Opinion Magazine
Number of visits: 9456493
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—275

દીપક મહેતા|Opinion - Opinion|8 February 2025

પિતિત હોલ બંગલાની બે મોંઘી ભેટ: ચીકુ અને રતન        

દિનશા માણેકજી પિતિતે મલબાર હિલ પર બંધાવેલા પિતિત હોલ નામના બંગલાએ જમશેદ ભાભા થિયેટરને આરસનાં પગથિયાં ભેટ આપ્યાં તેમ બીજી બે મોંઘી ભેટ બી આપી. દિનશાજીને નવું નવું જોવા, જાણવા અને અજમાવવાનો શોખ. તે એક વેલા પરદેશથી એક નવીન ફળના રોપા મંગાવ્યા. બંગલામાં મોટો બગીચો. તેનું ધ્યાન રાખવા બે-પાંચ માળી, અને એક વડો માળી. રોપા આવ્યા કે તરત વડા માળીને બોલાવીને કહ્યું કે આપણા બગીચામાં આય રોપા વાવી દો. રોજ જાતે બગીચામાં જઈ પેલા રોપાનું બરાબર ધ્યાન રખાય છે કે નહિ તે જુએ. અને થોરા વખત પછી એ રોપા પર લાગીયાં ફળ. નાનાં, લંબગોળ, લાઈટ બ્રાઉન કલરની છાલ, અંદર નરમ માવો, તે બી બ્રાઉન કલરનો, અને સાથે બે-ત્રણ લંબગોળ કાળા રંગનાં બી. હવે તો ઓળખી ગિયા ને? આ ફળ તે ચીકુ ઉર્ફે સપોટા. 

મલબાર હિલ પરનો પિતિત હોલ બંગલો

આપણા દેશમાં પહેલી વાર ઉગાડેલાં દિનશા શેઠે, પોતાના પિતિત હોલ બંગલાના ગાર્ડનમાં. 

મૂળ દહાણુના વતની અરદેશર ઈરાની હતા દિનશા શેઠના એસ્ટેટ મેનેજર. વરસમાં એક-બે વાર રજા લઈ પોતાને ગામ જાય. ત્યાં તેમની એક વાડી. ૧૯૦૧માં ‘દેશ’ જતાં પહેલાં દિનશા શેઠ પાસે ગયા અને માગની કીધી કે આપના બગીચામાં થતાં ચીકુનાં થોડાં બી મને સાથે લઈ જવાની પરવાનગી આપવા મહેરબાની કરો. શેઠે કહ્યું કે લઈ જાવ, પણ ત્યાં તમે તેનું કરશો શું? અરદેશર કહે કે ત્યાં મારી નાનકડી વાડી છે તેમાં વાવીશ. અને દહાણુંની પોતાની વાડીમાં એવને ચીકુ ઉગાડ્યાં. અને જોતજોતામાં તો દહાણુ, ગોલવાડ, બોરડી વિસ્તારમાં ચીકુની વાડીઓ થઈ ગઈ. અને એ આખા વિસ્તારની ઈકોનોમી ચિકુથી ધમધમવા લાગી. 

દિનશા પિતિત

આ લખનારે નાનપણમાં મુંબઈથી ગુજરાતની ટ્રેન મુસાફરી દરમ્યાન દહાણુ-ગોલવાડ સ્ટેશનનાં પ્લેટફોર્મ પર વેચાતાં ચીકુ કંઈ કેટલીયે વાર ખાધાં છે. જેવી ટ્રેન ઊભી રહે કે ત્યાંની બાઈઓ મોટા ટોપલામાં મૂકેલી વાંસની નાની નાની છાબડીમાં ગોઠવેલાં ચીકુ લઈને વેચવા નીકળી પડે. છાબડીમાં ચીકુડીનાં નાનાં લીલાં પાન પાથર્યાં હોય અને તેના પર સરસ રીતે ગોઠવ્યાં હોય ચીકુ. નહિ કાચાં, નહિ બહુ પાકાં. એને છરીથી કાપવાનાં નહિ. બે હાથની હથેળી વચ્ચે જરાક દબાવીએ એટલે ચીકુનાં બે અડધિયાં. તેમાં બે-ત્રણ લાંબાં કાળાં બી હોય તે આંગળીના નખ વડે ખોતરીને કાઢી નાખવાનાં. અને એક પછી એક અડધિયું મોઢામાં! અને મોઢામાં ઉછળે મીઠાશનો મહેરામણ. પહેલાં તો દહાણુનીની ચણા દાળ, ગોલવડનાં ચીકુ, સુરતનાં ઘારી-ભૂસું, વડોદરાનો લીલો ચેવડો. દરેક સ્ટેશનને પોતાની આગવી ઓળખ. પણ હવે તો ‘જાને કહાં ગયે વો દિન!’ ૨૦૧૬માં ભારત સરકારે દહાણુ-ગોલવડ-બોરડી વિસ્તારને GI Tag (Geographical Indication Tag) આપ્યો. પણ સ્ટેશનો પર છાબડીઓમાં ભરીને ચીકુ વેચતી બાઈઓના કંઠની મીઠાશનો ટેગ તો ખોવાઈ જ ગયો!

પિતિત હોલની બીજી ભેટનું નામ રતન ઉર્ફે ‘બોમ્બે ફ્લાવર’ ઉર્ફે મરિયમ. દેખાવડી, હોશિયાર, પારસીઓ કહે તેમ ચાણાક. દિનશાજી (પહેલા બેરોનેટ) ખોદાયાજીને પ્યારા થઈ ગિયા તે પછી ફરામજી દિનશા પિતિત (૧૮૭૩-૧૯૩૩) બનિયા બીજા બેરોનેટ. એવનની એકની એક દીકરી તે રતન. ઈ.સ. ૧૯૦૦ના ફેબ્રુઆરીની ૨૦મી તારીખે મુંબઈમાં જન્મી. માત્ર ૨૯ વરસની ઉંમરે, ૧૯૨૯ના ફેબ્રુઆરીની ૨૦મી તારીખે જ – એટલે કે ૨૯મા જન્મ દિવસે – જન્નતનશીન થઈ. માલમ છે વાચક. તમે કહેશો કે આ તો મહેતાજી ગોથું ખાઈ ગિયા. બેહસ્તનશીનને બદલે જન્નતનશીન લખી નાખ્યું. પણ આખ્ખી વાત સમજસો પછે એમ નહિ બોલો. 

ચોપાટી પરની ઓરિયેન્ટ ક્લબ

રતનબાઈ જનમિયાં ત્યાં સુધીમાં પિતિત ખાનદાનની રહેણીકરણી, ખાનપાન, બધ્ધું જ વિલાયતી થઈ ગિયું હુતું. પિતિત હોલ આખો વિલાયતી જણસો, ચિત્રો, ઝુમ્મરો, ગાલીચાથી ઊભરાતો. રતનબાઈ ધાણી છૂટતી હોય એમ અંગ્રેજી બોલે. બોમ્બેના અપર મોસ્ટ ક્લાસમાં બધા તેને ‘ફ્લાવર ઓફ બોમ્બે’ તરીકે ઓળખે. રતનના બાવા રોજ સાંજે મલબાર હિલ પરના પિતિત હોલથી નીકળી ચોપાટીને દરિયા કિનારે આવેલી ઓરિયેન્ટ ક્લબમાં જાય. અનેક પરદેશી-દેશી મિત્રોને મળે. ખાનપાનની મહેફિલો જામે. ત્યાં એક ફૂટડો, ચાલાક, હોશિયાર જુવાન આવે. નામ મોહમ્મદ અલી. બંને વચ્ચે ઉંમરમાં ત્રણ જ વરસનો ફેર. એટલે જોતજોતામાં દોસ્તી જામી. પિતિત હોલની મિજબાનીઓમાં મોહમ્મદ અલીને નોતરું હોય જ. પછી તો દોસ્તી વધતી ચાલી. ૧૯૧૬ના ઉનાળામા પિતિત કુટુંબ દાર્જીલિંગ હવા ખાવા જતું હુતું. પિતિતશેઠે મોહમ્મદ અલીને બી નોતરું આપ્યું.

રતન પિતિત

દાર્જીલિંગમાં એક દિવસ સાંજે પિતિતશેઠ અને મોહમ્મદ અલી બગીચામાં બેઠેલા હુતા. તે વારે મોહમ્મદ અલીએ પૂછયું: બે જુદા જુદા ધરમના છોકરા છોકરી મેરેજ કરે તો તે અંગે તમે શું માનો છો?’ જવાબ મળીયો: હું તો ખુસ જ થાઉં. આપના દેશમાં જુદા જુદા ધરમના લોકો વચ્ચે જે નફરત છે, વેરઝેર છે, તે મીટાવવા માટે આવાં લગ્નો તો બહુ જરૂરી છે.” આય સાંભળીને મોહમ્મદ અલી તો સાતમે આસમાને ઊડવા લાગીયા. જરા વાર રહીને બોલિયા: તમારા વિચારો આવા ઉમદા હોસે એની મુને તો ખાતરી જ હુતી. પણ તમે જે બોલિયા તે સમજીયા પછી મારામાં ઘન્ની વધુ હિંમત આવી છે. તમારી દીકરી રતન અને હુંએ શાદી કરવાનું નક્કી કર્યું છે. અને તોપના મોઢામાંથી ગોળો છૂટે એમ પિતિતશેઠના મોનામાંથી શબ્દો નીકળ્યા : તારી આ હિંમત? પિતિત ખાનદાન એટલે તો પારસીઓનું નાક. એની દીકરીને પરનવાનો તને વિચાર બી કેમ આવીયો? પેલા હિંદુઓ સું કેચ? હા, ક્યાં રાજા ભોજ, અને ક્યા ગંગુ તેલી? આજથી રતનની કે મારી બી સામ્ભે આવવાની હિંમત ના કરતો. મોહમ્મદ અલી ધીમેક રહીને ત્યાંથી ચાલતો થયો. તરત પિતિતશેઠના મોનામાંથી તોપનો ગોળો છૂટ્યો : અત્તર ઘરી અહીં આવ રતન. ‘જો રતન! બંને કાન ખોલીને સાંભલી લે. આજ પછી આય મોહમ્મદ અલીને સપનામાં બી જોવાનો નહિ. અને હા! નોકરોને કહે કે આપરો બધ્ધો સામાન બાંધી લે. આપરે અત્તર ઘરી જ બોમ્બે જવા નીકળવાનું છે.’

મુંબઈ પહોચ્યા પછી બંને પ્રેમી પંખીડાં છાનામાનાં મળીયાં. રતન કહે : ટુ જરા બી ચિંતા ના કરતો. હું તુને ચાહું છું ને હંમેશ ચાહતી રહીશ. અને આપરે બે શાદી કરશું એ વાતમાં મીનમેખ નહિ થાય.’ ‘અરે પણ રતન! હજી તુને ૧૮ વરસ પૂરાં થીયાં નથી. કાનૂનની નજરે તું બાલીગ છે. તારા ડેડી આપણને બંનેને જેલ ભેગા કરી દેશે.’ ‘પણ હું કા કેહું ચ કે આપરે અત્તર ઘરી લગન કરશું. હું અઢાર વરસની થઈસ તેને બીજે દિવસે કરશું. ત્યાં સુધી તો રાહ જોઇશ ને?’

એ વાતને બે વરસ વીતી ગિયાં. પોતાની પ્યારી દીકરીનો ૧૮મો બર્થ ડે પિતિતશેઠે તાજ મહાલ હોટેલમાં ધામધૂમથી મનાવિયો. સૌથી પહેલાં પિતિતશેઠે સૌ મહેમાનોને આવકાર્યા. પછી બોલવા ઊભી થઈ રતન. તેણે બી પહેલાં મહેમાનોનો આભાર માનિયો. અને પછી મોટ્ટો ધડાકો કીધો : મોહમ્મદ અલીએ અને મેં મેરેજ કરવાનું નક્કી કીધું છે. સાંભળીને બધ્ધા અવાચક! પિતિતશેઠનો ગુસ્સો સાતમે આસમાન … થોરા દહારા પછી રતને પોતાનો ધરમ છોડી મહમ્મદ અલીનો મજહબ અપનાવી લીધો. ધરમની સાથે નામ બી બદલ્યું અને રતન પિતિતમાંથી બની ગઈ મરિયમ મહમ્મદ અલી જિન્નાહ! હા, જે  ૧૯૪૭માં બન્યા પાકિસ્તાનના કાયદે આઝમ મહમ્મદ અલી જિન્નાહ.

પિતિત ખાનદાનની બીજી થોરી વાતો હવે પછી.  

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 08 ફેબ્રુઆરી 2025 

Loading

ડીપોર્ટેશન વિશે 

સુમન શાહ|Opinion - Opinion|8 February 2025

સુમન શાહ

હું ૧૯૯૨-થી અમેરિકા આવ-જા કરું છું. હું સિટિઝનશિપ માટે લાયક એવો ગ્રીનકાર્ડ-હોલ્ડર છું. મારા પરિવારમાં સૌ અમેરિકન સિટિઝન છે. ડીપોર્ટ થયેલા ગુજરાતીઓ અને ભારતીયો માટે અમને સૌને દુ:ખ થયું છે. (બાબુ સુથારે પણ આ મુદ્દે પોતાના પેજ પર લખ્યું છે.)

આપણે ભારતીય છીએ એટલે ડીપોર્ટ થયેલા કે હજી થશે એ ભારતીયો માટે આપણને અનુકમ્પા થાય એ સ્વાભાવિક છે. તેમ છતાં, ડીપોર્ટેશન પ્રશ્નને વસ્તુલક્ષી રીતે વિચારવાની જરૂર છે, કેમ કે પ્રશ્ન નાજુક છે.

સૌ પહેલાં, ડીપોર્ટેશન-પૉલિસી માત્ર ભારતીયો માટે નથી, એ હકીકત યાદ રાખવી જોઈશે. એમાં, Mexico, Guatemala, Honduras, Ecuador, અને Colombia પણ સામેલ છે. ૨૦૨૪-ના fiscal year-માં આ રાષ્ટ્રોની અનેક વ્યક્તિઓને ઍરેસ્ટ અને ડીપોર્ટ કરવામાં આવેલી. એટલે એમ ન માનવું કે ડીપોર્ટેશન કોઈ નવી પૉલિસી છે. એમાં વેગ નવી વસ્તુ જરૂર છે. ખરેખર તો અમેરિકન સરકાર આ જાતના કંટ્રોલથી અને આ પૉલિસી વડે immigration laws-ને બરાબર અનુસરવા માગે છે, જેના અનુસરણ માટે આગલી સરકાર કડક ન્હૉતી કે કડક થવા માગતી ન્હૉતી. 

૨૦૦૯ -માં 15,756 અને ૨૦૧૯ -માં 2,042 અને હાલમાં 104 illegal Indian immigrants-ને ડીપોર્ટ કરાયા છે.

ડીપોર્ટેશન પૉલિસી illegally રહેલી કોઈપણ વ્યક્તિ માટે છે, એ ભારતીય હોય કે ગમે એ રાષ્ટ્રની હોય. illegal-નો અર્થ એ કે એની પાસે ઉચિત immigration status નથી. ઉપરાન્ત, એ criminal પણ હોય, અમેરિકામાં ઘૂસ્યા પહેલાં પોતાના દેશમાં પણ એ criminal હોય, એને પણ ડીપોર્ટશન લાગુ પડે છે.

Immigration and Customs Enforcement – ICE – અનુસાર, ડીપોર્ટેશન વખતે હાથકડી અને બીજાં બન્ધનો SOP – standard operating procedure પ્રમાણે હોય છે, આડેધડ નહીં. સામાન્યપણે સ્ત્રીઓ અને બાળકોને આ બન્ધનો લાગુ નથી કરાતાં. દરેકનું માન જાળવવું એ આ પૉલિસીમાં મુખ્ય બાબત છે. તેમછતાં, SOP-નાં ધોરણ ન સચવાયાં હોય, તો તેની તપાસ માટે અપીલ કરી શકાય છે. 

આપણે ભાવુકતાથી દોરવાઈને બૂમ પાડીને આપણી હૈયાવરાળ ઠાલવીએ એ સ્વાભાવિક છે. 

તેમ છતાં, આ ચર્ચામાં ‘ગેરકાયદેસર’-ને ‘ગુનેગાર’ ગણીને ચાલીએ છીએ એ ખોટું છે. આમાં, ‘નાલેશી’ જોવી કે ‘હિણપત’ અનુભવવી અને એ કારણે ટ્રમ્પ અને મોદીને વચ્ચે લાવવા, બન્ને રાષ્ટ્રની નીતિઓને સમ્બોધવી, મોદી ટ્રમ્પને સિફારશ કરે કહેવું, વગેરે ભાવુકતા છે. બીજા દેશો માટે કોણ સિફારશ કરશે? સમજાશે કે એ રીતે વિચારવું જ ગલત છે. એ જ પ્રમાણે, માનવઅધિકારનો મુદ્દો પણ અહીં અપ્રસ્તુત છે કેમ કે એ મોટો મુદ્દો છે અને એમાં અનેક પેટા મુદ્દાઓ અનેકશ: જોડાયેલા છે. બાબુ સુથારે સરસ કહ્યું છે કે ‘માણસજાત માનવતાની બાબતે એકબીજા સાથે સંમત થાય એટલી મજબૂત નથી’.

મેં એક વાર લખેલું કે અમેરિકા વિશ્વભરમાંથી ઉત્તમ બુદ્ધિમાનોને આવકારે છે તેમ જ શ્રમજીવીઓને પણ આવકારે છે. આવકારનો અર્થ એ નથી કે રેડ કાર્પેટ પાથરે છે! કાયદા સૌને લાગુ કરાય છે. 

૨૦૨૨ સુધીમાં યુ.ઍસ.એ.માં આશરે ૪.૮ મિલિયન ભારતીય અમેરિકન વસ્યા છે. એમાં ગ્રીનકાર્ડ હોલ્ડર્સ અને નેચરાલાઇઝ્ડ સિટિઝન્સ છે જેને legal residents-નો દરજ્જો અપાયો છે. અનુભવીઓને ખબર છે કે આ દરજ્જો મેળવવા કેટલાં લોહી-પાણી એક કરવાં પડે છે! એમાં ટૅમ્પરરી વીઝા-હોલ્ડર્સ પણ આવી જાય છે જેને non-residentsનો દરજજો અપાયો છે. આ દરજ્જો મેળવનારને પણ ખબર છે કે કેટલી વીસે સૉ થાય છે! 

પરન્તુ જાણીને ચૉંકી જવાય છે કે According to the Pew Research Center, there are approximately 7,25,000 undocumented Indian immigrants in the United States as of 2023. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’-એ આ આંકડાના અનુલક્ષમાં ગેકાયદેસરનાઓ સંદર્ભે ભારતને વિશ્વમાં ત્રીજા નમ્બરનું ઉલ્લેખેલું ! — Indians make up 3rd largest illegal immigrant population in US … timesofindia.indiatimes.com

આપણે એમ પૂછી શકીએ કે 7,25,000 undocumented અમેરિકન કે અન્યો ભારતમાં ઘૂસ્યા હોય તો ભારતને પાલવશે? પણ એમ પૂછવું એ રીત પણ વસ્તુલક્ષી નથી. 

જે વ્યક્તિઓને દેશમાં પાછા ફરવું પડ્યું છે એઓ એને સહજ ગણે, ગેરકાયદે રહી પડેલા, હવે કાયદેસર ઘેર જઈએ છીએ, એમ ગણે. સાથોસાથ, એમને માનપૂર્વકનાં નોકરીધંધા મળે એ માટે આપણે સૌ પ્રાર્થના કરીએ એ જરૂરી છે અને એટલું પૂરતું છે.

= = =

(7Feb25USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ઉંબરો : સપ્તસ્ત્રીઓને આકાશનો ‘અભિષેક’ કરતી ફિલ્મ 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 February 2025

રવીન્દ્ર પારેખ

એક સ્ત્રી સ્વર્ગસ્થ પતિની વર્ષગાંઠ નિમિત્તે કેક બનાવડાવીને બહાર આવે છે ને જેમની સાથે એ આવી હતી એ સ્ત્રીઓને લઈને બસ ઊપડી ગઈ છે. આ એ સ્ત્રી હતી જે પતિના મૃત્યુ પછી પોતાનામાં જ કોકડું વળી ગઈ હતી ને દીકરી અને નણંદમાં જ એનું વિશ્વ પૂરું થઈ જતું હતું. ઉંબરો ઠેકીને બહાર જવાનું એ ભૂલી જ ગઈ હતી, એટલે નાની દીકરી અને નણંદ તેના વગર દસ દિવસ રહી શકશે એવી ખાતરી આપે છે છતાં, તે લંડન જવા તૈયાર નથી. તેને સંકોચ અને ભીરુતા એવાં ઘેરી વળ્યાં છે કે એરપોર્ટ જવાની ક્ષણે જ કારમાંથી વૉશરૂમનું બહાનું કાઢી, ઘરનાં બેડ નીચે સંતાઈ જાય છે. આવી ભીરુ સ્ત્રી લંડનમાં અટવાઈ પડી છે. આમ તો તેનો સ્વભાવ રડવાનો ને સંકોચાવાનો છે, પણ સાવ એકલી પડે છે ને આ એકલતા જ તેની હિંમત બને છે. સરનામું તેની પાસે છે, એટલે ટ્રેનમાં બેસીને મુકામે પહોંચે છે. અહીં તો તેની શોધાશોધ ચાલે છે ને પૂરી પ્રસન્નતાથી તે સૌને આવી મળે છે. 

આવી સાત સ્ત્રીઓ ટ્રાવેલિંગ કંપની હેઠળ લંડનના પ્રવાસે નીકળી છે. કોઈ, કોઈને ઓળખતું નથી. આ સાતે ય જુદાં જુદાં બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેમના સ્વભાવ, તેમની ઉંમર, તેમનાં કુટુંબ વગેરેમાં સામ્ય નથી. સામ્ય હોય તો તે સામાન્યતાનું છે. કોઈ અસામાન્ય નથી. કોઈ વિધવા છે, કોઈ અખંડ સૌભાગ્યવતી છે, કોઈ મા છે, કોઈ દીકરી છે. દસ દિવસ એકબીજાના સહવાસમાં લડે છે, રડે છે, હસે છે ને એકબીજાનાં મનમાં વસે છે. મા-દીકરી સાથે આવી છે, પણ લંડનમાં અલગ અલગ રૂમમાં રહે છે. માને દીકરીની ચિંતા છે, તો દીકરીને માની ચિંતા છે. ચિંતા એ છે કે પોતે પરણી જશે ને વિધવા મા એકલી રહી જશે. દીકરી પરણે તો મા તેની સાથે પણ રહેવા તૈયાર નથી, એટલે દીકરી માને ફરી પરણાવવાની વેતરણમાં છે. મા એ જાણે છે ત્યારે ખૂબ અકળાય છે. 

દીકરીને નાની મૂકીને એક મા લંડન વસી ગઈ છે. દીકરીને મા સામે બહુ ફરિયાદ છે. બહુ મથામણ પછી એ, માને મળવા જાય છે. ઘણું કહેવું છે, પણ મા સુધી પહોંચતું નથી. માને વર્તમાન જ યાદ નથી, તો ભૂતકાળ ક્યાંથી હોય? દીકરી જાણે છે કે માની સ્થિતિ તો પોતાનાથી ય વધુ દયનીય છે ને દીકરી માને માફ કરી કરી દે છે.

ઘરમાં માંડ મળતું એકાંત અહીં ભરપટ્ટે સૌએ ભોગવવું છે ને માંડ ઉંબરની બહાર નીકળેલી સ્ત્રીઓએ નવું વિશ્વ માણવું છે. પીડા નથી એવું નથી, પણ તે કોઈ જાહેર કરવા માંગતું નથી ને જાહેર તો થાય જ છે, પણ અહીં સહભાગી થનારા પણ છે. લંડનમાં મા અંબાજીનાં દર્શન મોબાઈલ પર દીકરાને કરાવે છે. સાથી સ્ત્રીઓ એવું વાતાવરણ ખડું કરે છે કે આખું કુટુંબ દર્શનનો લાભ લે છે, પણ ભાંડો ફૂટે તો છે જ ! અમદાવાદ છૂટ્યું છે, પણ અગરબત્તી છૂટતી નથી. લંડનની હોટેલમાં અગરબત્તી સળગે તો હોટેલને એ ક્યાંથી માફક આવે? ફોન કરવા અહીં પાઉન્ડ નાખવાનો, પણ ગુજરાતણો રૂપિયો નાખે તો નંબર ક્યાંથી લાગે? લંડનમાં મંગલસૂત્રનો અંગ્રેજને ખુલાસો કરવો પડે, તો એ સામે પૂછે છે કે એવું પતિ માટે કોઈ ‘સૂત્ર’ છે કે નહીં? તો સ્ત્રીઓ કહે છે કે પતિ બધી વાતે ‘મુક્ત’ છે. જ્યૂસ સમજીને અહીં વૉડકા પણ પી જવાય છે. લંડનનાં પોલીસ સ્ટેશનમાં એક ગુજરાતણ વિરોધ કરવા સૂત્રોચ્ચાર કરે છે – અંગેજો ભારત છોડો. તો, બીજી યાદ અપાવે છે કે આપણે જ તેમના દેશમાં છીએ. હળવી ક્ષણો વચ્ચે ગંભીર વાતો પણ વણાતી આવે છે. 

એક રમત આ ગુજરાતણો એવી પણ રમે છે જેમાં એવી ઈચ્છા કહેવાની છે જે કોઈ જાણતું ન હોય. છાયા કહે છે, ’પગ ચાલેને ત્યાં સુધી ચાલવું છે ને મન ભરાય ત્યાં સુધી ફરવું છે.’ આ જ રીતે કોઈએ બાળક દત્તક લેવું છે, તો કોઈએ વ્યવસાય કરવો છે. આમ તો આ સામાન્ય વાતો છે, પણ કોઈને કહેવાઈ નથી, એ પરથી પણ કલ્પી શકાશે કે રૂંધામણ કેટલી હશે ! એવું ઘણી સ્ત્રીઓમાં બને છે કે બીજાનાં સપનાં પૂરા કરવામાં પોતાનાં સપનાં કહેવાતાં જ નથી. દરેકને પોતાની કથા છે ને એની સાથે લંડનમાં બનતી ઘટનાઓનું પોત પણ વણાતું આવે છે. 

સૌ ફરવા નીકળ્યાં છે ને અંતરિયાળ બસ અટકે છે. થોડું તાલમેલિયું લાગે, પણ એક લૂંટારુ ત્યાં આવી ચડે છે ને સૌને લૂંટે છે. એક સૌભાગ્યવતી જીવ જાય તો ભલે, પણ હાથમાંથી બેગ છોડતી નથી ને જીવ પર આવીને એ બેગ જ પેલા લૂંટારુને માથા પર મારી મૂકે છે. પેલાનું માથું ફૂટી જાય છે. બસમાં બધાં પેલી સૌભાગ્યવતીને પૂછે છે કે બેગમાં એવું તે શું હતું કે જીવનું જોખમ વહોરીને પણ લૂંટારુને આપી જ નહીં? સૌભાગ્યવતી રડતાં રડતાં કહે છે કે બેગમાં ‘અસ્થિલોટો’ હતો. અસ્થિ તેની સાસુ ગંગાબાનાં હતાં. એ વૃદ્ધ સાસુને લંડન ફરવું હતું ને તેને માટે તે પૈસા પણ ભેગા કરતી હતી. વહુ કહે છે કે તે તેને લંડન લઈ જશે. સાસુ તો રહેતી નથી, પણ વહુ તેનાં અસ્થિને લંડન બતાવવા /વહાવવા લઈ આવી છે … 

આકાશમાં સપ્તર્ષિ છે, એમ આ સપ્તસ્ત્રીઓ છે. આમ તો સાત સ્ત્રીઓ સરવાળે એક જ ઘરેલુ સ્ત્રીની જિંદગીનાં જુદાં જુદાં સંવેદનોને, ભાષા-બોલીને, પહેરવા-ઓઢવાને પ્રગટ કરે છે. ફિલ્મમાં દરેક સ્ત્રીઓને નામઠામ અપાયાં છે, પણ ખરેખર તો તે નારીરૂપોનું વૈવિધ્ય પ્રગટ કરવા પૂરતાં જ છે. ફિલ્મ થોડી ધીમે શરૂ થતી લાગે, પણ વાર્તાએ પણ ઉંબરો ઓળંગવાનો હતો ને તે પછી તો આકાશી ઉડ્ડયન નક્કી જ હતું – 

એવરેસ્ટ એન્ટરટેન્મેન્ટ અને ઈરાદા સ્ટુડિયોઝની ફિલ્મ ‘ઉંબરો’ મરાઠી ફિલ્મ ‘ઝિમ્મા’ પર આધારિત છે. મૂળ કથા હેમંત ઢોમેની છે. ગુજરાતી ફિલ્મમાં ફેરફારો છે. જેમ કે આમાં ગુજરાતની ઓળખ જેવો ગરબો પણ છે. ફાલ્ગુની પાઠક દ્વારા ગવડાવાયેલા ગરબા ‘લંડનથી લીમડી’નું ફિલ્માંકન પ્રચલિતથી જુદું પડીને ગુજરાતીપણું પણ જાળવે છે. તેની કોરિયોગ્રાફી સાધારણ ગરબાથી જુદી છે. ફિલ્મમાં સંગીત મેહુલ સુરતીનું છે. ગીતો ભાર્ગવ ત્રિવેદીના છે. ‘આપણા મલકના’,’ ઉંબરો’ જેવાં ગીતો ફાલ્ગુની પાઠક, શ્રુતિ પાઠક, મોસુમી દાસ અને મેહુલ સુરતીએ ગાયાં છે. ‘હેલ્લારો’ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર તો મળેલો જ, પણ તેનાં સંગીતકારને પણ મળેલો ને એ રીતે ફિલ્મી સંગીતમાં સુરત રાષ્ટ્રીય નકશા પર મુકાયેલું. આ વખતે પણ ફિલ્મ અને સંગીતને રાષ્ટ્રીય પુરસ્કાર મળે તો આશ્ચર્ય નહીં થાય. ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેકની આ બીજી ગુજરાતી ફિલ્મ છે. એક રીતે તો તે ‘હેલ્લારો’નો જ વિસ્તાર છે, લોકાલ બદલાયું છે ને ‘હેલ્લારો’નું ભારેખમપણું ‘ઉંબરો’માં હળવાશમાં પરિણમ્યું છે, છતાં એ કોમેડી ફિલ્મ નથી. કેટલીક સાત્ત્વિક વાતો પણ એ હળવાશની સાથે ગૂંથાયેલી છે તે નોંધવું ઘટે. ‘ઉંબરો’ હળવી ફિલ્મ છે, પણ તે હળવાશથી લેવા જેવી નથી. ‘અસ્થિ’વાળું દૃશ્ય અને તેની સાથે જોડાયેલો ફ્લેશબેક હૃદયસ્પર્શી રીતે ફિલ્મમાં આવે છે. એ જ રીતે માને માફ કરતી દીકરી પાણીમાં ડાયરી વહાવે છે એ દૃશ્ય પણ હૃદયંગમ બન્યું છે. 

પટકથા અને સંવાદ અભિષેક અને કેયુ શાહના છે. સિનેમેટોગ્રાફી ત્રિભુવન બાબુ સાદીનેની છે. બિગબેન ટાવર, લંડનની ગલીઓ, ગલીઓમાં વહેતી હોડીઓ, ત્યાંનું નાઈટ કલ્ચર વગેરે … કેમેરામાં સરસ રીતે ઝીલાયું છે. કાજલ ઓઝા વૈદ્ય (છાયા), સુચિતા ત્રિવેદી (વસુધા), દીક્ષા જોશી (અન્વેષા), તર્જની (અવનિ), તેજલ પંચાસરા (સરિતા), વિનીતા એમ. જોશી (સ્મૃતિ), વંદના પાઠક (સીમા), આર્જવ ત્રિવેદી (કીર્તિ), સંજય ગલસર (કિરણ) જેવાં કલાકારોએ બહુ જ સહજ અભિનય કર્યો છે. ગંભીર અને હળવી ક્ષણો ઉપસાવવામાં દરેકે જીવ રેડ્યો છે. 

‘ઉંબરો’ ગુજરાતીમાં બનેલી સ્ત્રી સશક્તીકરણની એક માત્ર ફિલ્મ છે …. 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ફેબ્રુઆરી 2025

Loading

...102030...257258259260...270280290...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved