હૈયાને દરબાર
આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
એ હે સનસનન
ચગે રે ચગે ચગે રે ચગે
હે કાયપો છે!!
અલગ અલગ રંગોના પતંગો ચારે તરફ તરવરતા
ભુરા આ આકાશી આંગણમાં રંગોળી ભરતા
કોઇ સનન … ધસે તો, કોઇ ધીમે ધીમે સરતા ..
રંગબેરંગી માછલીઓની જેમ ગગનમાં ઉડતા
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
મસ્તીનો તહેવાર ઉજવતી, સઘળી ન્યાતિ-જાતિ
ભેદભાવને ભૂલીને જનતા તલના લાડુ ખાતી
પરપ્રાંતિ જોડાયા આવ્યા પરદેશી મુલાકાતી
પતંગ થઇને આખો દિવસ ઉડે સૌ ગુજરાતી
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
હળવા થઇએ પવનની સાથે થોડું ઊડી લઇએ
મોટપ નીચે મુકી ઉપર નાના થઇને જઇએ
હું ગુજરાતી ચેતનવંતો મારો આ તહેવાર
રંગીલું આકાશ કરે ગુજરાતનો જયજયકાર ..
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો …
• કવિ : રઈશ મનીઆર • સંગીતકાર : મેહુલ સુરતી • ગાયક કલાકારો : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, નૂતન સુરતી, દ્રવિતા ચોક્સી
———————–

નવા વર્ષનું પહેલું પર્વ એટલે ઉતરાણ. સુરતીઓ મોજ-મસ્તી, ખાણી-પીણીમાં અગ્રેસર. આ વર્ષે ન્યૂ યર સેલિબ્રેશન સુરતમાં ઉજવવાનો યોગ હતો. સુરત એ જલસાનગરી છે. મોજ-મસ્તી અને યજમાનોની મીઠાશ તમને સુરત જવા મજબૂર કરે જ. સુરત જબરજસ્ત બદલાઈ ગયું છે. સરસ મજાના પોશ વિસ્તારો, વિશાળ રસ્તાઓ અને આંખે ઊડીને વળગે એવી આધુનિકતા. એમાં ય ખાણી-પીણીના કેવા જલસા! પોંક અને ઊંધિયાની સિઝન હોય પછી પૂછવું જ શું? ગોટાળો આઈસક્રીમથી લઈને લીલવાના લિજ્જતદાર ઘુઘરા, લીલુંછમ ઊંધિયું, લીંબુ મરીની સેવ સાથે કૂમળો પોંક, પોંકવડાં, તાજ્જી ઘારી અને મજેદાર ખારી. માત્ર દોઢ દિવસની ટૂંકી મુલાકાતમાં હૂંફાળા મિત્રો એષા દાદાવાળા, વિક્રમ વકીલ, કાશ્મીરા, તરવરિયા સંગીતકાર મેહુલ સુરતી અને ડૉ. મુકુલ ચોક્સી જેવા સંગીત પ્રેમી મિત્રોને મળી કાવ્ય-સંગીતની મહેફિલ સાથે નવા વર્ષે આનંદ બેવડાયો. લહેરીલાલા સુરતીઓના મોજીલાપણા સાથે નવા વર્ષનો શુભારંભ થયો. એક મિત્રે તો ઉતરાણ કરીને જ જવાનું અલ્ટીમેટમ આપી દીધું હતું. હા, સુરતીઓના ચટાકેદાર જમણ સાથે સુરતની સંક્રાંત કેવી રીતે ભૂલાય? સુરતી માંજો જોયો છે? ભલભલા સુપર સ્ટારના હાથ કપાઈ જાય!
વાત છે ફિલ્મ ‘રઈસ’ની. ઊડી ઊડી જાય, દિલ કી પતંગ દેખો ઊડી ઊડી જાય … ગીત યાદ છે ને? આપણી ભૂમિ ત્રિવેદીએ ખૂબ લોકપ્રિય બનાવ્યું હતું.
ગુજરાતી ડિરેક્ટર રાહુલ ધોળકિયાએ આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. એક સ્થાને એમણે કહ્યું હતું કે, "ઉતરાણ ગુજરાતમાં ખૂબ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવે છે અને ગરબા અમારા રાજ્યની ઓળખ છે. ગુજરાતમાં બનેલી કોઈ પણ ફિલ્મ ગરબા અને ઉતરાણ વગર અધૂરી છે. આ ફિલ્મના લેખકો પણ ગુજરાતી છે એથી અમે આ ફિલ્મમાં એક સ્પેશ્યલ ગીત ઍડ કરવાનું નક્કી કર્યું હતું જેનાથી સ્ટોરી આગળ વધે. શાહરુખનું પાત્ર આ ફિલ્મમાં અન્ય લોકોની પતંગ કાપવામાં એક્સપર્ટ હોય છે. આ ફિલ્મમાં તેનો ડાયલોગ છે, "અગર કટને કા ડર હોતા ના, તો પતંગ નહીં ચડાતા, ફિરકી પકડતા. આ ફિલ્મમાં વાસ્તવિકતા લાવવા માટે અમે સ્પેશ્યલ સુરતથી પતંગની દોરી મગાવી હતી. સુરતી માંજા ખૂબ ફેમસ છે અને આ શૂટિંગ દરમ્યાન શાહરુખની આંગળીઓ પર ઘણી વાર કાપા પણ પડી ગયા હતા.
હમ દિલ દે ચુકે સનમનું ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ઉસ પતંગ કો ઢીલ દે ગીત પણ એવું જ ધમાકેદાર, પરંતુ આપણાં ગુજરાતી પતંગ ગીતો કંઈ કમ છે?
સુરતી માંજા જેવું એક ધારદાર ગીત સુરતી કવિ ડૉ. રઈશ મનીઆરે લખ્યું છે :
આજ ગગનમાં પતંગ ઊડે
મનમાં ઉમટે ઉમંગ
છલકાતી એક-એક અગાસી
ઉપર જામ્યો રંગ
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો
ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો …!
પતંગની રંગતની મજેદાર વાત થોડીક ફિલોસોફી સાથે રઈશભાઈએ આ ગીતમાં કરી છે. રઈશ મનીઆર ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર છે. આ ઉપરાંત તે એક નાટ્યકાર, પટકથાલેખક, ગીતકાર, વાર્તાકાર, હાસ્યકાર, કટારલેખક અને મંચસંચાલક છે. ઈંડિયન નેશનલ થિયેટરે એમને ૨૦૦૧માં શયદા એવોર્ડ અને ૨૦૧૬માં કલાપી એવોર્ડથી સન્માનિત કર્યા હતા અને નર્મદ સાહિત્યસભા તરફથી નર્મદ ચંદ્રક તેઓ મેળવી ચૂક્યા છે. ગાલિબ અને ગુલઝારની કવિતાઓનો સુંદર અનુવાદ કરનાર રઈશભાઈ આ ગીત વિશે કહે છે, ’વાયબ્રન્ટ ગુજરાત’ના આરંભનાં વર્ષોમાં આ ગીત લખાયું હતું જેમાં ગુજરાતીઓના મિજાજ અને પતંગની વાત વણી લેવાઇ છે. મેહુલ સુરતીએ આ ગીતને ઝમકદાર રીતે સંગીતબદ્ધ કર્યું હતું. સુરતની અગાશીઓ પર ઉતરાણને દિવસે હિન્દી પોપ્યુલર ગીતો સાથે આ ગીત પણ લોકો વગાડે છે. વાયબ્રન્ટ ગુજરાતના ફંકશનમાં નૃત્ય સાથે આ ગીત રજૂ થયું હતું. હળવા થઇએ પવનની સાથે થોડું ઊડી લઇએ, મોટપ નીચે મુકી ઉપર નાના થઇને જઇએ … જેવી પંક્તિઓ દ્વારા માનવજીવનના ચિંતનની વાત પણ વણી લીધી છે. ઉત્સવ થીમ સાથેના કાર્યક્રમમાં આ ગીત શ્રોતાઓ મોજથી સાંભળે છે.
પતંગનો ઇતિહાસ પ્રાચીન છે. તુલસીદાસ કૃત રામ ચરિત માનસમાં પણ એનો ઉલ્લેખ છે. બાલકાંડમાં લખ્યું છે કે રામ એક દિન ચંગ ઉઠાઈ …! ચંગ એટલે પતંગ. મકર સંક્રાંતિ દેશ વિદેશમાં જુદા જુદા નામે પ્રચલિત છે. આકાશ-પ્રકાશ, પ્રકૃતિ અને સંસ્કૃતિનું પર્વ કહેવાતા આ તહેવારની શરૂઆત ૧૭૫૦માં શાહઆલમના કાળમાં થઈ હોવાનું મનાય છે. એ પહેલાં ઇ.પૂર્વે ૨૦૬માં ચીને ભમરાના આકારની પહેલવહેલી પતંગ બનાવી હતી. લશ્કરમાં સંકેત તરીકે એનો ઉપયોગ કરાતો હોવાનો ઉલ્લેખ પણ છે. ચીનથી એ વિશ્વ આખામાં વ્યાપ્ત થઈ. પતંગ કાવ્યોની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘પતંગ’ વિષય પર કવિતા લખી છે. આ કવિતામાં નરેન્દ્ર મોદીએ પતંગ અને માનવ જીવનની તુલના કરી છે. તેમણે કવિતામાં લખ્યું છે કે જીવનની આંટીઘૂંટીઓમાં પતંગની ઉડાન જેવો અનુભવ કેવી રીતે કામ લાગે છે. નરેન્દ્ર મોદીની કવિતાની કેટલીક પંક્તિઓ વાંચો.
પતંગ…
મારી માટે ઊર્ધ્વગતિનો ઓચ્છવ
મારું સૂર્ય તરફનું પ્રયાણ.
પતંગ…
મારું ભવોભવનું વૈભવ,
મારો જ દોર મારા હાથમાં…
પદચિહ્નો આ પૃથ્વી પર,
ને આકાશમાં,
જાણે કોઇ વિહંગમ દ્રશ્ય.
મારો પતંગ…
અનેક પતંગો વચ્ચે પણ મારો પતંગ અટવાતો નથી…
કોઈ વૃક્ષની ડાળીઓમાં ક્યાં ય ભેરવાતો નથી…
પતંગ…
જાણે કે મારો ગાયત્રી મંત્ર….!
ઉતરાણ એ એવો તહેવાર છે જેમાં આપણો થનગનાટ, તરવરાટ, મસ્તીનો મિજાજ સોળે કળાએ ખીલી ઊઠે છે! માણસ સઘળી સ્ટ્રેસ બાજુએ મૂકીને, દુ:ખો ભૂલીને પતંગબાજીના નામે ધાબે ઠેકડા મારે છે. અરે, ધાબા ઉપર પ્રણયના ફાગ ખેલાય, ‘કન્યા’ બંધાય, ક્યારેક પેચ લડી જાય ને પતંગ કપાઈ પણ જાય. પણ, એ જ તો છે જિંદગી!
માત્ર ગુજરાતી-હિન્દી જ નહીં અંગ્રેજી તથા અન્ય ભાષાઓમાં પણ પતંગ ગીતો છે. જો કે, ગુજરાતી પતંગ કાવ્યો રંગબેરંગી પતંગ જેવાં કલરફૂલ છે. આ રમેશ પારેખની જ કવિતા જુઓ ને!
પતંગનો ઓચ્છવ
એ બીજું કંઈ નથી, પણ
મનુષ્યના ઉમળકાઓનો છે ઘૂઘવતો વૈભવ !
નભની ઊંડીઊંડી ઉદાસીઓને લૂછવા
નભની ભડભડતી એકલતા ભૂંસવા
જુઓ, મનુષ્યો –
ઉંમગના રંગોમાં ઝબકોળી-ઝબકોળી
પ્રીતિની પીંછી ફેરવતા ઉજ્જડ-ઉજ્જડ નભમાં.
ઉજ્જડ નભને નમણું નજરાણું
ઉર્ફે આ પતંગ !
હરેક જણના પતંગ પર
લખિયો છે આ સંદેશો કે
હે નભ ! તું નીચે આવ !
આવ નીચે ને જરાક હળવું થા!
સુરતના જ અન્ય કવિ ભગવતીકુમાર શર્માનું સુંદર પતંગકાવ્ય છે :
પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!
પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી
કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી
વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!
અવિનાશ વ્યાસનું આ ગીત સાંભળો :
કટ્ટમ કટ્ટી કટોકટી
ઊંધી ચત્તી કટોકટી
રંગીલો સંસાર ગગનમાં,
રંગીલો સંસાર
કોઇ લાલ વાદળી પીળો
કોઇ શ્વેત કેસરી નીલો
કોઇ સ્થિર, કોઇ અસ્થિર
ને કોઇ હઠીલો ..
પતંગનો પરિવાર જગતમાં,
પતંગનો પરિવાર!
વાગ્ગેયકાર નિનુ મઝુમદારે પતંગનો ગરબો લખ્યો હતો જેમાં પતંગને કવિએ નારી સ્વરૂપે કલ્પી હતી. આ ગરબો વીણા મહેતાના ગરબા ગ્રુપે તથા વંદના દેસાઈના ‘કલાસંગમ’ દ્વારા પણ રજૂ થયો હતો. ઉદય મઝુમદાર તથા ફાલ્ગુની દલાલ-શાહના કંઠે ગવાયેલો આ પતંગનો ગરબો ઘણો લોકપ્રિય થયો હતો, જેના શબ્દો છે :
વ્યોમ સરોવરમાં ભમે દિવ્ય મકરના વૃંદ
મલય ત્યજી લાવે રવિ શીતલતાનો અંત
અરૂણે વાળ્યા અશ્વને અલકાપુરીને પંથ
દક્ષિણથી ઉત્તર ફર્યા ભાનુદેવ ભગવંત
સચરાચર ચેતનનું મોતી એક પ્રગટી સનાતન જ્યોતિ
ચઢ્યા મેઘ વિના મેઘધનુ રંગો
દોડી આવી ગગનમાં પતંગો …!
આપણી આસપાસ પતંગ ચગાવવાની હરીફાઇઓ સાથે પતંગ ‘કાપવા’ની ય સ્પર્ધાઓ જોવા મળે છે, પરંતુ છેવટે તો આ ઉમંગ-ઉલ્લાસનું જ પર્વ છે જે જીવનની કેટલી ય ગતિવિધિઓ આપણને સમજાવી જાય છે. એટલે જ રંગીન પર્વને પૂરી રંગીનિયતથી માણો અને મહારાષ્ટ્રમાં છીએ એટલે આ તો કહેવું જ પડે : તિલ-ગુળ ઘ્યા આણિ ગોડ ગોડ બોલા! આવતા અઠવાડિયે આવતી ઉતરાણની આગોતરી શુભેચ્છાઓ. હેપી ઉત્તરાયણ!
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 09 જાન્યુઆરી 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=618559
![]()


અહીં ફોટોગ્રાફ્સમાં જે દીકરીનો ફોટો તમને દેખાય છે, તે મારી દીકરી છે, મારી પુત્રવધૂ છે, મારી બહેન છે, મારી વિદ્યાર્થિની છે, મારી શિક્ષિકા છે, મારી મિત્ર છે, એનું નામ મા ભારતી પુત્રી નિર્ભયા છે એટલે કે એનું સાચું નામ જ્યોતિ સિંહ છે.
સ્મૃતિનું પણ એક રાજકારણ હોય છે.
મને એ તારીખવાર યાદ નથી. પણ એ દિવસ યાદ છે : હું ભરત નાયક અને ગીતા નાયકનો મહેમાન હતો. એ દંપતી એમનાં બે ભૂલકાં – આકાશ અને આલોક – સાથે મુંબઈના પૂર્વ ધાટકોપરમાં રહેતાં હતાં. હું ત્યાં પહોંચ્યો એ દિવસે જ ભરતભાઈ મને કહે : આપણે સાંજે કરમશી પીરને મળવા જવાનું છે. કરમશીભાઈ પણ પૂર્વ ઘાટકોપરમાં જ રહેતા હતા. ભરતભાઈના ઘેરથી એમનું ઘર તદ્દન નજીક. ચાલતાં દસ કે પંદર મિનિટ લાગે. ભરતભાઈ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સુરેશ જોષીના હાથ નીચે પીએચ.ડી. કરતા હતા ત્યારે હું એમને મળેલો. એ વખતે એમણે મને કરમશીભાઈની વાતો કરેલી. ત્યારે મને એ કોઈક પુરાકથાના પાત્ર જેવા લાગેલા. ભરતભાઈ જ્યારે પણ એમની વાત કાઢતા ત્યારે હું મનોમન એમનું ચિત્ર બનાવતો. એમણે મને વારંવાર એક વાત કરેલી : “બાબુડિયા, બૌ મોટા વિદ્વાન હોં. સુરેશભાઈ જેવા જ. પણ લખે નહીં. બૌ બોલે પણ નહીં. ક્યારેક તો સુરેશભાઈને પણ નવાં પુસ્તકો સૂચવે.” ત્યારે હું ભરતભાઈ પર પૂરો ભરોસો મૂકતો. એ જે કહેતા એ હું માની લેતો. જો કે, એ દિવસોમાં હું સુરેશભાઈના એટલા બધા પ્રભાવ હેઠળ હતો કે કોઈ માણસ સુરેશ જોષી જેવો વિદ્વાન હોય અને એ ગુજરાતી હોય એ વાત તરત જ મારા ગળે ઊતરતી નહીં. હું જાણું છું કે, એ માન્યતાને મારી સમજણ કરતાં તો મારી મુગ્ધતા સાથે વધારે સંબંધ હતો. એથી જ તો એ દિવસે જ્યારે ભરતભાઈએ મને કહ્યું કે આપણે આજે સાંજે કરમશીભાઈને મળવા જવાનું છે ત્યારે હું મનોમન મારી જાતને તૈયાર કરવા લાગેલો.
ત્યારે પણ હું અવારનવાર મુંબઈ જતો. ખાસ કરીને પુસ્તકો ખરીદવા માટે. ત્યારે હું ભરતભાઈના ત્યાં રોકાતો. પછી શનિવારની કે રવિવારની સવારે હું કરમશીભાઈના ત્યાં જતો. એ ક્યારેક મારી સાથે મુંબઈ આવતા. રાબેતા મુજબ અમે સાથે પુસ્તકોની દુકાનોમાં ફરતા. એટલું જ નહીં, અમે ઘણી વાર એમની કેટલીક માનીતી રેસ્ટોરાંમાં પણ જતા. એ મોટે ભાગે કૉફી પીતા. હું પણ. ક્યારેક દક્ષિણ ભારતીય વાનગી ખાતા. આ લખતી વખતે પણ મને એ બધી રેસ્ટોરાં દેખાય છે, એમનાં ટેબલ દેખાય છે અને એ ટેબલ પરના પાણીના ગ્લાસ પણ દેખાય છે. પણ, એમનાં નામ યાદ આવતાં નથી. કરમશીભાઈ એક વાર મને હોંશે હોંશે એક ગુજરાતી થાળી ખવડાવવા એક રેસ્ટોરાંમાં લઈ ગયેલા. ‘પુરોહિત’ કે ‘ગુજરાત’ કે એવું કંઈક નામ હતું એનું. એ રેસ્ટોરાંનો માહોલ પરંપરાગત હતો. મને એમાં પ્રવેશતાં જ પેલો ‘આંધળી માનો કાગળ’ યાદ આવી ગયેલો. મને થયેલું કે ગીગાએ આવી જ કોઈક રેસ્ટોરાંમાં ખાધું હશે. પછી થાળી આવી. મેં ધારી’તી એના કરતાં બમણા કદની. એમાં છસાત વાડકીઓ. પિરસણીયો દાળ પણ શાકની જેમ ‘નાખતો’. ખાવાનું કંઈ એટલું બધું સારું ન હતું. પણ, અમે બન્નેએ ધરાઈને ખાધેલું. ખાધા પછી કરમશીભાઈએ કહેલું, “હવે મુંબઈ બગડી ગયું. એક જમાનામાં આ રેસ્ટોરાંનો દબદબો હતો. આ ગુજરાતી ખાવાનું ગુજરાતી લાગ્યું જ નહીં. હવે પછી આપણે બીજી કોઈક રેસ્ટોરાંમાં જઈશું.” મુંબઈમાં રહેતા ગુજરાતીઓના ઘરઝુરાપાનાં અનેક સ્વરૂપો હોય છે. કચ્છમાં વરસાદ પડે તો મુંબઈમાં વસતા કચ્છીઓ એની ઉજવણી કરે. આ એક ઘરઝુરાપો. અને મુંબઈની પરંપરાગત ગુજરાતી વીશીઓનું ખાવાનું ‘બગડી જાય’ તો એનો ય એમને ઘરઝુરાપો. મને ઘણી વાર લાગે છે કે મુંબઈમાં વસતા ગુજરાતીઓનાં એક વિશિષ્ટ અર્થમાં એક નહીં, અનેક ઘર હોય છે અને એ જ રીતે અનેક ઘરઝુરાપા પણ.
પછી તો ધીમે ધીમે અમારી વચ્ચેનો સંબંધ જુદાં જ પરિમાણો ધારણ કરતો ગયો. હવે એ અમારા કુટુંબીજન બની ગયા હતા અને અમે એમના. હું મુંબઈ જતો ત્યારે ઘણી વાર ભરતભાઈના ત્યાં ઊતરવાને બદલે કરમશીભાઈના ત્યાં ઊતરવા લાગેલો. હવે મારે કરમશીભાઈના ભત્રીજાઓ – રાજુભાઈ અને ઉલ્લાસભાઈ – તથા એમનાં કુટુંબીઓ સાથે અંગત સંબધ બંધાઈ ગયેલો. દાદા ઘેર ન હોય તો પણ હું એમના ત્યાં જઈ શકતો, રહી શકતો. મેં રાજુભાઈ અને ઉલ્લાસભાઈ સાથે બેસીને ઘણી વાર વાતો કરી છે. કરમશીભાઈ એવું ઇચ્છતા કે હું બેપાંદડે થાઉં. મારી જમીન વેચાઈ પછી જે કંઈ નાણાં મને મળેલાં એમાંથી એમણે દસેક હજાર રૂપિયા સ્ટોકમાં રોકવા માટે રાજુભાઈને આપેલા. એકાદબે વરસ દરમિયાન એમાં વધારો થવાને બદલે ઘટાડો થયો તો કરમશીભાઈ રાજુભાઈને કહે, “બાબુને એના પૂરતા પૈસા પાછા આપવાના.” હવે એ મને ‘બાબુ’ કહેવા લાગેલા. રાજુભાઈએ મને એકબે વાર કહેલું કે દાદા તમારી સાથે આટલી બધી વાતો કરે છે એ જોઈને અમને બધાંને આશ્ચર્ય થાય છે. બાકી તો એ મૌન જ રહેતા હોય છે. કામ સિવાય ભાગ્યે જ બોલતા હોય છે. જો કે, સાવ એવું ન હતું. એ રાજુભાઈની દીકરી મારીશા સાથે અને ઉલ્લાસભાઈના દીકરા ઈશાન સાથે અઢળક વાતો કરતા. શરૂઆતમાં રાજુભાઈ અને ઉલ્લાસભાઈનાં કુટુંબો સાથે રહેતાં. પછી ઉલ્લાસભાઈ અલગ ફ્લેટમાં રહેવા ગયા. એ ફ્લેટ પણ દાદા રહેતા હતા એ મકાનમાં જ હતો. દાદા લંચ ઉલ્લાસભાઈને ત્યાં લેતા. ઉલ્લાસભાઈનો દીકરો ઈશાન નાનો હતો ત્યારે લંચ વખતે કમરશીભાઈને એમનો હાથ ઝાલીને લંચ માટે લઈ જતો. એ દૃશ્ય એ પેટ ભરીને માણતા. હું ઘણી વાર એ દૃશ્યનો સાક્ષી બન્યો છું.
જો કે, હું એમને એ લેખો મારા સ્વાર્થને કારણે મોકલતો. હું ઇચ્છતો હતો કે કરમશીભાઈ એ લેખોના અનુવાદ કરે અને નવી પેઢી એ અનુવાદ વાંચે. એમાંના ઘણા લેખો હવે ‘બહુવચન’માં સમાવવામાં આવ્યા છે. જો કે, હું કેટલાક લેખોના અનુવાદની ભાષા સાથે સંમત ન હતો. કાન્ટના What is Enlightenment? લેખનો અનુવાદ એમાંનો એક. એમણે enlightenment માટે જૈન પરિભાષા વાપરેલી. એ ખાસ ચલણમાં ન હતી. પણ કરમશીભાઈ કહે, “ભલે ચલણમાં ન હોય. આપણે એને ચલણમાં મૂકીએ. એ જ સંજ્ઞા બરાબર છે.” મેં એમને મોકલેલા ઘણા લેખોના એમણે કરેલા અનુવાદો કાં તો ‘તથાપિ’ કાં તો ‘સન્ધિ’માં પ્રગટ થયા છે. જયેશ ભોગાયતા ઘણી વાર મને મજાકમાં કહેતો, “આપણે બન્ને સ્વાર્થી છીએ. કરમશીભાઈનો ઉપયોગ કરીએ છીએ.” પણ, એ એક મજાક હતી. કરમશીભાઈને પણ એ પ્રવૃત્તિ ગમતી હતી. જો કે, પાછળથી એમની તબિયત લથડી ત્યારે રાજુભાઈએ અમને કહેવું પડેલું કે તમે દાદાને ઓછું કામ સોંપો તો સારું. એમનાથી હવે ઝાઝું કામ થતું નથી. વળી એ વધારે પડતો સ્ટ્રેસ લે છે. મેં એમને કામ સોંપવાનું બંધ કરી દીધેલું. જો કે, ત્યાર પછી પણ હું કંઈકને કંઈક મોકલ્યા તો કરતો પણ reformat કરીને. એના ટાઈપ મોટા કરતો જેથી એમને એ લખાણો વાંચતાં ઝાઝી તકલીફ ન પડે. જ્યારે પણ હું એમને ફોન કરતો ત્યારે એ કહેતા કે કશુંક વાંચવા તો જોઈએ જ. પછી કહેતા કે મારાથી વાંચી શકાય છે, લખાતું નથી. હું એમને કહેતો કે હવે તમે આરામ કરો. ઘણું કામ કર્યું છે. તો એ જીવ બાળતા ને કહેતા કે જો કોઈક લખનાર મળી જાય તો હું એને અનુવાદ dictate કરી શકું. એક બે વાર એમણે મને પૂછેલું પણ ખરું કે હું કોઈ એવા વિદ્યાર્થીને જાણું છું જે આ કામ કરવા તૈયાર થાય. એમણે એ કામ પેટે મહેનતાણું આપવાની પણ વાત કરેલી. પણ, આ બાબતમાં મેં અને રાજુભાઈએ કરમશીભાઈ ન જાણે એમ નક્કી કરેલું કે દાદાને હવે વધારે તકલીફ નથી આપવી. એમને કોઈ જ કામ નહીં સોંપવાનું.