Opinion Magazine
Number of visits: 9576788
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હનુમાનની પૂજા ને રામની અવગણના

રણછોડ પરમાર, રણછોડ પરમાર|Opinion - Opinion|18 November 2019

કહું મને કટેવ

દિવાળી એટલે અંધકાર ઉપર પ્રકાશનો વિજય. પ્રકાશનો વિજય ક્યારે થાય? દીવડાઓ પ્રગટે ત્યારે. પહેલી વાર મોટી સંખ્યામાં દીવડાઓ ક્યારે પ્રગટ્યા હતા, ખબર છે ને? શ્રીરામ, લક્ષ્મણ અને સીતા ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પાછાં આવ્યાં હતાં ત્યારે આ વનવાસ દરમિયાન તેમણે રાવણ પર વિજય મેળવવાનું મહાપરાક્રમ કર્યું હતું. રાવણને હરાવવામાં તેમને સૌથી વધુ મદદરૂપ કોણ બન્યું હતું? બધા તરજ મોટે અવાજે એક જ નામ બોલશે, ‘જય હનુમાન’.

ગામમાં રામાયણની કથા બેઠી હોય અને શ્રોતાઓ રસપૂર્વક સાંભળી રહ્યા હોય, પણ બાળકોને તો કથામાં હનુમાનજીનો પ્રવેશ થાય, ત્યારે જ મજા પડે. બાળકોને શા માટે, અરે મોટેરાં માટે પણ હનુમાનજીની વારતા શરૂ થાય, એટલે એમની પલાંઠી ટાઇટ થઈ જાય અને ડોકાં ઊંચાં થઈ જાય. હનુમાનદાદાનું પાત્ર જ એવું જોરાવર છે કે હજારો વરસ વીતી ગયાં પણ લોકોના હ્રદયમાં તેમની વીરગાથાઓ સદાય ગુંજતી રહી છે. ભારતમાં કોઈ ગામ એવું નહીં હોય, જ્યાં હનુમાનદાદાનું મંદિર ના હોય. અને જ્યાં શ્રી હનુમાનદાદાનું મંદિર હોય, ત્યાં શ્રીરામ, લક્ષ્મણ, અને સીતાની મૂર્તિ અથવા ચિત્ર જરૂર હોવાનું. શ્રીરામ, લક્ષ્મણ અને સીતા ઊભાં હોય અને શ્રી હનુમાનજી તેમનાં ચરણોમાં બિરાજ્યા હોય. એ જોઈને આપણા જીભેથી તરત શબ્દો સરી પડે, “શ્રીરામ, લક્ષ્મણ, જાનકી. જય બોલો હનુમાન કી.” શું તમે કોઈ એવું મંદિર જોયું છે કે જ્યાં હનુમાનજીની ધામધૂમપૂર્વક પૂજાવિધિ થતી હોય અને રામનું ક્યાં ય નાનું અમથું ય ચિત્ર જોવા ના મળે?

પરંતુ પવિત્ર ભરતભૂમિમાં હમણાં એક વિચિત્ર પરંપરા શરૂ થઈ રહી છે. જો કે તે હજુ બહુ નાના પાયે છે અને કેટલાકના મનમાં જ રમી રહી છે, એકદમ જાહેરમાં સ્વીકાર થતો નથી. છતાં સાવ નાનાપાયે એ શરૂ થઈ ચૂકી છે, એ આપણા સમયની કમનસીબી છે. કેવળ રાજકીય લાભ લેવા માટે કેટલાંક તત્ત્વો સરદારને મહામાનવ તરીકે આગળ ધરી રહ્યા છે અને વલ્લભભાઈ જેની સેનાના સરદાર હતા, તે ગાંધીજીને નજરઅંદાજ કરવા માંડ્યા છે. આખી દુનિયા જેને ‘મહાત્મા’ ગાંધી તરીકે સ્વીકારે છે તેને મહાત્મા ગણતાં પણ તેઓ અચકાય છે. અરે, તેઓ તો એવું પણ માને છે અને લોકોને મનાવવા માંગે છે કે કપટી અંગ્રેજોના કહેવાથી જ રવીન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્મા તરીકે જાહેર કર્યા હતા. આટલેથી અટકે તો ઠીક, આપણને આઝાદી ફક્ત ગાંધીજીના આંદોલનથી મળી નથી, એવું તેઓ માને છે, હજારો શહીદોનો પણ તેમાં ફાળો છે. વીર શહીદો અવશ્ય આપણા વંદનના અધિકારી છે. પણ ગાંધીજીના પ્રદાનને કેવી રીતે ભૂલી શકાય ? આ તો, એ જ વાત થઈને કે હનુમાનજીની પૂજા કરવાની અને રામની અવગણના કરવાની ?

બીજી બાજુ સરકાર ગાંધીજીની જન્મજયંતીનાં દોઢસો વરસની ઠેર-ઠેર ઉજવણી કરી રહી છે. બધાં શહેરો અને ગામોમાં આ ઉજવણીના ભાગ રૂપે સ્વચ્છતા ઝુંબેશ ઉપાડવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ તેમના પ્રથમ કાર્યકાળના પ્રથમ વરસે દિલ્હીની સડકો પર કચરો વાળ્યો હતો. બીજા કાર્યકાળમાં હમણાં એક વહેલીસવારે દરિયાકાંઠે તેઓ કચરો વીણતા નજરે પડ્યા છે. ગાંધીનગરમાં કરોડોના ખર્ચે મહાત્મામંદિરની રચના થઈ છે. ગાંધીજયંતીએ પ્રધાનો ખાદી ખરીદવા ઊમટી પડે છે. ભારતીય ચલણની નોટો ઉપર ગાંધીજીનાં ચશ્માંનું ચિત્ર લગાવાયું છે.

સરદાર સરોવર ઉપર વિશ્વનું સહુથી ઊંચું સરદારનું પૂતળું રચવામાં આવ્યું છે. તેને પ્રવાસનું ધામ બનાવવા માટે આસપાસ અનેક આકર્ષણો રચવામાં આવ્યાં છે. હજારો દર્શનાર્થીઓ તેની મુલાકાત લઈ રહ્યા છે. અમે શાળામાં ભણતા હતા, ત્યારે અમેરિકાના સ્ટેચ્યૂ ઑફ લિબર્ટીને બહુ નવાઈપૂર્વક જોતા હતા. હવે જ્યારે ભારતમાં એના કરતાં પણ મોટું પૂતળું બનાવાયું છે, ત્યારે ત્યાં જવા માટે ખબર નહીં કેમ હ્રદય ઝંખતું હોય એવું લાગતું નથી. અમેરિકન પ્રજાની સ્વાતંત્ર્ય માટેની ઉત્કટ ભાવનાને ચરિતાર્થ કરવા માટે એ પ્રતિમાની રચના થઈ હતી. આપણું સ્ટેચ્યૂ કેવળ લોકોને આકર્ષવા માટે ઊભું કરાયું હોય તેમ લાગે છે. ફરી એની એ વાત ઘૂમરાયા કરે છે. શું ત્યાં ગાંધીજીની એકાદ નાનકડી મૂર્તિ કે ફોટો છે ખરાં ?

હવે હું થોડીક વિગતો રાજમોહન ગાંધીના પુસ્તક ‘સરદાર પટેલ : એક સમર્પિત જીવન’ માંથી રજૂ કરું છું, તે ધ્યાનથી વાંચવા વિનંતી છે :

નિઝામની શરણાગતિ પછી સરદારની લોકપ્રિયતા ચરમસીમા પર હતી. પણ જવાહરલાલના અગ્રપદ અને એમની લોકપ્રિયતાથી વલ્લભભાઈ પૂરેપૂરા વાકેફ હતા. મુંબઈમાં વલ્લભભાઈ અને જવાહરલાલને ઘેરી વળેલા માનવ-મહાસાગર વખતે તેમણે વિન્સેંટ શીનને જણાવ્યું તેમ “લોકો મારા માટે નહીં, પણ જવાહરલાલ માટે આવે છે.” હૈદ્રાબાદની શરણાગતિ બાદ વલ્લભભાઈએ ફરી વાર નેહરુને ‘મારા આગેવાન’ કહ્યા. ૧૯૪૮ની ૧૪મી નવેમ્બરે જવાહરના જન્મદિને તેમણે સ્પષ્ટતાપૂર્વક કહ્યું : “મહાત્મા ગાંધીએ પંડિત નેહરુને પોતાના વારસ અને અનુગામી ઠરાવ્યા હતા. ગાંધીજીના અવસાન પછી, આપણા આગેવાનની વરણી યોગ્ય હતી, તેવું આપણે સમજી શક્યા છીએ.”

વલ્લભભાઈએ વડાપ્રધાનનો હોદ્દો હંગામી ધોરણે ચાર વખત સંભાળ્યો હતો. સન ૧૯૪૮ની શરદઋતુમાં, સન ૧૯૪૯ના એપ્રિલમાં અને શરદ ઋતુમાં અને સન ૧૯૫૦ના જૂન માસમાં. આ માન તેમને ગમતું હતું અને તેનો કાર્યભાર તેઓ સહેલાઈથી ઉપાડી લેતા. જવાહરલાલ નેહરુ દેશમાં હોય કે પરદેશ ગયા હોય અને વલ્લભભાઈના રાજકીય ઉદ્દેશ ગમે તે હોય, પણ નેહરુને પછાડવાનો વિચાર વલ્લભભાઈએ કદી કર્યો નથી. વડાપ્રધાનપદના ટૂંકા ભોગવટા પછી પણ તેમને આવી લાલચ કદી થઈ નથી.

૧૯૫૦ની ૨જી ઑક્ટોબરે ઇંદોર ખાતે સ્ત્રીઓ માટે કસ્તૂરબાગ્રામનો પાયો નાખતાં વલ્લભભાઈએ અતિશય ભાવવિવશ થઈને અને રડતા અવાજે પોતાની જાતને ગાંધીના સિપાઈ ગણાવ્યા અને બાપુને પોતે આપેલા વચનનો ઉલ્લેખ કર્યો.

“બાપુના લશ્કરમાં જોડાયો, ત્યારથી આજ સુધીનું મારું આખું જીવન આજે હું જોઈ શકું છું. બાએ મારા પર જેટલું હેત રાખ્યું છે, તેટલું મારી સગી મા પાસેથી પણ મને મળ્યું નથી. માબાપનું જે હેત મારા નસીબમાં લખાયું હશે, તે મને બાપુ અને બા પાસેથી મળ્યું.

“બાપુએ આ મરેલા દેહને સજીવન કર્યો છે અને બાએ તેમને સાથ આપ્યો. આ બંનેનું સજોડે ચિત્ર આપણે હંમેશાં નજર સમક્ષ રાખવું જોઈએ. આપણે ભૂલ કરીએ, તો આપણો હિસાબ લેવા આ બંને બેઠાં છે.

“અમે બધા તો તેમની છાવણીના સિપાહી હતા. મને લોકો નાયબ વડાપ્રધાન કહે છે. હું મારી જાતને આવો પદાધિકારી ગણતો નથી. જવાહરલાલ આપણા નેતા છે. બાપુએ તેમને પોતાના વારસદાર નીમ્યા છે અને તે રીતે જાહેરાત પણ કરી છે.

“બાપુનું વસિયતનામું પાળવું તે બાપુના તમામ સૈનિકોની ફરજ છે. જે લોકો હ્રદયપૂર્વક તેનું પાલન ન કરે તે ભગવાનના ગુનેગાર થાય. હું દ્રોહી સિપાહી નથી. હોદ્દાનો વિચાર કદી કરતો નથી. હું તો આટલું જ જાણું છું કે બાપુએ જે સ્થાને મને બેસાડ્યો, ત્યાં બેઠો છું, તેનો મને સંતોષ છે.”                                     

E-mail : ranchhod15653@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 16 તેમ જ 15

Loading

સાહિત્યસમાજની સેવામાં

પ્રકાશ ન. શાહ|Opinion - Literature|18 November 2019

મિત્ર સુમન શાહે અચ્છો મુખડો બાંધી સૌને કોઠે પડી ગયેલ જે ‘મૂંગારો’ એની જિકર કરી છે; અને એ પૃષ્ઠભૂ ઉપર આપણે ત્યાં સ્વાયત્તતા, અકાદમી અને પરિષદ સંદર્ભે ચર્ચા છેડી છે. જે ઊહ અને અપોહથી પડ જાગતું ને ગાજતું રહેવું જોઈએ એને માટે એમણે ખોલી આપેલી સંભાવનાના ઉજાસમાં થોડીએક વાત કરવી લાજિમ ગણું છું. ‘નિરીક્ષક’ના વાચકો આ પત્રના સ્વાયત્તતા માટેના આગ્રહથી તેમ પૂર્વે અને તાજેતરનાં વર્ષોમાં અહીં ચાલેલી ચર્ચાથી ઠીક ઠીક વાકેફ હોઈ, સુમનભાઈની રજૂઆતને એક સિંહાવલોકન સારુ મળી રહેલ સુયોગ લેખે જોઉં છું.

શરૂઆતમાં જ મારે કહી દેવું જોઈએ કે ‘નિરીક્ષક’ની ભૂમિકા આ સમગ્ર ચર્ચામાં અકાદમી વિ. પરિષદ એવી સીમિત (અને જાડી) નથી. અકાદમીનું ભલે એની મર્યાદામાં પણ જે સ્વાયત્ત સ્વરૂપ ઉમાશંકર-દર્શકની પરંપરામાં શક્ય બન્યું હતું તેમાં આગળ નહીં જતાં સરકારી મનમુરાદ શૈલીએ પેરેશુટ પ્રમુખપદને ધોરણે ધરાર સરકાદમી બનાવી દેવાઈ એ સાથે આ મુદ્દો અકાદમી વિ. સાહિત્યસમાજ સમગ્રનો બની રહે છે એવી સમજથી હું ચાલું છું. આ સંદર્ભમાં પરિષદ ક્યાં, કેવી ને કેટલી એ રીતનું એક મૂલ્યાંકન જરૂર કરી શકીએ; પણ એનું પરિપ્રેક્ષ્ય સરકાદમી વિ. સાહિત્યસમાજનું હોય. એક સરકારી અને બીજી જેવી છે તેવી પણ પ્રજાકીય એ બે સંસ્થાઓ વચ્ચેના ‘ઝઘડા’માં એને ખતવીએ ત્યારે પ્રશ્નની વ્યાપકતા અને ગંભીરતા ચાતરીને ટ્રિવિયા ભણી લઈ જતા એસ્કેપ રુટને સારુ સોઈ કરી આપીએ છીએ. ચર્ચામાં પરિષદ આવે, જરૂર આવે પણ એ ચર્ચા ટ્રિવિયા અને એસ્કેપ રુટ પરત્વે સમ્યક્‌ વિવેક પુરસ્સર હોય.

સુમનભાઈએ ચર્ચાની સ્થગિતતાને ઝંઝેડતી નુક્તેચીની સાહિત્યપ્રીત્યર્થ કરી એના પર ફેસબુકમાં ચાલેલી ચર્ચામાં પણ ક્યાંક ક્યાંક ટ્રિવિયાના સંકેત મળ્યા હતા એમ મારી છાપ પરથી અહીં નોંધું છું. પૂર્વે ચાલેલી ચર્ચાઓમાં અકાદમીના પ્રમુખપદના બે સંભવિત દાવેદારો (બે સરકારી અધિકારીઓ) વચ્ચેનો આ ટંટો હોય એવી ટ્રિવિયાઈ દરમ્યાનગીરી પણ એક તબક્કે જોવા મળી હતી.

સાહિત્ય પરિષદ કે બીજા છેક જ ઓચિંતા સહસા જાગ્યાં એમ કહેવામાં વાસ્તવકથન નથી. ૨૦૧૫ના એપ્રિલ પછી કેટલોક વખત તીવ્રતા જોવા મળી એ સાચું છે; પણ તે પૂર્વે ૨૦૦૩થી ‘નિરીક્ષક’માં આ સંદર્ભે ઉલ્લેખો જોવા મળશે. વિસ્તારભયે તે ટાંકતો નથી. માત્ર એટલું જ કહું કે ચૂંટાયેલા પ્રમુખ (સદ્‌ગત ભોળાભાઈ પટેલ)ની મુદ્દત પૂરી થતાં નવી ચૂંટણી માટેની પ્રક્રિયા અપેક્ષિત હતી. બીજે ક્યાં ય ઘણું કરીને નહોતી એવી દર્શક-દીધી જોગવાઈ (લેખકીય કૉન્સ્ટિટ્યૂઅન્સીમાંથી નવ ચૂંટાયેલા પ્રતિનિધિઓ) સહિત બધી કામગીરી પૂરી થઈ ગઈ હતી અને સરકારે સમગ્ર ગૃહમાંથી પ્રમુખની ચૂંટણી જ માત્ર પાર પાડવાની હતી. પણ આજની ઘડી ને કાલનો દા’ડો, સરકાર ન હાલી, ન ચાલી. બલકે, હાલી પણ અને ચાલી પણ, તે કઈ દિશામાં … બારે વરસે ૨૦૧૫માં ભાગ્યેશ ઝાના પરબારા પ્રમુખપદની જાહેરાત!

આ વચલાં બાર વરસમાં ‘નિરીક્ષક’માં યથાપ્રસંગ ચર્ચા ઉપરાંત એક મોટી ઘટના ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન(ડિસે. ૨૦૦૭)માં – અને તે પણ પાટનગરી ગાંધીનગરમાં – એ બની હતી કે નારાયણ દેસાઈએ એમના અધ્યક્ષીય વક્તવ્યમાં અકાદમીની સ્વાયત્તતાનો વિશેષ નિર્દેશ કર્યો હતો એટલું જ નહીં પણ એના પ્રમુખપદની પ્રક્રિયા પૂરી કરી તે સદ્યસક્રિય બને એવો ઠરાવ આ અધિવેશનમાં કરવામાં આવ્યો હતો. અત્યંત મહત્ત્વની ને સૂચક બીના એ છે કે નારાયણ દેસાઈએ માત્ર મધ્યસ્થ સમિતિ કે કારોબારીના ઠરાવે નહીં અટકતાં સમસ્ત ગૃહ, રિપીટ, સમસ્ત ગૃહમાં આ માટે ઠરાવનો રાહ સૂચવ્યો હતો.

૨૦૦૩ પછીની આ વળાંકરૂપ હોઈ શકતી બીનાનો ઉલ્લેખ કરવા સાથે અહીં એ પણ નોંધ લેવી જોઈએ કે અકાદમીના મુદ્દતવીત્યા હોદ્દેદારોએ જો સરકારનું ધ્યાન ખેંચવાના ઔપચારિક/અનૌપચારિક પ્રયાસો એ ગાળામાં કર્યા હતા તો તે ઉપરાંત લેખકોની સહીવાળા (પરિષદના ઉપક્રમ વગર, સ્વતંત્રપણે) બે પત્રો પણ સરકારને લખાયા હતા. (એમાં વડા સહીકારો પૈકી સદ્‌ગત કે.કા. શાસ્ત્રી સુદ્ધાં હતા.)

સરકારે અલબત્ત હાલવાચાલવાપણું જોયું નહોતું. એનું કારણ કોઈ અનિર્ણય નહીં પણ ચોક્કસ નિર્ણય હતો તે વાત એપ્રિલ ૨૦૧૫માં ભાગ્યેશ ઝાની પરબારી નિમણૂક સાથે અને સ્વાયત્તતાના વિધિવત્‌ લોપ સાથે સ્પષ્ટ થઈ ગઈ. અકાદમીના વચગાળાના રંગઢંગને કારણે ૨૦૧૪થી આ લખનારે, ચંદ્રકાન્ત ટોપીવાળાએ (તેઓ પરિષદમાં કોઈ હોદ્દે નહોતા ત્યારે એક લેખકની હેસિયતથી) તેમ જ પ્રવીણ પંડ્યાએ અસહકારની ભૂમિકા લીધી હતી. એપ્રિલ ૨૦૧૫ની ઘટનાએ જે વમળો જગવ્યાં એમાંથી સ્વાયત્તતા આંદોલન આવ્યું એ પરિષદના વિધિવત્‌ પ્રવેશ પહેલાની ઘટના છે. આ આંદોલન સાથે સંખ્યાબંધ લેખકોએ અકાદમીથી છેડો કાપ્યો એ ઇતિહાસવસ્તુ છે. અક્ષરા (વડોદરા) જેવી સંસ્થાઓ પણ અકાદમીથી હટી તે ઇતિહાસવસ્તુ છે.

જ્યાં સુધી સાહિત્ય પરિષદનો સવાલ છે, ૨૦૦૭ના ઠરાવ સાથેની સ્પષ્ટ ભૂમિકા (અને પૂરતી પ્રતીક્ષા) પછી એપ્રિલ ૨૦૧૫ સાથે એની ચોક્કસ ભૂમિકા બનતી હતી અને સાહિત્યસમાજક્ષેત્રે સો વરસથી વધુ ગાળાથી કાર્યરત પ્રજાકીય સંસ્થાને શોભીતી રીતે તે અસહકારના ઠરાવ સુધી પહોંચી. આ અલબત્ત ફતવો નહોતો, ઠરાવગત નિર્ધાર હતો. ગુજરાતના સાહિત્યસમાજને અંગે કૃતજ્ઞતા અને આદરભાવપૂર્વક અહીં એ નોંધ લેવી જોઈએ કે અકાદમીની સ્વાયત્તતા માટેના આંદોલનમાં ઉભરેલા તત્કાલીન પરિષદ પ્રમુખ ધીરુ પરીખ પછી એણે ચંદ્રકાન્ત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર એ બેને પણ પ્રમુખપદે ચૂંટી કાઢતાં સ્વાયત્તતા માટેની એમની પ્રતિબદ્ધતાને અધોરેખિતપણે લક્ષમાં લીધી હતી. ધરણા લગી ન ગયા એમ ધોખો કરીએ કે ચીપિયો પછાડીએ અગર ખરી દૂંટીનો નિસાસો નાખીએ ત્યારે લક્ષમાં રહેવું જોઈએ કે અસહકાર સાથે સરકાર તરફથી સંભવિત વ્યક્તિગત અને સંસ્થાગત આર્થિક લાભ જતો કરવાની વાતમાં એક લડતમુદ્દો (જાતે ઘસાવાનાં તપ અને તિતિક્ષા) પડેલ છે તે પડેલ છે.

પરિષદધુરીણો પૈકી ક્વચિત મોળા ને મોડા પડ્યાની છાપ (અને ફરિયાદ) સાથે તત્ત્વતઃ અસંમત જરૂર ન થઈએ; પણ ઊલટ પક્ષે સદ્‌ગત વિનોદ ભટ્ટ સહિતના જે મિત્રોએ ૨૦૧૫થી અકાદમી જોડે રહેવાપણું જોયું અને ૨૦૧૭માં પેરેશુટ પ્રમુખની પાયરીએ આવેલા વિષ્ણુ પંડ્યાએ લેખકોની બેઠક – સ્વાયત્તતાની ચર્ચા નહીં એવા, શું કહીશું, ‘ફતવા’(?) સાથે – બોલાવી તે પછી પણ લાંબા સમય સુધી અકાદમીના માર્ગદર્શક કે કારોબારી સભ્ય તરીકે જેમણે સંકળાઈ રહેવું પસંદ કર્યું એમને વિશે શું કહીશું ? ધીરુબહેન પટેલ અને કુમારપાળ દેસાઈ મોડેથી છૂટાં જરૂર થયાં પણ એમણે કોઈ સહવિચારસામગ્રી સાહિત્યસમાજવગી કર્યાનું જાણમાં નથી. સુમનભાઈએ થોડોક ઇશારો કર્યો છે પણ પેરેશુટ પ્રમુખ પ્રણાલિ સાથેના લાંબા સંધાન સબબ સાહિત્યસમાજની અપેક્ષા એમની કને સમજૂતની રહે જ છે. અકાદમી પ્રમુખ વિષ્ણુ પંડ્યાએ લેખકોની સભામાં આ ચર્ચાને આગોતરો નિષેધ ફરમાવ્યો હતો અને આગળ ચાલતાં એમ કહ્યું હતું કે તેઓ નિરંજન ભગત, રઘુવીર ચૌધરી અને સિતાંશુ યશશ્ચંદ્ર જેવા પ્રબુદ્ધો સાથે વ્યક્તિગત ચર્ચા માટે તૈયાર છે. ભાઈ, સ્વાયત્તતાને મુદ્દે આ સન્માન્ય પ્રતિભાઓની અધિકૃત ભૂમિકા ‘નિરીક્ષક’ તંત્રી જેવા અબુધજનથી જુદી નહોતી. સ્વાયત્તતાની ચર્ચાને વિસંવાદ અને વિતંડામાં ખતવતી પ્રતિભાના નેતૃત્વમાં માર્ગદર્શક મંડળમાં હોવું કે કારોબારીમાં હોવું, એ જરી વધુ જવાબદારી માગી લે છે. વચ્ચે નિર્દેશ્યા તે મોડા અને મોળા ઉપરાંત આ જવાબદારોએ પણ સાહિત્યસમાજના મૂંગારાને દૂર કરવામાં સહભાગી થવાપણું છે. ધીરુ પરીખની પાટે આવેલા ટોપીવાળાએ કાર્યકાળ પૂરો થયા પછી પણ, હમણાં મે ૨૦૧૯માં વડાપ્રધાન જોગ પત્ર સહિત એમની સક્રિય સંડોવણી સુરેખ ઉપસાવી છે. સિતાંશુ યશશ્ચંદ્રે તેઓ પરિષદના પ્રમુખ તો શું કોઈ પણ હોદ્દે નહોતા ત્યારે અકાદમી પ્રમુખ જોગ પત્રમાં એક સ્પષ્ટ અભિગમ લીધો હતો, અને હજુ હમણે જ સુરતના સંમેલન/જ્ઞાનસત્ર ટાંકણે પ્રમુખીય વક્તવ્યમાં સ્વાયત્તતા વિશે સ્પષ્ટોદ્‌ગાર કરતાં સંકોચ નહોતો કર્યો.

હવે અધિવેશન, જ્ઞાનસત્ર, પ્રકાશન વગેરે ઉપક્રમોમાં પરિષદ સરકારી સહયોગ વિના ચાલે છે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (સુરત) કે વિદ્યામંદિર (પાલનપુર) જેવી સંસ્થાઓ મોટા પરિષદપ્રસંગ ઉપાડી લે છે ત્યારે રાજસૂય વલણો સામે પ્રજાસૂય પ્રયાસો વિશે જે આશાઅપેક્ષા અને સધિયારો અનુભવાય છે એમાં ઊંજણ વાસ્તે સૌ, રિપીટ, સૌ અક્ષરસેવીઓને દિલી અપીલ : કમસે કમ, સેતુબંધની ખીસકોલી જેટલી તો આપણી હેસિયત હોય જ ને!

સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2019; પૃ. 13-14

સુમનભાઈ શાહનો મૂળ લેખ અહીં આ લિંક પરે ક્લિક કર્યે જોઈવાંચી શકાય :

https://opinionmagazine.co.uk/details/4943/aavaa-anasarakhaa-vaataavaranamaam-vivaado–matmataantaro–aavesho-ke-pakshaapakhsee-sambhave-ja-shee-reete?

Loading

કાળો સૂરજ ધોળો સૂરજ

જગદીશ દવે|Poetry|18 November 2019

કાળો સૂરજ ધોળો સૂરજ
અલપ ઝલપ દેખાતો સૂરજ
કદી ન જોયો રાતો સૂરજ
કદી ન એ મદમાતો સૂરજ
કાર્ડબોર્ડનાં બૉક્સે બેસી
ટાઢ ટાઢ પોકારે સૂરજ
છાપાંઓની વચ્ચે પેસી
શરીરને સંગોપે સૂરજ
‘થ્રો અવે’ના ડબલાંમાંથી
ફૂડ-ડ્રિંક ફંફોસે સૂરજ
થોડું થોડું મળી રહે તો
‘ટેક અવે’ યે કરતો સૂરજ
ભરબપ્પોરે રસ્તા વચ્ચે
બાળક થઈને ભીખે સૂરજ
બેકારીની અઘોર સાંજે
‘મગીંગી’ કરી નાસે સૂરજ
ઑકસ્ફર્ડ સ્ટ્રીટમાં વીલી નજરે
‘વિંડો શોપીંગ’ કરતો સૂરજ
ચોકિયાતોનું ધ્યાન ચૂકવી
‘શોપ લિફ્ટીંગે’ કરતો સૂરજ
ટ્યુબ તણી ગુફાઓ વચ્ચે
ગીતોને પડઘાવે સૂરજ
જતા આવતા લોકો પાસે
પેનીઓ ઉઘરાવે સૂરજ
ગલીકૂચીમાં જઈને છાનો
બે આંસુ ટપકાવે સૂરજ
પાદવિહીન પંગુ એકાકી
સાતે અશ્વો શોધે સૂરજ

Loading

...102030...2,6182,6192,6202,621...2,6302,6402,650...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved