Opinion Magazine
Number of visits: 9576613
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એન.આર.સી. : છીંડે ચડ્યો તે ચોર!

પંક્તિ જોગ|Opinion - Opinion|14 September 2019

નૅશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ (એન.આર.સી.) છેલ્લા કેટલાક દિવસોથી દેશ માટે ચર્ચાનો વિષય છે, પણ ૧૯ લાખ લોકો, જેમનું નામ છેલ્લા લિસ્ટમાં ન આવ્યું, તેમના માટે તો જાણે તે મૃત્યુનો ઘંટ છે. આસામમાં બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરી અનેક દાયકાઓથી પડતર પડેલો મુદ્દો છે. બહારના લોકોની વધતી જતી સંખ્યા અને પ્રભુત્વ સ્થાનિક લોકો માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. તેમના કહેવા મુજબ તેમનાં કુદરતી સંસાધનો, મર્યાદિત નોકરીની તકો, નાનામોટા ધંધા વગેરેમાં બહારથી આવેલા લોકોએ જોતજોતામાં કબજો જમાવેલ છે. સ્થાનિક મૂળનિવાસી ‘ઓહં’ સમુદાય હવે લઘુમતીમાં છે. તેથી તેમની વર્ષોથી માંગણી રહી છે, કે બહારના લોકોને બહાર કાઢો અને લોકોનો રોષ દિવસે દિવસે વધતો જાય છે.

એન.આર.સી. એટલે, નાગરિકોની નોંધણી કરવા માટેનું એક રજિસ્ટર, અને જેઓ તેમાં તેમની નોંધણી ન કરી શકે તે ‘ભારતનો નાગરિક’ નહીં ગણાય. ભારતના બંધારણમાં નાગરિકત્વની કોઈ વ્યાખ્યા નથી, પણ ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ જે લોકો ભારતમાં પાંચ વર્ષથી રહેતા હતા, તેમણે ભારતના નાગરિક માનવામાં આવ્યા. ૧૯૫૫ના નાગરિક્ત્વ ધારા મુજબ ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ૧ જુલાઈ, ૧૯૮૭ સુધી જે લોકો ભારતમાં જન્મ્યા તેઓ ભારતના નાગરિક છે. ત્યાર બાદ ૧ જુલાઈ, ૧૯૮૭થી ૩ ડિસેમ્બર ૨૦૦૪ સુધી જેઓ ભારતમાં જન્મ્યા અને તેમના એક કોઈ વાલી ભારતીય નાગરિક હોય, તો તેઓને ભારતના નાગરિક ગણવામાં આવશે. વર્ષ ૨૦૦૪ બાદ જેઓનો જન્મ થયેલ છે, તેમનાં બંને વાલીઓ નાગરિક હોય અથવા એક વાલી ભારતના નાગરિક હોય અને બીજા ગેરકાયદેસર રીતે આવેલ ન હોય, તો તેઓને પણ ભારતના નાગરિક માનવામાં આવશે. પણ આસામ માટે આ કટ ઑફ ડેટ ૨૫ માર્ચ, ૧૯૭૧ છે. આસામની પ્રક્રિયા માટે લોકોએ નીચે મુજબનાં ડૉક્મેન્ટ્‌સ રજૂ કરવાનાં હતાં.

• ૧૯૫૧માં NRCમાં નોંધણી

• ૨૪ માર્ચ, ૧૯૭૧ના રોજ અથવા પહેલા મતદાર તરીકેની નોંધણી

• જમીનના દસ્તાવેજો

• નાગરિક હોવાનો દાખલો

• કાયમી રહેવાસીનો દાખલો

• રેફ્‌યુજી તરીકેનો દાખલો

• પાસપોર્ટ

• એલ.આઈ.સી.

• સરકાર દ્વારા અપાયેલ લાઇસન્સ

• સરકારી કર્મચારી હોવાનો દાખલો

• બૅંક એકાઉન્ટ, પોસ્ટ-ઑફિસમાં ઍકાઉન્ટ

• જન્મનું પ્રમાણપત્ર

• બૉર્ડ યુનિવર્સિટી

• કોર્ટનો રેકૉર્ડ

જો ઉપરનાં ડૉક્યુમૅન્ટ્‌ અરજદારના પોતાના ન હોય અને તેમના પરિવાર જનમાંથી કોઈનાં હોય, તો તેમણે વધારાનો નીચે મુજબનો કોઈ પણ ડૉક્યુમૅન્ટ રજૂ કરવાનો રહેશે કે જેથી કરીને તેઓ ઉપરના દસ્તાવેજ ધરાવતી વ્યક્તિ સાથે તેમનો સંબંધ પ્રસ્થાપિત કરી શકે.

• જન્મનો દાખલો

• જમીનનો દસ્તાવેજ

• બૉર્ડ/યુનિવર્સિટીનું પ્રમાણપત્ર

• બૅંક/એલ.આઇ.સી./પોસ્ટ-ઑફિસમાં ખાતું

• લગ્નનો પંચાયતનો દાખલો

• મતદારયાદી

• રાશનકાર્ડ 

આસામમાં જે પ્રક્રિયા ચાલી તેમાં ૩૦ લાખ ઉપરાંત લોકો ઉપર્યુક્ત કોઈ ડૉક્યુમૅન્ટ રજૂ કરી શક્યા નહીં. અને તેઓ ‘ઘૂસણખોરો’ અથવા ગેરકાયદેસર રીતે આવેલ વ્યક્તિઓ ગણાયા.

૮ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ લોકસભાએ નાગરિકત્વધારામાં સુધારો કર્યો કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલ હિન્દુ, શીખ, બુદ્ધ, ક્રિશ્ચિયન, પારસી, જૈન આ લઘુમતી કોમના લોકોને ગેરકાયદેસર રીતે આવેલા તરીકે ગણવામાં નહીં આવે અને તેઓ નાગરિક બની શકે છે.

પરિણામે મુસ્લિમ વગરના બધાને નાગરિક બનવાનો એક મોકો મળ્યો અને લગભગ ૧૯ લાખ ઉપરાંત મુસ્લિમ લોકો ‘બાંગ્લાદેશી’ તરીકે જાહેર કરાયા. આ લોકોમાં ઘણા બિહાર અને પશ્ચિમ બંગાળના’ પણ છે. અને હવે તેમનું ભારતીય તરીકેનું અસ્તિત્વ મટી ગયું. તેમને સાંભળવાની, તેમની વાત રજૂ કરવા માટેની કોઈ તક કે મોકો સરકારે આપ્યો નથી. જે મોકો આપ્યો તે એક ધર્મને બાદ કરીને આપ્યો, એટલે તદ્દન ગેરન્યાયીક છે. હવે આ ૧૯ લાખ લોકો ભારતીય નાગરિક નથી, મતદાર નથી, નોકરી માટે હકદાર નથી. જમીનમિલકત વસાવી શકવાના નથી. તેમના નાગરિક તરીકેના અને કદાચ માનવ તરીકેના પણ કોઈ હક્ક રહ્યા નથી.

ગૃહમંત્રી તેમણે બાંગ્લાદેશ મોકલવાની જાહેરાત કરી ચૂક્યા છે, પણ ભારત સરકારે બાંગ્લાદેશ સરકાર સાથે સત્તાવાર રીતે કોઈ વાતચીત શરૂ કર્યાના કોઈ સમાચાર નથી. પરંતુ ‘ડિટેન્શન કૅમ્પ’ બનાવવા માટેનું કેન્દ્ર સરકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાખો લોકો આવા ડિટેન્શન કૅમ્પોમાં રહેશે. તેમાં નાનાં બાળકો, સગર્ભા મહિલાઓ, કિશોરીઓની સલામતી, અન્ન સુરક્ષાની સ્થિતિ શું હશે. તેની કલ્પના પણ નહીં કરી શકે.

આસામના લોકોને બહારના લોકો માટે ગુસ્સો હતો, છે, પણ તેમાં મુસ્લિમ ધર્મ તરીકે જુદા પાડીને તેમને આવી રીતે ખદેડવાની માંગ ન હતી. સરકારે બહારના લોકો પ્રત્યેની દ્વેષની લાગણીનો ફાયદો ઉઠાવી એક કાંકરે ઘણાં બધાં પક્ષીઓ માર્યાં તેમ કહી શકાય.

પડતર પ્રશ્નનો હલ લાવ્યા, હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સપનાં તરફ ડગલું માંડ્યું અન્ય રાજ્યોમાં રહેતાં મુસ્લિમ સમાજમાં ભયની લાગણી ફેલાવી મુસ્લિમ પ્રત્યેની નફરતની ભાવનાને ખાતર નાખ્યું અને હિન્દુ બહુમતીના દિલમાંથી હાલમાં ચાલતી બેરોજગારી, મોંઘવારી જેવા સળગતા મુદ્દાઓને ભૂંસી નાખ્યા.

સરકાર માટે એન.આર.સી. અને સી.એ.બી. બહુવિધ ફાયદાઓથી ભરપૂર એક યોજના છે, અને આવનારા દિવસોમાં રાજ્યોની ચૂંટણીઓમાં તેનો ઉપયોગ અન્ય રાજ્યોમાં પણ કરાશે. ગુજરાતમાં વિચરતા સમુદાયના ડફેર ઉપરાંત મિયાણાં, સંધિ, જુમ્મા, રાજા જેવા અનેક ધર્મે મુસ્લિમ કોમ છે. વિચરતા અને વિમુક્ત સમુદાયોના લાખો લોકો પાસે ઉપર કહ્યા મુજબનો એક પણ ડૉક્યુમૅન્ટ નથી. તેઓ ગામથી દૂર સરકારી ખરાબાની જમીનમાં અથવા દરિયાકિનારે ઝૂંપડામાં રહે છે. હાલમાં સરકારની આવાસ, રાશન, પેન્શન, આંગણવાડી જેવી પાયાની સેવાઓ, કાર્યક્રમોથી પણ આ લોકો વંચિત છે. તેઓ ક્યાંક મીઠું પકવે છે, ખેતરખેપું કરે છે અથવા દરિયો ખેડે છે. તેઓની પાસે ક્યાંથી જમીનના દસ્તાવેજો, પાસપોર્ટ, લાઇસન્સ હોવાનાં? આધારકાર્ડ અથવા મતદારકાર્ડ પણ માન્ય નથી. અત્યાર સુધી મતદારો બનાવીને તેમનો વોટિંગ માટે ફાયદો પક્ષોએ ઉઠાવ્યો, પણ મતદારકાર્ડ તેમણે નાગરિક્ત્વ આપી શકવાનું નથી.

એન.આર.સી. લાગુ કરવાની આ પ્રક્રિયા અમાનવીય અને ગેરબંધારણીય હોવા છતાં તેની સામે દેશ કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ વિરોધ થયો નહીં. બજાર તરીકે ભારત સાથેના સંબંધો હાલ કોઈ બગાડવા માંગતા નથી. ડિટેન્શન-કૅમ્પમાં લાખો લોકો હોય તો તે પણ કંપનીઓ માટે બજાર છે. તેને ધર્મ, લાગતો નથી, કોઈનું નાગરિકત્વ મટી જાય તેનાથી ફરક પડતો નથી. મૂડી ને જમીનો જોઈએ, સસ્તા મજૂરો જોઈએ, પાણી જોઈએ, જે આજની સરકાર તેમને આપવા તૈયાર છે.

તેવા સંજોગોમાં ભારતના નાગરિકો આ અંગે સરકારને સવાલ કરે તેવી અપેક્ષા છે. તે તેમને ગમશે નહીં. જે બોલશે તે મુસ્લિમોના પક્ષવાળા, એટલે પાકિસ્તાનના મસીહા, એટલે દેશદ્રોહી આવાં સમીકરણો લગાડી અનેક અવાજ દબાવવામાં આવશે. ઘૂસણખોરી એક સમસ્યા છે પણ તેને રોકવા સરકારે અપનાવેલો ઉપાય મુસ્લિમ કોમને ખતમ કરવાનો કારસો છે.      

E-mail : jogpankti@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 06 તેમ જ 05

Loading

વિચરતા વિચારો

સુમન શાહ|Opinion - Opinion|13 September 2019

લૂઝ કનેક્શન શ્રેણી : 5 : ઇચ્છા :

ઈશ્વરને એક વાર થયું કે પોતે એકમાંથી બહુ થાય. આપણે મનુષ્યો અને પ્રાણીઓ એટલે છીએ કે એમને એવી ઇચ્છા: થઇ. એકમાંથી બહુ થવાની એમની ઇચ્છા આપણને વારસામાં મળી છે. આપણે પણ એકમાંથી અનેક થઇ ગયાં છીએ. એ પરમ્પરા ચાલુ છે, ચાલુ રહેવાની છે.

સવાલ એ છે કે ઈશ્વરની કે આપણી ઇચ્છા પાછળ કશોક હેતુ તો હશે ને. ઈશ્વરે આપણને સરજ્યાં ને એનાં સરજેલાં આપણે બીજાંઓને સરજીએ છીએ. હેતુ શો? પ્રયોજન? આશય? મને તો આનન્દદાયી સર્જન સિવાયનો કશો હેતુ દેખાતો નથી. સવાલ એ છે કે ઈશ્વર પોતે કોની ઈચ્છાનું પરિણામ છે. સવાલ એ પણ છે કે એમના હોવાનો હેતુ શો છે. હું નથી જાણતો. કેટલાક મનીષીઓ તો ઊંધું કહે છે, એમ કે ઈશ્વર, માણસની ઇચ્છાનું પરિણામ છે. જે હોય એ … આપણે જે પ્લગ-પિનની વાર્તા માંડી છે, એમાં પાછા જઇએ.

પ્લગ અને પિન બન્નેનું સર્જન એને પ્રોડ્યુસ કરનારી કમ્પનીની ઇચ્છાનું પરિણામ છે. એ પ્રોડક્શન પાછળનો હેતુ સ્પષ્ટ છે : પિને પ્લગ પાસેથી પાવર મેળવવો. પ્લગે પોતાની પાછળની પાવરલાઇન સાથે પિનને જોડી દેવી. બન્નેનાં જીવનના હેતુ આમ સુનિશ્ચિત છે.

પ્લગ હેતુ વીસરીને સુસ્ત ઉદાસીન રહે, પિન દાખલ થઇ હોય છતાં, પ્લગ કશી મચક ન આપે, ઠૂંઠા જેવો પડી રહે, ન ચાલે. પિન પણ હેતુ વીસરીને એકલીઅટૂલી આમતેમ અફળાયા કરે, ન ચાલે. એણે પણ પ્લગ લગી પ્હૉંચીને પ્લગમાં દાખલ થવું જોઇશે. દાખલ થઇ હોય છતાં સરખી ન રહે, ન ચાલે.

સત્ય એ છે કે ઇચ્છા પાછળ હેતુ હોય છે પણ હેતુ પાર પડે એ માટે ઇચ્છા થવી જોઇશે.

પ્લગ કે પિન ઇચ્છા જ ન કરે, તો એ બેમાંથી એકેય પાવરફુલ થઇ શકશે નહીં. નિષ્પ્રાણ થઇ જશે. પોતાનાં કે બીજાંનાં જીવનમાં વીજચમકાર નહીં સરજી શકે. પ્લગ-પિનને એકબીજાંમાં જોડાઈ રહેવાની બલકે એકબીજાંનાં થઈ રહેવાની કાયમ ઈચ્છા થવી જોઇશે. આ સત્ય બચુભાઈ અને બચીબહેને પણ સમજી રાખવાનું છે. કહો કે કોઇપણ મનુષ્યે સમજી રાખવાનું છે. બચુ ઇચ્છતો હોય કે પોતે બચીને ચાહે, તો ચાહી શકશે. બચી ઇચ્છે કે જેમ બચુ પોતાને ચાહે છે એમ પોતે બચુને ચાહે, તો ચાહી શકશે.

વાતનો સાર એ છે કે ઇચ્છા નહીં કરીએ તો કશું થશે નહીં. જીવનનો કોઇપણ હેતુ સરશે નહીં.

જુઓ, ફૂલ ખીલેલું ઝૂમતું હોય, એ કહેતું નથી કે મારાં રૂપરંગ જુઓ, મારી સુગન્ધને માણો. એની ઇચ્છા એના આવિષ્કારમાં એકરૂપ છે. સર્જનહારની ઇચ્છા થકી મનુષ્યોમાં, નર છે, નારી છે. અન્ય જીવોમાં પણ નર છે, માદા છે. જડ છે, તેમ ચેતન સૃષ્ટિ છે. એ દરેક પોતે શું છે અને શા માટે છે એ એમણે નક્કી રાખ્યું છે. તેમછતાં, નર કે નારીએ પોતાના સ્વ રૂપને ઓળખીને પ્રયત્નો તો કરવા જ પડે છે.

ઇચ્છા પ્રયત્નને પ્રેરે છે. ઇચ્છા કરાય પણ પાર પડે પ્રયત્નથી. જુવાનજોધ બચુ વડ નીચે સૂતેલો. ઉપરથી ટેટા પડે, કોઈ કોઈ તો છાતી પર ચૉટી ગયા હોય, પણ જાતે હટાવે નહીં. ઇચ્છા ખરી પણ પ્રયત્ન નહીં. જુવાનડી બચી જાંબુડી નીચે સૂતેલી. ઉપરથી જાંબુડાં પડે પણ જાતે ખાય નહીં. કોઇ આવશે ને ખવડાવશે. ઇચ્છા ખરી પણ પ્રયત્ન નહીં. બચુ બચી બાજુ બાજુમાં જ હતાં. બચુએ બચીને વિનન્તી કરવા જેટલો પ્રયત્ન કર્યો હોત તો એ પુરુષ-વિનન્તીને એણે સ્ત્રીસહજ 'હા' જ પાડી હોત. બચીએ વિનન્તી કરી હોત તો એ સ્ત્રી-વિનન્તીને બચુએ માન આપ્યું જ હોત. સ્ત્રીદાક્ષિણ્ય જેવું એનાથી થઇ શક્યું હોત..

કેટલીયે વાર આપણને ખબર નથી પડતી કે આપણી ઇચ્છા પોતે કેટલી શક્તિશાળી છે. ઈચ્છા કે વિલ કે ડિઝાયર બરાબર, પણ એ પાવર છે, શક્તિ છે. પ્લગને પિન માટે ને પિનને પ્લગ માટે દોડતા કરી દે એવી શક્તિ છે એ. ઇચ્છા માણસની શોધબુદ્ધિને જગાડે છે, ખીલવે છે. પણ મોટા ભાગના લોકો ઈચ્છાને શક્તિ તરીકે વાપરવામાં પાછા પડે છે.

એટલું જ નહીં, ઉંધું, આપણે વગર સમજ્યે ઇચ્છાઓ કર્યા જ કરીએ છીએ. આપણી દરેક પળ ઈચ્છાથી ઓતપ્રોત હોય છે. જાણે આપણે ઇચ્છા નામની માટીનાં પૂતળાં છીએ. પણ આ હકીકતને કારણે જ અનેક મુસીબતો સરજાય છે. એટલા માટે કે ત્યારે આપણે ઇચ઼્છા પાછળના હેતુને અભરાઇએ મેલી દીધો હોય છે. ઘણી વાર આપણે ઇચ્છા પ્રમાણેનું વર્તન કરવામાં પાછા પડ્યા હોઇએ છીએ. ઇચ્છા સજ્જતા સાહસ તત્પરતા માગી લે છે. ઇચ્છાનાં જોખમો ઉઠાવવાં પડે છે. એવી બધી આપણી તૈયારી નથી હોતી. કહે, પ્રેમ કરું છું, પણ કહે, મૅરેજ હમણાં નહીં. કહે, મૅરેજ કરીએ, પણ બાળકો હમણાં નહીં …

મૂછ ફૂટે એ યૌવનનો અંકુર છે. છોકરી રજસ્વલા થાય એ પણ યૌવનનો પ્રારમ્ભ છે. મનુષ્યમાં ત્યારે જાતીયતા અને પ્રેમ એક સાથે જાગે છે. મારે એમ કહેવું છે કે જાતીયતા અને પ્રેમ જુદાં નહીં પણ બન્ને એક જ હોય છે, એકરૂપ હોય છે. એને દરેક લવ્લિ ચીજ સૅક્સી લાગે છે ને દરેક સૅક્સી ચીજ લવ્લિ લાગે છે. ત્યારે ઇચ્છાશક્તિ એની અગ્નિજિહ્વા કાઢીને દસે દિશામાં ભમતી હોય છે. પણ કેટલાક છોકરાઓને તેમ જ કેટલીક છોકરીઓને આ સત્યની ખબર નથી પડતી. ઇચ્છાને ન ઓળખી શકનારાઓ જતે દિવસે ઇચ્છાને મારી નાખે છે. કહે છે : એ મારાથી નહીં થાય : એ કામ મને નહીં ફાવે : લાચારી. પરવશતા. આત્મદયા. જાતનું અવમૂલ્યાંકન. કહો કે, કુદરતદીધી શક્તિઓથી અજાણ રહેવાની હઠ. આવી વ્યક્તિઓ ઉદાસીન અને બરબાદ દીસે છે. એમને કોઇની મદદ ખપતી નથી. કોઇ એમને મદદ કરવા માગતું પણ નથી.

મોટે ભાગે તો એમની આસપાસનાંઓએ એમની એ ઊગતી ઇચ્છાશક્તિને ડામી દીધી હોય છે. જતે દિવસે બને કે એમનાંમાં સૅક્સ્યુઅલ ફ્રિજિડિટી આવી જાય – જાતીય ઉદાસીનતા. જાતીયતા પરત્વે ઉદાસીન યુવતી 'ટાઢી' હોય છે, એને સ્પર્શાદિથી કશું થતું નથી. એવો યુવક 'ઠંડો' હોય છે. એને સ્પર્શની ઇચ્છા થતી જ નથી. દમ્પતીમાંથી કોઇ એક એવું હોય, તો જીવવું ખારું ઉસ થઇ પડે છે. સરવાળે વ્યક્તિ ઇમોશનલ ફ્રિજિડિનો શિકાર બને છે. ન તો એને કોઇનો પ્રેમ સ્પર્શે છે, ન તો કોઇનો તિરસ્કાર. એવી ભાવાત્મક ઉદાસીનતા મારી દૃષ્ટિએ એક જાતનું મૃત્ય જ છે ..

ઈચ્છામતિ નામની માણકીને જીવનમાં પલાણી જાણીએ એ જરૂરી છે. ઈચ્છાના સ્વરૂપને ઓળખીએ એ પણ જરૂરી છે. 'હા' પાડવાની ક્ષણે 'હા' પાડવી , 'ના' પાડવાની ક્ષણે 'ના' પાડવી. પણ છોકરી કે છોકરો એમ કરી શકતાં નથી. એટલે કાં તો રહી જાય છે અથવા તો ફસાઇ જાય છે. એઓએ પોતાની ઈચ્છાને ઓળખવાનો કદી પ્રયત્ન જ નથી કર્યો હોતો. નાનપણમાં મેં અમારા ફળિયા બાજુના મુસલમાનવગામાં જોયું હતું કે ઈમામનો ઘોડો ગાડીએ જોડાવાને તૈયાર થાય જ નહીં. પાટીદારવગામાં એથી અવળું જોયેલું કે પશાભૈની ભૅંશ ડોકું ઊંચું કરીને ભાંભરતી હોય – મને દોહવા માંડો ને … પ્રાણીઓ પોતાની ઈચ્છા કે અનિચ્છા સ્પષ્ટ જણાવી દે છે. ન માનો તો ઘોડો બચકું પણ ભરી શકે છે. ભૅંશ લાત પણ મારી શકે છે.

ઘણું કહી શકાય ઇચ્છા વિશે પણ જેટલું કહીએ એટલું ઓછું પડે. માટે, અલમ્ અતિવિસ્તરેણ ..

= = =

https://www.facebook.com/suman.shah.94/posts/2719638271400402

Loading

પ્રથમ નમું ગિરિજાસુત ગણપતિ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|12 September 2019

હૈયાને દરબાર

પ્રથમ નમુ ગિરિજાસુત ગણપતિ
પ્રાત: સમય ઊઠ કર મૈં ધ્યાઉં
સુમિરત નામ તિહારો તિહારો
એક દંત ગજકર્ણ કહાવે
રિદ્ધિ સિદ્ધિ કે દાતા હોવે
વંદન તુઝ કો હે પરમેશ્વર
પૂરણ કામ હમારો હમારો
સબ દેવો મેં પહેલે પૂજા
મહાદેવ ભી આયે દૂજા
લંબોદર હાથ મેં મોદક
મૂષક પર પધારો પધારો

•  ગીતકાર-સંગીતકાર : આશિત દેસાઈ •  ગાયક કલાકાર : આશિત દેસાઈ-હેમા દેસાઈ

——————–

જગતમાં વિદાય હંમેશાં વસમી જ હોય, ચાહે એ કન્યા વિદાય હોય, મૃત્યુની વિદાય હોય, ઘર- વતન છોડવાની વિદાય હોય કે પછી શાળા-કોલેજની વિદાય વેળા હોય, લાગણીના તાણાવાણા એવી રીતે જોડાયેલા હોય છે કે વિદાય હંમેશાં આપણું હૈયું ભીંજવી જાય. આ બધી સંયોગાત્મક વિદાય છે છતાં આપણે વ્યથિત થઈએ છીએ તો આજે તો આપણા વહાલા દેવ ગણપતિને વિદાય આપવાનો દિવસ છે.

દસ દિવસ ભરપૂર લાડ લડાવ્યા પછી એમને પૂઢચ્યા વર્ષી લવકર યા … કહીને આજે દરિયામાં વહાવી દેવાના છે, ત્યારે વિદાય દિને ગણેશવંદના જ કરી લઈએ ને! હેમંત મટ્ટાણી, સોના-રૂપા નિર્મિત ‘જય ગણેશ’ સિરીઝમાં આશિત-હેમા દેસાઈને કંઠે સાંભળેલી રચના, પ્રથમ નમું ગિરિજાસુત ગણપતિ … મારી પ્રિય ગણેશ સ્તુતિ છે. અત્યંત મધુર રાગ યમન કલ્યાણ પર આધારિત આ વંદનાની મ્યુઝિક અરેન્જમેન્ટ, ગાયન, વાદન ખૂબ સરસ છે. સાંભળીને પવિત્ર વાતાવરણ બંધાઈ જાય. ગુજરાતી અને હિન્દી બન્ને ભાષામાં પ્રચલિત આ સ્તુતિ આશિતભાઈએ પોતે લખી છે.

ભગવાન શ્રીગણેશને બધા દેવી-દેવતાઓમાં અગ્ર ગણી પૂજ્ય માનવામાં આવે છે. ભગવાન ગણેશ બુદ્ધિના દેવતા કહેવાય છે. કોઈ પણ હિંદુ મંદિરમાં તમે દાખલ થાઓ ત્યારે તમને એક બાજુ રિદ્ધિ-સિદ્ધિના દેવ ગણપતિ અને બીજી બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિમાઓ અચૂક જોવા મળે.

દરેક મંગલ કાર્યમાં ગણેશજીને સૌથી પહેલાં પૂજવામાં આવે છે. ભગવાન ગણપતિ જળ તત્ત્વના અધિપતિ છે. એ જ કારણ છે કે અનંતચતુર્દશીના દિવસે ભગવાન ગણપતિની પૂજા-અર્ચના કરી ગણપતિ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે.

ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશચતુર્થીથી સતત દસ દિવસ સુધી મહાભારત કથા ભગવાન શ્રીગણેશને સંભળાવી હતી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવી ને એવી) જ લખી હતી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા, ત્યારે તેમણે પોતાની આંખો બંધ કરી રાખી હતી. તેમને ખબર જ ન પડી કે કથાનો ગણેશજી પર શું પ્રભાવ પડી રહ્યો છે. મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત ૧૦ દિવસ સુધી કથા સાંભળતાં સાંભળતાં ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું. તેમને પુષ્કળ તાવ આવી ગયો હતો. તેથી મહર્ષિ વેદવ્યાસજીએ ગણેશજીને નિકટના કુંડમાં લઈ જઈને ડૂબકી લગાવડાવી જેનાથી તેમના શરીરનું તાપમાન ઓછું થયું.

એવું પણ કહેવાય છે કે ભગવાન ગણપતિ ગણેશચતુર્થીથી અનંતચતુર્દશી સુધી એ જ મૂર્તિમાં સગુણ સાકાર રૂપમાં સ્થાપિત રહે છે. જે મૂર્તિને ગણેશ ઉત્સવ દરમિયાન સ્થાપિત કરવામાં આવે છે.

એવી માન્યતા છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છાપૂર્તિ કરવા ઇચ્છે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. ગણેશ સ્થાપના પછી ૧૦ દિવસ સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંતચતુર્દશીના દિવસે વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે. આ બધી છેવટે તો લોકવાયકા છે, પરંતુ જે રીતે એમને વિસર્જિત કરવામાં આવે છે એ ઘણીવાર બહુ દુ:ખદાયી છે. તાજેતરમાં જ એક વીડિયો જોયો, એમાં સાત દિવસના વિસર્જન પછી ગણપતિની ખંડિત મૂર્તિઓ રસ્તે રઝળતી હતી. કંઈક આવું જ દૃશ્ય આજે સાંજ પછી જોવા મળે તો નવાઈ નહીં! ઉત્સવની ઉમંગભેર ઉજવણી ભલે કરીએ, પણ ઘોંઘાટનું પ્રદૂષણ, જળ પ્રદૂષણ અને ફટાકડા ફોડીને વાયુ પ્રદૂષણ ફેલાવવાનો અધિકાર આપણને ગણપતિ બાપ્પાએ નથી આપ્યો. એમને તો એવી રીતે વિદાય આપવાની કે આવતે વર્ષે ફરીથી એમને આવવાનું મન થાય. ડૉ. સ્મિતા ખંભાતીએ વિસર્જનની સ્તુતિ બહુ સુંદર રચી છે :

જાઓગે જબ દૂર નઝર સે
હૃદય સે જા નહીં પાઓગે
રહ ન સકોગે હમ બિન બાપ્પા
વાપસ લૌટ કે આઓગે
ચૌથ કે દિન જબ ઘર આઓગે
પ્રેમ સે તુમ્હેં સજાયેંગે
જો હમ ખાયેં વો હી ખિલાયેં
અપના તુમ્હેં બનાયેંગે
અપના બન કે રહો જહાં પે
ઉસ ઘર સે કૈસે જાઓગે …
અનંત ચૌદસ કે મંગલ દિન
ઐસી ધૂમ મચાયેંગે
ગુલાલ કી હોલી બરસા કે નાચેંગે
શ્રદ્ધા ભક્તિ દેખ હમારી
જા કે ભી તુમ પછતાઓગે …!

વિદાય એવી આપવાની કે બાપ્પાને ફરી ફરી આવવાનું મન થાય. સોલી કાપડિયાએ થોડાં વર્ષો પૂર્વે ‘ગણેશ ઉત્સવ’ નામે આલ્બમ તૈયાર કર્યું હતું. વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. સ્મિતા ખંભાતી રચિત સુંદર ગણેશ સ્તુતિઓને સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી અને સોલી-નિશાના કંઠે એ આલ્બમ રજૂ થયું હતું. ‘ગણેશ ઉત્સવ’ આલ્બમમાં વિસર્જનનું આ ગીત સોલી કાપડિયાએ ગાયું અને સ્વરબદ્ધ કર્યું છે.

નારાયણ સ્વામીએ ગાયેલી અન્ય એક ગણેશ સ્તુતિ પણ સરસ છે :

સરસ્વતી સ્વર દીજિયે
ગણપતિ દીજિયે જ્ઞાન
બજરંગજી બલ દીજિયે
સદ્ગુરુ દીજિયે સાન
પ્રથમ પહેલાં પૂજા તમારી
મંગળ મૂર્તિવાળા ગજાનન
કોટિવંદન તમને સૂંઢાળા
નમીયે નાથ રૂપાળા
પ્રથમ સમરિયે નામ તમારા
ભાગે વિઘ્ન અમારાં
શુભ શુકનિયે તમને સમરિયે
હે જી દિનદયાળુ દયાવાળા
સંકટ હરણને અધમ ઉધ્ધારણ
ભય ભંજન રખવાળા
સર્વ સફળતા તમ થકી ગણેશા
હે જી સર્વ થકે સરવાળા
અકળ ગતિ છે નાથ તમારી
જય જય નાથ સૂંઢાળા
દુખડા સુમતિ આપો
હે જી ગુણના એકદંત વાળા
જગત ચરાચર ગણપતિ દાતા
હાની હરો હરખાળા
સેવક સમરે ગુણપતિ ગુણને
હે મારા મનમાં કરો અજવાળાં

ગણેશોત્સવ આપણે ત્યાં બહુ મોટો ઉત્સવ છે. વિઘ્નહર્તા ગજાનન ગણેશના ઉત્સવમાં લોકો ભક્તિથી તરબોળ બની ગયા હોય છે. ગણેશચતુર્થીએ લાડુનો પ્રસાદ તો હોય જ. નાનાં બાળકો ગણેશજીને ભરપૂર લાડ લડાવે, આરતી ઊતારે, ફૂલ ચડાવે ને પ્રશસ્તિ ગાન કરે. દસ દિવસ ગણરાયાને લાડ-પ્યાર કર્યા પછી વિસર્જન વખતે વિદાય આપવાનું આકરું લાગે પણ એ જ આપણી રીત અને એ જ આપણી પરંપરા.

દસ દસ દિવસથી ભગવાનની પૂજા-અર્ચના-આરતી સાથે બાપ્પાની વિદાયનો સમય આવી ગયો છે. દસ દિવસથી ગણેશમય બની ગયેલાં ભક્તોને આજનો દિવસ કપરો લાગશે. દરરોજ ઢોલ-નગારા સાથે બાપ્પાની આરતીઓ કરવી, ડીજેના તાલમાં ગણેશ પંડાલ ગજવવા, બાપ્પાના સાંનિધ્યમાં ગરબાનો રંગ જમાવવો વગેરે સાથે ગણેશનો પાવન તહેવાર પૂરો થશે, ગણેશમય માહોલ દૂર થઇ જશે અને નવરાત્રિની તૈયારી પૂરજોશમાં ચાલશે.

નવરાત્રિના આગમનને ગણતરીના દિવસો બાકી છે અને ગણેશોત્સવ સંપન્ન થઈ રહ્યો છે ત્યારે નિનુ મઝુમદાર રચિત ખૂબ વખણાયેલો ચોપાટનો ગરબો યાદ આવે છે જેમાં એમણે માતાજીની સાથે ગજાનન તથા ભગવાન શંકરનું આખું કુટુંબ ચોપાટ રમતું હોય એવી સુંદર કલ્પના છે. જેના શબ્દો છે :

સર્વારંભે પરથમ નમીએ, રિદ્ધિ-સિદ્ધિ સ્વામી ગણપતિ,
સાથે મળીને ચોપાટ ખેલે, ઈશ્વર ને સતી પારવતી …!

પાસાં પાડે મંગલ રીતે, પહેલો દાવ ગજાનન જીતે
સાવ સોનાની સોગઠી પીળી, બાજીએ નીસરતી રમતી

બીજો દાવ તો રિદ્ધિ સિદ્ધિનો, પૂર્ણ રચાવે ખેલ વિધિનો
ભક્તિનું મહોરું લીલું સદાનું, ઊતરે અંતર આરતી

ત્રીજે ભુવન માતાજી બિરાજે, જય જય નાદે ત્રિભુવન
ચુંદડી રંગી સોગઠી રાતી, ગોળ ઘૂમે ગરબે રમતી

ચોથા પદનું તત્ત્વ વિચારી, રમતને નીલકંઠે ધારી
અનંત ભાસે અગમ રંગે, વિશ્વ રમાડે વિશ્વપતિ …!

એનો અર્થ એ છે કે ભગવાન શંકરે રમતમાં ભાગ લીધો છે પણ એ દાવ રમતા નથી, પરંતુ વિશ્વ આખાને રમાડે છે. કેવી સરસ કલ્પના છે! એ વખતનાં ગરબા ક્વીન વીણા મહેતાએ આ ગરબો નિનુભાઈ પાસે ખાસ લખાવ્યો હતો અને એમના ગરબા ગ્રુપે એ રજૂ કર્યો હતો.

અનંત ચૌદશે આજે વિઘ્નહર્તા ગજાનનને અશ્રુભીની આંખે વિદાય આપી પ્રાર્થના કરીએ કે આખું વર્ષ આપણા સૌને માટે, સમાજ તથા દેશને માટે નિર્વિઘ્ને પસાર થાય. હવે મા અંબેના આગમનને વધાવવા તૈયાર થઈ જઈએ ને?

ગણપતિ બપ્પા મોરયા
પુઢ્ચ્યા વર્ષી લવકર યા!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 સપ્ટેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=577852

Loading

...102030...2,6882,6892,6902,691...2,7002,7102,720...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved