Opinion Magazine
Number of visits: 9576427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇસ્ટ ઇન્ડિયા કંપની : કોર્પોરેટ કંપનીઓ પાસે અમર્યાદ તાકાત આવી જાય તો શું થાય?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|29 November 2019

૧૬૦૦ની સાલમાં, સર થોમસ સ્મિથેની આગેવાની હેઠળ, લંડનના વેપારીઓના એક જૂથે, રાણી એલિઝાબેથ પાસે અરજ કરી કે પૂર્વ ગોળાર્ધના દેશોમાં વેપાર કરવા માટે શાહી સનદ જારી કરવામાં આવે, જેથી સુદૂર પૂર્વના વેપાર પર સ્પેનીશ અને પોર્ટુગીઝ ઈજારાશાહીને ખતમ કરી શકાય. એલિઝાબેથે મંજૂરી આપી, અને ઓનરેબલ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા ઇસ્ટ ઇન્ડિયા ટ્રેડીંગ કંપની અથવા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અથવા જોહ્ન કંપની અથવા કંપની બહાદુર અથવા માત્ર ધ કંપનીનો જોઈન્ટ-સ્ટોક કંપની તરીકે જન્મ થયો. વેપારીઓએ કંપનીમાં ૩૦,૧૧૩ પાઉન્ડનું મૂડીરોકાણ કર્યું હતું, જે આજના ૪૦,૦૦,૦૦૦ પાઉન્ડ થાય. મૂળ એનું નામ ‘ગવર્નર એન્ડ કંપની ઓફ મર્ચન્ટ ઓફ લંડન ઇનટુ ધ ઇસ્ટ- ઇન્ડીઝ’ હતું, જેનો મૂળ ઉદેશ્ય દક્ષિણપૂર્વ એશિયાના ઇલાકાઓમાંથી (જેને ઇસ્ટ-ઇન્ડીઝ નામ આપવામાં આવ્યું) કપાસ, સિલ્ક, ઈન્ડીગો ડાઈ, મીઠું, મરી-મસાલા, ચા અને અફીણનો વેપાર કરવાનો હતો.

શરૂઆતમાં આ કંપનીનાં જહાજો હિન્દ મહાસાગરના પાણીમાં ડચ અને પોર્ટુગીઝ વેપારી જહાજો સાથે લડાઈ કરવા સુધી સીમિત હતાં, પણ ૧૬૧૨માં હજીરા-સુરત પાસે સુવાલીના બીચ પર, પોર્ટુગીઝો પર નિર્ણાયક જીત મેળવીને પહેલીવાર ક્ષેત્રીય પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. એમાં બ્રિટિશ તાજ અને મોઘલ સામ્રાજ્ય, બંનેના આશીર્વાદ હતા. એ જ વર્ષે, કંપનીની વિનંતીથી, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએ અને મુઘલ સમ્રાટ નુર-ઉદ-દીન સલીમ જહાંગીર વચ્ચે સુરત અને આસપાસના વિસ્તારોમાં કંપનીના માણસોને રહેવા અને વેપાર કરવા દેવાના કરાર થયા. બદલામાં, જહાંગીરને યુરોપનો માલસામાન મળવાનો હતો.

ત્યારે કોઈને, એલિઝાબેથને કે જહાંગીરને ખુદને, અંદાજ ન હતો કે ૨૫૮ વર્ષ પછી કંપની પૂરા ભારતીય ઉપખંડને બ્રિટિશ તાજને હવાલે કરી દેશે. ૧૬૦૦માં એલિઝાબેથ જ્યારે ઇસ્ટ ઇન્ડિયા કંપનીને આકાર આપી રહી હતી, ત્યારે ભારતમાં ઉત્તરીય અફઘાનિસ્તાનથી લઈને દક્ષિણમાં ડેક્કનનાં મેદાનો સુધીના ૭,૫૦,૦૦૦ ચોરસ માઈલના સામ્રાજ્ય પર મુઘલોનું રાજ ચાલતું હતું. ૧૬૦૦માં યુરોપને ઈર્ષ્યા આવે તેવી સમૃદ્ધિ મુઘલ સામ્રાજ્યની હતી, ત્યારે દુનિયામાં મુઘલોનો લશ્કરી અને સંસ્કૃતિક વિકાસ ચરમસીમાએ હતો.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અગાઉ ૧૭મી સદીમાં ભારતનું પાણી પીધું હતું, પણ તેમને ફૂલહાર કરીને વધાવ્યા જહાંગીરે. સુવાલી બીચ પરની લડાઈ પછી થયેલા કરાર અંતર્ગત જહાંગીરે, એલિઝાબેથના રાજદૂત થોમસ રોએના નામે એક પત્રમાં લખ્યું હતું, “તમારા શાહી પ્રેમના બદલામાં મેં મારા તાબા હેઠળનાં તમામ રજવાડાં અને બંદરોને આદેશ આપ્યો છે કે તેઓ ઇંગ્લિશ રાષ્ટ્રના વ્યાપારીઓને મારા મિત્ર-દેશના નાગરિકો તરીકે આવકારે. તેઓ જ્યાં ચાહે ત્યાં રહી શકે છે, તેમને કોઈ અવરોધ નહીં નડે અને કોઈપણ બંદરે તે આવે, ત્યારે પોર્ટુગીઝો કે બીજા કોઈ તેમની શાંતિનો ભંગ ના કરે. તેઓ મરજી પડે ત્યાં ખરીદ-વેચાણ કરીને તેમના દેશમાં લઇ જઈ શકે છે. અમારી દોસ્તી અને પ્રેમના બદલામાં તેઓ તેમના જહાજોમાં મારા મહેલને શોભે તેવી ઉત્તમ ચીજો લાવે.”

જહાંગીરની મંજૂરી બાદ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતના પશ્ચિમી અને પૂર્વી કિનારાઓ પર થાણા અને ફેકટરીઓ નાખ્યાં. ૧૬૪૭ સુધીમાં, ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં ૨૩ ફેકટરીઓ હતી, જેમાં દરેકમાં ૯૦ કર્મચારીઓ હતા અને તેમનો એક ‘ફેક્ટર’ એટલે કે મુખ્ય વેપારી સાહેબ હતો. એક સદી સુધી કંપનીનું ધ્યાન વેપાર કરવામાં જ હતું, પણ ૧૮મી સદીમાં મુઘલ સામ્રાજ્યની કેન્દ્રિય સત્તા નબળી પડી અને સ્થાનિક રાજ્યો તાકાતવર થયાં, એટલે ઇસ્ટ ઇન્ડિયા કંપની રાજકારણ અને લશ્કરી બાબતોમાં દરમિયાનગીરી કરતી થઇ.

આનું એક મુખ્ય કારણ ફ્રેંચ ઇસ્ટ કંપની હતી, જેને ૧૬૬૪માં ફ્રાંસના નાણામંત્રી જીન-બેપ્ટીસ્ટ કોલ્બર્ટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની હરીફાઈમાં બનાવી હતી અને જે મુખ્યત્વે દક્ષિણ ભારતમાં સક્રિય હતી. એનો એક ડિરેક્ટર, ફ્રાન્કોઇસ કેરોન, ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં ૩૦ વર્ષ કામ કરી ચુક્યો હતો. ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ૧૭મી સદીમાં સ્થાપવામાં આવી હતી, અને તે નફો રળતી કોર્પોરેશન ઓછી અને કંપની-સ્ટેટ વધુ હતી. ડચ ઇસ્ટ કંપની દુનિયાની પહેલી લીસ્ટેડ કંપની હતી અને આજે દુનિયામાં મલ્ટીનેશનલ કોર્પોરેશનો જે રીતે આધુનિક વેપાર કરે છે, તેનું પહેલું મોડેલ આ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ બનાવ્યું હતું. ડચ કંપની પોતે જ એક સામ્રાજ્ય હતું.

ટૂંકમાં, ત્રણ વૈશ્વિક કંપનીઓ ભારતના વિશાળ રોટલા માટે છીનાઝપટી કરી રહી હતી. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની આ બે ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓની હરીફાઈમાં ઊતરીને સ્થાનિક રજવાડાં સાથે સત્તાની ખેલાડી બની ગઈ. ૧૮૦૩માં, જ્યારે તેનો વેપારી સિતારો મધ્યાહ્ને હતો, ત્યારે તેની પાસે ૨,૬૦,૦૦૦ના સૈનિકોનું ખાનગી લશ્કર હતું, જે બ્રિટિશ સૈન્ય કરતાં બે ઘણું મોટું હતું. જેને કંપની રુલ અથવા કંપની રાજ કહે છે, તેની શરૂઆત થઇ ૧૭૫૭માં, જયારે પ્લાસીના યુદ્ધમાં કંપનીએ બંગાળના નવાબ મીર જાફર અને તેના ફ્રેંચ સમર્થકોને હરાવી દીધા અને કઠપૂતળી બની ગયેલા નવાબે રાજ્યની આવક કંપનીના ચરણે ધરવાનું શરૂ કરી દીધું. આજે પણ રાજનીતિમાં કોઈ દગો કરે, તો તેને ‘મીર જાફર’ કહેવામાં આવે છે. કંપનીએ તેનો પહેલો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સને કલકત્તામાં નીમ્યો, જે સીધો જ બંગાળનો વહીવટ કરતો હતો.

ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આ રાજ ત્યાંથી શરૂ થયું અને ૧૮૫૮માં તે પૂરું થયું, જ્યારે ૧૮૫૭માં મેરઠમાં કંપનીના સૈન્ય સામે સિપાઈઓએ નાકામ વિદ્રોહ કર્યો. ત્યાં સુધીમાં મુઘલ સામ્રાજ્ય કમજોર પડી ગયું હતું અને દિલ્હીમાં તેના ૮૧ વર્ષના વૃદ્ધ મુઘલ શાસક બહાદુર શાહ ઝફરને, મેરઠના વિદ્રોહીઓએ ‘હિન્દુસ્તાન’નો મહારાજા જાહેર કરી દીધો. બ્રિટિશરોએ ઝફરને રંગૂનમાં દેશનિકાલ કર્યો, અને તે ત્યાં જ મરી ગયો. બીજી તરફ બ્રિટિશ હુકુમતે બ્રિટિશ સંસદમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૮૫૮ પાસ કરીને ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિખેરી નાખી અને પૂરા ભારતનો સીધો વહીવટ હાથમાં લીધો. આ બ્રિટિશ વહીવટ અથવા રાજ ૮૯ વર્ષ રહ્યું અને ઓગસ્ટ ૧૯૪૭માં ભારતના વિભાજન સાથે પૂરું થયું.

લંડનના ‘ધ ટાઈમ્સ’ સમાચારપત્રએ ૮ એપ્રિલ, ૧૮૭૩ના રોજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ‘મૃત્યુનોંધ’ના આ સમાચારમાં લખ્યું હતું, “માનવ જાતિના ઇતિહાસમાં આ વેપારી કંપનીએ જે કામયાબી મેળવી છે, તેવી બીજી કોઈએ નથી મેળવી અને વર્ષોનાં વર્ષ સુધી કોઈ મેળવી પણ નહીં શકે.” કંપની પછી નામ માત્ર પૂરતી જ રહી. ૧૯૮૦ના દાયકામાં રોકાણકારોના એક જૂથે તેના હક્ક ખરીદી લીધા અને કપડાંની કંપની સ્થાપી, જે ૧૯૯૦ના દાયકા સુધી ચાલી. તે પછી સંજીવ મહેતા નામના બ્રિટિશ-ગુજરાતી રોકાણકારે તેને પાછી ખરીદી અને ૨૦૧૦માં પહેલો લક્ઝરી સ્ટોર ખુલ્લો મુક્યો.

આ લેખનો મૂળ હેતુ એ સમજાવાનો છે કે કોર્પોરેટ કંપનીઓ પાસે અમર્યાદ અને અનિયંત્રિત તાકાત આવી જાય તો શું થાય, તેનું આ ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉદાહરણ છે. તાજેતરમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની ઉપર ‘અનાર્કી’ નામનું પુસ્તક લખનાર મૂળ સ્કોટીશ ઇતિહાસ લેખક વિલિયમ ડર્લીમ્પલ કહે છે કે, “ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું, ત્યારે ભારત વિશ્વનું ત્રીજા ભાગનું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ પેદા કરતું હતું. કંપનીએ ભારતની અર્થવ્યવસ્થાને લુંટવાનું જ કામ કર્યું હતું. ઇન ફેક્ટ, ભારતીય ભાષાઓમાંથી સૌ પહેલા શબ્દો અંગ્રેજીમાં ગયા, તેમાં ‘લૂંટ’ શબ્દ છે.”

આજે અમેરિકામાં ફેસબુકની તાકાતને લઈને ચિંતાઓ વ્યક્ત થઇ રહી છે અને તેના સી.ઈ.ઓ.ને યુ.એસ. કોંગ્રેસમાં ઊલટતપાસ થઇ ચૂકી છે. ફેસબુક પર આરોપ છે કે તેણે અમેરિકાની ચૂંટણીમાં તેના પ્લેટફોર્મનો ઉપયોગ થવા દીધો છે. ફેસબુક ‘લિબ્રા’ નામનું ખુદનું ડીજીટલ ચલણ લાવી રહ્યું છે, જેનાથી ડોલર, પાઉન્ડ, યૂરો અને અન્ય કરન્સીઓનું ભાવિ ડામાડોળ છે.

ગૂગલ, વોલમાર્ટ અને એક્કોન મોબાઇલ જેવી મલ્ટીનેશનલ કંપનીઓ ખુદ એક સામ્રાજ્યની જેમ ચાલે છે અને નાની-મોટી સરકારોને નચાવે છે.

ઘણી સરકારોના આવી કોર્પોરેટ કંપનીઓમાં સ્વાર્થ હોય છે, અને ઇસ્ટ ઇન્ડિયા કંપની સાથે ૧૭૭૦ના દાયકામાં થયું હતું તેમ, સરકારો ‘બેઇલ-આઉટ’ પેકેજ જાહેર કરીને, તેમને પાછી પગભર કરે છે. આજે ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ ભારત-ચીન જેવાં વિશાળ બજારોમાં હિત ધરાવે છે અને તેમનાં હિત જળવાઈ રહે તે માટે સરકારો સાથે સાઠગાંઠ રાખે છે.

૧૮મી સદીની શરૂઆતમાં વૈશ્વિક જી.ડી.પી.માં મુઘલ સામ્રાજ્યનું યોગદાન ૩૭ ટકા હતું અને ચીનને જરાક પાછળ છોડ્યું હતું, જ્યારે બ્રિટનનું યોગદાન ૩ ટકાથી ઓછું હતું.

આજે કોઈ એમ કહે કે ફેસબુક અમેરિકાનો વહીવટ હાથમાં લઇ લેશે, તો અસંભવ જ નહીં, હાસ્યાસ્પદ જ લાગે. મુઘલ સામ્રાજ્ય સાથે વેપાર કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીની રચના થઇ, ત્યારે પણ એવું જ લાગ્યું હતું.

સૌજન્ય : ‘ફાયર વૉલ’ નામક લેખકની કટાર, “ ધ ગુજરાત ટુડે” 25 નવેમ્બર 2019

https://www.facebook.com/permalink.php?story_fbid=2435905236737521&id=1379939932334062&__tn__=K-R

Loading

પાગલ ફિલસૂફ નિત્શે

સુમન શાહ|Opinion - Opinion|29 November 2019

આ લેખ-શ્રેણીમાં ૨૨ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ નિત્શેની 'વિલ ટુ પાવર' – ‘સત્તૈષણા' – વિભાવના વિશેનો એક મણકો રજૂ કરેલો. ૨૩ નવેમ્બર ૨૦૧૯ના રોજ એમની 'ઍપોલોનિયન-ડાયોનિસિયન' વિભાવના વિશેનો મણકો રજૂ કરેલો. આજે નિત્શેકૃત “જરથુષ્ટ્ર ઍણી પૅરે બોલ્યા” વિશે તેમ જ એમની 'ઓવરમૅન'ની વિભાવના વિશેનો એક ઑર મણકો રજૂ કરું છું :

=== જરથુષ્ટ્ર સૂચવે છે કે ઓવરમૅનને જન્માવી શકાય, એ પ્રગટે, એ હજી શક્ય છે. માનવ-તા ભીરુથી ભીરુ બની રહી છે, પાલતુ. બને કે ઓવરમૅન છેલ્લા માણસનેય ઉછેરી શકે ===

જાણીતું છે કે જગવિખ્યાત ક્રાન્તિકારી જર્મન ફિલસૂફ ફ્રૅડ્રિક નિત્શેએ એક ફિલોસૉફિકલ નૉવેલ લખેલી – ચિન્તનપ્રવણ નવલકથા, “Thus Spoke Zarathustra”. એને એમણે “A Book for All and None” કહી છે. હું એ સર્વ-જન અને ન-કોઇને માટેની નવલકથાને “ઍણી પૅરે બોલ્યા જરથુષ્ટ્ર” શીર્ષકથી ઓળખાવું છું. આમાં નવલકથા કેટલી, ચિન્તન કેટલું એની ચિન્તા ન કરવી. કેમ કે નિત્શેએ પણ એવી કશી ભાંજગડ નથી કરી.

સમગ્રમાં ત્રણ વાતો વણાઈને ખૂલી છે ને પછી વિસ્તરી છે : eternal recurrence of the same, એ – ને – એનું અન્તહીન પુનરાવર્તન : death of God. ઈશ્વરનું મૃત્યુ – એ રીતે જાણીતી થયેલી નિત્શેકૃત બોધકથા : અને, Overman અથવા Superman – એ નામે જાણીતી થયેલી એમની એક આગવી વિભાવના. આ ત્રણેય વાતો એમના અન્ય ગ્રન્થોમાં પણ ચર્ચાઈ છે.

હું સતત 'ઓવરમૅન' કહીશ કેમ કે 'સુપરમૅન' એટલે પેલો કૉમિક બુકવાળો – એવું ભળતું સમજી લેવાની ભૂલ થાય, થાય જ. લેખન દરમ્યાન કદાચ ક્રમે ક્રમે એનો ગુજરાતી પર્યાય પણ મળી આવશે.

ચાર ભાગમાં લખાયેલી આ કૃતિ 1883-થી 1885-માં સમ્પન્ન થયેલી અને 1883-થી 1891 દરમ્યાન પ્રગટ થયેલી. નિત્શેનો સમય છે, 1844 – 1900. ૫૬ વર્ષનું આયુષ્ય.

નિત્શેનો ઓવરમૅન :

જરથુષ્ટ્રને નવલનું મુખ્ય પાત્ર કહેવાયું છે. જરથુષ્ટ્ર ૩૦ વર્ષની ઉમ્મરે એકાન્તમાં ચાલી ગયા હોય છે. પર્વતની ગુફામાં આત્માને અને એકાન્તને માણતા હોય છે. ૧૦ વર્ષ વીતી જાય છે. એમને થાય છે – હવે મારે લોકોની વચ્ચે જવું જોઈએ. એમને મારે મારા ભર્યાભર્યા ડહાપણના સહભાગી બનાવવા જોઈએ. સાથે એમને મારે એ પણ દર્શાવવું જોઈએ કે ઓવરમૅન કેવો હોય.

લોક કને પ્હૉંચી જવા જરથુષ્ટ્ર અસ્ત પામતા સૂર્યની માફક પર્વત પરથી ‘છેક નીચે’ ઊતરતા જાય છે. રસ્તામાં એમને એક વૃદ્ધ વનવાસી સન્તનો ભેટો થાય છે. સન્ત જરથુષ્ટ્રને કહે છે કે – નીચે તો માણસોને એવા સહાયકની જરૂર છે જે એમનો જીવનબોજ હળવો કરી આપે. મેં એમને ઘણી બક્ષિશો આપી પણ એમને માફક ન આવી. એમને તો ભિક્ષા કે દાનદક્ષિણા ખપે છે. સન્ત કહે – હું માણસોને બહુ ચાહતો’તો પણ એમની મર્યાદાઓ જોઈને થાકી ગયો. હવે માત્ર ગૉડને, ઈશ્વરને, ચાહું છું.

સન્તથી છૂટા પડ્યા બાદ જરથુષ્ટ્રને થાય છે, આ ડોસાજીને સમાચાર મળ્યા નથી કે, ગૉડ ઇઝ ડેડ – ઈશ્વરનું તો મૃત્યુ થયું છે …

અવતરણ : ભાવાનુવાદ:

નિત્શે કહે છે : મૃત્યુ પામ્યા છે સર્વ ઈશ્વરો. જીવવાને હવે ઓવરમૅનની જરૂરત છે આપણને …

મોટ્રિલ કાઉ નામના ગામમાં જઈને જરથુષ્ટ્ર ઘોષણા કરે છે કે પૃથ્વીનો કશો પણ અર્થ હોય, તો તે છે ઓવરમૅન. માણસ તો પશુ અને ઓવરમૅન વચ્ચેનું દોરડું છે. એને હટાવવું જરૂરી છે. માનવસમાજે ઘડેલી નીતિમત્તા અને સર્વ ગ્રહો – પૂર્વગ્રહોથી મુક્ત જણ ઓવરમૅન છે. એ જણ પોતે જ પોતાના હેતુ રચે છે અને મૂલ્ય પણ આગવાં ઘડે છે.

એમણે કહ્યું – આગળનો માર્ગ ભયાનક છે પણ પરલોકની – સ્વર્ગની – લાલસાને કારણે એને છોડી ન દેવાય. લોકને કહ્યું કે – તમે આ જગતને અને આ જીવનને વફાદાર રહો. કહ્યું કે – તમારી જે નરી સાંસારિક સુખાકારી છે તેને ધિક્કારો. તર્કબુદ્ધિ ગુણવત્તાઓ ન્યાય અને દયાળુતાનો પણ તુચ્છકાર કરો. એથી ઓવરમેનનો માર્ગ મૉકળો થઈ જશે અને એ જ આ પૃથ્વીનો મહા અર્થ લેખાશે.

જરથુષ્ટ્ર સૂચવે છે કે ઓવરમૅનને જન્માવી શકાય, એ પ્રગટે, એ હજી શક્ય છે. માનવ-તા ભીરુથી ભીરુ બની રહી છે, પાલતુ. બને કે ઓવરમૅન છેલ્લા માણસને ય ઉછેરી શકે. જો કે છેલ્લા માણસો ય એવા જ હશે, ટોળામાંનાં પ્રાણીઓ. એ લોકો પણ સામાન્ય પ્રકારની મજાઓમાં અને વામણાઈમાં જ રાચતા હશે. દુનિયાની કોઈપણ વસ્તુ એઓને અતિશય કે ભયાનક લાગતી હશે.

જરથુષ્ટ્રને આવું બધું બોલતા ભાળીને લોકો હસવા માંડ્યા. કેમ કે લોક એટલે પ્રાણીઓનું ટોળું.

લોકોને ન તો જરથુષ્ટ્ર સમજાયા, ન તો એમને એમના ઓવરમૅનમાં રસ પડ્યો. એક માણસ અપવાદ હતો. નટદોર પર ચાલતો’તો. ચાલતાં ચાલતાં પડી ગયેલો. પણ પછી મરી ગયેલો. ત્યારે માર્કેટમાં ભેગા થઈ ગયેલા herdને – લોકટોળાને – જરથુષ્ટ્ર ખસેડી શકતા નથી. પોતાની એવી કમજોરીની વાતે દિલગીર થઈ જાય છે.

જરથુષ્ટ્રના પહેલા દિવસની સાંજ એમ જ પસાર થઈ ગઈ. સંકલ્પ કર્યો કે – હું ટોળાંઓને બદલવાની કોશિશ નહીં કરું. પણ એમાંથી જાતે રસપૂર્વક નીકળીને જે-જે વ્યક્તિઓ બહાર આવશે એમની જોડે બોલીશ, વાતો કરીશ.

(‘ઓવરમૅન’ વિશે વધુ હવે પછી)

= = =

(27 Nov 2019 : USA)

Loading

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 November 2019

હૈયાને દરબાર

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે

છેકાછેકી કરતાં પૂરો થઈ ગયો કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં

તો ય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

•  કવિ : મેઘબિન્દુ    •  સ્વરકાર : માલવ દીવેટિયા    •  ગાયિકા : કલ્યાણી કોઠાળકર

———————–

સંવેદનશીલ કૃતિ આપણને કેમ સ્પર્શી જાય છે? કારણ કે એનું સીધું જોડાણ હૃદય સાથે હોય છે. એ કૃતિમાં ભારે ભરખમ શબ્દો નથી હોતા, કોઈ ચમત્કૃતિ નથી હોતી કે નથી હોતાં કોઈ ઉપમા-અલંકારો. સરળ શબ્દો અને ચોટદાર અભિવ્યક્તિ. કવિ મેઘબિન્દુ (મેઘજી ડોડેચા) સંવેદનાના કવિ છે. હૃદયનો ઉમળકો હોય કે દિલનું દર્દ, કલમ દ્વારા એ વહી જાય છે. સંબંધો વિશેનાં ગીતોમાં એમની કલમ હૃદયગાન થઈને નિખરે છે એટલે જ કન્યાવિદાયનું એમનું ગીત હોય કે નવી પરણેલી પુત્રવધૂને આવકારતી રચના હોય, પતિ-પત્નીના જીવનની કથા હોય કે પ્રેમી યુગલના પ્રણયભંગની ખંડિત લાગણીની વાત હોય, હૃદયના ભાવ મેઘબિંદુનાં ગીતોમાં કેન્દ્રસ્થાને હોય છે.

કવિ મેઘબિંદુએ શાળાજીવનથી જ કવિતા લખવાનો પ્રારંભ કર્યો હતો. શબ્દની ઉપાસના આટલાં વર્ષોથી કરતાં હોવા છતાં એમણે પોતાના કર્તૃત્વના ક્યારે ય ઢોલ-નગારાં પીટ્યાં નથી. મૂક રહીને મહદ્અંશે કવિતા-ગીત-ગઝલ રચવાનો નમ્ર પ્રયાસ કર્યા કરે એ વ્યક્તિ એટલે મેઘબિંદુ. એમની કવિતામાં સંબંધોનું વિશ્વ આનંદ અને અવસાદના રંગો પ્રતિબિંબિત કરતું રહે છે. મુઠ્ઠીભર શબ્દોથી સંબંધોના અંગત-બિન અંગત વિશ્વને ઉજાગર કરતા રહી એ પોતાની અનુભૂતિને આપણા સુધી પહોંચાડે છે.

આજના મુખ્ય ગીતની વાત કરીએ એ પહેલાં યુવા ગાયિકા નિકિતા વાઘેલાના કંઠે સાંભળેલી મેઘબિંદુની એક ગઝલ વિશે વાત કરવી છે. ગઝલના શબ્દો છે :

બાગમાં ટહુકો છળે તો શું કરું?
લાગણી ભડકે બળે તો શું કરું?

આપણા સંબંધની આ રિક્તતા,
જો બધે જોવા મળે તો શું કરું?

સાવ અણજાણ્યા અધૂરાં લોકમાં,
વાત તારી નીકળે તો શું કરું?

પ્યાસ લઈને આંખમાં પાછો ફરું,
આંખમાં મૃગજળ મળે તો શું કરું?

પહેલી વાર આ ગઝલ સાંભળીને સ્તબ્ધ થઈ જવાયું હતું. ગીતના શબ્દો અને સ્વરાંકન બંને અદ્ભુત. ટહુકાના છળવા અને લાગણી ભડકે બળવાની વાત રૂંવાડા ઊભા કરી દે એવી છે. એક એક પંક્તિમાંથી સરેઆમ સંવેદના પ્રગટે છે. આશિત દેસાઈએ સંગીતબદ્ધ કરેલા આ ગીતને મૂળ હેમા દેસાઈએ ગાયું છે પરંતુ હેમા દેસાઇની શિષ્યા નિકિતા વાઘેલા પાસે પહેલી વાર સાંભળ્યું ત્યારે જાણે એણે હૃદય ઠાલવીને ગાયું હોય એવું લાગ્યું હતું. નિકિતા આ વિશે કહે છે કે, "કોઈને નવાઈ લાગે પણ ગુજરાતી ગીતો સ્ટેજ પર પરફોર્મ કરવાં એ મારું ડ્રીમ હતું. પાંચ વર્ષ પહેલાં હેમા દેસાઈ જેવાં ગુરુ મળતાં એ પરિપૂર્ણ થયું. ગુજરાતી ગીતો ખૂબ સરસ છે. એમાં ઘણું વૈવિધ્ય છે. બાગમાં ટહુકો ગઝલ મારી પ્રિય ગઝલ છે. સ્વરસખીના એન્યુઅલ ફંકશનમાં મને એ રજૂ કરવાનો મોકો મળ્યો એ મારું સદ્ભાગ્ય. બાકી, હું ફિલ્મી ગીતો પણ ગાઉં છું પરંતુ, આપણી પોતાની ભાષામાં ગાવાની મજા જ અલગ છે.

એક યુવા ગાયિકા પાસેથી ગુજરાતી ગીતોના વૈભવની વાત સાંભળવા મળે ત્યારે થાય કે માતૃભાષાને કંઈ આંચ આવવાની નથી.

ઉપર ડાબેથી કવિ મેઘબિન્દુ, નિકીતા વાઘેલા, નીચે ડાબેથી કલ્યાણી કોઠાળકર, માલવ દીવેટિયા

કવિ મેઘબિંદુ આ ગીત વિશે કહે છે, "લગભગ ૨૦ વર્ષ પહેલાં લખાયેલું આ ગીત એટલું બધું લોકપ્રિય થયું છે કે થોડાં વર્ષો પહેલાં રાજકોટમાં યોજાયેલી સુગમ સંગીત સ્પર્ધામાં આ એક જ ગીત આઠ સ્પર્ધકોએ પસંદ કર્યું હતું. શબ્દો અનુરૂપ જ સંગીત હોવાથી વધુ લોકચાહના પામ્યું છે. આશિત દેસાઈએ એમના ગઝલ આલબમ રેકોર્ડિંગ વખતે મને પૂછ્યું કે કવિ, નાની બહેરની કોઈ ગઝલ હોય તો આપો. મેં તાત્કાલિક લખી આપી. એમણે એ જ વખતે કમ્પોઝ કરી દીધી હતી અને તરત જ હેમાંગિની દેસાઇના અવાજમાં રેકોર્ડ થઈ ગઈ હતી. બીજી અનેક ગાયિકાઓએ પણ એ ગાઈ છે.

હવે વાત કરીએ નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ … ગીત વિશે. "મારાં પત્નીનું અવસાન ૧૯૯૪માં થયું ત્યારે હું ભાંગી પડ્યો હતો. હીરાબહેન પાઠકના ’પરલોકે પત્ર’ પુસ્તક વિશે મેં સાંભળ્યું હતું. મને થયું કે કવિતા તો હું લખું જ છું તો હવે થોડું ગદ્ય લખું. ’પરલોકે પત્ર’ની જેમ પત્ર સાહિત્ય ગદ્ય સ્વરૂપે લખવાનું નક્કી કર્યું. પરંતુ, જીવ કવિતાનો એટલે પત્નીને પત્ર લખવા બેઠો ને કવિતા રચાવા માંડી. પત્નીના મૃત્યુના તેરમા દિવસે આ ગીત લખાયું; નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ …! કવિ સુરેશ દલાલને સંભળાવ્યું તો એમને બહુ ગમ્યું અને એમણે ‘કવિતા’ માસિકમાં એનો રસાસ્વાદ પણ કરાવ્યો. ઉલ્લેખનીય છે કે આ ગીતના દસથી વધુ જુદાં જુદાં સ્વરાંકન થયાં છે. એમાં માલવ દીવેટિયા તથા પુરુષોત્તમ ઉપાધ્યાયનાં સ્વરાંકન વધુ લોકપ્રિય થયાં. હંસા દવે અને કલ્યાણી કોઠાળકરે આ ગીતને ભાવપૂર્ણ રજૂ કર્યું છે. સુખ-દુ:ખ જીવનમાં વણાયેલા હોય છે.

કવિ જ એની અભિ-વ્યકિત યથા-યોગ્ય કરી શકે છે. મનુષ્યની નિયતિ એવી છે કે એની આંખોમાં સ્મિતની પાછળ આંસુ છુપાયેલા હોય છે. શેક્સપિયર ભલે કહી ગયા હોય કે વોટ ઈઝ ધેર ઇન અ નેઇમ? પરંતુ, નામ એ જ જીવન પર્યંત આપણી ઓળખ બની રહે છે. એમાં ય પ્રિય પાત્રનું નામ તો ક્યારેક સુખનો દીપક બનીને ઝગમગે તો ક્યારેક આંખમાં ઝળઝળિયાં લાવે. એટલે જ લેખક પ્રકાશ મહેતાએ આ ગીત વિશે લખ્યું છે કે, "વિરહી પ્રેમી હજુ તો કોરા કાગળ પર પ્રિયજનનું નામ લખવા માંડે છે ને ‘ત્યાં આંસુ આવ્યા આગળ.’ પહેલી પંક્તિનો લય જુઓ. પ્રેમીને મન સૌથી મહત્ત્વનું નામ કોનું હોય? પોતાના પ્રિયજનનું જ સ્તો! એટલે જ નામ તમારું એ શબ્દોમાં લયનો ભાર ’તમારું’ પર મુકાયું છે. આમ તો કેટલાય નામોને સંબોધીને પત્ર લખું છું પણ જેવું તમારું નામ લખ્યું રડવું આવી જાય છે. આમ તો સ્મિતનું મહોરું પહેરીને આપણે જીવીએ છીએ પણ વિયોગની તીવ્ર વ્યથાનો અનુભવ થતાં એ મહોરું સરી પડે છે અને પાછળ છુપાયેલા આંસુ આગળ આવી જાય છે.

સુરેશ દલાલે આ ગીતના રસાસ્વાદમાં લખ્યું છે, ‘મેઘબિન્દુ’ની કવિતાનું મૂળ અંગત સંવેદનામાં છે. કાગળમાં ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય પણ છતાંયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું એની વિમાસણ હોય છે. અહીં કવિ કાગળ પર પ્રિય વ્યકિતનું નામ હજી લખે ન લખે ત્યાં તો એમની આંખમાં આંસુ આવે છે અને આંસુના પડદા પાછળથી પ્રિય વ્યકિતનું નામ જોવાનું રહે છે. આ ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે કાગળ લખવો તો છે, પણ લખાતો નથી. અને કોરા કાગળને કોઈ અર્થ નથી. આપણું જીવન સામાન્ય રીતે સુખ અને દુ:ખના બે મોટા હાંસિયા વચ્ચે વહેંચાઈ જતું હોય છે. કયારેક થાય છે કે લખાય છે એ પૂરેપૂરું પ્રગટ થયું નથી. હું છેકભૂંસ કર્યા કરું છું. આખો કાગળ છેકાછેકી કરતાં કરતાં માંડ માંડ પૂરો થાય છે. પૂરો થાય છે એ તો કહેવાની એક રીત છે. બાકી જગતમાં કોઈ કાગળ કયારે ય પૂરો થતો નથી. કાગળમાં આખું હૃદય પાથરવું છે. ભાવને પૂરેપૂરો પ્રગટ કરવો છે. હૈયે છે એ હોઠે આવતું નથી. હોઠે આવે છે તે કાગળ ઉપર પ્રગટતું નથી.

પ્રિય વ્યકિત માટે લાખલાખ ઉમળકાઓ અને અરમાનોને ઉમંગથી શણગાર્યા હોય. પ્રિય વ્યકિતનાં સપનાંઓ માટે ગાઢ અંધકારમાં પણ અજવાળા પાથર્યાં હોય. ગમે એટલું કરીએ તો પણ પોતાના મનને કશુંક ઓછું જ લાગવાનું. પ્રિય વ્યકિતને માટે જમીન-આસમાન એક કરી નાખવા મન તલપાપડ થતું હોય છે. આપણી અપેક્ષાના અશ્વ હણહણતાં હોય છે. પણ પ્રિય વ્યક્તિની ઈરછાઓ, વેગ અને આવેશ પવનથી પણ વિશેષ જોરદાર આગળ ને આગળ ફૂંકાતા હોય છે. આમ જે કંઈ લખવું છે તે લખાતું નથી. પ્રિય વ્યકિત માટે જે કંઈ કરવું છે તે કરાતું નથી. અને અધૂરપની મધુરપ સાથે જેટલું જિવાય એટલું જીવી લેવું છે.

સુરેશ દલાલની આવી સુંદર અભિવ્યક્તિ પછી ગીત વિશે વધુ શું કહેવું? હા, ગીતના સંગીતની વાત તો કરવી જ પડે. ક્ષેમુ દીવેટિયાનો સમૃદ્ધ સંગીત વારસો મેળવ-નાર એમના પુત્ર માલવ દીવેટિયાએ આ ગીતનું હૃદયસ્પર્શી સ્વરાંકન કર્યું છે. સંગીત ક્ષેત્રે પિતા કરતાં ઓછું કામ કરતાં માલવભાઈ ગીત સંગીતબદ્ધ કરે ત્યારે પૂરી નિષ્ઠાથી કરે. તેઓ કહે છે, "વીસેક વર્ષ પહેલાં અમદાવાદમાં અમે ‘આરોહી’ ગ્રુપ ચલાવતાં હતાં. એ વખતે સૌથી પહેલું સ્વરાંકન આ ગીતનું મેં કર્યું હતું અને અમારા જ ગ્રુપની યુવા ગાયિકા કલ્યાણી કોઠાળકર પાસે મેં ગવડાવ્યું. મેઘબિંદુએ એમનો કાવ્યસંગ્રહ મને ભેટ આપ્યો હતો જેમાં પહેલું જ ગીત આ હતું, જે મને એટલું બધું ગમી ગયું કે એ પછીનાં ગીતો મેં વાંચ્યાં જ નહીં અને આ ગીત કમ્પોઝ કરી દીધું. ગીતની એરેન્જમેન્ટ કરનાર સૌમિલ મુન્શી કહે છે, "ગીતનું હાર્મની સ્ટ્રક્ચર એવું સરસ છે કે કવિ-સંગીતકાર અને ગાયક જાણે એકબીજાનાં પૂરક હોય એવું જ લાગે. કલમની સ્યાહીમાંથી સ્મરણ ઢોળાય, આંસુ છલકાય અને નામનું સંબોધન કરતાં જ અટકી જવાય. કાગળ તો રણ જેવો કોરોકટ પણ પ્રિયજનના નામનો પહેલો અક્ષર પડતાં જ ઝરણ બની જાય. રાગ મધુવંતીની છાંટ ધરાવતા આ ગીતમાં તીવ્ર મધ્યમ, કોમળ ગાંધાર સાથે શુદ્ધ ગાંધારનો એકમાત્ર કોર્ડ ચમત્કૃતિ સર્જે છે. એ એટલો સહજતાથી આવે છે કે એ સ્વરાંકનની કમાલ બની રહે છે. ગીતનો મ્યુઝિકલ ગ્રાફ સરસ છે.

આ બન્ને ગીતો યુટ્યુબ પર સાંભળી શકશો. ગીત ભલે વિષાદનાં હોય પરંતુ, એ સાંભળીને જરૂર હળવાશ અનુભવશો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 28 નવેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=604653

Loading

...102030...2,6102,6112,6122,613...2,6202,6302,640...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved