Opinion Magazine
Number of visits: 9967452
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|5 March 2020

હૈયાને દરબાર

 

નયણાં

ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ;

સાચાં તો યે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

સાત રે સમંદર એના પેટમાં –
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ:

સપનાં આળોટે એમાં છોરુ થઈને ચાગલાં:
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ:

ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં.

•   કવિ : વેણીભાઈ પુરોહિત   •   સંગીત: અજિત મર્ચન્ટ

https://www.youtube.com/watch?v=x3O4p5scBFY

———————-

કવિ વેણીભાઈ પુરોહિતના નામ સાથે આંખનો અફીણી ગીત એવું જડબેસલાખ જોડાઈ ગયું છે કે એમનાં બીજાં કેટલાં ય સુંદર ગીતો સામાન્ય શ્રોતાઓ માટે નગણ્ય થઈ જાય છે. ફિલ્મ ગુણસુંદરીનો ઘરસંસારનાં લાજવાબ ગીતો : પંથવર પાછા આવો તો કહું કાનમાં, તમને જોયાં ને જરા રસ્તે રોકાઈ ગયો તથા રાતી રાતી પારેવાની આંખ રે, માઝમ રાતે નિતરતી નભની ચાંદની, એવૉર્ડ વિનિંગ ફિલ્મ ‘કંકુ’નાં યાદગાર ગીતો મુને અંધારાં બોલાવે, પગલું પગલામાં અટવાણું, લુચ્ચા રે લુચ્ચા લોચનિયાની લૂમ તથા ભીંત ફાડીને પીપળો ઊગ્યો, ઘનશ્યામ ગગનમાં તથા ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં જેવાં કેટલાં ય સરસ ગીતોના કવિ વેણીભાઈ છે, એ બહુ ઓછાને ખબર છે. અનેક ફિલ્મોનાં ગીતો એમણે લખ્યાં પરંતુ એ વખતે પુરસ્કાર તો સાવ નજીવા એટલે અઢળક કામ કર્યું હોવા છતાં આર્થિક સધ્ધરતા તો આવે જ નહીં.

જામખંભાળિયામાં જન્મેલા વેણીભાઈ માધ્યમિક શિક્ષણ સુધી જ ભણ્યા પણ કવિતાઓ એવી મજેદાર કરી કે ગુજરાતીઓના દિલ ડોલાવી મૂક્યા. વ્યવસાયે પત્રકાર. બેતાળીસના હિંદ છોડો આંદોલનના કારણે કારાવાસ પણ વેઠ્યો. મજબૂત લય અને ભાવની નજાકત એ એમની કવિતાની લાક્ષણિક્તા. એમણે ‘સિંજારવ’ (૧૯૫૫), ‘ગુલઝારે શાયરી’ (૧૯૬૨), ‘દીપ્તિ’ (૧૯૬૬) અને ‘આચમન’ (૧૯૭૫) કાવ્યસંગ્રહોની રચનાઓમાં ગીત, ભજન, ગઝલ, સોનેટ, મુક્તક તેમ જ લાંબી વર્ણનાત્મક રચનાઓ જેવા કાવ્યપ્રકારો અજમાવ્યા હતા. કર્મભૂમિ મહદ્દઅંશે મુંબઈ રહી.

ઉમાશંકર જોશી એમને ‘બંદો બદામી’ કહેતા.

સંત ખુરશીદાસ ઉપનામથી એમણે પુષ્કળ લેખો લખ્યા હતા. અખા ભગતના ઉપનામે ‘જન્મભૂમિ’માં તેમની વ્યંગાત્મક કોલમ પણ પ્રસિદ્ધ થતી હતી.

કાવ્યની દૃષ્ટિએ વેણીભાઈનું યાદગાર ગીત પસંદ કરવું હોય તો ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં સિવાય કશું યાદ ન આવે, પણ એમનું લોકપ્રિય ગીત સિલેક્ટ કરવું હોય તો ગુજરાતી ગીતોના ટોપ ટેનમાં અવ્વલ દરજ્જો અંકે કરે એવું ગીત ‘તારી આંખનો અફીણી’ સિવાય બીજું કયું હોઈ શકે? આંખનો અફીણી વિશે આ જ કોલમમાં લખાઈ ચૂક્યું છે અને ઊનાં રે પાણી ગીત વિશે ન લખીએ તો કવિને અન્યાય થયો કહેવાય.

આ ગીતનું શીર્ષક છે ‘નયણાં’. પહેલી નજરે વાંચીએ તો આખા ગીતમાં નયણાં શબ્દ ક્યાં ય આવતો નથી, પરંતુ જેમ જેમ વાંચતાં જઈએ એમ ગૂઢાર્થો ખૂલતાં જાય. આંખનું તેજ, આંખનો ભેજ અને આંખનાં સપનાંની વાત કેવી નોખી ભાત પાડે છે! ગીતની ચરમસીમાએ તો કવિએ કેવું ગજબ લખ્યું છે:

જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ તારી પ્યાસ:


ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં …

જલનાં દીવા જલમાં ઝળહળે … કલ્પના લાજવાબ છે. જો કે, નિબંધકાર સુરેશ જોશીએ આ ગીતનો ઉત્કૃષ્ટ આસ્વાદ કરાવ્યો છે. એમનો આસ્વાદ વાંચ્યા પછી આપણે કંઈ કહેવાનું રહે નહીં.

સુરેશ જોશી લખે છે, "કાવ્ય માત્રને આસ્વાદ્ય બનાવવાને જે અદ્ભુત અનિવાર્ય બની રહે છે તે ‘અદ્ભુત’ જ આ કાવ્યનો પ્રાણ છે. એરિસ્ટોટલે કહ્યું છે કે પ્રકૃતિ વિરોધોમાંથી સંવાદ રચવામાં રાચે છે. એણે ‘મેટાફર’ રચવાની શક્તિને પ્રતિભાના વ્યાવર્તક લક્ષણ તરીકે ઓળખાવી છે. આ ‘મેટાફર’ને એ આ પ્રમાણે ઓળખાવે છે : A good metaphor implies an intuitive perception of the similarity in dissimilarity.

આ કાવ્યની આખી માંડણી જ વિરોધમૂલક સાદૃશ્યના પર થયેલી છે. ‘ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં -’ એ પ્રથમ પંક્તિથી જ વિરોધ તો શરૂ થઈ ચૂક્યો. સંસ્કૃતમાં ‘મીનાક્ષી’ની ખોટ નથી. એ રેઢિયાળ ઉપમાનો અહીં વિરોધના બળે કવિએ ઉદ્ધાર કર્યો. માછલી અને આંખ વચ્ચેના ચટુલતા, ચંચલતા વગેરે સમાન ધર્મોનો અહીં અણસાર નથી; જળમાં રહેવું એટલી જ સમાનતા પ્રસ્તુત અને અપ્રસ્તુત વચ્ચે છે. પણ આ સમાનતાને પણ કવિએ વિરોધના ગ્રાસમાંથી બચાવી નથી. માછલી પાણીમાં રહે એ વાત સાચી પણ એ ઊનાં પાણીમાં નહીં રહી શકે. આમ કરવાથી કવિએ વિરોધની ધાર કાઢી છે. પછીની બે પંક્તિમાં આ માછલાંની અદ્ભુતતા સમજાવતાં કવિ કહે છે :

એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ

આમ તો આપણે ભેજ અને તેજને વિરોધી ગણીએ છીએ, જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ અદૃશ્ય થઈ જાય. પણ આ આંખમાં તો ભેજ અને તેજ સદા સાથે વસે છે. આંખનું તેજ જેમ સજીવતાની નિશાની છે તેમ આંખમાંની આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે.

આંખનું તેજ તે પારકું ઝીલેલું તેજ નથી. એ તો પોતાનું, ‘આતમા’નું તેજ છે. એનો પ્રકાશ બહાર પડતો નથી પણ એના વડે જ પ્રકાશ દેખતો થાય છે. આથી જ તો આવડી શી આપણી કીકીમાં કેટલા ય સૂર્ય ડૂબી જાય છે; ને જો એ જ ન હોય તો લાખ સૂરજનું તેજ આપણને કશું દેખાડી શકતું નથી. માટે જ તો આત્મા હોય ત્યાં સુધી આંખનું તેજ હોલવાતું નથી. આંખ બંધ કરો તો એ તેજ અંદરની સૃષ્ટિને અજવાળે છે. બુદ્ધના અન્તરમાં ઊઘડેલાં ચક્ષુમાં આથી જ તો અસાધારણ સુન્દરતા પ્રગટી ઊઠી.

આ તેજ અને ભેજથી આંખની મહત્તા સ્થાપીને કવિ કહે છે:

"સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં!

છેલ્લે પંક્તિ છે, ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. બીજી રીતે કહીએ તો વિરોધને ગાળી નાંખવા જેટલી વિશાળતા એનામાં હોય છે. આથી આપણે તો ‘અમરત’ અને ‘ઝેર’ને પરસ્પરવિરોધી ગણીએ, પણ શિવ તત્ત્વમાં તો ઝેરનો ય અંગીકાર છે. આપણી આંખ ઝેર જીરવે છે ને અમી વરસાવે છે. આપણામાં રહેલું એ શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત એ ‘આગલાં’ ને ‘પાછલાં’ છે, એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, એ જુદી જુદી વસ્તુ નથી.

વેણીભાઈની કવિ તરીકેની મર્યાદાઓમાંથી આ કાવ્ય, મોટે ભાગે, મુક્ત રહી શક્યું છે. પાંખી લાગણીને બહેલાવીને ગાવી, ને એને માટે ઘેરા શબ્દો યોજવા, ગઝલના મિજાજને નામે, થોડા જાણીતા રદીફકાફિયા અને તદબીરોનાં સંકુચિત વર્તુળમાં કવિતાને અટવાવી મારવી એ વિકસેલી કાવ્યસૂઝવાળા સાધકને ન પરવડે. તળપદાપણું, સરળતા જાળવીને વ્યંજકતા અને સુઘટ્ટ પોત સિદ્ધ કરતાં કવિને ફાવ્યું છે. ભેજ અને તેજના વિરોધ દ્વારા ક્રમશ: સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે.

વેણીભાઈના અલગારી સ્વભાવ વિશે ઘણી વાતો સાંભળી છે. પ્રમાણમાં એ અંતર્મુખી. પણ જેમની સાથે ફાવી જાય એમની કંપનીમાં પૂરા ખીલે. આપણા જાણીતા અને માનીતા નાટ્યલેખક પ્રવીણ સોલંકી એમની સ્મૃતિઓ સંકોરતાં કહે છે, "અમે બન્ને ઘાટકોપરના. કક્કડ ચાલના એક રૂમ રસોડાના ઘરમાં એ રહે. ધોતિયું, બંડી અને મોઢામાં પાન એ એમની ઓળખ. સર્જન કરવાનું મન થાય કે કંઈક નવી કાવ્ય પંક્તિ સ્ફૂરે ત્યારે ઊભા થઈ જાય અને કહે, પ્રવીણ હું જાઉં છું. ગાભણો થયો છું. વેણ એવી ઊપડી છે કે ઘેર ગયે જ છૂટકો! એમણે મારી ‘ગજરામારુ’ નામની ફિલ્મનાં ગીતો પણ લખ્યાં હતાં. નાટકોના શોખીન એટલે નાટકોના રિવ્યુ ખૂબ સારા લખે. એમને જીવતાંજીવત જે માન-સન્માન મળવાં જોઈએ એ નહોતાં મળ્યાં.

એમનાં મૃત્યુ પછી સ્મારક બનાવવાની વાત છેવટે સાત-આઠ વર્ષ પહેલાં ફળીભૂત થઈ. મધુરીબહેન કોટક અને મારા હસ્તે રાજાવાડી વિસ્તારમાં વેણીભાઈ ચોકનું ઉદ્ઘાટન થયું હતું. બસ, એટલું જ થયું. આપણી પ્રજા સાહિત્યકારો, કલાકારોને માન આપવામાં વિદેશની સરખામણીએ ઊણી ઊતરે છે એ હકીકત છે. પણ, વેણીભાઈ પોતાની મસ્તીમાં મહાલનારા કવિ હતા. દૂલા ભગત જેવા. એમનું પ્રદાન સાહિત્યિક ક્ષેત્રે અમૂલ્ય છે.

અગ્રગણ્ય લેખિકા સોનલ શુક્લએ વેણીભાઈનું સ્મરણ તાજું કરતાં કહ્યું, "સંગીતકાર અજિત મર્ચન્ટ, રેડિયો-ટેલિવિઝનના ડી.જી. રહી ચૂકેલા ગિજુભાઈ વ્યાસ, ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયા તથા વેણીભાઈ મિત્રો. અજિતભાઇએ મને ઊનાં રે પાણી વિશે કિસ્સો કહ્યો હતો. એકવાર ચારે ભાઈબંધ અજિતભાઇને ઘરે ભેગા થયા હતા. ત્યાંથી નીકળીને શિવાજી પાર્કના બગીચામાં જઈને બેઠા. થોડીક વાર પછી વેણીભાઈ એકદમ ચૂપ થઈ ગયા. બધાએ પૂછ્યું કે એકાએક શું થયું? ગિજુભાઈ બોલ્યા કે કવિ ગાભણા થયા લાગે છે. તો વેણીભાઈ કહે, "હા, હા, જલદી કાગળ આપો. હવે બાગમાં કાગળ ક્યાં શોધવો? કોઈકની પાસે કેવેન્ડર્સ સિગારેટનું ખોખું હતું. એ આપીને કહે લખો આની ઉપર. અંદરની બાજુ કોરી હોવાથી વેણીભાઈએ શબ્દો ઉતાર્યા : ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં …! ગીતનું મુખડું અવતરી ચૂક્યું હતું એટલે કવિ હળવા થઈ ગયા. આ ગીત પછી મોટેભાગે અજિત મર્ચન્ટે જ કમ્પોઝ કર્યું હતું. મીઠો અને રણકાદાર અવાજ ધરાવતાં વીણા મહેતાએ સૌપ્રથમ ગાયું હતું. એ પછી વેણીભાઈનું અન્ય એક અદ્ભુત ગીત – મને ખૂબ ગમતું, અમારા મનમાં એવું હતું કે તમને ઓરતાં થશે, વીંઝણલા વાશે ને વાદળી ધીમું ધીમું ગાશે … મેં નાટ્યકાર મિત્ર પ્રવીણ જોશીને આપ્યું જે એમણે ‘મોતી વેરાણાં ચોકમાં’ નાટકમાં લીધું હતું. સરિતા જોશી એ ગીત ગાતાં હતાં. ગીતની પહેલી જ લાઈન કેવી સોલિડ છે કે પુરુષના મનમાં ઊર્મિ-ઓરતા આવે. સ્ત્રી તો લાગણીશીલ હોય જ છે પણ પુરુષને ઓરતા થાય એવી અભિવ્યક્તિ વેણીભાઈ જેવા સંવેદનશીલ કવિને જ સૂઝે.

વાત મૂળ એ છે કે માત્ર જાણીતાં ગીતો સાંભળવાની મથામણમાં આપણે આવાં અતિ સુંદર ગીતો ચૂકી જઈએ છીએ. જાહેર કાર્યક્રમોમાં આવાં ગીતો સંભળાતાં જ નથી. ઈન્ટરનેટ પર અમદાવાદના ગાયક અનિલ ધોળકિયાના અવાજમાં આ ગીત ઉપલબ્ધ છે. મૂળ ભુજના એ કલાકારે આ ગીત સરસ ગાયું છે પણ આજના કલાકારો પણ આ ગીત ગાય અને એનો આસ્વાદ થાય તો નવી પેઢી સુધી આપણાં ઉત્તમ કાવ્યો પહોંચી શકે.

—————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 માર્ચ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=623711

Loading

નમસ્કાર

સુમન શાહ|Opinion - Opinion|5 March 2020

મોદીજી અમેરિકા જઈને ટ્રમ્પશ્રીને મળી આવેલા અને તાજેતરમાં ટ્રમ્પશ્રી ભારત આવીને મોદીજીને મળી ગયા. બન્ને પ્રસંગોએ ખૂબ ખૂબનાં અભિવાદન થયેલાં. ખાસ તો, શેકહૅન્ડ કહેતાં, નમસ્કાર નામના માનવીય સંસ્કારની ઘણી જ ઘણી આપ-લે થયા પછી જ બધી શરૂઆતો થયેલી.

એ સંદર્ભમાં મને મારો એક વરસો પહેલાં લખાયેલો નિબન્ધ યાદ આવી ગયો. એને અહીં — a g a i n-માં, પુન:શ્ચ-માં, સહભાગીતાર્થે મૂકું છું :

સામાં મળે ત્યારે માણસ સિવાયનાં પ્રાણીઓ, પશુઓ કે પક્ષીઓ, એકમેકનાં ખબરઅંતર પૂછતાં હોય એવું કંઈ સ્પષ્ટ રૂપે જોવા નથી મળતું. માત્ર માણસોમાં જ, કેમ છો? મજામાં? હેલો, હાવાર્યુ? હાઉ ડુ-યુ-ડુ? વગેરે બોલવાનો રિવાજ છે.

આવી વખતે માણસો પાછાં પરસ્પરની સામે હસે છે પણ ખરાં, જે કંઈ બોલે તે સ-સ્મિત બોલે છે. ત્યારે ઝૂકે છે, નમે છે, હેતથી બે હાથ જોડે છે, પ્રેમથી એકબીજાના હાથ મેળવે છે. ઘણીવાર તો માણસો આવા પ્રસંગે પરસ્પરને ભેટે છે, કોટે વળગાડે છે, ગાલે કે કપાળે ચૂમે પણ છે. નર-નારીના પ્રિયમધુર દાખલાઓમાં આવી વખતે જેને આલિંગન કહેવાય તે રીતે ભેટવાનું તથા જેને ચુમ્બન કહેવાય તે જાતનું હોઠે ચૂમવાનું બને છે. વગેરે.

ઈશ્વર અને તેના ભક્તોના ભક્તિભરપૂર પ્રસંગોમાં નમવાનું ઉત્કટ બનતું હોય છે. નમનભાવ પ્રકર્ષે પ્હૉંચતો હોય છે અને તેથી તેને વન્દન કહેવાય છે, પ્રણામ કહેવાય છે. સાષ્ટાંગ દણ્ડવત પ્રણામ નામનો પ્રકાર ઉત્તમોત્તમ છે. માણસ એમાં પોતાનું સમગ્ર શરીર ભૂમિસાત કરીને દણ્ડ જેવો થઈ રહે છે. લંબાવેલા-જોડેલા હાથે એમ સૂતો-સૂતો વન્દે છે, પ્રાર્થે છે. ને ત્યાં પોતાનું શીર્ષ પણ ધરતીને સમર્પિત કરતો પૂરા હૃદયથી પ્ર-ણમે છે. નમ્રતાની એ પરિસીમા છે. મસ્તકથી કે કમરથી ઝૂકનારો પણ ભૉંયે પડીને પોતાની સમગ્ર કાયાનું જાણે થોડી ક્ષણો માટે વિલોપન વાંછે છે. એમાં પણ સમર્પણભાવની અવધિ છે. વન્દન કે પ્રણામ દેવતુલ્ય માતાપિતા માટે કે ગુરુજનો માટે પણ હોય છે. સાષ્ટાંગ દણ્ડવત પ્રણામ હવે જો કે, દેવ-દેવતાઓ માટે જ બચ્યાં છે.

આગળના જમાનામાં રાજા ઈશ્વરનો પ્રતિનિધિ કહેવાતો અને તેને પણ વન્દન, પ્રણામ કે સાષ્ટાંગ દણ્ડવત કરીને લોકો પોતાનું એ કર્તવ્ય બજાવતા. પશ્ચિમી દેશોમાં એને બાઉઈન્ગ કહેવાતું, મધ્યપૂર્વમાં એને કુરનિસ કહેતા, સલામ કહેતા, મુજરો કહેતા. આજે રાજાઓ રહ્યા નથી ત્યારે પણ બાઉઇન્ગિ તો રહ્યું જ છે, કુરનિસ, સલામ કે મુજરો પણ રહ્યાં જ છે.

સંસ્કૃતિ નામે માણસે જે કંઈ રચ્યું છે તેમાં આવા શિષ્ટાચારનો ખૂબ મહિમા છે. એમાં માણસ માણસને મળ્યાની સાહેદી અપાય છે, સાક્ષી પુરાય છે, ખાસ તો એથી માણસોને સારું લાગે છે. થાય છે કે સામાએ પોતાનું અભિવાદન કર્યું, સામાએ પોતાનો ભાવ પૂછ્યો, સામો પોતાને ચાહે છે, સામો પોતાને માન આપે છે.

હેલો-હાય કે પ્રણામ-નમસ્કાર કશાપણ માનવીય વ્યવહારની, પ્રસંગ કે સમ્બન્ધની, મીઠી આકર્ષક શુભ શરૂઆત છે. હકીકતે, એથી અહંકારનો એટલા પૂરતો તો વિલય થાય છે, હુંકારનો એ પૂરતો તો લોપ થાય છે. નમીને હું બીજા હું-ને આવકારું છું, એને નિમન્ત્રણ આપું છું કે એ મને મળે – માત્ર નજરથી નહીં, માત્ર હાથ મેળવીને નહીં, પણ પૂરા અન્ત:કરણથી મળે. મારી એવી સાચકલી ચેષ્ટાથી હું સામાના હૃદયને સ્પર્શું છું, તેને પ્રેરું છું અને એમ કરીને છેવટે તો તેના માનવ્યને ઢંઢોળું છું. આમ આ શિષ્ટાચાર ખરા માનવીય વ્યવહારનું સાધન પણ છે, એથી સંકોરણી થાય છે હૃદયભાવોની, અને એથી બેયને અજવાળતી પ્રેમજ્યોત પ્રગટે છે.

મૂળે, અહીં નમવાનું છે, શરીરથી તેમ મન-હૃદયથી. શરીરો ભેટે પરસ્પરને, ચૂમે એકમેકને, એથી એક કાયાની ઊર્જાનું બીજીમાં સંક્રમણ થાય છે. ચૈતન્યનું ચૈતન્ય સાથેનું સમ્મિલન રચાય છે. મન કે હૃદયમાં સ્ફુરેલો ભાવ શરીરના માધ્યમે સન્ક્રાન્ત થાય છે. એક માણસ બીજા માણસનું આથી વધારે સારી રીતનું અભિવાદન તો શું કરવાનો'તો? એ રીતે જોતાં, ભેટવું કે ચૂમવું જ ઉત્તમ ગણાય. પ્રેમ અને વાત્સલ્યના લગભગ બધા જ કિસ્સાઓમાં એ ઉત્તમ રીત જોવા મળે છે, તે બહુ સહજ છે. પરન્તુ પ્રેમમાં આદર ભળે, અથવા તો જ્યાં આદર વ્યક્ત કરવાનું વધારે જરૂરી જણાય, ત્યાં માણસો નમસ્કાર કરે છે, વન્દન કરે છે, પ્રણામ કરે છે, કે સલામ કરે છે.

આ શિષ્ટાચારમાં ભાષા પણ ભળી છે : માણસો ભેટે કે હાથ મેળવે ત્યારે, કે હાથ જોડીને નમસ્કાર કરે ત્યારે, નમસ્તે, પ્રણામ, વન્દન વગેરે શબ્દો પણ ઉચ્ચારે છે. ઘણી વાર, હાથ જોડ્યા વિના માત્ર ભાષાથી પણ ચલાવી લેવાય છે. એવા વાચિક નમસ્કાર આજના જમાનામાં વધવા માંડ્યા છે. તો ઘણીવાર હાથ જોડેલા રાખીને, મન-હૃદયના કશા ય ભાવ વિના, લોકો પોલાંપોલાં માત્ર કાયિક વન્દન પણ કરે છે. ટેવને કારણે કરાતો કે કહેવા ખાતર ચાલતો રહેતો આ શિષ્ટાચાર એ રીતે અમસ્તો શિષ્ટાચાર જ બની રહે છે. આપણા જમાનામાં લોકો એટલે તો નમસ્કાર, વન્દન કે પ્રણામ લખી મોકલી શકે છે ને એમ ભાવ પરોક્ષપણે પહોંચાડીને પ્રત્યક્ષપણે વ્યક્ત કર્યાનો સંતોષ ધારી શકે છે.

સામાવાળાનો હાથ આપણા હાથમાં આવી પડેલો લાગે; નામનો અડકી રહેલો લાગે, ત્યારે એવું ઠાલું અભિવાદન આપણને ચીડવે છે. નમે તે સૌને ગમે એ સાચું, પણ ખોટું-ખોટું નમે તે કોઈને ય ન ગમે એ પણ એટલું જ સાચું છે. એ સંજોગોમાં નમસ્કાર કાં તો છેતરપિંડી હોય છે, અથવા તો ખુશામતનો પ્રકાર. એવા વંચકો જ વારંવાર નમતા હોય છે.

હૃદયમાં સામા માટે કશો ભાવ જ ન હોય, તો ન-નમસ્કાર સારા; ભાવ હોય, તો સ-નમસ્કાર વધારે શોભે; બહુ-નમસ્કાર તો, હમેશાં ખોટા. મન-હૃદયને વ્યક્ત થવાને કેટલીક વાર તો નાનું શું નમન જ પૂરતું હોય છે … નમીએ તો એવું નમીએ, નહીં તો ન નમીએ …

= = =

(March 5, 2020: Ahmedabad)

Loading

ક.મા. મુનશીની ‘પૃથિવીવલ્લભ’ને ફિલ્મી પડદે જીવંત કરનાર ફિલ્મમેકર સોહરાબ મોદી

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|4 March 2020

પડદા પર મિનરવા મૂવીટોન(Minerva Movietone)ના અક્ષરો દેખાતા જ સિંહની ત્રાડ સાંભળવા મળતી હતી, આ જોતા જ થિયેટરમાં દર્શકો સતર્ક થઈ જતા હતા. મિનરવા મૂવીટોન(Minerva Movietone)ના સંસ્થાપક હતા પ્રસિદ્ધ ફિલ્મમેકર અને એક્ટર સોહરાબ મોદી (જન્મ – 02 નવેમ્બર, 1897 મૃત્યુ – 28 જાન્યુઆરી, 1984). ઊંચી કદકાઠી અને પહોળો શારીરિક બાંધો ધરાવતા સોહરાબ મોદીનું વ્યક્તિત્વ આકર્ષક હતું. તેઓ જેવા પડદા પર આવતા કે તરત જ સિનેમા હૉલમાં ઉત્તેજના ફેલાઈ જતી હતી. ફિલ્મ 'સિકંદર', 'પૃથિવીવલ્લભ', 'પુકાર' અને 'રાજહઠ'માં તેમના કડક સંવાદોને દર્શકો આજે પણ યાદ કરે છે.

ફિલ્મ જગતમાં એવા બે અભિનેતા થઈ ગયા કે જેમણે પોતાના પ્રભાવશાળી અવાજથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું. એક હતા પૃથ્વીરાજ કપૂર અને બીજા હતા સોહરાબ મોદી. કારણ કે સોહરાબ મોદી પારસી નાટકો કરતા-કરતા ફિલ્મની દુનિયામાં આવ્યા હતા, એટલે નાટકમાં સંવાદ બોલવાની એક ખાસ આવડતને ફિલ્મોમાં લાવ્યા કે જે દર્શકોને ખૂબ જ પસંદ આવી. તેઓ સંવાદ બોલતી વખતે એક-એક શબ્દ પર જોર આપતા હતા અને સ્પષ્ટ ઉચ્ચારણ કરતા હતા. દર્શકોના મનમાં જોશ ભરી દે તેવા સંવાદો પ્રભાવશાળી રીતે બોલવા માટે સોહરાબ મોદી ફિલ્મોમાં આવ્યા હતા. સોહરાબ મોદીએ વર્ષ 1935માં આવેલી ફિલ્મ 'ખૂન કા ખૂન'નું ડિરેક્શન કર્યું હતું અને તેમાં મુખ્ય રોલ પણ કર્યો હતો. આ ફિલ્મ નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક 'હેમલેટ'નું ફિલ્મ રૂપાંતરણ હતી. પછીનાં વર્ષે 1936માં સોહરાબ મોદીએ 'સૈદ-એ-હવસ' નામની ફિલ્મ બનાવી જે વિલિયમ શેક્સપિયરના નાટક 'કિંગ જ્હોન'નું રૂપાંતરણ હતી. આ ફિલ્મમાં પણ સોહરાબ મોદીએ મુખ્ય રોલ કર્યો હતો. વર્ષ 1943માં સોહરાબ મોદીએ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી(ક.મા. મુનશી)એ લખેલી નવલકથા પૃથિવીવલ્લભ આધારિત તે નામની જ ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં સોહરાબ મોદીએ મુંજનો રોલ કર્યો હતો જ્યારે એક્ટ્રેસ દુર્ગા ખોટેએ મૃણાલવતીનું પાત્ર ભજવ્યું હતું. વર્ષ 1936માં સોહરાબ મોદીએ મિનરવા મૂવીટોનની સ્થાપના કરી. મિનરવા મૂવીટોનમાં તેમની શરૂઆતની ફિલ્મો સામાજિક દૂષણો પર આધારિત હતી, જેમ કે ફિલ્મ 'મીઠા ઝહર' (1938) દારૂના નશા પર આધારિત હતી. આ ફિલ્મો સફળ રહી તેમ છતાં પણ સોહરાબ મોદીનું ધ્યાન ઐતિહાસિક વિષય તરફ આકર્ષાયું. ત્યાર બાદ બનેલી ત્રણ ઐતિહાસિક ફિલ્મોને કારણે મિનરવા મૂવીટોન ખૂબ જાણીતી બની. તે ત્રણ ફિલ્મો – 'પુકાર' (1939), 'સિકંદર' (1941) અને 'પૃથિવીવલ્લભ' (1943) હતી.

સોહરાબ મોદીનો જન્મ તારીખ 02 નવેમ્બર, 1897ના રોજ ઉત્તરપ્રદેશના રામપુર નગરમાં થયો હતો. તેમનો જન્મ પારસી પરિવારમાં થયો હતો, પિતા ઈન્ડિયન સિવિલ સર્વન્ટ હતા. તેઓ જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે પિતા સાથે બૉમ્બે આવી ગયા. ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા બાદ માત્ર 17 વર્ષની ઉંમરમાં સોહરાબ મોદી તેમના ભાઈનું ફિલ્મ પ્રોજેક્ટર લઈને ગ્વાલિયર ચાલ્યા ગયા. હિન્દી અને ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ ધરાવતા સોહરાબ મોદીએ માત્ર 26 વર્ષની ઉંમરે આર્ય સુબોધ થિયેટરિકલ કંપની સ્થાપી હતી. જ્યાં તેમણે પહેલા તો હરતું-ફરતું સિનેમાઘર ખોલ્યું અને ફિલ્મો દેખાડવા લાગ્યા. વર્ષ 1914થી 1924 દરમિયાન સોહરાબ મોદીએ ફિલ્મ પ્રદર્શનના સંદર્ભે ગ્વાલિયરથી મુંબઈ અને મૈસૂરથી મદ્રાસ સુધીની યાત્રા કરી. વર્ષ 1924માં તેમણે પોતાના મોટાભાઈની મદદથી એક થિયેટર કંપની ખોલી અને ઠેર-ઠેર સ્થળે ફરીને વિલિયમ શેક્સપિયરના નાટકોનો ઉર્દૂ અનુવાદ પ્રસ્તુત કરવા લાગ્યા. આ નાટકોમાં તેઓ પોતે અભિનય કરતા હતા. પોતાના આકર્ષક વ્યક્તિત્વ, જબરદસ્ત અભિનય અને દમદાર અવાજના કારણે તેમણે જલદી પોતાની ઓળખ બનાવી. 'હેમલેટ' નાટક થકી સોહરાબ મોદીને ઘણી લોકપ્રિયતા મળી હતી.

જ્યારે ભારતીય સિનેમામાં મૂંગી ફિલ્મોનો જમાનો હતો ત્યારે સોહરાબ મોદી ફિલ્મો પ્રત્યે ગંભીર નહોતા અને નાટકોમાં વ્યસ્ત હતા. પણ, બોલતી ફિલ્મોનો યુગ શરૂ થતા સોહરાબ મોદીએ તેમના મોટાભાઈ સાથે મળીને એક ફિલ્મ કંપની બનાવી. આ સમયે સોહરાબ મોદી શેક્સપિયરના નાટક 'હેમલેટ'થી પ્રખ્યાત થઈ ગયા હતા એટલે તે આધારિત ફિલ્મ 'ખૂન કા ખૂન' (1935) બનાવી. આ સમયે સોહરાબ મોદીની ઉંમર 38 વર્ષ હતી. પોતાના નાટકોના અનુભવના આધારે સોહરાબ મોદી તે વાત સમજી ચૂક્યા હતા કે પોતાના ગંભીર અવાજ અને સ્વરમાં ઉતાર-ચઢાવ સિનેમા હૉલમાં ગૂંજી ઊઠે છે અને દર્શકોના દિલ-દિમાગ પર જાદુ કરે છે. માટે સોહરાબ મોદીએ એવી વાર્તાઓ આધારિત ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું કે જેમાં સંવાદ અને અવાજને વધુ અવકાશ મળે. વર્ષ 1937માં સોહરાબ મોદીએ 'આત્મતરંગ' અને 'ખાન બહાદુર' જેવી ફિલ્મો બનાવી જ્યારે વર્ષ 1938માં 'જેલર' અને 'મીઠા ઝહર' જેવી ફિલ્મો બનાવી. વર્ષ 1939માં સોહરાબ મોદીએ જહાંગીરની ન્યાય વ્યવસ્થા દર્શાવતી 'પુકાર' નામની ફિલ્મ બનાવી, આ ફિલ્મ માટે તેઓ આજે પણ પ્રખ્યાત છે. આ ફિલ્મનાં ગીતો અને સ્ટોરી જાણીતા ફિલ્મકાર કમાલ અમરોહીએ લખ્યાં હતા. 'પુકાર'ને શરૂઆતની મુસ્લિમ સોશિયલ (સામાજિક) ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. 'પુકાર' ફિલ્મ સુપરહિટ રહી હતી. વર્ષ 1941માં સોહરાબ મોદીએ 'સિકંદર' નામની મોટા બજેટની ફિલ્મ બનાવી, આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે સિકંદર જ્યારે સોહરાબ મોદીએ પોરસનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં યુદ્ધના પ્રસંગ ખૂબ જ પ્રભાવશાળી રીતે દર્શાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ ત્યારે આવી કે જ્યારે બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. બ્રિટિશ સરકારને જ્યારે 'સિકંદર' ફિલ્મ દેખાડવામાં આવી ત્યારે તેઓને સૈનિકના વિદ્રોહનું દ્રશ્ય પસંદ ના પડ્યું. બ્રિટિશ સરકારે આ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જગ્યાએ છાવણીઓમાં નહીં દેખાડવાનો આદેશ આપ્યો.

વર્ષ 1944માં સોહરાબ મોદીએ 'પરખ' નામની સામાજિક મુદ્દા આધારિત ફિલ્મ બનાવી, જેમાં મેહતાબ નામની એક્ટ્રેસે મુખ્ય રોલ કર્યો હતો. પછી તેમણે મેહતાબને લઈને 'એક દિન કા સુલ્તાન' અને 'શમા' જેવી અન્ય ફિલ્મો બનાવી. વર્ષ 1946માં સોહરાબ મોદીએ મેહતાબ સાથે લગ્ન કર્યા હતા. મેહતાબ ગુજરાતી હતા અને તેમનો જન્મ સુરતના મુસ્લિમ પરિવારમાં થયો હતો. સોહરાબ મોદીએ વર્ષ 1953માં સૌ પ્રથમ રંગીન ભારતીય ફિલ્મ બનાવી કે જેનું નામ 'ઝાંસી કી રાણી' હતું. મોટા બજેટની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તે સમયે 'ઝાંસી કી રાણી'નું બજેટ રૂપિયા 60 લાખ હતું. આ ફિલ્મ વર્ષ 1956માં અમેરિકામાં 'The Tiger and the Flame'ના નામથી રિલીઝ થઈ હતી. હોલિવૂડની જાણીતી ફિલ્મ 'Gone with the Wind'(1939)નું કેમેરા વર્ક કરનાર સિનેમેટોગ્રાફર Ernest Hallerએ 'ઝાંસી કી રાણી'ના શૂટિંગમાં મદદ કરી હતી. આ ફિલ્મની નિષ્ફળતાના કારણે સોહરાબ મોદી આર્થિક રીતે તૂટી ગયા અને રંગીન ફિલ્મો બનાવવાનું ટાળ્યું. આગામી વર્ષે 1954માં સોહરાબ મોદીએ ભારત ભૂષણ અને સુરૈયાની જોડીને લઈને 'મિર્ઝા ગાલિબ' ફિલ્મ બનાવી જે સુપરહિટ રહી. આ ફિલ્મની સ્ટોરી જાણીતા વાર્તાકાર સઆદત હસન મન્ટોએ લખી હતી. આ ફિલ્મની જવાહરલાલ નહેરુએ પણ પ્રશંસા કરી હતી. 'શીશમહલ' (1950) પણ સોહરાબ મોદીની સુપરહિટ ફિલ્મ હતી. સોહરાબ મોદીએ ભારતીય સિનેમાને 50 કરતાં વધુ ફિલ્મોનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું. 28 જાન્યુઆરી, 1984ના રોજ 86 વર્ષની વયે તેમનું નિધન થયું, જ્યારે વર્ષ 1980માં તેઓને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સોહરાબ મોદીએ જે ઐતિહાસિક ફિલ્મોનું નિર્માણ કર્યું તેનું ખાસ ઐતિહાસિક મહત્ત્વ છે.

(લેખક iamgujarat.comમાં પત્રકાર છે)

e.mail : nbhavsarsafri@gmail.com

પ્રગટ : ‘ગુલમોહર’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 04 માર્ચ 2020

Loading

...102030...2,6382,6392,6402,641...2,6502,6602,670...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved