Opinion Magazine
Number of visits: 9763255
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટ્રમ્પ-મોદીની દોસ્તીઃ સ્વાર્થનાં સગપણમાં કરોડો ખર્ચીને કેટલું મળે છે એ જોવાનો પ્રયાસ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 February 2020

ટ્રેડ ડીલ, ચીન-પાકિસ્તાનને સંદેશો વગેરે આ મુલાકાતનાં સીધાં અને આડકતરાં પરિણામો છે પણ અંતે કોના હાથમાં કેટલું આવે છે એ તો વખત આવ્યે ખબર પડશે.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની પૉપ્યુલારિટી અત્યારે ૪૯ ટકા અપ્રુવલ રેટિંગ સાથે સૌથી વધુ છે, ઇમ્પિચમેન્ટવાળી વાત હવે જૂની થઇ ગઇ છે તો રિપબ્લિકન્સ એની સાથે છે અને ડેમોક્રેટ્સની તરફે બધું અવ્યવસ્થિત છે. અમેરિકાની આવી રહેલી ચૂંટણીમાં ટ્રમ્પ આશાસ્પદ ઉમેદવાર મોખરે છે, ત્યારે તે ભારતની મુલાકાતે આવે એ વ્યૂહાત્મક રીતે બહુ મોટી વાત છે. એક આખો વર્ગ જબદરદસ્ત ખુશ છે કે અમેરિકા જેવા શક્તિશાળી રાષ્ટ્રના વડા છેક અમદાવાદ સુધી લાંબા થશે અને સ્ટેડિયમનાં ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. તેમના આવવાનાં માનમાં ઝૂંપડપટ્ટીઓ દેખાય નહીં એવી દિવાલ તો ખડી કરાઇ જ રહી છે પણ ટોળાં ભેગાં કરવાની પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા તેને ચાર વર્ષ પૂરા થવામાં છે અને એ આગલી ટર્મની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. જો કોઇને ય એવી ખાંડ ખાવી હોય કે એ તો મોદી સાથે બહુ જ પાક્કી દોસ્તી છે એમાં એ અહીંયા પધારી રહ્યા છે તો તમારે વૈશ્વિક રાજકારણનાં જ્ઞાનની ધાર કાઢવાની જરૂર છે. આ કવાયત અમેરિકામાં મોટી સંખ્યામાં વસતા ગુજરાતીઓને ખુશ કરવા માટે છે. આમ તો ત્યાં રહેતા ગુજરાતીઓ ડેમોક્રેટ્સની તરફેણ કરનારા હોય છે અને માટે જ રિપબ્લિકન પાર્ટીનાં સેકન્ડ ટાઇમ કેન્ડિડેટ ટ્રમ્પ માટે ગુજરાતીઓને રિઝવવા બહુ જરૂરી છે. આ આખી કસરતનું પહેલું પગલું ટૅક્સાસમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ભરવામાં આવ્યું હતું. મોદીએ ત્યાં આવેલા બધા ગુજરાતીઓને ટ્રમ્પને વોટ આપવાની અપીલ કરી હતી.

મોદી અને ટ્રમ્પ એકબીજાના પાક્કા મિત્ર હોવાનું જે પ્રદર્શન કરતા આવ્યા છે તેનું પણ આ કાર્યક્રમમાં પુનરાવર્તન થશે. ૨૦૧૯માં તેઓ ચાર વાર મળ્યા. મોદીનાં હાઉડી મોદી કાર્યક્રમમાં પ૦ હજાર ભારતીય અમેરિકન્સ હતા તો મોદીએ ટ્રમ્પને સામે વચન આપ્યું છે કે તેમનું આગમન થશે ત્યારે એરપોર્ટથી સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમ સુધીના રસ્તે ૫૦ લાખ માણસોનું મહેરામણ એકઠું થયું હશે. સવા લાખ લોકોની હાજરીમાં ‘કેમ છો ટ્રમ્પ’નો કાર્યક્રમ થશે. વળી બંન્ને રાષ્ટ્રો વચ્ચે ટ્રેડ ડીલની પૉલિસીની ચર્ચા પણ થશે.

ટ્રમ્પનો પ્રવાસ દેખીતી રીતે ભવ્ય હશે. આ ટ્રીપમાં સંદેશો ચીન અને પાકિસ્તાનને માટે પણ હશે તો એન.આર.જી.ઝ માટે પણ હશે. ભારત અને અમેરિકાનાં સંબંધો મજબૂત થાય તે વૈશ્વિક સ્તરે ઘણી બાબતોને અસર કરશે. દિવસે દિવસે વધુ આક્રમક બની રહેલા ચીન સાથે એક યોગ્ય સંતુલન સાધવા, પૂર્વીય એશિયામાં નિયમાધિન વ્યવસ્થા લાગુ કરવા તો અમેરિકા – યુ.એસ.એ.નાં સંબંધો અગત્યનાં છે જ પણ ટ્રમ્પે જે રીતે ઇસ્લામાબાદને આતંકીઓ પાળવા બદલ આડા હાથે લીધું છે તે આપણી કેન્દ્ર સરકારને ગોઠ્યું છે કારણ કે અમેરિકા પાકિસ્તાનનો કાન આમળે એ માટે દાયકાથી પ્રયાસ થઇ રહ્યા હતા. ઇરાન સિવાયની ઘણી બાબતે ભારત અને અમેરિકા એક સમાન દૃષ્ટિકોણ ધરાવે છે. ઇરાનને મામલે અમેરિકાને એવી અપેક્ષા છે કે ભારત મધ્યસ્થી તરીકે ઇરાનને ન્યુક્લિયર ડીલને મામલે પુનઃ ચર્ચા કરવા તૈયાર કરે.

અમેરિકન પ્રમુખોની ભારત મુલાકાત

૧૯૫૯માં ભારતની મુલાકાત લેનારા સૌથી પહેલાં અમેરિકન પ્રેસિડન્ટ ડ્વાઇટ આઇઝનહોવર હતા. તેમણે રામલીલા મેદાનમાં લોકોને સંબોધ્યા હતા અને તાજ મહેલની મુલાકાત લઇને નાનપણનું સપનું પૂરું કર્યુ હતું. ખુલ્લી કેડિલાકમાં પંડિત નેહરુ સાથે જઇ રહેલા પ્રમુખને જોઇ ટોળાંઓએ લોંગ લીવ ઇન્ડો-યુ.એસ. ફ્રેન્ડશીપ તથા પંડિત નેહરુ કી જયના નારા લગાવ્યા હતા. ત્યાર બાદ ઇંદિરા ગાંધીની સરકાર હતી ત્યારે ૧૯૬૯માં રિચર્ડ નિક્સન અને પૅટ નિક્સન ભારત આવ્યાં. જો કે આ મુલાકાત સૌથી ટૂંકી હતી, તેઓ દિલ્હીમાં માત્ર ૨૨ કલાક માટે જ હતા. ઇંદિરા અને નિક્સન વચ્ચેની તંગદીલીની અસર ૧૯૭૧ પછીનાં યુદ્ધમાં વધી હતી. એ વર્ષ કૉન્ગ્રેસ માટે મુશ્કેલ હતું અને ત્યારે કૉન્ગ્રેસનાં બે ભાગલા પડ્યા હતા. ૧૯૭૮માં જીમી અને રોઝેલિન કાર્ટર ત્રણ દિવસ માટે ભારત આવ્યા. ત્યારે મોરારજી દેસાઇની સરકાર હતી. ૧૯૭૧નાં યુદ્ધ અને ૧૯૭૪નાં ન્યુક્લિયર પરિક્ષણ પછી ઇન્ડો-યુ.એસ. સંબંધોને બહેતર બનાવવાના આશયથી આ મુલાકાત થઇ હતી. દૌલતપુર નસીરાબાદનાં ગ્રામ્યજનોએ આપેલી શાલ કાર્ટરે ઓઢી હતી અને ત્યાર બાદ એ ગામનું નામ કાર્ટરપુરી કરવામાં આવ્યું હતું. કાર્ટરે ગામડાંને ટી.વી. સેટ ભેટ આપ્યો હતો અને ભંડોળનું વચન આપ્યું હતું. આ પછી ૨૦૦૦ની સાલમાં બિલ ક્લિન્ટન પોતાની બીજી ટર્મનાં છેલ્લા હિસ્સામાં ભારત આવ્યા. સાથે તેમની દીકરી ચેલ્સીઆ પણ આવી હતી. ક્લિન્ટને દિલ્હી ઉપરાંત આગ્રા, જયપુર, હૈદરાબાદ અને મુંબઇની મુલાકાત લીધી હતી. પાંચ દિવસનો આ પ્રવાસ આ પહેલાં આવેલા તમામ યુ.એસ. પ્રમુખો કરતાં લાંબો હતો. મોનિકા લ્યુએન્સ્કીનાં કૌભાંડ છતાં ક્લિન્ટનનો પ્રભાવ ભારતમાં કોઇ સ્ટારથી કમ નહોતો. ક્લિન્ટને પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો જ્યારે તેણે પાકિસ્તાનમાં માત્ર પાંચ કલાક પસાર કર્યા.

૨૦૦૬માં જ્યોર્જ ડબલ્યુ બુશ ભારત આવ્યા. તેમણે ભારતમાં ૬૦ કલાક વિતાવ્યા. નિક્સન પછી કોઇની મુલાકાત ટૂંકી હોય તો તે બુશની હતી. બુશના ભારત આવવા સામે કોમ્યુનિસ્ટ પક્ષોને વાંધો હોવાથી બુશે ન્યુ દિલ્હીના પુરાના કિલ્લામાં ચુનિંદા લોકોને જ સંબોધ્યા. બરાક ઓબામાં ભારત બે વાર આવ્યા છે. ૨૦૧૦ અને ૨૦૧૫માં ભારત આવેલા ઓબામાએ ૨૦૧૦માં મુંબઇ અને દિલ્હીની મુલાકાત લીધી. તેઓ ૨૬/૧૧નાં સર્વાઇવર્સને મળ્યા અને મુંબઇની ઝેવિયર્સ કૉલેજનાં વિદ્યાર્થીઓ તથા એન.જી.ઓ.નાં બાળકોને પણ મળ્યા. આ યુગલે મન મૂકીને લોકો સાથે વાતો કરી અને મિશેલ ઓબામાએ તો નૃત્ય પણ કર્યું અને સૌનાં મન જીતી લીધાં. ૨૦૧૫માં મોદી વડાપ્રધાન બન્યા પછી ઓબામા ભારત આવ્યા અને તે ભારતના પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લેનારા પહેલા અમેરિકન પ્રમુખ છે.

વ્યાપારી સોદાની વાત કરીએ તો ટ્રમ્પ ભારત પહોંચે તે પહેલાં ભારતીય નેવી માટે ૨.૭ બિલિયન ડૉલર્સનાં ચોવીસ એમ.એચ.૬૦-આર.સી. – હૉક હેલીકોપ્ટર્સ ખરીદવાની તજવીજ ચાલી રહી છે. વળી ૧.૮૬૭ બિલિયન ડૉલર્સની ઇન્ટિગ્રેટેડે એર ડિફેન્સ સિસ્ટમ ખરીદાય તેવી વકી પણ છે. જો કે ૨૦૦૭માં ભારતે અમેરિકા પાસેથી ૧૭ બિલિયન ડૉલર્સનાં સુરક્ષા સંસાધનો ખરીદ્યાં છે છતાં પણ આ બધું ટ્રમ્પ સાથે સારાસારી રાખવા કરાશે. ટ્રમ્પ સરકારનાં અધિકારીઓને ફરિયાદ હતી કે તેમની સરકાર દરમિયાન કોઇ મોટી ડીલ નથી કરાઇ. ટ્રમ્પનું સંરક્ષણ વાદી વલણ અને વળતર અંગેની કડક નીતિઓના સાણસાથી ભારત આમે ય ખુદને બચાવી શકે તેમ નથી. આ સંજોગોમાં  ભારત અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વ્યાપારી સોદો કરાશે જેથી બંન્ને દેશો વચ્ચે સંરક્ષણ અને સુરક્ષાને મામલે જે ભૌગોલિક રાજનીતિઓ ખેલાવી જોઇએ, ચર્ચાવી જોઇએ તેની અસ્પષ્ટતા બને એટલી ઓછી થાય.

આ બધું હકારાત્મક છે અને બંન્ને દેશો માટે ‘વિન વિન’ની સ્થિતિ ખડી કરશે તેવું વિચારવાની દિશામાં લઇ જાય તેવું લાગે તો છે પણ છતાં ય બંન્ને દેશોની સ્થાનિક નીતિઓમાં જે ભેદ છે તે આ દ્વિ-પક્ષીય બાબતોને એટલી આસાન નહીં બનાવે જેટલી તે હોવી જોઇએ. કાશ્મીર, એન.આર.સી., કેબ જેવા મુદ્દાઓને કારણે અમેરિકાનાં હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ્સનાં કેટલાક સેનેટર્સ અને કાયદા ઘડનારા કેટલાક અગ્રણીઓનો ભારત તરફનો દૃષ્ટિકોણ બદલાયો છે અને તે હકારાત્મક નથી. આમાંથી ઘણાએ એવો અવાજ ઉઠાવ્યો છે કે આ પ્રકારનાં પગલાંને કારણે ભારત એક સહિષ્ણુ અને બહુમતીવાદી લોકશાહી રાષ્ટ્રની પોતાની ઓળખાણ નહીં જાળવી શકે. હવે આવું હોય તેમાં અમેરિકામાં આવનારી ચૂંટણીને પગલે કોઇ ડેમોક્રેટ ચૂંટાઇને અમેરિકાના પ્રેસિડન્ટ બનશે તો ભારતની બધી યોજનાઓ પર મોદી ધારે છે એવી તો અસર નહીં જ પડે. જો ટ્રમ્પ જ ફરી ઓવલ ઑફિસ સંભાળે તો ય ભારત સાથેની આ મૈત્રી અંગે અમેરિકન કૉન્ગ્રેસનું વિરોધી વલણ આ બધી દ્વિ-પક્ષીય ડીલ્સ પર પ્રભાવ પાડશે જ. મોદી સાથેની દોસ્તી સાચવવા ટ્રમ્પ ઘરનાં માણસોની સાથે વેર ન બાંધી શકે. મોદી અને ટ્રમ્પને ગમે તેટલી ભાઇબંધી હોય પણ વ્યૂહાત્મક યોજનાઓનો આધાર આ ભાઇબંધી માત્ર ન હોઇ શકે. ટ્રમ્પે અમેરિકન મીડિયામાં કરેલા એક વિધાન અનુસાર જો ‘રાઇટ ડીલ’ હશે તો ટ્રેડ ડીલ થશે.

બન્ને દેશોની બાયલેટરલ ઇનવેસ્ટમેન્ટ ટ્રીટી એકબીજાથી ઘણી અલગ છે એટલે કોઇ એક પોઇન્ટ પર સંમત થવા માટે પણ ખાસ્સો સમય લાગે. આ ઉપરાંત યુ.એસ.એ.ની મુક્ત ઇન્ડો-પેસિફિક સ્ટ્રટેજી, યુ.એસ.-ઇરાનનાં સંબંધો, યુ.એસ.એ.ની માંગ કે ભારત તેનાં સ્થાનિક બજાર પરનાં સુરક્ષાલક્ષી બંધનો ઉઠાવી લે, ભારતની ઇચ્છા એવી કે યુ.એ.સનાં વ્યાપાર અને રોકાણનો લાભ ભારતનાં ઉચ્ચ શિક્ષિત ઇમિગ્રન્ટ્સને મળે, ચીનને નાથવાનો કોઇ રસ્તો જડે, ક્લાઇમેટ ચેન્જ માટે ટેક્નોલોજીનો બહેતર ઉપયોગ કરવાના ઉપાયો પર કામ થાય વગેરે આ બન્ને રાષ્ટ્રોનાં વિશ લિસ્ટમાં રહેલી બાબતો છે. યુ.એસ.એ.ને ટેક્નોલોજી, કૃષિ અને ડેરી ઉત્પાદનો માટે વધુ મોટું બજાર મળે તેમાં રસ છે. ભારતની મેડિકલ ડિવાઇસિઝને લગતી નીતિ અને ડેટા લોકલાઇઝેશન અને ઇ-કોમર્સનાં ભારતનાં પ્રસ્તાવને યુ.એસ.એ. પાછો ઠેલ્યો છે.

વાટાઘાટો ક્યાં આવીને અટકે છે એ તો વખત આવ્યે જ ખબર પડશે. પરંતુ એ સ્પષ્ટ છે કે બન્ને રાષ્ટ્રોને એકબીજા પાસેથી કંઇક જોઇએ છે. જેની ગરજ વધારે હશે તેનો હાથ વધુ દબાશે અને તેને જ જતું કરવાનું આવશે.

બાય ધી વેઃ

મોદી અને ટ્રમ્પમાં આમ તો કંઇ બહુ ફેર નથી. તેમનો કટ્ટરવાદ, સત્તાભૂખ, મનફાવે એમ બોલવાની આદત બધામાં ઘણી સામ્યતાઓ છે. તેમને લોકશાહીમાં નહીં પણ આપખુદશાહીમાં રસ છે. ભારત અને અમેરિકાના સંબંધો તંગ દોરડાં પર ચાલવા જેવા રહ્યા છે, કોણ કેટલી ઢીલ મુકે છે અને કેટલો હાથ ઝાલે છે તે જે તે સમયના પ્રમુખોની વિચારધારાને આધિન રહ્યું છે. સ્વાર્થ જોનારા પ્રમુખ હોય ત્યારે આ દોરડું તંગ થાય છે કે પછી વાતોનાં વડાં પછી ઠેરનું ઠેર રહે છે એ ૨૦૨૦માં જોવાનું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2020 

Loading

‘કથા જ્યોતિ કી હૈ અન્ધો કે માધ્યમ સે’

આશિષ ઉપેન્દ્ર મહેતા|Opinion - Opinion|17 February 2020

અમદાવાદમાં ઉત્તમ કોટિનાં નાટકો ઓછાં મળે, માટે જે મળે તે દશકાઓ સુધી યાદ રહે. ૧૯૮૬-૮૭ના અરસામાં અમદાવાદમાં હઠીસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના ઉપક્રમે ધર્મવીર ભારતી લિખિત ‘અન્ધા યુગ’(મૂળ હિન્દી)નું દસેક દિવસ સુધી મંચન થયું હતું. નિર્દેશક હતા યોગેશ ઠક્કર અને કિરણ જોષી. આજે જ્યાં હુસૈન-દોશી ગુફા કે કનોરિયા સેન્ટર ફોર આટ્‌ર્સ છે તે પરિસરની ઝાડીઓ કુરુક્ષેત્ર બની હતી, અને મહાભારતના યુદ્ધના છેલ્લી સાંજ-રાતની ઘટનાઓ ફરી ઘટી હતી.

આઝાદી પછીના ભારતનાં ચાર-પાંચ શ્રેષ્ઠ નાટકોમાંનું આ એક છે. ભારતી ‘ધર્મયુગ’ના સંપાદક તરીકે પત્રકાર તો પહેલી હરોળના હતા જ, ઉપરાંત નવલકથા (‘સૂરજ કા સાતવાં ઘોડા’), કવિતા અને નાટકમાં પણ તેમણે ભારે પ્રદાન કર્યું. આ નાટક મહાભારતના યુદ્ધના અંતિમ સાંજે-રાત્રે – જ્યારે દ્વાપરયુગ પૂરો થયો અને કલિયુગ શરૂ થયો તે વિલક્ષણ ઘડીએ – બનતી ઘટનાઓ રજૂ કરે છે. તેમણે ૧૯૫૪માં લખેલી આ કૃતિ પર વિભાજનના લોહિયાળ પડછાયાઓ સુસ્પષ્ટ છે. સપાટી પર તો યુદ્ધની વિભીષિકાની વાત છે, કૌરવ-પાંડવ બંને પક્ષે શું કિંમત ચૂકવી તે દર્શાવ્યું છે. પણ ઊંડે ઊંડે કલિયુગી સમાજના સમસ્યાઓ ચીતરી છે. મુખ્ય પાત્રોમાં અશ્વત્થામા અને ગાંધારી છે, એટલે કૌરવના દૃષ્ટિકોણથી મહાભારત જોવાનો પ્રયાસ એમ પણ લાગે, પરંતુ આ બે પાત્રો જે પ્રશ્નો સાથે ઝઝૂમી રહ્યા છે તે પ્રશ્નો સૌના છે. સત્ય ક્યાં પૂરું થાય છે અને ક્યાંથી નરો-વા-કુંજરો-વા-ના અર્ધસત્યની સીમા શરૂ થાય છે? કૌરવ હોવા છતાં પાંડવ પક્ષે યુદ્ધ લડીને, ધર્મ સાથે ઊભા રહીને યુયુત્સુએ અંદરોઅંદર ખલાસ થઈ જવામાંથી જાતને બચાવી, પણ જ્યારે માતાના મોંઢે અભિશાપ સાંભળવા પડ્યા ત્યારે એને દોષભાવ કનડે છે. બધાં પાત્રો એક પલ્લામાં ક્રોધ-ઘૃણા અને બીજામાં ક્ષમા-અહિંસા વચ્ચે સંતુલન સાધવા મથે છે, પણ હજુ રણભૂમિમાં મૃતદેહો પડ્યા છે, અને એક પલ્લું બહુ ભારે છે.

સૂત્રધાર તરીકે અરવિંદ વૈદ્ય અને ગાંધારીની ભૂમિકામાં ડાયના રાવલનું કામ આજે પણ એટલું જ તાજું છે. પણ વૃદ્ધ યાચક તરીકે કિરણ જોષી અને અર્ધસત્યથી મરાયેલા પિતાના પ્રતિશોધની આગમાં બળતા અશ્વત્થામાની મુખ્ય ભૂમિકામાં યોગેશ ઠક્કરે એટલી ઊંચાઈ હાંસલ કરી બતાવેલી જે આ મહાન નાટકના કોઈ પણ મંચનમાં કદાચ કોઈએ અતિક્રમી નહિ હોય. આજે પટકથાલેખક તરીકે વિખ્યાત અભિજાત જોષી એ વખતે વિદ્યાર્થી અવસ્થામાં આ પરફૉર્મન્સથી એવા અભિભૂત હતા કે, વિજયનગર ઘરેથી સાયકલ સવારી શરૂ થાય અને સ્કૂલ ઑફ આર્કિટેક્ચર કેમ્પસમાં હઠીસિંહ સેન્ટર સુધી પહોંચે ત્યાં સુધી ‘અન્ધા યુગ’ પહેલા પાનાથી શરૂ કરીને મુક્ત કંઠે એ બોલતા કે ગાતા જાયઃ

જિસ યુગ કા વર્ણન ઈસ કૃતિ મેં હૈં
ઉસકે વિષય મેં વિષ્ણુ-પુરાણમેં કહા હૈઃ
ઉસ ભવિષ્ય મેં
ધર્મ-અર્થ હ્રાસોન્મુખ હોંગે
ક્ષય હોગા ધીરે ધીરે સારી ધરતી કા.
સત્તા હોગી ઉનકી
જિનકી પૂંજી હોગી.
જિનકે નકલી ચહરે હોંગે
કેવલ ઉન્હે મહત્ત્વ મિલેગા.
રાજશક્તિયાં લોલુપ હોગી,
જનતા ઉનસે પીડિત હોકર,
ગહન ગુફાઓમેં છિપ છિપ કર દિન કાટેંગી
(ગહન ગુફાએં – વે સચમુચ કી યા અપને કુંઠિત અંતર કી)
યુદ્ધોપરાન્ત,
યહ અન્ધા યુગ અવતરિત હુઆ
જિસમે સ્થિતિયાં, મનોવૃત્તિયાં, આત્માએ સબ વિકૃત હૈ
હૈ એક બહુત પતલી ડોરી મર્યાદા કી
પર વહ ભી ઉલઝી હુઈ હૈ દોનોં હી પક્ષોં મેં
સિર્ફ કૃષ્ણમેં સાહસ હૈ સુલઝાને કા
વહ હૈ ભવિષ્ય કા રક્ષક, વહ હૈ અનાસક્ત
પર શેષ અધિકતર હૈ અન્ધે
પથભ્રષ્ટ, આત્મહારા, વિગલિત
અપને અન્તર કી અન્ધગુફાઓં કે વાસી
યહ કથા ઉન્હી અન્ધો કી હૈ
યા કથા જ્યોતિ કી હૈ અન્ધો કે માધ્યમ સે.

પછી તો ફરી આ નાટકનાં દર્શન છેક ૨૦૧૧માં થયા. દિલ્હીમાં શીલા દીક્ષિતે કલા-સંસ્કૃતિ વિભાગને ઘણો ધમધમતો રાખેલો, તેમાં જયપુરના ભાનુ ભારતીએ આ નાટક રજૂ કરેલું. રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય(નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, એન.એસ.ડી.)ના ખેરખાંઓ તેમાં ભાગ ભજવે. ગાંધારી આકાશ ભણી જોઈને પોતાના પુત્રોની હત્યા માટે કૃષ્ણ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે, શાપ આપે છે, પણ જ્યારે કૃષ્ણ શાપ માથે ચડાવે છે, ત્યારે પસ્તાઈને કહે છે કે તેં મારા શાપનો અસ્વીકાર કેમ ન કર્યો. કૃષ્ણ મૃદુ સ્વરે (આકાશવાણીથી, નેપથ્યમાંથી) ઉત્તર આપે છે :

ઐસા મત કહો માતા!
જબ તક મૈં જીવિત હું
પુત્રહીના નહિ હો તુમ
પ્રભુ હૂં યા પરાત્પર
પર પુત્ર હું તુમ્હારા
તુમ માતા હો

આ સંવાદ ઓમ પુરીના અવાજમાં સાંભળ્યાને યાદ કરતાં આજે પણ આંખમાં પાણી આવી જાય. ગોવિન્દ નામદેવ, ઝાકીર હુસૈન વગેરે સાથે તિકમ જોષી પણ બળુકો અભિનેતા છે, પણ એક વાર યોગેશ ઠક્કરને અશ્વાત્થામા તરીકે જોયા પછી, બીજા કોઈ બેસે નહિ (એ વ્યવસાયે ત્યારે પણ અને અત્યારે વકીલ છે એ જાણીએ ત્યારે અશ્વત્થામા વકીલની ભૂમિકામાં કેવા દેખાતા હશે એમ વિચાર આવે). તિકમ જોષી વળી હાઈટ-બોડીમાં પણ જરા અશ્વત્થામાની પોકેટ એડિશન જેવા લાગે. છતાં, મુખ્ય વાત હતી એ કે, ભાનુ ભારતીએ મંચન માટે ફિરોઝશાહ કોટલાના વેરાન, સૂમસામ ખંડેરો પસંદ કરેલા. એક તરફ કોટલા ક્રિકેટ ગ્રાઉન્ડ અને બીજી તરફ જૂના ઈન્ડિયન એક્સપ્રેસ-જનસત્તાથી શરૂ થઈને પ્રેસ સ્ટ્રીટ, પાછળ કબ્રસ્તાન અને ખાંચમાંથી આવે સલ્તનત કાળની આ જગ્યા, જ્યાં લોકો આજે પણ એ જિનને પૂજવા દીવાબત્તી કરે છે જે જિને દિલ્લીને અનેકવાર પડતી થયા પછી પણ ઇતિહાસમાં ગુમ થવા દીધું નથી.

ફિરોઝશાહ કોટલાની પસંદગીનો પણ ઈતિહાસ છે. એન.એસ.ડી.ના પિતામહ જેવા ઈબ્રાહિમ અલ્કાઝીએ ૧૯૬૩માં પુરાણા કિલ્લા અને કોટલા પર ખૂલ્લામાં કુરુક્ષેત્ર ઊભું કરેલું.તે ભારતીય રંગમંચની તવારીખમાં વિશિષ્ટ ઘટના તરીકે યાદ કરાય છે. ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ એ મંચન જોવા આવ્યા હતા. અલ્કાઝીને ખુલ્લા મંચનો વિચાર ક્યાંથી આવ્યો હશે? ધર્મવીર ભારતીએ લેખકની નોંધમાં જ લખેલું કે, “મંચનું વિધાન થોડું બદલીને આને ખુલ્લા મંચ પર લોકનાટ્યમાં પણ પરિવર્તિત કરી શકાય છે.” અલ્કાઝીની પહેલાં એ જ પંગતના મહારથી સત્યદેવ દુબેએ પણ આ નાટક ભજવેલું, પણ ક્યાં અને કેવી રીતે તેની માહિતી નથી. અમદાવાદમાં પણ ઠક્કર-જોષીએ ખુલ્લા મંચની પ્રણાલિ ચાલુ રાખી.

આ નાટકની ત્રીજી આવૃત્તિ હમણાં જોવા મળી – ગુજરાતીમાં. એન.એસ.ડી. દર વર્ષે ‘ભારત રંગ મહોત્સવ’નું આયોજન કરે છે, તે નાટકો માટે દેશનો સૌથી વધુ સમ્માનિત કાર્યક્રમ ગણાય છે. આ વર્ષે પહેલીથી ૨૧મી ફેબ્રુઆરી દરમિયાન સંખ્યાબંધ ભાષાઓના અનેક નાટકોમાં ગુજરાતીમાં બે છેઃ ‘અન્ધા યુગ’ સાતમીએ ભજવાયું અને ‘બંજારા (ભવાઈ)’ ૧૪મીએ. ખુલ્લામાં નહિ, પણ શ્રીરામ કલા કેન્દ્રના નાટ્યગૃહમાં. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નાટ્યકલા વિભાગે તેની રજૂઆત કરી. સુધીર કુલકર્ણીના ગુજરાતી રૂપાન્તર પરથી નિર્દેશન ચવાણ પ્રમોદ આર.નું હતું. તેમણે ભાષા બદલવાની સાથેસાથે ઘણું બદલ્યું છે, અને ક્યાંક ગુજરાતી પરિવેશ તો ક્યાંક આંતરરાષ્ટ્રીય કે સમકાલીન સંદર્ભો ઉમેર્યા છે. અમુક રીતે અનુઆધુનિક (પોસ્ટમૉડર્ન) સ્પર્શ પણ છે. રંગકલાના મહારથીઓએ જે કૃતિને પ્રણાલિગત ઢબે જ રજૂ કરી છે, તેમાં ખાસ્સા ધરમૂળના ફેરફાર કરીને રજૂ કરવાના અભિગમ માટે પ્રમોદને દાદ આપવી પડે. તેમાં કૃતિ સાથે છેડછાડનો સવાલ નથી, બલકે, તેમાં મૂળ પાઠનાં ઓછા ઉજાગર થયેલાં પાસાં સારી પેઠે ઉપસીને બહાર પણ આવે છે. ધર્મવીર ભારતીએ તો આવી રચનાત્મક છેડછાડને સામેથી આમંત્રણ આપેલું જ હતું, જેમ કે, ‘અધિક કલ્પનાશીલ નિર્દેશક ઈસકે રંગમંચ કો પ્રતીકાત્મક ભી બના સકતે હૈ.’

ફેરફારોનું એક પાસું ભાષાના સ્તરે છે. એકસમાન કાવ્ય શૈલીમાં સંસ્કૃતપ્રચુર સંવાદોના સ્થાને ગુજરાતીમાં વિવિધ બોલીઓ આવે છે, બે સ્થળે અંગ્રેજી અમેરિકી લઢણ સાથે પણ આવે છે. તેમાં ગામઠી બોલી બોલતાં પાત્રો વચ્ચે ‘સહિષ્ણુતા’ જેવા શબ્દો વાપરે ત્યારે ખૂંચે પણ ખરું, પણ એકંદરે ભાષાની મજા આવે. બીજો ફેરફાર વેશભૂષામાં, ડગલાથી લઈને ટ્રેકસુટ સુધીના. ત્રીજો ફરક પાત્રોમાં, વૃંદમાં રંગલો-રંગલી દેખા દે, અને મૂળ નાટકમાં જે લોકનાટ્યનો ભાવ હતો તે બહાર લાવે. ચોથો ફરક સંગીતમાં, જેમાં વાંસળીના સૂરની સાથે ક્યારેક પાશ્ચાત્ય અસરની લોકપ્રિય શૈલી પણ સંભળાય. અંધત્વના સંકેત માટે કાળાં ચશ્માં, વ્હીલચેર, ચીચૂડો ઈત્યાદિ સામગ્રી મહાભારતના યુદ્ધની અઢારમી રાતને લંબાવીને આપણા સમય સુધી લઈ આવે છે. અશ્વત્થામા ઉત્તરાના ગર્ભ પર બ્રહ્માસ્ત્ર ફેંકે છે ત્યારે વ્યાસ કહે છે, ‘યહ ક્યા કિયા? અશ્વત્થામા, નરાધમ! યહ ક્યા કિયા?’ તેના સ્થાને સંયુક્ત રાષ્ટ્રનું ચિહ્ન લઈને આવેલા સુટબુટધારી અધિકારીઓ પૂછે છે, ‘વોટ હેવ યુ ડન, અશ્વાત્થામા?’ તેમાં આજની મહાસત્તાઓનાં વિશ્વનિકંદન કરી શકતાં શસ્ત્રો ઈંગિત છે. નૃત્યનાટિકાનો પણ ભાવ છે, ગુજરાતી ગરબા (‘ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર …’) અને હેલા સાથે. મૂળ નાટકનું સૌથી વધુ નોંધપાત્ર પાસું છે સંવાદો, જે અહીં મોટા ભાગે સંગીત અને નૃત્ય નીચે દબાઈ જાય છે.

આમ તો આ નાટકની અન્ય આવૃત્તિઓ જોયા પછી આવાં પરિવર્તનો ખૂંચે, અને પ્રેક્ષકનો અનુભવ ઘણો ડિસઓરિએન્ટિંગ રહે. પણ ઘણા ઠેકાણે પ્રયોગના ફાયદા પણ છે. ગાંધારીની ભૂમિકા ભજવતી પાંચ સ્ત્રીઓ દેહથી કપાયેલાં બબ્બે માથાં લઈને ત્રણચાર મિનિટ સુધી બીજું કાંઈ નહિ ને માત્ર ઊંચે જતા સૂરે ચિચિયારીઓ કરતી રહે છે, તે દૃશ્ય કોઈ પણ પ્રેક્ષકને હચમચાવીને યુદ્ધની કારુણિકાનું ભાન કરાવી રહે છે. શબ્દોની ભાષાનો અનુવાદ રંગો, પ્રકાશ, માનવદેહ અને નૃત્યના શબ્દાવલિથી કરવાનો પ્રયાસ ઘણે અંશે સફળ થાય છે. નાટકનું નામ જાણ્યા વગર, એટલે કે ધર્મવીર ભારતીની કાલજયી કૃતિ હોવા અંગેની પૂર્વધારણાઓ બાજુએ મૂકીને અને નવીન રચના તરીકે જ, આ ‘અન્ધા યુગ’ જુઓ, તો અનેક સ્તરે આનંદનો અનુભવ છે.

નિર્દેશકની નોંધમાં પણ એવા જ અભિગમનો ઈશારો છે. પ્રમોદ લખે છે, “આ મંચન પ્રણાલિગત માળખાને વળગી રહેવાના બદલે માત્ર નાટકના થિમેટિક કન્ટેન્ટ પર જ ફોકસ કરે છે. તે સ્થળ-કાળની મર્યાદાઓ ઓળંગીને આગળ જોવાનો પ્રયાસ કરે છે … અહીં ઉપસ્થિત થતા પ્રશ્નો છે માનવીની સહનશક્તિ અને યુદ્ધની યાતના વિશે છે, જેનો ભોગ સ્ત્રીઓ, બાળકો અને યુવાનો બનતા હોય છે. ‘ક્યારે વિશ્વમાં શાંતિ થશે’ તે શોધ છે.” એ પછી જરા ભાર આપીને ઉમેર્યું છે કે, “વિવિધ સિસ્ટમો એક પ્રદેશને અને તેના રહેવાસીઓને કેવી રીતે અશાંતિ અને રાજકીય ધમાચકડી તરફ ખેંચી જાય છે – જેમાં માત્ર સામાન્ય પ્રજાનો જ ભોગ લેવાતો હોય છે – તે અંગેની મારી સમજ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે.” એ દિશામાં વધુ સ્પષ્ટ સંકેતો પણ ઉમેરી શકાયા હોત, જ્યારે દિલ્હીની સડકોના મંચ પર એ જ મુદ્દાઓ ભજવાઈ રહ્યા છે, પણ એ તો વધુ અર્થઘટનની વાત થઈ. સમજદાર માટે પ્રમોદનો આટલો ઈશારો પણ કાફી છે.

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, ૧૬ ફેબ્રુઆરી 2020; પૃ. 12 – 13

Loading

લોકજાગૃતિ કાજે

રજની દવે|Opinion - Opinion|17 February 2020

ભારતીય જનતા પાર્ટીએ વર્ષ ૨૦૧૯માં ફરીથી કેન્દ્રમાં સત્તાનું સુકાન સંભાળ્યું એ પછી ઘણી બધી ઊથલપાથલો શરૂ થઈ ગઈ છે. બાબરી – મસ્જિદનો ચુકાદો, કાશ્મીરમાં કલમ ૩૭૦ નાબૂદી નાગરિકતા ધારામાં સુધારો વગેરે … સમગ્ર દેશમાં આ અંગે ઘણું લખાયું, ચર્ચાઓ ચાલી, લોક-આંદોલનો પણ થયાં. આ બધાં પરિવર્તનો અંગે લોકોમાં પાયાની જાણકારી મળે તેમ જ રાષ્ટ્રીય સ્તરનાં સમાચારપત્રોમાં પણ આ અંગે શું પ્રકાશિત થઈ રહ્યું છે તે વાત સામાન્ય લોકો સુધી પહોંચે તે જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાને લેતાં હેમન્તકુમાર શાહે આ વિષયે ઝડપભેર લેખન અને અનુવાદ કાર્ય પૂર્ણ કર્યું અને ૩૦-૧-૨૦૨૦, ગુરુવાર ને ગાંધી શહીદ દિને  તે સંબંધિત પુસ્તકો લોકોનાં ચરણે ધરી શકાયાં. ત્રણ પુસ્તકોમાં

૧. કલમ – ૩૭૦ (અનુવાદ), પૃ. ૮૦, કિંમત રૂ. ૬૦

૨. નાગરિકતા અને નોંધણી CAA + NRC + NPR (અનુવાદ), પૃ. ૯૨, કિંમત રૂ. ૫૦

૩. નવો કાયદો અને નાગરિકતા CAA + NRC + NPR (લેખન), પૃ. ૧૬, કિંમત રૂ. ૧૦

ગોવર્ધનરામ સ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, શંકરસિંહ વાઘેલા અને સામાજિક કર્મશીલ તથા ‘નયામાર્ગ’ના તંત્રી ઇન્દુકુમાર જાનીના હસ્તે ત્રણેય પુસ્તકોના લોકાર્પણ કરાયાં.

આ બંને મહાનુભાવોએ પોતાનાં મંતવ્યો ટૂંકમાં રજૂ કર્યાં બાદ હેમન્તકુમારે ત્રણે તંત્રી પુસ્તકોનો ટૂંકો પરિચય આપ્યો. મહાનુભાવોની રજૂઆતમાં દેશની વર્તમાન સ્થિતિ માટેનું દર્દ અને તેમાં બદલાવ લાવવા માટેનો આક્રોશ વ્યક્ત થતો દેખાતો હતો. થોડીક ઝલક જોઈએઃ

• લોકાર્પણનો દિવસ ગાંધી શહીદ દિન ઉપરાંત વસંતપંચમીનો દિવસ પણ હતો. મનોજ ખંડેરિયાના ગઝલસંગ્રહ ‘રસ્તા વસંતના’ને યાદ કરીને કહેવામાં આવ્યું કે જેમ વસંતનાં વધામણાં કરવામાં આવે છે, તેમ આપણે વારંવાર નેતાઓના મુખે ‘અચ્છે દિન’નાં વધામણાંની વાતો સાંભળતા હતા પરંતુ એક સાથે કહેવું પડે છે, પણ ‘અચ્છે દિન’ આવ્યા કે ન બે કરોડ નોકરીઓ પેદા થઈ અને ન ખાતામાં ૧૫-૧૫ લાખ પણ જમા થયા! સાચા વિકાસની રાહ પર ચાલવાના સ્થાને દેશ કોઈ ખાઈ તરફ ફેંકાઈ રહ્યો છે. ન કરવાનાં કામો કરી રહ્યાં છે. તેમની પ્રાયોરિટી ગઝલની છે. પાછા કહે છે, આ તો અમે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું જ હતું, તે જ કરી રહ્યા છીએ.

પ્રજાને cronology સમજાવવામાં આવે છે, જેમાં લાચાર વ્યક્તિને detention centres – કેદખાનામાં ધકેલી દેવામાં આવે છે.

• દેશમાં જગ્યાએ-જગ્યાએ શાહીનબાગ ખૂલી રહ્યા છે. બહેનો ઝઝૂમી રહી છે. ભલે ગોદીમીડિયા મશ્કરી કરતું હોય, તેમની પાસેથી શીખવા જેવું છે.

• માણસને માણસ તરીકે જોવાની જરૂર છે. ન હિન્દુ, ન મુસ્લિમ, પરંતુ ‘ઇન્સાન કી ઔલાદ હૈ ઇન્સાન બનેગા’વાળી સાહિર લુધિયાનવીની વાત યાદ રાખવાની છે.

• આજે વાસ્તવિક રીતે કોઈ મુદ્દો નથી. તેને મુદ્દો બનાવવામાં આવે છે. ત્યાર બાદ ૧૦૦-૨૦૦ ગોબેલ્સ ભેગા થાય તેટલો પ્રચાર કરવામાં આવે છે. ખોટી વાતનું માર્કેટિંગ કરવામાં આવે છે.

• ખોટી રીતે રાષ્ટ્રવાદની વાત કરીને સમાજને તોડી રહ્યા છે. રાષ્ટ્રવાદ શબ્દનો સંદર્ભ સમયે-સમયે બદલાતો રહે છે.

• ઝીણા કટ્ટર મુસ્લિમ ન હતા. ત્રીજી પેઢીએ હિન્દુ હતા. કાશ્મીરમાં ગઈ કાલના પંડિતો આજે મુસ્લિમ અટક ધારણ કરવાવાળા પણ છે.

• કલમ ૩૭૦ હટાવવી એ મુસ્લિમો સામેનું કાવતરું છે.

• કેટલીક ઘટનાઓ પાછળ કાવતરાની શંકા જઈ શકે છે. કશ્મીરમાં સૈનિકોને air-liftથી લઈ જવા જોઈએ, તેવી માંગણી પણ ધ્યાન આપવામાં ન આવ્યું. બાલાકોટ હુમલામાં એક કાગડો મર્યો અને એક માણસને લાગ્યું હતું એમાં ૨૦૦ માણસ મર્યાની વાત ક્યાંથી આવી?

• દેશમાં વર્ષોથી વસ્તી-ગણતરી એક રૂટિન કામ પ્રમાણે કોઈ હોબાળા વગર થતી રહી છે.

• લોકજાગૃતિ, પ્રસાર-પ્રચાર, પુસ્તક-પ્રકાશન વગેરે સ્થિતિ બદલાવામાં થોડા મદદગાર થઈ શકે, પરંતુ તેટલું પૂરતું નથી. પ્રશ્નના પોલિટિકલ પાસાને સમજવાની જરૂર છે. સત્તાપરિવર્તન તેનો મહત્ત્વનો ઉકેલ છે. સત્તાપક્ષનાં મૂળિયાં જ્યાં ઊંડાં હોય ત્યાંથી તે ઉખાડવાં પડે. પોલિટિકલ સાયન્સને સમજીને ઉકેલ શોધવા જોઈએ. અતિ સત્તા માણસને ભ્રષ્ટ કરે છે.

• હવે પુસ્તકોની વાત કરીએ તો કલમ-૩૭૦ તથા નાગરિકતા અને નોંધણી, એમ બંને પુસ્તકોમાં તરફેણ અને વિરોધ બંને પ્રકારના લેખો છે.

કલમ ૩૭૦ : તરફેણના લેખકો  વેંકૈયા નાયડુ, રામ માધવ, સ્વપ્ન દાસગુપ્તા, રાકેશ દ્વિવેદી, અર્જુન રામ મેઘવાલ. વિરોધના લેખકો : ફૈઝાન મુસ્તુફા, પ્રતાપ ભાનુ મહેતા, અમિતાભ મત્તુ, સ્વામિનાથન, મણિશંકર ઐયર, વિવેક તનખા, વજાહત હબિબુલ્લાહ, કરણ થાપર, શૈયદ આતા, આશુતોષ વાર્ષનેય, હાસીબ દ્રેબૂ, કાંતિ વાજપેયી, સુહરિથ પાર્થસારથી + ચાર તંત્રીલેખો મૂકવામાં આવ્યા છે.

નાગરિકતા અને નોંધણી : તરફેણના લેખકો – સ્વપ્ન દાસગુપ્તા, અર્જુન રામ મેઘવાલ, સુરેશકુમાર, અરુણ આનંદ, રમેશ પોખરિયલ, રામ માધવ, ગૌરવ ભાટિયા. વિરોધના લેખકો – ટી.કે. અરુણ, નીરજા ગોપાલ, ફૈઝાન મુસ્તુફા, ક્રિસ્ટોફી જેફરલોટ અને શારિક લાલીવાલા, પી. ચિદમ્બરમ્‌, ગૌતમ ભાટિયા, ગિલેસ વેરનિયર્સ, રાજમોહન ગાંધી, સંજીવ બરુઆ, અભિજિત બેનર્જી અને એસ્થર ડફલો, જગદીપ છોકર, હર્ષ મંદર, પ્રશાંત ભૂષણ અને શેરિલ ડિસોઝા, રામચંદ્ર ગુહા.

ચાર લેખો પ્રશ્નોત્તર સ્વરૂપના છે. અને ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના બે તંત્રીલેખો પણ છે.

નવો કાયદો અને નાગરિકતા પુસ્તકમાં સી.એ.એ., એન.આર.સી. અને એન.પી.આર. શું છે અને તે કેવી રીતે સમાનતા તથા ધર્મનિરપેક્ષતાનાં મૂલ્યોને હણે છે, તેની સાદી સમજણ આપવામાં આવી છે.

વક્તવ્યમાં હેમન્તકુમારે કહ્યું કે કેટલીક ખોટી વાતો ફેલાવવામાં આવે છે, જેમ કે કલમ-૩૭૦ તો કામચલાઉ જોગવાઈ હતી. બંધારણ-નિષ્ણાત અને ઉપકુલપતિ નાલસર યુનિવર્સિટી, હૈદરાબાદના શ્રી ફૈઝાન મુસ્તુફા કામચલાઉ જોગવાઈની વાત ખોટી છે તેમ કહે છે, (જુઓ પાન ૨૫ પુસ્તક કલમ-૩૭૦) બંધારણની કલમ ૧૪થી દરેક ભારતની વ્યક્તિને રાજ્ય કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકશે નહીં. તેમ જ કલમ-૧૫ કોઈ નાગરિકની સામે ફક્ત ધર્મ, નીતિ, જ્ઞાતિ, સ્ત્રી-પુરુષ અથવા જન્મસ્થાન અથવા એમાંના કોઈ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. (જુઓ પાન-૪, પુસ્તક : નવો કાયદો અને નાગરિકતા)

વિશ્વમાં હાલ સાઉદી અરેબિયા, યેમન, મોરિટાનિયા અને વેટિકન સિટી એમ ચાર જ દેશો ધર્મરાજ્યો છે. દુનિયાના ૩૩ દેશોમાં વસ્તીમાં મુસ્લિમોની બહુમતી છે. પણ તેમનો કોઈ સત્તાવાર ધર્મ નથી. તેઓ ધર્મરાજ્ય નથી.

જણાય છે કે આસામ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીરમાં આશરે ૪૦,૦૦૦ રોહિંગ્યા મુસ્લિમ ભાઈ-બહેનો ૨૦૧૪ના આસપાસના વર્ષોમાં આવ્યાં છે. આ બધાં માટે નિરાંતે વિચારવાની જરૂર છે. દુનિયાના વિવિધ દેશોમાં ૧૮૦ લાખ ભારતીયો વસે છે. તેમાંથી ૬૦ લાખ તો અમેરિકામાં જ વસે છે. આમાં પાંચ લાખ ભારતીયો ગેરકાયદેસર સ્થળાંતરિત થયા છે, તેવો અંદાજ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ ૬૦ લાખ ભારતીયોને પાછા ભારત ધકેલી દેવાની વાત કરે તો શું થશે?

સરકારના વડા ભારતમાં ડિટેન્શન કૅમ્પસ અંગે ખોટું બોલે તે કેવી વાત કહેવાય? વિશ્વગુરુ બનવા થનગની રહેલા ભારતે શાંતચિત્તે વિચાર કરવાની જરૂર છે.

આશરે ૧૦૦ જેટલા શ્રોતાઓની હાજરીમાં બહેન મનીષાનાં ગીતો અને આત્મન હેમન્તકુમાર શાહનું સંચાલન વગેરેએ કાર્યક્રમને સાર્થક બનાવ્યો. કેટલાક મિત્રોએ આ પુસ્તકો માટે આર્થિક સહાય પણ આપી.

ત્રણ પુસ્તકોની કુલ કિંમત રૂ. ૧૨૦ છે, પણ ૩૦ એપ્રિલ સુધીમાં ખરીદનારને એક સેટ રૂ. ૧૦૦માં અને પાંચ સેટ કે વધુ સેટને રૂ. ૮૦માં આપવામાં આવશે. રવાનગી ચાર્જ અલગ

સંપર્ક : યજ્ઞ પ્રકાશન, વડોદરા. ફોન : ૦૨૬૫-૨૪૩૭૯૫૭

સૌજન્ય : “નિરીક્ષક” 16 ફેબ્રુઆરી 2020; પૃ. 11 તેમ જ 10

Loading

...102030...2,6072,6082,6092,610...2,6202,6302,640...

Search by

Opinion

  • શું ભારતની પ્રજા આવું કરી કે સહી શકશે?
  • સોશિઅલ મીડિયા એન્ટિ-સોશિઅલ છે…?
  • અમેરિકાના હાલ બેહાલ, હાથનાં કર્યા હૈયે વાગ્યાઃ વૈશ્વિક મહાસત્તાનો આત્મવિશ્વાસ જ આત્મઘાતક બન્યો
  • ચલ મન મુંબઈ નગરી—335
  • પ્રચંડ ધડાકો અને ઉલ્કાપાત

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved