ્યાસ હાથવગો ન હોત તો હિલ્ટન યંગ કમિશને કેવી ય રિઝર્વ બેંક બનાવી હોત!

છતાં કેળવણી અને મૂલ્યબોધનું મહત્ત્વ ઘણું છે તે સ્વીકારવું રહ્યું. શિવાજીનો મૂલ્યબોધ જીજાબાઈ અને સ્વામી રામદાસ પાસેથી જ અટક્યો હતો. ગાંધીજીને રામનામની દીક્ષા રંભાબાઈએ જ આપેલી ને! ગાંધીજીને સત્ય શિક્ષણમાંથી નહીં પણ હરિશ્ચંદ્ર નાટકમાંથી સાંપડ્યું હતું.

ઘરની કેળવણી સંસ્કાર બને છે. શિક્ષણના આધુનિક માળખામાં કેળવણી સાથે કોઈ નિસબત ભાગ્યે જ દેખાય. આધુનિક શિક્ષણ મહદ્‌અંશે મૂલ્યબોધ પ્રગટાવવા માટે નથી. નીતિનું શિક્ષણ ભાગ્યે કોઈ સિલેબસમાં જોવા મળે છે.

પરિણામ એ આવે છે કે સમાજનો શિક્ષિત વર્ગ નીતિ પાલનની બાબતમાં ભાગ્યે જ કેળવાયેલો હોય છે. બે વચ્ચે કોઈ સંબંધ કે સંપર્ક હોવા માટે કોઈ કારણ નથી; એવી કોઈ વ્યવસ્થા પણ નથી. શિક્ષણનું ક્ષેત્ર કેળવણીની બાબતે આગ્રહી ન હોવાથી કોઈ પણ શિક્ષિત વ્યક્તિ કેવા પ્રકારનું ચારિત્ર્ય ધરાવતી હશે તે તેની જાતિ અને કુટુંબ ઉપર નિર્ભર કરે છે.

ઉત્તરોત્તર નવી પેઢીમાં સિંચાતો સંસ્કાર વારસો એકંદરે સંતસાહિત્યમાંથી વહેતો આવતો જણાય છે. કબીર, નાનક, તુલસીદાસ, જ્ઞાનદેવ, તુકારામ, બસપા વગેરે કોઈ ચમત્કારિક બાબા હતા. એ નાસ્તિક ન હતા અને મીરાં અને ચૈતન્ય મહાપ્રભુ જેવા ભક્ત પણ ન હતા. અલબત્ત, જ્ઞાનમાર્ગી અને કેટલાકમાં ચમત્કારિક પણ ગણાયેલા આદિ શંકરાચાર્ય,  રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ જેવા સંતો પણ થયા. પણ સમાજના શિક્ષણ અને કેળવણીમાં તેમની ભૂમિકા મહત્ત્વની નથી. ભારતમાંથી બુદ્ધના નાસ્તિકવાદને દૂર કરાયો પણ મહાવીર સ્વામીના વિચારો શ્રીમદ્‌રાજચંદ્ર (રાયચંદભાઈ) પાસે થઈને ગાંધીવિચાર સુધી વિસ્તર્યા, વિનોબાએ ભારતના સંતોની વાણી અને ભૂમિકા વિશે વિસ્તારથી આલેખન કર્યું જ છે.

પણ મીરાં કહે છે તેમ : ‘સંત દેખ દોડ આઈ, જગત દેખ રોઈ…’ સંતોના નામે ચાલેલા કારભાર સામે સમાજને સામાન્ય બુદ્ધિ અને વિવેક પણ ગૂમાવી દેવાનું કેમ પરવડતું હશે? આ પરંપરા અને ‘આધુનિક’ ગણાતા શિક્ષણનો પ્રચંડ વિસ્ફોટ એટલે મહારાજ લાયબલ કેસ. ૧૮૫૭ પછી ભારતમાં પશ્ચિમ ઢબની ત્રણ યુનિવર્સિટીઓ બની. બોમ્બે, બંગાળ અને મદ્રાસ; અને આ ત્રણેએ એક જુદો જ મૂલ્યબોધ પ્રગટાવ્યો. મહાદેવ ગોવિંદ રાનડે, રમણભાઈ નીલકંઠ અને કરસનદાસ મૂળજી આ શિક્ષણમાંથી જે મૂલ્યબોધ લઈને નીકળ્યા તેથી કરીને સમાજ સુધારા થવા માંડ્યા. પશ્ચિમી શિક્ષણ આ દેશમાં પ્રવેશ્યું ત્યારે જ મૂલ્યબોધ અને આધુનિકતાની પ્રાથમિક પહેચાન શરૂ થઈ.

કુટુંબોમાંથી મળતી સંસ્કારની કેળવણીની પાછળ, અગાઉ જોયું તેમ સંતદર્શન તો ખરું જ પણ તેથી ય આગળ, સંતોનું દર્શન ઉપનિષદોમાંથી અને ઉપનિષદોનું દર્શન વેદમાંથી વહી આવતું હોય તેમ પણ જણાય છે.

ભારતીય સમાજ – જો તેને એક જ સમાજ ગણીએ તો આ એક મોટી તનાવભરી સમસ્યા વેઠી રહ્યો છે. વેલેન્ટાઈન ડેનો દાખલો લઈએ. નીતિવાદી – પરંપરાવાદી ધર્માગ્રહી લોકો તેને ઉદ્દાત, વિવેકહીન કદાચ અનૈતિક, કામી અને પાપી ગણશે. પણ આ જ દેશમાં ખાજુરાહો અને કોણાર્ક છે જ ! અહીં શરદપૂનમનો મહારાસ અને વસંત ઋતુરાજની હોળીની ઉજવણી પણ છે. શંકર-પાર્વતીને તો અર્ધનારીશ્વરરૂપે પણ પૂજાય છે. આ ચર્ચામાં પડીને શિક્ષણ અને કેળવણી, વૈજ્ઞાનિકતા અને શ્રદ્ધા, ભક્તિ અને સાબિતી વગેરેની ઝંઝટમાં પડવાનું ભાગ્યે જ કોઈ પસંદ કરે છે.

આનું એક પરિણામ એ આવ્યું છે કે પશ્ચિમ ઢબનું ઉચ્ચ શિક્ષણ લેનાર અને સમાજનાં શહેરોમાં વસતો અગ્રવર્ગ ભેગી ન કરી શકાય તેવી બે બાબતો – બે ધ્રુવોને – ભેગા કરીને જીવે છે. રોકેટ છોડનાર વિજ્ઞાની મંદિરમાં જઈ શ્રીફળ વધેરીને પ્રાર્થના – પૂજા કરે છે. જે નદીના પ્રદૂષિત પાણીથી દૂર રહેવું જોઈએ તેનું આચમન અને સ્નાન પણ કરે છે. કેળવણીમાં, ખાસ કરીને કબીર અને નાનક જેવા, જે લગભગ વિજ્ઞાનના બરની ટીકા કરી શકતા તે દૂર કરીને કટ્ટર ધાર્મિકતા, શ્રદ્ધા અને ભક્તિને આગળ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન-પરકતા અને માનવતા આ બે તત્ત્વો વડે આધુનિકતા રચાય છે. સમાજમાં શ્રદ્ધા અને ચમત્કારોનું પ્રભુત્વ વધતાં હવે કેળવણી ઠીંગરાઈ ગઈ છે. વૈજ્ઞાનિક ઢબનું આધુનિક શિક્ષણ અને પૂર્વના દાર્શનિક સંસ્કારોના સમન્વયથી એક બલિષ્ટ સમાજ બને તેમ હતો પણ તેવું બન્યું નહીં.

શિક્ષણ અને કેળવણીની આ કશ્મકશને વધુ ગંભીરતાથી તપાસવાની જરૂર છે. તે બે શબ્દોના ભાવાર્થ કે લક્ષ્યાર્થ વચ્ચે ભેદ છે અને કરવો પણ જોઈએ, વિવિધ કૌટુંબિક સંસ્કારો લઈને શાળામાં આવતા વિદ્યાર્થીઓમાંથી શિક્ષકગણ એક નવા સમાજના સર્જન માટેના બીજ રોપે છે. તેમાંથી અબ્દુલ કલામ સર્જાઈ શકે છે. આ માટે સમગ્ર શિક્ષણ જગતને ખીલતું અને ફળતું રાખવું પડે. માનવ સંસાધનના વિકાસનો એ તકાજો છે. આ માટે શિક્ષિત સમાજે પોતાના વિચારોની જ નિર્મળ સાફસૂફી કરવી પડશે.

‘સંપાદક’, અભિદૃષ્ટિ

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, ઑક્ટોબર 2019; પૃ. 02-05

Loading

દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન પત્રકારોએ લીધેલી ગાંધીજીની મુલાકાતો (૧૮૯૩-૧૯૧૪)

કિરણ કાપુરે|Gandhiana|12 October 2019

ગાંધીજીએ તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન અંદાજે ૬૨૫થી વધુ અખબારી મુલાકાતો આપી છે, જેમાંથી ૬૭ મુલાકાતો ગાંધીજીએ તેમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન આપી છે. આ ગાળો ગાંધીજીના જીવનમાં એવો રહ્યો, જ્યાં તેઓ જાહેર જીવન તરફ પ્રયાણ કરી રહ્યા હતા. દક્ષિણ આફ્રિકામાં જ ગાંધીજી લોકો પ્રત્યે થતા અન્યાય વિશે જાણતા થયા. અહીં જ તેઓ અન્યાય સામે અવાજ ઉઠાવતાં શીખ્યા, ‘સર્વોદય’ના સિદ્ધાંતનો પરિચય કેળવાયો, સત્ય અર્થે ઝઝૂમ્યા, આશ્રમ જીવનનો આરંભ કર્યો. આવાં અનેક કારણે ગાંધીજીના જીવનમાં દક્ષિણ આફ્રિકાનું વિશેષ મહત્ત્વ છે, અને એથી જ દક્ષિણ આફ્રિકામાં અખબારો સમક્ષ ગાંધીજી જે બોલ્યા છે, તે તેમના પ્રારંભિક વિચારોને સમજવા માટે આધારભૂત સ્રોત બની રહે છે. ત્રીસીની ઉંમરમાં જાહેરજીવનમાં પ્રવેશેલા ગાંધીભાઈ અખબારોને કેવી રીતે મુલાકાતો આપતા અને તેમની સાથે સંવાદ કેવી રીતે કરતા અને તેમાં કઈ વાતોને પ્રાધાન્ય આપતા, કયા કયા વિષયોને મુલાકાતોમાં આવકારતા, પત્રકારોના સવાલોના જવાબો આપવામાં કેવી કુશળતા દાખવતા અને ક્યાં મુક્ત થઈને બોલતા વગેરે બાબત જાણવી જરૂરી બને છે.

તત્કાલીન અખબારો પર એક નજરઃ

વર્તમાન સમયની માફક એ કાળે પણ દક્ષિણ આફ્રિકામાંથી અનેક ચોપાનિયાં અને મુખ્ય ધારાનાં અખબારો પ્રકાશિત થતાં હતાં. આફ્રિકા એ કાળે નાતાલ, ટ્રાન્સવાલ, ઑરેન્જ ફ્રી સ્ટેટ અને કૅપટાઉન એમ ચાર સંસ્થાનોમાં વહેચાયેલું હતું; અને આ ચારેય સંસ્થાનોમાંથી વિવિધ અખબારો પ્રકાશિત થતાં હતાં. મોટા ભાગનાં અખબારોની ભાષા અંગ્રેજી જ રહેતી. કેટલાંક અખબાર આફ્રિકાની સ્થાનિક ભાષાઓમાં પણ પ્રકાશિત થતાં. જો કે, તેની સંખ્યા આંગળીના વેઢા પણ વધી પડે એટલી અલ્પ હતી.

ગાંધીજીએ મુખ્યત્વે ‘નાતાલ મર્ક્યુરી’, ‘કેપ ઑર્ગસ’, ‘ધિ સ્ટાર’, ‘પ્રિટોરિયા ન્યૂઝ’, ‘ટ્રાન્સવાલ લીડર’, ‘રેન્ડ ડેલી મેલ’, ‘ધ ડેલી એક્સપ્રેસ’, ‘ઇવનિંગ ક્રોનિકલ’ અને ‘રૂટર’ જેવાં અનેક અખબારોના પ્રતિનિધિઓને મુલાકાત આપી છે. સૌથી વધુ મુલાકાત ગાંધીજીએ નાતાલ અને ટ્રાન્સવાલ ખાતે આપી છે. આજે તો આમાંનાં કેટલાંક અખબારો બંધ થઈ ચૂક્યાં છે; જ્યારે ‘કેપ ઑર્ગસ’, ‘કેપ ટાઇમ્સ’, ‘નાતાલ મર્ક્યૂરી’, ‘ધ સ્ટાર’ જેવાં અખબારો આજે પણ ચાલે છે. હિંદુસ્તાનમાં જે રીતે સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક તથા રાજકીય જાગૃતિને સારુ ‘ડાંડિયો’, ‘સત્યપ્રકાશ’, ‘બુદ્ધિવર્ધક’ અને ‘સ્ત્રીબોધ’ જેવાં સમાચારપત્રોનો જન્મ થયો હતો, તેવું કંઈક અહીંનાં કેટલાંક અખબારો બાબતે પણ હતું. આવું જ એક મહત્ત્વનું અખબાર ‘કેપ ઑર્ગસ’ હતું. તેના સ્થાપકો રંગભેદનાબૂદી, માનવતાવાદ, સ્ત્રીસમાનતાના સિદ્ધાંતોને સ્વીકારતા હતા. આ જ કારણે ગાંધીજીની હિંદીઓના હક માટેની લડતને આ અખબારમાં સમયાંતરે વ્યાપક કવરેજ મળ્યા કરતું. આ અખબારને ગાંધીજીએ પાંચ વખત મુલાકાત આપી હતી.

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી કાયમી વિદાય લઈ રહ્યા હતા, ત્યારે ‘કેપ ઑર્ગસ’ના પ્રતિનિધિએ તેમનો અંતિમ સંદેશો લેવા સારુ ગાંધીજી જે સ્ટીમરમાં મુસાફરી કરી રહ્યા હતા, તે સ્ટીમર કિન્ફોન્સ કેસલ પર તેમની મુલાકાત લીધી હતી. ગાંધીજીએ આ અંતિમ મુલાકાતમાં સંદેશો આપતાં કહ્યું હતુંઃ “ઠીક, તો હું એટલું કહીશ કે હું મારી સાથે અહીંનાં સૌથી સુખદાયક સ્મરણો લેતો જાઉં છું અને મને આશા છે કે ત્યાં દૂર રહે જો મને એટલું જાણવા મળશે કે દક્ષિણ આફ્રિકામાં મારા દેશબંધુઓ જોડે ન્યાયપૂર્ણ વર્તાવ રાખવામાં આવે છે, તો તેથી મને આનંદ જ થશે.”૧

આ અંતિમ મુલાકાત બાદ હિંદ પહોંચવા માટે ઇંગ્લેન્ડ જતા જહાજમાં તેઓ નીકળ્યા અને તરત જ ‘રૂટર’ના પ્રતિનિધિને વાયરલેસથી એક ટૂંકો આભાર – સંદેશ મોકલ્યો, જે ‘નાતાલ મર્ક્યુરી’માં ૨૦ જુલાઈ, ૧૯૧૪ના રોજ પ્રકાશિત થયો હતો. દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર ગાંધીજીએ કંઈ કહ્યું હોય અને અખબારમાં છપાયું હોય, તેવી આ અંતિમ ઘટના હતી.

ગાંધીજીની મુલાકાતો – સંખ્યાની દૃષ્ટિએ :

કોઈ વ્યક્તિ પરદેશમાં એક વર્ષના ટૂંકા ગાળા માટે માત્ર આજીવિકા રળવા સારુ ગઈ હોય અને પછીથી એક આખી કોમ પર થતા અન્યાય સામે કોમના આગ્રહથી ત્યાં લડત ઉપાડે અને પૂરા બે દાયકા સુધી ત્યાં વસવાટ કરીને શાસનમાં રહેલા સામે અહિંસક માર્ગે ચળવળ કરે અને પરિવર્તન આણે ત્યારે નિશ્ચિતપણે તે વ્યક્તિ અને તેનાં કાર્યો અખબારો માટે અતિ મહત્ત્વના બની રહે. આજનાં માધ્યમોની ભાષામાં તેને માટે ‘ન્યૂઝ વૅલ્યૂ’ જેવી ટર્મ પ્રયોજવામાં આવે છે. આ ટર્મની તર્જ પર ગાંધીજી દક્ષિણ આફ્રિકાનાં અખબારો દ્વારા સતત રહ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનું કાર્યક્ષેત્ર ટ્રાન્સવાલ (કેન્દ્ર જોહાનિસબર્ગ) અને નાતાલ (કેન્દ્ર ડરબન) વિશેષ રહ્યાં હતાં. એથી અહીંનાં અખબારોમાં ગાંધીજીની હાજરી વધુ દેખાય છે. ગાંધીજીએ આ દરમિયાન ૬૭ જેટલી મુલાકાતો વિવિધ અખબારોને આપી છે. જો કે, અહીં એક વાત ખાસ નોંધવી રહી કે, ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં તેમનાં પ્રારંભિક વર્ષોમાં જાહેર જીવનથી અળગા રહ્યા હતા. એટલે આ ગાળા દરમિયાન ગાંધીજીએ કરેલી પ્રવૃત્તિઓને નોંધવાનું અખબારોને જરૂરી લાગ્યું નહોતું.૩

હિંદીઓના હક સારુ પ્રયત્નો આદર્યા બાદ ગાંધીજીએ છેક જૂન, ૧૮૯૬ ‘ધ નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’માં દક્ષિણ આફ્રિકામાં તેમની પહેલી મુલાકાત આપી. અલબત્ત, આ માહિતી ઉપલબ્ધ સ્રોતના સંદર્ભને અનુલક્ષીને છે. કારણ કે આ ગાળાની મુલાકાતો અંગેની ગાંધીજીના અક્ષરદેહ, દિનવારી જેવા ઉપલબ્ધ સ્રોતમાં જે માહિતી છે, તે ઘણેખરે અંશે ઇન્ડિયન ઓપિનિયન પર આધારિત છે. ગાંધીજીએ અન્ય અખબારોને આપેલી મુલાકાતોમાંની મોટા ભાગની મુલાકાતો ઇન્ડિયન ઓપિનિયન(CWMG અને ગાંધીજીનો અક્ષરદેહ)માં પણ સંપાદિત અંશ સાથે અથવા પૂર્ણ રીતે પ્રકાશિત થઈ છે. આજે તેમાંથી મોટા ભાગનાં અખબારોનાં મૂળ સ્રોત પ્રાપ્ય નથી, ત્યારે ઇન્ડિયન ઓપિનિયનમાં છપાયેલી આ મુલાકાતોનો આધાર લેવામાં આવ્યો છે. એટલે ‘ધ નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’ની મુલાકાત પહેલાં સંભવતઃ ગાંધીજીએ ક્યાંક કોઈ મુલાકાત આપી હોય, તો તે શક્ય છે કે સ્રોતના અભાવે ક્યાં ય નોંધાઈ ન હોય. અહીં ‘ધ નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’(૪ જૂન, ૧૮૯૬)ને આપેલી મુલાકાતને જ ગાંધીજીની દક્ષિણ આફ્રિકાની પ્રથમ મુલાકાત ગણી છે.

ગાંધીજીની મુલાકાતોનું વિશ્લેષણ :

ગાંધીજીની ૬૭ મુલાકાતોનું વિષયવસ્તુ મહદ્‌અંશે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓની તત્કાલીન પરિસ્થિતિ, હિંદીઓનો મતાધિકાર, ટ્રાન્સવાલ વટહુકમ, ગિરમીટિયા-હિંદી મજૂરોની સ્થિતિ, એશિયાટિક લૉ એમેન્ડમેન્ટ, હિંદીઓના વ્યાપારિક હકો, અંગ્રેજોની બેવડી નીતિ, ઇન્ડિયન નાતાલ કોંગ્રેસ અને તેનું ધ્યેય, સત્યાગ્રહની લડત, લડતની વ્યૂહરચના, ટ્રાન્સવાલ કૂચ, લડત સંદર્ભે અંગ્રેજોની ભૂમિકા અને જનરલ સ્મટ્‌સની કૂટનીતિ વગેરે રહ્યા છે.

દક્ષિણ આફ્રિકામાં લાંબો વખત રહેવાનું નક્કી કર્યા બાદ ગાંધીજી પરિવારને મળવા અને હિંદના નેતાઓને દક્ષિણ આફ્રિકાની સ્થિતિથી વાકેફ કરવા હિંદ જવા નીકળ્યા, એના આગલા દિવસે ‘નાતાલ ઍડવર્ટાઇઝર’ને તેમની જે પહેલી મુલાકાત આપી, તેમાં ગાંધીજીએ હિંદીઓના હક અને કૉન્ગ્રેસની ભૂમિકાની જ વાત કરી હતી. તેમણે કહ્યું હતું : કૉન્ગ્રેસ તેમની (હિંદીઓની) સિદ્ધિ માટે દરેક કાનૂનમાન્ય સાધનો વડે પોતાનું કાર્ય ચાલુ રાખશે અને તે હિંદી કોમ માટેના કાનૂનોમાં રંગ અંગેનો ભેદભાવ દાખલ કરવાના કોઈ પણ પ્રયાસનો વિરોધ કરશે૪. આ જ મતલબની વાત ગાંધીજીએ હિંદ જઈને પરત આવ્યા ત્યારે કુરલેન્ડ સ્ટીમર પર જ ‘નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’ના પ્રતિનિધિએ લીધેલી વિસ્તૃત મુલાકાત(૧૩ જાન્યુઆરી, ૧૮૯૭)માં કહી હતી : “બેશક સંસ્થાનમાં પ્રવેશતા હિંદીઓના સ્વાતંત્ર્ય પર અંકુશ મૂકતા જે કોઈ કાયદા પસાર કરવામાં આવે, તેનો વિરોધ તો અમારે કરવો જ જોઈએ.૫ ગાંધીજીની મોટા ભાગની મુલાકાતોમાં હિંદીઓના હક, ન્યાયપૂર્ણ વર્તાવની વાત અને તેમની સાથે થતા અન્યાય સામે વિરોધની વાત સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ સિલસિલો છેક ગાંધીજીએ તેમની અંતિમ મુલાકાત સુધી જાળવી રાખ્યો હતો, જેમાં તેમણે વિદાય લેતી વખતે ‘કેપ ઑર્ગસ’ના પ્રતિનિધિને કહ્યું હતું : “મને આશા છે કે ત્યાં દૂર રહ્યે જો મને એટલું જાણવા મળશે કે દક્ષિણ આફ્રિકામાં મારા દેશબંધુઓ જોડે ન્યાયપૂર્ણ વર્તાવ રાખવામાં આવે છે, તો તેથી મને આનંદ જ થશે.”૬ આ ઉપરાંત ગાંધીજીએ મરકીના ઉપદ્રવ વખતે આપેલી મુલાકાતોમાં સ્વચ્છતા, લોકોનાં સ્વાસ્થ્ય અને આરોગ્ય ખાતા અંગે પણ વાત કરી છે. જેલના અનુભવ વિશે, ગોપાલકૃષ્ણ ગોખલેની મુલાકાત અંગે અને લડતમાં સાથ આપનારા અંગ્રેજો વિશે પણ તેઓ બોલ્યા છે.

ભાષા અને જવાબની શૈલી :

ગાંધીજીના લખાણમાં જેમ વાક્યો સરળ અને ટૂંકાં જોવા મળે છે, તેમ તેમણે આપેલી મુલાકાતોમાં પણ ભાષાની સરળતા જોઈ શકાય છે. ગાંધીજીની મુલાકાતોમાં લાંબાં વર્ણનો, અલંકાર, કટાક્ષ, આક્ષેપ સ્પષ્ટ રીતે ટાળેલાં જોઈ શકાય છે. કેટલીક મુલાકાતો પ્રશ્નોત્તરી રૂપે છે, તો કેટલીક મુલાકાતોમાં ગાંધીજી જે-તે મુદ્દાઓ અંગે વિગતે બોલ્યા છે અને અખબારના પ્રતિનિધિએ એ મુદ્દાઓને વિસ્તૃત રીતે છાપ્યા છે. મુલાકાતનું સ્વરૂપ કોઈ પણ હોય, પરંતુ તેમાં ગાંધીજીએ ટૂંકાં, સરળ અને સ્પષ્ટ વાક્યોમાં જવાબો આપ્યા છે. બે નાનકડાં ઉદાહરણ જોઈએ :

મુલાકાતી : સમાધાન થવા સંબંધી હવે તમને કંઈ શંકા છે ?

ગાંધીજી : હું સમજું છું ત્યાં સુધી કશી મુશ્કેલી આવવી જોઈએ નહીં, કારણ કે ગેરસમજૂતી કે અસ્પષ્ટતા ટાળવા દરેક પક્ષે પૂરતી સાવચેતી લીધી છે. અલબત્ત, જનરલ સ્મટ્‌સ પોતે કરેલી જાહેરાતનો કેવો અમલ કરે છે તેના પર ઘણો આધાર રહેશે. સામાન્ય લોકોના મનમાં સરકારના ઇરાદા વિશે લગભગ ન ભૂંસી શકાય એવો વહેમ છે. … (ધ સ્ટાર, એપ્રિલ ૨૮, ૧૯૧૧)૭.

પ્રતિનિધિ : કિલ્લા જેલમાં આપની સાથે કેવો વર્તાવ રાખવામાં આવ્યો હતો ?

ગાંધીજી : નિયમો પ્રમાણે ગવર્નર મારી જેટલી સંભાળ રાખી શકે, તેટલી રાખવામાં આવી હતી. ત્યાં અધિકારીઓએ અમારી સાથે જે પ્રકારનો વર્તાવ કર્યો, તેની મારે પ્રશંસા કરવી જ જોઈએ, પરંતુ આ બાબતમાં એમના અધિકાર મર્યાદિત છે.

પ્રતિનિધિ : અને ખોરાક ?

ગાંધીજી : હંમેશનો ખોરાક.

પ્રતિનિધિ : જેલના કયા વિભાગમાં આપને રાખવામાં આવ્યા હતા ?

ગાંધીજી : દેશી લોકોના વિભાગમાં. (રેન્ડ ડેલી મેલ, ૩૦ જાન્યુઆરી, ૧૯૦૮)૮

અહીં એક વાત નોંધવી રહી કે ગાંધીજીએ તેમની મુલાકાતોમાં અનેક વાર કહ્યું છે કે તેઓ બે પક્ષ વચ્ચે સમાધાન કરાવવા માગે છે; હિંસા, ધિક્કારને મિટાવવા માંગે છે. ‘નાતાલ ઍડ્‌વર્ટાઇઝર’(૧૩ જાન્યુઆરી, ૧૮૯૭)ને આપેલી મુલાકાતમાં ગાંધીજીએ કહ્યું છે : “હું અહીં પૈસા પેદા કરવાના ઇરાદાથી નહીં, પણ બે કોમો વચ્ચે નમ્ર દુભાષિયાનું કામ કરવા માટે પાછો આવ્યો છું. બે વચ્ચે બહુ ગેરસમજ પ્રવર્તે છે ને બંને કોમ મારી હાજરી સામે વાંધો નહીં લે. ત્યાં સુધી હું એ દુભાષિયાની જગા પૂરવા કોશિશ કરીશ.”૯ લડત પૂરી થયા બાદ પણ ગાંધીજીના મુખેથી કડવાશ, ફરિયાદ અથવા સામા પક્ષે માટે આક્ષેપો નથી નીકળ્યા. લડતને અંતે ‘ટ્રાન્સવાલ લીડર’(૧૪ જુલાઈ, ૧૯૧૪)ને આપેલી મુલાકાતમાં તો ગાંધીજીએ કહ્યું છે : “એ કૂચ દરમિયાન હું માનવી પર વધુ પ્રેમ કરતાં શીખ્યો અને સમજ્યો કે માનવ આત્મા ભલે યુરોપના કે હિંદના, પશ્ચિમના કે પૂર્વના આકાશ નીચે વિકસી રહ્યો હોય, પરંતુ તે સમાન સંજોગોમાં માનવતાના સાદનો પ્રત્યુત્તર સમાન રીતે વાળી શકે છે.”૧૦

ગાંધીજીના આશ્રમી અને વ્યક્તિગત જીવનના પ્રયોગો અને અખબારો :

ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં જાહેર જીવન અને આશ્રમ જીવનની સાથે સાથે આહાર-પાણી-માટી, બ્રહ્મચર્ય, ઉપવાસ, કેળવણી અંગે પણ અનેક પ્રયોગો કર્યા હતા. ગાંધીજી સમયાંતરે આ અંગે ઇન્ડિયન ઓપિનિયનમાં લખતા પણ રહ્યા હતા. પરંતુ ગાંધીજીના આ પ્રયોગો અન્ય અખબારોમાં ગાંધીજીએ આપેલી મુલાકાતોમાં ખાસ સ્થાન નહોતા પામ્યા. છૂટીછવાઈ એક-બે મુલાકાતોમાં સ્વચ્છતા, આહાર વિશે તેમણે વાત કરી છે, પરંતુ વિસ્તૃત રીતે ગાંધીજીએ મુલાકાતોમાં આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. આ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે દક્ષિણ આફ્રિકા ભલે તેમના માટે પ્રયોગોની ભૂમિ સમાન રહ્યું હોય, પરંતુ વ્યાપક સ્તરે ગાંધીજીએ સત્યાગ્રહ, સત્ય, અહિંસા, હિંદીઓના હક જેવા જાહેર મુદ્દાઓને જ તેમની મુલાકાતોમાં સ્થાન આપ્યું છે.

ગાંધીજીએ માત્ર દક્ષિણ આફ્રિકાના જ નહીં, પરંતુ વિશ્વભરના પત્રકારો-ખબરપત્રીઓને મુલાકાતો આપી છે. પત્રકારના ધંધાને સેવાભાવી ન્યાયાધીશનો ધંધો માનતા ગાંધીજી આ મુલાકાતો વખતે પણ ખૂબ જવાબદારીપૂર્વક વર્ત્યા છે. મુલાકાતોનો તૈયાર થયેલો અહેવાલ ગાંધીજી વાંચવાનો આગ્રહ રાખતા; જરૂર પડે ત્યાં સુધારા પણ કરાવતા. ક્યાં ય સામા પક્ષને હાનિ ન થાય, વિવાદ ન થાય, ધિક્કાર ન ફેલાય તે રીતે બહુ ચોકસાઈથી ઉત્તરો આપતા હતા. જાહેરજીવનના પ્રારંભે પત્રકારોને આપેલી મુલાકાતોમાં પણ ગાંધીજી આટલી જ જવાબદારીપૂર્વક વર્ત્યા હોવાનું આ અભ્યાસને આધારે તારવી શકાય છે.

સંદર્ભસૂચિ :

૧. ગાંધીજીનો અક્ષરદેહ ૧૨. પૃ. ૪૪૨

૨. એજન પૃ. ૪૪૨

૩. દલાલ, ચંદુલાલ ભગુભાઈ, ૧૯૭૬. ગાંધીજીની દિનવારી(૧૮૬૯થી ૧૯૧૫ સુધી) પ્રસ્તાવના પૃ. ૪

૪. ગાંધીજીનો અક્ષરદેહ ૧. પૃ.૨૬૯

૫. ગાંધીજીનો અક્ષરદેહ ૨. પૃ.૧૨૦

૬. ગાંધીજીનો અક્ષરદેહ ૧૨. પૃ.૪૪૨

૭. ગાંધીજીનો અક્ષરદેહ ૧૧. પૃ.૬૨

૮. ગાંધીજીનો અક્ષરદેહ ૮. પૃ.૩૯

૯. ગાંધીજીનો અક્ષરદેહ ૨. પૃ.૧૧૯

૧૦. ગાંધીજીનો અક્ષરદેહ ૧૨. પૃ.૪૧૮

Email : kirankapure@gmail.com

‘નવજીવનનો અક્ષરદેહ’ના સંપાદક

સૌજન્ય : “અભિદૃષ્ટ”, ઑક્ટોબર 2019; પૃ. 06-09

Loading

...102030...2,6952,6962,6972,698...2,7102,7202,730...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved