Opinion Magazine
Number of visits: 9576787
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’ – વાર્તા કહેવાઈ પણ આત્મા છટકી ગયો

વિવેક કાણે ‘સહજ’|Opinion - Opinion|6 September 2019

વિ.વા. શિરવાડકરે (એટલે કે સુવિખ્યાત મરાઠી કવિ / નાટ્યકાર ‘કુસુમાગ્રજ’) 1960ના દાયકામાં જ્યારે ‘નટસામ્રાટ’ નાટક લખ્યું, અને 1970માં એનો પહેલો પ્રયોગ બિરલા માતોશ્રી સભાગૃહમાં થયો, ત્યાર પછી એક ઇતિહાસ સર્જાયો અને એ નાટક આજે પણ મરાઠી જ નહીં પણ ભારતીય રંગભૂમિનું એકમેવાદ્વિતીય નાટક ગણાય છે. આવું નાટક લખવાનું કુસુમાગ્રજને સૂચન થયું અને એમણે એ લખવાનું ઠરાવ્યું ત્યાર પછી એ છ વર્ષે લખાઈને પૂર્ણ થયું.

એ નાટકની વાર્તા તો એ જમાનામાં પણ ચવાયેલી જ ગણાય એમ હતી, પણ એ નાટકનો આત્મા એટલે કુસુમાગ્રજે એમની અદ્વિતીય પ્રતિભાના સ્પર્શ સાથે એમાં વણી લીધેલા વિલિયમ શેક્સપિયરના અજરામર નાટકોના અને એમના પોતાના નાટકોના અંશો, ખાસ કરીને એમાંની એકોક્તિઓ કે મોનોલોગ્સ. આ બધું લટકાવવા માટે ખીંટીઓ જોઈએ. ચવાયેલી વાર્તામાં કુસુમાગ્રજે બહુ સિફતથી આવી ખીંટીઓ મૂકી, એમને આવા અંશોથી સજાવીને એક વાતાવરણ સર્જયું અને એ દ્વારા ક્રમે ક્રમે એક મહાન નટની વ્યથાઓને એમણે જે રીતે ખોલી આપી એણે આ નાટકને એની ઊંચાઈ બક્ષી.

તાત્પર્ય એટલું જ કે ‘નટસમ્રાટ’ એ માત્ર નાટક નથી – એ એક વાતાવરણ છે, એક આબોહવા છે, શેક્સપિયર અને કુસુમાગ્રજના નાટયાંશોથી જડિત રંગભૂમિનું એક ઘરેણું છે.

આ નાટક પરથી તૈયાર થયેલી મરાઠી ફિલ્મ ‘नटसम्राट’ના આધારે બનેલી ગુજરાતી ફિલ્મ ‘નટસમ્રાટ’ તાજેતરમાં જ રિલીઝ થઇ અને મારે ગઈ કાલે જ એ જોવાનું બન્યું. એની સમીક્ષા પહેલાં, આટલા વિસ્તારથી આ પૂર્વભૂમિકા બાંધવાનું મને જરૂરી કેમ લાગ્યું એનો ખુલાસો આગળ થશે. ગુજરાતી ‘નટસમ્રાટ’, મરાઠી ફિલ્મ પરથી બનેલી છે, એટલે સ્વાભાવિક રીતે જ એની સમીક્ષા પણ તુલનાત્મક છે.

ફિલ્મ એ નાટક કરતાં તદ્દન ભિન્ન માધ્યમ હોવાથી, મરાઠી ફિલ્મ બનાવતી વખતે પણ એમાં માધ્યમને અનુરૂપ ફેરફારો કરવા પડયા. પણ મરાઠી ફિલ્મ-સર્જકોએ એ કામ બહુ ખૂબીથી, નાટકના આત્માને ખાસ નુકશાન ન થાય એનું ધ્યાન રાખીને કર્યું. જો કે મરાઠી ફિલ્મની ટીકા કરનારાઓ પણ છે જ, પણ એ તો રહેવાના જ કારણ કે you can’t please everyone at the same time.

અતિશય સામાન્ય કહી શકાય એવી કથાની શરૂઆત કંઈ આવી છે. નટસમ્રાટ હરીન્દ્ર પાઠક (સિદ્ધાર્થ રાંદેરિયા) પોતાની સુદીર્ઘ અને દેદીપ્યમાન કાર્કિર્દીમાંથી નિવૃત્તિ જાહેર કરે છે અને એ પછી તરત જ પોતાની તમામ મિલકત પોતાના દીકરા અને દીકરીને નામે કરી દે છે. પછી શું થાય છે એ તમે કલ્પી શકો અથવા તમારે ફિલ્મ જોવી પડે.

દુર્ભાગ્યે, ગુજરાતી ફિલ્મ એક મહાન નટની એક સામાન્ય વાર્તા બનીને રહી ગઈ, એ મૂળ મરાઠી ફિલ્મનો આત્મા પકડી ન શકી એમ મને ફિલ્મ જોતાં જણાયું. નીચેના અવલોકનોથી તમને પણ કદાચ એ જણાઈ આવશે.

1. આ વાર્તામાં જે કૈં બને છે એ આજના જમાનામાં ન બની શકે એવું નથી, પણ મેં પહેલાં કહ્યું તેમ, આ વાર્તા તો 1960ના દાયકામાં પણ ચવાયેલી લાગે એવી જ હતી, એટલે એને અત્યારના જમાનાની વાર્તા તરીકે રજૂ કરવાથી એ ચવાયેલી કહેતાં ચૂંથાયેલી લાગે એ સ્વાભાવિક છે. મરાઠી ફિલ્મ સર્જકોએ એને જૂના સમયની ફિલ્મ તરીકે દર્શાવીને જે સૂક્ષ્મ વિવેક બતાવ્યો, એવો વિવેક ગુજરાતી ફિલ્મ-સર્જકો ચૂકી ગયા છે.

2. કથામાં સિફતથી વણી લેવાયેલા શેક્સપિયરના અને કુસુમાગ્રજના નાટયાંશો મરાઠી ફિલ્મમાં વિપુલ પ્રમાણમાં હોવાથી મૂળ નાટકનો આત્મા એમાં ઠીક ઠીક પ્રમાણમાં ઝીલાયો છે. શેક્સપિયરના નાટકોનાં કુસુમાગ્રજે પોતે કરેલાં મરાઠી રૂપાંતર ઉપરાંત એમના પોતાના પણ અનેક સત્ત્વશીલ મૌલિક નાટકોની સામગ્રી એમની પાસે હોવાથી કુસુમાગ્રજ એનો સહજતાથી ઉપયોગ કરી શક્યા અને મરાઠી ફિલ્મ-સર્જકોને પણ એનો લાભ મળ્યો. ગુજરાતી રંગભૂમિ પાસે દુર્ભાગ્યે શેક્સપિયરના એ કક્ષાના રૂપાંતરો નથી. એની ભરપાઈ બીજા સત્ત્વશીલ મૌલિક ગુજરાતી નાટકોના અંશોથી થઇ શકી હોત, પણ અફસોસ, ગુજરાતી ફિલ્મ-સર્જકોએ એવો કોઈ ખાસ પ્રયત્ન કરેલો દેખાતો નથી.

3. મરાઠી ફિલ્મનું એક પ્રબળ પાસું છે એના સંવાદો, ખાસ કરીને નટસમ્રાટ અને એમના જીગરી મિત્ર વચ્ચેના સંવાદોની જુગલબંદી. પણ મેં ઉપરના મુદ્દામાં જણાવેલ પ્રયત્નના અભાવે, બે મિત્રો વચ્ચેના સંવાદો ધારી અસર જન્માવી શકતા નથી. મરાઠી ફિલ્મમાં આ પાત્રો અનુક્રમે નાના પાટેકર અને વિક્રમ ગોખલે જેવા દિગ્ગજોએ સુપેરે નિભાવ્યા છે. સિદ્ધાર્થ રાંદેરિયાનો અભિનય ઉત્તમ હોવા છતાં એમાં હોવી જોઈએ એવી ઠાંસ નથી. મનોજ જોષીએ નટસમ્રાટનું પાત્ર ભજવ્યું હોત અને સિદ્ધાર્થ રાંદેરિયાએ મિત્રનું પાત્ર ભજવ્યું હોત તો કદાચ કઈં ફેર પડ્યો હોત, પણ મૂળમાં સામગ્રી જ ન હોય તો બિચારો મનોજ પણ શું કરે ?

4. ગૃહત્યાગ પછીના સમયમાં અને એમના દિશાહીન રઝળપાટ દરમિયાન નટસમ્રાટ અનેક લોકોના સંપર્કમાં આવે છે અને લોકો એમને ઓળખતા ન હોવા છતાં એમની વાતો અને સંભાષણની છટાથી અભિભૂત થાય છે. એમના પ્રત્યે લોકોના મનમાં એક અહોભાવ આપોઆપ પ્રગટે છે. આ બધું મરાઠી ફિલ્મમાં સહજતાથી ઝીલાયું છે. ગુજરાતી ફિલ્મમાં એમ બન્યું નથી.

5. મરાઠી ફિલ્મમાં છેલ્લા દ્રશ્યમાં નટસમ્રાટના એક જિજ્ઞાસુ ફૅનનું પાત્ર છે. એની જિજ્ઞાસા સંતોષવા માટે નટસમ્રાટ પોતાનો નાટ્ય-પ્રવાસ અને ‘નાટક’ એટલે શું ? એ વિષે એને સમજાવતાં સમજાવતાં પ્રાણ ત્યાગે છે. નટસમ્રાટનો આવો નાટ્યમય અંત એ ફિલ્મને એક શિખર પર લઇ જાય છે. ગુજરાતી ફિલ્મમાં પેલા જિજ્ઞાસુ ફૅનનું પાત્ર જ કાઢી નાખવામાં આવ્યું છે, એટલે છેલ્લું દ્રશ્ય કૃત્રિમ લાગે છે – જોઈએ એવું અસરકારક થતું નથી.

ટૂંકમાં જ્યાં જ્યાં આવા આવાહનાત્મક પ્રસંગો છે ત્યાં ત્યાં ગુજરાતી ફિલ્મ-સર્જકોએ આવાહન ઝીલી લેવાને બદલે સહેલો પલાયનવાદી માર્ગ કાઢ્યો હોવાનું જણાઈ આવે છે.

મંગળાના પાત્રમાં દીપિકા અને અને અન્ય કલાકારોનો અભિનય અપેક્ષા મુજબનો અને predictable છે. દિલીપ રાવલનાં ગીતોને આલાપ દેસાઈ અને શ્રેયા ઘોષાલે અપેક્ષા મુજબ સરસ કંઠ આપ્યો છે. સંગીત અને સિનેમેટોગ્રાફીમાં છૂટા છવાયા ચમકારા સિવાય ઉલ્લેખ કરવા જેવું ખાસ કશું નથી.

એકંદરે ગુજરાતી ફિલ્મ-સર્જકોએ પોતાના ગજા પ્રમાણે, એમની મતિ અને ગતિ અનુસાર, એમને ફાવી એવી ફિલ્મ બનાવી છે, જે મારી અપેક્ષાથી ખાસ વિપરીત નથી. પરંતુ પ્રવીણ સોલંકી (લેખક) અને જયંત ગિલાટર(દિગ્દર્શક)એ વધુ પ્રતિબદ્ધતાથી થોડી વધુ મહેનત કરી હોત તો મને આશ્ચર્ય પણ થાત અને આનંદ પણ.

3જી સપ્ટેમ્બર, 2018

વડોદરા

https://www.facebook.com/visahaj/posts/10214674831038046?comment_id=10217359376870014&notif_id=1567769883246530&notif_t=comment_mention

Loading

બજાર, રાજ્ય અને સમાજ અર્થતંત્ર ત્રણ સ્તંભ – દરેક વચ્ચે સંતુલન જરૂરી

રમેશ ઓઝા|Opinion - Opinion|5 September 2019

નરેન્દ્ર મોદીએ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ચપટી વગાડતા અર્થતંત્રની કાયાપલટ કરી આપવાનાં ગજાબહારનાં વચનો આપ્યાં હતાં, તેને વારંવાર યાદ કરીને મહેણાં મારવાં એ શોભાસ્પદ નથી. જો કે તેમણે બેફામ દાવાઓ કરવામાં કોઈ સંકોચ નહોતો અનુભવ્યો, એટલે લોકો તેમના દાવાઓની યાદ અપાવવાની લાલચ રોકી શકતા નથી. પણ એ વાત જવા દો. સવાલ એ છે કે અર્થતંત્ર કેમ પાટે ચડતું નથી?

એ વાત ખરી છે કે આર્થિક ગતિરોધ જાગતિક છે એટલે ભારતનું અર્થતંત્ર તેના પ્રભાવથી બચી ન શકે. પણ એ તો ૨૦૧૪માં પણ સત્ય હતું. ૨૦૦૮માં અમેરિકામાં લેહમન બ્રધર્સની કંપની કાચી પડી ત્યારથી સંકટ શરૂ થયું છે. એને કારણે નહીં, એ આર્થિક સંકટનું પહેલું મોટું પરિણામ હતું. એ પછી તો બીજી મોટી કંપનીઓ પણ કાચી પડવા માગી હતી. તો પછી નવું શું છે? એ કપરા દિવસોમાં ડૉ. મનમોહન સિંહ જો અર્થતંત્રને ઉપર નહીં ઊઠાવી શક્યા તો કમસેકમ વધારે નીચે પડતું રોકી શક્યા એ તો તેમના દુ:શ્મનો પણ સ્વીકારશે. તો પછી એટલું કામ નરેન્દ્ર મોદી કેમ નથી કરી શકતા?

બીજો ખુલાસો ભક્તોનો છે જેને ગંભીરતાથી લેવાની જરૂર નથી. કૉન્ગ્રેસે ૭૦ વરસ દરમ્યાન દાટ વાળ્યો છે એટલે શું થાય? ભક્તો સાથે શું ભાંડવાનું! માત્ર એક વાતની તેમને યાદ અપાવવાની કે ભારતના મતદાતાઓએ નરેન્દ્ર મોદીને કૉન્ગ્રેસે જે ખોટું કર્યું હતું તેને સુધારવા માટે દિલ્હી મોકલ્યા હતા, તેની યાદ અપાવવા માટે નહીં. ક્યારેક પ્રસંગોપાત યાદ અપાવો એ ઠીક છે, પરંતુ એ તમારી નિષ્ફળતાનો ખુલાસો ન બની શકે. તમારી પાસેથી અપેક્ષા ઈલાજની છે, આરોપની નથી. બીજું નરેન્દ્ર મોદીએ પોતે જ કહ્યું હતું કે ‘હું સુધારી દઈશ, મારી પાસે અકસીર ઈલાજ છે.’

વાત એમ છે કે અનેક આર્થિક પરિબળોને કારણે જગતમાં મંદી બેઠી છે અને તેમાં ભારત અપવાદ નથી. જ્યારે જગતમાં મંદી બેઠી ત્યારે માનવામાં આવતું હતું કે ભારતને તેની પ્રમાણમાં ઓછી અસર પહોંચશે કારણ કે ભારતનું અર્થતંત્ર ચીનની માફક નિકાસનિર્ભર નથી અને બહોળી વસ્તી હોવાને કારણે ઘરેલું માર્કેટ ઘણું મોટું છે. આ ઉપરાંત દેશના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનો પણ ઘણો સ્કોપ છે એટલે ભારતને મંદીનો માર ઓછો પડશે. હજુ એક કારણ એવું પણ આપવામાં આવતું હતું કે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરનો લાભ ભારતને મળશે. રોકાણકારો ચીનમાં રોકાણ કરવાનું જોખમ નહીં ઊઠાવે અને ભારતમાં રોકાણ કરશે. આમ ગણતરી તો એવી હતી કે ભારત બહુ ઘવાયા વિના ઊગરી જશે.

ઊગરવાનું બાજુએ રહ્યું, જ્યાં હતા ત્યાં ટકી રહેવાનુંયે બાજુએ રહ્યું, ઊલટું ભારતીય અર્થતંત્ર વધારે ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયું એમ કેમ બન્યું? વિરોધીઓ કહે છે, અને તેમની વાતમાં સત્ય પણ છે કે નોટબંધી અને ઉતાવળે લાગુ કરવામાં આવેલા જી.એસ.ટી.ના કારણે ભારતીય અર્થતંત્ર ખાડે ગયું છે. નોટબંધી અને જી.એસ.ટી.એ પડતાને પાટુ મારવાનું કામ કર્યું છે. આ બે સાહસો ન કર્યાં હોત તો હતા જ્યાં ઊભા હતા ત્યાં ટકી રહેવામાં જરૂર મદદ મળત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી આ બે ગંભીર ભૂલો છે અને ઇતિહાસ તેમને એ માટે યાદ રાખશે. પણ એક વાત અહીં નોંધી લેવી જોઈએ કે નોટબંધી અને જી.એસ.ટી. પણ અર્થતંત્રના સંકટ માટેનાં મુખ્ય કારણ નથી.

અર્થતંત્ર વિષે દેશમાં અત્યારે જે ચર્ચા થઈ રહી છે તેમાં એક મુદ્દે ચર્ચા જોવા મળતી નથી જે અહીં કરવાનો પ્રયત્ન છે. એ પરિબળ છે ભય. ભારતીય અર્થતંત્રના સંકટનું મુખ્ય કારણ છે ભય. ભયને કારણે પેદા થતી અનિશ્ચિતતા. વેપારીઓ ભયભીત છે, નાના ઉદ્યોગપતિઓ ભયભીત છે, રોકાણકારો ભયભીત છે, વિદેશી રોકાણકારો પણ ભયભીત છે; કોણ જાણે કાશ્મીરમાં આવતી કાલે શું થશે? અધિકારીઓ ભયભીત છે, મીડિયા ભયભીત છે, અર્થશાસ્ત્રીઓ અને બીજા વિદ્વાનો ભયભીત છે, યુનિવર્સિટીના જર્નલોમાં વિમર્શ કરનારા ભયભીત છે, લોકતાંત્રિક સંસ્થાઓના રખેવાળો ભયભીત છે, લઘુમતી પ્રજા ભયભીત છે અને સૌથી વધુ બહુમતી પ્રજા પણ ભયભીત છે. જ્યાં ભય હોય ત્યાં ક્યારેક સર્જકતા/ઉત્પાદકતા સોળે કળાએ ખીલી ન શકે એ સનાતન સત્ય છે. જ્યારે આત્મવિશ્વાસનો સામૂહિક અભાવ હોય ત્યારે કોણ જોખમ ઊઠાવે અને જોખમ ઊઠાવ્યા વિના ઉત્પાદકતા સિદ્ધ થતી નથી.

રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ જી. રાજનનું નવું પુસ્તક; ‘ધ થર્ડ પીલ્લર: હાઉ માર્કેટ્સ એન્ડ ધ સ્ટેટ લીવ ધ કોમ્યુનિટી બિહાઈન્ડ’ વાંચવાની ભલામણ કરું છું. એ પુસ્તકમાં રાજને કહ્યું છે કે બજાર, રાજ્ય અને સમાજ એ અર્થતંત્રના ત્રણ સ્તંભ છે. એ ત્રણેય વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. જો બજાર રાજ્ય દ્વારા અંકુશિત નિર્બળ હોય તો સમાજની ઉત્પાદકતામાં ઘટાડો થાય. સમાજ જો નિર્બળ હોય તો ભ્રષ્ટ શાસકોના આંગળિયાત પૂંજીપતિઓ માથું કાઢીને હાવી થઈ જાય. રાજ્ય જો નિર્બળ હોય તો સમાજ પ્રોત્સાહનના અભાવમાં ઉદાસીન થઈ જાય. બીજી બાજુ બજાર જો આક્રમક હોય તો સમાજમાં અસમાનતા વધે. જો સમાજ જરૂરત કરતાં વધારે આક્રમક હોય તો શાસન ડરના કારણે થંભી જાય અને જૈસે થેની પરિસ્થિતિ પેદા થાય. જો રાજ્ય આક્રમક હોય તો આપખુદશાહીનું વાતાવરણ પેદા થાય અને સમાજમાં ભય વ્યાપી જાય. ટૂંકમાં આ ત્રણેય વચ્ચે સંતુલન ન હોય તો અર્થતંત્ર ખાડે જાય એમ જાગતિક ખ્યાતિ ધરાવતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજન કહે છે.

હવે રાજને જે ત્રણ અસંતુલન બતાવ્યાં છે એમાંથી ભારતને કયું કે કયાં અસંતુલન લાગુ પડે છે? કે પછી ભારતમાં પરફેક્ટ સંતુલન છે એવું તમને લાગે છે? તટસ્થતાપૂર્વક વિચાર કરી જુઓ, કારણ કે તમારા પક્ષપાતથી વાસ્તવિકતા નથી બદલાવાની. ઇતિહાસ તો નરેન્દ્ર મોદીનું એ જ રીતે મૂલ્યાંકન કરશે જે રીતે તથ્યોના આધારે થવું જોઈએ.

૧૯૯૦ પહેલાં સમાજવાદને નામે રાજ્ય હાવી હતું એટલે ભારતનો વિકાસદર સાડા ત્રણ ટકાથી આગળ નહોતો વધતો. એ પછીનાં વરસોમાં આર્થિક સુધારાઓને પરિણામે માર્કેટ હાવી હતું એટલે અસમાનતા વધી. વચ્ચે(૨૦૦૮-૨૦૧૧)નાં વર્ષોમાં રાજ્ય અને સમાજ બંને નિર્બળ હતાં એટલે ક્રોની કેપિટાલિસ્ટોએ રાજ્ય પર કબજો જમાવ્યો. ૨૦૧૧ પછી સમાજ હાવી થઈ ગયો એટલે રાજ્ય થંભી ગયું. અધિકારીઓ કોઈ નિર્ણય જ નહોતા લેતા.

૨૦૧૪ પછીથી રાજ્ય પાછું હાવી થઈ ગયું છે. ૧૯૯૦ પહેલાં પણ રાજ્ય હાવી હતું, પરંતુ એ  સમાજવાદી યુગના નિયંત્રણોના સ્વરૂપમાં, ચાબૂક દ્વારા નહીં. અત્યારે રાજ્યની અતિશયતાનું જે સ્વરૂપ છે એ દરેક વર્ગને દબાવી રાખવાનું છે, ભયમાં રાખવાનું છે. જ્યાં ભય હોય ત્યાં ઉત્પાદકતા ન હોય. જ્યાં ભય હોય ત્યાં કોઈ આવવાની હિંમત ન કરે. જ્યાં ભય હોય ત્યાં સાહસ ન હોય. જ્યાં ભય હોય ત્યાં સાચી સલાહ ન મળે. જ્યાં ભય હોય ત્યાં નીરક્ષીર વિવેકયુક્ત ચર્ચાઓ ન થાય. જ્યાં ભય હોય ત્યાં માણસ આજનું કામ કાલ પર ટાળે. રશિયા સહિતનાં સામ્યવાદી દેશો આનું પ્રમાણ છે. સામ્યવાદી દેશોનું અર્થતંત્ર તૂટી ગયું એનું કારણ ભય હતો. લોકોને બીવડાવી રાખીને મુઠ્ઠી બંધ રાખી હતી જે એક દિવસ ખુલી ગઈ અને બધું કડડભૂસ થઈને તૂટી પડ્યું.

ડૉ. રાજન કહે છે એમ ત્રણ પીલ્લરમાં સંતુલન ન જળવાય તો ઉત્પાદકતાને અસર થતી હોય છે. કોઈ પીલ્લરે બીજા પીલ્લર પર હાવી ન થવું જોઈએ, પણ અત્યારે ભારતમાં રાજ્ય હાવી છે અને એ પણ ભય પમાડીને. ડૉ. રાજનના મતે ભારતના આર્થિક સંકટનું કારણ આ છે. રાષ્ટ્રવાદ એ મનોહર કલ્પના છે અને પેટ એક વાસ્તવિકતા છે. જો સાહસિકતાને અને પહેલને પ્રોત્સાહન આપનાર ભયમુકત વાતાવરણ હોત તો નોટબંધી અને જી.એસ.ટી.નો ડામ ભારતનાં અર્થતંત્રે એક વાર ખમી લીધો હોત! પણ સમાજ જો ભયમુક્ત હોય તો કાશ્મીર વિષે, મોબ લીન્ચિંગ વિષે, રાષ્ટ્રવાદના દુરુપયોગ વિષે પ્રશ્ન કરે અને એ સરકારને જોઈતું નથી. ભય એક એવો પદાર્થ છે જે હોય છે અથવા નથી હોતો . જો હોય છે તો સંપૂર્ણ હોય છે અને જો નથી હોતો તો જરા પણ નથી હોતો. માફકસરનો ભય એવી કોઈ ચીજ નથી હોતી.

આમ નિર્ણય સરકારે કરવાનો છે; ભય અને મોકળાશ વચ્ચે. ભય શાસકોને થોડા સમય માટે સુરક્ષા આપે છે અને મોકળાશ સર્જકતાને પ્રોત્સાહન આપે છે.

તમે કોના પક્ષે છો?

03 સપ્ટેમ્બર 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 05 સપ્ટેમ્બર 2019

Loading

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે, હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|5 September 2019

હૈયાને દરબાર 

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે… !

અદ્ભુત, લાજવાબ અને 'મસ્ટ સી' એવા નેધરલેન્ડ(હોલેન્ડ)ના વાઈબ્રન્ટ શહેર એમસ્ટર્ડમની ચકાચૌંધ રોશની રેડ લાઈટ ડિસ્ટ્રિક્ટમાં પ્રવેશતાં ઓર રંગીન બની રહી છે. રેડ લાઈટ એરિયાનું નામ સાંભળીને ચોંકી ન જતાં. પ્રોસ્ટિટ્યુશન એ અહીં લીગલ છે, કાયદાકીય વ્યવસાય! પારદર્શક કાચની ફ્રેન્ચ વિન્ડોઝમાંથી કાચની પૂતળી જેવી ગોરી કમનીય કાયાઓ સ્ટ્રીટમાંથી પસાર થતા પ્રવાસીઓને માદક ઈશારા કરી આકર્ષી રહી છે. સૈકાઓ પહેલાં કાયદા હેઠળ સમાવી લેવાયેલા વેશ્યા વ્યવસાય અને એમસ્ટર્ડમ ટુરીઝમના આ એક અભિન્ન એરિયા વિશે વિચારીએ તો ડચ પ્રજાના ઉદાર અભિગમ(લિબરલ એટિટ્યુડ)ને સરાહવાની ઇચ્છા થાય. રેડ લાઈટ ડિસ્ટ્રિક્ટની ગાઈડેડ ટુર તમે લો તો આ વિસ્તાર અને આ વ્યવસાયની ચોંકાવનારી વિગતો જાણવા મળે. ગુલાબી હોઠ, ઉજળી કાયા અને મોહક સ્મિત તો આ રૂપજીવીનીઓના જીવનની એક જ બાજુ દર્શાવે છે. એની ડાર્ક સાઈડ વિશે એક આખો જુદો લેખ લખવો પડે.

પરંતુ, એમસ્ટર્ડમના આ રંગીન ઝળહળાટની વચ્ચે અચાનક જવાહર બક્ષીની રૂપજીવિનીની એક અદ્ભુત ગઝલ સાંભરે છે. એ ગઝલ આખી જ અહીં રજૂ કરવી પડે. તો જ એ સ્ત્રીઓની વેદના તમારા સુધી પહોંચે :

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણનહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે

*****

આહા, આ મક્તા તો વાંચો ફરીથી! આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે, ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે! સાચી લાગણી ક્યાં જોવા મળે છે? સંબંધોની લેવડ-દેવડ આપણે ય ક્યાં નથી કરતાં? સ્વરૂપ જરા જુદું હોય છે. જવાહર બક્ષીએ આ ગઝલમાં રૂપજીવિનીની સાથે માયામાં ફસાયેલા માનવ જીવની વાત બખૂબી કરી છે. જવાહર બક્ષીએ વર્ષો પહેલાં બનેલી એક સાક્ષાત્‌ ઘટના વિશે જણાવ્યું કે, "એક મિત્ર શોપિંગ કરવાને બહાને મુંબઈના રેડ લાઈટ એરિયામાં મને લઈ ગયો. એ તો બહાર બેસાડીને ક્યાં ગરકાવ થઈ ગયો, ખબર નહીં પણ એક રૂપજીવિનીને મેં પૂજા કરતી જોઈ. પૂજા પૂરી કરી એણે મારી તરફ ઈશારો કરી મને એની બાજુમાં બેસવા કહ્યું. મેં ના પાડી ત્યારે એણે કહ્યું કે બત્તીના સમયે એટલે કે બોણીના ટાઈમે ના કેમ પાડો છો? એ વખતે જ મને વિચાર આવ્યો કે આ સ્ત્રીના જીવનમાં તો અંધારું જ છે, છતાં દીવા બત્તી કરીને ભગવાનને પ્રાર્થના કરે છે કે એનો ધંધો સારો ચાલે! આ વિરોધાભાસ મને એટલો બધો સ્પર્શી ગયો કે તરત જ આ ગઝલ લખાઇ ગઈ. ભૂખરાં વાદળો સાથે કરો તારા મૈત્રી, એટલે કે આ શેડી રિલેશન્સમાં ભલે ક્ષણિક તારામૈત્રક રચાય બાકી કોઈની પ્રતીક્ષામાં ભીંજાવાનું એમનું ક્યાં સદ્દભાગ્ય છે! નેગેટિવ-પોઝિટિવ એવું કંઈ નથી. વેપારની દુનિયાનું એક જ સત્ય છે લે-વેચ! જે ભાવ મળે એ ભાવે માલ ખપાવો."

આ બજારૂ શબ્દ 'ખપે'નો પણ કેવો યથોચિત ઉપયોગ કર્યો છે કવિએ. સંબંધોના ધૂમાડા સામે અગરબત્તીના અજવાળાનો અકલ્પનીય વિરોધાભાસ રચીને જવાહર બક્ષી કાવ્યની જેન્યુઈન વેદનાને રિફાઈન્ડ સ્વરૂપે રજૂ કરી ગઝલને ઊંચી કક્ષાએ લઈ ગયા છે. ગુજરાતી ભાષાની આ પહેલી પાત્ર ગઝલ હોવાનું એમણે જણાવ્યું હતું. કર્ણપ્રિય રાગ અભોગીમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરેલી આ ગઝલ હેમા દેસાઈએ ખૂબ સરસ રીતે રજૂ કરીને કહેવાતી 'બજારૂ' સ્ત્રીની વેદનાને વાચા આપી છે. મુજરાનો ઠેકો ધરાવતી આ ગઝલમાં વિખ્યાત સારંગીવાદક સુલતાન ખાનની સારંગી અને શ્રેષ્ઠ તબલચી ઉસ્તાદ અશરફ ખાન-મુશરફ ખાનનાં તબલાંવાદને ગઝલના ભાવને યથોચિત ઉજાગર કર્યો છે. 'ટહુકો'ની સાઈટ પર આ ગઝલને તમે માણી શકો છો.

http://tahuko.com/?p=2858

*****

હવે વાત કરવી છે મારી બીજી મનગમતી બેમિસાલ ગઝલ, 'બરફનો પહાડ'ની. જવાહર બક્ષીની ઠુમરી અંગની આ ગઝલ કૌમુદી મુનશીના સ્વ કંઠે એમના ઘરે જ નિરાંતે સાંભળવી એ એક લ્હાવો છે. સંગીત શીખવા, સાંભળવા કે એમના વિશાળ ખજાનામાંથી સંગીતનું મોતી પામવા ક્યારે ય ફોન કરીએ તો આ 'નાઈન્ટી યર્સનાં નાઈન્ટિંગલ' હંમેશાં ઉત્સુક હોય છે. સંગીતકાર નિનુ મઝુમદારે સ્વરબદ્ધ કરેલી તથા અજોડ સ્વરમાધુર્ય ધરાવતાં કૌમુદી મુનશીને કંઠે ગવાયેલી જવાહર બક્ષીની ચાર ગઝલોનો સંપૂટ 'તારો વિયોગ' ગૂઢ રહસ્યવાદની ગઝલો છે. જવાહર બક્ષીએ વિરહયોગની દસ ગઝલોનો ગુચ્છ તૈયાર કર્યો હતો જેમાં પ્રિયતમાના જતાં પહેલાંની, જતી વેળાની, ગયાં પછીની જવા પ્રકારોની અમૂર્ત (એબ્સ્ટ્રેક્ટ) ગઝલોને શુદ્ધ કવિતા સ્વરૂપે રજૂ કરીને ગઝલ ક્ષેત્રે એક નવો આયામ રચી આપ્યો. પ્રિયતમાના જતાં પહેલાંની ગઝલ, તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી ગયો રાગ ગારામાં રજૂ થઈ છે જ્યારે જતી વેળાની ગઝલ બરફનો પહાડ સર્વપ્રિય રાગ ભૈરવીમાં પ્રસ્તુત થઈ છે. આ જ સિરીઝની અન્ય એક ગઝલ તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ, આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ …! ગઝલમાં રે લોલનો પ્રયોગ કદાચ પહેલીવાર ગુજરાતી ગઝલમાં થયો છે, જેમાં છેલ્લે રાસની ધીમી હીંચ પણ આવે છે.

જવાહર બક્ષી આ ગઝલ વિશે કહે છે, "1970માં મારી પ્રિયતમા દક્ષા (પછીથી એ જ પત્ની બની) ભણવા માટે ઇંગ્લેન્ડ જઈ રહી હતી. અમારી કોર્ટશિપનો એ સમય હતો. એ વખતે ખબર નહોતી કે અમે પરણીશું કે પરણી શકીશું. પ્રિયતમા જવાની તૈયારીમાં હોય ત્યારે આપણે પ્રેમની નિશાની માગીએ. મારે એવું કંઈ નહોતું માગવું કે જે આપવું એને ભારે પડે. મારે તો બસ એટલું જ કહેવું હતું કે હું ગૂંગળાઉં નહીં એ રીતે ગ્રેસફૂલી ચાલી જજે. બરફનો પહાડ એટલે આઈસબર્ગ. આમ એ પાણીની સાથે તરતો હોય છતાં પાણીથી સાવ જુદો. પાણી નિરાકાર છે પરંતુ, બરફ થઈ જાય ત્યારે સાકાર થઈ જાય છે. આ એવા સંબંધની વાત છે જેમાં અશક્યતાઓ છતાં પરસ્પર આત્મીય સંબંધનું પોત પાતળું નથી પડતું."

આ બહુ મોટી વાત છે સંબંધમાં. અહીં એક વાત યાદ આવે છે. એક કલાકાર મિત્રે કોઇક સંદર્ભમાં બક્ષીની આ ગઝલનો એક શેર મોકલ્યો હતો :

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ,
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે.

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે…!

આ શેર વાંચીને આંખના આંસુ થીજી જાય એવી કમાલની અભિવ્યક્તિ છે!

સંબંધની ભેખડ ધસી પડે અને એના કાટમાળ નીચે આશા, અરમાન, ઇચ્છા, અભિપ્સા, લીલીછમ લાગણી, સમયની ડાળ પર લટકી રહેલી તાજી ક્ષણો અને અદમ્ય પ્રેમ ધરબાઈ જાય એ પહેલાં જ નીકળી જવાની વાત પ્રિયતમ કરે છે. કભી કિસી કો મુક્કમલ જહાં નહીં મિલતા …ને નાતે હર એક સંબંધનો અંજામ આપણે ઇચ્છીએ એવો-મનગમતો નથી હોતો. એ સંજોગોમાં કવિએ ગ્રેસફૂલી એમાંથી નીકળી જવાની, કહો કે બરફના પહાડની જેમ વહી જવાની, તરી જવાની વાત કરી છે. જળરૂપી પ્રેમની પરત પર વહેતો બરફનો પહાડ જે પાણીની સાથે જ છે, છતાં જુદો છે! સાંસારિક કે સામાજિક દ્રષ્ટિએ પ્રેમ ભલે જુદો, અલગ કે અસ્વીકૃત હોય પરંતુ, હકીકતમાં એકબીજા માટે એ અભિન્ન છે. છેક છેલ્લે મક્તામાં કવિ અપાર આશા, શ્રદ્ધા વ્યક્ત કરે છે કે "જવું જ હોય તો કોણ રોકી શકે તને? હું તો અહીં જ છું, મન થાય ત્યારે મળી જજે!"

ગૂંગળાવી નાખે, અકળાવી મૂકે એવા પ્રેમ કરતાં એકબીજાનાં હ્રદયમાં સદૈવ તાજો અને જીવંત રહે એવા ઉષ્માભર્યા સંબંધની વાતને અહીં પુષ્ટિ મળે છે. અશક્યતાઓને કવિ સગવડ કરી આપે છે. એક ખુમારી પણ છે અહીં કે, હાથ છોડાવીને ભલે જાઓ પણ હ્રદયમાંથી નીકળી શકો તો માનું! ફિઝિકલ ડિસ્ટન્સ પ્રેમીઓને થોડાક સમય માટે અનુભવાય પરંતુ, એ સમયગાળો નીકળી જાય પછી સ્વસ્થ, નીતર્યો પ્રેમ જ બચે છે, જેમાં કોઈ શરત નથી, કોઈ બંધન નથી.

જવાહરભાઈની આ પ્રિય ગઝલો સંગીતબદ્ધ કરવા સંગીત શિલ્પી પણ યોગ્ય હોવો જોઇએ. નિનુ મઝુમદાર આવા જ એક શિલ્પી હતા.

"નિનુભાઈએ ગઝલો સ્વરબદ્ધ કરતી વખતે મને પૂછ્યું કે આ ગઝલ સંપૂટનો કોન્સેપ્ટ શું છે? ત્યારે મેં એમને આ તમામ ગઝલોના ભાવજગતના મૂળમાં પૅથોસ હોવાનું જણાવ્યું હતું. એ પછી બધી ગઝલો એમણે અદ્ભુત રીતે કમ્પોઝ કરી. ઠુમરી અંગના મુખ્ય દસ રાગમાંથી અમારે ચાર રાગ લેવાના હતા.'બરફનો પહાડ' માટે મેં એમને ભૈરવી રાગ સૂચવ્યો અને એમણે સુંદર રીતે આ ગઝલ સ્વરબદ્ધ કરી. પહેલા શેરની બીજી પંક્તિ, હું ક્યાં કહું છું મારામાં ઓગળી જાજે…ના ભાવને કૌમુદી મુનશીએ આબાદ ઝીલ્યા છે. આ પ્રકારની ઠુમરીને શાસ્ત્રીય ભાષામાં બોલ બનાવની ઠુમરી કહે છે. કૌમુદીબહેનની ગાયકીમાં કહન હોવાથી એ ભાવ સરસ રીતે અભિવ્યક્ત થયો છે." એમ કહે છે જવાહર બક્ષી.

1986માં પ્રસિદ્ધ થયેલા આલબમ 'તારા શહેરમાં'માં પણ જવાહર બક્ષીની ઉત્તમ ગઝલો સમાવિષ્ટ છે જેનું સંગીત નિયોજન પુરુષોત્તમ ઉપાધ્યાયે કર્યું છે. 'તારો વિયોગ' 1984માં રેકોર્ડ થઈ અને 1986માં રીલિઝ થઈ. આશિત-આલાપ દેસાઈ દ્વારા સ્વરબદ્ધ થયેલું આલબમ 'ગઝલ રૂહાની' 2013માં રીલિઝ થયું. આ પ્રસંગે યોજાયેલી મોટી કોન્સર્ટમાં બક્ષીનાં ત્રણેય આલબમનાં ગીતો જાણીતા કલાકારોએ રજૂ કર્યાં હતાં તથા રસદર્શન જવાહર બક્ષીએ પોતે કરાવ્યું હતું. એ વખતે 'તારા શહેરમાં' આલબમને ગોલ્ડ ડિસ્ક મળી હતી. 'તારો વિયોગ'ને હેરિટેજ સ્ટેટસ મળ્યું હતું. 'નાદશ્રી-નવરસ'ના નેજા હેઠળ જવાહર બક્ષી તથા આશિત દેસાઇએ 'નરસિંહ' અને 'મીરાં'ના અદ્વિતીય કૅસેટ્સ-સીડી બહાર પાડ્યાં છે. ગુજરાતી ગઝલ ક્ષેત્રે ગિરનારી સાવજ જેવું સ્થાન ધરાવતા તથા અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર જૂનાગઢના જવાહર બક્ષીની કેટલી ય ગઝલો એક એક જુદા લેખ માગી લે એવી સક્ષમ છે. કૌમુદી મુનશીએ આ ઉત્તમ ગઝલો વિશે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, "ઠુમરી-ગઝલ પ્રકાર મને ખૂબ પ્રિય છે. જવાહર બક્ષીની ગહન અર્થચ્છાયા ધરાવતી ગઝલ ગાવાની મને બહુ મજા આવી હતી. નિનુ મઝુમદાર પણ દરેક બારીકીઓ સમજાવીને રિયાઝ કરાવતા હતા. ગુજરાતીઓ ગર્વ લઈ શકે એવું આ આલબમ છે."

પોતાને નરસિંહ મહેતાના વંશજ તરીકે ગૌરવભેર ઓળખાવતા જવાહર બક્ષી પાસે નરસિંહ, મીરાં ઉપરાંત ગુજરાતી કવિતા-ગઝલનું ઊંડું જ્ઞાન છે, આધ્યાત્મિકતા ભારોભાર છે. એટલે જ એમની તમામ ગઝલ ભાવકના હ્રદયને સ્પર્શી જાય છે. 'તારો વિયોગ' સાંભળવાની તક મળે તો જરૂર સાંભળજો.

****

બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે,
હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે.

જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે,
તો આવ હોઠ સુધી … શબ્દ થઈ ઊડી જાજે.

હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતો ય નથી,
હું ગૂંગળાઉં નહીં એ રીતે વહી જાજે.

તૂટું તૂટું થઈ રહી છે સંબંધની ભેખડ,
જવું જ હોય તો હમણાં જ નીકળી જાજે.

જવું જ હોય તો રોકી શકે છે કોણ તને?
હું તો અહીં જ હઈશ, આવ તો મળી જાજે

ગઝલકાર : જવાહર બક્ષી   • સંગીતકાર : નિનુ મઝુમદાર  •  ગાયિકા : કૌમુદી મુનશી

————————–

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 સપ્ટેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=577224

Loading

...102030...2,6942,6952,6962,697...2,7002,7102,720...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved