Opinion Magazine
Number of visits: 9683545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝારખંડ ચૂંટણીનાં પરિણામો

કેયૂર કોટક|Opinion - Opinion|3 January 2020

પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર ગુમાવ્યાં … અને હવે ઝારખંડ! મતદાતાઓનું વલણ અકળ છે. જે મતદારોએ વર્ષ ૨૦૧૯ની મધ્યમાં ઝારખંડમાં લોકસભાની ૧૪માંથી ૧૨ બેઠકો આપીને ભા.જ.પ.ને સત્તાનાં શિખર પર પહોંચાડ્યો હતો, એ જ મતદારો હવે એને જમીન પર લાવી રહ્યાં છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા-કૉંગ્રેસ-આર.જે.ડી.નાં ગઠબંધનનો વિજય થયો છે અને ભા.જ.પ.ની ‘એકલા ચાલો’ની વ્યૂહરચનાને સદંતર નિષ્ફળતા મળી રહી છે. એકવીસમી સદીના ‘ચાણક્ય’ કહેવાતા અમિત શાહની ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી જીતવાની ઇચ્છા પર મતદારોએ પાણી ફેરવી દીધું છે. અહીં ત્રણ બાબતો મહત્ત્વપૂર્ણ છે. એક, ઝારખંડમાં ભા.જ.પ.નો પરાજય. બે, કૉંગ્રેસની અડવાણી-વાજપેયી યુગના ભા.જ.પ. જેવી વ્યૂહરચના. ત્રણ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડનાં પરિણામોની અસર. શરૂઆત ભા.જ.પ.ની નિષ્ફળતા માટે જવાબદાર કારણો સાથે કરીએ.

યાદ હશે કે, ઝારખંડમાં – રઘુવર દાસની સરકારે શાસનની શરૂઆતમાં જ, વર્ષો જૂનાં છોટા નાગુપર ગણોત ધારા અને સંથાલ પરગણા ગણોત ધારામાં ફેરફારનો પ્રયાસ કર્યો હતો. સરકારના કહેવા મુજબ, આ ફેરફારોનો આશય વિકાસલક્ષી કાર્યો માટે જમીન સંપાદનની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. ઝારખંડમાં આદિવાસી સમુદાયે આ કહેવાતા ‘વિકાસ’નો વિરોધ કર્યો હતો; પણ લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી સત્તાના નશામાં ભાન ભૂલીને રાજ્ય સરકારે લગભગ ૧૦,૦૦૦ આદિવાસીઓ પર રાષ્ટ્રદ્રોહનો કેસ કર્યો હતો. છતાં આદિવાસી સમુદાયે નમતું ન જોખ્યું અને સરકારને પીછેહટ કરવાની ફરજ પડી હતી. જો કે ત્યાં સુધીમાં ભા.જ.પ. ‘આદિવાસી વિરોધી પક્ષ’ હોવાની છાપ ઊભી થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું, ભા.જ.પે. આ વિધાનસભા ચૂંટણીમાં એના ‘આદિવાસી ચહેરા’ અર્જુન મુંડાની ઉપેક્ષા કરી અને ‘છત્તીસગઢમાં જન્મેલા’ રઘુવર દાસને છૂટો દોર આપ્યો. પરિણામે ભા.જ.પ.માં આંતરિક જૂથબંધીને પ્રોત્સાહન મળ્યું. વળી રઘુવર દાસે સત્તાના મદમાં એમના જ મંત્રીમંડળમાં પ્રભાવશાળી ગણાતા નેતા સરયુ રૉયને ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો. જમશેદપુર(પૂર્વ)ની બેઠક પરથી ‘અજય’ ગણાતા રૉય રઘુવર દાસ સામે બળવો કરીને એમની સામે ચૂંટણી લડ્યાં અને વર્ષ ૧૯૯૫ પછી રઘુવર દાસને પહેલી વાર પરાજયનો સ્વાદ ચખાડ્યો. આ બેઠક પર મોદી-શાહે પ્રચાર કર્યો હતો અને કલમ ૩૭૦, રાષ્ટ્રીય નાગરિકતા સંશોધન ધારા જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા. તો ય રઘુવર દાસ  અને ભા.જ.પે. હાર જ જોવી પડી.

હવે વાત રાજ્યોમાં કૉંગ્રેસનાં પુનરાગમનની કરીએ. જેમ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે ચૂંટણી પહેલાં એન.સી.પી.નું અને ચૂંટણીનાં પરિણામો પછી શિવસેનાનું નેતૃત્વ સ્વીકારી લીધું હતું, તેમ ઝારખંડમાં પણ પ્રાદેશિક પક્ષને મહત્ત્વ આપ્યું. સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં કૉંગ્રેસે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને મુખ્યમંત્રીનાં દાવેદાર તરીકે પ્રસ્તુત કર્યા અને એમને વધારે બેઠકો આપી. પરિણામે મુક્તિ મોરચા અને કૉંગ્રેસ બંનેની બેઠકોમાં વધારો થયો.

હકીકતમાં, કૉંગ્રેસ આ વ્યૂહરચના ભા.જ.પ. પાસેથી જ શીખી છે. વાજપેયીના નેતૃત્વમાં ભા.જ.પે. કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આ પ્રાદેશિક પક્ષોને આગળ કર્યા હતા. કૉંગ્રેસે ભા.જ.પ.થી નારાજ આદિવાસી સમુદાય વચ્ચે ‘આદિવાસી ચહેરા’ તરીકે સોરેનને આગળ કર્યા અને રાષ્ટ્રીય જનતા દળ સાથે પણ ગઠબંધન કર્યું. બીજી તરફ, મોદી-શાહના ભા.જ.પે. ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્‌સ યુનિયન (આ.જ.સુ.) સહિત કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન ન કરીને ‘એકલા ચાલો’ની વ્યૂહરચના અપનાવી. એટલું જ નહીં ભા.જ.પે. સ્થાનિક મુદ્દાઓની ઉપેક્ષા કરીને કલમ ૩૭૦, નાગરિકતા સંશોધન ધારો, એન.સી.આર. જેવા મુદ્દા ઉઠાવ્યાં. પણ આ દાવ ઊંધો પડ્યો અને આદિવાસી સિવાયના મતદારો અલગ અલગ પક્ષોમાં વહેંચાઈ ગયા. આ.જ.સુ.એ જ એકલા હાથે ભા.જ.પ.ને ૨૦થી ૩૦ બેઠકો પર ફટકો પાડ્યો છે. ઝારખંડમાં જ ભા.જ.પ.ને કેટલાંક નેતાઓએ પરિણામો આવ્યાં પછી ટિપ્પણી કરી છે કે ભા.જ.પે. આ.જ.સુ. સાથે જોડાણ કર્યું હોત, તો રઘુવર દાસ ફરી મુખ્યમંત્રી બની શક્યા હોત. પણ अब पछतावे होत क्या …

છેલ્લે, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ચૂંટણીઓ પર બધાની નજર છે. કૉંગ્રેસની રણનીતિ સ્પષ્ટ છે. એ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ જશે, તો તમિલનાડુમાં ડી.એમ.કે. સાથે ગઠબંધન કરશે. પણ બધાની નજર હવે બિહાર પર છે. ઝારખંડનાં પરિણામો અને ભા.જ.પ.ની હાર પછી બિહારમાં નીતિશ કુમાર ‘મોટા ભાઈ’ની ભૂમિકા ભજવવા વધુને વધુ થનગની રહ્યા છે. અહીં પ્રશ્ર એ છે કે ભા.જ.પ. નીતિશ કુમારનું નેતૃત્વ સ્વીકારશે? નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને સાથી પક્ષોને પૂરતું મહત્ત્વ આપવાની આડકતરી ચેતવણી ભા.જ.પ.ને આપી દીધી છે. એટલે મોદી-શાહનો ભા.જ.પ. વાજપેયી-અડવાણી યુગનો ભા.જ.પ. બનવા રિવર્સમાં જશે કે નહીં એ જોવાનું રહેશે.

E-mail: keyurkotak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 18 તેમ જ 04

Loading

આ કોઈ મામલો જ નથી

શરીફા વીજળીવાળા|Opinion - Opinion|3 January 2020

હળવે હૈયે

ઃ ૧ :

ચેલો ઃ ગુરુજી શું આપણા દેશના મુસલમાન વિદેશી છે?

ગુરુ ઃ હા શિષ્ય, તેઓ વિદેશી છે.

ચેલો ઃ તો એ ક્યાંથી આવ્યા છે?

ગુરુ ઃ તેઓ ઈરાન, તૂરાન અને અરબસ્તાનથી આવ્યા છે.

ચેલો ઃ પણ હવે તેઓ ક્યાંના નાગરિક છે?

ગુરુ ઃ ભારતના.

ચેલો ઃ એ લોકો ક્યાંની ભાષાઓ બોલે છે?

ગુરુ ઃ ભારતની ભાષાઓ બોલે છે.

ચેલો ઃ એમની રહેણી કરણી તથા વિચારવાની રીત કયા દેશના લોકો જેવી છે?

ગુરુ ઃ ભારતના લોકો જેવી છે.

ચેલો ઃ તો પછી એ લોકો વિદેશી કેવી રીતે કહેવાય, ગુરુજી?

ગુરુ ઃ એમનો ધર્મ વિદેશી છે એટલે એ લોકો વિદેશી કહેવાય.

ચેલો ઃ બૌદ્ધ ધર્મ ક્યાંનો છે, ગુરુજી?

ગુરુ ઃ ભારતનો છે શિષ્ય.

ચેલો ઃ તો પછી ચીની, જાપાની, થાઈ અને બર્મી બૌદ્ધોએ ભારત આવી જવું જોઈએ?

ગુરુ ઃ અરે, ના … ના … શિષ્ય : ચીની, જાપાની, થાઈ, બર્મી અહીં આવીને શું કરશે ?

ચેલો ઃ તો ભારતીય મુસલમાન ઇરાન, તુરાન, અને અરબસ્તાન જઈને શું કરશે ?

ઃ ૨ :

ગુરુ ઃ ચેલા, હિન્દુ-મુસલમાન એક સાથે ન રહી શકે.

ચેલો ઃ કેમ, ગુરુદેવ?

ગુરુ ઃ બેઉમાં ઘણું અંતર છે.

ચેલો ઃ શું અંતર છે?

ગુરુ ઃ એમની ભાષા અલગ છે. આપણી અલગ છે.

ચેલો ઃ શું હિંદી, કશ્મીરી, સિંધી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તમિલ, તેલુગુ, ઉડિયા, બંગાળી વગેરે ભાષાઓ મુસલમાન નથી બોલતા? તેઓ શું માત્ર ઉર્દૂ જ બોલે છે?

ગુરુ ઃ ના … ના … ભાષાનું અંતર નથી … ધર્મનું અંતર છે.

ચેલો ઃ એનો અર્થ એવો થાય કે બે અલગ અલગ ધર્મોના માનવાવાળા એક દેશમાં રહી ન શકે?

ગુરુ ઃ હા, ભારતવર્ષ માત્ર હિંદુઓનો દેશ છે.

ચેલો ઃ તો તો પછી શીખો. ખ્રિસ્તીઓ, જૈનો, બૌદ્ધો, પારસીઓ, યહૂદીઓ આ તમામને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ.

ગુરુ ઃ હા … હા … કાઢી જ મૂકવા જોઈએ.

ચેલો ઃ તો પછી આ દેશમાં કોઈ બચશે?

ગુરુ ઃ માત્ર હિંદુ બચશે … અને પ્રેમથી રહેશે.

ચેલો ઃ જેમ પાકિસ્તાનમાં માત્ર મુસ્લિમ બચ્યા છે અને પ્રેમથી રહે છે તે રીતે ને?

ઃ ૩ :

ગુરુ ઃ શિષ્ય, મુસલમાન પ્રત્યે ઘૃણા રાખો.

ચેલો ઃ કેમ, ગુરુદેવ?

ગુરુ ઃ કારણ કે તેઓ ગંદા, અભણ અને અત્યાચારી હોય છે.

ચેલો ઃ સમજી ગયો, ગુરુદેવ. તમારા કહેવાનો મતલબ છે કે ગંદા, અભણ અને અત્યાચારી લોકો પ્રત્યે ધૃણા રાખવી જોઈએ.

ગુરુ ઃ ના … ના … એવું નહીં. હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ધૃણા રાખવી જોઈએ કે એ લોકો બહુ કટ્ટર ધાર્મિક હોય છે.

ચેલો ઃ હું કટ્ટર ધાર્મિક લોકો પ્રત્યે ધૃણા જ રાખું છું, ગુરુદેવ.

ગુરુ ઃ ના … ના … તું સમજ્યો નહીં … હકીકતે મુસલમાનો પ્રત્યે એટલે ધૃણા રાખવાની કે એમણે આપણાં ઉપર શાસન કરેલું.

ચેલો ઃ તો તો ખ્રિસ્તીઓ પ્રત્યે પણ ધૃણા રાખવી જોઈએ.

ગુરુ ઃ અરે ના … ના … શિષ્ય, મુસલમાનો પ્રત્યે ધૃણા કરવાનું મુખ્ય કારણ એ છે કે એમણે દેશના ભાગલા કરાવેલા.

ચેલો ઃ એટલે, દેશના ભાગલા કરવાવાળાઓ પ્રત્યે ધૃણા કરવી જોઈએ, એમ જ તે?

ગુરુ ઃ હા … બિલકુલ કરવી જોઈએ. દેશના ભાગલા કરવાવાળાઓ પ્રત્યે ધૃણા કરવી જ જોઈએ.

ચેલો ઃ અને દેશવાસીઓના ભાગલા કરવાવાળાઓ સાથે શું કરવું જોઈએ?

ઃ ૪ :

ચેલો ઃ ગુરુજી, તોફાનો કેવી રીતે રોકી શકાય?

ગુરુ ઃ શિષ્ય, આ સવાલનો જવાબ તો આખા દેશ પાસે નથી. રાષ્ટ્રપતિ પાસે નથી. પ્રધાનમંત્રી પાસે નથી. આખા મંત્રીમંડળમાં કોઈ પાસે નથી. બુદ્ધિજીવીઓ પાસે પણ નથી.

ચેલો ઃ ગુરુજી … મનુષ્ય ચંદ્ર પર પહોંચી ગયો છે. પ્રકૃતિ પર એણે વિજય મેળવી લીધો છે … અસંભવિત હવે સંભવિત થઈ ગયું છે … તોફાનો કેવી રીતે રોકી શકાય એ શોધી કાઢવાનું કામ વૈજ્ઞાનિકોને કેમ નથી સોંપાતું?

ગુરુ ઃ શિષ્ય, વૈજ્ઞાનિકોને આ કામ પર લગાવવામાં આવેલા … પણ એમનું કહેવું છે કે આ ધાર્મિક મામલો છે.

ચેલો ઃ તો ધાર્મિક લોકોને આ કામ પર લગાવાયા?

ગુરુ ઃ હા, ધાર્મિક લોકો કહે છે કે આ સામાજિક મામલો છે.

ચેલો ઃ સમાજશાસ્ત્રી શું કહે છે?

ગુરુ ઃ એમણે કહ્યું કે આ રાજનૈતિક મામલો છે.

ચેલો ઃ તો રાજનીતિશાસ્ત્રીઓએ શું કહ્યું ?

ચેલો ઃ એમણે કહ્યું કે આ કોઈ મામલો જ નથી.

[અસગર વજાહતની ટૂંકી વાર્તાનો અનુવાદ]

E-mail : skvijaliwala@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 24

Loading

ઠાકરેની સરકાર ગમે ત્યારે બી.જે.પી.ની ઠોકરે ચડી જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 January 2020

૧૯૭૭માં મુંબઈની સડકો પર લાગેલાં પોસ્ટરોની યાદ આવે છે જેમાં કહેવામાં આવ્યું હતું :  ‘કૉન્ગ્રેસ કડે રજની પટેલ, જનતા પાર્ટી કડે શાંતિ પટેલ, મરાઠી માણસાનાં કસે પટેલ.’ એ સમયે રજની પટેલ મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસના અધ્યક્ષ હતા અને ડૉ. શાંતિ પટેલ જનતા પાર્ટીના મુંબઈ એકમના. પટેલનો અર્થ મરાઠી ભાષામાં ગળે ઉતરવું કે સ્વીકારવું એવો થાય છે. મરાઠી મુંબઈમાં મુખ્ય રાજકીય પક્ષો પર ગુજરાતીઓનો કબજો હોય એ મરાઠીઓ કેવી રીતે સ્વીકારી શકે? બાળ ઠાકરેમાં શબ્દો સાથે ખેલ કરીને વિનોદ કરવાની શક્તિ ગજબની હતી અને એ સાથે તેઓ ગંભીર રાજકીય નિવેદન પણ કરી લેતા હતા. ઉપર કહ્યાં એ પોસ્ટરોમાં આ બધું હતું. મહારાષ્ટ્ર પર અને મરાઠી મુંબઈ પર મરાઠીઓનું રાજ હોવું જોઈએ. મરાઠીઓને માત્ર એ જ હકીકત ગળે ઊતરી શકે, અન્ય સ્થિતિ નહીં.

અમારા પર અમારું રાજ એ સંસ્થાનવાદના યુગમાં મહાન ધ્યેય હતું અને એ મહાન આધ્યાત્મિક ધ્યેય પણ છે. પણ આઝાદી પછી અમારા પર અમારું રાજનો અર્થ અમારા કુટુંબનું રાજ એવો કરવામાં આવ્યો છે. બાળ ઠાકરે મહારાષ્ટ્ર પર મરાઠીઓનું રાજ સ્થાપવા નીકળેલા અને જ્યારે અવસાન થયું ત્યારે પુત્રમોહનો શિકાર બની ગયા હતા. તેમણે તેમની છેલ્લી સભામાં પોતાના પુત્રને સ્વીકારી લેવાની વિનંતી કરી હતી. આને કારણે બાળ ઠાકરેના ચિરંજીવ ઉદ્ધવ ઠાકરે શાસનનો કોઈ અનુભવ ધરાવતા નથી, જિંદગીમાં કોઈ ચૂંટણી લડ્યા નથી અને સીધા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ગયા છે. તેમની એક માત્ર લાયકાત બાળ ઠાકરેના પુત્ર હોવાની છે. અહીં સુધી પણ ઠીક છે; પરંતુ તેમણે તેમના પુત્ર આદિત્ય ઠાકરેને પણ પ્રધાનમંડળમાં લીધા છે અને એ પણ કેબિનેટ પ્રધાનના દરજ્જા સાથે. આદિત્ય ઠાકરેએ તો હજુ ગયા વરસે રાજકારણમાં પદાર્પણ કર્યું હતું. આ છે મરાઠી માણસોને ન્યાય જેનું રાજકારણ શિવસેના કરતી આવી છે?

રાજકારણી પરિવારનું સંતાન રાજકારણ ન કરી શકે એવું નથી, પણ તેની શરૂઆત નીચેથી જમીન પરથી થવી જોઈએ. લોકતંત્રમાં બધા સરખા પણ થોડા લોકો વધુ સરખા એ ન ચાલી શકે. એટલે તો રાજકીય પક્ષોમાં લોકતંત્રની અપેક્ષા રાખવામાં આવે છે અને એવી માગણી કરવામાં આવે છે. ભારતમાં મોટા ભાગના પક્ષો બાપીકી પેઢી જેવા છે ત્યાં કૉન્ગ્રેસના પરિવારવાદની શું ટીકા કરવી? જે પક્ષોમાં (બી.જે.પી./તૃણમૂલ/ટી.ડી.પી./જે.ડી.યુ.) સર્વોચ્ચ સ્થાને હજુ સુધી પરિવારવાદ નથી ત્યાં જે તે નેતાઓનો પરિવારવાદ છે. ડાબેરીઓને છોડીને કોઈ પક્ષ આનાથી મુક્ત નથી. જો લોકતંત્રની આટલી જ ખેવના હોય તો ભારતમાં લોકતંત્ર વિકસે કેવી રીતે? ઠાકરે પરિવાર કહે છે કે મરાઠી માણસાનાં ગુજરાતી પટેલ પટો કે ન પટો ઠાકરે પટવા જોઈએ. ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં કુલ ૪૩ પ્રધાનો છે જેમાંથી ખુદ ઉદ્ધવ ઠાકરે સહિત ૧૯ પ્રધાનો કોઈને કોઈ નેતાના સંતાન હોવાને નાતે પ્રધાન બન્યા છે.

આવું જ શરદ પવારનું. રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષ એક પરિવાર છે, બધા જ શરદ પવારનાં સંતાન છે, બધા સમાન છે; પરંતુ અજીતદાદા પવાર વધારે સમાન છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે આ માણસે હજુ મહિના પહેલા કાકાનો વિશ્વાસઘાત કર્યો હતો. એ પહેલાં પણ તેમણે કાકાની આણ ઉથાપી હતી અને બતાવી આપ્યું હતું કે સત્તા માટે આ માણસ ગમે તે સ્તરે જઈ શકે એમ છે. આમાં મહિના પહેલાં કાકા સાથે વિશ્વાસઘાત કરીને અને બી.જે.પી. સાથે મળીને રાતના અંધારામાં તેઓ જે રીતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે સરકારમાં જોડાયા હતા એ તો આઘાતજનક ઘટના હતી. સરકાર રચાઈ એ પછી સવાર થતાં પહેલું કામ દેવેન્દ્ર ફડનવીસે કેબિનેટની બેઠક બોલાવી અજીત પવાર સામેના ભ્રષ્ટાચારના બધા કેસ બંધ કરી દેવાનું કામ કર્યું હતું. બીજા દિવસે સર્વોચ્ચ અદાલતે વિશ્વાસનો મત લેવા માટે પૂરતો સમય નહીં આપ્યો ત્યારે અજીત પવારે સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. નવી સ્થિતિમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસે પણ રાજીનામું આપવા સિવાય છૂટકો નહોતો.

સવાલ એ છે કે એ પ્રકરણ શું હતું? અજીત પવારની ગદ્દારી હતી? કાકા સામે બળવો હતો? જો એમ હતું કે અજીત પવારને ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળમાં સ્થાન શા માટે આપવામાં આવ્યું અને એ પણ નાયબ મુખ્ય પ્રધાન તરીકે? આવા ઉદાર અને પ્રેમળ કાકા તો નસીબદારને જ મળે! કે પછી પવારનો અપત્યપ્રેમ અંકુશ બહારનો છે? આટલી ક્ષમાશીલતા અને આટલો પ્રેમ વિશ્વાસઘાતી પર કોઈ ભાગ્યે જ બતાવે એ જોતાં વહેમ તો એવો પણ જાય છે કે અજીત પવારની બળવાખોરી શું એક રાજકારણ હતું? ભત્રીજા પાસે બળવો કરાવીને બી.જે.પી.ને જાળમાં ફસાવી અજીત પવાર સામેના કેસો પાછા ખેંચાવી લીધા હતા અને કામ પતાવીને ભત્રીજો પાછો આવી ગયો. જે કામ આપણે કરવું પડે એમ હતું એ દુશ્મને કરી આપ્યું અને હવે સિંચાઈ ભ્રષ્ટાચાર વિષે બોલી પણ શકે એમ નથી.

પવારની રાજકીય રમત વિષે આવો ઈશારો એ ઘટના બની ત્યારથી કરવામાં આવતો હતો, પરંતુ તેના પર ખાસ વિશ્વાસ બેસતો નહોતો; પણ હવે કાકાની અસાધારણ ક્ષમાશીલતા જોઇને વહેમ જાય છે. બી.જે.પી.એ ઉદ્ધવ ઠાકરેના પ્રધાનમંડળના વિસ્તરણ માટેની સોગંદવિધિમાં ઉપસ્થિત નહીં રહીને તેની સંકુચિતતા બતાવી આપી હતી, તો કેટલાક પ્રધાનોએ સોગંદ લેતી વખતે જે તે સૂત્રોચાર કરીને સોગંદવિધિ જેવી ગંભીર બાબતને ચાપલુસીની રમતમાં ફેરવી નાખી હતી. જ્યારથી સોગંદવિધિ રાજભવનમાં કે રાષ્ટ્રપતિ ભવનમાં યોજવાની જગ્યાએ લોકોની વચ્ચે જાહેરમાં મેદાનોમાં યોજવા લાગી છે ત્યારથી તેણે તેની બંધારણીય ગંભીરતા ગુમાવી દીધી છે.

લાખ રૂપિયાનો સવાલ એ છે કે આ સરકાર ટકશે અને બી.જે.પી. ટકવા દેશે? કર્ણાટક જેવું નહીં થાય? બી.જે.પી.ની અધીરાઈ જોતા થઈ શકે એમ છે. એમાં ખાસ કરીને અડધી રાતે સરકાર રચવાની એક જ ઘટનામાં એક સાથે બેવકૂફ અને બેશરમ બન્ને સાબિત થયા એનો ચચરાટ બી.જે.પી.ના નેતાઓ અનુભવી રહ્યા છે. લાગતું નથી કે બી.જે.પી. આ સરકારને ટકવા દેશે. યોગ્ય સમયે મહારાષ્ટ્રમાં કર્ણાટક થશે.

બંધારણીય મર્યાદાનું પાલન બી.જે.પી.એ કરવું જોઈએ એમ તો સાવ કેમ કહેવાય? કુટુંબીજનોની સરકાર એ શું લોકતંત્ર છે? માટે જ્યારે પણ જેના દ્વારા મર્યાદાલોપ થતો નજરે પડે ત્યારે બોલવું જોઈએ. મામકા જોઈને મૂંગા રહેવામાં નુકસાન આપણને છે.  

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02  જાન્યુઆરી 2020

Loading

...102030...2,6192,6202,6212,622...2,6302,6402,650...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved