Opinion Magazine
Number of visits: 9684294
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આવા અણસરખા વાતાવરણમાં વિવાદો, મતમતાન્તરો, આવેશો કે પક્ષાપક્ષી સંભવે જ શી રીતે?

સુમન શાહ|Opinion - Literature|2 November 2019

નિષ્ઠાવાન અધ્યાપકો જૂજ છે ખરા પરન્તુ તેઓ પોતાના કશા જ વાંકગુના વિના ડીમૉરાલાઈઝ્ડ થઈ રહ્યા છે…

આપણે ત્યાં ગુજરાતીમાં આધુનિકતાવાદી સાહિત્ય રચાયું અને તેનો વાંકો વિસ્તાર થયો એ છઠ્ઠા અને સાતમા દાયકાનો સમયગાળો યાદ આવે છે. સાહિત્યપરક મતમતાન્તરો સિદ્ધ કરવા માટેની કડવી-મીઠી તકરારોનો સમય હતો. પક્ષાપક્ષી અને તડાતડીભરી પત્રચર્ચાઓથી વાતાવરણ ગરમ રહેતું. જો કે વિચારો ચોખ્ખા થતા. સ્વમતના આગ્રહને કારણે અને તેના પ્રસારની પુષ્ટિ માટે ખાસ્સી જકાજકી થતી. તેની પાછળ ઊભેલી અહમ્-અહમિકાને કારણે ક્યારેક ગાળાગાળીના બનાવો બનેલા. કોઈના નામ પર ભરી-સભામાં થૂંકવાની ઘટના બનેલી. ક્યારેક રીતસરની મારામારી પણ થયેલી. એક વાર મુમ્બઈમાં મારું વ્યાખ્યાન ચાલતું’તું એ દરમ્યાન હૉલની નીચે મૅદાનમાં મિત્રોએ કેટલાક લેખકોનાં નકામાં પુસ્તકોની હોળી કરેલી. જૂઠી સાહિત્યિક સ્થાપનાઓની બરાબરની ખબર લેવાતી. જીર્ણ પરમ્પરાઓ સામે ખાનગીમાં જે રોષ ભભૂકતો, ન પૂછો-ની વાત. દમ્ભી પોતડીદાસોની પોતડી ખૅંચી કાઢવા માટેની યુક્તિઓ વિચારાયેલી. સાહિત્ય માટે આધુનિકો જાનફિશાની કરતા – જાણે પ્રાણ આપી દેવાને થનગનતા હતા.

એ પૂર્વેના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે અનેક મુદ્દાઓ માટે જબરજસ્ત ઝઘડા થયેલા. જેમ કે, કાવ્ય ગાવાની વસ્તુ છે કે પાઠ કરવાની? કવિતા ઊર્મિપ્રધાન હોવી જોઈએ કે અર્થપ્રધાન? ‘સરસ્વતીચંદ્ર’-માં આકારનો પ્રશ્ન છે કે કેમ? કાવ્યમાં છન્દ અનિવાર્ય છે કે નહીં? નાટક ભજવવા માટે છે કે વાંચવા માટે? લગ્નસ્નેહ યોગ્ય કહેવાય કે સ્નેહલગ્ન? એક મજાનો વિવાદ સ્મરણીય છે. મધ્યકાલીન કવિ પ્રેમાનંદે તો આખ્યાનો જ લખેલાં. પણ દલીલો સાથે કહેવાયેલું કે પ્રેમાનંદે નાટકો પણ લખ્યાં છે. ખટલો કહી શકાય એટલી હદે વિવાદ વકરેલો. ચુકાદો એ આવેલો કે ના, પ્રેમાનંદે નાટકો નથી જ લખ્યાં …

આધુનિક સાહિત્યમાં, બે પ્રશ્ન જાગેલા : સર્જનમાં રૂપ – ફૉર્મ – અનિવાર્ય છે કે કેમ? ટૂંકીવાર્તામાં ઘટનાને ઘટાડી નાખવી તે ઉપકારક છે કે કેમ? વાતને ત્રણ-ચાર દાયકા થઈ ગયા. બન્ને પ્રશ્નો માટે તાત્ત્વિક ચર્ચાઓ ચાલેલી. પરન્તુ એ પછી કોઈ મુદ્દા માટે એમ બન્યું હોય એવું મેં તો નથી જાણ્યું.

આમ તો ‘સાહિત્ય સાહિત્ય’-માં હું આ વિષય ન છેડત પણ ‘ગાર્ડિયને’ એક લેખ મોકલ્યો, જેમાં વિદેશી સાહિત્યકારો વચ્ચે થયેલા ૨૫ ઝઘડાઓના વીગતે અહેવાલ આપ્યા છે. જેમની વચ્ચે થયા તેમાં મુખ્ય તો વિશ્વખ્યાત સાહિત્યકારો છે : હૅમિન્ગ્વે અને વિલિયમ ફૉકનર. હૅમિન્ગ્વે અને ફિત્ઝરાલ્ડ. કીટ્સ અને બાયરન. જૉહ્ન અપ્ડાઈક અને સલમાન રશદી. ડૅરેક વૉલ્પોલ અને વી.ઍસ. નાયપોલ. સાર્ત્ર અને કામૂ. માર્ક્વેઝ અને મારિયો વર્ગાસ લૉસા. એ ઝઘડાઓ સાહિત્યકલાને માટેની ઊંડી નિસબત, ખેવના અને સંવેદનશીલતા સૂચવે છે. કીટ્સનું ટીબીને કારણે ૨૫-ની વયે અવસાન થયેલું. શૅલિ અને એના બીજા મિત્રોએ કહેલું – કીટ્સના અવસાનનું કારણ એની કૃતિઓનાં નકારાત્મક અવલોકનો પણ છે. વગેરે. મારે બધી વીગતોમાં નથી ઊતરવું. ઘર બળતું હોય ત્યારે પારકી પંચાત કેટલી કરવી …

વર્તમાનમાં આપણે કશી સાહિત્યિક બાબતે ગાળાગાળી નથી જ કરતા, મારામારી તો નહીં જ. સૌ શાણા થઈ ગયા છીએ. એને કહેવાય, એકબીજાનું ચલાવી લેવાની માંહોમાંહ્ય હમજી રાખેલી હમજણ. જેવા છીએ બરાબર છીએ, બધું જેમ છે બરાબર છે, પ્રકારની ઠાવકાઈ. મૂંગારો સૌને કોઠે પડી ગયો છે. આમ તો એક-બે મુદ્દા માટે નહીં, આજકાલના આખેઆખા સાહિત્યિક પરિદૃશ્ય માટે લડી લેવું પડે એમ છે. પણ આ નુક્તેચિની એટલા માટે કરું છું કે થોડું જે સારું છે એ જળવાય ને વિકસે …

એક મહત્તાપૂર્ણ મુદ્દો આપણી પાસે હતો અને હજી છે. એ કે સાહિત્યિક સંસ્થાઓ સ્વાયત્ત હોવી જોઈએ અને તે લોકશાહીય પદ્ધતિથી ચાલવી જોઈએ. બહુ જ મૉડાં, અચાનક, ગુજરાતી સાહિત્ય પરિષદને એમ જોવા મળ્યું કે ગુજરાત સાહિત્ય અકાદમી સ્વાયત્ત નથી; હોવી જોઈએ. મથામણ ખાસ્સી થઈ પણ નીવેડો ન આવ્યો. જો કે એ મુદ્દો હવે મન્દપ્રાણ થઈ ગયો છે. એ કાજે કોઈ સાહિત્યકારે ધરણાં ન કર્યાં. કેટલાક અંદરનાઓએ જ અસહકારના ફતવાને ફગાવી દીધો. પહેલાંના બેયે બે પ્રમુખ સહિતના વર્તમાન પ્રમુખ ચૂપ છે. બને કે એમનો હૃદયભાવ કરમાઈ ગયો હોય …

પરન્તુ અકાદમી તો લ્હૅરમાં છે. ત્યાં રીતિનીતિનું નિયમન કરનારી કાર્યવાહક સમિતિ છે જ નહીં. માર્ગદર્શક સમિતિમાં કેટલા બચ્યા છે એ સવાલ છે. અને જો અમુક છે તો તેમની સાથે કઈ મીટિન્ગમાં કેવુંક માર્ગદર્શન મેળવાયેલું તે ઝટ જડે એવું નથી. હાલ અકાદમીમાં બે જ છે – મહામાત્ર અને અધ્યક્ષ ! બન્નેની સહિયારી મતિથી બધું હાલે છે. મબલક પૈસા સાહિત્ય માટે ખરચાય છે એ સારી વાત છે પણ કયા નિષ્ણાતોની રાહબરી હેઠળ? નિ ર્ણાયક બુદ્ધિમતિ કોની? ધોરણો કયાં? સમ્મતિ કોની? આ આપખુદી ન કહેવાય તો શું કહેવાય?

મેં એક-દોઢ વર્ષ પહેલાં પરિષદ પ્રતિ આ જ કૉલમમાં લખેલું કે લડત ચાલુ રાખો પણ ફતવો પાછો ખૅંચી લો. અકાદમીને લખેલું કે કાર્યવાહક અને માર્ગદર્શક બન્ને સમિતિઓની નવરચના કરો, નહીં તો આપખુદ લાગશો. આજે તો, લાગી જ રહ્યા છે ! આમાં કઈ લોકશાહી છે ને કયું બંધારણ? આ હકીકતની મુખ્યમન્ત્રીશ્રીને ખબર છે ખરી? સરકારને પ્રજાજીવનના સૅંકડો પ્રશ્નો ઉકેલવામાં રસ છે, તો આ ગમ્ભીર અને અત્યન્ત સંવેદનશીલ બાબતે તે અક્રિય કેમ છે? શું માતૃભાષાના સાહિત્યકારોની વેદનાની કોઇ જ વિસાત નથી?

આવા અણસરખા વાતાવરણમાં વિવાદો, મતમતાન્તરો, આવેશો કે પક્ષાપક્ષી સંભવે જ શી રીતે? આમાં, કયા આગ્રહ-દુરાગ્રહ માટે ઝઘડો કરવાનું જોમ આવે? આજે સરજાતું સારું સાહિત્ય સ્વલ્પ છે, એની સમુપકારક ટીકાને માટેનો અવાજ જાગે શી રીતે? સાહિત્યસિદ્ધાન્તોનો પરામર્શ બચ્યો જ નથી; શું થવાનું? કઈ પીઠિકાએ સાહિત્યપદાર્થનાં લેખાંજોખાં કરીશું? ગુજરાતી સાહિત્ય કૉલેજો અને યુનિવર્સિટીઓમાં ભણાવાય છે. એ પરમ આશા-સ્થાન છે. પણ એના વર્ગોમાં શું ચાલે છે? એ વર્ગને મેં વીસેક વર્ષ પૂર્વે ‘માંદો’ કહેલો. કહેલું ‘અવર ક્લાસરૂમ ઇઝ સીક’. ત્યાં નિયત પુસ્તકો કોઈ લાવતું જ ન્હૉતું ને માત્ર નૉટો ઉતરાવાતી’તી. આજે તો, અપવાદો બાદ કરતાં, એના હાલ એથી પણ બૂરા છે. વર્ગ મરણશરણ છે. વિદ્યાર્થીઓ દિગ્ભ્રાન્ત છે. વિદ્યાવૃત્તિ ધોવાઈ ગઈ છે. રસવૃત્તિવાળું કોઇ મળે તો મળે. અમુકો તો વર્ગમાં આવીને અધ્યાપકનું મૉં જોતા બેસી રહે છે ! અધીત ઑસરતું ચાલ્યું છે. નિષ્ઠાવાન અધ્યાપકો જૂજ છે ખરા, પરન્તુ તેઓ પોતાના કશા જ વાંકગુના વિના ડીમૉરાલાઈઝ્ડ થઈ રહ્યા છે …

અમુક સાહિત્યકારો અકાદમીને, અમુક પરિષદને, તો કેટલાક બન્નેને, સહકાર આપે છે. પણ સ્વાયત્તતાની વાતે સર્વસામાન્યપણે સૌ દુ:ખી છે. નીવડેલા સાહિત્યકારો કારકિર્દીને માંડ સહીસલામત રાખી રહ્યા છે. ‘યુવા સાહિત્યકાર’-થી પુરસ્કૃત નવલોહિયાઓ નિરાશવદન છે. કેટલાક સારું કાવ્ય કે સારી વાર્તા લખીને મનને ખુશ રાખી રહ્યા છે. પણ સવાલોનો સવાલ એ છે કે વાચકો છે ખરા. સવાલ લાજવાબ છે.

જોવા જઈએ તો જાનફિશાની માટેનો આ સર્વોત્તમ સમય છે, પણ કોઈ તૈયાર નથી. હા, તો પછી આગળ શું કહેવું? ઇતિશ્રી !

= = =

[૦૨/૧૧/૨૦૧૯ના રોજ “નવગુજરાત સમય”માં, ‘સાહિત્ય સાહિત્ય’ કટારમાં, પ્રકાશિત લેખ અહીં સૌજન્યસહ મૂક્યો છે]

Loading

બોણીની લાગણી એટલે મહેનતકશો માટે આદર અને આભાર, સહુ માટે પ્રેમ અને પ્રસન્નતા, પોતાના માટે આનંદ અને અજવાસ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|1 November 2019

ઉજળા સમાજ માટે બોણી પાછળની લાગણી એ તહેવાર નિમિત્તે શ્રમજીવીની કદર અને મહેનતકશની મદદ એવી હોવી જોઈએ. હાથ મેળવીને, ખુશી સાથે ‘સાલ મુબારક’ બોલીને, મીઠાઈના પડીકા સાથે બોણી આપવાનો હરખ માણવા જેવો હોય છે.

‘લો, આમને પાછી બોણી આપવાની’ – મધ્યમ અને શ્રીમંત વર્ગના લોકોમાંથી ઘણાં કંઈક આવી લાગણી સાથે નવાં વર્ષની બોણી આપતા હોય છે. ખરેખર તો, ઉજળા સમાજ માટે બોણી પાછળની લાગણી એ તહેવાર નિમિત્તે શ્રમજીવીની કદર અને મહેનતકશની મદદ એવી હોવી જોઈએ. તેમાં દયા કે અહેસાનના ભાવને સ્થાન ન હોય. બોણી ખુશીથી અપાય તો જ આપનારને પક્ષે એનો કોઈ મતલબ છે. લેનારના છેડે તો નાખુશીથી આપવામાં આવતી બોણીનો ય મતલબ હોય છે કારણ કે તેની આવક ઓછી છે, મહેનત વધુ છે અને મોંઘવારી તો કરતાં ય વધુ છે. એટલે બોણી વધારે અને પૂરાં દિલથી આપવી. હાથ મેળવીને, ખુશી સાથે ‘સાલ મુબારક’ બોલીને, મોં મીઠું કરાવીને, મીઠાઈના પડીકા સાથે રૂપિયાઓની નવી કોરી નોટો આપવાનો હરખ માણવા જેવો હોય, સામા માણસના ચહેરા પરના ભાવ વાંચવા જેવા હોય છે.

બોણી આપીને આપણે જેમના આભાર માનવાના છે એવા શ્રમજીવીઓની કદર અને નિસબતથી બનાવેલી યાદી મોટી થાય. શરૂઆત થાય તે ઘર, રહેણાંક-વિસ્તાર અને કામની જગ્યાએ ગટર-જાજરુ-બાથરૂમથી લઈને આખો પરિસર સાફ રાખતા સફાઈ કર્મચારીઓ તેમ જ કચરો અને કાટમાળ ટ્રૅક્ટરોમાં ભરીને લઈ જનારા કામદારોથી. ઘરે કચરા-પોતાં-કપડાં-વાસણ કરનારાં ઉપરાંત ઇસ્ત્રીવાળા ને દૂધવાળા ભૂલાય નહીં. ધોધમાર વરસાદમાં કે કડકડતી ઠંડીમાં વહેલી સવારે દરરોજ આપણા માટે અનિવાર્ય અખબાર લઈને આવનાર ભાઈ દિવસ દરમિયાન આપણને સામે મળે તો આપણે એમને ઓળખી ન શકીએ, આપણે એને જોયેલા જ નથી હોતા, કારણ કે એના દિવસનો એક હિસ્સો જ્યારે પૂરો થાય છે ત્યારે આપણો દિવસ માંડ ચાલુ થાય છે! ઝાંપા, સિક્યુરિટી અને સી.સી.ટી.વી. કૅમેરાના દિવસોમાં, જે સોસાયટીઓ કે એપાર્ટમેન્ટોમાં આવવા દેતા હોય ત્યાં, ફેરિયા કેટલા બધા આવે છે ! શાકભાજી, નાસ્તા, પ્લાસ્ટિકની વસ્તુઓ, ચાદરો, સાવરણાં વગેરે વેચનારા, પસ્તીવાળા, ધાર કાઢનારા, પ્લમ્બર, સુથાર, બૂટ-ચપ્પલ રિપેર કરનારા અને બીજા પણ ઘણાં. બળબળતી બપોરે કુરિયરવાળા સાયકલ પર આવે છે. સિક્યુરિટીવાળા ઠેરઠેર રાતદિવસ રખોપાં કરે છે. પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ ભરનારાં ભાઈઓ (અને કેટલીક જગ્યાએ બહેનો પણ) કેટલા કલાક ઊભા રહેતાં હોય છે ?

હવા પૂરનારા કે કચરાં-પોતાં કરનારનાં ઢીંચણો અને કેડોનું શું થતું હશે ? છૂટક મજૂરી કરનાર સ્ત્રી-પુરુષો આપણે ત્યાં વરસ દરમિયાન આવીને નાનાં-મોટાં કામ કરી જતાં હોય છે. આવા કંઈ કેટલાં શ્રમજીવી સ્ત્રી-પુરુષો બોણીનાં સાચાં હકદાર છે. એમાંથી દરેક જણ ચોવીસ કલાકમાંથી કેટલા કલાક કેવી રીતે મજૂરી કરીને બે છેડા ભેગા કરે છે તે વિચારવું રહ્યું. તેમના માટે રહેવાની-સૂવાની જગ્યા કઈ? ફૂટપાથ, ચાલી ખોલી, ઝૂંપડું-તાડપત્રી-છાપરું, રેનબસેરા, કેબિન, શેડ? તેઓ જાજરુ જવા, નહાવા, કપડાં ધોવાં ક્યાં જાય છે? તેમને કેટલા ટંક, ક્યાં અને કેવું ખાવાનું મળે છે? ધંધા-રોજગાર પર જવાં માટેનાં તેમનાં ‘સાધનો’ કયાં? પગ, સાયકલ, પગરિક્ષા, લારી, છકડા, મુકાદમનો ટેમ્પો, એ.એમ.ટી.એસ.-બી.આર.ટી.એસ., બાઇક? આ સાધનોમાં અવરજવર કઈ કિંમતે કયા જોખમે ? આ બધાં માંદા પડે ત્યારે ક્યાં જાય ? કપાતી રોજીએ પડ્યા રહે ? મેડિકલની દુકાનેથી ગોળી લાવે ? જાહેર દવાખાનાંમાં તેમને ક્યારે-કેવી સારવાર મળે ? નહીં તો વતન પાછાં જાય ? આ બધાં કામ પર હોય ત્યારે તેમનાં બાળકોનું શું થાય ? બાજુમાં ઝોળીમાં સૂએ, માટીમાં રમ્યાં કરે, મજૂરીમાં જોડાય, મ્યુનિસિપાલિટીની શાળાએ જાય ? એમનાં મા-બાપને સામે શું મળે?

કુશળ કારીગરને આઠ-દસ કલાકના વધુમાં વધુ હજાર, બીજાંઓને પાંચસોથી સાતસો. સામે શરીરનું વૈતરું કેટલું? આ વૈતરાં માટે તેમને પૈસા આપતાં ભદ્રજનો શુગર અને વજન ઘટાડવા સવાર-સાંજ ટ્રૅક સૂટમાં ચાલતાં-ચાલતાં બળેલી કૅલરિ મોબાઈલ ઍપમાં માપતાં હોય છે. વૉક કરનારા એ લોકો આખો દિવસ પરસેવો કરતાં કોઈ પણ સ્ત્રી-પુરુષનાં શરીરે એક કલાક ઍપ લગાવીને જુએ. તેમને કદાચ ખબર પડે કે મજૂરના શરીરેની અંદરથી બળેલી એ કૅલરી માટે કલાકના પચાસ કે સાઠ જ રૂપિયા મળે ત્યારે જીવ કેવો બળતો હશે ! એ જ રીતે સંપન્ન વર્ગોએ પોતાની અને શ્રમજીવીઓની આખી ય જીવનશૈલી સરખાવવા જેવી છે. તેમાંથી ખ્યાલ આવશે  કે આપણને પીવાનાં પાણીથી માંડીને આનંદ-પ્રમોદ સુધીની જે બાબતો જેટલી અતિ સુલભ છે તેમાંથી દરેક શ્રમજીવીઓ માટે ખૂબ દુષ્કર અથવા અસાધ્ય છે. અર્થશાસ્ત્રની ભાષામાં કહીએ તો ભારતનાં મોટા ભાગની રોજગારી અસંગઠિત ક્ષેત્ર એટલે કે અનઑર્ગનાઇઝડ સેક્ટરની છે. જેમાં વેતનનાં દર, કામના કલાક, કર્મચારીના અધિકાર અને નોકરીની સલામતી જેવી બાબતો જાણે હોતી જ નથી.

બોણી આપવા માટેના અણગમાનું એક કારણ ઑર્ગનાઇઝડ સેક્ટર એટલે કે સંગઠિત, સલામત, પગારદાર સરકારી કે અર્ધસરકારી નોકરિયાતોના વર્ગમાંથી કેટલાકને આપવી પડતી બક્ષિસ એ છે. ટપાલી કે ટેલિફોન કર્મચારીને, કારકૂન કે પટાવાળાને બોણી આપવાનું ઘણાંને ગમતું નથી. કેટલાકને એવું પણ હોય છે કે આ કર્મચારીઓને ધોરણસરના પગાર મળે છે, તેઓ ખરી જરૂર હોય કામ કરતા હોતા નથી, ક્યારેક અપમાન પણ કરે છે. કેટલાક કામચોરી પણ કરતા હોવાની છાપ છે. આ બાબતો અનુભવ આધારિત અને વ્યક્તિસાપેક્ષ હોય છે.

કેટલાક લોકો એવું પણ માને છે કે બોણી માગનારને વગર મહેનતે કમાવાની આદત, માગીને ખાવાની દાનત હોય છે, લાયકાત કે મહેનત કરતાં વધારે મેળવવાનો લોભ હોય છે. એ રીતે જોઈએ તો, બોણીની વાત હોય કે ન હોય, પણ આપણા સમાજનો એક નોંધપાત્ર હિસ્સો આ વલણથી નથી ચાલતો શું? આપણી સરકારો પાસે આપણા સમાજના મોટા ભાગના લોકો કેટકેટલાં લાભ અને લ્હાણીની, સવલતો અને સગવડો, રજાઓ અને જોગવાઈઓ માગે છે ? શું એ માગણી અને આપણે દેશ માટે જે કરીએ છીએ એનો મેળ બેસે છે ? સામે પક્ષે સરકારો આપણી પાસે કેટકેટલા કરવેરા, કેટકેટલી માહિતી અને શરણભાવ સાથેની કેવી સંપૂર્ણ વફાદારીની અપેક્ષા રાખે છે? એ મેળવવાની યોગ્યતા આપણા શાસકોની ધરાવે છે ખરા ? બજાર આપણાં કુદરતી સંસાધનો અને વ્યક્તિગત આવકમાંથી કેટલું ઉલેચે છે, પોતે કેટલું કમાય છે અને અપણને કેટલું પાછું આપે છે એ હિસાબ માંડવા જેવા છે. આપણાં કેટલાં ય ધર્મસ્થાનોને ભાવિકો રોજેરોજ કરોડોની બોણી આપે છે ? એમાંથી સમાજને શું પાછું મળે છે ? ઠાલી ધાર્મિકતા અને અંધશ્રદ્ધા ?

શ્રમજીવીને બોણી આપવામાં કદર કરવાનો અને કદર પામવાનો સંતોષ છે. બોણી આપીને વર્ષમાં એક વખત સારું કામ કરવાની પ્રતીકાત્મકતા પણ લાગે. બોણી કે બક્ષીસ આપવાના વધુ પ્રસંગો ઊભા કરવા એ આપણી કદરદાની પર આધાર રાખે છે. ખરેખર તો બોણી કે બક્ષીસ સમાનતાવાદી સમાજમાં ઇચ્છનીય નથી. પણ આપણે એવા સમાજથી જોજનો દૂર છીએ. એટલે બોણી વિશેના એકતરફી કઠોર વિચારોમાં સૂકા ભેગું લીલું ય બળી ન જાય એ વિચારવાનું છે. બોણી એ શ્રમજીવીઓ તરફની આપણી કૃતજ્ઞતાનું એક પ્રતીક માત્ર છે. એ કૃતજ્ઞતા પ્રતીક ન રહેતા સ્થાયી કૃતિશીલતા બને એવી નવા વર્ષની શુભકામના.

*******

31 ઑક્ટોબર 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 01 નવેમ્બર 2019 

Loading

નમું તને હું ગુર્જરી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|31 October 2019

હૈયાને દરબાર

કેટલાંક ગીતો સાંભળવાની મજા કોરસમાં જ આવે. ખાસ કરીને એ ગીત રાષ્ટ્ર ભક્તિનું, શાળા, કોલેજ, કોઈ સંસ્થા કે પ્રદેશ માટે લખાયું હોય ત્યારે એ સમૂહગાનની અસર દીર્ઘજીવી હોય છે. ગુજરાત પ્રદેશ અને ગુજરાતી ભાષા માટે પણ કેટલાંક ઉત્તમ ગીતો રચાયાં છે, જેમાં ગુજરાત મોરી મોરી રે, જય જય ગરવી ગુજરાત ગીતો લગભગ બધાને ખબર છે. ઉમાશંકર જોશીએ લખેલું માતૃભાષા સંબંધી ગીત, સદા સૌમ્ય શી વૈભવે ઊભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી … અદ્ભુત કવિતા છે.

ઉમાશંકર જોશીની કવિતાઓ વિશે એટલું કહી શકાય કે એમનું કાવ્યવિશ્વ અનેક ભાવવિશ્વથી ભરેલું છે. તેઓ જણાવે છે કે બાળપણમાં એક એક શબ્દ આપણે શીખીએ છીએ. તે આપણી ચેતનાને સતત ઊર્ઘ્વગામી બનાવે છે. બાળપણના એ પ્રથમ ભાષાશિક્ષણનું મૂલ્ય અપાર છે.

તુષાર શુક્લ રચિત ભાષા મારી ગુજરાતી પણ સરસ ગીત છે. આ જ પ્રકારનું એક સુંદર ગીત એટલે નમું તને હું ગુર્જરી. કવિ જયન્ત પંડ્યા લિખિત આ ગીતમાં ગુજરાત અને ગુજરાતી ભાષાના ગૌરવની વાત સરસ રીતે આલેખાઈ છે. ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, ધર્મ-કર્મ, જાતિનાં લક્ષણો વર્ણવતું આ ગીત દસેક વર્ષ પહેલાં સંગીતકાર સુરેશ જોશીએ સ્વરબદ્ધ કર્યું અને કોરસમાં રજૂ થયું ત્યારથી એ મન પર હાવી થઈ ગયું હતું. આ ગીતના રચયિતા તથા માતૃભાષાના ચાહક, સંવર્ધક જયન્ત પંડ્યા વિશે સાહિત્યકાર ચંદ્રકાન્ત શેઠે જણાવ્યું હતું કે, ‘જયન્તભાઈ કવિતા અને સાહિત્યના જીવ. કવિતાના શબ્દને લયાકર્ષણે ઓળખતાં કવિતાની છંદોમયી વાણીના રસ રહસ્યને પામી ગયેલા કવિ હતા.’ કવિ સુરેશ દલાલે જેમના ‘મેઘદૂત’ના સમશ્લોકી ગુજરાતી અનુવાદને ભરપૂર બિરદાવ્યો હતો એ જયન્ત પંડ્યા ભાવક્ષણોને બરાબર પકડીને શુદ્ધ ગુજરાતી સાહિત્ય સર્જન કરનાર કવિ-લેખક હતા.

આ માતૃભાષાનું જતન કરનારાઓની આખી એક પેઢી સામે આજે એક એવી જમાત પણ છે જેને ભાષા જોડે કશી લેવાદેવા નથી. એ વિશેે લખવું એટલે જરૂરી છે કે અત્યારે જ્યારે ફરીથી ગુજરાતી ભાષામાં સંગીત અને ફિલ્મ ક્ષેત્રે પરિવર્તન આવી રહ્યું છે ત્યારે કેેટલાંક દૂૂષણથી દૂૂર રહેવું જરૂરી છે.

ફેસબુક ‘રાઈટર્સ’ની એક મોટી જમાત ઊભી થઈ છે. બ્લોગર્સ નહીં! એ તો થોડા સિરિયસ હોય પણ આ જે ‘પંચાતિયા’ઓ ભેગા થઈને ભાષાની ખૂનામરકી કરે છે એ જોઈને પેલું બાજીરાવ મસ્તાનીનું ગીત જ યાદ આવે, વાટ લાવલી. છેલ્લા એક જ અઠવાડિયાના ઓબ્ઝર્વેશનમાં જોયું કે સામાન્ય લોકો કેટલું ખરાબ ગુજરાતી લખે છે. એક ભાઈની પોસ્ટમાં એમણે લખ્યું, ‘ગેરેઝમાંથી પંદર દાડે ગાડી નિકાડી.’ ભાઈ પાછા ગુજરાતમાં જ રહે છે તો ય આવું ફારસ. એક બહેનની એક સૂફિયાણી પોસ્ટમાં ભાષાના એટલા બધા છબરડા (અહો આશ્ચર્યમ્‌) કે ના પૂછો વાત. ઉચ્ચ જ્ઞાતિનું નામ બોળ્યું કહેવાય. એમણે આ પોસ્ટ મુકી હતી, "આપડે ઘણી વખત આપડા હાથમાંથી છૂટી જતી વ્યક્તિ કે આપડી ભૂલોને પકડવા માટે ધમપછાડા કરી નાખતા હોઈએ છીએ .. એનું કારણ આપડો ઈગો ઘવાયો છે એમ જ કહી શકાય .. ભગવાન છે કે નથી એ આપડા વિશ્વાસ ઉપર આધાર રાખે છે .. પણ જો ક્યારેક આપડા જીવનની પેટર્ન જોઈએ તો કોઈક આપડને હંમેશાં સાચા માર્ગે દોરતું જ હોય છે .. એવો સમય પણ આવે છે જ્યારે આપડને આપડી ભૂલ સુધારવાનો મોકો મળતો હોય છે .. પણ એ ભૂલ ને તમે એવી વડગાડી દીધી હોય છે કે તમે એમ માનો છો કે એ ભૂલ પણ ફક્ત મારી જ છે .. અને તમે એ મોકો ચૂકી જતાં હોવ છો .. જીવન ઘણી વખત ફરી જીવવાનો મોકો આપતો જ હોય છે જે આપડા ઉપર છે કે એ મોકા ને જીવવો કે તમારા ઇગોની સાથે તમારી ભૂલોને જીવવી? આ ફકરો ’આપડ’વાણીને લીધે એટલો કઠે કે માથું ભીંતે પછાડવાનું મન થાય.

એક જણે ગીત મૂક્યું, ‘કાડજા કેરો કડકો મારો …’ ‘છોગાડા તારા’ તો બહુ જ કોમન. ‘ળ’ ને બદલે આ ‘ડ’ લખવાનું ડહાપણ ડ્હોળવાની શરૂઆત કોણ જાણે ક્યારથી શરૂ થઈ પણ નવી પેઢીના લહિયાઓ ‘ળ’ ને બદલે ‘ડ’ જ લખે છે. લહિયાઓને દર થોડા દિવસે ખરજવું થયું હોય એમ લખવાની ખૂજલી ઉપડે. પણ, ભાઇઓ અને બહેનો, લખવું ખાંડાની ધાર પર જીવવા જેવું છે, વર્બલ ડાયેરિયા નથી જ. અત્યારે તો લખવું એ જાણે સામાજિક સ્વીકૃતિ પામેલો સ્કિઝોફ્રેનિયા છે.

બોલ્શેવિક સિંગર નામના નોબલ પારિતોષિક વિજેતા લેખકે એક સ્થાને કહ્યું છે, ‘વેસ્ટ પેપર બાસ્કેટ ઈઝ અ રાઈટર્સ બેસ્ટ ફ્રેન્ડ.’ સમકાલીનના તંત્રી હસમુખ ગાંધીના હાથ નીચે જે પત્રકારોએ કામ કર્યું છે એમને આ બરાબર ખબર છે. એ હંમેશાં ’વાચકરાજા’ શબ્દ પ્રયોજતા. આજે વાચક પ્રત્યેની પ્રતિબદ્ધતા કેટલામાં છે? માર્ક ટ્વેઇનનું વાક્ય યાદ રાખજો : કોઈ તમને વળતર આપે ત્યાં સુધી મફતમાં લખવાનું ચાલુ રાખજો. જો ત્રણ વર્ષ સુધીમાં કોઈ તમને વળતર ચૂકવવા ન તૈયાર થાય તો તમારે માટે શ્રેષ્ઠ ધંધો લાકડાં કાપવાનો છે. સંગીત જેમ સાધના છે એમ લેખન પણ સાધના છે. જો કે, ક્રીએટિવ રાઈટિંગ, કમર્શિયલ રાઈટિંગ, પ્રોફેશનલ રાઈટિંગ અને ફેસબુક રાઈટિંગ તદ્દન ભિન્ન છે પણ આ નવી જે ફેસબુક જમાત ઊભી થઈ છે એ જમાતની ઓલાદો શું શીખશે ભગવાન જાણે!

અમેરિકાસ્થિત બાબુ સુથાર નામના એક ભાષાશાસ્ત્રીએ ફેસબુક પર એક કવિતા મુકી હતી એ વાંચવા જેવી છે :

ભાષાને શું વળગે ભૂર?

(એક ગુજરાતી લેખકનું અછાંદસ ગીત)

લોકો કહે છે કે અમે ભાષામાં ભૂલો કરીએ છીએ.
તો શું થઈ ગયું?
એમ તો ઈશ્વર ક્યાં ભૂલો નથી કરતો?
લોકો કહે છે કે અમને અનુસ્વાર બરાબર વાપરતાં નથી આવડતું.
શું છે આ અનુસ્વાર નામની બલા?
અમે તો ક્યાંય જોઈ નથી.
પૂરી રાખો એને વ્યાકરણની ચોપડીઓમાં.
લોકો કહે છે કે અમને હૃસ્વદીર્ઘ બરાબર વાપરતાં નથી આવડતું.
તો શું થઈ ગયું?
લોકોને સમજાય છે ને?
રસાનુભવ થાય છે ને?
લોકો Like મારે છે ને?
બાપુ અમારાં લખાણે ટાંકે છે ને?
પરિષદનાં શ્રેષ્ઠ વાર્તા કવિતામાં ચોપડામાં અમારાં લખાણ પૂજાય છે ને?
પાઠ્યપુસ્તકોમાં અમારાં લખાણો નથી આવતાં?
લોકો કહે છે કે અમને ગુજરાતી ભાષાનું વ્યાકરણ બરાબર નથી આવડતું.
તો કાંઈ વાંધો નહીં.
અખોએ તો કહ્યું છે : ભાષાને શું વળગે ભૂર
રણમાં જીતે તે શૂર.
અમે જીતીએ છીએને?
લોકો કહે છે કે અમને poeticsની ખબર નથી.
તે ક્યાંથી હોય?
અમે પેન લઈને બેસીએ
ઝાડ પરથી પાંદડું પડે
એમાં અમને ભાતભાતનું દેખાય
પ્રિયતમાનાં સ્તન પણ દેખાય
ને પાડોશણના કેશ પણ
ને દુકાનનો ગલ્લો પણ.
આ બધી પ્રેરણાનું શું?
આ લોકોનો એક જ પ્રોબ્લેમ છે સાહેબ
એ લોકો ભાષાને જૂએ છે ને
અમારાં કપડાંને તો જોતા જ નથી.
આ સૂરવાલ
આ ઝભ્ભો
આ ઉપરની બંડી
બધાંય ય રેશમનાં
અને સાહેબ નાડું પણ રેશમનું
એ બધું તો એમને દેખાતું નથી
હવે અમે જાહેર કરીએ છીએ કે અમે સાહિત્યકાર થઈ ગયા છીએ.
જે અમારી ભાષાની ટીકા કરશે એને અમે અવળેગધેડે બેસાડીને
સાહિત્યના જગતમાંથી બહાર મોકલી દેશું.
કાવ્યશાસ્ત્ર : મુર્દાબાદ
ભાષા : મુર્દાબાદ
જોડણી : મુર્દાબાદ
વ્યાકરણ : મુર્દાબાદ
હું અને અમે
જિંદાબાદ.

                               − બા.સુ.

વેલ, આ તો વાત થઈ ગુજરાતી ભાષાની ખૂનામરકીની. પરંતુ, એવા પણ કેટલાક સવાયા ગુજરાતીઓ છે જે ભાષાના જતન-સંવર્ધન માટે વિદેશમાં પણ ધૂણી ધખાવીને બેઠા છે.

ગુજરાતી સાંભળીએ,
ગુજરાતી બોલીએ,
ગુજરાતી વાંચીએ,
ગુજરાતી લખીએ,
ગુજરાતી જીવીએ.

આ પંચશીલ સૂત્રોના પ્રણેતા વિપુલ કલ્યાણી એટલે ગુજરાતી માતૃભાષાના જતન માટે જીવતા અને જીવવાની પ્રેરણા આપતા વિદેશમાં વસતા સવાયા ગુજરાતી.

સાહિત્યની સેવા કરતા લંડન સ્થિત સાહિત્યકાર વિપુલ કલ્યાણીએ એક સ્થાને સરસ વાત કરી હતી. તેમણે લખ્યું હતું, ‘કહેવાય છે કે, જે વ્યક્તિ પાસે પોતાની માતૃભાષાની સારી જાણકારી હોય તે અન્ય ભાષા સારી રીતે અને ઝડપથી શીખી શકે. માતૃભાષા તમારો પાયો છે અને તે જ કાચો રહેશે તો શું ઇમારત બુલંદ થવાની? માતૃભાષા વ્યક્તિને આત્મવિશ્વાસ આપે છે. આ વાત અભ્યાસો પરથી સાબિત પણ થઈ છે. ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતીઓમાં ૧૯૭૦ના દાયકામાં પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનું પસંદ કરતાં હતા. પણ એક અભ્યાસ પરથી સાબિત થયું છે કે જે બાળકને પોતાની માતૃભાષામાં શિક્ષણ મળે છે તે આગળ જતાં વધુ સારો અભ્યાસ કરી શકે છે. યુરોપિયન યુનિયનના દેશોના લોકો પણ પોતાના બાળકોને જર્મન, ફ્રેન્ચ જેવી પોતાની મૂળ ભાષામાં શિક્ષણ આપી રહ્યાં છે.’

મુંબઈમાં સાહિત્ય સંસદનું સંવર્ધન કરતાં કનુભાઈ સૂચકે એનો ફેલાવો અમેરિકા પણ કરીને ઉત્તમ કામ કર્યું છે.

મનોચિકિત્સકોનું માનવું છે કે, જે વ્યક્તિ પોતાની માતૃભાષા સારી રીતે સમજી શકે તે સરેરાશ ચારથી પાંચ ભાષા ઝડપથી શીખી શકે! માતૃભાષા આપણો વારસો છે અને તે આત્મવિશ્વાસ પ્રદાન કરે છે. તેથી જ ડૉ. ગુણવંત શાહ કહે છે કે, માતૃભાષા એ મા છે, અંગ્રેજી માસી છે. માસી ક્યારે ય માની તોલે ના આવી શકે.

આવી માતૃભાષાનાં આ ગીત વિશે સંગીતકાર સુરેશ જોશી કહે છે, "ગુર્જરી વિશે લખાયેલાં ગીતોમાં ગીત એ રીતે જુદું પડે છે કે એમાં સમગ્ર ગુજરાતી સંસ્કૃતિનો પડઘો પડે છે. અન્ય રચનાઓ તમે વાંચી હશે તો તમે સરખામણી કરી શકશો કે આ ગીતમાં ગુજરાતીપણું, ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિનો વૈભવ અભિપ્રેત છે. જયન્ત પંડ્યાની આ રચના મને મળી ત્યારે એના છંદનો ઉઘાડ મને બહુ સ્પર્શી ગયો હતો. એમાં સામૂહિક ચેતના હોવાથી ઘણી જગ્યાએ આ ગીત મેં સમૂહ ગાન તરીકે ગવડાવ્યું અને હજુ પણ સમૂહગાન તરીકે જ પ્રસ્તુત થાય છે.’

અન્ય કવિઓની રચનાઓ સાથે હકપૂર્વક બેસી શકે એવું આ ગીત છે. સાંભળવાની તમને મજા આવશે

——————————————-

સમુદ્રના તટે પટે, પ્રલંબ મારી આ ભૂમિ
જને વને ફળે ફૂલે, વિહંગ મેં હરી ભરી
અનેક વર્ણ જાતિનાં સુલક્ષણો કુલક્ષણો
નિભાવીને રહી હસી, નમું તને હું ગુર્જરી!

વનો કહીંક સાગના, અલક્ષ્ય નાદ ક્યાંકના
સિંહોની ત્રાડ ભૂમિગંધ, સંભરી બધું લઈ
અદીઠ તેજ પુણ્યવંત, લોકનું ઉરે ભરી
પીયૂષ પાન અર્પતી, નમું તને હું ગુર્જરી!

શ્રીકૃષ્ણનું વિરામ ધામ, જ્યોતિર્લિંગ શંભુનું
ચબૂતરો નૃસિંહનો, અશોક લેખ પ્રેમનો
દેવદેવી થાનકો, સજાવી ડુંગરે ખીણે
બધાંનું હીર પોષતી, નમું તને હું ગુર્જરી!

ગુરુજને કવિજને, મહાજને મળી રચી
પરંપરા અહીં રુડી, અનોખી પ્રાંત પ્રાંતથી,
સમન્વિતા પરંપરા, એ તેજ વર્તુળો બની
રહી સદા સુહાવતી, નમું તને હું ગુર્જરી!

વિરાટ વિશ્વભાગમાં, લઘુક તું રહી ભલે
પરંતુ, પ્રેમપંથની મળેલ સંપદા તને
કૃષ્ણ ઘેલી કો મીરાં, નૃસિંહ હેમચંદ્ર ને
પ્રબોધતી તું ગાંધીને, નમું તને હું ગુર્જરી!

ન સાંકડાં બને મનો, ન ચિત્ત ધ્વંસકારી હો
અમી રસેલ આંખનાં, બને કદાપિ રૂક્ષ ના
દાન પુણ્ય હેત પ્રીત, વિશ્વવ્યાપ્ત પૃથ્વીનાં
વહાવતી રહો સદા હું પ્રાર્થું માત ગુર્જરી!

•  કવિ : જયન્ત પંડ્યા  •  સંગીતકાર : સુરેશ જોશી

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 31 ઑક્ટોબર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=602091

Loading

...102030...2,6742,6752,6762,677...2,6802,6902,700...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved