Opinion Magazine
Number of visits: 9763495
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિંદુ રાષ્ટૃવાદીઓ માથાભારેપણું બતાવી હાજરી પૂરાવે તે શું યોગ્ય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|28 November 2019

આને કહેવાય દેશપ્રેમ. આને કહેવાય રાષ્ટ્રભક્તિ. આને કહેવાય રાષ્ટ્રવાદ. આને કહેવાય આર્યાવર્તનો મહાન વારસો. આને કહેવાય મહાન હિંદુ સંસ્કૃતિ. આને કહેવાય મૂલ્યનિષ્ઠા. આને કહેવાય બંધારણ અને લોકતંત્ર માટેની ખેવના. આને કહેવાય માનવીય ગરિમા. અમે મહારાષ્ટ્રમાં સરકાર રચી દીધી જાવ, થાય એ કરી લો. અમે કર્નાટકમાં બહુમતી નહીં હોવા છતાં સરકાર રચી, જાવ થાય એ કરી લો. અમે ગોવા, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને હરિયાણામાં બહુમતી નહીં હોવા છતાં સરકારો રચી; જાવ થાય એ કરી લો. અમે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને લોકસભામાં મોકલી, જાવ, થાય એ કરી લો. અમે ધરાર સંરક્ષણ સમિતિમાં તેને સ્થાન આપ્યું, જાવ થાય એ કરી લો. અમે અલ્પશિક્ષિત સ્મૃતિ ઈરાનીને શિક્ષણ પ્રધાન અને બિન-અર્થશાસ્ત્રીને રીઝર્વ બેંકના ગવર્નર બનાવ્યા, જાવ થાય એ કરી લો. અમે દેશભરમાં ગમે તે કરીએ, અમારી સરકાર છે, અમારી પાસે સત્તા છે; જાવ થાય એ કરી લો.

ઘણા લોકો સવાલ કરે છે કે આ લોકો આ રીતે માથાભારે થઈને કેમ વર્તે છે? શું હિંદુ રાષ્ટ્રવાદ માટે લોકશાહી અને નીતિમત્તાની ઐસીતૈસી કરીને માથાભારે થઈને વર્તવું અનિવાર્ય છે? શું હિંદુ રાષ્ટ્ર; નરવું, રચનાત્મક, મર્યાદામાં માનનારું અને રહેનારું, લોકતાંત્રિક, ગરીબતરફી, વિકાસલક્ષી ન હોઈ શકે? શું હિંદુ રાષ્ટ્રવાદી સરકાર ધોરણસરનું શાસન ન કરી શકે? જે લોકોએ ૨૦૧૪માં અને ઇવન ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને મત આપ્યા હતા એ લોકો પણ આ સવાલ પૂછી રહ્યા છે. હવે તો ભક્તોને પણ આ સવાલ મુંઝવી રહ્યો છે.

આખરે દાયકાઓ પછી નરેન્દ્ર મોદી પહેલા એવા વડા પ્રધાન દેશને મળ્યા જેમણે આશાઓ જગાડી હતી અને લોકોએ શ્રદ્ધાપૂર્વક મત આપ્યા હતા. આટલી શ્રદ્ધા તો લોકોએ ડૉ. મનમોહન સિંહમાં પણ નહોતી દાખવી. કોઈ શાસક લોકચાહનાના જુવાળ ઉપર આરૂઢ થઈને સર્વોચ્ચ સત્તાધીશ બને અને એ પછી તે લોકોના અરમાનો પૂરાં કરવાની જગ્યાએ માથાભારેપણાને પોષે તો પ્રશ્ન તો સ્વાભાવિકપણે ઉપસ્થિત થાય કે આ બધું શું બની રહ્યું છે? શું હિંદુ રાષ્ટ્રનું આ અનિવાર્ય અંગ છે કે પછી કંઈક જુદું જ કારણ છે?

આનો જવાબ હા અને ના એમ બન્ને રીતે આપી શકાય. હા એ અર્થમાં કે હિંદુ રાષ્ટ્ર શબ્દ જ સૂચવે છે એમ જો એ હિંદુઓનું રાષ્ટ્ર હોય તો એ ન્યાય આધારિત તો હોય જ નહીં. વિધર્મીઓને તે દ્વિતીય કક્ષાના નાગરિક ગણીને તેમની સાથે અન્યાય કરશે જ. અને આનો જવાબ નામાં પણ આપી શકાય. પક્ષપાતી અને અન્યાયી રાજ્ય પક્ષપાત અને અન્યાય કરતું હોવા છતાં અમુક બાબતો છોડીને તે મર્યાદા પાળે એ શક્ય છે. ઇઝરાયલ આનું ઉદાહરણ છે.

૧૯૪૮માં આરબોના વિરોધ છતાં ય ઇઝરાયલની પેલેસ્ટાઇનમાં સ્થાપના કરવામાં આવી. કદમાં મુંબઈ કરતાં પણ નાનો દેશ અને તેની અત્યારની વસ્તી મુંબઈ કરતાં ઓછી એટલે કે ૯૦ લાખની છે. સામે મોટા મોટા આરબ દેશો. આની વચ્ચે ઇઝરાયલ ટકી રહ્યું. રણમાં હરિયાળી ક્રાંતિ કરી, હિબ્રુ ભાષાને પાછી સજીવન કરીને ચલણમાં આણી. જગતભરમાંથી આવતા યહૂદીઓને વસાવ્યા. તેમની સુખાકારી માટે સફળ આયોજન કર્યાં. સંરક્ષણની બાબતમાં આત્મનિર્ભર બની ગયું. સૌથી કલગીરૂપ ઘટના ૧૯૬૭માં બની, જ્યારે ઇઝરાયલ સામે છ દિવસના યુદ્ધમાં આરબ દેશોનો સાગમટો પરાજય થયો.

આ બધું કેવી રીતે શક્ય બન્યું? ઇઝરાયલ યહૂદી રાષ્ટ્ર છે અને પેલેસ્ટાઇનના મૂળ વતની મુસલમાનોને ભયંકર અન્યાય કરી રહ્યું છે. બર્બરતાની કોઈ સીમા નથી અને આંતરરાષ્ટ્રીય અભિપ્રાયને તે ગણકારતું નથી. જગત માટે ઇઝરાયલ માથાભારે રાષ્ટ્ર છે. આ બધી વાત ખરી, પણ ઈઝરાયલમાં વસતા યહૂદીઓ માટે ઇઝરાયલના શાસકો માથાભારે થઈને નથી વર્તતા. વિધર્મીઓ પ્રત્યે બેવડાં ધોરણો છે એ વાત ખરી, પરંતુ ઇઝરાયેલના શાસકો ઇઝરાયેલની અંદર દેશના યહૂદી નાગરિકો સાથે કાયદાની અને બંધારણની મર્યાદામાં રહીને વર્તે છે. આમ ઇઝરાયેલ એવું યહૂદી રાષ્ટ્ર છે જેમાં મુસલમાનોને અન્યાય કરવામાં આવે છે, પણ યહૂદીઓ સાથે ન્યાયપૂર્વક વર્તવામાં આવે છે.

ઇઝરાયેલની સ્થાપના થઈ એ પછી જગતભરમાંથી તેજસ્વી યહૂદીઓને રાષ્ટ્રઘડતર માટે બોલાવવામાં આવ્યા હતા. જે લોકો ઇઝરાયેલમાં આવીને વસવા નહોતા માંગતા એ લોકોની પણ સેવા લેવામાં આવી હતી. ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇન્જીનિયરીંગ, કૃષિવિજ્ઞાન, એમ દરેકે દરેક ક્ષેત્રમાં અંગ્રેજીમાં જેને બેસ્ટ ટેલેન્ટ કહી શકાય તેને જોતરવામાં આવ્યા હતા. આખરે સદીઓ પહેલાં જગત આખામાં વિખરાયેલી પડેલી યહૂદી અસ્મિતાને એક જગ્યાએ સમેટવાની હતી અને તેને દરેક યહૂદી પોતાની સમજે એવો ઘાટ આપવાનો હતો. એવું નહોતું કે જગતભરના યહૂદીઓ એક સરખો સાંસ્કૃતિક ચહેરો ધરાવતા હતા. સદીઓ જૂના દેશવટાને કારણે અને દેશવટો જગતના સો કરતાં વધુ દેશોમાં હોવાને કારણે યહૂદીઓ પર બીજી અનેક સભ્યતાઓનો પ્રભાવ હતો. યહૂદીઓમાં પણ આંતર્વિરોધો હતા. તેમની અંદર પણ સાંસ્કૃતિક ભેદ હતા. તેમના પણ વ્યક્તિગત અને સામૂહિક સ્વાર્થ હતા. આખરે ઇઝરાયેલમાં માણસને વસાવવામાં આવ્યા હતા અને માણસ આખરે માણસ હોય છે, પછી તે એક જ ધર્મનો કેમ ન હોય !

આમ એક જરૂરિયાત બેસ્ટ અવેલેબલ ટેલેન્ટને શોધવી અને રાષ્ટ્રઘડતરમાં જોતરવી એ હતી. બીજી જરૂરિયાત આપસી મતભેદોને શાંત કરવા માટે દરેકને મોકળાશ આપવી, સહિયારાપણું વિકસાવવું અને એ સહિયારાપણું એવું હોય કે યહૂદીઓના પક્ષપાતી અને અન્યાયી રાષ્ટ્રવાદ સામે ઓછો વિરોધ થાય. થોડા માનવતાવાદી લોકો વિરોધ કરતા હોય તો કરવા દો, પણ મોટાભાગના યહૂદીઓને એમ લાગવું જોઈએ કે રાષ્ટ્રનિર્માણનો આ સહિયારો પ્રયોગ છે અને તે જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી વિધર્મીઓ સાથે કરવામાં આવતા અન્યાય અને પક્ષપાત તરફ આંખ આડા કાન કરવા જરૂરી છે. આખરે તો વિખરાયેલી અસ્મિતાઓને સમેટવાનો આ રાષ્ટ્રયજ્ઞ છે. 

૨૦૧૪માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે ઘણા લોકોને એમ લાગતું હતું કે મોદીની સરકાર ઇઝરાયેલના જેવી જ નેશનાલિઝમને અનુસરશે. લોર્ડ ભીખુ પારેખનું આવું અનુમાન હતું અને બીજા અનેક વિચારકો આમ માનતા હતા. અમુક બાબતે હિંદુ પક્ષપાત અને વિધર્મીઓને અન્યાય, પણ એકંદરે મર્યાદા પાળનારુ કાયદાનું રાજ.

તેઓ આમ ત્રણ કારણે માનતા થયા હતા. એક તો એ કે યહૂદીઓની માફક હિંદુ અસ્મિતા પણ ઘવાયેલી અસ્મિતા છે. વિધર્મી આક્રમણકારો સામે એક પછી એક પરાજયો અને ગુલામી પછી જ્યારે હિંદુ રાષ્ટ્રવાદીઓને સ્પષ્ટ બહુમતી સાથે શાસન કરવાનો મોકો મળ્યો છે તો તેનો ઉપયોગ તેઓ ઇઝરાયેલ મોડલને અનુસરીને પક્ષપાતરહિત સર્વસમાવેશક હિંદુવાદ અને પક્ષપાતી કોમવાદ કાયમ કરવા માટે કરશે. ઇઝરાયેલની જેમ હિંદુ પુનર્જાગરણ માટે જગતભરની બેસ્ટ ટેલેન્ટનો ઉપયોગ કરશે. હિંદુઓની અંદર એટલી સહિયારાપણાની ભાવના પેદા કરશે કે લોકો વિધર્મીઓ સાથે કરવામાં આવતા અન્યાય સામે આંખ આડા કાન કરશે. જો આવું બને તો થોડા માનવતાવાદીઓની ચિંતા કરવાની જરૂર નથી.

બીજું, ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વિકાસ સિવાય બીજી કોઈ વાત નહોતા કરતા એટલે તેમને એમ લાગ્યું હતું કે નરેન્દ્ર મોદી થોડુંક પક્ષપાતી, થોડુંક અન્યાયી; પણ એકંદરે વિકાસલક્ષી કાયદાના રાજનું ઇઝરાયેલ મોડેલ અપનાવશે. તેઓ આમ માનતા થયા એનું ત્રીજું કારણ એ હતું કે આ સિવાય બીજો વિકલ્પ પણ નથી અને જે છે તે વિનાશક છે. ઇટલી અને જર્મનીનો અનુભવ અને મુસ્લિમ દેશોની સ્થિતિ આપણી સામે છે. આમ પક્ષપાતી કે અન્યાયી રાષ્ટ્રવાદનું મોડલ મર્યાદા પાળનારું હોવું જોઈએ. એમાં જ દેશનું હિત છે અને જો ભારત એટલે હિંદુ ભારત એવો તેનો અર્થ કરવામાં આવતો હોય તો હિંદુઓનું તેમાં હિત છે.

પણ અનુભવ જૂદો થઈ રહ્યો છે. લોકતંત્રની ઐસીતૈસી, બંધારણની ઐસીતૈસી, સમવાય ઢાંચા(ફેડરલિઝમ)ની ઐસીતૈસી, હિંદુઓ વચ્ચે સહિયારાપણાની ઐસીતૈસી, સભ્યતાની ઐસીતૈસી, મર્યાદાની ઐસીતૈસી, બેસ્ટ ટેલેન્ટની ઐસીતૈસી વગેરે લાંબી યાદી છે. જો ઇઝરાયેલે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને સંરક્ષણ સમિતિમાં લીધાં હોત, તો તે ૧૯૬૭માં છ દિવસના યુદ્ધમાં વિજયી ન નીવડ્યું હોત. જો અલ્પશિક્ષિત વ્યક્તિને શિક્ષણ ખાતું સોંપ્યું હોત તો હિબ્રુ ભાષાને પાછી જીવતી કર્યા પછી તેમાં માતબર સાહિત્ય લખાતું ન થયું હોત. જો યુનિવર્સિટીઓ સામે મોરચા માંડ્યા હોત તો બે ઇઝરાયેલીઓને અનુક્રમે સાહિત્ય અને અર્થશાસ્ત્ર માટે નોબેલ પારિતોષિક મળ્યાં તે ન મળ્યાં હોત. જો અર્થશાસ્ત્રનો કક્કો નહીં જાણનારાઓ અર્થતંત્રનું સંચાલન કરતા હોય તો ઇઝરાયેલનો આટલો આર્થિક વિકાસ ન થયો હોત. જો યહૂદીઓમાં સહિયારાપણું પેદા ન કર્યું હોત તો સરકરના પક્ષપાત અને અન્યાયના પક્ષે એકંદરે સર્વસંમતિ પેદા ન થઈ હોત.

ઇઝરાયેલ આ કરી શક્યું કારણ કે ઇઝરાયેલનો યહૂદી રાષ્ટ્રવાદ ગંભીર નક્કર ખણખણતા રૂપિયા જેવો છે. આનાથી ઊલટું આપણે ત્યાંના હિંદુ રાષ્ટ્રવાદીઓ માથાભારેપણું બતાવીને પોતાની હાજરી બતાવી રહ્યા છે.

આવું કેમ? આવું એટલા માટે કે … વાત થોડી લાંબી છે એટલે હવે પછી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 28 નવેમ્બર 2019

Loading

અથ (મહા)રાષ્ટ્રકથા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|28 November 2019

શરૂઆત આપણે, નમૂના દાખલ, બે ઉદ્‌ગારોથી કરીશું : તાજેતરનાં વરસોમાં શિવસેનાના વલણવ્યૂહના વ્યાખ્યાકાર તરીકે ઉભરેલા સંજય રાઉતે કહ્યું છે કે હવે અમારું સૂર્ય યાન દિલ્હીમાં પણ ઉતરાણ કરી શકે છે. બીજા એક શિવસેના પ્રવક્તાએ કહ્યું છે કે ‘અમે’ યુતિ સરકારમાં ભા.જ.પ.ના જે નિર્ણયો સાથે નહોતા એવા પ્રોજેક્ટ પડતા મૂકીશું. સેના વર્તુળો આ સંદર્ભમાં તરત બે દૃષ્ટાંત આપે છે. હમણાં જ આરે કોલોની પ્રકરણમાં જે રીતે બેરહમ બેસુમાર વૃક્ષ કપાયાં તે; અને બીજું, દેશવ્યાપી વિક્ષોભ જગવે તેવું દૃષ્ટાંત એ કે વ્યર્થનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પડતો મૂકાશે. જ્યાં સુધી સંજય રાઉત ચિંતવ્યા સૂર્ય યાનના દિલ્હી ઉતરાણનો સવાલ છે, એની હર્ષોદ્રેકી અને અતિરંજની તાસીર સાફ છે. તેમ છતાં, એની પૂંઠે એક સંકેત ખસૂસ પડેલો છે કે વિપક્ષને હારણ મનોદશાની કળ વળી રહી છે. જ્યાં સુધી પ્રોજેક્ટો પડતા મૂકવાની વાત છે, એમાં એક અગ્રતાવિવેકનો ટંકાર સ્પષ્ટ રહેલો છે. મોટા-દઈત-દાખડા-વાદની એક મેગેલોમેનિયાક માનસિકતા આજે દેશમાં શીર્ષસ્થાને આરૂઢ છે ત્યારે બુલેટ ટ્રેન જેવા વ્યર્થ ઉધામાને આમ આદમીની આણ અને આમન્યાનો સાક્ષાત્કાર કરાવવો એ ધર્મ્ય બની રહે છે. કહેવું હોય તો કહી શકાય કે ‘નો બી.જે.પી.’ના કથિત નકારાત્મક વ્યૂહમાં કશોક સકારાત્મક અગ્રતાક્રમ પણ છે.

આ મુખડો તો બાંધ્યો, બેલાશક બાંધ્યો, પણ છેવટે તો દૂધદાઝ્‌યા છાશફૂંક જમાત માંહેલા છીએ એટલે એટલું અવશ્ય સમજીને ચાલવું રહે કે ભા.જ.પ.ની સાથે સત્તાભાગી રહી પ્રતિસ્પર્ધી હિંદુત્વની રાજનીતિ કરનાર એક પક્ષ સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસ મળીને સરકાર રચી રહ્યાં છે એનો માર્ગ જેટલો સામેવાળાને કારણે એટલો જ એકબીજા થકી કંટાકાકીર્ણ હોઈ શકે છે. નહીં કે ભેગાં મળવાનું લૉજિક નહોતું; પણ એના પ્રશ્નો તો છે.

કબૂલ કે બેઉ બાજુએ ‘ત્રયાણાં ધૂર્તાનામ્‌’નો મામલો હોઈ શકે છે. પણ ભા.જ.પ. અને પી.ડી.પી. સાથે મળીને સરકાર રચી શકતાં હોય, હજુ બે-ત્રણ દિવસ પર ભા.જ.પ.-એન.સી.પી. (અજીત પવાર) નવી દિલ્હીની મિનિટોમિનિટ લીલી ઝંડી સાથે ગાંધર્વલગ્ન કરી શકતાં હોય તો સેના અને બેઉ કૉંગ્રેસ પણ મૂર્તિમંત હ્યુબ્રિસ ઘટના સામે શા સારુ એક ન થઈ શકે. પણ દાવપેચની હેરતઅંગ્રેજ ચિત્રણાથી માંડી રાષ્ટ્રીય તખતે પવારની પુનઃપ્રતિષ્ઠા સહિતનાં વાનાં લગરીક વીસારે પાડીને જરી લાંબે પને વિચારવા જેવો ઘટનાક્રમ આ ખરેખર તો છે.

ઇતિહાસમાં પાછે પગલે જઈએ તો સંયુક્ત વિધાયક દળ(૧૯૬૭)ના દોરમાં બિહારમાં બનેલી સરકારના પ્રધાનમંડળમાં જનસંઘ અને સામ્યવાદી પક્ષ બેઉ અંગભૂત હતા. મોરારજી દેસાઈ અને જનતા પક્ષનો દોર પણ, આમ તો, જનસંઘ સહિતના પક્ષોની મિશ્ર સરકારનો હતો. પણ ત્યાં નહીં અટકતાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર સંભારીએ તો એને ભા.જ.પ. અને સી.પી.એમ. બેઉનો બહારી ટેકો હતો. દેવે ગૌડાની સંયુક્ત મોરચા સરકાર પણ અહીં સંભારી શકીએ. મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકારમાં જે બે વિધાયક વાનાં (ભલે, ‘નીવડ્યે વખાણ’ છતાં) છે તે અહીં નોંધવાં જોઈએ. શિવ સેનાના વડા (ઉધ્ધવ ઠાકરે) રિમોટ કંટ્રોલની કુશાંદે સગવડ છોડી વાસ્તવિક સત્તાદાયિત્વમાં ભાગિયા બને છે. કૉંગ્રેસની તાસીર બહારીના ટેકાની અને પહેલી તકે ટેકાખેંચની રહી છે. પણ શરદ પવારના પ્રયાસવશ કે અન્યથા અહીં તે પ્રત્યક્ષ સત્તાભાગી છે. જે લાંબો સમય મહાઆઘાડીએ લીધો એમાં જેમ સત્તાના સમીકરણની ભાંજઘડ હતી તેમ કૉમન મિનિમમ પ્રોગ્રામનીયે ઘડભાંજ હશે સ્તો. બુલેટ ટ્રેન, એ આ હિમશિલાનું એકદશાંશમું ટોચકું હોય તો હોય.

હમણાં લાંબે પને જોવાની જે જિકર કરી એના સંદર્ભમાં શિવસેનાનો ઉદય અને ભા.જ.પ.ની ને એની પરસ્પરસ્પર્ધી હિંદુત્વ યુતિ તપાસવા જોગ છે. મરાઠી માણૂસની રોજમર્રાની જિંદગીમાં બધી મુશ્કેલીઓ ‘બહારના લોકો’થી છે એ એનું ઉદયબિંદુ. એમાં લુમ્પન તત્ત્વોને મળી રહેલો અવકાશ (હપતા ઉઘરાણી) એ એનો એક વિશેષ. પણ કાર્યક્રમ અને વિચારધારા વગર ન ચાલે તે સમજાયાથી કંઈક નામ કે વાસ્તે, કંઈક ખરેખાત, એ માટેની કોશિશમાં ખાડીલકરકૃપાએ વચગાળામાં સામ્યવાદી વેશ તો શિવાજીની સગવડિયા જયમાં રહેલી હિંદુત્વ સુવિધાનું મનોવૈજ્ઞાનિક શોષણ. (એટલે એ બુલેટ ટ્રેન છોડી શકશે પણ શિવાજીનું દરિયે ખોડ્યું આભે પૂગતું બાવલું નહીં છોડી શકે.)

એન.સી.પી.ના નવાબ મલિકે અમારું આ જોડાણ છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને અનુસરશે એમ કહ્યું એમાં જેમ શિવ સેના સાથે સંધાનની તેમ શિવાજીના સમુદાર અર્થઘટનની પણ ગુંજાશ છે. અહીં સહજ જે બે દૃષ્ટાંત સાંભરે છે તે આ સંદર્ભમાં ટાંકું છું. ઓગણીસમી સદી ઊતરતે અને વીસમી સદી બેસતે હિંદુ અને મુસ્લિમ એ બે જે નવી પોલિટિકલ કન્સ્ટ્રક્ટ આપણી સામે આવી એમાં બાળ ઠાકરેને અભિમત શિવાજી હિંદુત્વ રાજનીતિની પ્રેરણા-અને-પર્યાય-પ્રતિમા બની ગયા. તે સિવાય, શિવાજીનું એક પ્રતિકારપુરુષ (રેઝિસ્ટન્સ લીડર) તરીકે અને મુસ્લિમ સાથીઓએ શોભી શકતા રાજપુરુષનું ચિત્ર એકંદરે ઇતિહાસસમ્મત હતું. ‘શિવરાયાચે આઠવાવે પ્રતાપ’ (સમર્થ રામદાસ) એમ કહેવાયું ખરું, પણ એ આજના રાજકીય હિંદુ નહોતા. એમના સરદારોમાં (પુષ્પા ભાવેએ સમજાવ્યું છે એમ) ઓ.બી.સી. અગુઆઈ હતી. આજે જેમની પુણ્યતિથિ છે તે ફુલેએ ‘અમારા શુદ્રોના રાજા’ એમ કહી એમનો મહિમા કર્યો છે. આ અભિગમમાં હિંદુસમાજમાં નાતજાતગત ઊંચનીચનો મુદ્દો કે ‘ધ અધર’શી શત્રુખોજનો મુદ્દો સ્વાભાવિક જ પાછળ રહી જાય છે. ઝનૂની તત્ત્વોનો ભોગ બનેલા પાનસરેનો એક વિશેષ શિવચરિત્રના ઉદાર ઉર્થઘટનનો હતો જે હિંદુત્વ રાજનીતિના અંતિમવાદી ફિરકાને રાસ નહોતો આવ્યો. મુદ્દે, હિંદુત્વ પોતે થઈને સૌને એકત્ર રાખવામાં ઊણું પડે છે જેમ મુસ્લિમ રાજકીય ઓળખ એકલી કરાચી અને ઢાકાને સાથે ન રાખી શકી.

હમણાં ઓ.બી.સી. પરિબળોનો ઉલ્લેખ કર્યો એ કંઈક વધુ ચર્ચા માગી લે છે. શિવાજીથી આરંભાયેલી રાજવટ પેશવાઈમાં એટલે કે બ્રાહ્મણ આધિપત્યવાળી રાજવટમાં પરિણમી ત્યારથી માંડી આજ લગી મહારાષ્ટ્રના રાજકારણમાં બ્રાહ્મણ-બ્રાહ્મણેતર સંઘર્ષની એક ધારા રહી છે. ગાંધીહત્યા વખતે મહારાષ્ટ્રમાં હિંસક ઉદ્રેક પાછળ આ જ ધારા વિશેષરૂપે હતી. તિલક મહારાજની અરથીને ગાંધીએ ખભો આપ્યો અને નેતૃત્વે કરવટ બદલી એ સાથે બ્રાહ્મણવાદી રાજનીતિ માટે અસુખનો એક દોર શરૂ થયો. ભા.જ.પ., તાજેતરનાં વરસોમાં સૌને પહોંચવાની એની કોશિશ છતાં હજુ હિંદુસમાજની એવી સર્વસમાવેશી તાસીરનું રાજકારણ કશીક ગળથૂથીગત મર્યાદાને કારણે વિકસાવી શકેલ નથી. એની ‘બિગ બ્રધર’ મૂરત સામે શિવસેનાનું અસુખ સમજી શકાય છે. એમાં વળી એ વાસ્તવિકતા પણ કામ કરે છે કે ૧૯૮૯થી ૨૦૧૪ સુધી સેના-ભા.જ.પ. સહકારમાં સેના મોટો પક્ષ હતો. મે ૨૦૧૪ પછીના રાષ્ટ્રીય ચિત્રે મહારાષ્ટ્રમાં સેનાની આ સરસાઈ ખોવડાવી. એટલે અસુખને (અને આકાંક્ષાને) એક ઓર આમળો ચડ્યો. બીજી પાસ, યશવંતરાવ ચવાણ અને શરદ પવારે મરાઠા વંચિતતાને ખાસી હૂંફ આપેલી છે. જે રીતે ખેડૂતોના પ્રશ્ને દાઝ જાણીને શરદ પવાર જઈ રહ્યા છે એથી એ ગ્રામીણ મહારાષ્ટ્રને પોતીકા લાગે છે. શિવ સેના પણ સત્તાભાગિતા સાથે જેટલી ગ્રામીણ મહારાષ્ટ્રને સેવશે એટલો એનો વ્યાપ ને સ્વીકૃતિ વધશે. જે તે પ્રોજેક્ટના નામે ને બહાને કોર્પોરેટ તાલમેલ સાથે ભૂમિ-અધિગ્રહણ એ હાલની સરકારોનો સહજ રવૈયો રહ્યો છે. નવી સરકારે એમાં પુનર્વિચારનો વિવેક દાખવવો રહેશે.

ભા.જ.પ. રાષ્ટ્રીય તખતે પહોંચ્યો એમાં લુમ્પન અને હાલ જેને ફ્રિન્જ તત્ત્વ (જેમ કે પ્રજ્ઞા ઠાકુર) તરીકે ઓળખાય છે એનો ખાસો ફાળો રહેલો છે. ઇંદિરા ગાંધીની સંજય બ્રિગેડ પણ એવું જ એક ઉદાહરણ હતું. શિવસેનામાં પણ તમે આ તત્ત્વો જોઈ શકો. નવજોડાણ પછી તે જો ખરેખર પોતાને ‘નવી’ કરી શકે તો તે તેના અને વિકલ્પની રાજનીતિના હિતમાં હશે.

સ્થાનિક, પ્રાદેશિક ઓળખોનો વાજબી સ્વીકાર અને એમાંથી ઊગતું પણ વ્યાપક નાગરિક ઓળખ ભણી ઢળતું રાજકારણ આપણા સમયની માંગ છે. ભા.જ.પ. કનેથી દેશનું સૌથી ધનાઢ્ય અને જિ.ડિ.પી.માં સિંહફાળો આપતું રાજ્ય જેમની પાસે આવ્યું છે એમણે આ દાયિત્વ અને ઉત્તરદાયિત્વ બેઉ નભાવવાં રહેશે. કાશ, તે ‘કૉન્સેન્સ્યુઅલ પૉલિટિક્સ’ની રગ કેળવી શકો.

નવેમ્બર ૨૮, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 01-02

Loading

ડિસેમ્બર ૧૯૯૨, ડિસેમ્બર ૨૦૧૯

સલિલ ત્રિપાઠી|Opinion - Opinion|28 November 2019

ડિસેમ્બર ૧૯૯૨, છઠ્ઠી તારીખ. એ વખતે હું સિંગાપોરના એક અંગ્રેજી છાપામાં ખબરપત્રી હતો. અમારી કચેરીમાં હું એક લેખ લખી રહ્યો હતો, જ્યારે મારી મમ્મીનો મુંબઈથી ફોન આવ્યો.

“ટીવી જોયું? જરા જો તો ખરો!”

મારું ધ્યાન ટીવી પર નહોતું. અમારા ન્યૂઝરૂમમાં એક ટીવી હતું, પણ એમાં કોઈ બીજા સમાચાર આવતા હતા. મેં ટીકરટેપ પર રૉઇટરનું પ્રસારણ વાંચ્યું – બાબરી મસ્જિદનો પહેલો ગુમ્બજ તૂટી ગયો હતો; બીજા પર કહેવાતા ‘કારસેવકો’ ચડી બેઠા હતા અને એને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

“આપણે ફરીથી આજે ગાંધીની હત્યા કરી હોય એવું લાગે છે,” મમ્મીએ મને કહ્યું.  

બે-ત્રણ કલાક પછી મસ્જિદનું નામનિશાન રહ્યું નહોતું.

એ વખતના વડાપ્રધાન નરસિંહ રાવે મસ્જિદ ફરીથી બાંધવાનું વચન તો આપ્યું, પણ ‘પ્રાણ જાયે પર વચન ન જાયે,’ એ પ્રથા તો રઘુકુળમાં ચાલે, આપણા કલિયુગમાં નહીં. મસ્જિદ તોડનાર નેતાઓની ધરપકડ તો થઈ, પણ થોડાં વર્ષો પછી એક તો બન્યા ભારતના નાયબ વડાપ્રધાન; બીજાને મહત્ત્વની કૅબિનેટ મિનિસ્ટ્રી મળી; અને એક મહાશય, જેમણે આગલે દિવસે – પાંચમીએ – એક ભાષણ આપ્યું હતું કે જેમાં એમણે એ ‘કારસેવકો’ને પ્રોત્સાહન આપ્યું હતું, એ તો વળી વડાપ્રધાન પણ બની ચૂક્યા, અને જ્યારે એમનું અવસાન થયું ત્યારે ભુલકણા વિશ્લેષકોએ એમને મહાન રાજનીતિજ્ઞ ગણ્યા હતા.

સમય જતાં લોકો મસ્જિદ ભૂલવા મંડ્યા વિખ્યાત લેખક વી.એસ. નાયપૌલે તો મસ્જિદના વિનાશને એક હિન્દુ સ્વાભિમાનના અપમાનનો ‘અનિવાર્ય બદલો’ કહી યોગ્ય ઠરાવ્યો હતો. એક વખત એ જ જગ્યાએ મંદિર હતું, એવી માન્યતાને દૃઢ માની, એને તોડીને જ મસ્જિદ બંધાઈ છે, એવી લોકવાયકાને હકીકત સમજી, ત્યાં જ મંદિર બાંધવું અને એ બાંધતાં પહેલાં મસ્જિદ તોડવી, એ મનોવૃત્તિ મજબૂત બનતી ગઈ. ઘણા હિન્દુ આ માન્યતાને એક ઐતિહાસિક વાસ્તવિકતા માનવા મંડ્યા, પણ એવું કહેવું અશક્ય છે કે મોટા ભાગના હિંદુઓ આમ માનતા, કારણ કે કોઈએ એનો કોઈ સર્વે નહોતો કર્યો. વળી પાછું ભારતમાં તો કરોડોની પ્રજા પણ નાની લઘુમતીની ગણાય. આખો વિવાદ માન્યતા વિશે હતો; મેં તો માન્યું કે અંતે તર્ક અને સમજદારી પ્રવર્તશે.

સર્વોચ્ચ ન્યાયાલયના અજાયબ ચુકાદા પછી ઘણા પ્રશ્નો પેદા થયા છે, પણ એ પ્રશ્નોનો ઉત્તર આ ચુકાદામાં નથી મળવાનો. જે લોકો રાજકારણ વ્યાવહારિક રીતે જુએ છે, એમને કદાચ આ ચુકાદો પસંદ પડશે, કારણ કે ચુકાદાની નજરે કાયદા કરતાં લોક-લાગણી વધારે મહત્ત્વની ગણાઈ છે; પણ જે લોકો ન્યાયને વધારે મહત્ત્વ આપે છે, એમને માટે પણ આ ચુકાદો ઐતિહાસિક છે, કારણ કે આ ચુકાદાએ જે રીતે તાર્કિક છલાંગો મારી છે, એ ન્યાયાધીશોનું નૈપુણ્ય બતાવે છે. માનનીય ન્યાયાધીશોએ એમ નથી કહ્યું કે રામ એક ઐતિહાસિક વ્યક્તિ છે; એમણે માત્ર એટલું જ કહ્યું છે કે કાનૂનની નજરે રામ એક juridical વ્યક્તિ છે – કમ્પનીઓ પણ કાનૂનની નજરે વ્યક્તિ ગણાય છે, પણ juridical વ્યક્તિઓના હક વાસ્તવિક વ્યક્તિઓ કરતાં મર્યાદિત હોય છે.

પુરાતત્ત્વ વિભાગે એવું તો કહ્યું કે મસ્જિદની નીચે કોઈ બીજું મકાન કે માળખું હતું, પણ એ વિભાગે એમ ન કહ્યું કે એ એક મસ્જિદ હતી. સર્વોચ્ચ ન્યાયાલયે આ અભિપ્રાયનો સ્વીકાર તો કર્યો, પણ એમ ન કહ્યું કે એ મકાન હિન્દુ મન્દિર હતું, અને એમ પણ ન કહ્યું કે એ મકાન – કે માળખું – કોઈએ તોડી પાડેલું. મસ્જિદ તોડનારાઓની મુખ્ય દલીલ હતી કે ત્યાં એક મંદિર હતું, જે ૧૫૨૮માં બાબરે તોડ્યું હતું – એ વાત તો હવે ખોટી નીકળી, એક દંતકથા થઈ. એટલે જે ‘અન્યાય’ માટે એમણે ન્યાય માંગ્યો હતો, એ અન્યાય હતો જ નહીં.

હવે કરી જુઓ વિચાર : ત્યાં શું હતું એ કોઈને ખબર નથી, આપણને એ પણ ખબર નથી કે એ મકાન કોઈએ તોડ્યું હતું અને એ પછી ત્યાં મસ્જિદ બનાવાઈ હતી. કંઈક હતું અને ત્યાં મસ્જિદ બંધાઈ, પણ બાંધવાવાળાએ જે કંઈ હતું તે તોડ્યું હતું, એવો કોઈ પુરાવો નથી, અને જે હતું તે મંદિર હતું, એમ પણ કોઈ કહી નથી શકતું. વળી પાછું કોર્ટે એમ પણ કહ્યું કે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, અને ઉમેર્યું – ન્યાયનો આદેશ કરતી વખતે લોકોની ધાર્મિક માન્યતા અગત્યની નથી, પણ લોકોની શ્રદ્ધા આપણે સમજવી જોઈએ – આ બે સિદ્ધાંતનો અર્થ શું, અને એ બંનેની વચ્ચે કઈ રીતે સમાધાન કરાવાય, એ મને તો સમજાતું નથી.

તદુપરાંત સર્વોચ્ચ ન્યાયાલયે એમ પણ કહ્યું કે બાબરી મસ્જિદમાં રામની મૂર્તિ મુકાવાઈ એ વાત બરાબર નહોતી. બિનસાંપ્રદાયિક દેશ હોવાથી એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન જ ચલાવાય. કોર્ટે એમ પણ કહ્યું કે મસ્જિદમાં નમાજ ન પઢાઈ હોય, તો એનો અર્થ એમ નથી થતો કે એ જગ્યાને હવે મસ્જિદ ન ગણાય. કોર્ટે નોંધ્યું કે હિન્દુ અને મુસ્લિમ બન્ને પ્રજાએ ત્યાં પ્રાર્થના કરી છે અથવા નમાજ પઢી છે.

આવા વિશ્લેષણ પછી કોર્ટ પાસે એક સોનેરી તક હતી કે કોઈક મૌલિક, વિશિષ્ટ પ્રકારનો ચુકાદો આપે – દાખલા તરીકે, ઇસ્તંબુલમાં હેગિયા સોફિયા નામની ઇમારત છે, જે એક વખત ગ્રીક ઑર્થોડોક્સ ચર્ચ હતું, પછી મસ્જિદ બન્યું, અને હવે સંગ્રહસ્થાન છે. કોર્ટે કોર્દોબાના વિખ્યાત મસ્જિદ-ગિરજાઘરની પણ નોંધ લીધી હોત – મૂળ ત્યાં દેવળ હતું, તે મસ્જિદ બન્યું, અને હવે પાછું દેવળ છે, અને ત્યાં મુસ્લિમ પ્રજા નમાજ પઢવાની પરવાનગી માંગે છે, પણ સરકારે ઈન્કાર કર્યો છે. કોઈ ધમકી નથી આપતું અને છેલ્લાં સો વર્ષમાં ત્યાં કોઈ હિંસક બનાવ નથી બન્યો. શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ, સર્વધર્મસમભાવ – એ સિદ્ધાંત ભારતના મૂળભૂત સિદ્ધાંત હતા અને જેને કારણે ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓએ દેશ માટે એક બિનસાંપ્રદાયિક સંવિધાન રચ્યું હતું અને જેનો ઉલ્લેખ ન્યાયાધીશોએ કર્યો હતો.  પણ આ કાળજીપૂર્વક રચાયેલ મંતવ્યનો તાર્કિક આધાર હતો ૧૯૯૨નો બનાવ – ત્યારે મસ્જિદને જાણીજોઈને ઇરાદાપૂર્વક તોડી પડાઈ હતી – જે કૃત્યને મારી મમ્મીએ ગાંધીની બીજી હત્યા સાથે સરખાવી હતી – એ ઘટના ન તો ભૂલી શકાય અને કોર્ટથી પણ એની અવગણના ન કરાય. ચુકાદામાં ન્યાયાધીશોએ કહ્યું કે એ ઘટના એક ગુનો છે. પણ એ કાર્યવાહી હજુ ચાલ્યા કરે છે, અને એને તાબડતોડ પતાવવાની ન્યાયાધીશોને કોઈ જરૂર લાગી નહીં.

અને એ પછી તાર્કિક છલાંગ – ન્યાયાધીશોએ સર્વાનુમતે કહ્યું કે આ જમીન તો થઈ હિન્દુઓની – અને સંભાવનાઓનું સંતુલન કર્યા પછી નિર્ણય લીધો કે એ ૨.૭૭ એકરની જમીન સરકારે લઈ લેવી અને સરકાર બિનસાંપ્રદાયિક છે તે છતાં સરકારને કહેવું કે ત્યાં એક મંદિર બનાવવું. અને મુસ્લિમ પ્રજાને માઠું ન લાગે એટલે ૫ એકરની ઉચિત જમીન એમને દાનમાં આપવી, જ્યાં નવી મસ્જિદ ચણાવવી – પણ કોણે ચણવી અને એનો ખર્ચ કોણ આપશે, એ વિશે કોઈ વિશેષ સૂચના નહોતી.

વિચાર કરી જુઓ – એક માને બે દીકરા – મોટો હઠીલો, નાનો શાંત – મોટો નાનાને હંમેશાં હંમેશાં કરે અને એનું મનગમતું રમકડું લઈ લે. મા નાનાને એક ગોળપાપડીનો ટુકડો આપીને કહે કે, બેટા, તું જા, તું બહાર બીજી જગ્યાએ રમ, જ્યારે મોટો નાનાનું રમકડું લઈ રમવા માંડે એવો થયો ન્યાય.

સર્વોચ્ચ ન્યાયાલય પાસે બીજા રસ્તા હતા – કોર્ટ એમ કહી શકત કે જ્યાં સુધી ૧૯૯૨ના ‘પરાક્રમ’નો નિર્ણય ન આવે, ત્યાં સુધી એ જમીન કોની, એ વિષય પર ચુકાદો નહીં આપે. કોર્ટ ટર્કીના મ્યુઝિયમનો દાખલો ધ્યાનમાં લઈ બન્ને ધર્મ ત્યાં જઈ શકે અને સંગ્રહસ્થાન પણ સ્થપાય, એવું પણ કહી શકત. ત્યાં એક સ્મૃતિસ્થળ સ્થાપિત કરાત, જ્યાં આઝાદી પછી થયેલા પ્રત્યેક કોમી રમખાણ અને અત્યાચારના પીડિતોની યાદગીરી હોય – અમદાવાદ ૧૯૬૯, નેલી ૧૯૮૩, ઉત્તર ભારત ૧૯૮૪, ગુજરાત ૨૦૦૨.

પણ એવા વિચાર અભિવ્યક્ત કરી શકાય એવા ભારતની હત્યા ૧૯૯૨માં થઈ હતી; થોડા દિવસ પહેલાં આપણે એના અંતિમ સંસ્કાર થતા જોયા.                                                       

લંડન/ ન્યૂયોર્ક

E-mail : salil.tripathi@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 04-05

Loading

...102030...2,6802,6812,6822,683...2,6902,7002,710...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved