Opinion Magazine
Number of visits: 9456396
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મીડિયા સાચો પ્રશ્ન પૂછવામાં નિષ્ફળ ગયેલી છે, તેથી સાચો જવાબ મળતો નથી !

રમેશ સવાણી|Opinion - Opinion|6 February 2025

રાજદીપ સરદેસાઈ

સમાજ વિજ્ઞાની  અચ્યુત યાજ્ઞિકની સ્મૃતિમાં પત્રકાર / લેખક રાજદીપ સરદેસાઈએ 2 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના હોલમાં ‘ભારતમાં પ્રચાર માધ્યમ, રાજકારણ અને લોકતંત્ર’ પર વ્યાખ્યાન આપેલું. એડવોકેટ આનંદ આજ્ઞિક દ્વારા આ આયોજન થયું હતું. 

રાજદીપ સરદેસાઈએ કહ્યું : “અમદાવાદમાં મારો જન્મ. અમદાવાદ આવું એટલે ઘેર આવ્યો તેવું લાગે. મારા ગ્રાન્ટફાધર પંત IGP હતા. તેઓ મુંબઈમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર હતા ત્યારે એક રેસ્ટોરન્ટમાં દિલીપકુમાર અને રાજ કપૂરને દારુ પીતા પકડ્યા હતા. દિલીપ કુમારે મુખ્ય મંત્રી મોરારજી દેસાઈને ફોન કર્યો. મોરારજીભાઈએ કહ્યું કે ‘સોરી, પંતે પકડ્યા કર્યા હોય તો તમારે એરેસ્ટ થવું પડે !’ એ પછી જામીન પર છૂટ્યા.”

“મેં ‘2024 : The Election That Surprised India’ પુસ્તક લખ્યું છે. તેમાં છેલ્લું ચેપ્ટર મીડિયા વિશે છે. લોકશાહી મજબૂત ન થાય જો મીડિયા મજબૂત ન હોય. નબળું મીડિયા એટલે નબળી લોકશાહી. હું થોડાં ઉદાહરણ આપીશ. NDTVના પ્રણવ રોય અને રાધિકા રોયને ED / IT / CBI તરફથી નોટિસ મળતી રહી. 7 વરસ સુધી આ ચાલ્યું. 7 વરસના અંતે 2023માં ગૌતમ અદાણીએ NDTV ખરીદી લીધું. પછી CBIએ દિલ્હી હાઈકોર્ટને રિપોર્ટ કર્યો કે NDTV સામે કંઈ મળતું નથી ! NDTV પડાવી લેવા જ તંત્રનો ઉપયોગ થયો ! કાનૂની કાર્યવાહી એ જ પનિશમેન્ટ છે. 2018માં, પ્રણવ રોય તેના પત્ની સાથે કેનિયા જવા માટે મુંબઈ એરપોર્ટ ગયા. ત્યાં ઇમિગ્રેશન અધિકારીએ તેમને રોક્યા અને કહ્યું કે ‘તમારી સામે લૂક-આઉટ નોટિસ છે. તમે જઈ નહીં શકો.’ તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો. એ ઈમિગ્રેશન અધિકારી મને બનારસમાં મળી ગયા. તેણે મને કહ્યું કે ‘આપ NDTVમાં આવો છો? મારે આપને કંઈક કહેવું છે. આપ પ્રણવ રોયને જાણતા હશો. આપને પ્રણવ રોય મળે તો તેમને કહેજો કે મેં એમને એટલે રોક્યા હતા કે ઉપરથી સૂચના હતી. હું દિલગીર છું.’ અગ્રણી ન્યૂઝ ચેનલ એક બિઝનેસમેન ખરીદી લે, તે શું સૂચવે છે? શું તેણે ગુણવત્તાવાળું પત્રકારત્વ કરવા માટે NDTV ખરીદ્યું છે? કે સત્તાની નજીક રહેવા માટે? આમાં લોકશાહી કઈ રીતે મજબૂત થાય? સત્તાનો દુરુપયોગ કરીને એક પત્રકારને રોકવામાં આવે? જ્યારે દેશની અદાલતને સત્તનો દુરુપયોગ ન દેખાય તો લોકશાહી કઈ રીતે મજબૂત બને?  NDTVનો કિસ્સો સત્તાના દુરુપયોગનું ક્લાસિક ઉદાહરણ છે. 

જે સત્તામાં છે તે સત્તાનો દુરુપયોગ કરે છે. અમારે કંટ્રોલ જોઈએ, ડોમિનેશન જોઈએ એ માનસિકતા છે. બે રૂમમાં ચાલતા સાવ નાના ‘ન્યૂઝ ક્લિક’ પોર્ટલ પર દિલ્હી પોલીસે રેડ કરી. લેપટોપ / મોબાઈલ કબજે કર્યા. પોલીસે આરોપ મૂક્યો કે ‘ન્યૂઝ ક્લિક ચાઈનીઝ ફંડિંગ વેબસાઈટ છે !’ એડિટર પ્રબીર પુરકાયસ્થને એરેસ્ટ કર્યા. 7 મહિના જેલમાં રહેવું પડ્યું. ઈમરજન્સીમાં પ્રબીર પુરકાયસ્થને અરેસ્ટ કરેલા, નોન ઈમરજન્સીમાં પણ તેને એરેસ્ટ થવું પડ્યું ! સરકાર વિરોધી એટલે દેશ વિરોધી !”

“કિસાન આંદોલન સમયે મારી સામે પણ Sedition-રાજદ્રોહનો કેસ થયો. મારા રિપોર્ટિંગમાં ભૂલ હોઈ શકે, પરંતુ એથી હું એન્ટિનેશનલ થઈ જાઉં? 8 BJP શાસિત રાજ્યોમાં મારી સામે, એક જ ઘટનાની એક સરખી 8 FIR દાખલ કરવામાં આવી ! મેં સુપ્રીમકોર્ટેમાં જઈ જામીન મેળવ્યા. એ તો સારું થયું કે એડવોકેટ કપિલ સિબ્બલે કોઈ ફી લીધી નહીં, પણ દરેકને આવી સગવડ ન મળે.”

“2020માં, કેરાલાના પત્રકાર સિદ્દીકી કપ્પન હાથરસની રેપ-હત્યાની ઘટનાનું રિપોર્ટિંગ કરવા જતા હતા અને તેને ઉત્તર પ્રદેશ પોલીસે UAPA હેઠળ જેલમાં પૂર્યા અને 3 વરસ કરતાં વધુ જેલમાં રહેવું પડ્યું. સિદ્દીકી કપ્પન ટોપ લોયરને રોકી શક્યા નહીં. સુપ્રીમકોર્ટના જસ્ટિસ ચંદ્રચૂડે અર્નમ ગોસ્વામીને જેલમુક્ત કરતા કહ્યું હતું કે ‘Right to life and personal liberty is supreme – જીવનનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા સર્વોચ્ચ છે.’ શું સિદ્દીકી કપ્પનના કેસમાં આ લાગુ ન પડે? જીવનનો અધિકાર અને વ્યક્તિગત સ્વતંત્રતા નક્કી કરવા માટે તમે કોણ છો? તમે કઈ કોમ્યુનિટીના છો? કોર્ટ સુધી પહોંચવાના ક્યા સ્રોત છે, તમે કેવા હાઈ પ્રોફાઈલ છો તેના પર નિર્ભર છે ! કેટલાંક લોકો ટોપ લોયરને રોકી ન્યાય મેળવે છે, બીજા મેળવી શકતા નથી ! જે કોઈ પાર્ટી સત્તામાં છે, તે સત્તાનો દુરુપયોગ કરે છે. સત્તાપક્ષના નેતા કહે છે કે અમે રાજ કરીશું, કોઈ રાજા એવું ઈચ્છતો નથી કે પ્રજા સત્ય જાણે ! જર્નાલિઝમનો હેતુ જ એ છે કે સત્તામાં છે તેને સત્ય કહેવું. ન ગમે તેવું સત્ય પણ સાંભળવું પડે. પણ કોઈ સાંભળવા તૈયાર નથી. 

રાજદીપ સરદેસાઈ અને પ્રકાશ ન શાહ

મહાકુંભ મેળામાં કેટલી જગ્યાએ ભાગદોડ થઈ અને કેટલા લોકો કચડાઈને મર્યા તેની માહિતી ઉત્તર પ્રદેશ સરકાર આપતી નથી. સ્વતંત્ર પત્રકાર અભિનવ રિપોર્ટ આપે છે, પણ ભય એ છે કે અભિનવને જેલમાં તો પૂરશે નહીં ને? દરેક સરકાર માને છે કે અમારી પાસે દંડો છે, હથિયાર છે, કાયદાનો ઉપયોગ કરીશું, ક્રિમિનલ ડેફેમેશન કરીશું. કાયદાનું નામ ‘ઇન્ડિયન પિનલ કોડ’માંથી ‘ભારતીય ન્યાય સંહિતા’ કરવાથી ફરક પડ્યો નથી, ઊલટાનું રાજદ્રોહના ગુનાની જોગવાઈઓ કડક કરી છે. આ નેઈમ ચેન્જિંગ સરકાર છે, ગેઈમ ચેન્જિંગ નહીં. હું અહીં બોલી રહ્યો છું, સરકાર મને રાજદ્રોહના ગુનામાં પકડી શકે છે. 

મધરાતે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને એરેસ્ટ કરીને ગૌહાટી લઈ ગયેલા, શા માટે? એક ટ્વિટ માટે ! 7 જાન્યુઆરી 2025ના રોજ, છત્તીસગઢના પત્રકાર મુકેશ ચંદ્રાકરની લાશ Septic Tankમાંથી મળી. તેનો વાંક શું હતો? તેણે રોડ કોન્ટ્રાક્ટરને એક્સપોઝ કર્યો હતો ! કોણ આગળ આવ્યા મુકેશ ચંદ્રાકર માટે? મુકેશ મારા પત્રકારત્વ કરતાં સારું પત્રકારત્વ કરતો હતો, પણ એને સુરક્ષા ન મળી ! જર્નાલિઝમનું બિઝનેસ-કોર્પોરેટ મોડેલ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે. કોઈ સરકાર નજીક જવું હોય તો ચેનલ / અખબાર ખરીદી લો. મીડિયાને ગમે ત્યારે ખરીદી શકો છો. મીડિયા હવે શક્તિશાળી લોકો માટે રમકડું બની ગયું છે. સત્તામાં છે તેમની પાસે ખરીદવાનાં નાણાં પણ છે. જાહેરખબર વિના મીડિયા ચલાવી શકાય તેમ નથી. જાહેરાત બે જગ્યાએથી સૌથી વધુ મળે છે. એક સરકાર પાસેથી, બીજું બાબા રામદેવ પાસેથી ! આમાં સચ્ચાઈ કઈ રીતે બતાવવી? કેટલી ચેનલે એ પ્રશ્ન ઊઠાવ્યો કે કોરોનામાં કુલ કેટલા લોકો મર્યા? WHOના મત મુજબ ભારતમાં 40 લાખથી વધુ લોકો કોરોનાથી મર્યા ! પણ સરકાર કહે છે કે 4 લાખ લોકો જ મર્યા છે ! PM Cares Fundમાંથી કેટલી રકમ કોરોના માટે વપરાઈ? અમે RTI કરી તો સરકારે કહ્યું કે PM Cares Fund ખાનગી છે ! સવાલ ન પૂછો. સવાલ પૂછશો તો અમે જવાબ આપીશું નહીં ! પ્રેસ કોન્ફરન્સ કરવી નથી. જે સત્તામાં છે તે સવાલોથી ઉપર છે?”

“અસ્વસ્થ કરે તેવો કોઈ પ્રશ્ન પૂછવાની પત્રકારોને છૂટ નથી. તે accountability ઈચ્છતા નથી. accountability ન હોય તો લોકશાહી કઈ રીતે હોય? દેશમાં ત્રીજો શક્તિશાળી માણસ કોણ છે? વડા પ્રધાન, ગૃહ મંત્રી પછી હિરેન જોશી ! તેનું કામ મીડિયાને મોનેટરિંગ કરવાનું છે. કોઈ પત્રકાર સરકાર વિરુદ્ધ લખે તો તેને સસ્પેન્ડ કરવામાં આવે છે. NDTVના પત્રકારને એટલે સસ્પેન્ડ કરેલા કે તેણે વડા પ્રધાને બાંસવાડામાં ‘ઘૂસપેઠિયા આવીને મંગળસૂત્ર લઈ જશે’ એ સ્પીચ વિશે લખ્યું હતું. યૂટ્યૂબર વગેરે સંસ્થા ન બની શકે. લોકશાહી સંસ્થાઓથી બને છે. સંસ્થાઓની તાકાત પર બને છે. સરકાર સોશિયલ મીડિયાને કંટ્રોલ કરવા કાયદો લાવી રહી છે. તોડબાજ પત્રકારોને કારણે પત્રકારોને લોકો માનથી જોતા નથી. WhatsApp University, Misinformation આપે છે, જૂઠ પીરસે છે. કોઈ Fact Checking નથી. આજે એડિટર નથી, ન્યૂઝ મેનેજર છે. તે કોઈના માટે ન્યૂઝ મેનેજ કરે છે. નેરેટિવ બિલ્ડિંગ કરે છે. લોકશાહીનું એક બેઝિક સ્ટ્રક્ચર હોવું જોઈએ : level playing field. એવી પરિસ્થિતિ કે જેમાં દરેકને સફળ થવાની વાજબી અને સમાન તક હોય. 

લોકસભા ચૂંટણી વેળાએ જ કાગ્રેસ પક્ષનું બેન્ક એકાઉન્ટ સ્થગિત કરવામાં આવ્યુ ! આ એવી 100 મીટરની દોડ-સ્પર્ધા છે જેમાં સત્તાપક્ષ વિનિંગ લાઈનથી 10 મીટર દૂર ઊભો રહે છે અને વિપક્ષને 100 મીટર દૂર ઊભા રહેવાનું છે ! સત્તા પક્ષની જીત નક્કી છે; કેમ કે તેમની પાસે અઢળક નાણાં છે, સંસાધનો છે, પોલીસ છે, ચૂંટણી પંચ છે, ગુંડાઓ છે, ધર્મના એજન્ટો છે, ગોદી મીડિયા છે ! મીડિયા નેરેટિવ ઘડે છે, જેમ કે નોટબંધી બહુ  ક્રાંતિકારી નીવડી ! કોરોનાની સ્થિતિમાં વેક્સિનેશન ઝૂંબેશનો નવો રેકોર્ડ થયો ! મૃત્યુ આંકની ચર્ચા નથી કરતા પણ કેવી રીતે કોરોના પર જીત હાંસલ કરી તેની વાહવાહી કરે છે ! ક્યાં ય level playing field નહીં, જે લોકશાહીનો સાર છે, સત્ત્વ છે. મીડિયા સાચો પ્રશ્ન પૂછવામાં નિષ્ફળ ગયેલ છે, તેથી સાચો જવાબ મળતો નથી !”

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દીવાર @ 50 : જો પચ્ચીસ બરસ મેં નહીં હુઆ થા તે 1975માં થયું હતું

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 February 2025

રાજ ગોસ્વામી

‘દીવાર’ ફિલ્મને 50 વર્ષ થયાં. 24 જાન્યુઆરી, 1975ના રોજ તે રિલીઝ થઇ હતી. 1.3 કરોડના ખર્ચ પર 4.75 કરોડની કમાણી સાથે ‘દીવાર’ તે વર્ષની સૌથી સફળ ફિલ્મ હતી એટલું જ નહીં, તે હિન્દી સિનેમાના ઇતિહાસની સૌથી મોટી સીમાચિહ્નરૂપ ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મે અનેક કલાકાર-કસબીઓની તકદીર બદલી નાખી હતી, તેણે ફિલ્મ નિર્માણની શૈલી બદલી નાખી હતી અને હિન્દી સિનેમાના હીરોની વ્યાખ્યા નવેસરથી લખી હતી.

ફિલ્મમાં એક મશહૂર ડાયલોગ છે. ગોદી કામદાર તરીકે કામ કરતો વિજય તેના સિનિયર કામદાર રહીમ ચાચા(યુનૂસ પરવેઝ)ને કેન્ટીનમાં કહે છે; “રહીમ ચાચા, જો પચ્ચીસ બરસ મેં નહીં હુઆ, વો અબ હોગા.” એક રીતે, આ બયાન સલીલ-જાવેદનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે હતું. ‘દીવાર’માં જે થવાનું હતું તે પચીસ વર્ષમાં કોઈ ફિલ્મમાં થયું નહોતું.

એવી બહુ ઓછી ફિલ્મો છે જેની સમાજ પર ઘેરી અસર પડી હોય. એ દૃષ્ટિએ, ‘દીવાર’ (તે જ વર્ષે આવેલી) ‘શોલે’ કરતાં પણ વધુ અસરદાર ફિલ્મ છે. ‘શોલે’ શુદ્ધ રૂપે ફેન્ટસી છે અને તેનો ઉદેશ્ય દર્શકોનું મનોરંજન કરવાનો છે. 

‘દીવાર’માં ય મનોરંજન તો છે, પણ તે તેનાં મૂળિયાં દેશની સામાજિક વાસ્તવિકતામાં ખૂંપેલાં છે અને એ રીતે તે એક બાયોપિક જેવી લાગે છે. તેનાં પાત્રો આપણી આસપાસના જ હતાં, એટલે તે ‘શોલે’ કરતાં પણ વધુ વિશ્વસનીય છે.

‘દીવાર’ની અભૂતપૂર્વ લોકપ્રિયતાનું કારણ તેની સુપર્બ ટેકનિકાલિટીમાં તો છે જે – જેમ કે સલીમ-જાવેદનો ચુસ્ત સ્ક્રીનપ્લે, તેમના સીટીમાર ડાયલોગ, યશ ચોપરાનું નિર્દેશન, કે.જી. કોરેગાંવકરની સિનેમેટોગ્રાફી, ટી.આર. મંગેશકર અને પ્રાણ મહેરાનું એડિટિંગ અને આર.ડી. બર્મનનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, પરંતુ તેનું મહત્ત્વનું કારણ ફિલ્મની વાર્તાનો ઈમોશનલ પ્રભાવ અને તેનાં પ્રમુખ પાત્રો(ખાસ કરીને અમિતાભ બચ્ચનના વિજય વર્મા)ની નૈતિક દુવિધામાં છે. 

‘શોલે’થી વિપરીત, ‘દીવાર’નાં પાત્રો અને તેમના સંજોગો સાથે થિયેટરમાં બેઠેલા દર્શકો પર્સનલ કનેક્શન મહેસૂસ કરી શક્યા હતા તે તેની સ્થાયી લોકપ્રિયતા માટે મહત્ત્વનું કારણ છે. જેમ કે વિજય વર્મા મજબૂરીમાં અપરાધનો રસ્તો અપનાવે છે તેની સાથે દર્શકોને સહાનુભૂતિની હતી પરંતુ તેમનો ટેકો તો પ્રામાણિક પોલીસ ઓફિસર રવિ વર્મા (શશી કપૂર) સાથે હતો.

એ અર્થમાં, ‘દીવાર’ના દર્શકોની દુવિધા બંને ભાઈઓની માતા સુમિત્રા વર્મા (નિરુપા રોય) જેવી હતી; તેમનો પ્રેમ વિજય માટે હતો પણ ફરજ રવિ તરફે હતી. આપણે ત્યાં એક શબ્દ છે; ધર્મ સંકટ. ધર્મ સંકટનો મતલબ ધર્મ નહીં પણ નૈતિક દુવિધા. ધર્મ સંકટને ઇશ્વર-અલ્લાહ સાથે જોડીને સામાજિક અસમંજસને ફોકસમાં લાવવાનો પ્રયાસ હિન્દી સિનેમામાં ખૂબ થયો છે પરંતુ ‘દીવાર’ પહેલી ફિલ્મ છે જે એનાથી ય આગળ જઇને વ્યક્તિગત કશ્મકશની વાત કરે છે, જ્યાં વિકલ્પોની પસંદગી એટલી આસાન નથી હોતી જેટલી માનવામાં આવે છે.

દેખીતી રીતે જ, ‘દીવાર’ની પ્રેરણા 1957માં આવેલી મહેબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ અને 1961માં આવેલી દિલીપ કુમારની ‘ગંગા જમુના’ છે. ‘મધર ઇન્ડિયા’માં રાધા (નરગિસ) તેના અપરાધી દીકરા બીરજુ(સુનીલ દત્ત)ને ખુદના હાથે સજા આપે છે. 

દિલીપ કુમારે આ જ વિષયવસ્તુને ‘ગંગા જમુના’માં બે ભાઈઓ વચ્ચેના નૈતિક ટકરાવમાં ફેરવી નાખી હતી. તેમાં ગંગારામ (દિલીપ કુમાર) જમીનદારની ક્રુરતાથી પરેશાન થઈને બંધૂક હાથમાં ઉઠાવી લે છે અને તેના બદનસીબે તેનો ભાઈ જમનારામ (નસીર ખાન – દિલીપ કુમારનો અસલી ભાઈ) પોલીસ ઓફિસર બનીને તેની પાછળ લાગે છે.

સલીમ-જાવેદે ‘મધર ઇન્ડિયા’ની રાધા અને ‘ગંગા-જમના’ના ગંગારામ-જમનારામને ‘દીવાર’માં ભેગા કરીને શહેરમાં કેન્દ્રિત એક આધુનિક ક્રાઈમ થ્રિલરની રચના કરી હતી. ‘દીવાર’ કેમ લોકોના દિલને વધુ સ્પર્શી ગઈ તેનું કારણ એ હતું કે તે 70ના દાયકાના ભારતીય સમાજમાંથી આવી હતી. તે વખતે શહેરોમાં બેરોજગારીથી યુવાનો પરેશાન હતા, રાજકારણીઓ અને માફિયાઓની સાંઠગાંઠ હતી, ચારેતરફ ભ્રષ્ટાચાર હતો. સલીમ-જાવેદે તેમની વાર્તામાં શહેરોના યુવાનોની હતાશાને પ્રતિબિંબિત કરી હતી.

એક રીતે, સલીમ ખાન અને જાવેદ ખાન પણ એ જ હતાશામાં મોટા થયા હતા. તેમની પાસે પ્રતિભા હતી, નવી વાર્તાઓ હતી પરંતુ ઇન્ડસ્ટ્રીમાં તેમને કોઈ ગણતું નહોતું. તે વખતે સ્ક્રીનપ્લે લેખકને ન તો પૈસા મળતા હતા કે ન તો નામ મળતું હતું. સલીમ-જાવેદ આ પરંપરાને તોડવા માંગતા હતા. ‘દીવાર’નો હતાશ અને ક્રોધિત વિજય વાસ્તવમાં સલીમ-જાવેદ અને બીજા લાખો બેરોજગાર યુવાનોનો પ્રતિનિધિ હતો.

ફિલ્મમાં વિજય જ્યારે મરીન ડ્રાઈવ પર આવેલી ઓબેરોય હોટેલના સ્યુટમાં મુલ્ક રાજ દાવર(ઈફ્તેખાર)ને કહે છે કે, “મૈં આજ ભી ફેંકે હુએ પૈસે નહીં ઉઠાતા,” ત્યારે તેમાં જવાનીનો જોશ ઓછો અને એક ખુદ્દાર યુવાનની આત્મસન્માનની ભાવના વધુ હતી. એ સંવાદમાં દર્શકોને પોતાની ભાવનાનાં દર્શન થયાં હતાં.

આ ફિલ્મે બચ્ચનની છબીને એક પરેશાન અને સત્તા વિરોધી હીરો તરીકે મજબૂત કરી હતી. ‘દિવાર’માં આ હીરો જેવું વિસ્ફોટક પ્રદર્શન તે પહેલાં કે તે પછી ક્યારે ય આવ્યું નહોતું. બે વર્ષ પહેલાં, ‘ઝંજીર’માં તેની આછી ઝલક જોવા મળી હતી અને તેની સફળતાથી જ સલીમ-જાવેદને તેમના એન્ટી-હીરો અથવા એન્ગ્રી યંગ મેન પર ભરોસો બેસી ગયો હતો, જે ‘દીવાર’માં લાવા બનીએ વહ્યો હતો.

તેમને તેમની વાર્તા અને હીરો પર એટલો ભરોસો હતો કે વિજય વર્માની ભૂમિકા માટે તે વખતના ચક્રવર્તી સુપરસ્ટાર રાજેશ ખન્નાને અવગણીને અમિતાભનો આગ્રહ રાખ્યો હતો. ‘દીવાર’ના નિર્માતા ગુલશન રાયે ખન્નાને આ ભૂમિકા માટે સાઈન પણ કરી નાખ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં ખન્ના કહે છે, “સલીમ-જાવેદ સાથે મારે મતભેદો હતા. તેમને અમિતાભને લઈને જ ફિલ્મ કરવી હતી, પણ ‘દીવાર’ની બે રીલ જોઇને જ મેં કહેલું – વાહ! ક્યા બાત હૈ!” 

‘દીવાર’ની સ્ક્રીપ્ટ 18 દિવસમાં કરવામાં આવી હતી. તેના પરથી ખ્યાલ આવે છે કે સલીમ-જાવેદના દિમાગમાં કેટલી સ્પષ્ટતા હતી. તેમણે અમિતાભને ધ્યાનમાં રાખીને જ વાર્તા લખી હતી. જાવેદ અખ્તર જ્યારે અમિતાભને સ્ક્રીપ્ટ સંભળાવતા હતા, ત્યારે થોડા દૃશ્ય પછી તે વચ્ચે-વચ્ચે અમિતાભને કહેતા હતા, “એ આપ કે 15 હપ્તે હો ગયે … એ આપકે 25 હપ્તે હો ગયે.” અને સ્ક્રીપ્ટ પૂરી કરીને કહ્યું કે ‘એ આપકે 100 હપ્તે હો ગયે.” 

હપ્તા યાની ફિલ્મ કેટલા સપ્તાહ ચાલશે તે. તેમને પૂરો વિશ્વાસ હતો કે ફિલ્મ લંબી રેસ કા ઘોડા હૈ. ‘દીવાર’ પૂરા ભારતનાં સિનેમા થિયેટરોમાં 100 હપ્તાથી વધુ સમય સુધી ‘હાઉસફૂલ’નાં પાટિયાં સાથે ચાલી. તે ફિલ્મે હિન્દી ફિલ્મોના હીરોની શકલ બદલી નાખી, અને અમિતાભના વ્યવસ્થા વિરોધી એન્ગ્રી યંગ મેન અને એન્ટિ-હીરોની ઈમેજને સખ્ત રીતે દર્શકોની ચેતનામાં જડી દીધી. 

જાવેદ અખ્તર કહે છે, “અમિતજીએ ‘ઝંજીર’માં એન્ગ્રી યંગ મેનનો રોલ કર્યો હતો, પણ એમના પર સિક્કો વાગ્યો ‘દીવાર’થી. આપણે ‘મધર ઇન્ડિયા’ અને ‘ગંગા-જમુના’નમાં એન્ગ્રી યંગ મેન(સુનીલ દત્ત અને દિલીપકુમાર)ને જોયો હતો, પણ એ બહુ મોળો હતો, કારણ કે તે ફિલ્મોમાં રોમાંસ હતો, તમાશો હતો અને ગીતો હતાં. અમિતજીના આવવાથી એન્ગ્રી યંગ મેનને પાંખો આવી, કારણ કે એમાં મોળપણ ન હતું. એની અસર લોકો પર આજે ય છે.”

(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”, 05 ફેબ્રુઆરી 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

દલિત અધિકારોના વિસ્મૃત લડવૈયા : જોગેન્દ્રનાથ  મંડલ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 February 2025

ચંદુ મહેરિયા

બાબાસાહેબ ડો. આંબેડકરના સાથી, પકિસ્તાનના પહેલા કાયદા મંત્રી અને દલિતોના અધિકારો માટે આજીવન સંઘર્ષરત જોગેન્દ્રનાથ મંડલ (જન્મ : ૨૯મી જાન્યુઆરી ૧૯૦૪ — અવસાન : ૫મી ઓકટોબર ૧૯૬૮) જીવનના અંતિમ વરસોમાં જ ભૂલાવા માંડેલા. ચોસઠ વરસની વયે તેમણે એક વિસ્મૃત નાયક તરીકે આ દુનિયાની વિદાય લીધી હતી. પૂર્વી બંગાળના દલિતોના હિત માટે મંડલે ભારતના વિભાજન પછી પાકિસ્તાનમાં રહેવાની પસંદગી કરી હતી તે નિર્ણય ખોટો પડ્યો. પાકિસ્તાનની બંધારણસભાના સભ્ય અને બંધારણસભાની પહેલી બેઠકના અધ્યક્ષ રહી ચૂકેલા મંડલ ભારતમાં મહાપ્રાણ (મહાન વ્યક્તિ) મટી ‘ભારતીય પાકિસ્તાની’ નાગરિકની ઓળખ પામ્યા હતા. તો પાકિસ્તાને તેમને વિશ્વાસઘાતી, જુઠ્ઠા અને કાયર કહ્યા હતા. પાકિસ્તાનથી મોહભંગ થતાં તેઓ પાકિસ્તાન છોડી ભારત પરત ફર્યા પણ અહીં લોકોનો વિશ્વાસ પુન: સંપાદિત ન કરી શક્યા તેથી. રાજકીય અસ્પૃશ્ય અને ગુમનામ નાયક બની જીવ્યા.  

વર્તમાન બાંગ્લાદેશ અને તત્કાલીન બ્રિટિશ ભારતના પૂર્વી બંગાળના બારીસાલ જિલ્લાના એક નાના ગામમાં તેમનો જન્મ થયો હતો. દલિતોમાં દલિત એવી નામશૂદ્ર જ્ઞાતિના ખેતમજૂર પરિવારમાં જન્મેલા જોગેન્દ્રનાથ ૧૯૩૨માં જિલ્લા મથક બારીસાલની કોલેજમાંથી સ્નાતક થયા અને પછી કલકત્તાની લો કોલેજમાંથી એલ.એલબી. કર્યું હતું. પરંતુ કોલેજકાળથી જ તેમનો ઝોક જાહેર કાર્યો તરફ હતો. એટલે ના તો એમણે વકીલાત કરી કે ના તો સરકારી નોકરી. મહાદલિત એવા નામશૂદ્રો અને અન્ય શોષિતોના સવાલો ઉકેલવા મથવું એ જ એમનું જાહેર કાર્ય અને વ્યવસાય બન્યા હતા.

જોગેન્દ્રનાથ મંડલ

જોગેન્દ્રનાથ મંડલની સંસદીય કારકીર્દિનો આરંભ બહુ જ શાનદાર હતો. ૧૯૩૫ના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અનુસાર દેશમાં પ્રાંતિક સ્વરાજ આવ્યું ત્યારે બંગાળ વિધાનસભાની સામાન્ય બેઠક પર કાઁગ્રેસના ઉમેદવારને હરાવીને તેઓ જીત્યા હતા. ભાગલા પૂર્વેની બંગાળની સરકાર અને વચગાળાની કેન્દ્ર સરકારમાં ૧૯૩૭થી ૪૬ અને પાકિસ્તાનની પહેલી સરકારમાં ૧૯૪૭થી ૫૦ તેઓ મંત્રી હતા. મહંમદ અલી ઝીણાના પ્રીતિપાત્ર હોવાના કારણે ભારતની વચગાળાની સરકારમાં મુસ્લિમ લીગના ક્વોટામાંથી ઝીણાએ મંડલની કેબિનેટ મિનિસ્ટ્રર તરીકે પસંદગી કરી હતી. કાયદો, ન્યાય, સહકાર, શ્રમ અને કશ્મીર જેવા મંત્રાલયોનું કામ તેમના શિરે ભારત અને પાકિસ્તાનની કેન્દ્ર સરકારોમાં અને બંગાળની રાજ્ય સરકારમાં નિભાવવાનું આવ્યું હતું.

ડો. બાબાસાહેબ આંબેડકર, નેતાજી સુભાષચન્દ્ર બોઝ અને કાયદે આઝમ મહંમદ અલી ઝીણા સાથે મંડલના ઘનિષ્ઠ સંબંધો હતા. યુવા વયથી જ તેઓ નેતાજીથી બહુ પ્રભાવિત હતા. નેતાજીને કાઁગ્રેસે પક્ષમાંથી દૂર કર્યા પછી તેઓ મુસ્લિમ લીગ તરફ ખેંચાયા હતા. સુભાષબાબુએ મંડલને “મધુર વ્યવહાર, અડગ દૃઢ સંકલ્પ અને સેવા પ્રત્યેની અન્યય ભક્તિ ધરાવતી વ્યક્તિ”  ગણાવ્યા હતા. ડો. આંબેડકર અને જોગેન્દ્રનાથની મિત્રતા દીર્ઘ અને અતૂટ હતી. ૧૯૪૨માં તેઓ પ્રથમ વખત મળ્યા હતા. ડો. આંબેડકર સ્થાપિત “ઓલ ઇન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન”ની બંગાળ શાખાના તેઓ પ્રમુખ હતા. ૧૯૪૬માં તેઓ ફેડરેશનના ઉમેદવાર તરીકે બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા. ડો. આંબેડકરને માટે બંધારણ સભામાં પ્રવેશવું અનિવાર્ય હતું. પણ ચૂંટાવું મુશ્કેલ હતું. ત્યારે મંડલે  બંગાળમાંથી બંધારણસભામાં તેમના પ્રવેશનો કઠિન માર્ગ સરળ કરી આપ્યો હતો. મંડલ અને આંબેડકરના વિચારોમા ભિન્નતા આવી ત્યારે પણ બંનેએ દોસ્તી ટકાવીને એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. 

વિભાજન પછી પાકિસ્તાન સાથે જોડાયેલા જોગેન્દ્રનાથ મંડલ માટે દલિતોનું હિત સર્વોપરી હતું. એટલે જ તેમણે પાકિસ્તાન જવાનો નિર્ણય લીધો હતો કે તે લેવા તેમને મજબૂર કરાયા હતા. બંગાળ વિધાનસભામાં જ્યારે કોઈ એક પક્ષને બહુમતી ન મળી ત્યારે ગઠબંધન સરકાર રચવી પડી હતી. આમ તો મંડલ એકલા જ ચૂંટાયા હતા. પરંતુ તેમણે દલિત ધારાસભ્યોનું જૂથ બનાવ્યું હતું. તેના સમર્થન સિવાય સરકાર રચવી મુશ્કેલ હતી. મંડલે સમર્થન માટે ત્રણ દલિતા ધારાસભ્યોને પ્રધાનપદ, ત્રણને સંસદીય સચિવ પદ, દલિત   વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ અને સ્કોલરશીપ તથા વસ્તી મુજબ અનામતની માંગણી કરી હતી. હિંદુ નેતાઓને તે માંગ સ્વીકાર્ય નહોતી પરંતુ મુસ્લિમ નેતાઓને મંજૂર હતી. એટલે મંડલે મુસ્લિમ લીગને સાથ આપવાનું નક્કી કર્યું હતું. શાયદ આ જ અનુભવે તેઓ પાકિસ્તાન તરફ પણ ખેંચાયા હતા. પાકિસ્તાનની પસંદગી સંદર્ભે તેમણે કહ્યું હતું કે તેમને ગાંધી નહેરુના ભારત કરતાં ઝીણાના પાકિસ્તાનમાં દલિતોના હિતને વધુ મહત્ત્વ મળશે તેમ લાગે છે. વળી, મુસ્લિમોને એક લઘુમતી તરીકે તેમના અધિકારો માટે ભારતમાં જે સંઘર્ષ કરવો પડ્યો છે તે  તેઓ તેમના દેશની દલિત લઘુમતીને નહીં કરવા દે અને તેમનું વલણ વધુ ઉદાર અને ન્યાયી  હશે તેમ માનીને તેમણે દલિત મુસ્લિમ એકતામાં ભરોસો મૂક્યો હતો.

૧૯૪૮માં ઝીણાના અવસાન પછીના પાકિસ્તાનના શાસકોને મંડલની પાકિસ્તાન પ્રત્યેની દેશભક્તિ પર શંકા રહેતી હતી. પ્રધાનમંડળના ઘણાં ગોપનીય નિર્ણયો મંડલથી છુપાવવામાં આવતા હતા. ઘણા નિર્ણયોની તેમને મોડેથી અને બહારથી જાણ થતી હતી. આ બધી બાબતોથી તેમ જ દલિતોની હાલતથી તેમને ચિંતા થઈ હતી. એટલે ૧૯૫૦માં તેઓ ભારત આવતા રહ્યા અને અહીંથી જ તેમણે પ્રધાન પદનું રાજીનામું પાકિસ્તાનના વડા પ્રધાનને મોકલી આપ્યું હતું. રાજીનામાના પત્રમા મંડલે પાકિસ્તાન સરકારની સાંપ્રદાયિક અને દલિત વિરોધી નીતિઓને કારણે તેમણે આ નિર્ણય કર્યાનું સ્પષ્ટ જણાવ્યું હતું. પાકિસ્તાનની સરકાર અને પોલીસના સાથથી લઘુમતી દલિતોને રંજાડવામાં આવતા હોવાનું અને હિંસા થતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. 

વિભાજન પૂર્વેના બંગાળની કુલ આશરે ૫ કરોડની વસ્તીમાં ૨ કરોડ ૮૦ લાખ મુસ્લિમો અને ૨ કરોડ ૨૦ લાખ હિંદુઓ હતા. હિંદુઓમાં ૮૦ લાખ દલિતો હતા અને ૮૦ લાખ દલિતોમાં ૩૫ લાખ મંડલના જાતભાઈઓ એવા નામશૂદ્રો હતા. મુસ્લિમ બહુલ પૂર્વી બંગાળમાં વસતા નામશૂદ્રોના હિતમાં તેમણે પાકિસ્તાનનો વિકલ્પ પસંદ કર્યો હતો. પરંતુ ઝીણાના અવસાન પછીના શાસકોએ તેમને ખોટા ઠેરવ્યા હતા. આ સંદર્ભમાં ગજલ આસિફના પીએચ.ડી. થીસિસ “મંડલ એન્ડ પોલિટિકસ ઓફ દલિત રેકગ્નિશન ઈન પાકિસ્તાન”નું એક મૂલ્યાંકન પણ નોંધપાત્ર છે કે જોગેન્દ્રનાથ મંડલે પાકિસ્તાનના નિર્માણમાં દલિતોની આઝાદીનું સ્વપ્ન સાકાર થતું જોયું હતું. પરંતુ તેઓ પાકિસ્તાનની લઘુમતી એવા હિંદુઓને એક સમાન માની બેઠા હતા. તેમની વચ્ચેનો ભેદ તેઓ સમજ્યા નહોતા. લઘુમતી હિંદુઓમાં કથિત ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓ અને દલિતો વચ્ચેના અંતરને સમજવામાં મંડલે થાપ ખાધી હતી. તેથી તેમનું દલિત મુસ્લિમ ભાઈચારાનું સપનું રોળાઈ ગયું હતું. 

દલિતો માટે ગુણવતાયુક્ત શિક્ષણ અને ન્યાયતંત્ર, અર્થતંત્ર, રાજકારણ, શિક્ષણથી માંડીને સહકારી ક્ષેત્ર એમ તમામમાં દલિતોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ એ મંડલના દલિત અધિકારો માટેના સંઘર્ષના મુખ્ય મુદ્દા હતા. તે માટે તેઓ આજીવન ઝઝૂમ્યા હતા. ભારત પરત આવીને તેઓ શરણાર્થીઓના અધિકારો માટે કાર્યરત રહ્યા. ૧૯૫૦ પછી તેઓ ચાર ચૂંટણીઓ લડ્યા પણ એકેય જીતી શક્યા નહીં કેમ કે તેમનો જનાધાર રહ્યો નહોતો. સત્તા સિવાય તેઓ દલિતોના સવાલો સતત ઉઠાવતા રહ્યા. તેઓ માત્ર પૂર્વી બંગાળના જ દલિત નેતા નહોતા. આખા દેશની દલિત ચળવળ સાથે જોડાયેલા રહેતા હતા. ૧૯૬૪માં અમદાવાદમાં ભરાયેલા આંબેડકરવાદીઓના અધિવેશનમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. 

જોગેન્દ્રનાથ મંડલના જન્મનાં લગભગ ૧૨૦ વરસો અને નિર્વાણનાં ૫૫ વરસો પછી આજે તેમના જીવનકાર્યોનું મૂલ્યાંકન કરીએ ત્યારે તત્કાલીન સમય સંદર્ભે તેમના નિર્ણયોને તપાસવા જોઈએ, નહીં કે આજના સમય સંદર્ભે. તો જ તેમને ઉચિત ન્યાય કરી શકાશે અને આધુનિક દલિત ઇતિહાસના નિર્માતા તરીકેના તેમના પ્રદાનને સમજી શકાશે. 

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...259260261262...270280290...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved