Opinion Magazine
Number of visits: 9576616
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે’ પસ્તીમાંથી મળી આવ્યા ગીતકાર સાહિર લુધિયાનવીના કિંમતી દસ્તાવેજ

નિલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|11 September 2019

હાલમાં જ એવા સમાચાર મળ્યા કે દેશના જાણીતા ગીતકાર, કવિ અને લેખક એવા સાહિર લુધિયાન્‌વીનાં કિંમતી પત્રો, ડાયરી અને કેટલાંક ફોટોગ્રાફ્સ મુંબઈના એક કબાડીવાળાના ત્યાં ભંગારમાંથી મળી આવ્યાં છે. ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના સ્થાપક શિવેન્દ્ર ડુંગરપુરે ટ્વિટ કરીને આ વાત જણાવી. સાહિર લુધિયાન્‌વીના આ અમૂલ્ય 'ખજાના'ને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશને કબાડીવાળા પાસેથી માત્ર રૂપિયા 3 હજારમાં ખરીદ્યો અને હવે તેની યોગ્ય જાળવણી કરવામાં આવશે. ભંગારમાંથી મળી આવેલી સાહિર લુધિયાન્‌વીની આ કિંમતી ચીજવસ્તુઓમાં તેમની રોજનીશીનો સમાવેશ થાય છે કે જેમાં તેઓ ક્યાં ગીત રેકોર્ડિંગ કરવા માટે જવાનું છે અને દરરોજના કાર્યક્રમની વિગતો નોંધતા હતા. આ સિવાય સાહિર લુધિયાન્‌વીની નઝમ, નોટ અને કેટલાંક ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યાં છે. આ સિવાય અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં લખેલા સાહિર લુધિયાન્‌વીના પત્રો પણ આ પસ્તીમાંથી મળી આવ્યા. ફિલ્મ અને સાહિત્ય સાથે જોડાયેલા લોકો માટે આ ખૂબ જ દુ:ખદ સમાચાર કહેવાય કે પ્રસિદ્ધ કવિ અને ગીતકાર સાહિર લુધિયાન્‌વીના અમૂલ્ય વારસાની આવી ખરાબ હાલત જોવા મળી. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ગીતકાર સાહિર લુધિયાન્‌વીનો બોલિવૂડમાં એક સમયે એવો ડંકો વાગતો હતો કે ફિલ્મના પોસ્ટરમાં ગીતકાર તરીકે ખાસ તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. ફિલ્મનાં ગીત લખવા માટે તેઓ સંગીતકાર કરતાં પણ વધુ પૈસા લેતા હતા.

સાહિર લુધિયાન્‌વી (8 March 1921 – 25 October 1980) ભારતીય સિનેમાના જાણીતા ગીતકાર અને કવિ હતા. ગુરુદત્તની ફિલ્મ 'પ્યાસા', 'નયા દોર', 'ફિર સુભહ હોગી', 'ધૂલ કા ફૂલ', 'બરસાત કી રાત', 'કભી કભી', 'તાજમહલ', 'સાધના' અને 'હમ દોનો' જેવી જેવી અનેક બોલિવૂડ ફિલ્મોમાં અમર ગીતોની રચના કરનાર ગીતકાર સાહિર લુધિયાન્‌વી એક પ્રખ્યાત શખ્સિયત હતા. અબ્દુલ હાયી ગુજ્જરના નામે જન્મેલા ગીતકાર સાહિર લુધિયાનવી માત્ર 24 વર્ષની ઉંમરમાં જ લાહોરમાં મશહૂર થઈ ગયા હતા, કારણ કે તે સમયે તેમનું પુસ્તક 'તલ્ખિયાં (કડવાશ)' બજારમાં આવી ગયું હતું. તેઓ ઉર્દૂ સમાચારપત્ર 'અદબે-લતીફ', 'શાહકાર' અને 'સવેરા'ના સંપાદક બની ચૂક્યા હતા. બાદમાં તેઓ હિન્દુસ્તાન આવ્યા અને 'પ્રોગ્રેસિવ રાઈટર્સ એસોસિયેશન'માં જોડાયા. 1950-60ના આ દાયકામાં ડાબેરી વિચારધારાથી પ્રભાવિત એવા સાહિર લુધિયાન્‌વી પર કવિ ફૈઝ અહમદ ફૈઝ અને મજાજનો ખાસ્સો પ્રભાવ પડ્યો. ધનિક પરિવાર સાથે સંબંધ ધરાવતા સાહિર લુધિયાન્‌વી ખાણીપીણી અને મહેફિલોના શોખીન હતા, હંમેશાં મિત્રોથી ઘેરાયેલા રહેતા સાહિરે મિત્રો પાછળ ખૂબ પૈસા ઉડાવ્યા હતા. તેમના ઘરે આખી રાત જલસા ચાલતા અને તેમાં દેશના જાણીતા કવિઓ, ગીતકાર અને લેખકો હાજરી આપતા. લોકો તેમના વખાણ કરે તે સાહિરને ખૂબ જ પસંદ હતું અને અન્ય શાયરની તેઓ મજાક પણ ઉડાવતા હતા.

જાણીતાં લેખિકા અમૃતા પ્રીતમ પણ સાહિર લુધિયાન્‌વીના પ્રેમમાં પાગલ હતાં. અમૃતા પ્રીતમે તેમની આત્મકથા 'રસીદી ટિકિટ'માં સાહિર લુધિયાન્‌વીનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે તેઓ કલાકો સુધી બેસી રહેતા, કશું બોલતા નહીં અને માત્ર સિગારેટ ફૂંક્યા કરતા. તે જતા રહે પછી હું (અમૃતા પ્રીતમ) તેમની પીધેલી સિગારેટના ટુકડા સંભાળતી અને એકલામાં પીતી કે જેમાં મને સાહિરના હાથ અને હોઠનો અહેસાસ થતો હતો. અમૃતા પ્રીતમે સાહિર લુધિયાન્‌વીની ઘણી રાહ જોઈ પણ તેઓ આવ્યા નહીં. સાહિર લુધિયાન્‌વી આજીવન અપરિણત રહ્યા. જ્યારે બોલિવૂડ ફિલ્મોમાં સાહિર લુધિયાન્‌વીનો પ્રવેશ થયો ત્યારે તેમણે પોતાની શરતો મુજબ ગીતો લખવાનો આગ્રહ રાખ્યો. આ કારણે શરૂઆતમાં તેમણે ઘણી ફિલ્મો હાથમાંથી જવા દીધી, તેમ છતાં પોતાના નિર્ણય પર અડગ રહ્યા. આખરે વર્ષ 1951માં આવેલી ફિલ્મ 'નૌજવાન'માં સાહિરને ગીતો લખવા માટેનો પ્રથમ બ્રેક મળ્યો. આ ફિલ્મનાં ગીતો હિટ રહ્યા અને તેઓ સફળતાની ગેરંટી બની ગયા. બાદમાં વર્ષ 1975 સુધીનો બોલિવૂડનો સમય સાહિરનાં લખેલા ગીતોથી ગૂંજી ઊઠ્યો. સાહિર લુધિયાન્‌વીનો ફિલ્મો પર એવો પ્રભાવ હતો કે તેઓ માત્ર તેમના પસંદગીના સંગીતકાર સાથે જ કામ કરવાનું પસંદ કરતા હતા.

બોલિવૂડનો એક જાણીતો કિસ્સો એવો છે કે રશિયન નવલકથાકાર ફ્યોદર દોસ્તોએવસ્કીની નવલકથા 'ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ' આધારિત અને રાજ કપૂર સ્ટારર ફિલ્મ 'ફિર સુભહ હોગી'માં ગીતકાર તરીકે સાહિર લુધિયાન્‌વીને પસંદ કરવામાં આવ્યા કારણ કે આ ફિલ્મના કેન્દ્રમાં સમાજવાદ હતો. જ્યારે આ ફિલ્મમાં સંગીતકાર પસંદ કરવાની વાત આવી ત્યારે લોકોને એવું લાગતું હતું કે આ ફિલ્મનું સંગીત શંકર-જયકિશન આપશે કારણ કે રાજ કપૂરની મોટાભાગની ફિલ્મોમાં તેઓ સંગીત આપી ચૂક્યા હતા. પરંતુ, સંગીતકાર શંકર-જયકિશનની કોઈ રાજનૈતિક વિચારધારા નહોતી. માટે, ગીતકાર સાહિર લુધિયાન્‌વીએ કહ્યું કે આ ફિલ્મનું સંગીત શંકર-જયકિશને નહીં પણ કોઈ અન્ય સંગીતકારે આપવું જોઈએ. ત્યારબાદ ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના ડિરેક્ટર રમેશ સાઈગલે નક્કી કર્યું કે ગીતકાર સાહિર લુધિયાન્‌વી, રાજ કપૂર અને સંગીતકાર ખય્યામની મુલાકાત કરાવવામાં આવે. તેઓ રાજ કપૂરના ઘરે ભેગા થયા અને રાજ કપૂરે ખય્યામને લતા મંગેશકર દ્વારા ગિફ્ટ કરાયેલો તાનપુરો આપતા કહ્યું કે કશું સંભળાવો. તે દરમિયાન બપોરનો સમય હતો, ખય્યામે રાગ પૂરિયા ધનાશ્રી સંભળાવ્યો. રાજ કપૂરે ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના ટાઈટલ પર ધૂન બનાવવાનું કહ્યું અને ખય્યામે ટાઈટલ સહિત કુલ પાંચ ધૂન તૈયાર કરી. આ રીતે ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના સંગીતકાર તરીકે ખય્યામની પસંદગી કરવામાં આવી. સાહિર લુધિયાન્‌વીએ લખેલાં ફિલ્મ 'ફિર સુભહ હોગી'નાં બધાં ગીતો સુપરહિટ થયાં. અન્ય એક કિસ્સામાં ફિલ્મમેકર યશ ચોપરા તેમની ફિલ્મ 'કભી કભી' માટે સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલને લેવા માગતા હતા પણ સાહિર લુધિયાન્‌વીના કહેવાથી આ ફિલ્મના સંગીતકાર તરીકે ખય્યામની પસંદગી કરવામાં આવી.

સાહિર લુધિયાન્‌વીનો બોલિવૂડમાં ગીતકાર તરીકે પ્રવેશ થયો તે પહેલાં રેડિયો પર જે ગીતો વાગતાં હતાં તેમાં માત્ર ગીતના ગાયક અને સંગીતકારનું નામ લેવામાં આવતું હતું. પરંતુ, સાહિર લુધિયાનવીના આવ્યા બાદ રેડિયોનાં ગીતમાં ગીતકારના નામને સ્થાન મળ્યું. આ કારણે ગીતકારોને પણ મ્યુઝિક કંપનીની રૉયલ્ટીમાં હક મળ્યો. સાહિર લુધિયાનવી જે ફિલ્મ માટે ગીતો લખતા હતા તે ફિલ્મના સંગીતકાર કરતાં એક રૂપિયા વધારે મહેનતાણું લેતા હતા. સાહિર એવો આગ્રહ રાખતા હતા કે પહેલાં હું ગીત લખી આપીશ અને બાદમાં તે આધારિત સંગીતકાર તેની ધૂન તૈયાર કરશે.

તારીખ 25 ઓક્ટોબર, 1980ના દિવસે સાહિર લુધિયાન્‌વીનું માત્ર 59 વર્ષની ઉંમરમાં હાર્ટ-અટેકના કારણે મુંબઈમાં નિધન થયું. સાહિર લુધિયાન્‌વીના જીવન પર અત્યાર સુધી અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યાં છે. તેમની નઝમ, ગઝલ, ગીતો અને કવિતાઓને સંકલિત કરતાં પુસ્તકો પણ બજારમાં ઉપલબ્ધ છે. જે પૈકી વર્ષ 2016માં પ્રકાશિત થયેલા પુસ્તક (સંપાદન – આશા પ્રભાત) 'સાહિર સમગ્ર'માં તેમની સંપૂર્ણ રચનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાહિર લુધિયાન્‌વીના યાદગાર ગીતોમાં ફિલ્મ 'હમ દોનો'નું 'મેં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા', ફિલ્મ 'કભી કભી'નું મેં 'પલ દો પલ કા શાયર હું', ફિલ્મ 'પ્યાસા'ના 'યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે' અને 'જાને વો કેસે લોગ', ફિલ્મ 'ધૂલ કા ફૂલ'નું 'તું હિન્દુ બનેગા ના મુસલમાન બનેગા', અને ફિલ્મ 'ફિર સુભહ હોગી'ના હિટ ગીતોનો સમાવેશ થાય છે.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

સોશ્યલ મીડિયા દલા તરવાડીની વાડી છે. જાણે, ભગાભાઇની આઇપીઍલ

સુમન શાહ|Opinion - Literature|10 September 2019

ભ્રષ્ટ ભાષા પ્રયોજનારાઓમાંના કોઇનાય પેટનું પાણી નથી હાલતું

આજકાલ મને બે પ્રશ્નો ખાસ સતાવે છે : ગુજરાતી ભાષામાં લખાતાં લેખનના શા હાલ છે? ગુજરાતી સાહિત્યમાં ખરા અર્થમાં વિકસેલું વિવેચન છે ખરું?

સર્વસામાન્યપણે, ગુજરાતી ભાષામાં લખાતાં લેખનના હાલ બૂરા છે. મારા મિત્રો વજેસિંહ પારગી અને બાબુ સુથાર સોશ્યલ મીડિયા દ્વારા લગભગ રોજ આપણને ભાષાદોષનાં સદૃષ્ટાન્ત દર્શન કરાવે છે અને એમ પોતાની દાઝ વ્યક્ત કરે છે. સમદુખિયા મિત્રો એમની વાતમાં જરૂર સૂર પુરાવે છે. પણ ભ્રષ્ટ ભાષા પ્રયોજનારાઓમાંના કોઇના ય પેટનું પાણી નથી હાલતું.

કેટલાક સમાચારદાતાઓ અશુદ્ધ ગુજરાતી બેફામ બોલે છે. એવા તો વરવા ઢંગમાં વાક્યોને મચડે છે કે શિક્ષિત શ્રોતાને ચીડ ચડે. સમાચારોના હિન્દી / અંગ્રેજીમાંથી કરેલા અનુવાદોથી એક ઑર તકલીફ ઉમેરાય છે. અનુવાદનું ગુજરાતી અ-સહ્ય થઇ પડે છે. એથી ભાષાની સહજતા ઠેર ઠેર ઘવાઈ હોય છે. બહુ નુક્સાન પ્હૉંચે છે.

દોષકારકોમાં સોશ્યલ મીડિયાના કેટલાક બ્લૉગર્સ પણ છે. બ્લૉગ-લેખનોમાં ભારોભારની બેપરવાઇ હોય છે. સોશ્યલ મીડિયા, જાણે દલા તરવાડીની વાડી. જાણે ભગાભાઇની આઇપીઍલ. એમાં 'વાઈડ બૉલ' હોય કે 'નો બૉલ' હોય, સામાવાળો ઊંધું ઘાલીને ફટકારે છે. ઘણાને લાગે કે પેલાએ 'ચૉગ્ગો' માર્યો. કેટલાકને 'છગ્ગો' પણ લાગે. એમાં કોઇ ખેલાડી કદી 'આઉટ' નથી થતો. બધાંને આઉટ સમજાયો હોય, પણ એ તો કદ્દીયે સ્વીકારતો નથી. એમાં કોઇ 'અમ્પાયર' નથી હોતો, ન તો સ્ટમ્પ્સ પાછળ બૉલર્સ-એન્ડ પર કે ન તો સ્કૅવેર-લેગમાં. આન્તરરાષ્ટ્રીય મૅચમાં તો સાઇડલાઇનોએ ત્રીજો અમ્પાયર પણ હોય છે, વળી ત્યાં રૅફરી પણ હોય છે. સમજો, સોશ્યલ મીડિયા ન-ધણિયાતું ખેતર છે. બુદ્ધિને બહુ ચોળ્યા વિના એ બ્લૉગર્સને માફ કરવાની ટેવ પાડવી સારી …

સામયિકો સાહિત્યનાં, પણ ત્યાં ય ભાષાની દુર્દશા છે. હું માનું છું કે તન્ત્રીઓ લેખનોની પસંદગી લેખક-નામ જોઇને કે સમ્બન્ધવિકાસ માટે કરતા હોય, ભલે, પણ કાળજીપૂર્વક કરતા હશે, એટલે કે વાંચીને. પણ ત્યારે એમનાં અનુભવી નયનોને ભાષાદોષ નહીં દીસતા હોય? અરે, તન્ત્રીઓના ખુદના તન્ત્રીલેખો પણ દોષમુક્ત નથી હોતા. સામયિકોમાં દોષદર્શક પત્રચર્ચાઓ થવી જોઈએ. જવલ્લે જ થાય છે. બીજું, આપણી પાસે લિટરેચરના સુસજ્જ રીપોર્ટર્સ નથી. કેટલાકને તો વક્તાનાં સાહિત્યિક કામોની પણ ખબર હોતી નથી. કોઇ કોઇ તો એટલે લગી કહે છે – સાહેબ, તમે જે બોલ્યા તે મને લખાવી દો ! પેલા, કચવાતા મને શું ને કેટલું લખાવે? એટલે, રીપોર્ટ્સમાં ભાષાદોષ ઉપરાન્ત એવી ઉતાવળિયા માહિતી પણ પીરસાય છે. પત્રકારત્વમાં માહિતીદોષ મહા પાપ છે. સાહિત્યસમાજ એ દોષોને નજરઅંદાજ કરે છે અને પ્રજાજનો એને 'બરાબર' સમજીને અનુસરે છે ! યુનિવર્સિટીઓ અને કૉલેજોના વર્ગખણ્ડોમાં પણ સાચું ગુજરાતી નથી પ્રયોજાતું. 'સ' 'શ' અને 'ષ' વચ્ચેના ભેદ નહીં સાચવવાથી માંડીને અનેક પ્રકારનાં ખોટાં ઉચ્ચારણો ચાલે છે. સાહિત્યના કેટલાક અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જૂઠું ગુજરાતી લખતાં કે બોલતાં શરમાતા નથી.

એક વાત આપણે ત્યાં એ ઘર કરી ગઇ છે કે સમાચારનું આયુષ્ય તો ઘડી-બે-ઘડીનું હોય છે. એવી બીજી વાત એ કે લખવા-બોલવામાં ભૂલો તો થાય, પણ એ ભાષાની ભૂલો છે, શું બગડી જવાનું છે… હા પણ, સમાચારોની ભૂલો તેમ જ શું બગડી જવાનું છે-વાળી ભાષાની ભૂલો સામુદાયિક અચેતનમાં – કલેક્ટિવ અન્કૉન્સ્યસમાં – એટલે કે જનજીવનમાં એ-ને-એ સ્વરૂપે પડી રહે છે. ત્યાં એનો ઢગલો થાય છે. એ કલ્ચરલ ડૅબ્રિ છે – સાંસ્કૃતિક કચરો. કમનસીબી એ છે કે એ કોઇને દેખાતો નથી. દેખાય ત્યારે મૉડું થઇ ગયું હોય, ઈલાજ સૂઝે નહીં, નાસીપાસ થઇ જવાય.

સંસ્કૃતિ-વ્યવસ્થામાં આ સૌ જનો ભાષાના પાલક અને રક્ષક મનાયા છે. ભાષા બાબતે પ્રજાએ પણ એમને જ આદર્શ ગણ્યા છે. 'મજા' તો એ છે કે એ રક્ષકો જ વખતે વખતે બૂમો પાડતા હોય છે કે માતૃભાષા મરવા પડી છે ! સંસ્કૃત શબ્દ છે, પ્રજ્ઞાપરાધ. જ્ઞાનનો અપરાધ. અવૉર્ડી કે ઇનામદાર સાહિત્યકારો દોષ આચરે તો એમને એકાદ વાર તો સૌએ કહેવું ઘટે કે – આપશ્રી પ્રજ્ઞાપરાધી છો. જો કે આ દોષકારકોમાંના કોઇને પ્રજ્ઞાપરાધી ગણતાં પહેલાં નક્કી કરવું પડે કે એ પ્રજ્ઞાવાન છે ખરો -? છોડો ! આ ફરિયાદમાં દમ છે પણ એની વાતમાં પ્ર-ગતિને જગ્યા નથી.

ખરા અર્થમાં વિકસેલું વિવેચન આજે આપણે ત્યાં નથી. કેમ નથી તેની શાસ્ત્રીય તપાસ થઇ શકે, પણ અહીં અસ્થાને છે. કેટલાક સંકેતો કરી શકાય. જેમ કે, તન્ત્રીઓ સામયિકની આબરૂ ખાતર પણ અવલોકનો કે ક્યારેક સમીક્ષાઓ પ્રકાશિત કરે છે. વાંધો નહીં. પરન્તુ અવલોકનોમાં કશો ધડો નથી હોતો. કેમ કે એ પુસ્તકો અવલોકનને પાત્ર નથી હોતાં. એ સમય-ધનનો વ્યય છે. ભયાનક હકીકત એ છે કે ગુજરાતી ભાષા-સાહિત્યમાં નક્કર પ્રદાન કરનારા સાહિત્યકારના પુસ્તક વિશે નાનું સરખું અવલોકન પણ ભાગ્યે જ જોવા મળે છે. એવાં પુસ્તકોને 'અઘરાં' ગણી કાઢીને બાજુએ હડસેલાય છે. એક વાર મારે સુરેશ જોષી જોડે વાત નીકળેલી. મેં પૂછેલું : સુરેશભાઇ, તમારા સાહિત્ય વિશે ચોતરફ અઢળક વાતો થાય છે પણ તમારા પુસ્તકોનાં અવલોકનો કેમ નથી આવતાં? : તો કહે, એ બધું રાજકારણ છે. એનો તને પણ અનુભવ મળશે. નથી આવતાં એથી તુષ્ટ રહેવું : હું ચૂપ હતો …

વિવેચનથી શું સમજવાનું? એ કે સરજાતા સાહિત્યના ગુણ-દોષ અવગત થાય. નવાં પુસ્તકોનાં અવલોકન થાય. સાહિત્યરસિકો અવલોકન વાંચીને વાંચવા જાય. સિદ્ધાન્તોની ચર્ચાઓ થાય. ચર્ચા કલામીમાંસા લગી વિકસે. એ માટે વિશ્વભરના સાહિત્યિક પરિદૃશ્યથી સૌ અવગત થતા રહેતા હોય. એથી દૃષ્ટિવિકાસ થાય, સૂઝબૂઝ વિકસે. પ્રાદેશિક ભાષા-સાહિત્યના વિકાસનું સૂત્ર સંસ્થાઓના પદાધિકારીઓ અને સામયિકોના તન્ત્રીઓને હસ્તક હોય છે. વિવેચનથી એમ પણ સમજવાનું કે એ પદાધિકારીઓનાં તેમ જ એ તન્ત્રીઓનાં ખુદનાં નવાંજૂનાં પુસ્તકોની સમીક્ષાઓ થાય. કેમ કે ભલે આડકતરી રીતે પણ એથી સંસ્થાકીય પ્રવૃત્તિઓ પાછળના દૃષ્ટિદોરને સમજી શકાય. તન્ત્રીઓનાં તન્ત્રીકાર્ય પાછળની તેમની અંગત સજજ્તાને પ્રમાણી શકાય. આપણે કયા તન્ત્રીને એની કઇ સિદ્ધિના પ્રકાશમાં શ્રદ્ધેય ગણીએ છીએ? કયા પ્રમુખને અધ્યક્ષને ઉપપ્રમુખને મન્ત્રી કે મહામન્ત્રીને તેની કેવીક સાહિત્યસિદ્ધિથી ઓળખીએ છીએ? યાદ કરીને જરા હિસાબ તો મેળવીએ ! વિવેચનથી એમ પણ સમજવાનું છે કે નીવડેલા સાહિત્યકારોનાં પુનર્મૂલ્યાંકન થાય. એમના આયુષ્યકાળ દરમ્યાન થાય તો એમને જીવનના સારાસાર જાણવાનો લાભ મળે.

આવી ચોપાસની સમૃદ્ધ ભૂમિકાએ સામ્પ્રતનું ચિત્ર ચોખ્ખું થયા કરે તો સમજાય કે આપણે ખરેખર ક્યાં છીએ. આ બધા વિષમ સંજોગોમાં તન્ત્રીઓએ જહેમત ઉઠાવીને પણ આ કામો પોતે કરવાં જોઇએ. દૈનિક છાપાનો તન્ત્રી દેશ આખામાં જે બની રહ્યું હોય છે તેની નિરન્તર ટીકાટિપ્પણીઓ કરતો હોય છે. એ તન્ત્રીધર્મ છે. સાહિત્યિક સામયિકોના તન્ત્રીઓ એ ધર્મથી શી રીતે વિમુખ હોઇ શકે? તન્ત્રી, મળ્યું તે છાપનારો મુદ્રક થોડો છે?

આ કશો અમસ્તો બળાપો નથી. લેખન અને વિવેચનના આ બન્ને પ્રશ્નો સળગતા છે. ચેતીશું નહીં તો નજીકના ભવિષ્યમાં ભાષા-સાહિત્યનાં સતને બાળી મૂકશે. ઈચ્છું કે એની ઝાળ સૌ સંવેદનશીલોને અડે …

= = =

સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 10 સપ્ટેમ્બર 2019

Loading

ઉદ્ધવ ચરણ ધરું ગોતરડું

પંચમ શુક્લ|Poetry|9 September 2019

હું માનવ મરકટ મગતરડું,
પવનસુત ઢાંકો ઉખરડું.

ચંદ્રમૌલિ દ્યોને ચાંદરડું,
ચલાઈ ગ્યું છે ટાંપાટરડું.

રામનામનું વાવાઝરડું,
બાહરભીતર ખાંડાબરડું.

ચિત્રકૂટને ઘાટ જવું'તું,
વચમાં આવી ગ્યું કોતરડું.

તેલ નીકળે કે ના નીકળે,
તલની જેમ જ ગાજર ભરડું.

પોત પડ્યું મારું લપતરડું,
શ્યામ ધરો કાળું ચીંધરડું.

ગણપતિદાદા વિઘન હરી લ્યો,
ઉદ્ધવ ચરણ ધરું ગોતરડું.

8/9/2019

મરકટ:એક જાતનો વાંદરો, ઊંધમતિયું, અટકચાળું

મગતરડુંઃ ક્ષુલ્લક, મચ્છર

ઉખરડુંઃ ઉઘાડું, બીજાની વાત બહાર પાડવાપણું.

ચંદ્રમૌલિઃ જેમના મુગટમાં ચંદ્ર હોવાની પૌરાણિક માન્યતા છે તેવા મહાદેવ

ટાંપાટરડુંઃ રાંટું, રાંટી ચાલ ચાલનારું

ખાંડાબરડુંઃ જુદા જુદા સ્થળે થોડો ઝાઝો વરસાદ પડયો હોય તેવું, ખંડિત

કોતરડુંઃ નાનું કોતર; નદીના કાંઠા ઉપરનો ઉંડો ખાડો કે બખોલ

લપતરડુંઃ પાતળું થઈ ગયેલું

ચીંધરડુંઃ નાનું ચીંથરું

ગોતરડુંઃ ગોતરજની પૂજા માટે આણેલી માટી અથવા વસ્તુ કે તે લાવવાનો સમારંભ (લગ્નમાં મંગળ તરીકે કરાય છે.

Loading

...102030...2,6912,6922,6932,694...2,7002,7102,720...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved