Opinion Magazine
Number of visits: 9577272
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શક્તિરૂપેણ સંસ્થિતા ધરતીપુત્રી ગ્રેટા તુન્બર્ગ

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|15 November 2019

‘મારાથી જે અશક્ય હોય, તે કરવાના પ્રયત્નો વડે જ શક્યતાની સીમાને ઓળંગીને મારો વ્યાપ વધારી શકીશ.’ માણસના ખમીર, ખુમારી અને ખુદ્દારીને દર્શાવતું આ વિધાન સાંપ્રત વિશ્વની, એક સ્વિડિશ, ષોડશી ગ્રેટા તુન્બર્ગને સંદર્ભે બિલકુલ યથાર્થ ઠરે છે. વર્તમાન વિશ્વ સામે વિકટ પર્યાવરણીય પરિસ્થિતિ ઊભી કરનાર ક્લાઇમેટ ચેન્જ(જળવાયુ-પરિવર્તન)ની સમસ્યા સામે વૈશ્વિક ફલક પર આંદોલન પ્રેરનાર અને વિશ્વના સત્તાધીશોને ડારતો – 'How Dare you?’નો એક અવાજ એટલે ગ્રેટા તુન્બર્ગ. સોળ વર્ષની આ અનન્ય કિશોરીની કાવ્યમય ઓળખ આ રીતે કરી શકાય કે ….

’મૈં હું અકેલા, નહિ કોઈ મેરા,
ફિર ભી મૈં એક કારવાં હૂં,
ઊઠું તો આસમા ચૂમ લૂં , ઝૂકું તો ચીર દૂં  ઝમીં 
મૈં કુદરત કા  વો ઝર્રા હૂઁ , કુદરત ભી હૈ ફના મુઝ પે’

વિશ્વમાં પર્યાવરણ ક્ષેત્રે અનેક પર્યાવરણવાદીઓ કાર્ય કરી રહ્યા છે ત્યારે, માત્ર સોળ વર્ષની, કાચી વયની એક કિશોરીએ પોતાના આખાબોલા, સ્પષ્ટ વક્તા સ્વભાવને કારણે દુનિયામાં હલચલ મચાવી દીધી છે. ગ્રેટાએ દુનિયાની મહાસત્તાઓ અને એના સત્તાધીશોને જનતાની અદાલતમાં ઊભા કરી દીધાં  છે. રમવાની, નાચવા-કૂદવાની, ભણવાની ઉંમરે આ છોકરીએ એક ગંભીર અને મહત્ત્વના વિષયમાં આંદોલન છેડ્યું છે. ગ્રેટાની ઉંમર આમ તો કાચી કે અપરિપક્વ છે, પણ તેનું વ્યક્તિત્વ મૅચ્યૉર છે. આપણા વ્યવહાર જગત કે સમાજજીવનમાં કોઈ વ્યક્તિ કે કોઈ ચીજ કાચી હોય, તો આપણે તેને મહત્ત્વ આપતા નથી, તરત તેનો કાંકરો કાઢી નાખીએ છીએ, એટલું જ નહિ તેને ઇમ્મૅચ્યૉર કહીને ઉતારી પણ પાડીએ! પણ મને તો અપરિપક્વતા ખૂબ ગમે છે. કેમ કે ’કાચો માણસ સૌથી વધુ સંવેદનશીલ અને જીવતી ચામડીનો હોય છે. માનવીમાં રહેલી કચાશ ખોટાં મૂલ્યો સાથે ક્યારે ય સમાધાન કરતી નથી. કચાશનો સ્વભાવ જ દાંત ખાટા કરી નાખવાનો છે.’ ગ્રેટા તુન્બર્ગનું વ્યક્તિત્વ અદ્દલ આ પ્રકારનું જ છે.

૩ જાન્યુઆરી, ૨૦૦૩ના રોજ સ્વિડનના સ્ટોકહોમમાં જન્મેલી ગ્રેટાને ખુદ્દારી અને ખુમારી માતા-પિતા અને દાદાના સમૃદ્ધ વારસામાં પ્રાપ્ત થઈ છે. દાદા ઓલોફ તુન્બર્ગ સ્વિડિશ ટીવી અને ફિલ્મના ઍક્ટર – ડાયરેક્ટર છે. પ્રભાવક વાણી ધરાવતા, ઘેઘૂર અવાજના સ્વામી દાદા ઓલોફ તુન્બર્ગ સ્વિડિશ રેડિયો પર જુદા-જુદા કાર્યક્રમોના ઉદ્‌ઘોષક છે. ’ધ જંગલબુક’ ટીવી સિરીઝના સ્વિડિશ વર્ઝનમાં તેમણે શેરખાનના પાત્રને અવાજ આપ્યો હતો. ગ્રેટાના પિતા સ્વાન્તે તુન્બર્ગ પણ સ્વિડનના જાણીતા લેખક, એક્ટર, પ્રોડ્યુસર અને પત્રકાર છે. જ્યારે માતા મલેના એર્નમેન જાણીતાં ઓપેરાસિંગર છે. ઝાઝ, પોપ, ઓપેરા, કેબ્રે જેવા આધુનિક વેસ્ટર્ન મ્યુઝિકના તેમનાં અનેક આલ્બમ પ્રકાશિત થયાં છે. અનેક આંતરરાષ્ટ્રીય કૉન્સર્ટમાં તેમણે પરફૉર્મન્સ આપ્યાં છે. પરંતુ દીકરી ગ્રેટાના આહ્વાન પર, હવાઈ યાત્રાની પર્યાવરણીય અસરોને કારણે મલેનાએ પોતાની ઓપેરા સિંગર તરીકેની ઝળહળતી આંતરરાષ્ટ્રીય કારકિર્દી છોડી દીધી. પિતા સ્વાન્તેને આરંભે તો ગ્રેટા સ્કૂલના ભોગે આંદોલન કરે તે પસંદ નહોતું, છતાં તેમણે ગ્રેટાના નિર્ણયનું સન્માન કર્યું અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. એટલું જ નહિ, પણ દીકરી ગ્રેટાના આગ્રહથી, પર્યાવરણના રક્ષણ અર્થે તેમના કુટુંબે પોતાની જીવનશૈલી બદલી કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા તેમણે પણ હવાઈ યાત્રાઓનો ત્યાગ કર્યો, ભોજનમાં માંસનો ત્યાગ કરી શાકાહાર અપનાવ્યો. પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જીવતા કુટુંબ માટે આ સઘળી બાબતો ઘણી મુશ્કેલ હતી. છતાં ગ્રેટાને પ્રોત્સાહન અને સમર્થન પૂરું પાડવા તેઓએ આ ત્યાગ કર્યો. ગ્રેટા પણ માતા-પિતાના હકારાત્મક અને ભાવનાત્મક સહકારની કદર કરે છે.

ગ્રેટાની નાનકડી જિંદગી અનેક ઉતારચઢાવથી ભરેલી છે. આઠ વર્ષની ઉંમરે ગ્રેટા ૨૦૧૧માં પ્રથમ વાર ક્લાઇમેટ ચેન્જ ( જળવાયુ, પરિવર્તન ) વિશે સંભાળે છે, પણ એના વિશે કઈ ઝાઝું સમજી શકતી નથી. ધીરે-ધીરે સમજણ પ્રાપ્ત થતાં, પર્યાવરણીય પ્રશ્નો અને વિશ્વના દેશોની ગુનાહિત બેદરકારીએ તેને હચમચાવી દીધી. અગિયાર વર્ષની નાની ઉંમરમાં ક્લાઈમેટ ચેન્જના પ્રશ્ને વિચારતાં વિચારતાં તે હતાશામાં ગરકાવ થઈ ગઈ, ડિપ્રેશનનો ભોગ બની. હતાશાને કારણે તે આળસુ બની ગઈ, ખાવાનું તો છોડી દીધું. પણ વાત કરવાનુંયે બંધ કરી દીધું .ધીરે ધીરે તે માનસિક રીતે પડી ભાંગી.

ગ્રેટા તુન્બર્ગ(Greta Tintin Eleonora Eruman Thunbarg)ની ઓળખ દુનિયાને પ્રથમ વાર ઑગસ્ટ, ૨૦૧૮માં થઈ. જ્યારે પંદર વર્ષની નાની ઉંમરે સ્કૂલ જવાને બદલે તેણે સ્વિડિશ પાર્લામેન્ટની સામે દેખાવો કર્યા. તે સમજી ચૂકી હતી કે ગ્લોબલ વૉર્મિંગનું કારણ પર્યાવરણ સામેનાં જોખમો છે, માટે તેણે સ્વિડનના સત્તાધીશો સામે મોરચો માંડ્યો અને પર્યાવરણની સુરક્ષા માટે નક્કર કાર્ય કરવા માંગ કરી.

’મૈં અકેલા હી ચલા થા જાનિબે મંઝિલ,
લોગ આતે ગયે ઔર કારવાં બનતા ગયા’

ધીરે ધીરે તેની વાત લોકોની સમજમાં આવી, જેને કારણે વિદ્યાર્થીઓ અને લોકો તેની સાથે જોડાયા.

ગ્રેટાએ હજુ તો નવમા ગ્રેડ(માધ્યમિક સ્કૂલ)ની શરૂઆત જ કરી હતી અને ૨૦ ઑગસ્ટ, ૨૦૧૮ના રોજ તેણે સ્કૂલ ન જવાનું નક્કી કર્યું. ૨૦૧૮ના વર્ષે સ્વિડનના ઇતિહાસમાં પાછલાં ૨૬૨ વર્ષોમાં ન પડી હોય તેટલી રેકૉર્ડબ્રેક ગરમી પડી, આ સૌથી વધુ ગરમ ઉનાળામાં સ્વિડનનાં જંગલો ભડકે બળી રહ્યાં હતાં, પર્યાવરણને ભયંકર નુકસાન થઈ રહ્યું હતું. આ વિષમ પરિસ્થિતિ અને ગ્લોબલ વૉર્મિંગની અસરથી સ્વિડનના લોકો ત્રાહિમામ્‌ પોકારી ઊઠ્યા હતા. આવા વિકટ સંજોગોમાં ગ્રેટાએ આંદોલનની શરૂઆત કરી. પોતાના દેશની સરકાર પાસે તેની મુખ્ય માંગણી, સ્વિડનમાં પૅરિસ કરાર મુજબ કાર્બન ડાયૉક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટેની હતી. સ્વિડિશ પાર્લામેન્ટ (Riksdag)ની બહાર દરરોજ સ્કૂલના સમયના ત્રણ કલાક, ત્રણ અઠવાડિયાં સુધી બેસીને દેખાવકારોએ સ્વિડિશ ભાષામાં લખાયેલ – ’સ્કૂલ સ્ટ્રાઇક ફોર ધ ક્લાઇમેટ’ના બૅનરો અને પ્લેકાર્ડ સાથે  દેખાવો કર્યા. ગ્રેટાએ ત્યાં – 'I am doing this because you adults are sitting on my future’ જેવાં માર્મિક લખાણોવાળાં ચોપાનિયાં પણ વહેંચ્યાં.

ગ્રેટા તુન્બર્ગના જળવાયુ-પરિવર્તન સામેના આ આંદોલનના મૂળમાં અમેરિકાના ફ્‌લોરિડામાં બનેલી એક કરુણ ઘટના છે. એની ગૂડમેન સાથેના ઇન્ટરવ્યૂમાં આ બાબતે તેણે નિખાલસ સ્પષ્ટતા કરી છે કે ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૮માં માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલ, પાર્કલૅન્ડમાં એક ઓગણીસ વર્ષના વિદ્યાર્થી નિકોલસ ક્રુઝે શાળામાં સેમીઑટોમેટિક રાઇફલથી ગોળીબાર કરી સત્તર જેટલા વિદ્યાર્થીઓની હત્યા કરી, આ સ્કૂલ શૂટિંગમાં અનેક વિદ્યાર્થીઓ ઘવાયા હતા. આ ઘટનાના ડરને કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જવાની ના પાડતા હતા. આને કારણે ગ્રેટાના મનમાં સ્કૂલ સ્ટ્રાઇકનો વિચાર જન્મ્યો. ગ્રેટાએ આ શેતાની કૃત્ય વિરુદ્ધ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માર્જોરી સ્ટોનમેન ડગ્લાસ હાઈસ્કૂલ,પાર્કલેન્ડમાં 'March for our lives’ને નામે કૂચ પણ યોજી હતી.

ગ્રેટાએ, મે, ૨૦૧૮માં એક સ્વિડિશ ન્યૂઝપેપર આયોજિત ’ક્લાઇમેટ ચેન્જ’ વિશેની નિબંધ સ્પર્ધા જીતી. તેનો આ નિબંધ એ  ન્યૂઝપેપરે પ્રકાશિત કર્યો, આ નિબંધમાં તેણે લખ્યું હતું કે – “I want to feel safe. How can I feel safe, when I know we are in the greatest crisis in human history ?” નોંધપાત્ર છે કે, સ્વિડનના એક શિલ્પી-કલાકાર બો થોરેને દક્ષિણ સ્વિડનના કુદરતી સૌંદર્યથી ભરપૂર ભાતીગળ પ્રાંત ડાલ્સ લેન્ડને અશ્મિભૂત પ્રદૂષણથી બચાવવાની હિમાયત કરી હતી, એ બો થોરેને પણ ગ્રેટાને કલાઈમેટ ચેન્જ માટે સ્કૂલ સ્ટ્રાઇકનું સૂચન કર્યું હતું.

માહિતી અને સંચારક્રાંતિના આ યુગમાં ગ્રેટાના જળવાયુ-પરિવર્તનના આંદોલનને સોશિયલ મીડિયાનો ભરપૂર સાથ મળ્યો. ગ્રેટા તુન્બર્ગના ઉદયમાં સોશિયલ મીડિયાની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. ગ્રેટાએ પોતાની સ્કૂલ-હડતાળના ફોટા ઇન્સ્ટાગ્રામ, ટિ્‌વટર અને બીજા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં જ તેના શુભ હેતુને જાણી ગયેલા લોકોનો જબરદસ્ત વૈશ્વિક સપોર્ટ તેને પ્રાપ્ત થયો. સોશિયલ મીડિયાએ  તેના આ આંદોલનને વૈશ્વિક રૂપ આપ્યું. બીજી તરફ ભારતના સોશિયલ મીડિયા અને યુવાનોનું વર્તમાન ચિત્ર નિરાશાજનક છે. હાઈ …હલ્લો…ના મૅસેજ, PUBG જેવી ગેમ, અફવા અને ફેક ન્યૂઝમાં રમમાણ ભારતીય યુવાનો મીડિયા અને સોશિયલ મીડિયા જાણે પોતાનો ધર્મ ભૂલી ગયા છે. એટલે ગ્રેટા આપણે માટે પ્રેરણારૂપ છે. દુનિયા માટે કંઈક કરી છૂટવાની ભાવના અને મીડિયાનો હકારાત્મક સાથ મળતાં, ગ્રેટા આજે સેલિબ્રિટી બની ચૂકી છે. ’ઇન્ગમાર રેન્ટઝોગ નામની ક્લાઇમેટ ચેન્જ માટે કામ કરતી એક સ્વિડિશ કંપનીના સ્થાપકનું ધ્યાન ગ્રેટા પર ગયું, અને તેમણે ‘WE DON'T HAVE TIME (WDHT)’ જેવા હૃદયસ્પર્શી શીર્ષકથી ગ્રેટાની સ્ટ્રાઇકને આકર્ષક રીતે વિશ્વના લોકો સુધી પહોંચાડી. ફ્રીલાન્સ ફોટોગ્રાફરોએ મિસ તુન્બર્ગની સ્કૂલ સ્ટ્રાઇકની તસવીરો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી. અંગ્રેજીમાં બનાવાયેલો ગ્રેટાનો વીડિયો યુ-ટ્યૂબ પર મુકાયો, જેને હજારો લોકોએ જોયો. ટિ્‌વટર પર ગ્રેટાના ક્વૉટેશનને ફોલો કરનાર બે લાખ લોકો છે અને દિનપ્રતિદિન તેની સંખ્યા વધતી જાય છે. ’ફ્રાઇડે ફોર ફ્યુચર’ને અનુસરનારા આજે હજારો છે. જાહેર માધ્યમોની જવાબદાર ભૂમિકાએ ગ્રેટાની સ્ટોરીને આંતરરાષ્ટ્રીય ઓળખ અને માન્યતા અપાવી છે.

સ્વિડનમાં આજે પણ ગ્રેટાનું આંદોલન ચાલુ છે, પણ હવે માત્ર શુક્રવારે જ દેખાવો થાય છે. માર્ચ ૨૦૧૯થી તે નિયમિત રીતે સ્વિડનની પાર્લામેન્ટ સામે દેખાવો કરે છે. દર શુક્રવારે અન્ય વિદ્યાર્થીઓ પણ તેમાં જોડાય છે. એટલું જ નહિ પણ દર અઠવાડિયે દુનિયાના કોઈક ને કોઈક સ્થળે જળવાયુ-પરિવર્તન સંદર્ભે દેખાવો કરે છે. ગ્રેટાએ ૨૦૧૯માં બે મોટાં પ્રદર્શનો યોજ્યાં કે જેમાં લાખો વિદ્યાર્થીઓ જોડાયા. ડિસેમ્બર, ૨૦૧૮માં સમગ્ર વિશ્વનાં ૨૭૦ શહેરોમાં ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓએ સ્કૂલ-હડતાળ કરી હતી, ભારતમાં પણ હરિયાણાના વિદ્યાર્થીઓએ માનવસાંકળ રચી, અરાવલી બાયો ડાયવર્સિટી પાર્કને બચાવવાનો પ્રયત્ન કર્યો. મેટ્રોશેડ બનાવવાને નામે મુંબઈમાં આરે કૉલોનીનાં ૨,૭૦૦ જેટલાં વૃક્ષ-ઉચ્છેદન સામે પર્યાવરણપ્રેમીઓએ સત્યાગ્રહ કર્યો, છતાં નિષ્ઠુર સરકારે ૨,૦૦૦ જેટલાં વૃક્ષોનો ભોગ લીધો, વર્ષો જૂનાં વૃક્ષોનું નિકંદન નીકળી ગયું. પ્રકૃતિપ્રેમીઓના દેખાવ અને કાયદાકીય લડત પછી સુપ્રીમ કોર્ટના સ્ટેને કારણે બીજાં હજારેક વૃક્ષો બચી ગયાં છે. એને આપણે ગ્રેટા તુન્બર્ગ ઇમ્પેક્ટ ગણી શકીએ. વિકાસને નામે પ્રકૃતિ તબાહ થઇ રહી છે. ગ્રેટા કહે છે કે, જો પૃથ્વી પર પર્યાવરણ નહિ બચાવીએ તો, સઘળી પ્રગતિ કે વિકાસ કંઈ નથી, નિષ્ફળતા જ છે. આપણી સ્થિતિ જોતાં ભારતને પણ કોઈ ગ્રેટા તુન્બર્ગ સમા કર્મવીરની તાતી જરૂર છે.

જાહેર સભા હોય કે રાજનેતાઓની સભા હોય, ગ્રેટા તુન્બર્ગ સ્પષ્ટ વક્તા છે, ભલભલા ચમરબંધીઓ સામે સત્ય ઉજાગર કરતાં તે ડરતી નથી. યુ.એન.ની મહાસભાના મંચ પરથી ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના દુનિયાના જમાદારોને એ ખરીખોટી સંભળાવે છે. ક્લાઇમેટ ચેન્જની કટોકટીમાંથી વિશ્વને બચાવવા માત્ર વાતોનાં વડાં નહિ, પણ તત્કાલ નક્કર પગલાં લેવાની વિનંતી પણ કરે છે. UNની ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સ, ૨૦૧૮માં પ્રવચન કરતાં ગ્રેટાએ ક્લાઇમેટ જસ્ટિસની માંગ કરી.

કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ઉદાહરણ રૂપે, તુન્બર્ગ સંયુક્ત રાષ્ટ્રોની ઑગસ્ટ, ૨૦૧૯ની ક્લાઇમેટ સમીટમાં હાજરી આપવા હવાઈ યાત્રાને બદલે ’મેલેઝિયા II’ નામની સોલાર ઊર્જા અને અન્ડરવૉટર ટર્બાઇનથી ચાલતી ૬૦ ફૂટની રેસિંગ નાવ (yatch) પર પિતા સાથે સવાર થઈ, દક્ષિણ-પશ્ચિમ ઇંગ્લૅડના પ્લીમથ શહેરથી ન્યુયૉર્ક સુધીની એટલાન્ટિક મહાસાગરની ૧૫ દિવસની વિકટ યાત્રા કરે છે. ત્યાં તેણે COP ૨૫ ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સમાં પણ વ્યાખ્યાન કર્યું.

ક્લાઈમેટ ચેન્જ અંગેના પોતાના પ્રથમ વક્તવ્યથી લઈ આજ સુધી ગ્રેટા તુન્બર્ગ વિશ્વના શક્તિશાળી રાજનેતાઓ સમક્ષ ’જળવાયુ, પરિવર્તન’ના મુદ્દે નક્કર અને પરિણામલક્ષી કામ કરવા સતત આગ્રહ કરી રહી છે. સાથે સાથે પર્યાવરણ સંદર્ભે પોતાનાં આગઝરતાં ભાષણોમાં લોકબળવાની ચેતવણી ઉચ્ચારે છે અને  પ્રવચનને અંતે કહે છે કે – “No one is too small to make a difference”. પરંતુ જાડી ચામડીના નેતાઓ શાહમૃગનીતિ અપનાવી રહ્યા છે. કદાચ એટલે જ U.N. સેક્રેટરી એન્ટોનિયો ગુત્રેસ, તેને સમર્થન આપતાં કહે છે કે – 'My Generation has failed to respond properly to the dramatic challenge of climate change. This is deeply felt by young people, no wonder they are angry.’

વિશ્વપ્રસિદ્ધ ’ટાઇમ’ મૅગેઝિને ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વિશ્વના ૨૫ પ્રભાવક તરુણોની સૂચિમાં ગ્રેટા તુન્બર્ગનું નામ સામેલ કર્યું છે, ગ્રેટાએ વિશ્વને આપેલ  સંદેશ તરફ એક નજર  કરીએ તો સ્વિડિશ પાર્લામેન્ટ સામે ૨૦૧૮માં દેખાવ કરતાં તેણે બે સાદા સંદેશ આપ્યાઃ ૧, School : strike for Climate અને ૨, I am doing this because you adults are sitting on my future. વિશ્વના પ્રતિષ્ઠિત મંચ પરથી બોલતાં ગ્રેટા કહે છે કે, રાજનેતાઓ અને નિર્ણાયકમંડળોએ વૈજ્ઞાનિકોની ચેતવણી પર ધ્યાન આપવું જોઈએ, તેમની વાત સાંભળવી જોઈએ અને પૅરિસકરાર મુજબ કાર્બન એમિસન (ઉત્સર્જન) અને ગ્રીનહાઉસ ગૅસનું હવામાંનું પ્રમાણ ૨૦૩૦ સુધીમાં નોંધપાત્ર રીતે ઘટાડવું જ પડશે. યુરોપિયન ઇકોનૉમિક ઍન્ડ સોશિયલ કમિટીની ફેબ્રુઆરી, ૨૦૧૯ની  કૉન્ફરન્સમાં બોલતાં ગ્રેટાએ યુરોપિયન યુનિયનને આવનાર એક દાયકામાં કાર્બન-ઉત્સર્જન ૮૦ ટકા ઘટાડવા આહ્વાન કર્યું. વિશ્વના અનેક દેશોમાં ફરીને, એકલે હાથે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા અંગે, લોકોને જાગૃત કરી રહેલી, ઘણા યુવાઓની રૉલ મૉડેલ ગ્રેટા નૈતિકતાના બળે દુનિયા સામે ઊભી છે. એ એકલી છે પણ .. એક આંદોલન છે.

ગત એક વર્ષમાં ગ્રેટા તુન્બર્ગે અનેક દેશોનો પ્રવાસ કરી, ક્લાઇમેટ ચેન્જ અંગે વક્તવ્યો આપ્યાં. તેના પર અનેક લેખ લખાયા. ગ્રેટાને એક નવી ઓળખ પ્રાપ્ત થઈ – ’નવી પેઢીની નેતા’, પૃથ્વીને બચાવવા નીકળેલી ’પૃથા’ ગ્રેટાને વિશ્વની અનેક સંસ્થાઓએ તેના આ ભગીરથ કાર્ય માટે અનેક ઇનામો અને ઍવૉડ્‌ર્સથી સન્માનિત કરી છે.

શક્તિરૂપે સંસ્થાપિત થયેલી ગ્રેટાને માર્ચ, ૨૦૧૯માં વિશ્વશાંતિના નોબેલ પારિતોષિક માટે નૉમિનેટ કરવામાં આવી હતી. તેના નૉમિનેશનની દલીલોમાં ગ્લોબલ વૉર્મિંગને ભવિષ્યમાં આપત્તિઓ, સંઘર્ષો અને યુદ્ધ માટે જવાબદાર ગણાવવામાં આવ્યું હતું.

’શાંતિ અને સ્વતંત્રતા’ માટે લડનાર યુવાનોને અપાતો નવો શરૂ થયેલો ફ્રાન્સનો પ્રથમ ઍવૉર્ડ ગ્રેટાને મળ્યો. આ ઍવૉર્ડની ૨૫,૦૦૦ યુરોની ઇનામરાશિ તેણે ક્લાઇમેટ જસ્ટિસ માટે કામ કરતી ચાર સંસ્થાઓને આપી દીધી. માર્ચ ૨૦૧૯માં જર્મનીનો સ્પેશિયલ ક્લાઇમેટ પ્રોટેક્શન ઍવૉર્ડ મળ્યો. વાણીસ્વાતંત્ર્ય, માટે કાર્ય કરનારને અપાતું નૉર્વેનું ફ્રીટ ઊર્ડ ઇનામ પણ ગ્રેટાને એપ્રિલ, ૨૦૧૯માં મળ્યું. આ જ માસમાં ’ટાઇમ’ મૅગેઝિનના વિશ્વના સો પ્રભાવક માણસોમાં તેને સ્થાન મળ્યું. મે, ૨૦૧૯માં ફ્રાન્સની યુનિવર્સિટી ઑફ મોન્સ દ્વારા ડૉક્ટરની માનદ પદવી તેને એનાયત થઈ.

એમ્નેસ્ટી ઇટરનેશનલ દ્વારા જૂન, ૨૦૧૯માં ક્લાઇમેટ ચેન્જ મૂવમેન્ટની લીડરશિપ માટે ઍમ્બેસેડર ઑફ કોન્સીએન્સના પ્રતિષ્ઠિત ઍવૉર્ડ દ્વારા ગ્રેટાનું સન્માન કરવામાં આવ્યું. સપ્ટેમ્બર માસમાં જ ‘મેન ઑફ ધ યર,નો ઍવૉર્ડ પણ તેને મળ્યો. ૨૫ સપ્ટેમ્બરના રોજ સ્વિડનના નોબેલ તરીકે ઓળખાતા ’રાઇટ લાઇવલીહૂડ’ ઍવૉર્ડથી તેના પોતાના દેશે તેનું સન્માન કર્યું. બ્રિટિશ મેગેઝિન ’VOGUE’ના સપ્ટેમ્બર, ૨૦૧૯ના અંકના કવર પેજ પર પંદર શક્તિશાળી સ્ત્રીઓમાં તેને સ્થાન મળ્યું. નોંધપાત્ર બાબત એ છે કે, આ કવર પેજ ગેસ્ટ એડિટર ડચેસ ઑફ સસેક્સ – મેગને બનાવ્યું હતું. ચિલ્ડ્રન ક્લાઇમેટ પ્રાઇઝ, યંગ રોલ મૉડેલ માટેની સ્કોલરશીપ અને આવા તો બીજા અનેક ઇનામો અને એવોડ્‌ર્સથી ગ્રેટા તુન્બર્ગનું સન્માન થયું છે, જે તેને મળેલી વૈશ્વિક માન્યતાને દર્શાવે છે. ગ્રેટા પોતાના આંદોલનને સંપૂર્ણ સમર્પિત છે. તેણે ઇનામની મોટા ભાગની રકમ ક્લાઇમેટચેન્જના નેક કામ માટે વાપરી છે, ક્યાં તો તે કામ માટે દાનમાં આપી દીધી છે.

સ્ત્રી પ્રકૃતિની કન્યા છે. ગાંધીજી કહે છે કે, “કોઈ સ્ત્રી પોતાના કામમાં તમામ શક્તિ લગાવી દે, ત્યારે તે પહાડને પણ હલાવી શકે છે !” સ્ત્રી કોઈ પણ સમસ્યાનો ઉત્તમ ઉપાય ખોળી કાઢે છે. અસુરોના આતંક સામે દેવોએ હથિયાર હેઠાં મૂક્યાં ત્યારે દેવીશક્તિએ જ અસુરમર્દન કર્યું હતું. સ્ત્રીનું ઉત્તમ લક્ષણ ખુમારી અને સ્વાભિમાન છે. કર્મશીલ ગ્રેટા તુન્બર્ગ આવી જ ’પૃથા’ છે. પૃથ્વીના ભાવિને ગ્રેટાના દિવ્યચક્ષુ પારખી ચૂક્યાં છે. ’ન્યુ ટેસ્ટામેન્ટ’ના પુસ્તક ’રેવેલેશન’(પ્રકટીકરણ)ના સંદર્શનને ગ્રેટા તુન્બર્ગ સમજી ચૂકી છે, બે હજાર વર્ષ પૂર્વેનું ભાવિકથન તેને નજીકના ભવિષ્યમાં આકાર લેતું દેખાઈ રહ્યું છે ! કદાચ કોઈ દિવ્ય ચેતનાના બળે જ તેણે પૃથ્વીને બચાવવાનું આંદોલન ઉપાડ્યું છે. U.N. મહાસચિવના મતે હવે આ ગ્રહને બચાવવાની જવાબદારી યુવા પેઢી પર છે, ત્યારે કેટલાંક સ્થાપિત હિતો અને ગ્રેટાને ઉતારી પાડનાર, તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર નિંદકો તેને મનોરોગી અને ઉન્માદી સાબિત કરવાના અને નોબેલની રેસમાંથી તેનું નામ રદ્દ કરાવવા પ્રયત્નો કરી રહ્યા છે !! આવો, આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ કે જટાયુવૃતિ ધરાવતી, આ ધરતીની પુત્રી ગ્રેટા, મલાલા બનીને અટકી ન જાય. પણ સત્યની લડાઈ લડનાર ગાંધી બને અને શક્તિરૂપે સંસ્થાપિત થાય.

[સદ્‌ગુણા આટ્‌ર્સ કૉલેજ, અમદાવાદ]

સૌજન્ય : “અભિદૃષ્ટિ”, અંક 144 – વર્ષ 13 – નવેમ્બર 2019; પૃ. 05-09

Loading

અયોધ્યા : ન્યાયની ‘સમાધાન’કારી ફૉર્મ્યુલા

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|15 November 2019

કોઈકે અયોધ્યા ફેંસલામાં ‘સિયાવર રામચંદ્ર કી જય’ જોઈ તો ક્યાંકથી કેમ જાણે તબલાં પર સંગત પેઠે ‘અવધમેં આનંદ ભયો’ એવી ઉક્તિ પણ આવી પડી. ‘હરખ તું હિંદુસ્તાન’નો હેલો ગાવાની, ભલે મંદ સાદે ગાવાની, હોડ પણ કદાચ વરતાઈ. એક વાત સાફ છે કે સર્વોચ્ચ અદાલતે ન્યાયની કોશિશ સાથે અમન અને સમાધાનની ખેવના ખસૂસ રાખી છે. એક રીતે, સર્વોચ્ચ અદાલત અંગે ન્યાય અને સંતુલનની મથામણમાં તંગ દોર પર નટચાલની જે છાપ ઉપસે છે એને વિધાયક વાસ્તવને ધોરણે સમજી પણ શકાય છે; કેમ કે વસ્તુતઃ દેશના રાજકીય નેતૃત્વે છેલ્લા દસકાઓમાં કેળવેલ કૌશલ અને કરતબ પોતાની જવાબદારી અદાલત પર નાખીને છૂટી જવાનાં છે.

સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાબત પુનઃસમીક્ષાને અવશ્ય અવકાશ છે, પણ અત્યારે નાનાવિધ મુસ્લિમ સંગઠનો પણ એકમતે એવું ઇચ્છે છે એમ જણાતું નથી. સંઘ શ્રેષ્ઠીઓએ ચુકાદા સબબ વિજયના ઉન્માદથી પરહેજ કરવાની સૂચના આપી તો ઠેકઠેકાણે ઇદે મિલાદનાં જુલૂસ મોકૂફ રાખવા વાટે મુસ્લિમ વર્તુળોએ પણ સૌહાર્દ અને કાયદો ને વ્યવસ્થાની જાળવણીની દરકાર કરી જાણી છે. બેશક, અહીં ‘સૌહાર્દ’ શબ્દને સીમિત સંદર્ભમાં લેવાનો છે, કેમ કે જૂનાંનવાં રમખાણગ્રસ્ત મુસ્લિમ વિસ્તારોએ ચુકાદાને દિવસે લગભગ સંચારબંધી પાળવામાં સલામતી જોઈ હતી. એમાં ભય નહોતો એવું કહી શકાતું નથી.

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ ૧૭મી નવેમ્બરે મળીને આ ચુકાદા અંગે સર્વોચ્ચ અદાલતની દેવડીએ પુનઃ સમીક્ષા અંગે ધા નાખવા અગર નહીં નાખવાનો વિધિવત્‌ નિર્ણય લેશે એવા હેવાલો છે. તો, મૂળ માલિક એટલે કે સુન્ની વકફ બોર્ડને વૈકલ્પિક જમીન ફાળવવાના સર્વોચ્ચ અદાલતના નિર્ણય મુજબની જમીન સ્વીકાર્ય લેખવી કે નહીં તે અંગેની અવઢવ અંગેનો બોર્ડનો મત વળતે અઠવાડિયે યોજેલ બેઠકમાં સ્પષ્ટ થશે, તેમ છતાં, એકંદર વલણવ્યૂહ આ ફેંસલા બાબતે રિઝર્વેશન્સ છતાં આગળ જવાનો જણાય છે એમ માનવામાં હરકત નથી.

જે સમજવાનું છે તે આ ચુકાદાના ઉજાસમાં એ છે કે ૧૯૪૯ની ઘટના (મસ્જિદમાં રામલલ્લાના પ્રાગટ્ય ઉર્ફે રાત્રે તાળાં તોડી ધરાર મૂર્તિસ્થાપન) અને ૧૯૯૨ની બાબરીધ્વંસની ઘટના બેઉમાં કાનૂનભંગ હતો તે હતો અને એમાં સંડોવાયેલાઓ તેમ જ એના લાભાર્થીઓ આજે સત્તાનશીન છે તે છે. સર્વોચ્ચ અદાલતે કાનૂનભંગ સ્પષ્ટ બોલી બતાવ્યો છે એ લક્ષમાં લઈએ તો સત્તાસ્થાનેથી સંયમની જે શીખ પોતાના વળના વિશાળ વર્ગને અપાઈ છે તે એને ખુદને પણ એટલી જ લાગુ પડે છે. કલમ ૩૭૦ની પૂર્ણવત્‌ નાબૂદીને કોઈ પ્રશાસનિક પગલા તરીકે નહીં જોતાં કેમ જાણે એ કોઈક ચડાઈ સાથેનાં ડંકાનિશાન હોય કે એની વાટે વિજયવાવટો લહેરાવાયો હોય એવી માનસિકતાથી પેશ આવતી મંડળીને કોઈકે યાદ અપાવવું રહે છે કે તમને આ પૂર્વે તમારા જ વળમાંથી (અને તે પણ શીર્ષ સત્તાસ્થાનેથી) રાજધર્મના પાલનની શીખ અપાઈ હતી. વર્તમાન નેતૃત્વને (અરુણ શૌરિએ વર્ણવેલ અઢી પૈકી બચેલા બે આદિપુરુષને) આ બધું વિચારવાની રગ અને ફુરસદ હોય તો હોય, અને ન હોય તો નયે હોય. વળી ખબર હોવી તે પોતે કરીને અગ્રતા હોવી એવું પણ નથી.

જે બેત્રણ જોગાનુજોગ આવ્યા આપણી સામે, આ દિવસોમાં, તે પણ તપાસ બલકે ઊહાપોહ માગી લે છે. એક તો, ચુકાદાનો આગલો દિવસ, એટલે કે ૮મી નવેમ્બર, અડવાણીનો જન્મદિવસ હતો. રામમંદિર આંદોલનના રાજકીય સ્થપતિ અને પાલમપુર ઠરાવના ઘડવૈયા અલબત્ત અડવાણી અને અડવાણી જ હતા, અને ઉમા ભારતી જેવાં એકલદોકલ ભા.જ.પ. શ્રેષ્ઠીએ એમનો વિશેષરૂપે ઉલ્લેખ કરવાનો વિવેક પણ દાખવ્યો છે. બાબરીધ્વંસના જવાબદારોમાં લિબરહાન કમિશને એમને ખાસ ગણાવ્યા છે અને વચગાળાની અવઢવ કે અસમંજસ પછી સી.બી.આઈ.એ ૨૦૧૭ની પોતાની રજૂઆતમાં પણ તેમ કહ્યું છે. જો કે, અડવાણીએ લોકસભામાં આ દિવસને પોતાના સૌથી દુઃખી દિવસ તરીકે વર્ણવ્યો હતો એ બીના જરૂર રેકોર્ડ પર છે, પણ ઘટના જોડેની એમની સંડોવણી પણ સાક્ષાત છે. એમનાં ફારગત પુત્રવધૂ ગૌરીએ તો આ સંદર્ભમાં બઢીચઢીને ખાસું એક ઇલ્જામનામું પણ મૂક્યું છે. પણ આ ક્ષણે તે માંહે રહેલ ટ્રિવિયા ટીઝર્સનો લોભ છાંડીને કરવા જેવો પાયાનો મુદ્દો અડવાણીની વિચારધારાકીય રૂખનો છે. ભા.જ.પે. રામ મંદિરને રાષ્ટ્રવાદની પોતાની વ્યાખ્યા અને ઓળખ તરીકે ઉપસાવ્યું એ આખી બીનાનું શ્રેય એક વ્યવસાયી કૉપીકાર તરીકે અડવાણીને નામે જમે બોલે છે. ભાગલા પૂર્વે મુસ્લિમ લીગે એક તબક્કે ખેલ્યું હતું એવું જ, એના હિંદુ અડધિયાશાઈ રાજકારણ એમના નેતૃત્વમાં ભા.જ.પે. ગઈ સદીના છેલ્લાં બારપંદર વરસથી ધરાર એટલે ધરાર ખેલ્યું છે. (દાંડીયાત્રા અને અયોધ્યાયાત્રા બેઉને સામસામે અને એક સાથે મૂકીને જોઈએ તો એકનું વિધાયક લડાયક સ્વરૂપ તો બીજીનું વિભાજક લડાયક સ્વરૂપ તરત પ્રત્યક્ષ થશે.)

વડાપ્રધાન મોદીએ નવમી નવેમ્બરના બીજા બે જોગાનુજોગ તરફ જાહેર ધ્યાન ખેંચ્યું છે. કરતારપુર કોરિડોરના દિવસ તરીકે તેમ બર્લિનની દીવાલ તૂટ્યાની ઇતિહાસઘટના તરીકે એમણે આ ચુકાદાની તારીખનો મહિમા કીધો છે. જ્યાં સુધી કરતારપુર કોરિડોરનો સવાલ છે, નાનકદેવ હિંદુમુસ્લિમ સમન્વયના અનેરા ઉદ્‌ગાતા હતા. ધર્મકોમને નામે રાષ્ટ્રની વ્યાખ્યાના રાજકારણ સાથે એમને સાંકળવામાં વિવેક નથી તે નથી. બર્લિનની દીવાલની જિકર કરીએ તો એનું તૂટવું અને બે જર્મનીનું એક થવું એ જરૂર એક ઐતિહાસિક આકર્ષણનું બિન્દુ છે. ત્યાં તકરાર બે સામ્રાજ્યવાદી સત્તાઓ તેમ લોકશાહી અને સર્વસત્તાવાદ વચ્ચે હતી, ધર્મકોમની નહોતી. સત્તાપુરુષ મોદીએ આ જે બે પેરેલલ પરબારા ગગડાવ્યા એ તેઓ કેન્દ્રીય સત્તા સુધી નહોતા પહોંચ્યા ત્યારના એમના રાજકારણથી વિપરીત એટલે સદંતર વિપરીત છે.

ગમે તેમ પણ, અયોધ્યા ચુકાદામાં પૂર્ણ ન્યાયને બદલે કંઈક સમાધાન ભણી ઝૂકવાના વલણને હાલની જરૂરત સમજી આગળ ચાલી શકીએ એવી એક વ્યાપક લાગણી જોવા મળે છે. પ્રજાનાં વાસ્તવિક સુખદુઃખના પાયાના પ્રશ્નોને અગ્રતા મળવી જોઈએ એવો એક વિચારધક્કો એની પૂંઠે પડેલો છે. આપણે આ વલણની કદર કરીએ, જરૂર કરીએ. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાનાં પરિણામોમાં ભા.જ.પ.ના કથિત રાષ્ટ્રવાદ સામે વાસ્તવિક સુખદુઃખની જે ચિંતાચીમકી સાફ છે. એ વિચારરૂખને જરૂર આગળ ચલાવીએ.

ખરું જોતાં, મંડલ-કમંડલમાં ચાલતી રાજનીતિથી આગળ જવાની ઇતિહાસતક તરીકે વિચારવાની આ ઘડી છે. વિશ્વનાથ પ્રતાપ સિંહના મંડલાસ્ત્ર સામે અડવાણીને જડી રહેલા મંદિરાસ્ત્રે ૧૯૯૮, ૧૯૯૯માં સત્તાફળ આપ્યું. ૨૦૦૨માં આપણે આ રાજનીતિની વિક્રિયા પણ જોઈ. ૨૦૦૯માં મંદિરાસ્ત્રે માંજેલ રાષ્ટ્રવાદનું નેતૃત્વ કરી રહેલા, પ્રાઈમ મિનિસ્ટર ઇન વેઈટિંગ અડવાણી અને ભા.જ.પ.નું નામું લખાવા માંડ્યું કે શું એવા સવાલિયા દાયરામાં એ મુકાઈ ગયાં હતાં. ૨૦૧૪ના ભા.જ.પ. વિજયનું શ્રેય મંડલ મંદિર વિકાસની રાષ્ટ્રવાદી કોકટેલ અને મોદીને નામે જમે બોલે છે. મે ૨૦૧૯ની ફતેહ સાથે એમણે, વચલાં વરસોમાં લગરીક બાજુએ રાખ્યા જેવા ખાસંખાસ મુદ્દાઓ રાષ્ટ્રવાદના ભાલાના ફળા રૂપે આગળ ધરવા માંડ્યાં છે. પણ કમબખ્ત ૩૭૦એ મહારાષ્ટ્ર-હરિયાણામાં યારી ન આપી તે સાથે વાસ્તવિક સુખદુઃખનાં વાનાં ચિંતા અને ચર્ચાના કેન્દ્રમાં નહીં તો પણ તે ભણી આવે એવી શક્યતા ઊભી થઈ છે.

પ્રશ્ન આ છે : અયોધ્યા ચુકાદા પછી, ઉક્ત શક્યતાને કેવીક કાલવી શકાય છે. ભૂતકાળને પાછળ મૂકી આગળ જવાની વાતમાં દમ છે, અને એ રીતે આ ચુકાદાને ન્યાય ભણી ઝૂકતા સમાધાન અગર તો સમાધાન ભણી ઝૂકતા ન્યાય તરીકે ચોક્કસ જોઈ શકાય છે. ૧૯૪૯ અને ૧૯૯૨ની ઘટનાઓને ગુનાઇત કાંડ કહેવા સાથે સર્વોચ્ચ અદાલતના સર્વાનુમત ચુકાદામાં બિનસાંપ્રદાયિકતા એ બંધારણનાં મૂળભૂત લક્ષણ પૈકી છે તે સુપેરે ઘુંટાયું છે. જે નહીં ભૂલવાનો મુદ્દો છે તે આપણી ચર્ચામાં કદાચ ખાસ આવતો જ નથી. અને તે એ છે કે ૧૯૯૧ના કાયદા મુજબ, એકમાત્ર બાબરી મસ્જિદ બાદ કરતાં, બધાં જ ધર્મસ્થાનો પરત્વે ૧૯૪૭ના ઑગસ્ટની ૧૫મીએ હતી તે સ્થિતિ સ્વીકારાયેલી છે. એટલે આ તો ‘ઝાંકી’ છે અને બીજું હજુ ‘બાકી’ છે જેવો રણનાદ હવે અપ્રસ્તુત બની રહે છે. કાશીમથુરા અમારા આંદોલન-એજન્ડામાં નથી એવી જાહેરાત કરી ચૂકેલા સરસંઘચાલક ભાગવત, એમના વિજ્ઞાનભવન વ્યાખ્યાનોનો દોર આગે બઢાવશે કે પરંપરાગત કોચલામાં મુક્તિ શોધશે?

જો કે સર્વોચ્ચ અદાલતના પૂર્વન્યાયમૂર્તિ એ.કે. ગાંગુલીએ કરેલો વેધક સવાલ વિચારણીય છે : જો બાબરી મસ્જિદ હજુ ઊભી હોત તો સર્વોચ્ચ અદાલત એને ધ્વસ્ત કરાવત? આજે એ ધ્વસ્ત થઈ છે (અને તે સારુ જવાબદાર વિચારધારાકીય વળના લોકો સત્તારૂઢ છે) ત્યારે કાયદાના શાસનનો ખયાલ છોડીને જે બન્યું એને વાજબી ઠરાવતો આ નિર્ણય નથી શું? મતલબ, ન્યાયવિધાનને બદલે બહુમતીવાદને અપાયેલો આ તો એક રુક્કો છે. ઊલટ પક્ષે, હમણાં કહ્યું તેમ, વિધાયક શરૂઆતની શક્યતા તરીકે આ ચુકાદાને જોવાનું વલણ, ઉપેન્દ્ર બક્ષી જેવી કાનૂનવિદ (અને બિનસાંપ્રદાયિકતાના મૂલ્યને વરેલી) પ્રતિભાનું છે. દેખીતી રીતે જ, આ સંજોગોમાં દડો દિલ્હી દરબાર અને નાગપુર કને છે.

નવેમ્બર ૧૨, ૨૦૧૯

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 01-02 તેમ જ 15

Loading

સમાજના દબાયેલા લોકોનો આક્રોશ ફિલ્મી પડદે વ્યક્ત કરનાર કેમેરામેન અને ફિલ્મમેકર ગોવિંદ નિહલાની

નીલય ભાવસાર|Opinion - Opinion|14 November 2019

કોઈ પણ કુશળ ફિલ્મમેકર માટે ફિલ્મમેકિંગની પ્રક્રિયા માટે જરૂરી ટેક્નિકલ જ્ઞાન હોવું પહેલી શરત છે. ફિલ્મ ડિરેક્ટર માટે વાર્તા અને એક્ટિંગ સિવાય એડિટિંગ, સિનેમેટોગ્રાફી, સાઉન્ડ ડિઝાઈન, લાઈટિંગ વગેરેની સમજ હોવી પણ ખૂબ જરૂરી છે. ફિલ્મમેકિંગની દુનિયામાં એવા ઘણાં ફિલ્મ ડિરેક્ટર્સ છે કે જેમણે તેમના કરિયરની શરૂઆત ફિલ્મ એડિટર અથવા સિનેમેટોગ્રાફર તરીકે કરી હોય અને બાદમાં ડિરેક્ટશનના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી હોય. હાલ બોલિવૂડમાં એવા ઘણાં ફિલ્મમેકર્સ છે કે જેઓ કુશળ સિનેમેટોગ્રાફર અથવા ફિલ્મ એડિટર હોવાની સાથે-સાથે કામયાબ ડિરેક્ટર પણ હોય.

આજે આપણે બોલિવૂડના જાણીતા સિનેમેટોગ્રાફર, ડિરેક્ટર-લેખક ગોવિંદ નિહલાનીના ફિલ્મ કરિયર પર એક નજર માંડીશું. બોલિવૂડમાં જ્યારે આર્ટ હાઉસ સિનેમા(સમાંતર સિનેમા અથવા નવું સિનેમા)નો યુગ શરૂ થયો ત્યારે ડિરેક્ટર શ્યામ બેનેગલની સાથે સિનેમેટોગ્રાફર (કેમેરામેન) તરીકે કરિયરની શરૂઆત કરનાર ગોવિંદ નિહલાનીએ એક સ્વતંત્ર ફિલ્મમેકર તરીકેની પણ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી. પદ્મશ્રી વિજેતા ફિલ્મમેકર ગોવિંદ નિહલાનીને 6 નેશનલ એવોર્ડ અને 5 ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યા છે. ગોવિંદ નિહલાનીએ જે બોલિવૂડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કેમેરાવર્ક કર્યું છે તેમાં 'આક્રોશ' (1980), 'અર્ધસત્ય' (1983), 'દ્રોહકાલ' (1994), 'જુનૂન' (1979), 'ભૂમિકા' (1977), 'મંથન' (1976) વગેરેનો સમાવેશ થાય છે. કેમેરાના ટેક્નિકલ જ્ઞાન સહિત સાહિત્યની ઊંડી સમજ ધરાવતા ગોવિંદ નિહલાનીની ફિલ્મોગ્રાફીમાં સાહિત્યકાર અથવા સાહિત્યકૃતિ સાથેનો ગાઢ સંબંધ જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીએ જ્યારે સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ તેમણે ઓમ પુરી અને નસીરુદ્દીન શાહને લઈને 'આક્રોશ' (1980) નામની ફિલ્મ બનાવી. મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકર અને સત્યદેવ દુબે લિખિત આક્રોશ(1980)માં ઓમ પુરીએ એક પણ ડાયલોગ વિના માત્ર આંખો અને ચહેરાના હાવભાવથી સમાજના કચડાયેલા વર્ગનો આક્રોશ વ્યક્ત કર્યો. જ્યારે 'અર્ધસત્ય'(1983)માં મનોમંથન કરી રહેલા પોલીસ ઓફિસરના રોલમાં ઓમ પુરીએ સમાજ વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા કર્યા. ડાર્ક અને વાસ્તવિક સ્થિતિ રજૂ કરતી 'અર્ધસત્ય'(1983)ને આજે પણ પોલીસ પર બનેલી શ્રેષ્ટ બોલિવૂડ ફિલ્મ ગણવામાં આવે છે. ફરી એક વખત મરાઠી નાટ્યકાર વિજય તેંદુલકરે આ ફિલ્મ લખી અને તેનું શીર્ષક જાણીતા મરાઠી કવિ દિલીપ ચિત્રેની કવિતા આધારિત છે. ગોવિંદ નિહલાનીની આ બંને ફિલ્મોનો અંત હિંસક હતો અને દર્શકોને વિચારવા માટે મજબૂર કરી દે તેવો હતો. ગોવિંદ નિહલાનીના સિનેમામાં સમાજના દબાયેલા, કચડાયેલા અને વંચિતોની વેદના, વિભાજનની દાસ્તાન ('તમસ' સિરિયલ), નક્સલવાદ ('હઝાર ચૌરાસીકી માં' નામની ફિલ્મ), કોમી એખલાસ, મજૂરો આંદોલન (ફિલ્મ 'આઘાત'), સ્ત્રી સશક્તિકરણ, સમાજના ઉચ્ચવર્ગનો દંભ અને અસામનતા જેવા વિષયો જોવા મળે છે.

ગોવિંદ નિહલાનીનો જન્મ તારીખ 19 ડિસેમ્બર, 1940ના રોજ કરાચી (હાલ પાકિસ્તાનમાં) થયો, બાળપણમાં તેમણે સૌ પ્રથમ ગુજરાતી સંત અને કવિ નરસિંહ મહેતાના જીવન આધારિત ફિલ્મ 'નરસી ભગત' જોઈ હતી. વર્ષ 1947ના વિભાજન બાદ તેમનો પરિવાર રાજસ્થાનના ઉદયપુરમાં આવીને સ્થાયી થયો. આ દરમિયાન કેમેરાવર્ક તરફ તેમની રુચિ જાગૃત થઈ, સિંધી પરિવારમાંથી આવતા ગોવિંદ નિહલાનીએ ફેમિલી બિઝનેસમાં આગળ વધવાની જગ્યાએ કુશળ કેમેરામેન બનવાનો નિર્ણય કર્યો અને આ માટે તેમણે બેંગ્લોરમાં આવેલી ઈન્સ્ટિટ્યૂટમાંથી સિનેમેટોગ્રાફી(cinematography)નો 3 વર્ષનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ વર્ષ 1962માં તેઓ મુંબઈ આવ્યા અને બોલિવૂડના દિગ્ગજ સિનેમેટોગ્રાફર વી.કે. મૂર્થી(ગુરુદત્તની ફિલ્મોના કેમેરામેન)ના સહાયક તરીકે કરિયરની શરૂઆત કરી. બાદમાં એડવર્ટાઇઝમેન્ટના ક્ષેત્રમાં કેમેરામેન તરીકે કાર્ય કરતા તેમની મુલાકાત ડિરેક્ટર શ્યામ બેનેગલ સાથે થઈ. આ દરમિયાન શ્યામ બેનેગલ અને ગોવિંદ નિહલાનીએ સાથે મળીને ડોક્યુમેન્ટ્રી અને એડવર્ટાઇઝમેન્ટ પર કામ કર્યું. જ્યારે શ્યામ બેનેગલે તેમની પ્રથમ ફિલ્મ 'અંકુર' બનાવી ત્યારે ગોવિંદ નિહલાનીએ તેમાં સિનેમેટોગ્રાફર તરીકે કામ કર્યું. બાદમાં શ્યામ બેનેગલની 'નિશાંત' (1975), 'મંથન' (1976), 'ભૂમિકા' (1977), 'જુનૂન' (1978), 'આરોહણ' (1982) સહિતની ફિલ્મોમાં સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય બાદ ગોવિંદ નિહલાનીએ સ્વતંત્ર ફિલ્મમેકર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ફિલ્મ 'જુનૂન' (1978) માટે તેઓને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફર તરીકેનો નેશનલ એવોર્ડ મળ્યો. શ્યામ બેનેગલની સાથે કેમેરાવર્ક કરતી વેળાએ તેઓ ફિલ્મમેકિંગના પાઠ શીખ્યા અને નાટ્યકાર – લેખક સત્યદેવ દુબે તેમ જ વિજય તેંદુલકર થકી તેમનો થિયેટર(નાટક)ની દુનિયા સાથે પરિચય થયો.

આ તે સમય હતો કે જ્યારે ભારતીય સિનેમામાં સમાંતર સિનેમા(નવું સિનેમા અથવા આર્ટ સિનેમા)ની મૂવમેન્ટ ચાલી રહી હતી. બોલિવૂડમાં એક બાજુ અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, મિથુન, જિતેન્દ્ર વગેરે સ્ટાર્સની મનોરંજક ફિલ્મો આવી રહી હતી જ્યારે બીજી બાજુ શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની, સઈદ અખ્તર મિર્ઝા અને કુંદન શાહ જેવા ફિલ્મમેકર્સ ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, સ્મિતા પાટિલ અને શબાના આઝમી જેવાં સામાન્ય ચહેરો ધરાવતાં એક્ટર્સને લઈને સમાજની વાસ્તવિકતા આધારિત રિયાલિસ્ટિક ફિલ્મો બનાવી રહ્યા હતા. ઓછા બજેટની સમાંતર સિનેમાની ફિલ્મોમાં રિયાલિસ્ટિક વિષયો, એકિટંગ, સામાજિક પ્રશ્નો, રિયલ લોકેશન્સ મહત્ત્વના હતા. આ સમયગાળામાં ગોવિંદ નિહલાનીએ જે ફિલ્મો ડિરેક્ટ કરી તેમાં 'આક્રોશ' (1980), 'વિજેતા' (1982), 'અર્ધસત્ય' (1983), 'પાર્ટી' (1984), 'આઘાત' (1985), 'દ્રોહકાલ' (1994), 'હજાર ચૌરાસીકી માં' (1997), 'થક્ષક' (1999), 'દેવ' (2004) વગેરે મહત્ત્વની ફિલ્મોનો સમાવેશ થાય છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં ઓમ પુરીને એક્ટિંગ કરવા માટેનું ખુલ્લું અવકાશ મળ્યું, અર્ધસત્ય માટે ઓમ પુરીને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અજય દેવગન, અમરીશ પુરી, ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, શશી કપૂર સહિતનાં જાણીતાં કલાકારો ગોવિંદ નિહલાનીની ફિલ્મોમાં કામ કરી ચૂક્યાં છે.

માત્ર ફિલ્મો નહીં પરંતુ ટી.વી. ક્ષેત્રે પણ ગોવિંદ નિહલાનીનું મહત્ત્વનું યોગદાન રહેલું છે. તેમણે 1988માં ભીષ્મ સહાનીની નવલકથા આધારિત 'તમસ' નામની 6 એપિસોડ્સની ટી.વી. સિરિયલ બનાવી, વિભાજનની વેદના રજૂ કરતી આ ટી.વી. સિરિયલને દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી અને તેને 3 નેશનલ એવોર્ડ મળ્યા હતા. ટી.વી. સિરિયલ 'તમસ'ની પટકથા ગોવિંદ નિહલાની અને ભીષ્મ સહાનીએ સાથે મળીને લખી હતી. ગોવિંદ નિહલાનીની અન્ય મહત્ત્વની ફિલ્મમાં 'હજાર ચૌરાસીકી માં'(1997)નો સમાવેશ થાય છે. બંગાળી લેખિકા મહાશ્વેતા દેવીની નવલકથા 'હજાર ચૌરાસીકી માં' આધારિત આ ફિલ્મમાં કથિત રીતે નક્સલવાદનો મુદ્દો અને પુત્ર ગુમાવી ચૂકેલા એક માતાની વેદના કેન્દ્રસ્થાને છે. એક ઈન્ટરવ્યૂમાં ગોવિંદ નિહલાની જણાવે છે કે મને ફિલ્મ બનાવવાના વિચાર સાહિત્યમાંથી મળે છે. સાહિત્ય અને સિનેમા એકબીજાની સાથે સંકળાયેલાં છે. મારી મોટાભાગની ફિલ્મો સાહિત્યકૃતિ વાર્તા, નવલકથા કે પછી કોઈ નાટક આધારિત છે.

આ સિવાય રિચાર્ડ એટેનબરોની હોલિવૂડ ફિલ્મ 'ગાંધી'માં ગોવિંદ નિહલાનીએ સહાયક સિનેમેટોગ્રાફર તરીકે કાર્ય કર્યું હતું. રિચાર્ડ એટેનબરો જ્યારે ભારતમાં 'ગાંધી'નું શૂટિંગ કરવા માટે આવ્યા ત્યારે તેમણે સહાયક કેમેરામેન તરીકે ગોવિંદ નિહલાનીને પસંદ કર્યા હતા. આ શૂટિંગ દરમિયાન તેઓને એક કેમેરાવર્ક તરીકે કામ કરવાની સંપૂર્ણ આઝાદી મળી, ડિરેક્ટર રિચાર્ડ એટેનબરોએ ગોવિંદ નિહલાનીને તેમના દ્રષ્ટિકોણથી સીન શૂટ કરવા માટેની આઝાદી આપી. માત્ર એટલી જ સલાહ આપી કે દરેક ફ્રેમમાં ભીડ દેખાવી જોઈએ કારણ કે ભારતની આબાદી વધારે છે. ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધ સત્ય'માં ઓમ પુરી, સ્મિતા પાટિલની સામે બેસીને મરાઠી કવિ દિલીપ ચિત્રેની જે કવિતાનું પઠન કરે છે તેમાં તેનો સારાંશ રહેલો છે, તેનો અનુવાદ આ મુજબ છે. 'ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલાં, હું કોણ અને કેવો હતો, તે મને યાદ નથી. ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ મારી અને ચક્રવ્યૂહની વચ્ચે માત્ર એક ઘાતક નિકટતા હતી, તેનો મને ખ્યાલ નહીં આવે. ચક્રવ્યૂહમાંથી નીકળ્યા બાદ ભલે હું મુક્ત થઈ જાઉં પણ ચક્રવ્યૂહની રચનામાં કોઈ ફરક નહીં પડે. એક પલડામાં નપુંસકતા અને એક પલડામાં પુરુષાતન, અને ત્રાજવાના વચ્ચેના કાંટા પર અર્ધસત્ય.'

(લેખક www.iamgujarat.comમાં પત્રકાર છે)

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...2,6242,6252,6262,627...2,6302,6402,650...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved