Opinion Magazine
Number of visits: 9576404
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કયા કારણો છે કે ભા.જ.પ.ને માર પડી રહ્યો છે?

રમેશ ઓઝા|Opinion - Opinion|26 December 2019

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો પછી એમ લાગે છે કે કેન્દ્ર સરકારે મર્દાનગીના ખેલ યોજવાની જગ્યાએ પોતાની કૌવત મુજબ ધોરણસરનું શાસન કરવું જોઈએ. પ્રજા આમ ઈચ્છે છે એ એક નહીં ત્રણ સ્થળે સાબિત થઈ ચૂક્યું છે.

૫૬ ઈંચની છાતી ધરાવનારા મરદના દીકરા જે નિર્ણય લઈ શકે એવા નિર્ણયો લેવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરનું વિભાજન કરવામાં આવ્યું હતું અને આર્ટીકલ ૩૭૦ને મર્યાદિત કરવામાં આવ્યો હતો. ટ્રીપલ તલાકને ફોઝદારી ગુનો બનાવતો ખરડો લોકસભામાં પસાર કર્યા પછી રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીઓ આવા ઐતિહાસિક નિર્ણય પછી યોજવામાં આવી હતી, પણ તેમાં બી.જે.પી.ને સફળતા મળી નહોતી. ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે તો હજુ વધુ અનુકૂળતા પેદા કરવામાં આવી હતી. હતી. અયોધ્યામાં રામમંદિર બાંધવા માટે અન્યાયકારક ચુકાદો આપીને સર્વોચ્ચ અદાલતે રસ્તો ખોલી આપ્યો એ પછી યોજવામાં આવી હતી. આ ઉપરાંત નાગરિક નોંધણી અને નાગરિક ધારામાં સુધારા જેવા કહેવાતા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા. આમ છતાં ઝારખંડમાં બી.જે.પી.નો શરમજનક પરાજય થયો છે.

કેન્દ્ર સરકારને એમ લાગતું હતું કે મુસલમાનોને હાંસિયામાં ધકેલી દેવામાં આવશે એટલે મુસલમાનો તેનો વિરોધ કરશે. મુસલમાનોના વિરોધનો હિંદુઓ સંગઠિત થઈને પ્રતિકાર કરશે. એને કારણે હિંદુઓનું અને મુસલમાનોનું ધ્રુવીકરણ થશે અને એ પછી તો પૂછવું જ શું? ભડવીરોને જોઈને હિંદુઓ પાણી પાણી થઈ જશે અને આર્થિક સંકટ અને સુખાકારીના બીજા પ્રશ્નોને ભૂલીને હિંદુ હિંદુ તરીકે મતદાન કરશે અને પછી તો આપણો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. થોડા સેક્યુલર હિંદુઓને ‘અર્બન નક્સલ’ અને ‘દેશદ્રોહી’ જેવા લેબલ ચોડીને બદનામ કરી શકાશે અને તેમના પ્રભાવને ખાળી શકાશે.

આ ઉપરાંત ગોદી મીડિયા ખિસ્સામાં છે. અઢળક ધન છે અને ન્યાયતંત્ર અને ચૂંટણીપંચના સભ્યોને ડરાવીને લાઈન પર લાવી શકાયા છે. એટલે તો ઝારખંડ ખોબા જેવડું રાજ્ય હોવા છતાં ચૂંટણીપંચે પાંચ તબક્કામાં ચૂંટણી યોજીને બી.જે.પી.ને પ્રચાર કરવાનો અને બીજા માર્ગ અપનાવવાનો માગે એટલો સમય આપ્યો હતો. ચૂંટણીપંચની આ ઉઘાડી તરફદારી હતી અને છતાં ઝારખંડમાં બી.જે.પી.નો પરાજય થયો છે.

આનો અર્થ શું કરશો? શા માટે હિંદુઓ હિંદુ તરીકે સંગઠિત થવાની જગ્યાએ ભારતના નાગરિક તરીકે મત આપી રહ્યા છે? શા માટે તેઓ મર્દાનગીની જગ્યાએ સુખાકારીની ઈચ્છા રાખી રહ્યા છે? શા માટે તેઓ ધોરણસરના શાસનની અપેક્ષા રાખી રહ્યા છે? ભક્તોએ ગેલમાંથી બહાર આવીના આ બધા પ્રશ્નોના જવાબ શોધવા જોઈએ. હિન્દુત્વવાદી શાસકો અને હિન્દુત્વવાદી ભક્તોનો સાગમટો સ્વપ્નભંગ થયો એનાં કારણો શોધવા જોઈએ.

કેન્દ્ર સરકાર આર્થિક સંકટનો સ્વીકાર જ નથી કરતી એ આનું પહેલું કારણ છે. ઈલાજ તો ત્યારે શોધવામાં આવે જ્યારે સંકટનો સ્વીકાર કરવામાં આવે. કેન્દ્ર સરકાર એવા ભ્રમમાં હતી કે કહેવાતા મર્દાનગીવાળા નિર્ણયો લીધા પછી એ વિષે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. સતત ભયભીત હિંદુ મુસલમાન પરની સરસાઈ જોઇને એટલો હરખાઈ જશે અને એટલો પોરસાશે કે તે ભૂખ્યો સૂશે પણ હિંદુ તરીકે મત આપશે. પરિણામો એમ બતાવે છે કે યોગક્ષેમના પ્રશ્ને હિંદુરાષ્ટ્ર પર સરસાઈ મેળવી છે.

બીજું કારણ છે તુમાખી. આપણે યાવદ્ચન્દ્ર દીવાકરો શાસન કરવાના છીએ અને કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી એનો ફાંકો આડે આવી રહ્યો છે. હરિયાણામાં દુષ્યંત ચૌટાલાનો ટેકો મેળવવા અને સરકાર રચવા ભ્રષ્ટાચારના ગુનામાં દસ વરસની સજા ભોગવી રહેલા હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને દુષ્યંત ચૌટાલાના દાદા ઓમ પ્રકાશ ચૌટાલાને છોડવામાં આવ્યા હતા. આ એક અનૈતિક સોદો હતો. નૈતિકતાની ઐસીતૈસી, સરકાર તો અમારી જ બનશે એવી નીતિ બી.જે.પી.એ અપનાવી હતી. આવું જ વલણ તેમણે મહારાષ્ટ્રમાં પણ અપનાવ્યું હતું. મહારાષ્ટ્રમાં ત્રીસ વરસ જૂના રાજકીય સાથી અને મિત્ર શિવસેનાની સરેઆમ ઉપેક્ષા કરવામાં આવી હતી. જઈ જઈને ક્યાં જશે એવો બી.જે.પી.ના નેતાઓનો ફાંકો હતો. સેનાએ જ્યારે કૉન્ગ્રેસ અને એન.સી.પી. સાથે મળીને સરકાર રચવાની તજવીજ કરી ત્યારે એન.સી.પી.ના નેતા અજીત પવારને સાધીને રાતોરાત સરકાર રચી હતી. એ બંધારણની મર્યાદાનું ઉઘાડું ઉલ્લંઘન હતું. હદ તો ત્યારે થઈ કે સરકાર રચાયા પછી પહેલો નિર્ણય અજીત પવાર સામેના સિંચાઈકૌભાંડના કેસ પાછા ખેંચી લેવાનો લીધો હતો. આ બે ઘટના જોઈને મતદાતાઓના મનમાં સવાલ થયો હતો કે આ દેશપ્રેમી શાસકો છે કે સત્તાપ્રેમી? શું હિંદુ રાષ્ટ્ર આવું માથાભારે હોય? દેશપ્રેમ આવો નૈતિકતાવિહોણો હોય?

ત્રીજું કારણ સત્તાનું કેન્દ્રીકરણ છે. બધા જ નિર્ણયો નરેન્દ્ર મોદી અને અમિત શાહ લે છે. કેન્દ્રમાં અને રાજ્યોમાં લોકપ્રિય નેતાઓની ખસી કરી નાખવામાં આવી છે. કયા ખાતાનો કોણ પ્રધાન છે એ કોઈ જાણતું નથી. રાજ્યના નેતાઓને પ્રચારમાં ઊતારવામાં આવતા નથી. બહારથી તો નહીં, પણ પક્ષની અંદરથી પણ કોઈ પડકાર પેદા ન થવો જોઈએ એવું વલણ મોદી-શાહની જોડી અપનાવે છે. આ પક્ષઅંતર્ગત સરમુખત્યારશાહીએ પણ બી.જે.પી.નો પરાજય સંભવ કરી આપ્યો છે. તમારા રાજકીય વિરોધીઓ મોઢું ખોલ્યા વિના પણ નુકસાન પહોંચાડી શકતા હોય છે એ મોદી-શાહે કૉન્ગ્રેસના અનુભવ પરથી સમજી લેવું જોઈએ.

ચોથું કારણ એ છે કે આ કહેવાતા મર્દાનગીભર્યા નિર્ણયો પણ કાચા અને અધૂરા છે. કાશ્મીરમાં પરિસ્થિતિ થાળે પડતી નથી અને તેને કેમ થાળે પડવી એ તેમને સૂઝતું નથી. દુનિયામાં ભારતની ટીકા થઈ રહી છે અને તેનો કઈ રીતે સામનો કરવો કે વિશ્વમત ભારતની તરફેણમાં અનુકૂળ બનાવવો એની તેમને જાણ નથી. આને કારણે વિદેશ પ્રધાન જયશંકર અમેરિકા જઇને પણ અમેરિકન કોંગ્રેસના પ્રતિનિધિઓને મળ્યા નહોતા, કારણ કે અખબારોમાં અહેવાલ પ્રગટ થયા હતા કે ભારતીય મૂળના અમેરિકન કોંગ્રેસમેન ભારત સરકારની ટીકા કરવાના છે અને ભારત સરકારના પ્રતિનિધિને કેટલાક સવાલો કરવાના છે.

આ સરકાર ટીકાથી ડરે છે. દેખીતી રીતે ટીકાનો જવાબ તેની પાસે નથી અને સામી છાતીએ સામે ઊભા રહીને પોતાની બાજુ માંડવાની હામ પણ નથી. જમ્મુ અને કાશ્મીરનો નિર્ણય લીધે પાંચ મહિના થવા આવ્યા છે, પણ ભારત સરકાર એટલી પણ તૈયારી કરી શકી નથી કે જગતમાં શું કહીને ભારતનો બચાવ કરવો. ૧૯૯૦ના દાયકામાં કાશ્મીરની ખીણમાં આજ કરતાં પણ વધુ અશાંતિ હતી. એ સમયે પી.વી. નરસિંહ રાવ વડા પ્રધાન હતા. ૫૬ ઈંચની છાતી નહીં ધરાવતા હોવા છતાં નરસિંહ રાવે જન્મે મુસ્લિમ અને કૃતિથી સેક્યુલર સલમાન ખુરશીદ અને જન્મે હિંદુ તેમ જ કૃતિથી હિન્દુત્વવાદી અટલ બિહારી વાજપેયીને જીનીવામાં માનવ અધિકાર પંચ સમક્ષ ભારતનો કેસ રજૂ કરવા મોકલ્યા હતા. માનવ અધિકારોની બાબતે ભારત ગુનેગાર હોવા છતાં એક સેક્યુલર મુસ્લિમે અને હિન્દુત્વવાદી હિંદુએ સેક્યુલર ભારતનો બચાવ કર્યો હતો. આને કહેવાય મુત્સદી.

નાગરિક નોંધણી જોગવાઈમાં અને નાગરિક સુધારા ધારામાં એટલાં બધાં બાકોરાં છે જે હવે ઉઘાડાં પડી ગયાં છે. એ કોઈ પણ દૃષ્ટિએ કાયદાકીય જોગવાઈ નથી, પણ મર્દાનગીનો એક ખેલ છે. નોટબંધીથી લઈને નાગરિક નોંધણી સુધી એક પછી એક મર્દાના ખેલ પાડવામાં આવે છે જે દરેક કાચા, અધૂરા, વિચાર્યા વિનાના અને એકંદરે નુકસાનકર્તા સાબિત થયા છે. પ્રજાને હવે સમજાઈ રહ્યું છે કે મર્દાનગી પણ બંધારણ અને નૈતિકતાની એરણે તો ઠીક, પણ વ્યવહારની એરણે પણ ટકી શકે એમ નથી. તો પછી તેઓ સાત દાયકા સુધી કઈ ચીજનો જાપ કરતા હતા? જે મર્દાનગી બતાવવામાં આવી રહી છે એ જૂની રંગભૂમિની ભાંગવાડીની મર્દાનગી છે. ગર્જનાઓ (લાઉડનેસ) તેમનો સ્થાયીભાવ છે.

ઝારખંડમાં ચૂંટણીપંચે પૂરી અનુકૂળતા કરી આપી હતી. આને કારણે વડા પ્રધાનને ઝારખંડમાં નવ રેલી સંબોધવાનો સમય મળ્યો હતો. આઠ રેલી અમિત શાહે કરી હતી. આશ્ચર્ય એ વાતનું છે કે જ્યાં વડા પ્રધાને ચૂંટણીસભાઓને સંબોધી હતી ત્યાં બી.જે.પી.નો પરાજય થયો છે. વડા પ્રધાને પહેલી સભામાં ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુવર દાસનો ઉલ્લેખ કર્યો હતો. એ સભામાં તેમણે જોયું કે લોકો મુખ્ય પ્રધાનની બાબતમાં બહુ ઉત્સાહી નથી એટલે બીજી સભામાં તેમણે રઘુવર દાસનો ઉલ્લેખ પણ કર્યા વિના મતદાતાઓને સલાહ આપી હતી કે તેમણે મોદીના નામે કમળને મત આપવાનો છે. આમ છતાં મતદાતાઓએ કમળને મત ન આપ્યો એનો અર્થ શું થયો? લોકોએ રઘુવર દાસને નથી નકાર્યા, નરેન્દ્ર મોદીને નકાર્યા છે.

તો લેસન માત્ર એટલું જ છે કે હાકલા પડકારા કરવાની જગ્યાએ, મર્દાનગીના ખેલ પાડવાની જગ્યાએ; જેટલું કૌવત હોય, થોડું તો થોડું પણ ધોરણસરના શાસન માટે વાપરવું જોઈએ. કોઈ પ્રજા કાયમ માટે કેફમાં રહેતી નથી.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 ડિસેમ્બર 2019

Loading

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે; આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે …!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|26 December 2019

હૈયાને દરબાર

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે;
આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે.

છે ને કલ કોલાહલે આ સાવ મૂંગું મૂઢ સમ;
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે.

એક પલકારે જ જો વીંધાય તો વીંધી શકો;
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે!

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું;
શબ્દનું એની કને કંઈ ક્યાં ઊપજતું હોય છે!

એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી;
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.

•   ગઝલકાર : રાજેન્દ્ર શુક્લ    •   સ્વર-સંગીત : સોલી કાપડિયા
———————–

બાળપણથી જ સાહિત્યકારોના સત્સંગનો લાભ મળ્યો હોય એ સંસ્કાર ક્યાંક તો ઊગી નીકળે. આ બાબતે હું સદ્દભાગી હતી. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા શ્રી ઉમાશંકર જોશીના ખોળામાં રમવાનું સદ્દભાગ્ય મળે, આદરણીય લેખક-નવલકથાકાર રઘુવીર ચૌધરી, પ્રવાસ નિબંધ સર્જક ભોળાભાઈ પટેલ જેવા પડોશીઓ હોય, મનુભાઈ પંચોળી ‘દર્શક’ જેવા શુભચિંતકની આવ-જા ઘરમાં રહેતી હોય, લાભશંકર ઠાકર જેવા મોટા ગજાના સાહિત્યકારને મિત્ર બનાવી આઈસક્રીમની જયાફત માંડી શકાતી હોય અને ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ જેવા વિદ્વાન-સહૃદય કવિની હાજરીમાં જ મારી સત્તર-અઢારની વયે એમની કવિતા, ‘હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક’ ગાવાની તક મળે ને કવિ હોંશપૂર્વક બિરદાવે એ ય સદ્દનસીબ જ ને! હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક એ ઇશ્કેહકીકી ગઝલ છે જેમાં કવિએ કોઇ પણ પંથ કે ગઝલકારનું નામ લીધા વગર એમની મસ્તી, ફકીરી, તલ્લીનતા, ત્યાગ, સમર્પણને વ્યક્ત કર્યા છે. આ ગઝલ દ્વારા એમણે નરસિંહ, મીરાં, સંત તુલસીદાસ, કબીર, નાનક જેવાં સંતોને યાદ કર્યાં છે. આ ઉપરાંત જે મહાત્મા જે પ્રદેશ સાથે સંકળાયેલા હતા તે પ્રદેશની ભાષાના એકાદ બે શબ્દો મુકી ભાવને અનુરૂપ વાતાવરણ રચ્યું છે. પરેશ ભટ્ટે આ ગઝલ સરસ સ્વરબદ્ધ કરી છે.

અમારી ટીનએજ પપ્પાના સાહિત્ય સંસ્કાર અને મમ્મીના સંગીત સંસ્કારથી સમૃદ્ધ હતી. સાહિત્યકારોની અવરજવરને લીધે અનાયાસે સાહિત્ય – સંગીતનો પિંડ ઘડાતો ગયો. ‘બાપુ’ના હુલામણા નામે ઓળખાતા કવિ રાજેન્દ્ર શુક્લની કવિતાઓ હંમેશાં મને અચંબિત કરતી રહી છે. શું જબરજસ્ત અભિવ્યક્તિ, લાઘવ અને ગૂઢાર્થ છે એમની કવિતામાં! કેટલીક કવિતાઓ પઠનની દ્રષ્ટિએ અદ્ભુત છે તો કેટલીક ખૂબ સરસ કમ્પોઝ થઈ છે. કવિના સ્વમુખે ધીરગંભીર અવાજમાં કાવ્યપઠન સાંભળવું એ લહાવો છે, પરંતુ એમનાં કેટલાંક કાવ્યો-ગઝલો જુદા જુદા સંગીતકારોએ સ્વરબદ્ધ કર્યાં છે.

એમની ગેય ગઝલોમાં સૌથી પહેલી મેં જે સાંભળી હતી એ અમેરિકા સ્થિત સ્વરકાર હરેશ બક્ષીએ કમ્પોઝ કરેલી અને બંસરી યોગેન્દ્રએ ગાયેલી ગઝલ, આવ્યા હવાની જેમ અને ઓસરી ગયા, શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયા … હતી. હજુ તો એના પ્રભાવમાંથી બહાર આવું એ પહેલાં સોલી કાપડિયાના કંઠે એક પ્રાઈવેટ કોન્સર્ટમાં બીજી અદ્ભુત ગઝલ સાંભળવા મળી,

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે ;
આ સમજ કે અણસમજ એ ખુદ સરજતું હોય છે …!

બંને ગઝલના શબ્દો અને સ્વરાંકન મનમાં એવાં જડબેસલાખ બેસી ગયાં કે પછી તો રાજેન્દ્ર શુક્લની તમામ ગેય ગઝલો જ્યાં મળે ત્યાં સાંભળવાનો મોકો ચૂકતી નહીં.

કવિ રાજેન્દ્ર શુક્લનો જન્મ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે. ૧૯૬૫માં અમદાવાદની એલ.ડી. આર્ટસ કોલેજમાંથી સંસ્કૃત-પ્રાકૃત વિષયો સાથે બી.એ. તેમ જ ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. કર્યું. ૧૯૮૨ સુધી વિવિધ કોલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું તથા ૧૯૮૦-૮૧નું ઉમાશંકર-સ્નેહરશ્મિ પારિતોષિક મેળવ્યું હતું.

એમના કાવ્યસંગ્રહો કોમલ રિષભ’ (૧૯૭૦) અને અંતર ગંધાર’(૧૯૮૧)માં ગ્રામજીવન અને નગરજીવનના સ્વાનુભવથી, મનુષ્યને પૂરા રસથી ચાહવાની વૃત્તિથી અને સાહિત્ય ઉપરાંત સંગીત, જ્યોતિષ, ઇતિહાસ, તત્ત્વજ્ઞાનાદિ વિષયોના અધ્યયનથી કેળવાયેલી એમની કવિ તરીકેની સજ્જતા જોઈ શકાય છે. એમની કવિતામાં અદ્યતન ભાવ-વિભાવનો તેમ જ કલાન્તિ, નૈરાશ્ય અને વિચ્છિન્નતાના અનુભવનો સ્પર્શ પમાય છે. કૃતિનિર્મિતિમાં ઝીણું નકશીકામ કરવાનો કલા-કસબ, કલા-આકૃતિ અંગેની સભાનતા અને પ્રયોગશીલ વલણને લીધે એમની કવિતા તાજગીસભર છે. એમના પ્રયોગોને આપણી બધી પરંપરાઓની સમૃદ્ધ ભૂમિકા સાંપડી છે. આધુનિક જગતનો પૂરો પરિવેશ આ કવિ પાસે છે; પણ એમનું માનસ, એમનું કવિત્વ નર્યું ભારતીય છે. એ જેટલું પ્રશિષ્ટ છે તેટલું જ તળપદ છે. એમણે છાંદસ-અછાંદસ કાવ્યો અને ગીતો રચ્યાં છે, પરંતુ એમની વિશેષ સિદ્ધિ ગઝલમાં છે. સંસ્કૃત પ્રચુરતા પણ કેટલાંક કાવ્યમાં નજરે ચડે છે. રાજેન્દ્ર શુક્લનું કાવ્ય પઠન અન્ય કવિઓના કાવ્ય પઠનથી સાવ નિરાળું છે. કવિને પૂછીએ તો કવિ કારણ આપે કે હું કવિતા વાંચતી વખતે એ કવિતા જે તે સમયે લખી હોય છે, સમયના એ જ અંતરાલમાં પુન: પ્રવેશ કરું છું અને કાવ્યસર્જનના ભાવને સાંગોપાંગ અનુભવતા અનુભવતા કાવ્યપાઠ કરું છું. આવા અંતરનાદથી સમૃદ્ધ રાજેન્દ્ર શુક્લની શ્રેષ્ઠ ગઝલોમાં,

સામાંય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઊતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ …

અન્ય એક ગઝલ છે,

એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.

ઊંબર આ એક તડકો આવીને થિર થયો,
લ્યો કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.

ઝીલી શકો કશું તો સદ્દભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે …

તથા,

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી

જુઓ તો આસપાસ છું ! જેવી કેટલીય ગઝલો ખૂબ લોકપ્રિય છે. જેમનાં સર્જન આસમાનની ઊંચાઈ આંબે છે એ કવિ ધરતી સાથે સાવ જોડાયેલા છે.

૨ જૂન, ૨૦૦૭ના રોજ ગુજરાત સાહિત્યસભા તરફથી અમદાવાદના ભાઈકાકા હોલમાં રાજેન્દ્ર શુક્લને ઈ.સ.૨૦૦૬નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો હતો.તે વેળાએ કવિ કહે છે કે,

કર્યું તો કશું જ નથી
જે કંઈ થયું તે થાય છે
કર્યું કશું જ નથી
આ અહીં પહોંચ્યા પછી
એટલું સમજાય છે
કોઈ કંઈ કરતું નથી
આ બધું તો થાય છે…!

એ સિવાય,

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે?

જેનો એક લાજવાબ શેર;

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે?

પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વરબદ્ધ કરીને ગાઈ છે.

વિવેક ટેલરે લયસ્તરો પર સાચું જ લખ્યું છે, "રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય.

રાજેન્દ્ર શુક્લ મનને સમજાવો ગઝલ વિશે વાત કરતાં કહે છે, "દીકરા જાજવલ્યના જન્મ વખતે મારી અને મારાં પત્ની વચ્ચે પત્રવ્યવહાર થતો હતો (જત જણાવવાનું કે…સિરીઝ) એમાં એક વાર મનને મનાવવાની વાત આવી હતી જેમાંથી આ ગઝલનું સર્જન થયું. ગઝલનો આરંભ થાય ત્યારે એ ક્યાં પહોંચશે એની કવિને ખબર નથી હોતી. આ ગઝલ લખવાની શરૂ કરી પછી મન જ મુખ્ય વિષય બની ગયું. આ પ્રકારની ગઝલને મુસલસલ ગઝલ કહેવામાં આવે છે, જેમાં એક જ વિષય પર આખી ગઝલ હોય. સામાન્ય રીતે ગઝલમાં દરેક શેર સ્વતંત્ર હોય છે. આ ગઝલની બીજી વિશેષતા એ છે કે મન શબ્દનો એક જ વાર પ્રયોગ થયો હોવા છતાં દરેક શેર મનના સંદર્ભમાં જ સમજાય. એને વ્યાકરણની ભાષામાં અનુવૃત્તિ કહે છે. અંતે મન વાણીમાંથી મુક્ત થઈ મૌનથી ઓગળે છે. મન સાથે આપણે વાણીથી જ વ્યવહાર કરીએ છીએ, પરંતુ મન કંઈ વાણીને ગાંઠે નહીં. મનના વ્યાપ સામે શબ્દનું કંઈ ઊપજતું નથી. એનો ઈલાજ એ જ કે એને મૌનથી ઓગાળવું પડે. એ વગર આપણી મુક્તિ નથી. આ ઓગાળવાની પ્રક્રિયામાં મૌન આવી જાય, વિચારશૂન્યતા, વૈચારિક મૌન પણ આવી જાય. એક પલકારે મનને વીંધી નાખવું પડે નહીં તો તરત જ એ સામા સાજ સજવા માંડે છે. સોલી કાપડિયાને કવિતાની દ્રષ્ટિ છે. એણે ગઝલને અનુરૂપ સ્વરબદ્ધ કરી છે.

સોલી કાપડિયાએ રાજેન્દ્રભાઈની ઘણી ગઝલો કમ્પોઝ કરી છે. એમની ગઝલો વિશે સોલી કાપડિયા યથોચિત વાત કરે છે. તેઓ કહે છે,

"કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની સંગત એટલે શુદ્ધ માર્મિક કવિતા અને ભાષાવૈભવનો સુભગ સમન્વય. આ કવિ ગુજરાતી ભાષા અને સાહિત્યના શિખર સમાન છે. જે ક્ષણમાં કાવ્ય રચાયું હોય એ જ ક્ષણમાં જઈ એ એનું પઠન કરે. અને એટલે જ એમનું પઠન સ્વયં એક કાવ્યાનુભવ લાગે છે. એમની વિસ્મયસભર આલોલ આંખો અને અઠંગ લાડ લડાવતો ભાવપ્રસાદ એમની અલૌકિક વાણીમાંથી ઝરે ત્યારે શબ્દેશબ્દ સ્વર બની જાય અને શ્રોતાનું એક સ્વર્ગીય આલોકમાં ગમન થાય છે. કવિશ્રી સાથેનાં આવાં અનેક સત્સંગો દરમ્યાન એમની મુખપાઠ કરેલી સ્વરચિત કાવ્યકૃતિઓમાંની એક આ રચના મને અત્યંત સ્પર્શી ગઈ આશરે ૧૯૯૪માં. "મનને સમજાવો નહીં … હું એને ‘સાઇકી’ની ગઝલ કહું છું. મનોચિકિત્સક પોતાના ક્લિનિકમાં આ ગઝલ ફ્રેઇમ કરાવી ડિસ્પ્લેમાં મૂકી શકે એવી સુંદર રચના છે આ. આખી ગઝલમાં શરૂઆતથી લઇને અંત સુધી મનની વાતો વર્ણવાઈ છે છતાં ‘મન’ શબ્દ માત્ર પહેલી પંક્તિ સિવાય આખી ગઝલમાં ક્યાં ય નથી દેખાતો! ગઝલની આ એક અનેરી લાક્ષણિકતા તો કહેવાય જ પણ કવિની કલમનું કસબ પણ બિરદાવવું પડે!

દોઢેક દાયકા પહેલાં આ ગઝલ સ્વરાંકન માટે હાથ ધરી અને કંઈ કેટલાં ય મુખડા બનાવ્યાં પણ એકે ય જચે જ નહિ! મને યાદ છે ડસ્ટબિન પણ કાગળનાં ડૂચાઓથી ભરાઈ ગયેલું! રચના એટલી સબળી હતી કે જેવું તેવું સ્વરાંકન એને માટે સ્વીકાર્ય જ ન્હોતું. કંટાળીને આ કામ થોડા દિવસ માટે પડતું મૂક્યું. મહિનાઓ પછી એક દિવસ અચાનક મારા મિત્ર અશ્વિન સાથે જુહૂના દરિયા કિનારે બેઠા હતા ને અથાગ મનોયત્નો છતાં સિગરેટની ટેવ ન છૂટવા વિશેની વાત નીકળી એટલે મને આ ગઝલનો શેર યાદ આવ્યો: એક પલકારે જ જો વીંધાય તો વીંધી શકો; બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે. સિગરેટ છોડવા કે કોઈ નિશ્ચય કરવા માટે આપણું મન આપણને એક જ ક્ષણ આપે છે. જો એ ક્ષણ ઝડપી લો તો કામ તમામ અને જો ચૂક્યા તો બીજી જ પળે મન પોતે જ કાવતરાં રચી એ કામ નિષ્ફળ કરી દે છે અને આપણે રહી જઈએ છીએ ફરી એક્સ્ક્યુઝીસ આપતાં! એ સાંજે આ રચનાનું સ્મરણ થયું અને મધરાતે ઘરે પ્હોંચ્યો ત્યારે આ ગઝલને સ્વરબદ્ધ કરવાનો કીડો ફરી સળવળી ઊઠ્યો હતો.

પ્હોંચીને સીધું હાર્મોનિયમ બહાર કાઢ્યું. ચારે બાજુ સૂનકાર હતો. મન એકદમ શાંત હતું. આ નીરવ શાંતિ જ જાણે પ્રેરી રહી હતી ગઝલનું મુખડું બાંધવા. ‘ઍફ મેજર’ પર આંગળીઓ સ્થિર થઇ અને બાહ્ય શાંતિ અને મનની શાંતિ જાણે એક ડ્યુએટ ગાઈ રહી હોય એમ મંદ સ્વરોમાં આ મુખડું સરે છે: ‘મનને સમજાવો નહિ, કે મન સમજતું હોય છે … આ સમજ, કે અણસમજ, એ ખુદ સરજતું હોય છે.’ કોઈ અદ્વૈત શક્તિનો ધોધ વરસી રહ્યો હોય એમ મુખડાની સાથે પહેલો અને બીજો શેર પણ એક શ્વાસમાં જ અવતરી ગયાં. સ્વરકારને હચમચાવી મૂકે એવી સ્વર-રચના બને ત્યારે સ્વરકાર રાજાપાટ અનુભવે છે. દુનિયાના સૌથી ઊંચા શિખરે બેઠેલા કોઈ દેવ જેવું એ ‘ફીલ’ કરવા માંડે છે. એની ચારે તરફ યુફોરિયા છવાઈ જાય છે. શબ્દોને એનો સ્વર શોધી આપનાર સ્વરકાર જ્યારે એની પ્રક્રિયામાં સફળ થાય છે એ એક અત્યંત નાજુક અને ચિરસ્મરણીય ઘટના હોય છે. એનો શાશ્વત નશો દિવસો મહિનાઓ સુધી કલાકારને કોઈ ‘ટ્રાન્સ’માં રાખી મૂકે છે. સ્વરકાર ક્યારેક તો પાગલપનની હદ વટાવી જાય છે. જે મળે એને એનું નવલું સર્જન સંભળાવવા બેસી જાય છે. મારી દશા પણ કંઈક એવી જ હતી. રઘવાયો થઇ બધેબધ સૃષ્ટિનો આ મહાપ્રસાદ વ્હેંચતો ફરતો. બાકીનાં બે શેરો ઘણાં મહિનાઓ પછી સ્વરબદ્ધ થયાં અને છેવટે આખી ગઝલ તૈયાર થઇ ગઈ! આ ગઝલનાં સ્વરાંકનની પણ એક ખાસિયત છે. ચારે ય શેરની અલગ અલગ ધુનો અલગ અલગ રાગની છાંયમાં બની જે છેવટે દરેક વખતે મુખડા સાથે ભળી જાય છે. રેડિયો, ટી.વી. તથા અનેક કાર્યક્રમોમાં આ રચનાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આટલાં વર્ષોમાં આ ગઝલ ઘૂંટાઈ ઘૂંટાઈને સારી એવી મંજાઈ ગઈ છે. આ ગઝલ રચના ગાવા માટે ઉત્કૃષ્ટ કક્ષાનું ગાયકી કૌશલ્ય આવશ્યક છે. છેવટે ગયા વર્ષે મારા સ્ટુડિયોમાં આ રચનાને સ્વકંઠે રેકોર્ડ કરી. ચારે ય અંતરા (શેર) અલગ તો ચારેય અંતરા વચ્ચેનું સંગીત પણ અલગ હોવું જોઈએ એવો મારો આગ્રહ હતો. રેકોર્ડિંગમાં કોરસ વોઇસિસ, એકઉસ્ટિક વાદ્યો જેમ કે ફ્લ્યૂટ, સંતૂર વગેરે થકી આ ગઝલને સજાવી છે. આ રચનાના ધ્વનિમુદ્રણમાં એક પ્રયોગ કર્યો છે. ગઝલના ત્રીજા અને છેલ્લા શેરની વચ્ચેના મ્યુઝિક પીસની જગ્યાએ રાજેન્દ્રભાઇની જ એક અન્ય રચનાનું મુખડું સમૂહ સ્વરોમાં ગવડાવ્યું છે. આનંદ એ વાતનો છે કે થોડાં જ મહિનાઓ પહેલાં રાજેન્દ્રભાઇ અને એમનાં પત્ની નયનાબહેન સ્ટુડિયો પર આ રચના રેકોર્ડ થયા બાદ ખાસ સાંભળવા પધાર્યાં હતાં. ગુજરાતી કાવ્યસાહિત્ય અને સંગીતની લેન્ડમાર્ક રચનાઓમાં એનો સમાવેશ થઇ શકે એવી આ પાકટ કૃતિ છે. સોલફુલ મેલડીઝ અંતર્ગત મારી આ અતિપ્રિય ગઝલને એના સંપૂર્ણ સ્વરૂપમાં બહાર પાડવાની તજવીજ જારી છે.

સોલી કાપડિયાએ રાજેન્દ્રભાઈની જત જણાવવાનું કે તથા રતિવાર્તિકાની ત્રણ રચનાઓ પણ સ્વરબદ્ધ કરી છે.

સર્વોત્તમ શબ્દો અને સરાહનીય સ્વરાંકનો માણવા તમારે રાજેન્દ્ર શુક્લનાં સર્જનો સુધી પહોંચવું જ પડે. ‘ગઝલસંહિતા’માં એમની તમે કાવ્યસૃષ્ટિ માણી શકશો.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 26 ડિસેમ્બર 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=617250

Loading

ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|26 December 2019

‘કેટલો સમય થયો લગ્નને? ’લેડી ડૉક્ટરે સુષમાને તપાસતાં તપાસતાં પૂછ્યું.

‘આઠ મહિના.’

‘યુ આર વેરી લકી. આ ઉંમરે લગ્ન પછી આટલી જલદી પ્રેગનન્સી મોટે ભાગે રહેતી નથી. કોન્ગ્રેચ્યુલેશન્સ. પણ હવે તમારે તમારી પોતાની અને આવનારા બાળકની બરાબર કાળજી લેવી પડશે હં!’

‘એટલે? એટલે શું હું મા બનવાની છું?’ સુષમાનું હૃદય ખુશીથી ઉછળી રહ્યું. ડૉક્ટરે જ્યારે આ સમાચાર બહાર એમની કેબિનમાં બેઠેલા સુશાંતને આપ્યા ત્યારે એનો ચહેરો કાળો ધબ્બ પડી ગયો.

‘ઓહ! સુષમા પ્રેગ્નન્ટ છે? પણ ડૉક્ટર, આટલી ઉંમરે પ્રેગ્નન્સી રહે તો બહુ જોખમ કહેવાય એવું મેં સાંભળ્યું છે એ સાચું?’

‘એ બધી ચિંતા મારી પર છોડી દો અને તમે ફક્ત તમારી પત્નીનું ધ્યાન રાખો.’

સુષમાના પિતા, એ દસમા ધોરણમાં હતી ત્યારે ગુજરી ગયેલા. નાનો ભાઈ મયંક સાતમામાં ભણતો અને મા હંમેશાં સાજી-માંદી રહેતી. આ સંજોગોમાં એણે નક્કી કરેલું કે જ્યાં સુધી મયંક પોતાની જિંદગીમાં ઠરીઠામ નહીં થાય ત્યાં સુધી પોતે લગ્ન નહીં કરે. ટ્યુશનો  કરીને, સ્કોલરશીપ મેળવીને પોતે ડબલ ગ્રેજ્યુએટ થઈ અને કૉલેજમાં પ્રોફેસર બની. મયંક સિવિલ એંજીનિયર થયો, શિવાની સાથે એનાં લગ્ન થયાં. આ બધાં વર્ષો દરમ્યાન ચૂપ રહેલી મા હવે ઉતાવળી થઈ હતી,

‘હવે શેની રાહ જોવાની છે, બેટા? આ ઘર માટે તેં ઘણું કર્યું. હવે તારી જિંદગી માટે પણ વિચાર.’

કૉલેજના સ્ટાફરૂમમાં સખીઓ પણ આ જ વાત કરતી.

‘જો સુષમા, મા અને ભાઈ માટે તેં ઘણો ભોગ આપ્યો; પણ હવે તારે જલદી નિર્ણય કરવો જોઈએ. અમારાં છોકરાઓ મોટાં થઈ ગયાં ને તું હજી કુંવારી બેઠી છે. આવું ન ચાલે.’

સુષમા પણ હવે ગંભીરતાપૂર્વક પોતાના ભવિષ્ય અંગે વિચારતી થઈ હતી અને એટલે જ, જ્યારે બે દીકરીઓના પિતા એવા સુશાંતની વાત આવી ત્યારે એણે સ્વીકારી લીધી. અવઢવ ઘણી હતી, આ સંબંધ માટે બાંધ-છોડ પણ ઘણી કરવી પડે એમ હતું; પણ હવે આ ઉંમરે બધું જોઈતું, ફાવતું અને ગમતું નથી જ મળવાનું એમ સમજીને, એણે સમાધાન કરી લીધેલું. વીતેલા દિવસોમાં ડૂબકી લગાવીને સુષમા પાછી વર્તમાનમાં આવી.

ચૂપચાપ ગાડી ચલાવી રહેલા સુશાંત તરફ એણે એક નજર નાખી. પંદર જ મિનિટ પહેલાં ડૉક્ટરે જે વધામણી આપી હતી એની ખુશીનો કોઈ અણસાર એના ચહેરા પર દેખાતો નહોતો. સુષમાએ કહ્યું, ‘મને  કૉલેજ પર જ ઊતારી દેજો. હવે ઘરે જવા જઈશ તો કૉલેજનું મોડું  થઈ જશે.’

‘સારું, પણ સાંજે સીધી ઘરે આવી જજે. હું પણ ઑફિસેથી વહેલો આવી જઈશ. થોડી જરૂરી વાત કરવાની છે.’

સુશાંતની ‘જરૂરી વાત’ શી હશે એની અટકળ કરવામાં કૉલેજમાં સુષમાનો આખો દિવસ બેચેનીભર્યો વીત્યો. મનમાં ઊચાટ સાથે ઘરમાં પ્રવેશી ત્યારે એણે જોયું કે સુશાંત એની પહેલાં આવી ગયો હતો.

‘જો સુષમા, જે થઈ ગયું તે થઈ ગયું; પણ વધુ મોડું થાય એ પહેલાં તું કાલે જ ડૉક્ટરને મળીને પૂછી જો કે હવે આ બાળક .. એટલે કે આ પરિસ્થિતિનો નિકાલ .. લાવી શકાય કે …’

બળબળતા અંગારા પર પગ પડી ગયો હોય એમ સુષમા પગ પછાડતી, ઝાટકા સાથે ઊભી થઈ ગઈ, ‘હું પૂછી શકું કે મારા માતૃત્વ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર તમને કોણે આપ્યો?’

સુષમાના ફુંફાડાથી ઓઝપાઈ ગયેલો સુશાંત એની સાથે નજર ન મેળવી શક્યો. સુષમા વધારે ઉશ્કેરાઈને બોલી, ‘આ સમાચાર સાંભળીને તમે ખુશીથી નાચી ઊઠશો, એવી કલ્પના કરવાની મૂર્ખાઈ તો મેં કરી જ નહોતી; પણ તમે આટલી નીચી કક્ષાએ જઈ શકશો એવું પણ નહોતું વિચાર્યું. તમને આ ‘સુવિચાર’ આવવા પાછળનું કારણ જણાવશો?’

‘તારે જાણવું જ હોય તો કારણો તો ઘણાં છે. એક તો આટલી મોટી ઉંમરે પ્રેગનન્સી રહેવાથી તારે માટે જીવનું જોખમ રહેશે. બીજું, સગાં-સંબંધી, સમાજ- સૌ કોઈ આપણી મજાક ઉડાવશે. આ ઉપરાંત સૌમ્યા અને રિયા બંને સમજણી થઈ ગઈ છે. હૉસ્ટેલમાંથી આવશે અને જ્યારે આ વાત જાણશે ત્યારે એ બેઉને કેટલું વિચિત્ર લાગશે?’

‘મારી સાથે લગ્ન કરતી વખતે તમને આ બધામાંથી કોઈ કારણનો વિચાર નહોતો આવ્યો? હું પણ મૂરખી, તે એ સમજવામાં મોડી પડી કે, તમે ફક્ત અને ફક્ત તમારી અને તમારી દીકરીઓની સગવડ અને સલામતી માટે જ મને આ ઘરમાં લઈ આવ્યા છો.’

‘ના ના, એમ નહીં; પણ તું જ વિચાર કે, આ ઉંમરે થયેલું સન્તાન શું કામ લાગવાનું? એ કંઈ થોડું જ ઘડપણમાં આપણી ટેકણ–લાકડી બનવાનું છે?

‘ઓહ! મા બનવાના ઉત્સાહમાં મને આવા નફા-તોટાના હિસાબ માંડવાનું તો સુઝ્યું જ નહીં! પણ હવે જ્યારે તમે પૂછો છો ત્યારે કહી દઉં કે મને જોઈએ છે, માત્ર માતૃત્વ પ્રાપ્ત કરવાનો લહાવો. તમારા થકી એ સુખ મને મળશે એ બદલ હું તમારી આભારી છું; પણ આવનારું બાળક તમારી મિલકતમાં ભાગ પડાવશે, તમને સમાજમાં હાસ્યાસ્પદ બનાવશે, તમારી દીકરીઓની નજરમાં તમને હલકા પાડશે – એવી બધી બીક મનમાંથી કાઢી નાખજો. હું એકલે હાથે મારા બાળકને ઉછેરીશ – તમારી પાસેથી કોઈ અપેક્ષા વગર, સમજ્યા મિ. સુશાંત?’

‘અરે એવું કંઈ નથી. હું તો એમ કહેતો હતો કે …’

‘આટલા વખતમાં તમે ઘણું કહી દીધું. આજે મારું કહેવું સાંભળો. હવે ભવિષ્યમાં કદાચ ત્રીજાં લગ્ન કરો તો આવનારીને તમારા ‘ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ’ પહેલેથી જ સમજાવી દેજો. ચાલો, મારી વાત પૂરી થઈ .. હવે તમે જે કોઈ નિર્ણય કરો એ નિરાંતે જણાવજો.’

‘પણ જરા બેસ તો ખરી! શાંતિથી વાત કરીએ. આ આપણા જીવનની ખૂબ મહત્ત્વની વાત છે.’

‘મારે હવે કશું કહેવા કે સાંભળવાનું બાકી રહેતું નથી ને આમ પણ; હું બહુ થાકી ગઈ છું. મારે સૂવા જવું છે. ગુડ નાઈટ.’

બેડરૂમ ભણી જતી સુષમાનાં મક્કમ પગલાંને સુશાંત જોઈ જ રહ્યો.

(‘માલતી જોશી’ની ‘મરાઠી’ વાર્તાને આધારે)

(તા.16-10-2019ના ‘ભૂમિપુત્ર’ પાક્ષીકમાં છેલ્લે પાને પ્રકાશિત થયેલી આ વાર્તા, લેખિકાબહેનની અનુમતિથી સાભાર .. .. ઉ.મ.)

સર્જક–સમ્પર્ક : બી–401, ‘દેવદર્શન’, પાણીની ટાંકી પાસે, હાલર, વલસાડ– 396 001

ઈ.મેઈલ : avs_50@yahoo.com

♦●♦

આવી ટચુકડી વાર્તાઓની ઈ.બુક

તમને આવી નાનકડી, માત્ર 750 શબ્દોની મર્યાદામાં રચાયેલી વાર્તાઓ વાંચવાનો શોખ હોય તો તમારે માટે એક શુભ સમાચાર છે. 2005થી પ્રકાશિત થતી આ ‘સ.મ.’માં આવી વાર્તાઓ, બહુ વખાણાઈ અને વિશેષ આદર પણ પામી છે. અમે તેવી પચીસ વાર્તાની એક રૂપકડી ઈ.બુક બનાવી છે.. તમને તે જોવા–વાંચવાનો ઉમળકો થાય તો, તમારું પૂરું નામ, સરનામું અને કૉન્ટેક્ટ નંબર લખીને જ, મને ઈ.મેલ લખજો. (વૉટસેપ મારફત તે મોકલી શકાય તેમ નથી, તેથી..) તમને તે મોકલી આપીશ .. .. ઉત્તમ.મધુ ગજ્જર.   uttamgajjar@gmail.com

♦●♦

સૌજન્ય :  “સન્ડે ઈ.મહેફીલ” – વર્ષઃ પંદરમું – અંકઃ 443 – January 05, 2020

અક્ષરાંકનઃ ઉત્તમ ગજ્જર – uttamgajjar@gmail.com

Loading

...102030...2,5872,5882,5892,590...2,6002,6102,620...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved