શરૂઆત આપણે, નમૂના દાખલ, બે ઉદ્ગારોથી કરીશું : તાજેતરનાં વરસોમાં શિવસેનાના વલણવ્યૂહના વ્યાખ્યાકાર તરીકે ઉભરેલા સંજય રાઉતે કહ્યું છે કે હવે અમારું સૂર્ય યાન દિલ્હીમાં પણ ઉતરાણ કરી શકે છે. બીજા એક શિવસેના પ્રવક્તાએ કહ્યું છે કે ‘અમે’ યુતિ સરકારમાં ભા.જ.પ.ના જે નિર્ણયો સાથે નહોતા એવા પ્રોજેક્ટ પડતા મૂકીશું. સેના વર્તુળો આ સંદર્ભમાં તરત બે દૃષ્ટાંત આપે છે. હમણાં જ આરે કોલોની પ્રકરણમાં જે રીતે બેરહમ બેસુમાર વૃક્ષ કપાયાં તે; અને બીજું, દેશવ્યાપી વિક્ષોભ જગવે તેવું દૃષ્ટાંત એ કે વ્યર્થનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પડતો મૂકાશે. જ્યાં સુધી સંજય રાઉત ચિંતવ્યા સૂર્ય યાનના દિલ્હી ઉતરાણનો સવાલ છે, એની હર્ષોદ્રેકી અને અતિરંજની તાસીર સાફ છે. તેમ છતાં, એની પૂંઠે એક સંકેત ખસૂસ પડેલો છે કે વિપક્ષને હારણ મનોદશાની કળ વળી રહી છે. જ્યાં સુધી પ્રોજેક્ટો પડતા મૂકવાની વાત છે, એમાં એક અગ્રતાવિવેકનો ટંકાર સ્પષ્ટ રહેલો છે. મોટા-દઈત-દાખડા-વાદની એક મેગેલોમેનિયાક માનસિકતા આજે દેશમાં શીર્ષસ્થાને આરૂઢ છે ત્યારે બુલેટ ટ્રેન જેવા વ્યર્થ ઉધામાને આમ આદમીની આણ અને આમન્યાનો સાક્ષાત્કાર કરાવવો એ ધર્મ્ય બની રહે છે. કહેવું હોય તો કહી શકાય કે ‘નો બી.જે.પી.’ના કથિત નકારાત્મક વ્યૂહમાં કશોક સકારાત્મક અગ્રતાક્રમ પણ છે.
આ મુખડો તો બાંધ્યો, બેલાશક બાંધ્યો, પણ છેવટે તો દૂધદાઝ્યા છાશફૂંક જમાત માંહેલા છીએ એટલે એટલું અવશ્ય સમજીને ચાલવું રહે કે ભા.જ.પ.ની સાથે સત્તાભાગી રહી પ્રતિસ્પર્ધી હિંદુત્વની રાજનીતિ કરનાર એક પક્ષ સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ અને કૉંગ્રેસ મળીને સરકાર રચી રહ્યાં છે એનો માર્ગ જેટલો સામેવાળાને કારણે એટલો જ એકબીજા થકી કંટાકાકીર્ણ હોઈ શકે છે. નહીં કે ભેગાં મળવાનું લૉજિક નહોતું; પણ એના પ્રશ્નો તો છે.
કબૂલ કે બેઉ બાજુએ ‘ત્રયાણાં ધૂર્તાનામ્’નો મામલો હોઈ શકે છે. પણ ભા.જ.પ. અને પી.ડી.પી. સાથે મળીને સરકાર રચી શકતાં હોય, હજુ બે-ત્રણ દિવસ પર ભા.જ.પ.-એન.સી.પી. (અજીત પવાર) નવી દિલ્હીની મિનિટોમિનિટ લીલી ઝંડી સાથે ગાંધર્વલગ્ન કરી શકતાં હોય તો સેના અને બેઉ કૉંગ્રેસ પણ મૂર્તિમંત હ્યુબ્રિસ ઘટના સામે શા સારુ એક ન થઈ શકે. પણ દાવપેચની હેરતઅંગ્રેજ ચિત્રણાથી માંડી રાષ્ટ્રીય તખતે પવારની પુનઃપ્રતિષ્ઠા સહિતનાં વાનાં લગરીક વીસારે પાડીને જરી લાંબે પને વિચારવા જેવો ઘટનાક્રમ આ ખરેખર તો છે.
ઇતિહાસમાં પાછે પગલે જઈએ તો સંયુક્ત વિધાયક દળ(૧૯૬૭)ના દોરમાં બિહારમાં બનેલી સરકારના પ્રધાનમંડળમાં જનસંઘ અને સામ્યવાદી પક્ષ બેઉ અંગભૂત હતા. મોરારજી દેસાઈ અને જનતા પક્ષનો દોર પણ, આમ તો, જનસંઘ સહિતના પક્ષોની મિશ્ર સરકારનો હતો. પણ ત્યાં નહીં અટકતાં વિશ્વનાથ પ્રતાપ સિંહની સરકાર સંભારીએ તો એને ભા.જ.પ. અને સી.પી.એમ. બેઉનો બહારી ટેકો હતો. દેવે ગૌડાની સંયુક્ત મોરચા સરકાર પણ અહીં સંભારી શકીએ. મહારાષ્ટ્રમાં નવી રચાયેલી સરકારમાં જે બે વિધાયક વાનાં (ભલે, ‘નીવડ્યે વખાણ’ છતાં) છે તે અહીં નોંધવાં જોઈએ. શિવ સેનાના વડા (ઉધ્ધવ ઠાકરે) રિમોટ કંટ્રોલની કુશાંદે સગવડ છોડી વાસ્તવિક સત્તાદાયિત્વમાં ભાગિયા બને છે. કૉંગ્રેસની તાસીર બહારીના ટેકાની અને પહેલી તકે ટેકાખેંચની રહી છે. પણ શરદ પવારના પ્રયાસવશ કે અન્યથા અહીં તે પ્રત્યક્ષ સત્તાભાગી છે. જે લાંબો સમય મહાઆઘાડીએ લીધો એમાં જેમ સત્તાના સમીકરણની ભાંજઘડ હતી તેમ કૉમન મિનિમમ પ્રોગ્રામનીયે ઘડભાંજ હશે સ્તો. બુલેટ ટ્રેન, એ આ હિમશિલાનું એકદશાંશમું ટોચકું હોય તો હોય.
હમણાં લાંબે પને જોવાની જે જિકર કરી એના સંદર્ભમાં શિવસેનાનો ઉદય અને ભા.જ.પ.ની ને એની પરસ્પરસ્પર્ધી હિંદુત્વ યુતિ તપાસવા જોગ છે. મરાઠી માણૂસની રોજમર્રાની જિંદગીમાં બધી મુશ્કેલીઓ ‘બહારના લોકો’થી છે એ એનું ઉદયબિંદુ. એમાં લુમ્પન તત્ત્વોને મળી રહેલો અવકાશ (હપતા ઉઘરાણી) એ એનો એક વિશેષ. પણ કાર્યક્રમ અને વિચારધારા વગર ન ચાલે તે સમજાયાથી કંઈક નામ કે વાસ્તે, કંઈક ખરેખાત, એ માટેની કોશિશમાં ખાડીલકરકૃપાએ વચગાળામાં સામ્યવાદી વેશ તો શિવાજીની સગવડિયા જયમાં રહેલી હિંદુત્વ સુવિધાનું મનોવૈજ્ઞાનિક શોષણ. (એટલે એ બુલેટ ટ્રેન છોડી શકશે પણ શિવાજીનું દરિયે ખોડ્યું આભે પૂગતું બાવલું નહીં છોડી શકે.)
એન.સી.પી.ના નવાબ મલિકે અમારું આ જોડાણ છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને અનુસરશે એમ કહ્યું એમાં જેમ શિવ સેના સાથે સંધાનની તેમ શિવાજીના સમુદાર અર્થઘટનની પણ ગુંજાશ છે. અહીં સહજ જે બે દૃષ્ટાંત સાંભરે છે તે આ સંદર્ભમાં ટાંકું છું. ઓગણીસમી સદી ઊતરતે અને વીસમી સદી બેસતે હિંદુ અને મુસ્લિમ એ બે જે નવી પોલિટિકલ કન્સ્ટ્રક્ટ આપણી સામે આવી એમાં બાળ ઠાકરેને અભિમત શિવાજી હિંદુત્વ રાજનીતિની પ્રેરણા-અને-પર્યાય-પ્રતિમા બની ગયા. તે સિવાય, શિવાજીનું એક પ્રતિકારપુરુષ (રેઝિસ્ટન્સ લીડર) તરીકે અને મુસ્લિમ સાથીઓએ શોભી શકતા રાજપુરુષનું ચિત્ર એકંદરે ઇતિહાસસમ્મત હતું. ‘શિવરાયાચે આઠવાવે પ્રતાપ’ (સમર્થ રામદાસ) એમ કહેવાયું ખરું, પણ એ આજના રાજકીય હિંદુ નહોતા. એમના સરદારોમાં (પુષ્પા ભાવેએ સમજાવ્યું છે એમ) ઓ.બી.સી. અગુઆઈ હતી. આજે જેમની પુણ્યતિથિ છે તે ફુલેએ ‘અમારા શુદ્રોના રાજા’ એમ કહી એમનો મહિમા કર્યો છે. આ અભિગમમાં હિંદુસમાજમાં નાતજાતગત ઊંચનીચનો મુદ્દો કે ‘ધ અધર’શી શત્રુખોજનો મુદ્દો સ્વાભાવિક જ પાછળ રહી જાય છે. ઝનૂની તત્ત્વોનો ભોગ બનેલા પાનસરેનો એક વિશેષ શિવચરિત્રના ઉદાર ઉર્થઘટનનો હતો જે હિંદુત્વ રાજનીતિના અંતિમવાદી ફિરકાને રાસ નહોતો આવ્યો. મુદ્દે, હિંદુત્વ પોતે થઈને સૌને એકત્ર રાખવામાં ઊણું પડે છે જેમ મુસ્લિમ રાજકીય ઓળખ એકલી કરાચી અને ઢાકાને સાથે ન રાખી શકી.
હમણાં ઓ.બી.સી. પરિબળોનો ઉલ્લેખ કર્યો એ કંઈક વધુ ચર્ચા માગી લે છે. શિવાજીથી આરંભાયેલી રાજવટ પેશવાઈમાં એટલે કે બ્રાહ્મણ આધિપત્યવાળી રાજવટમાં પરિણમી ત્યારથી માંડી આજ લગી મહારાષ્ટ્રના રાજકારણમાં બ્રાહ્મણ-બ્રાહ્મણેતર સંઘર્ષની એક ધારા રહી છે. ગાંધીહત્યા વખતે મહારાષ્ટ્રમાં હિંસક ઉદ્રેક પાછળ આ જ ધારા વિશેષરૂપે હતી. તિલક મહારાજની અરથીને ગાંધીએ ખભો આપ્યો અને નેતૃત્વે કરવટ બદલી એ સાથે બ્રાહ્મણવાદી રાજનીતિ માટે અસુખનો એક દોર શરૂ થયો. ભા.જ.પ., તાજેતરનાં વરસોમાં સૌને પહોંચવાની એની કોશિશ છતાં હજુ હિંદુસમાજની એવી સર્વસમાવેશી તાસીરનું રાજકારણ કશીક ગળથૂથીગત મર્યાદાને કારણે વિકસાવી શકેલ નથી. એની ‘બિગ બ્રધર’ મૂરત સામે શિવસેનાનું અસુખ સમજી શકાય છે. એમાં વળી એ વાસ્તવિકતા પણ કામ કરે છે કે ૧૯૮૯થી ૨૦૧૪ સુધી સેના-ભા.જ.પ. સહકારમાં સેના મોટો પક્ષ હતો. મે ૨૦૧૪ પછીના રાષ્ટ્રીય ચિત્રે મહારાષ્ટ્રમાં સેનાની આ સરસાઈ ખોવડાવી. એટલે અસુખને (અને આકાંક્ષાને) એક ઓર આમળો ચડ્યો. બીજી પાસ, યશવંતરાવ ચવાણ અને શરદ પવારે મરાઠા વંચિતતાને ખાસી હૂંફ આપેલી છે. જે રીતે ખેડૂતોના પ્રશ્ને દાઝ જાણીને શરદ પવાર જઈ રહ્યા છે એથી એ ગ્રામીણ મહારાષ્ટ્રને પોતીકા લાગે છે. શિવ સેના પણ સત્તાભાગિતા સાથે જેટલી ગ્રામીણ મહારાષ્ટ્રને સેવશે એટલો એનો વ્યાપ ને સ્વીકૃતિ વધશે. જે તે પ્રોજેક્ટના નામે ને બહાને કોર્પોરેટ તાલમેલ સાથે ભૂમિ-અધિગ્રહણ એ હાલની સરકારોનો સહજ રવૈયો રહ્યો છે. નવી સરકારે એમાં પુનર્વિચારનો વિવેક દાખવવો રહેશે.
ભા.જ.પ. રાષ્ટ્રીય તખતે પહોંચ્યો એમાં લુમ્પન અને હાલ જેને ફ્રિન્જ તત્ત્વ (જેમ કે પ્રજ્ઞા ઠાકુર) તરીકે ઓળખાય છે એનો ખાસો ફાળો રહેલો છે. ઇંદિરા ગાંધીની સંજય બ્રિગેડ પણ એવું જ એક ઉદાહરણ હતું. શિવસેનામાં પણ તમે આ તત્ત્વો જોઈ શકો. નવજોડાણ પછી તે જો ખરેખર પોતાને ‘નવી’ કરી શકે તો તે તેના અને વિકલ્પની રાજનીતિના હિતમાં હશે.
સ્થાનિક, પ્રાદેશિક ઓળખોનો વાજબી સ્વીકાર અને એમાંથી ઊગતું પણ વ્યાપક નાગરિક ઓળખ ભણી ઢળતું રાજકારણ આપણા સમયની માંગ છે. ભા.જ.પ. કનેથી દેશનું સૌથી ધનાઢ્ય અને જિ.ડિ.પી.માં સિંહફાળો આપતું રાજ્ય જેમની પાસે આવ્યું છે એમણે આ દાયિત્વ અને ઉત્તરદાયિત્વ બેઉ નભાવવાં રહેશે. કાશ, તે ‘કૉન્સેન્સ્યુઅલ પૉલિટિક્સ’ની રગ કેળવી શકો.
નવેમ્બર ૨૮, ૨૦૧૯
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2019; પૃ. 01-02