Opinion Magazine
Number of visits: 9576797
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં નારીચેતના અને વંચિત મહિલાઓનો પડકાર

બકુલા ઘાસવાલા|Opinion - Opinion|16 September 2019

ગુજરાતમાં નારી ચેતના અને વંચિત મહિલાઓને પડકાર : લેખિકા – શીરીન મહેતા : પ્રકાશક – સુજાતા શાહ, માનદ્દ મંત્રી, દર્શક ઇતિહાસનિધિ : પ્રથમ આવૃત્તિ – 2019 : પ્રાપ્તિ સ્થાન – રંગદ્વાર પ્રકાશન

નમીએ જ પ્રભુ હું કરું, ધરજો ધ્યાન તમે,
દુઃખ અબળાનું કળજગ વિનવીએ હમે.
જ્ઞાતિ ડૂબી બાળલગ્નમાં, નથી સ્વપ્નસુખ,
નાદાન કંથોને જોઈ મુજ સહિયરો પામે દુઃખ,
નાના નાવલિયા સાથે મળે નહીં કોઈ દિન મન,
વ્યભિચાર બહુ આચરે સોંપી તન,મન, ધન.
જોઈ દુષ્ટ આ રિવાજોને, મન બહુ મૂંઝાય,
કોણ કાપે એ રિવાજોને, જેથી સુખ બહુ થાય.
વેરી માબાપ થાય છે, હણી પુત્રીનું સુખ,
સોંપે કસાઈઘેર પુત્રીને, જેથી અંતે થાય દુઃખ.
નાના નાવલિયાને નિહાળી-નિહાળી ઊઠે મનમાં લ્હાય,
ઝૂરી-ઝૂરી મુજ સહિયરો તાવે નિજ કાય,
હાય, દશા શું આવી બેઠી, અનાવિલ જ્ઞાતિ પરે
દુષ્ટ રિવાજો જ્ઞાતિના, શું થશે નાશ ખરે?

(‘બાળલગ્ન અબળાનું દુઃખ’, ૨।૧૧।૧૮૯૬ઃ અંકઃ ૨, પાનું : ૧૮૩) ‘અનાવિલ હિતેચ્છુ'ના અંકમાં તારા દેસાઈએ લખેલી આ કવિતા મને શીરીન મહેતાના પુસ્તકમાં સાંપડી. આમ તો આ પુસ્તકમાં ઠેરઠેર સ્ત્રીઓ અને પુરુષો રચિત કાવ્યો અને અવતરણો છે, જે સામ્પ્રત વાસ્તવિકતા પર વેધક પ્રકાશ પાડે છે.

૧૮૯૬થી ૨૦૧૯ સુધીનાં ૧૨૩ વર્ષમાં, ઉપલી જ્ઞાતિમાં બાળલગ્ન પ્રથા રહી નથી, બાળવિધવા અને અનૌરસ સંતાનો કે તેમના પ્રશ્નોનો ઉકેલ આવી ગયો છે. અનાથાશ્રમોની જગ્યા આશ્રમશાળાઓ, બાળકો માટેની હૉસ્ટેલ વગેરેએ લઈ લીધી છે. દેશ આઝાદ થઈ ગયો અને આજનો નારો છે, ‘મેરા દેશ બદલ રહા હૈ’. નારીગૃહો હજી છે, બાળલગ્ન પ્રતિબંધક ખાતું હજી જિલ્લે-જિલ્લે છે! ગર્ભપાતનો છોછ નથી એટલે અનાથાશ્રમોની જરૂર નથી. છતાં હજી ‘બેટી બચાવો અને બેટી પઢાવો’, ‘કન્યાકેળવણી, રથ’ અને ‘કુંવરબાઈનું મામેરું’ જેવી યોજનાઓની જરૂર છે. આવી અનેક વિરોધાભાસી પરિસ્થિતિની કડવી વાસ્તવિકતાને સમાંતર આધુનિક અને અનુઆધુનિક પ્રવાહો સંદર્ભે શિરીન મહેતા પોતાનાં સાતસો સત્તાવીસ પાનાંના દળદાર પુસ્તકમાં વૈદિક યુગ, મધ્યકાલીન યુગ, બ્રિટિશ યુગ, સ્વતંત્રતા-આંદોલન સાથે ગાંધી યુગ અને વર્તમાન સ્થિતિની સ્ત્રીકેન્દ્રિત સમીક્ષા કરે છે.

તેઓ ઇતિહાસકાર છે. સામાજિક, સાંસ્કૃતિક, સાહિત્યિક, આર્થિક, કાયદાકીય પરિસ્થિતિને એમણે સ્ત્રીઓના વિશાળ વર્ગસમૂહને ધ્યાનમાં રાખી મૂલવી છે. એમની ચર્ચાનું મુખ્ય કેન્દ્ર ગુજરાતનો ઇતિહાસ છે. સમગ્ર પુસ્તક ધ્યાનપૂર્વક વાંચતાં જે છાપ પડે છે, તે એ કે એમણે સ્ત્રીઓના દરજ્જાને, એમના દરેક સમયના પારિવારિક-સામાજિક પ્રદાનને, આઝાદી- આંદોલનને, નારીવાદી કે નારીમુક્તિ-આંદોલનને વૈશ્વિકથી તૃણમૂળ સુધી પ્રમાણવાનો પ્રયત્ન કર્યો  છે. એમણે આદિવાસી, દલિત, સીદી એવા લોકસમૂહ, આર્યવિભાવના, જ્ઞાતિ, લઘુમતીઓનાં વિવિધ પાસાંને આવરી લઈને પણ ચર્ચા કરી છે. ભાગ એકનાં દસ પ્રકરણોમાં ઇતિહાસનું ખોવાયેલું પાનું’ સ્ત્રી’, પ્રાચીન-મધ્યકાલીન કાળમાં સ્ત્રી, બ્રિટિશરાજમાં સ્ત્રી, નવા યુગની સ્ત્રી પાર્વતીકુંવર અને ડાહીગૌરીનાં દૃષ્ટાંત સાથે, ગુજરાતની સ્ત્રીસંસ્થાઓનો ઉદ્‌ભવ-વિકાસ, સ્ત્રી-સામયિકો : નારીચેતનાનો આવિષ્કાર (૧૮૫૦-૧૯૪૭), પરિશિષ્ટઃ પુનઃ વિવાહ, સાહિત્યમાં સ્ત્રીવિભાવના, કચ્છી-ભાટિયા સ્ત્રી સંદર્ભે મહારાજ લાયબલ કેસનું પુનઃ મૂલ્યાંકન, વિધવા- સમસ્યા, ઊકળતા ચરુ સમાન – પરિશિષ્ટ, પ્રથમ નારીવાદી સાહિત્યનું સર્જન – પંડિતા જમનાબાઈનાં લખાણો, ગાંધીયુગ અને નારીચેતના અને પાંચ પરિશિષ્ટમાં મોટીબહેન કાપડિયા, મીઠુંબહેન પીટીટ, લક્ષ્મીબહેન ડોસાણી, પુષ્પાબહેન મહેતા અને વિદ્યાબહેન નીલકંઠનાં જીવનકવન વિષયક આલેખન કર્યું છે. બીજા ભાગનાં અગિયાર પ્રકરણોમાં સર્વહારા – સબલટર્ન અભ્યાસની વૈચારિક ભૂમિકા, સ્વાશ્રયી બહેનોના સ્ત્રી ઇતિહાસની સમીક્ષા, દલિત મહિલાઓમાં ચેતનાનો ઉદય-વિકાસ, કમલાબહેન ગૂર્જર, દર્શનાબહેન મકવાણાના પ્રદાન વિશે, અનસૂયાબહેન સારાભાઈ – મજૂરનેતા, આદિવાસી નારીસમસ્યા – પડકારો, આદિવાસી સાહિત્યમાં વ્યક્ત થતી સામાજિક ચેતના, સીદીઓ : અનુસૂચિત આદિમ જનજાતિ, કચડાયેલી વંચિત મહિલાઓ અને સંસ્થાઓ : સેવા (અમદાવાદ), સહિયર (વડોદરા), અસ્તિત્વ (વલસાડ) વિશે, આધુનિક સ્ત્રી-આંદોલનો અને કાયદો, સમાપન સહિત સામગ્રી વર્ણવિત છે.

એમની ચર્ચામાં મને આંખે ઊડીને વળગી તે બાબત એ છે કે એમણે આઝાદી-આંદોલનમાં સ્ત્રીઓની ભૂમિકાને જે રીતે તપાસી છે, તે સમજવા જેવી છે. ગાંધીજીના આગમન પહેલાં એક વાતાવરણ તૈયાર થવા માંડ્યું હતું. સત્તરમી અને અઢારમી સદીના સુધારાના ભક્તિ-આંદોલનથી લઈ સામાજિક ક્ષેત્રે જે બદલાવ આવી રહ્યા હતા, સાહિત્ય અને લોકકલામાં એની અસર જે રીતે ઝિલાતી હતી, તેનો એક દાખલો તો ઉપરના કાવ્યમાં જ ઉપસ્યો છે. બ્રિટિશરાજમાં સુધારા અને રૂઢિચુસ્તતાનાં બેવડાં વલણો કેવી રીતે સ્ત્રીઓની વાસ્તવિક પરિસ્થિતિ પર અસર કરતાં હતાં, તેની વિશદ છણાવટ એમણે કરી છે. સામે નર્મદ, ધર્મગુરુઓ, ગાંધીજી કે હિંદુ મહાસભાના કે અન્ય ધર્મના મોભીઓનાં વલણોને પણ સ્પષ્ટ કરી આપ્યાં છે. એક રીતે જોઈએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી!

મહારાજ લાયબલ કેસની વિગતો આપી પછી એ કિસ્સામાં સ્ત્રીઓની મનની વાત અને પ્રશ્નો એમણે સ્ત્રીઓની દૃષ્ટિથી ઉઠાવ્યા છે. વિધવા સ્ત્રીઓની સ્થિતિ, કાયદાઓ, સતીપ્રથા, વર અને કન્યાવિક્રય જેવાં સામાજિક દૂષણો સામે સ્ત્રીઓએ જે સંઘર્ષ કર્યો, તેની વાત સુપેરે કરી છે. ‘ગૃહરાજ્ઞી આર્યનારી દેવાંગના’નો પરંપરાગત વિચાર કેવી રીતે સાતત્યમાં રહ્યો, તે તો વારંવાર દર્શાવ્યું છે. તેની સાથે એમ કેમ બનતું રહ્યું, તેનો તર્ક દર્શાવીને સવાલો તો કર્યા જ છે. અનસૂયાબહેન, મૃદુલાબહેન, ચારૂમતીબહેન, પુષ્પાબહેન, જ્યોત્સનાબહેનથી લઈ આજનાં ઇલા ભટ્ટ, ઇલા પાઠક, તૃપ્તિ શાહ, દર્શના મકવાણા અને આ લખનાર (બકુલા) સહિત કાર્યકર્તાઓની પેઢીને એમણે વર્ણવી તો છે, એમનાં કાર્યોની સમીક્ષા પણ કરી છે. કસ્તૂરબાને અક્ષરજ્ઞાન માટે સક્રિય કરનારાં દશેરીબહેનને ભૂલ્યાં નથી. જમનાબહેન સક્કાઈ, બાજીગૌરી, નાનીબહેન, કૃષ્ણાગૌરી રાવલ, જરબાનુ ભરૂચા, શ્રીમતી બદરુદ્દીન લૂકમાની, સૂરજબહેન પટેલ, નર્મદાબહેન ત્રિવેદી, સૂરજબહેન કાપડિયા જેવી બહેનોની પેઢીએ જે શરૂઆત કરેલી એમનો તો એમણે સતત ઉલ્લેખ કર્યો છે. વિદ્યાબહેન, શારદાબહેનની વાત કરતાં પહેલાં એમણે પાર્વતીકુંવર અને એમના પ્રદાનની વાત કરી છે. સ્ત્રી સંસ્થાઓ, સ્ત્રીસામયિકોના સ્થાપકો ઉપરાંત લેખિકાઓ, કવયિત્રીઓએ સમયસમયે જે પ્રદાન કર્યું, તેના વર્ણન સાથે એમના સાંપ્રત સંઘર્ષનો ઉલ્લેખ તો ખરો જ. હરકુંવરબહેન જેવા દાનેશ્વરી સ્ત્રીની વાત તો માનપૂર્વક કરી છે. સુધારાપંથી પુરુષોના નામોલ્લેખો તો હોય જ. નવલરામ, દલપતરામ, કરસનદાસ મૂળજી, નર્મદ, રમણભાઈ નિલકંઠ, સુમંતરાય મહેતા અને અન્ય નામાંકિત પુરુષોના સહકારની વાત પણ અહીં થઈ છે. ૧૮૫૭ થી શરૂ થયેલા સ્ત્રીબોધ, સ્ત્રીમિત્ર (૧૮૬૭), સ્ત્રી-જ્ઞાનદીપક (૧૮૬૭), સ્ત્રી સદ્‌બોધરત્ન (૧૮૮૨), સુંદરીસુબોધ (૧૯૦૩), સ્ત્રી-હિતોપદેશ (૧૯૦૯), વનિતાવિજ્ઞાન (૧૯૦૯), ગુલશન (૧૯૧૩), સરસ્વતી (૧૯૧૫) સુધીનાં સામયિકોમાં સમાવિષ્ટ સ્ત્રીવિષયક મુદ્દાઓ અને એમાં લખનારા વિશે સારો એવો ઉલ્લેખ એમણે કર્યો છે. ગાંધીના આગમન પછી સમાજસુધારા અને સ્ત્રીવિષયક મુદ્દાઓની સમાંતર સ્વતંત્રતાની પ્રાથમિકતા અને સ્ત્રીઓનો સહભાગ કેવી રીતે અગત્યનો બન્યો, એની છણાવટ પણ એમણે સ્પષ્ટ રીતે કરી છે. રુક્માબાઈ, ફૂલમણિથી લઈ વર્તમાનકાળના મથુરા, ગુનતાબહેન, ભંવરીદેવીના કેસની વાત લખી કાયદાકીય બદલાવ છતાં કડવી વાસ્તવિકતાઓનો નિર્દેશ એમણે સમયાનુસાર કર્યો છે.

આ ઐતિહાસિક પરિપાટી સમજીએ છીએ, ત્યારે મારા મનમાં આજની પરિસ્થિતિના સંદર્ભે કેટલાક પ્રશ્નો અવશ્ય ઊઠે છે. આજનાં સ્ત્રીલક્ષી સામયિકો  કયું અને કેવું સાહિત્ય પ્રકાશિત કરે છે સ્ત્રી-સંસ્થાઓનાં સામયિકો જેમ કે ‘અનસૂયા’, ‘નવ્યઉજાસ’, ‘ચિનગારી’, ‘જ્યોતિસંઘ પત્રિકા’ વગેરે સંસ્થાઓ પૂરતાં મર્યાદિત લાગે છતાં એમનું પ્રદાન નોંધવું જોઈએ. ‘નારીમુક્તિ’ જેવું સામયિક એમની નજરબહાર કેમ ગયું તે સવાલ મનમાં થયાં. જો કે એવું પણ બન્યું છે કે ત્રણચાર પત્રિકા જેવાં નારીવાદી સામયિકો શરૂ થયાં ને તરત બંધ પડ્યાં કે ‘સહિયારી ઊર્જા’ જેવાં તો શરૂ જ ન થયાં તે ય સાચું છે!

તો બાકીનાં લોકપ્રિય સ્ત્રીસામયિકોમાં પ્રગટ થતી વાચનસામગ્રીનું મૂલ્યાંકન પણ જરૂરી છે. જાણ્યેઅજાણ્યે પણ “ગૃહલક્ષ્મી આર્યનારી દેવાંગના”ની એકવિધ, પરંપરાગત, બીબાંઢાળ છબી દૃઢ થાય તેવો સિનારિયો છે. સ્ત્રીઓની સમસ્યાઓ તો આજે પણ છે જ, આપણે એકસાથે ત્રણચાર સદીમાં જીવીએ છીએ. વર્ગ, વર્ણ, જાતિ, લિંગભેદ તો છે જ. આઝાદ ભારતમાં સમાન  બંધારણીય અધિકારો પ્રાપ્ત કરનાર સ્ત્રીઓને એ મેળવી આપનાર બાબાસાહેબ આંબેડકર વિશે શીરીનબહેને તટસ્થતાથી પ્રશંસાપૂર્વક લખ્યું છે. મનુસ્મૃતિને જાહેરમાં બાળવાની હિમાયત કરનાર બાબાસહેબને સ્પીકર હનુમંતૈયા અને કૉંગ્રેસ પ્રમુખ પટ્ટાભિ સીતારામૈયા ૧૯૫૧માં બંધારણના ઘડવૈયા તરીકે ‘આધુનિક મનુ’ કહે છે, તે વિરોધાભાસ પણ અહીં દર્શાવ્યો છે. (પાનું : ૫૬૯) આટલા સમાન બંધારણીય હક્કો પછી પણ જે નથી મળી શક્યું, તેની છણાવટ કરતાં એમણે સરકારનાં ધાકરા મંડળોથી લઈ સખીમંડળો સુધીનાં કાર્યકાળમાં વિવિધ યોજનાઓનો ઉલ્લેખ કર્યો છે.

મધ્યમવર્ગની, ઉચ્ચવર્ગની, શિક્ષિત, શહેરી સ્ત્રીઓની સમાંતર જ ગ્રામીણ, અશિક્ષિત, આર્થિક રીતે સંઘર્ષ કરતી, શ્રમજીવી સ્ત્રીઓની સમસ્યાઓમાં કયો અને કેવો ફરક છે, ખરેખર ફરક છે કે કેમ, લોકોમાં તે વિશે કેવા ભ્રામક ખ્યાલ છે, કોણ વધારે સક્ષમ કે અક્ષમ, તેની છણાવટ ખૂબ જ તર્કસંગત દલીલ દાખલા સાથે એમણે કરી છે. આદિવાસી, શ્રમજીવી સ્ત્રીઓ વધારે સ્વતંત્ર કે મુક્ત અને જેમ સ્ત્રી વધારે સલામત તેમ તેના  પર બંધન વધારે એવી ભ્રમણાઓનો એમણે અહીં પર્દાફાશ કર્યો છે. હજી આજે પણ સ્ત્રી-ભ્રૂણહત્યા, બળાત્કાર, સ્ત્રીઓ પર વિવિધ પ્રકારની હિંસા, દહેજપ્રથા જેવાં દૂષણો છે. દ્રૌપદીના સમયખંડથી ચોટલાખત સુધીના સમયપ્રવાહથી આપણે આગળ નીકળી ચૂક્યા હોઈએ તો પણ ગરીબી અને એનાં વિષચક્ર અને પરિણામોનો ઉકેલ લાવી શક્યાં નથી, તેથી અવિરત સંઘર્ષ તો છે જ. ગુજરાતમાં શ્રમજીવી/ મજૂર-આંદોલન અને ગાંધીવિચારના પરિપાકરૂપ મજૂરમહાજન-સંબંધોની ફળદ્રુપ પરિપાટી છતાં પંચાણું ટકા અસંગઠિત ક્ષેત્રે કાર્યરત બહેનો માટે ‘સેવા’ જેવી સંસ્થાની મથામણ આજ પર્યંત યથાવત્‌ છે. અહીં એક વાત ઉમેરવાનું મન થાય છે કે ઇલાબહેન ભટ્ટે ‘શ્રમશક્તિ’નો જે અહેવાલ ગુજરાતીમાં પ્રકાશિત કરેલો, તેનું સંપાદન ડૉ. નીરા દેસાઈએ કરેલું. એ પુસ્તકનાં સંચારમાધ્યમો પ્રકરણનો અનુવાદ મારા ભાગે આવેલો એટલે ઇલાબહેન અને સાથીદારોની એ સમયની મહેનત વિશે મને પૂરો ખ્યાલ છે.

હજી પણ સ્ત્રીઓ માટે એક ડગલું આગળ અને બે પાછળ જેવી સ્થિતિ છે. પોતપોતાનાં ક્ષેત્રમાં આગળ છે, તો ક્યાંક સાથે Malebacklashનો ભોગ પણ બની રહી છે. માનવવિકાસ સૂચક આંકડાઓ પણ હજી પ્રોત્સાહક સ્થિતિ દર્શાવતા નથી. શીરીનબહેન એનો પણ ઉલ્લેખ કરે છે. એમણે દરેક વર્ગની સ્ત્રીઓની કેફિયત, કબૂલાત, અભિવ્યક્તિને આ પુસ્તકમાં સ્થાન આપ્યું છે. તેઓ નીવડેલાં ઇતિહાસકાર છે, એટલે ઝીણવટપૂર્વક નોંધો પણ મૂકી છે. જાતમુલાકાત પણ લીધી છે. પુસ્તક સાતસોથી વધારે પાનાંનું હોવા છતાં હજી વર્તમાન પ્રવાહોના વિશ્લેષણને અવકાશ હતો. રાજકીય સ્તરે નીતિવિષયક મામલે, ખાસ કરીને પંચાયતીરાજમાં સ્ત્રીઓનાં પ્રદાન, સંઘર્ષ અને સિદ્ધિની રસપ્રદ માહિતી આપી શકાત. સીદી-મુસ્લિમ, દલિત, આદિવાસી સ્ત્રીઓની વાતો થઈ છે, છતાં વર્તમાન પરિસ્થિતિમાં એમના સંઘર્ષની વાતો હજી હાંસિયામાં રહી જાય છે. ઓછી વસતી છે, સંપન્ન કોમ હોવા છતાં હાલમાં જ પારસીઓની આંતરજ્ઞાતીય લગ્ન કરતી દીકરીઓના પોતાના જન્મે પારસી હોવાના અધિકાર બાબતે સુપ્રીમ કોર્ટ સુધીના સંઘર્ષની નોંધ લઈ શકાઈ હોત. મૂળ વલસાડની અને હાલ મુંબઈની ગુલરૂખ ગુપ્તાએ લગ્ન પછી પોતાની પારસી ઓળખ માટે કરેલો કેસ હજી આજે પણ સ્ત્રીઓની ઓળખની કટોકટીના મુદ્દા પર બરાબર પ્રકાશ પાડે છે.

શીરીનબહેને સ્ત્રીઓની સામૂહિક ઓળખ – Collective Identityના મુદ્દાની ચર્ચા પુસ્તકમાં સુપેરે કરી છે, આ બાબત ખાસ કરીને તમામ સ્ત્રીઓ એકત્રિત થાઓની ભાવનાને ઉજાગર કરે છે, છતાં મારો અનુભવ એવો છે કે હજી સ્ત્રીઓની સામૂહિક ઓળખ માટે, એમની સમસ્યાઓના ઉકેલ માટેની દડમજલ સરળ નથી. જેમ કે આઝાદી પહેલાં સ્ત્રીઓના દરજ્જાને સ્પર્શતી સામાજિક બાબતે સુધારાનો અવકાશ હતો, તે આઝાદી આંદોલનની પ્રાથમિકતામાં હાંસિયામાં ગયો. સ્ત્રીઓ આંદોલનમાં ઘણી સક્રિય થઈ છતાં નીતિવિષયક બાબતે એમની ભૂમિકા કંઈક અંશે સીમિત પણ રહી ને ફરીથી તેઓ ઘર – પરિવાર – સમાજ અને આર્થિક રીતે પગભર થવાના સંઘર્ષમાં ગૂંચવાતી રહી! વર્ગ, વર્ણજાતિવિષયક સમાનતા બાબતે એવું વલણ જોવા મળે કે પહેલી પ્રાથમિકતા દલિત, આદિવાસી, લઘુમતીના મુખ્ય પ્રવાહમાં સામેલ થવાની, સમાનતા સિદ્ધ કરવાની આવશ્યકતા છે, તે સામૂહિક સંઘર્ષ પતે એટલે સામાજિક, પારિવારિક અંતર્ગત સમાનતાનો પ્રશ્ન ઉકેલાઈ જશે એવું જે-તે વર્ગની સ્ત્રીઓને સમજાવાય છે અને સ્ત્રીઓ તે સ્વીકારે છે !

ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં પુરુષો અને સ્ત્રીઓની જે માનસિકતાનું Conditioning થયું છે અને થઈ રહ્યું છે, તે બધી સ્ત્રીઓ એક રહોની વિભાવનાને કેટલી ન્યાયમૂલક બનાવશે, તે તો સવાલ જ છે! એક બાજુ સ્ત્રીઓની મુક્તિની ઝંખના બળવત્તર બની રહી છે, તો બીજી બાજુ એના પર પાબંદીની સાંકળ પણ મજબૂત બની રહી છે. પરિવાર બચાવવા માટે સ્ત્રીને જવાબદાર બનાવવાની વાતમાં ‘સ્ત્રી બચે તો પરિવાર બચે’ની વિભાવના ભુલાઈ જાય છે, તે રીતે સદ્‌ગુણી સ્ત્રીનો મોટો ગુણ સહનશીલતા હોય છે, એ પરિપાટીમાં રાચતા સમાજમાં આજની સ્ત્રીઓમાં સહનશીલતા ઘટી રહી છે, એટલે પરિવાર તૂટે છે, તેવી ભ્રમણાઓ ફેલાતી રહી છે, તે સ્ત્રીઓનાં દરજ્જા, સ્થાન, સમસ્યાના ઉકેલ માટે બાધક પણ છે. એક બાજુ વૈશ્વિકીકરણ અને બીજી બાજુ સાંસ્કૃતિકીકરણની સમાંતર થતી પ્રક્રિયામાં સ્ત્રીઓનાં અસ્તિત્વ, વ્યક્તિત્વ અને સહઅસ્તિત્વનો મુદ્દો જટિલ બની રહ્યો છે. આજના માહોલમાં આ સવાલોના જવાબો શોધવાની પણ જરૂર વધી રહી છે. આ પુસ્તક છેલ્લી બેત્રણ સદીની સામાજિક ગતિવિધિઓ સમજી એ સવાલોના જવાબ શોધવા માટે માર્ગદર્શક બને એવી આશા. એક મર્યાદા દેખાતી રહી, તે એ કે અમુક મુદ્દા, ઘટના અને વ્યક્તિઓનાં નામોનું પુનરાવર્તન ચાળીને ટાળી શકાયું હોત.

દર્શક ઇતિહાસ નિધિએ આ પુસ્તકને પ્રકાશિત કર્યું છે અને હસમુખભાઈ શાહ, ત્રિદીપ સુહૃદે એને આવકાર્યું છે. હસમુખભાઈના મંતવ્ય સાથે સંમત થવાય એવું છે કે આ પુસ્તકને ગુજરાતની યુનિવર્સિટીઓ પાઠ્યપુસ્તક તરીકે સ્વીકારે. પોતાના નિવૃત્તિકાળમાં સતત કાર્યશીલ રહી આ પ્રકારનાં પુસ્તક માટે નિસબત રાખનાર આદરણીય શીરીનબહેનને વંદન. વર્તમાન પ્રવાહોને લક્ષ્યમાં લઈ આજની સ્ત્રીઓના સર્વસમાવેશક પ્રદાનની નોંધ પણ ઇતિહાસ લેશે, તેવી આશા અસ્થાને નથી, કારણ કે સ્ત્રી ઇતિહાસની એક પરિપાટી બની ચૂકી છે.

e.mail : bakula.ghaswala@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 13-15

છબિ સૌજન્ય : બકુલાબહેન ઘાસવાલા

Loading

નિર્મૂલન અધિનિયમ, ૨૦૪૦

અજિત પિલ્લઈ|Opinion - Opinion|16 September 2019

આ એક ભયંકર અધિનિયમ હતો, તે સંપૂર્ણપણે કાયદેસર હતો, એ એનો ઉત્તમ ભાગ હતો !

આ અધિનિયમ, નિર્મૂલન અધિનિયમ, ૨૦૪૦ તરીકે ઓળખાતો હતો. તેનાથી આખા દેશમાં આતંક વ્યાપી ગયો હતો. પરંતુ દેશનાં ભવ્ય શરાબઘરો અને સમૃદ્ધ ક્લબોમાં પુરુષો અને મહિલાઓ આ નવા કાયદાનું સ્વાગત કરતાં હતાં કે અધિનિયમથી ગરીબીનો પદ્ધતિસરનો અંત આવશે. “જીવવાની યોગ્યતા ધરાવતો ન હોય એવા વર્ગે મરવું જરૂરી છે,” એ એક પ્રખ્યાત સૂત્ર બની રહ્યું હતું. વાજબી સાધનો અથવા ગોરખધંધા દ્વારા નાણું ભેગું કરનારા, જીવતા રહેનારાની ગણતરીમાં આવતા લોકોનો માપદંડ, બૅંકની પાસબુકની સ્થિતિ હોવાથી, તેઓ જીવતા રહેશે, તેવી હૈયાધારણથી તેમનો આત્મવિશ્વાસ દૃઢ બન્યો હતો.

આ નવો નિયમ, નિયોક્તાઓએ અગાઉથી પ્રયોજેલી યોજનાનું કદ ઘટાડવાના ઉપાયોનો તાર્કિક ભાગ હતો. ‘તંત્રમાં તમારું કોઈ પ્રદાન જ ન હોય, તો તમારાથી છુટકારો મેળવવા સિવાય તંત્ર પાસ કોઈ વિકલ્પ જ નથી’ આમ, જણાવીને દિલ્હીસ્થિત એક વર્તમાનપત્રે તેના તંત્રીલેખમાં આ નવા અધિનિયમને વાજબી ઠેરવ્યો હતો. જીવી ગયો તે વર્ગને તંત્રે માફ કર્યો હતો. આહાર અને ઔષધ પરની તમામ આર્થિક સહાય બંધ કરવાથી વસતીમાં મોટો ઘટાડો થયો હતો. કરદાતા નાગરિકોને તેમના આરામદાયક જીવનના અધિકારનો ઇનકાર ન થવો જોઈએ, તે સુનિશ્ચિત કરવા નિર્મૂલનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેવી એક કલમ આ નિયમમાં ઉમેરવામાં આવી હતી.

આ નિયમની જાહેરાત થતાં જ વધુ ગરીબ વિસ્તારોમાં ભયની ચેતવણીઓ ગાજવા લાગી હતી. દા.ત., નિર્મૂલન કરવાના લોકોની સૂચિ તૈયાર કરવાની મોજણી થોડા સમયમાં શરૂ થશે, તેવા સમાચાર ફરી વળ્યા. કરદાતા ન હોય એવા નાગરિકો પ્રથમ ભોગ બનશે. આ જાળમાંથી છટકવાનો એક જ ઉપાય હતો. મહિલા કે પુરુષો, કોઈ પ્રમાણિત કરદાતાના ઘર અથવા ઉદ્યોગનો કામદાર કે ચાકર હોવો જોઈએ.

કરદાતા હોવાનું સદ્‌ભાગ્ય ધરાવતા લોકોનો વર્ગ નવા અભિમાન અને આત્મવિશ્વાસથી અક્કડ થઈને ચાલતો હતો. સર્વોત્તમની ઉત્તરજીવિતાનો ડાર્વિનનો જૂનો ખ્યાલ, સૌથી વધુ શ્રીમંતની ઉત્તરજીવિતાની વ્યાખ્યામાં પરિણમ્યો હતો. વસ્તીનાં બિનઉત્પાદક તત્ત્વોને હવે વધુ સમય સુધી પોષી શકાય નહીં, એવી દલીલ કરવામાં આવતી હતી. પોતાની સંભાળ ન લઈ શકે, એવી વ્યક્તિએ મરવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો.

“પચાસ વર્ષ પહેલાં આપણે એવું વિચારવાની મૂર્ખાઈ કરી હતી કે, બંધ બાંધીએ તે પહેલાં આપણે હાંકી કઢાયેલા લોકોનો પુનર્વસવાટ કરવો જોઈએ. દસ કરોડ લોકોના ભલા માટે પ્રદાનહીન એવા લાખો લોકોને ડુબાડી દેવા જોઈએ, તેનું સમર્થન કરતા લોકોને પ્રતિક્રિયાવાદી તરીકે સ્વીકારીને વિસારી દેવામાં આવતા હતા. પરંતુ આપણને તેમનાં વચનોમાં રહેલા શાણપણની જાણ થઈ રહી છે”. નેટ પરના એક સંકલનકારે ‘જમણેરી આદર્શના નૂતન પ્રવાહ’ તરીકે આ શબ્દો ઉચ્ચાર્યા હતા.

આ યુગના મહાન ચિંતકોએ અકિંચનોને તેમનું ભાવિ સ્વીકારવા અને નિર્મૂલન-કાર્યક્રમ માટે આગળ આવવા વિનંતી કરી હતી. “ઊજળી આવતી કાલ માટે તમારી જાતનો ભોગ આપો.” “હું દુઃખ ભોગવવાને બદલે મૃત્યુને વરવાનું પસંદ કરીશ.” જેવાં સૂત્રો શહેરો અને નગરોમાં મોખરાનાં સ્થળે મોટાં પાટિયાં પર ઊભરાવા લાગ્યાં. કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓનાં જૂથના પ્રતિકાર સામે આધુનિક પ્રૌદ્યોગિકીના લીધે રાજ્ય એવું શક્તિશાળી બન્યું હતું કે તે આવો કાનૂન ઘડવા તત્પર બન્યું. ખૂબ જ હિંસક ટોળાંને ઘણું ગભરુ બનાવી દે એવી અદ્યતન તોફાન-નિયંત્રણ સાધનસામગ્રી મેળવ્યા પછી હડતાળો અને પ્રતિકારો તો સદંતર અદૃશ્ય બની ગયાં હતાં. કરવેરા ન ચૂકવી શકતા લોકોના મતાધિકાર રદ થયા હોવાથી રાજકારણીઓએ આર્થિક રીતે નબળાવર્ગની ચિંતા કરવાનો ઢોંગ છોડી દીધો હતો. હવે એ બધું ૨૦ પહેલાંનો ભૂતકાળ બની ગયો હતો.

ઉચ્ચ વર્ગને આનંદ ભોગવવાનાં હજાર કારણ હતાં. ‘પૃથ્વીના અધમવર્ગ’ તરીકે ઓળખાતા ઘણા લોકોથી મુક્તિ મળી હતી. અહીં એ નોંધવું જોઈએ કે સરકારે હાથ ધરેલી ચળવળ માનવીય ન હતી, પરંતુ આવનાર વર્ષોમાં જીવનની ગુણવત્તા સુધારનારી હતી. આગળ વધવાના દરેક કદમ માટે કોઈએ તો ભોગ આપવો જ પડે, તેનો પુનરોચ્ચાર થતો હતો. ‘જીવી શકે છે’ એવી કક્ષામાં આવતા ભાગ્યશાળી લોકો મૃત્યુનો ભોગ બનવાના ન હતા, તેથી ઘણા ખુશ હતા.

માધવન, દિલ્હીના સોનપત નામના એક પરાની ઝૂંપડપટ્ટીમાં રહેતો હતો. શહેરને બીજે છેડે આવેલા એક કારખાનામાં તે ચોકીદારની નોકરી કરતો હતો. તે નોકરી તેણે તાજેતરમાં જ ગુમાવી હતી. પગાર વિના પણ કામ કરવાની તેની વિનંતી બહેરા કાને અથડાઈ. આવતા વર્ષે મૃત્યુ પામવાનું ભાગ્ય ધરાવતા ‘જીવી શકે નહીં’ની કક્ષામાં માધવન જોડાયો.

તેણે નિર્મૂલન અધિનિયમની વિગતો વાંચી. સદીના અંતે શરૂ થવાની પ્રક્રિયાની તે કેવળ એક પરાકાષ્ઠા હતી. પહેલાં ગરીબીરેખાની નીચેના લોકોને, રાષ્ટ્રના આયોજકે અગ્રતાયાદીમાંથી રદ કર્યા. ત્યાર બાદ પ્રગતિને ઉપલા સ્તરના લોકોના કલ્યાણ માટે એક્સ્પ્રેસ હાઈવે અને નવી પ્રૌદ્યોગિકી પ્રાપ્ત કરવાની બાબત સાથે જોડવામાં આવી. ધીમે ધીમે તમામ પ્રકારની સહાય નિશ્ચિંતપણે બંધ કરવામાં આવી. ‘કરવેરા ન ચૂકવતા લોકો સેવાની પાત્રતા ધરાવતા નથી’, એ એક સિદ્ધાંત બની ગયો હતો. આમ, સરકારી હૉસ્પિટલો બંધ કરવામાં આવી અથવા તો ધંધાદારી ધોરણે ચલાવતાં વિશાળ વાણિજ્યિક નિગમોને સોંપવામાં આવી. જાહેર પરિવહનસેવાઓની પ્રાપ્તિ અદના નાગરિકની ત્રેવડની બહાર હોય એવી બનાવી દેવામાં આવી. બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે વીજળી અને જળસેવાઓ અતિ નફાકારક ઉદ્યોગોનાં ક્ષેત્રો બની.

પરંતુ આ બધો ઇતિહાસ હતો. આ નવો અધિનિયમ, જીવવા અને મરવા અંગેનો એક નૂતન આયામ થઈને આવ્યો હતો. સરકારે, નિર્મૂલનની યાદીમાં આવતા લોકોનું મૃત્યુ પીડારહિત થાય એવી ખાતરી આપવાની કાળજી લીધી હતી. આ માટે નસમાં દાખલ કરવાની દવાનો એક ડોઝ જ જરૂરી હતો. કૂતરાં અને ભૂંડ પરનાં પરીક્ષણોમાં તેની અસરકારકતા પુરવાર થઈ ચૂકી હતી.

માધવનને નોકરી ન મળે, તો તેને હવે ૧૧ માસ અને ૨૦ દિવસ જીવવાનું હતું. તેની ભંગાર ઝૂંપડીના ખાટલા ઉપર પડતું મૂકતાં તેણે વિચાર્યું કે વસતીના લગભગ ૬૦ ટકા ભાગમાંથી તેમની હત્યાના વિરોધમાં કેમ કોઈએ વિરોધ કર્યો નહીં ? કદાચ ભય એનું કારણ હોય, પોલીસ અને વિશેષ જાસૂસીદળ ભાવિ મૃત્યુસૂચિમાં નામ ધરાવતાં લોકો પર બારીક નજર રાખતાં હતાં અને ઉત્પાતિયા લોકો સ્વાભાવિક રીતે જ નામશેષ થઈ જતા હતા. એવું માનવામાં આવતું હતું કે તેમની હત્યા પહેલાં તેમને ખૂબ જ રિબાવવામાં આવતા હતા. આથી નાગરિકોના મનમાં એવો ભય વ્યાપી ગયો હતો કે માધવનને જણાયું કે તેનો મિત્ર પણ તેમના ભાવિ વિશે વાત કરતાં ગભરાતો હતો. તેમનો તર્ક એવો હતો કે કોઈ પણ વ્યક્તિ પોલીસનો એજન્ટ હોઈ શકે, તેથી તમારે મૌન રહેવું જોઈએ. અન્યથા અધિનિયમ અમલમાં આવે તે પહેલાં જ તમે ખતમ થઈ જાવ!

આથી સરકારી મદ્યઘરમાં શરાબ મફત મળતો હતો, ત્યાં આ અધિનિયમ વિશે કોઈ કંઈ બોલતું ન હતું. હકીકતમાં સૌ તેની પ્રશંસા કરતા હતા. “આપણા વડાપ્રધાન ખૂબ જ શાણા માણસ છે. તે જે કંઈ કરે તે રાષ્ટ્રના હિતમાં જ હોય. તેમણે આપણને બલિદાન આપવા જણાવ્યું છે અને રાષ્ટ્રના કલ્યાણ માટે આપણે આપણો ભોગ આપવો જ જોઈએ.” આવા પ્રતિભાવથી માધવનને આશ્ચર્ય થતું હતું. મફત મળતા આ શરાબમાં, જે વ્યક્તિ તેનું પાન કરે, તે કહ્યાગરું થઈ જાય અને વિરોધ કરવાની ઇચ્છા ત્યજી દે, એવું રસાયણ ઉમેરવામાં આવતું હતું એવું માનવામાં આવતું હતું. પરંતુ તેથી મૃત્યુનો ભય ટળી જતો ન હતો. આ કાનૂની ઘોષણા થઈ ત્યારથી માધવને મદ્યપાન છોડી દીધું હતું. કરવેરા ન ભરતા લોકો માટે મદ્યની લઘુતમ માત્રા લેવી એવું ફરજિયાત હોવાથી એ ઘણું જ કપરું બની જતું હતું. શરાબઘર સુધી જવું અને તમારું પ્રમાણ પૂરું કરવાના દેખાવ અને રાષ્ટ્રભક્તિની વાતોમાં ભાગ લેવો એવી યુક્તિ ચાલી જતી હતી.

“માધવન, હવે પછીનાં પાંચ વર્ષમાં દેશનું અર્થતંત્ર અમેરિકાના અર્થતંત્રને હંફાવી દેશે, તે તું જાણે છે? આપણું રાષ્ટ્ર સમૃદ્ધ બનશે અને વસતીના પ્રમાણમાં આપણે ૧૯૦૦ના સ્તરે પહોંચી જશું. ખરેખર, આપણા વડાપ્રધાન દીર્ઘદૃષ્ટા છે.” આવા શાણા શબ્દ ગઈ કાલે કનૈયાએ ઉચ્ચાર્યા હતા.

માધવનને તેના માટે ખેદ થયો. તેણે વિચાર્યું કે કનૈયાને તેના દિવાસ્વપ્નમાંથી બહાર લાવું, પરંતુ આનો અર્થ એ થાય કે મદ્યઘરમાં હાજર છૂપી પોલીસના અધિકારનું ધ્યાન દોરવું. માધવન જાણતો હતો કે આ અધિકાર તેના દેશપ્રેમથી અંજાઈને કદાચ તેને ‘જીવી શકે છે’ની કક્ષા માટેનાં પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરી શકે તેવા આશયથી કનૈયો આવી વાત કરતો હતો.

માધવનને જાણ થઈ કે આ રૂઢિગત મદ્યપાનમાં ભાગ ન લેવાથી તે વિચારી શકતો હતો. આથી તેની અંતરની પીડા અને ગુસ્સો સઘન બન્યાં. જીવનની જીવશાસ્ત્રીય જિજીવિષા ધરાવતી સમગ્ર વસતી કોઈ જ વિરોધ વિના, રાજ્યના દબાણથી મૃત્યુ સ્વીકારતી હતી, તે તેને વિચિત્ર લાગતું હતું!

પરંતુ માધવન તેની ચોમેર ભયનો વ્યાપ જોઈ રહ્યો હતો. તેની જેમ જ ઘણા અન્ય લોકો પોતાના જીવનનિર્વાહ માટે આજુબાજુની પેઢીઓમાં પરચૂરણ કામ કરતા હતા. જો કે આ કામ છૂટક કામની વ્યાખ્યામાં આવતાં હતાં. અને મૃત્યુની સામે તે કોઈ કવચ પૂરું પાડતાં ન હતાં.

‘જીવી શકે છે’ના વર્ગમાં જે લોકો અન્યને કામે રોકતા હતા તેમની પાસેથી વિશેષ વેરો વસૂલ કરવાનો હતો. સરકારે એવો નિર્ણય કર્યો હતો. આવા સરકારી નિર્ણયથી મોટા ભાગના રોજગાર હંગામી પ્રકારની કક્ષામાં આવી જતા હતા, અને આ કારણે ઘણા લોકોને છૂટા કરવામાં આવ્યા હતા.

માધવન અપરિણીત હતો. તે સ્વેચ્છાએ કુંવારો રહ્યો ન હતો. પાંચ વર્ષ પહેલાં લગ્ન અને બાળઉછેર માત્ર કરપાત્ર વર્ગનો વિશેષાધિકાર જાહેર કરવામાં આવ્યો ત્યારે જ તેણે પરણવાનું માંડી વાળ્યું હતું. જાતીય સુખ માટે સરકારી વેશ્યાગૃહો ઉપલબ્ધ હતાં જ. આવી પાપી સંસ્થાઓ શરૂ કરવામાં આવી હતી, જેથી ઝૂંપડપટ્ટીના કંગાલો તેની જાતીય ભૂખ સંતોષી શકે અને કરવેરા ભરનાર વર્ગની પત્નીઓ અને પુત્રીઓ પર બૂરી નજર ન કરે.

આ તદ્દન વિચિત્ર હતું. દારૂ અને જાતીય આનંદ સંપૂર્ણપણે મફત હતાં. પરંતુ ખોરાક અને દવાઓ અત્યંત મોંઘાં હતાં. રાષ્ટ્રીય આરોગ્યનીતિ તરીકે વળતર ચૂકવી શકે તેમની જ સારવાર કરવામાં આવે છે એવી અગાઉના જમાનાના દાક્તરોની નીતિનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. માંદગી જેટલી વધુ ગંભીર તેટલી જ ઊંચી ફી અનામતની રકમ વ્યક્તિએ હૉસ્પિટલમાં જમા કરાવવાની હતી. ઝૂંપડપટ્ટીના જાહેર નળ પણ તેના કાણાંમાં નિશ્ચિત કરેલી રકમના સિક્કા નાખ્યા પછી જ થોડી વાર ચાલુ રહેતા હતા.

વિનામૂલ્યે મળતી વસ્તુઓમાં હજી શ્વાસ માટેની હવા ઉપલબ્ધ હતી. માધવને વિચાર્યું કે હવે એક વર્ષની મુદત પછી તેના જેવા અન્ય લોકોની સાથે તેનો અધિકાર પણ છીનવાઈ જશે.

મદ્યઘરમાં અન્યનો કોઈ પણ અભિપ્રાય હોય, માધવન મરવા ઇચ્છતો ન હતો. તેણે જીવતા રહેવાનો માર્ગ શોધી કાઢવાનો હતો. આનો તાત્કાલિક વિકલ્પ કરવેરાની કક્ષાની એક નોકરી શોધી લેવાનો હતો. શાળાની આગળના અભ્યાસના અભાવે તેની તકો મર્યાદિત હતી. તેને અભ્યાસ પ્રત્યે અરુચિ હતી, એવું ન હતું. તેના પિતા કરદાતા ન હોવાથી તેને કૉલેજમાં પ્રવેશ મેળવવાના વિશેષાધિકારોમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો. તે શાળામાં હતો ત્યારે જ ઉચ્ચશિક્ષણ માત્ર વિશેષાધિકારો ધરાવતા લોકો માટે અનામત કરી દેવાનો કાયદો ઘડવામાં આવ્યો હતો. ઘણું કરીને સરકાર તેના શાણપણથી એવું માનતી હતી કે કરવેરા ન ચૂકવી શકતા લોકોનાં બાળકોમાં બુદ્ધિનો અભાવ હોય છે.

પરંતુ ‘જીવી શકે છે’, એવી ખાતરી સાથેની નોકરી માધવનને ક્યાં મળવાની હતી ? એને સમય મળતો, ત્યારે તે શહેરમાં આમતેમ ભટકતો, પરંતુ તેને જરા પણ સફળતા મળતી ન હતી. છૂટક કામો ઘણાં મળી શકતાં હતાં, પરંતુ તે વ્યર્થ હતાં. કાયમ રાત્રે તે તેની જાતને ખાતરી આપતો, ‘હું કરવાનો નથી, મારે મરવું નથી. કોઈ રસ્તો શોધી કાઢવો જ પડશે.’

માધવનના શહેરથી ૫૦ કિલોમીટર દૂર વિક્ટર જ્યૉર્જ કુટ્ટી તેની મુસીબતોને પંપાળતો હતો. થોડા મહિના સુધી એ બધું ઠીકઠાક હતું. ‘એસ ઍન્ડ એમ’ સાધનસામગ્રીનું વેચાણ કરતી તેની દુકાનમાં ધંધો સારો ચાલતો હતો, પરંતુ બાજુમાં બે હરીફોના ધંધાને કારણે તેણે ઘણા ધરાકો ગુમાવવા પડ્યા હતા. વણસતો ધંધો અને શાહુકારોની ગળાચીપથી તેને ભય લાગ્યો કે તે ઝડપથી ‘જીવી શકે નહીં’ની કક્ષામાં સરી રહ્યો હતો. તેના મિત્રો તેની પ્રત્યે ભલમનસાઈ દાખવતા ન હતા. કુટ્ટીનો આર્થિક દરજ્જો કથળ્યો એટલે તેમણે પીઠ ફેરવી લીધી. તેના હરીફોને નનામા ફોનપત્રથી કરવેરા – અધિકારીઓએ દબાણ કર્યું કે તેના સામાજિક દરજ્જાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે. પહેલાં તે ‘વીજી’ તરીકે ઓખળાતો હતો. દીવાલ પરના તે નામના અક્ષરોને તે તાકી રહ્યો : એક દિવસ બધું તહસનહસ થશે અને તે કરવેરા ભરનારના વિશેષાધિકાર ગુમાવશે.

કામ શોધવાની વાત માત્રથી તેને કમકમાં આવી જતાં હતાં. તેને નોકરીમાં રાખી શકે તેવી કોઈ વ્યક્તિ તેના ધ્યાનમાં આવતી ન હતી. જાતીય આનંદનાં સાધનો વેચવાનો તેનો દસ વર્ષનો અનુભવ ઘણું કરીને તેને વેચાણસહાયકનો રોજગાર આપી શકે, અને એ પણ કામચલાઉ ધોરણે જ.

થોડા સમય પછી તે ‘જીવી શકે નહીં’ની કક્ષામાં આવી જશે અને તેનો અર્થ એ કે તેણે પોતાનું ઘર ગુમાવવાનું છે અને ઝૂંપડપટ્ટીના વિસ્તારમાં રહેવા જવાનું છે. ઉચ્ચ વર્ગનો તેનો દારૂનો પરવાનો ઝૂંટવાઈ જશે અને તેને પોતાને સરકારી મદ્યઘરમાં મફત મળતો ઝેરી રસાયણયુક્ત હલકો દારૂ પીવાનો વારો આવશે.

એક વખતે દરજ્જો નીચે જાય પછી હાલનો દરજ્જો ફરી મળવાનો કોઈ ઉપાય નથી. કાનૂન એવો હતો કે શ્રીમંત વધુ શ્રીમંત બની શકે, જ્યારે ગરીબવર્ગ તેમની જિંદગી બહેતર બનાવી શકે તેવી કોઈ સંભાવના ન હતી.  હવે વીજીની ઉત્તમ આશા એ જ હોઈ શકે કે તે ‘જીવી શકે છે’ વર્ગીકરણ ધરાવતી નોકરી મેળવે. આમાં નિષ્ફળતા મળે, તો તેણે હવે પછીના નિર્મૂલન કરવાના લોકોની યાદીમાં જોડાવાનું હતું.

બૅન્કે ક્યારનીય તેને આખરી સૂચના મોકલી દીધી હતી. વીજીને લાગ્યું કે તે હવે ઊછીની જિંદગી જીવી રહ્યો છે. હવે તેની પાસે એક જ પખવાડિયાનો સમય હતો. તેની દુકાનનું લિલામ થશે. પછી ફ્લૅટ જશે. તેનો દરજ્જો માત્રે સેકન્ડક્લાસ નાગરિકનો બની રહેશે.

વીજીને લાગ્યું કે આખરી પ્રહાર વીંઝાય તે પહેલાં કંઈક કરવાનું હતું. તેણે પોતાના બે સાથીદારોને તેની દુકાનની કરુણાંતિકા વિશે અગાઉથી જાણ કરી દીધી હતી. સદ્‌ભાગ્યે તેઓ અપરિણીત હતા. ઓછામાં ઓછું આ બાબતમાં તેમણે તેમની જાતને ભાગ્યશાળી માની. કારણ કે બાળક અને પત્ની પ્રત્યેની જવાબદારીમાં નિષ્ફળ રહેતાં, તેઓ બદદુઆઓ આપે એનાથી વધુ બૂરુ કશું જ ન હોઈ શકે. જો તે ‘જીવી શકે નહીં’ની કક્ષામાં આવી જાય તો તેઓ પણ સરકારની નિર્મૂલનયાદીમાં આવી ગયા હોય.

વીજીએ પોતાને નોકરી મળે એ માટે છેલ્લાં બે સપ્તાહો સુધી તેના દરેક સ્રોતને અજમાવી જોયા. તેને કશું જ ફળ મળ્યું નહીં. ભૂતકાળમાં મદદ કરનારા પણ આજ હવે આ વખતે નિષ્ફળ નીવડ્યા. દરેક વ્યક્તિ પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહી હતી. નિર્મૂલન અધિનિયમને લીધે તમામ પ્રકારની મૈત્રીનો અંત સુનિશ્ચિત થયો હતો.

જાતીય આનંદની દુકાન ચલાવતો હોવા છતાં, તે જાતીય બાબતો અંગે ઓછામાં ઓછું ધ્યાન આપતો હતો. સરકારી વેશ્યાઘરની બહુ ઓછી મુલાકાત લેતો, પરંતુ જ્યારે તે વેશ્યાઘરની મુલાકાત લેતો, ત્યારે મોટા ભાગે તેના વતન કેરળની એક ઊંચી, પાતળી છોકરી સાથે વાતો કરીને સમય ગાળતો. તે છોકરીનું નામ અમ્મુ હતું અને તેને વીજીની રમૂજવૃત્તિ ગમતી હતી, તો સામે વીજીને તે બુદ્ધિશાળી અને માયાળુ લાગતી હતી.

“થોડા સમયમાં હું ‘જીવી શકે નહીં’ના દરજ્જામાં આવું છું, તો મારા ઉપર દયા કર!” વીજીએ તેને આલિંગનમાં લેતાં કહ્યું.

અમ્મુ વીજીને ક્યારે ય ગ્રાહક ગણતી નહીં. તેમના સંબંધમાં લાગણી વણાઈ ગઈ હતી. તેથી બંનેની મૈત્રી દૃઢ બનતી હતી. ઘણા એવા દિવસો વીતી જતા, જેમાં તેઓ માત્ર ને માત્ર વાતો કરતાં હતાં. અમ્મુને રમૂજ થતી કે તેના જેવો કરદાતા તેનામાં રસ લેતો હતો. આ સમયમાં, આ જમાનામાં, આનંદ આપનાર તરીકેના કાર્યકર બનવું, એટલે યોનિ ધરાવતો મનવિહીન યંત્રમાનવ! જેમતેમ કરીને અમ્મુએ પોતાની રમૂજવૃત્તિ જાળવી રાખી હતી.

“તો હવે તું તારાં નાણાં, જીવન અને મત ગુમાવે છે, બરાબરને?” અમ્મુએ તેને ચીડવ્યો.

“તમે ગરીબ હો, તો તમારી કોઈ જ કિંમત નથી. તમને કોણ સાંભળવાનું છે ?”

“પરંતુ હું સાંભળવા ઇચ્છું છું. અન્યથા વિચારોમાં ભાગ લે એવા અન્ય લોકો પણ હોય છે.”“પણ, તમે અથવા તો તમારામાંના અન્ય લોકો માટે તમે બોલો તો તમે શું મેળવો છો ? શું તેઓ સરકાર સામે બાખડી શકે છે?”

“તો, તું પણ તેમના જેવો છે? રાજ્ય કહે કે મરી જાઓ તો મરી જશો. રાજ્ય કહે તમે વિચારવાનું બંધ કરો અને મૂર્ખ બની જશો. શું તમારે તમારું કોઈ વ્યક્તિત્વ નથી?” અમ્મુ ટોણાં મારવામાં નિષ્ણાત બની ગઈ હતી.

વીજી થોડો જિજ્ઞાસુ બન્યોઃ ‘આ અન્ય કોણ છે?’

“તે અમારી પાસે આવતા લોકો છે, તેઓ બધા હતાશ છે, પરંતુ તેમાંનો દરેક વિચારે છે કે માત્ર તે પોતે જ આવી સ્થિતિમાં છે. તારા જેવા છે. તેમાંના બધા વેગળા છે.”

“હું તેમને કઈ રીતે મળી શકું?” વીજીને હવે રસ પડ્યો.

“તું આવતી કાલે છ વાગ્યે આવે તો ?”

એકાએક વીજી ઉત્તેજિત થઈ ગયો. અઢાર વર્ષની નાનકડી છોકરી તેની જિંદગી બદલાવી શકે છે. અમ્મુની એક જુદી જ ઊંચાઈ તેના ધ્યાનમાં આવી. તેના પરિચયમાંની તમામ વ્યક્તિઓ અમ્મુની સામે ઝૂકી જાય છે, તે વીજીએ જોયું. વીજીને લાગ્યું કે આ છોકરીમાં લડી લેવાનો જુસ્સો છે.

આનંદગૃહ તરીકે ઓળખાતા વેશ્યાઘરને છોડ્યું, ત્યારથી વીજી, એક જુદી જ વ્યક્તિ બની ગયો હતો. ‘જીવી શકે છે’ કક્ષાની નોકરી કઈ રીતે મેળવવી એની માથાપચ્ચી કરતો વીજી હવે વિચારતો હતો કે સરકાર તેના નિર્મૂલન અંગે કયો અધિકાર ધરાવે છે, તંત્ર સામે કઈ રીતે લડવું. આ બાબતમાં તે હજી અસ્પષ્ટ હતો. પણ તેને લાગ્યું હતું કે તેણે હવે લડી લેવું જોઈએ, પરંતુ તેના નિર્ણયના કેન્દ્રમાં તેનાથી ૧૫ વર્ષ નાની છોકરી હતી.

અમ્મુએ તેને પ્રેરણા આપી હતી, તે અન્ય કોઈના ધ્યાનમાં આવી નહીં. અમ્મુએ તેને વિચારવાની એક નવી દિશા ખોલી આપી હતી. અમ્મુના વિચારોમાં એક ચેપી જુસ્સો હતો. “દરેક વ્યક્તિ જીવી શકે અને જીવી શકે નહીં” એ વિશે વાતો કરતાં જણાય છે? “જીવશું-મરશું નહીં વિશે કોઈએ વિચાર્યું છે?” અમ્મુએ પૂછ્યું હતું.

વીજી પોતાને ઘેર પાછો ફરતો હતો, ત્યારે તેના મનમાં આ શબ્દો ઘોળાતા હતા.

બીજે દિવસે વીજીના પગમાં તરવરાટ હતો. પાડોશીએ આ પરિવર્તન જોયું. તેમણે વિચાર્યું કે તેને ‘જીવી શકે છે’નો દરજ્જો મળ્યો હોવો જોઈએ. અન્યને લાગ્યું કે લોન અંગે કોઈ તડાકો કર્યો હશે. સુખ-‘જીવી શકે છે’ના દરજ્જાના હેતુથી, માત્ર એક-આયામી વિભાવના બની રહ્યું હતું.

દુકાને પહોંચ્યો, ત્યારે તે ઘણો જ ખુશમિજાજમાં હતો. તેના ઉત્સાહ અને ગુનગુનાહટના પ્રભાવમાંથી કોઈ છટકી શક્યું નહીં કે સમજી શક્યું નહીં. તેના મહેતાજી મુકુંદે પૂછ્યું કે શું તેણે લોન લીધી છે? પરંતુ વીજીએ પોતાની પ્રસન્નતાનો સ્રોત જાહેર કર્યો નહીં. પોતાની છેલ્લી મૂડી કર્મચારીઓને વહેંચતાં તેને આજે ખૂબ જ ખુશી થઈ, સંતોષ થયો.

સાંજે દુકાન બંધ કરી, ત્યારે તે સાવ અકિંચન હતો. એક અઠવાડિયામાં સરકાર તેને ‘જીવી શકે નહીં’ના દરજ્જાની વ્યક્તિ જાહેર કરશે, પરંતુ વીજીએ લડવાનો નિર્ધાર કર્યો હતો. તેની આખરી ઇચ્છા હતી કે સરકાર તેનું નિર્મૂલન કરે.

વીજીએ આનંદઘરની મુલાકાત માટે ગાડી પકડી, ત્યારે અમ્મુ વિશે વિચારતો હતો. કહેવાતા વિચારકો / ચિંતકો કરતાં તેના મગજમાં ઘણા વધુ વિચારો ભર્યા હતા. સામાન્ય કોટિના વર્ગની પ્રસન્નતાના વખતમાં સરેરાશ વ્યક્તિ ભૂંજાઈ રહી હતી. દુન્યવી નહીં એવી દરેક બાબતને હાસ્યાસ્પદ અને રાજ્યવિરોધી ગણી હસી કાઢવામાં આવી હતી.

સામાન્ય વર્ગના ગુણોની પ્રશંસા કરતા એક વિદ્વાનનો લેખ તેણે વાંચ્યો હોવાનું વીજીને યાદ આવ્યું. ૧૦૫૦માં સામાન્ય વર્ગની સ્વીકૃતિની જરૂરિયાતથી રાષ્ટ્રમાં નવી જાગૃતિનાં બીજ દેખાતાં હતા. પરિણામે, કલાની વિભાવના અંગે ફેરવિચારણા કરવામાં આવી હતી. મસાલા ફિલ્મોને શ્રેષ્ઠ – ઉત્ક્‌ષ્ટ ગણવામાં આવતી હતી. કાલ્પનિક કથાઓના રેંજીપેજી લેખકોને બૌદ્ધિક આભા વરી હતી. ૧૯૮૦માં બિનનફાકારક સાહસ ગણાતાં સંશોધન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમાં સ્થાન ધરાવતી તમામ વ્યક્તિઓ-મહાત્મા ગાંધી, ભગતસિંહ અને સુભાષ વગેરે-નાં નામ રદ કરીને તેની જગ્યાએ દેશને નવો અવતાર આપનાર ઉદ્યોગપતિઓનાં નામ ઉમેરવામાં આવ્યાં હતાં. ધંધાનો વકરો એ કીર્તિની ચાવી બની ગઈ હતી અને જે મહત્તમ મૂડીને આકર્ષે તેને દેવનો દરજ્જો આપવામાં આવ્યો હતો.

આ બાબતમાં તે જેમજેમ વિચારતો હતો તેમ તેને જણાતું હતું કે અમ્મુએ સાચી વાત કરી હતી. દૂરના ભૂતકાળમાં પ્રચલિત એવો તર્ક તેણે સ્વીકાર્યો હતો. આ તર્ક આજના સમયમાં પણ ખૂબ જ સુસંગતતા ધરાવે છે. કોઈ સ્ત્રી ડહાપણનો સ્રોત હોય એ તેને બહુ વિચિત્ર લાગતું હતું. છેલ્લી સદીના અંતમાં એવી આગાહી કરવામાં આવી હતી કે મહિલાઓ જાતીય સુખનું સાધન જ બની રહેશે નહીં, પરંતુ તેથી ઘણી આગળ આવશે. પરંતુ ૨૦૧૫માં જુવાળ બદલાયો. સુધરેલા નવા સંવિધાન મુજબ મહિલાઓને માત્ર ‘પુરુષોનું મનોરંજન કરતી વ્યક્તિઓ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. નારીવાદીઓને ડાકણોનું બિરુદ આપવામાં આવ્યું હતું. રાંધવાના અને પતિદેવોને ખવડાવવાના આનંદના અધિકારનાં ગુણગાન કરવામાં આવ્યાં હતાં. ધર્મના સ્થાને રૂપિયો બિરાજમાન હતો. મહિલાઓના નિયમસંગ્રહને વાજબી ઠરાવવા માટે સાવિત્રીની પુરાણકથા અને મનુસંહિતાને પુનઃસંપાદિત કરવામાં આવી હતી.

મહિલાશિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. નવજાત કન્યા અંગે તેને ‘આનંદઘર’માં રાખવી કે ‘કરદાતા નાગરિકની પત્ની બનવા દેવી’ એવો નિર્ણય કરવાનું કાર્ય એક સમિતિને સોંપવામાં આવ્યું હતું. અમ્મુ પ્રથમ કક્ષામાં આવતી હતી. કારણ કે તેની તપાસ વખતે તેણે સમિતિના એક સભ્ય ઉપર લઘુશંકા કરી હતી!

‘હું માત્ર બે દિવસની હતી. મને એ બદમાશ પર ઘણી ઘૃણા હતી.’

અમુએ વીજીને જણાવ્યું હતું કે તેની મા ઘણા ખેદ સાથે આ વાતનું રટણ કર્યા કરતી હતી. તે કહેતી કે “ક્યારે, કોના ઉપર લઘુશંકા કરવી, એ બાળકે જાણવું જોઈએ.”

આનંદઘર-૧૫ની જિંદગી યાંત્રિક અસ્તિત્વ સમાન હતી. એચ.આઈ.વી. રસીની શોધને કારણે જાતીય સંભોગને એક મનોરંજન ગણવામાં આવતો હતો અને રાજ્ય તરફથી વિનામૂલ્યે પૂરો પાડવામાં આવતો હતો. મહિલાઓનાં જાતીય અંગોને વધુ સંવેદનશીલ બનાવતી નવી દવા, જાતીય કાર્યકર્તાઓનાં આવાં અંગોને પીડાથી બચાવતી હતી. ૨૦૨૦માં વેશ્યાગૃહોમાં એસ ઍન્ડ એમ કાયદાને માન્યતા મળી હતી. જો કે મહિલાઓ પર પરપીડન આચરનારા લોકો તેમની પત્નીઓ અને નોકરાણીઓ પર તેમનો જુલમ આચરતા રહેતા હતા.

અમ્મુએ વીજીને કહ્યું કે તેને ક્યારે ય જાતીય આનંદની પરાકાષ્ઠા અનુભવવા મળી નથી ત્યારે તેને નવાઈ લાગી હતી! રોજ સવારે તે એવું ઇન્જેક્શન લેતી હતી જેનાથી તેનાં જાતીય અંગો ચુસ્ત બની જતાં અને તેના ઘરાકને સંભોગમાં સરળતા મળી રહે તે માટે ગુપ્તાંગની અંતઃત્વચા સક્રિય રહેતી હતી.

વીજીએ તેની સાથે જાતીય સમાગમ કરવાનું છોડી દીધું હતું.

“તો, તું હવે મારા મન સાથે સંભોગ કરવા માગે છે,” એવું અમ્મુ રમૂજમાં કહેતી. અમ્મુ સાથે વાતો કરવાનું વીજીને ગમતું. તે વિચારવિમર્શ કરતો. આ કપરા કાળમાં મુશ્કેલ જેવી આ બૌદ્ધિક પ્રવૃત્તિ બની રહેતી.

તે ગાડીમાંથી ઊતર્યો ત્યારે કશીક ભાવિ હલચલ તેના ધ્યાનમાં આવી. તેના અંતરમાં ઉત્તેજના સળવળતી હતી. આનંદઘર ઘર તરફ જતાં તેને તે આઝાદીનું ભાવમંદિર હોય, તેવી કલ્પના તે કરી શકતો હતો. મુખ્ય પ્રેરણાદાતા તરીકે અમ્મુને યાદ કરવામાં આવશે અને તે પોતે તેનો શિષ્ય બનશે.

“લોકોની ઇચ્છાઓનો વિજય થશે,” તે દરવાજા તરફ જતાં સ્વગત બોલ્યો.

માધવન અને અન્ય લોકો તેની રાહ જોતા હતા.

(“આઉટલૂક”ના સૌજન્યથી)

અનુવાદ :  એન.પી. થાનકી

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 15 થી 18 તેમ જ 05

Loading

પર્યાવરણ અને અર્થતંત્રમાં અસંતુલન નોતરતી નફા કેન્દ્રી કૃષિ-નીતિ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 September 2019

ખેતીનું રાજકારણ અને વસ્તી વધારો, ક્લાઇમેટ ચેન્જથી ખડા થતા પ્રશ્નોને વધારે વિકટ બનાવે છે

આ અઠવાડિયાની શરૂઆતમાં વડાપ્રધાને યુનાઇટેડ નેશનનાં કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટીફિકેશનમાં ૧૪મી કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ(સી.ઓ.પી.)માં જાહેર કર્યું કે ૨૦૩૦ સુધીમાં ૨૬ મિલિયન હેક્ટર પડતર એટલે કે ઉજ્જડ જમીનને ખેતી લાયક બનાવાશે. વૈશ્વિક સ્તરે પર્યાવરણનાં પ્રશ્નનાં ઉત્તરમાં આપણાં રાષ્ટ્રની આ જાહેરાત અગત્યની ચોક્કસ છે. ૨૦૧૫માં પૅરિસમાં થયેલી ક્લાઇમેટ ચેન્જની બેઠકમાં જે વચન અપાયું હતું તેની સરખામણીએ આ આંકડો પાંચ મિલિયન હેક્ટર વધારે છે. ઇસરોનાં ડેઝર્ટીફિકેશન (રણનું વિસ્તરણ) અને લેન્ડ ડિગ્રેડેશન (જમીનની ગુણવત્તામાં પડતી થવી, જમીન ખેતીલાયક ન રહેવી) ઍટલાસ અનુસાર ભારતની ૩૦ ટકા જમીનની ગુણવત્તાનું પતન થઈ ચૂક્યું છે.

વડાપ્રધાને જે વાત કરી એ દિશામાં જો ખરેખર કામ થાય તો માત્ર પર્યાવરણ જ નહીં પણ ખેડૂતોનાં જીવનમાં પણ નોંધપાત્ર ફેર પડી શકે છે. જો કે આ કરવા માટે સરકારે સૌથી પહેલાં તો હરિયાળા વિસ્તારોની માપણી કરવાની પદ્ધતિમાં જ ધરમૂળથી ફેરફાર કરવો પડશે. પર્યાવરણ મંત્રાલયે વૃક્ષારોપણ લક્ષી વનીકરણને બદલે વૉટરશેડ મેનેજમેન્ટ, બાયોડાવર્સિટી કન્ઝરવેશન અને જમીનનાં સ્વાસ્થ્યને બહેતર બનાવવા જેવી બાબતો પર ધ્યાન આપવું પડશે. વનીકરણની વાત કરીએ તો ફોરેસ્ટ સરવે ઑફ ઇન્ડિયા અનુસાર ભારતનાં વનવિસ્તારમાં વધારો થતો આવ્યો છે, પણ આ થવા છતાં ય જમીન પર જે બોજ છે તેમાં લગીરેક ફરક નથી પડ્યો. સેટેલાઇટ ઇમેજીઝમાં દેખાતા લીલા હિસ્સાઓ જોઈને દેશનાં જંગલોનો ક્યાસ ન કાઢી શકાય કારણ કે તેમાં જંગલો અને વૃક્ષારોપણનો ભેદ નથી કળી શકાતો, અને માટે જ પડતર જમીન અને ગ્રીન કવરનું સંતુલન સમજવામાં આપણે ભૂલ કરી બેસીએ છીએ. મોનોકલ્ચર પ્લાન્ટેશન એટલે કે એક સરખાં પ્રકારનાં વૃક્ષોનો ઉછેર પર્યાવરણ માટે જોઈતું કરવામાં મર્યાદિત સાબિત થાય છે.

માપણી તો એક પાસું છે પણ ખેતીપ્રધાન કહેવાતા આપણા દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જંગલોનાં સફાયા, વધુ પડતો પાક લેવાને કારણે, જમીન ધોવાણ અને વેટલેન્ડનાં પ્રમાણમાં ઘટાડો થવાને પગલે ઘણી જમીન પડતર બની ચૂકી છે. ફળદ્રુપ જમીનની આ ખોટને કારણે આપણો જી.ડી.પી. દર વર્ષે ૨.૫ ટકા જેટલો ઘટી રહ્યો છે અને કાયમી પાકની ઊપજ પર પણ તેનો માઠો પ્રભાવ પડ્યો છે. આપણા દેશ પર ક્લાઇમેટ ચેન્જની ઝડપી, અણધારી અને આકરી અસર થાય છે, અને માટે જ જમીનનું પતન આપણે ધારીએ તેનાં કરતાં કંઈક ગણો વધારે મુશ્કેલ મુદ્દો બને છે. પડતર જમીનમાં કાર્બન ડાયોક્સાઇડ શોષવાની ક્ષમતા નથી હોતી અને આપણે જાણીએ જ છીએ કે ગ્લોબલ વૉર્મિંગમાં કાર્બન ડાયોક્સાઇડ સૌથી મોટો અને હાનિકારક ખેલાડી છે. દુનિયાની કુલ જમીનનો ૨.૪ ટકા હિસ્સો જ આપણી પાસે છે, પણ દુનિયાની કુલ વસ્તીની ૧૮ ટકા આપણા દેશમાં છે. ક્લાઇમેટ ચેન્જને કારણે પાકની ગુણવત્તા પર, તેમાં રહેલા પોષક તત્ત્વોનાં પ્રમાણ પર, ચારો ખાનારાં પશુઓની ઉત્પાદન ક્ષમતા અને વિકાસ પર સીધી અસર પડે છે. ખેતી પ્રધાન દેશ હોવાને કારણે આ તમામ પાસાંઓ ભારતનાં અર્થતંત્ર પર સીધી અસર કરે છે.

આટલું ઓછું હોય તેમ ખેતીનું રાજકારણ અને વસ્તી વધારો, ક્લાઇમેટ ચેન્જથી ખડા થતા પ્રશ્નોને વધારે વિકટ બનાવે છે. ખેતરોનું કદ સંકોચાઈ રહ્યું છે જેને કારણે પુરવઠો મોંઘો થઈ રહ્યો છે તો બીજી તરફ સિંચાઈ માટે પાણી નથી રહ્યું. ભારતના કૃષિ ઇતિહાસ પર નજર કરીએ તો ‘હરિયાળી ક્રાંતિ’ને હંમેશાં ઉત્પાદનનાં માપદંડથી નાણવામાં આવી છે, પણ કમનસીબે ઉત્પાદન વધારવાની લ્હાયમાં પર્યાવરણને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરાયું છે. જુદાં જુદાં પાક લેવાની વ્યૂહરચનાને બદલે કોઈ એક જ પાકનું વધુ ઉત્પાદન થાય તે રીતે પર્યાવરણની વિરુદ્ધ જઈને ફેરફારો કરાયા. જંતુનાશક અને ખાતરનો આડેધડ ઉપયોગ જમીનની ફળદ્રુપતા પર અસર કરતો ગયો. ઉત્પાદન વધારવાની દોડમાં ફાયદા કરતાં નુકસાન વધારે થયું. ૧૯મી સદીનાં છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન ભારતે સૌથી ખરાબ દુકાળ જોયા. લોકો ભૂખથી મરી રહ્યા હતા પણ પાકની નિકાસ થઈ રહી હતી. છપ્પનિયા દુકાળ પછી ભારત એક એવા રાષ્ટ્ર તરીકે ઓળખાયું જે પોતાનાં જ લોકો માટે પૂરતો ખોરાક પેદા નથી કરી શકતું. હરિયાળી ક્રાંતિનો આરંભ દુકાળ કે ભૂખમરાને નાથવા કરતાં ઘઉંનાં ઉત્પાદનને વધારવાના હેતુ સર થયો હતો. બાજરા, જવાર, મકાઈ જેવા અન્ય ધાન અને ચોખા જેનો મુખ્ય ખોરાક છે તેવા દેશમાં ઘઉંના ઉત્પાદનને સૌથી વધારે મહત્ત્વ અપાયું. ઘઉં પ્રત્યેનો આ મોહ અંતે જમીનની ગુણવત્તા, ભૂગર્ભ જળ અને પશુ પાલનનાં અર્થ તંત્ર પર માઠી અસર કરનારો સાબિત થયો છે. ઉત્પાદન લક્ષી, ટૅક્નોલોજી કેન્દ્રી હરિયાળી ક્રાંતિના લોભમાં ખેડૂતોએ પાકની વિવિધતા જતી કરી છે, જેને કારણે દેશની ખોરાકની જરૂરિયાતોથી માંડીને પર્યાવરણનું સંતુલન ખાડે ગયું છે. ફળ, શાકભાજી અને મુખ્ય અનાજ સિવાયનાં પાકનાં ઉત્પાદનને મહત્ત્વ આપવું જ રહ્યું. ખેડૂતોને સાચું અને સર્વાંગી કૃષિ શિક્ષણ આપવાની પણ જરૂર છે નહીંતર દેવામાં ડૂબેલા, પાણીની તંગી અથવા અતિવૃષ્ટિને પગલે કે પછી સતત વિભાજિત થયા કરતી, ટુકડો જમીન જીવાડવામાં ખેડૂતો પોતાની જીવ આપતા રહેશે.

બાય ધી વેઃ 

વૈવિધ્ય જેનું લક્ષણ છે તેવો આપણો દેશ વિરોધાભાસની વિવિધતામાં રહેંસાઈ રહ્યો છે. ખેતરો વધ્યાં છે પણ તેમનું કદ સતત સંકોચાઈ રહ્યું છે. એક તરફ સરકાર પડતર જમીનને ખેતીલાયક બનાવવાની વાત કરે છે, તો બીજી તરફ પર્યાવરણલક્ષી ઊપજ નહીં પણ નિકાસ અને નાણાં લક્ષી ઉત્પાદન થઈ રહ્યું છે. જ્યાં પાણી છે ત્યાં જેને બહુ પાણીની જરૂર નથી એવા પાક લેવાય છે તો જ્યાં ભૂગર્ભ જળનું સ્તર પણ તળિયે ગયું છે, ત્યાં ખેતરોમાં પાણી માગે લે એવા પાક થઈ રહ્યાં છે. આયાત-નિકાસમાં સરકાર પોતાનો ફાયદો જુએ છે અને જે અહીં ઊગાડી શકાય તેવા અન્ય ધાન્ય વિદેશથી આયાત કરાય છે. જમીનનાં દસ્તાવેજનાં ઠેકાણાં નથી એટલે ખેડૂતો પોતાને માટે એટલી આવક પણ નથી મેળવી શકતા કે તેમનું ગુજરાન ચાલી શકે.  આપણા ખેતી પ્રધાન દેશની આ વાસ્તવિકતા છે અને ચિત્ર ત્યારે જ બદલી શકાશે જ્યારે પર્યાવરણ અને છેવાડાનાં માણસનું હિત ગણતરીમાં લઇને નીતિ ઘડાશે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 સપ્ટેમ્બર 2019

Loading

...102030...2,6842,6852,6862,687...2,6902,7002,710...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved