હિંદુઓ માટે ત્રણ ચીજ સાવ પરાઈ છે.
એક આત્મકથા-લેખન. પોતે થઈને પોતાના વિષે લખે એ કેટલી મોટી ગુસ્તાખી! કોઈ અભિમાની આત્મરતિથી પીડાતો માણસ જ આમ કરે. આત્મકથા લેખન તો ઠીક, આપણે ત્યાં એવા અનેક ગ્રંથો છે જેમાં કર્તાનું નામ નથી અથવા પુરોગામી કર્તાઓનાં નામ આપવામાં આવ્યાં છે. જેમ કે વ્યાસના નામે અનેક ગ્રંથો છે જે મહાભારતકાર વ્યાસ પછી થયેલા વિદ્વાનો કે સર્જકો દ્વારા લખાયા છે, પણ તેમણે પોતાનું નામ આપવાની જગ્યાએ વ્યાસનું નામ મૂક્યું હતું. આનું મુખ્ય કારણ નમ્રતા. “મેં કઈ એવી મૌલિક વાત કહી છે જે આગળના વિદ્વાનોએ નથી કહી!” વિચાર એક પરંપરા છે, એક ધારા છે એટલે એમાં ઉમેરો હોય, હજુ વધુ સ્પષ્ટતા હોય; પણ સાવ નવું કે મૌલિક કશું ન હોઈ શકે. આવી નમ્રતાથી પ્રેરાઈને અનેક લેખકોને પોતાનાં પુસ્તકમાં લેખક તરીકેનું પોતાનું નામ નથી જાહેર કર્યું. આને કારણે વ્યાસ એ વ્યક્તિ નથી, પરંતુ પરંપરા છે એમ માનવામાં આવે છે.
પોતાના ધર્મને અને પોતાના ધર્મગ્રંથને વિચારના આ પ્રવાહથી, પ્રવાહપતિતતાથી અને એમાં સ્વાભાવિકપણે રહેલી મર્યાદાઓથી બચાવી લેવા માટે ધાર્મિકજનો તેને અપૌરુષેય કહે છે. વેદ કોઈ પુરુષની રચના નથી એટલે એમાં કહેવાયેલ પ્રત્યેક વાક્ય મૌલિક છે. એ કથનો પહેલીવાર કહેવાયેલાં છે અને માનવજાતના કલ્યાણ માટે ઈશ્વરે કહેલાં છે. કુરાન માટે પણ આમ જ કહેવાય છે. અંગ્રેજીમાં આને રિવીલેશન કહે છે. ખાસ તમારા માટે ઈશ્વરે કહેલું દર્શન. તો વિચાર એક પ્રવાહ છે અને પ્રવાહનું સ્વરૂપ એવું છે કે ધાર્મિક લોકોને પોતાના ધર્મગ્રંથોની કહેવાતી મૌલિકતા બચાવવા માટે તે ‘અપૌરુષેય’ હોવાનો આશરો લઈને તેને તેનાથી બહાર રાખવા પડ્યા છે. આ રીતે જોઈએ તો જે વિચારકોએ પોતાના ગ્રંથના કર્તા તરીકે પોતાનું નામ નથી આપ્યું એ લોકો ખરેખર મહાન હતા.
જો કે આ પરંપરાનો દુરુપયોગ પણ થયો છે. જો કોઈ પૂર્વસૂરીનું નામ આપવાથી પોતાનો ગ્રંથ કાળના ચાળણામાંથી બચતો હોય અને અમર થતો હોય તો મોકો ઝડપવો જોઈએ એવી ગણતરીથી પણ ગ્રંથના કર્તાઓએ પોતાનાં નામ આપ્યાં નથી. હું ભલે અમર ન થાઉં, પણ મારો પરિશ્રમ બચી નીકળે તો ઘણું. નામ છૂપાવવા પાછળની ગ્રંથકર્તાની પ્રેરણા નમ્રતા હોય કે સ્વાર્થ પણ આ પરંપરાને કારણે વિચારવિમર્શમાં સમસ્યાઓ પેદા થઈ છે. કોણ ક્યારે થયો અને કોણે કોની પાસેથી શું લીધું એના તાળા મળતા નથી. ગમે તે દાવાઓ થઈ શકે અને દરેક પાસે પ્રમાણ છે. આપસમાં ઝઘડવું હોય તો પણ પ્રમાણ મળી રહેશે અને એક બીજાનું એક બીજા પરનું ઋણ સ્વીકારવું હોય તો પણ પ્રમાણ મળી રહેશે. આમ એક બીજા પર સરસાઈ મેળવવા ઇચ્છનારાઓને આમાંથી ભરપૂર મસાલો મળી રહે છે.
બીજું, માણસ આખરે માણસ હોય છે. કીર્તિની વાસના પ્રબળ વાસનાઓમાંની એક છે. હવે આત્મકથા લખીને સ્વપ્રસંશા કરવી એ તો આપણે ત્યાં અવિવેક ગણાય એટલે બીજા દ્વારા પ્રશસ્તિગાનો લખાવવાનું શરૂ થયું. બીજા આશ્રિત માણસ પાસે જ્યારે વ્યક્તિની પ્રશસ્તિ કે કૂળપ્રશસ્તિ લખાવવામાં આવે ત્યારે પહેલી ખો સત્યને અને પ્રમાણભાનને આપવામાં આવે. સાવ અસત્ય પણ હોય અને અતિશયોક્તિઓ પણ હોય. આમાંથી આપણે ત્યાં ભાટ-ચારણ-બારોટની એક પરંપરા વિકસી છે. આવાં પ્રશસ્તિગાનોમાં કહેવાયેલી વાતોને પ્રમાણ તરીકે ન લઈ શકાય.
સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે બીજા પાસે પ્રશસ્તિ કરાવવાને કારણે અને પોતાના કથનને પોતાના કથન તરીકે નહીં કહેવાને કારણે અથવા બીજાના નામે કહેવાને કારણે વસ્તુનિષ્ઠાને કેટલી હાનિ પહોંચી છે! પહેલી નજરે જે નાની વાત લાગે છે તેણે એક બીજા પર સરસાઈ ધરાવવા ઇચ્છનારાઓ માટે, અંગ્રેજીમાં કહીએ તો ફ્રી ફોર ઑલ જેવી સ્થિતિ પેદા કરી આપી છે. કહો જે કહેવું હોય તે, પ્રમાણ મળી રહેશે. આને કારણે આપણે ત્યાં સાંકડી, સંકીર્ણ, સંપ્રદાયીક એજન્ડાવાળી અને કૃતક (જૂઠી) વિદ્વત પરંપરા વિકસી છે.
હવે આનો કોઈ ઉપાય ભલે નથી, પણ આપણી પરંપરાની સારી-નરસી બાજુ સમજી લીધી હોય તો આપણે વિવેક તો જરૂર કરી શકીએ. વર્તમાનમાં અને ભવિષ્યમાં આપણું અને આપણાં સંતાનોનું હિત છે એટલે અતીતને જોતાં શીખવું જોઈએ. જે લોકો પોતાના વર્તમાન અને ભવિષ્યને સુધારવા માટે અતીતનો ઉપયોગ કરે છે તેમનો એજન્ડા સમજી લેવો જોઈએ. તેઓ અતીતનો ઉપયોગ વર્તમાન અને ભવિષ્ય માટે કરે છે અને તમે અતીત માટે વર્તમાન અને ભવિષ્ય ગુમાવો છે. આની ગંભીરતા સમજાય છે?
હિંદુઓ માટે બીજી પરાઈ ચીજ દસ્તાવેજીકરણ છે. ઇતિહાસની ઇન્દ્રિય જ આપણે ધરાવતા નથી એટલે કોઈ ઐતિહાસિક ચીજનું મૂલ્ય આપણને સમજાતું જ નથી, પછી એ વસ્તુ હોય કે દસ્તાવેજ. જો બનારસ જવાનું થાય તો સારનાથના સંગ્રહાલયમાં અવશ્ય જજો. ત્યાં અશોકના શિલાલેખમાંના ચાર દિશામાં જોનારા ચાર સિંહવાળો અશોકસ્તંભ ભગ્ન અવસ્થામાં રાખવામાં આવ્યો છે. એ ચાર સિંહોવાળો સ્થંભનો હિસ્સો બસો-ત્રણસો વરસ સુધી અવાવરુ ખંડેરમાં પડ્યો હતો અને કોઈએ તેને હાથ નહોતો લગાડ્યો. કોઈએ ચોરી પણ નહોતી કરી. બીજા કોઈ દેશમાં આ અમૂલ્ય ઐતિહાસિક ચીજ પડી હોત તો ચોરાઈ ગઈ હોત અને અબજોમાં વેચાતી હોત!
અંગ્રેજોએ સારનાથના ખંડેરને સુરક્ષિત કર્યું હતું અને ચાર સિંહવાળા અશોકસ્તંભને મ્યુઝિયમમાં મૂકાવ્યો હતો. આપણે અવશેષ અને ખંડેર વચ્ચેનો ફરક સમજતા જ નથી. અવશેષ આપણે મન ખંડેર છે. એટલે બનારસમાં જગતગંજ નામની કોલોની સારનાથની ઇંટોથી બંધાઈ છે અને બિહારમાં નાલંદા નજીકનું આખું ગામ નાલંદા વિશ્વ વિદ્યાલયના અવશેષોથી એટલે કે ત્યાંની ઇંટોથી બંધાયું છે. અંગ્રેજોએ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરીને આપણાં ખંડેરોને અવશેષોમાં ફેરવી આપ્યાં હતાં. આપણે જ્યારે રાષ્ટ્રવાદી બની જઈએ છીએ અને કોહિનૂર અને મયૂરાસન માટે લોહી ઉકળી ઊઠે છે ત્યારે આપણે આપણી પરંપરાનું આ પાંસુ પણ સમજી લેવું જોઈએ.
આમ દસ્તાવેજ રાખવાની અને પાછળ મૂકી જવાની આવશ્યકતા આપણને ક્યારે ય સમજાતી નથી. દૂરની ક્યાં વાત કરીએ આપણા દાદા વિષે બે વાત કહેવી હોય તો કોઈ રેકોર્ડ કે દસ્તાવેજ નહીં મળે. મારા પિતાશ્રીની ચોક્કસ જન્મતારીખ અને વર્ષ અમારી પાસે નથી. કોઈ ઘટના ક્યારે બની હતી એમ કહેવું હોય તો મારાં બા કહેતાં કે જયહિન્દ પહેલાં દસ-બાર વરસે વગેરે. મોટા મોટા દુકાળો આપણે ત્યાં માઈલસ્ટોન્સ તરીકે વપરાય છે. આ આપણો સ્વભાવ છે. સ્થાયીભાવ છે. આજે પણ છે. ફિલ્મ આર્કાઇવના ક્યુરેટર રહી ચૂકેલા મારા મિત્ર અમૃત ગંગર કહે છે કે કોઈ હિંદુને મ્યુઝિયમમાં ક્યુરેટર નહીં બનાવવો જોઈએ, કારણ કે સાચવણ હિંદુના સ્વભાવમાં નથી.
જ્યારે રેકોર્ડ રાખવામાં જ ન આવે અને જે રેકોર્ડ હોય તેને જાળવવામાં ન આવે તો સ્વાભાવિકપણે તેને કારણે પેદા થતા શૂન્યાવકાશનો ઉપયોગ આગળ કહ્યું તેવા પોતાના વર્તમાન અને ભવિષ્ય સુધારવા માટે ઇતિહાસનો ઉપયોગ કરનારા કરવાના છે. જેટલો ઇતિહાસ સંદિગ્ધ એટલો તેમને ફાયદો. અહીં પણ તમારે સમજી લેવું જોઈએ કે તેઓ નક્કર દસ્તાવેજરહિત સંદિગ્ધ અતીતનો ઉપયોગ વર્તમાન અને ભવિષ્ય માટે કરે છે અને તમે અતીત માટે વર્તમાન અને ભવિષ્ય ગુમાવો છે.
અને હિંદુઓ માટે ત્રીજી અજાણી ચીજ છે; ઇતિહાસલેખન જેની વાત હવે પછી.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 ડિસેમ્બર 2019
![]()




છતાં એટલું તો કહું કે ત્રણ પુરુષોએ મારા જીવન પર મોટામાં મોટી અસર કરી છે. એમાં પહેલું સ્થાન હું રાજચંદ્ર કવિને આપું છું. બીજું ટૉલ્સ્ટૉયને, અને ત્રીજું રસ્કિનને. ટૉલ્સ્ટૉય અને રસ્કિન વચ્ચે હરીફાઈ ચાલે, અને બંનેનાં જીવન વિશે હું વધારે જાણું તો બેમાં કોને પહેલાં પૂરું એ નથી જાણતો. પણ અત્યારે તો બીજું સ્થાન ટૉલ્સ્ટૉયને આપું છું. ટૉલ્સ્ટૉયના જીવન વિશે ઘણાએ વાંચ્યું હશે તેટલું મેં નથી વાંચેલું. તેમણે લખેલાં પુસ્તકનું મારું વાચન પણ બહુ ઓછું છે એમ કહીએ તો ચાલે. એમનાં જે પુસ્તકની અસર મારા પર બહુ જ પડી તેનું નામ Kingdom of God Within You એનો અર્થ એ કે ઈશ્વરનું રાજ્ય તમારા હૃદયમાં છે, એને બહાર શોધવા જશો તો ક્યાં ય નહીં મળે. એ મેં ચાળીસ વરસ પર વાંચેલું. તે વેળા મારા વિચારો કેટલીયે બાબતમાં શંકાશીલ હતા; કેટલીયે વખત મને નાસ્તિકતાના વિચારો આવી જતા. વિલાયત ગયો ત્યારે તો હું હિંસક હતો; હિંસા પર મને શ્રદ્ધા હતી, અને અહિંસા વિશે અશ્રદ્ધા હતી. આ પુસ્તક વાંચ્યા પછી મારી એ અશ્રદ્ધા ચાલી ગઈ. ત્યાર પછી એમનાં કેટલાંક બીજાં પુસ્તકો મેં વાંચ્યાં તેની દરેકની શી અસર થઈ તે ન કહી શકું; પણ તેમના સમગ્ર જીવનની શી અસર થઈ તે જ કહી શકું છું.
જ્યારે તે શરીરમહેનત કરતા થયા ત્યાર પછી તો એમનું સાહિત્ય વધારે શોભ્યું. એમણે જેને પોતાનું મોટામાં મોટું પુસ્તક કહેલું છે તે कळा एटले शुं? (वोट इझ आर्ट?) એ તેમણે આ યજ્ઞકાળમાં મજૂરી ઉપરાંતના વખતમાં લખેલું. મજૂરીથી તેમનું શરીર ન ઘસાયું. તેમની બુદ્ધિ વધારે તેજસ્વી થઈ એમ તેમણે પોતે માનેલું. અને એમના ગ્રંથોના અભ્યાસીઓ કહી શકશે કે એ સાચી વાત છે.