Opinion Magazine
Number of visits: 9576344
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બચ્ચાંને આવી પાંખ!

‘હરિશ્ચન્દ્ર’|Opinion - Short Stories|10 January 2020

સવાર-સવારમાં ઊઠીને નીચે આવી, તો બાપ-બેટીની મહેફિલ જામેલી. ‘પપ્પા, લઈ લો ને આ એક પૂડો.’

‘ના બેટા, હવે નહીં. હવે પહેલાં જેવું થોડું ખાઈ શકાય છે? અમે હવે બુઢ્ઢાં થયા.’

‘જાવ, તમારી સાથે નહીં બોલું. પાછી એની એ ગન્દી વાત.’ ચિત્રા ગાલ ફૂલાવતાં બોલી. તે વખતે જાણે ફરી એ મારી નાનકી ચિત્રુ બની ગયેલી.

‘આટલી વહેલી શું કામ ઊઠી છું? નાસ્તો તો હું જ બનાવી દેત,’ અને એમની તરફ ફરીને બોલી, ‘દીકરી, ચાર દિવસ માટે આવી છે, તેને ય તમે આરામ કરવા નથી દેતા?’

‘પણ મમ્મી….ઈ…..ઈ હવે સાસરે મને વહેલાં ઊઠવાની ટેવ પડી ગઈ છે.’

‘હા….. અહીં તો મહારાણી આઠ પહેલાં પથારી બહાર પગ નહોતાં મુકતાં. સાસુએ ખરી ગૃહિણી બનાવી દીધી છે!’

ત્યાં શિરીષ આવી પહોંચ્યો :

‘અમારાં બહેનબા હવે એકદમ સમજદાર થઈ ગયાં છે, હોં ! એ તો સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ. સાસુ હાથમાં ધોકો લેતાં હશે ને!’

‘જા, જા, ચીબાવલા.’ ચિત્રા એનો કાન પકડતાં બોલી અને ભાઈબહેને આખા ઘરમાં ધમાચકડી મચાવી દીધી. પહેલાં તો એમની ધમાલથી મારો પારો સાતમે આસમાને ચડી જતો; પણ હવે હું એવું જ જોવા તો તલસી રહી છું!

પણ આવું કેટલા દિવસ? એના સસરાનો કાગળ આવી ગયો કે : ‘વહુને જલદી મોકલો તો સારું, અશોકને જરા ગોઠતું નથી.’ મને તો એવો ગુસ્સો આવ્યો. ઘરમાં બીજા માણસો છે કે નહીં? પણ વધારે ગુસ્સો તો ચિત્રુ ઉપર આવ્યો. ઘરે જવાની વાત થતાં જ એનો ચહેરો કેવો ખીલુંખીલું થઈ ઊઠેલો!

જુઓને, અહીં આવી છે પણ મારી પાસે પગવાળીને બેસે છે જ ક્યાં? પડોશમાં જઈ-જઈને નવી નવી વાનગી શીખે છે. ખબર નહીં ક્યાં-ક્યાંથી સ્વેટરના નમૂના ભેળા કરી લાવી છે. દિયરની ફરમાઈશ છે કે ‘ભાભી સ્વેટર એવું ગૂંથી આપજો કે કૉલેજમાં બધાં જોઈ જ રહે.’ નાની નણન્દ માટે ગીતો ઊતારે છે. સાસુ માટે શ્રીનાથજીની છબી મોતીથી ભરી રહી છે. બસ ચાર-પાંચ મહિનામાં તો મારી ચિત્રુ હવે મારી રહી જ નથી કે શું?

અને આજે એ પાછીયે જતી રહી. જતી વખતે મને વળગીને ડૂસકે–ડૂસકે રોઈ. કંઈ કેટલીયે વાર સુધી હું વિચારતી રહી કે એનું આ ચોધાર આંસુએ રડવું સાચું કે ઘરે જવાની વાત આવતાં ખીલું ખીલું થઈ ઊઠેલો ચહેરો સાચો?

છેવટે એના લગ્નના ફોટાઓનું આલ્બમ લઈને બેઠી. મને પુષ્પાકાકી યાદ આવ્યાં. બન્ને દીકરીઓ પોતપોતાને ઘેર. એક દીકરો પરણીને લંડન રહે છે. બીજો અમેરિકામાં ભણે છે. અહીં રહ્યાં બે જ જણ! જ્યારે મળવા જાઉં ત્યારે દીકરાઓના ફોનની જ વાત કરે. ‘જો, અમેરિકાથી આ ફોટા આવ્યા છે … લંડનથી રમુએ આ મોકલ્યું છે … એની વહુ ત્યાં કાંઈક નોકરી પણ કરે છે …’ જ્યારે જાવ ત્યારે બસ, આ જ વાત! મારે પણ હવે શું ચિત્રુનું આલ્બમ જ જોવાનું?

મનને હળવું કરવા હું મન્દિરે ગઈ. ત્યાં ઢળતી સાંજના ઝાંખા અજવાળામાં એક આકૃતિ પરિચીત જેવી લાગી. ‘અરે, શિરીષ તું? તું આજે ભગવાનને દર્શન આપવા ક્યાંથી આવ્યો?’

‘એ… તો.. એ… તો…’ એ જરા થોથવાયો. ‘એ… તો… આ જોને, રેણુની જીદને કારણે આવવું પડ્યું … એ બડી ભગત છે …’ ત્યાં તો મન્દિરનાં પગથિયાં ઊતરતી એક છોકરી હાથમાં પ્રસાદ સાથે સામે આવી ઊભી. શિરીષે પરિચય કરાવ્યો ત્યારે એ લજ્જાથી લાલ-લાલ થઈ ઊઠી અને મને પગે લાગી. શિરીષ આંખને ઈશારે એને વારતો હતો પણ રેણુ બોલી ગઈ : ‘મમ્મી, એ તો ગયે અઠવાડિયે આમને અકસ્માત થતાં થતાં રહી ગયેલો ને એટલે મન્દિરે લાવેલી. મમ્મી, એમને કહો ને કે સ્કૂટરને સ્કૂટરની જેમ ચલાવે, એરોપ્લેનની જેમ નહીં.’

‘અકસ્માત? ક્યારે? મને તો ખબર જ નથી ને!’

‘અરે મમ્મી, એ નકામી ગભરાઈ જાય છે.’

હા, તે દિવસે મને નવું જ્ઞાન થયું. મારા દીકરા શિરીષ માટે ‘નકામું ગભરાઈ જનારું’ બીજું પણ કોઈ છે. ઘેર જઈને મેં રેણુ વિશે વિશેષ જાણવાની કોશિશ કરી, તો શરમાઈને શિરીષ બીજા ઓરડામાં ચાલી ગયો, અને એણે ધીરેથી બારણું વાસી દીધું.

ક્યાં ય સુધી હું એ બન્ધ બારણાને જોઈ રહી. મારી ને ચિત્રુ વચ્ચે આવો જ એક દરવાજો ઊભો થઈ ગયો છે. હવે શું આ રેણુ પણ બારણાની જેમ મારી અને શિરીષની વચ્ચે આવીને ઊભશે? મારું મન ઘડીભર ખિન્ન ખિન્ન થઈ ગયું.

પરન્તુ એકાએક હું જોરજોરથી હસી પડી. મને મારા જુવાનીના દિવસો યાદ આવી ગયા. શું હું પણ પાંખો આવતાં નવો માળો બાંધવા નહોતી નીકળી પડી?

(‘શ્રી માલતી જોશી’ની ‘મરાઠી’ વાર્તાને આધારે)

સ્વ. ‘હરિશ્ચન્દ્ર’

‘વીણેલાં ફૂલ’, ભાગ નવમાનાં પાન ક્રમાંક 8, 9, 10 ઉપરથી સાભાર ..

♦●♦

સૌજન્ય :  ‘સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ પંદરમું – અંકઃ 444 –January 19, 2020

Loading

“બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસની આસપાસ” યાને ‘ધીરે ધીરે વાંચજે, ધીરે ધીરે સમજાશે’

સુમન શાહ|Opinion - Opinion|10 January 2020

(આ અગાઉના અંશ ૧-થી હવે આગળ …)

‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-ના પ્રારમ્ભમાં જ પારગામી વાસ્તવિકતાના ખયાલનો અસ્વીકાર કરીને એ મુદ્દે સાર્ત્રે નિત્શેનો ઋણસ્વીકાર કર્યો છે. સમજાય એવું છે કે મનુષ્ય સામે પ્રગટતા રહેતા આવિષ્કારો વાસ્તવિકતા સરજે છે, વાસ્તવને ઘડે છે. એ આવિષ્કારોને જૂઠા પાડી શકે એવું કોઈ સત છે નહીં. હોય તો પણ એને આપણે જાણી શકતા નથી. એનો અર્થ એ કે આવિષ્કારોનો અનુભવ જ આપણી વાસ્તવિકતા છે. આપણે મનુષ્યો એ જાણવાને સમર્થ છીએ કે વિશ્વને વિશેના આપણા અંગત અને આપ-લક્ષી અનુભવો જ સત્ય છે. સત અને ન-સતનો તેમ જ સત્ય અને મિથ્યાનો વિવેક કરનારું કોઈ હોય તો તે માત્ર આપણે જ છીએ.

સાર્ત્ર-દર્શનમાં ‘બીઇન્ગ-ઇન-ઇટસેલ્ફ’ અને ‘બીઇન્ગ ફૉર-ઇટસેલ્ફ’ ચાવીરૂપ વિભાવનાઓ છે. સરળતા ખાતર ‘બીઈન્ગ-ઇન-ઇટસેલ્ફ’-ને કહી શકાય, ‘વસ્તુ’ કે ‘object’ એટલે કે ‘તે’. અને બીઈન્ગ-ફૉર-ઇટસેલ્ફને કહી શકાય, ‘આત્મ’ કે ‘subject’ એટલે કે ‘હું’. સમજાય એવું છે કે એક તરફ ‘હું’ છે અને એની સામે ‘વસ્તુઓ’નો આખો સંસાર છે. ‘વસ્તુ’ની આપણે વ્યાખ્યા કરી શકીએ છીએ. જેમ કે ટેબલ લાકડાનું છે, એને ચાર પગ છે, એનો રંગ લીલો છે, એ ઊંચું નથી, એ વજનમાં ભારે છે. પરન્તુ, ‘હું’ની વ્યાખ્યા ચેતનાથી જ થઈ શકે છે. કહો કે, ‘હું’-ને આપણે ભૌતિક – સ્થૂળ – અને જેનો કશો સાર પકડી શકાય નહીં એવાં લક્ષણોમાં જ વર્ણવી શકીએ છીએ.

આ બન્ને વિભાવનાઓ અમુક હદે એકબીજામાં ભળતી રહે છે. એ રીતે કે ‘હું’ પણ થોડુંક ભૌતિક છે. એ પણ ’વસ્તુ’ને હોય એવાં કેટલાંક લક્ષણો ધરાવે છે. એ જ રીતે, કેટલીક વાર ‘વસ્તુ’ને પણ આપણે ‘હું’-સમ ગણી લેવાની ભૂલ કરી બેસીએ છીએ – નુક્સાનકારક ભૂલ …

સરળતા ખાતર હું આ લેખમાં, ‘બીઈન્ગ-ઇન-ઇટસેલ્ફ’ માટે ‘વસ્તુ’ અને ‘બીઇન્ગ-ફૉર-ઇટસેલ્ફ માટે ‘હું’ સંજ્ઞા પ્રયોજીશ.

મને એવો પ્રશ્ન થાય છે કે હું લેખક તે શું પેલા પર્વત જેવો ખરો? ના. પર્વત તો ‘વસ્તુ’ છે, કહો કે પર્વત જ છે. લેખક તરીકે હું લેખક ખરો પણ રોજ સવારે કશા અજ્ઞાત ભવિષ્યમાં ઝંપલાવું છું, કશુંક પામું છું, તેને લખું છું, અને તે પછી જ લેખક બનું છું. સાર્ત્ર આ સત્યને ઘૂંટે છે. કહે છે કે ‘હું’-ને ત્યારે જ અર્થ લાધે છે જ્યારે એ કશા અણજાણ ભવિષ્યમાં પ્હૉંચી જાય છે. સાર્ત્ર એમ કહેવા માગે છે કે ‘હું’ જાણે ધાડ પાડે છે – કાયમની એની એ જ રીતેભાતે …

વાત એમ છે કે માણસ પાસે જાતની ઓળખ અને જીવનકાર્યો માટે કેટલાક ગુણ, કેટલુંક સત્ત્વ, હોય એ જરૂરી છે. આમ તો, આ સત્ત્વતરફી વિચાર, આવશ્યકતાવાદ – ઇસેન્શ્યાલિઝમ – પ્લેટો જેટલો પુરાણો છે. પણ સત્ત્વ માટે, ગુણો માટે, માણસ ગમે એટલું મથે, સફળ નથી થતો. પોતાના ભૂતકાળને ફંફોસે, ભૂતકાળના અર્થ કરે, ભવિષ્યને તાકે, કલ્પે, એમ ઘણું કરી શકે. કેમ કે એવી અનેક પસંદગીઓ કરવાની એની ગુંજાઈશ છે. પણ તેથી શું? એ ગુંજાઈશને શું કરવાની? સાર્ત્ર સમજાવે છે કે વ્યક્તિ ગમે એટલી શારીર હોય, દાખલા તરીકે, પાંચ ફીટ પાંચ ઇન્ચ હોય, તો પણ એ વ્યક્તિ એને નથી કશો અર્થ આપી શકતી કે નથી એમાંથી કશો અર્થ કાઢી શકતી. સત્ય એ છે કે માણસ અસ્તિત્વ છે, સત્ત્વ નથી.

આ વિરોધાભાસ પણ જબરો છે : ‘હું’ ‘વસ્તુ’-માં એક થવા ઇચ્છે, પણ ત્યારે એ પોતાની આત્મ-તા વસ્તુ-તા પર થોપે છે. ‘હું’ ચેતના છે, તેમ છતાં, પોતાને જ પ્રશ્નરૂપ લેખે છે. પરિણામે, ‘હું’ અને ‘વસ્તુ’ વચ્ચેની કટ્ટર તિરાડ દૃઢ થાય છે. સાર્ત્ર સ્પષ્ટ કરે છે કે એક સભાન સત તરીકે ‘હું’ પોતે જે નથી તેને સ્વીકારી લે છે – મતલબ, જે નથી તેને વિશેની સભાનતા દ્વારા ‘હું’ પોતે જ જે નથી તે બની રહે છે. એટલે કે, એને તમે વિશ્વથી સમ્પૂર્ણપણે મુક્ત એવી એક શૂન્યતા કહી શકો કે એક કૅન્વાસ કે જેની પર એ પોતાના સતને આલેખવાનું હોય. સાર્ત્ર એવા સાર પર જઈ પ્હૉંચે છે કે ‘હું’ એવું સત છે જેના દ્વારા વિશ્વમાં અભાવ અને શૂન્યતા પ્રવેશે છે; છેવટે, ‘હું’ પોતે જ એક અભાવ બની રહે છે. બીજા શબ્દોમાં એમ કહેવાય કે ‘હું’ અને ‘વસ્તુ’-નું અસંભાવ્ય સંશ્લેષણ હંમેશાં ગેરહાજર રહે છે …

'સત'ને ભારતીય પરમ્પરા અનુસાર, કશીપણ હસ્તીનો, કશાપણ અસ્તિત્વનો, શુદ્ધતમ અર્ક કહી શકાય. પણ સાર્ત્ર એમ જણાવે છે કે મનુષ્ય કદી જાણી શકશે નહીં કે સત ખરેખર છે કે કેમ. એ માટે એણે તે વસ્તુ બનવું જોઈશે. જેમ કે, ખડકને જાણવા ખડક બનવું પડે. તેમ છતાં, ‘હું’ જે નથી તે વડે વિશ્વને જોઈ શકે છે. એ પ્રકારે, ‘હું’ સાવ મુક્ત છે બલકે કલ્પનાશક્તિ પણ ધરાવે છે. સુવિદિત છે કે નિતાન્ત સૌન્દર્યને નથી પામી શકાતું તેમ છતાં એની ગેરહાજરી દ્વારા તેને જાણી શકાય છે – જેવી રીતે પ્રિયજન છોડી ગયું હોય છે તેથી ખાલીપો જન્મે છે, પણ એ ખાલીપા વડે જ તેને જાણી શકાય છે.

સાર્ત્રના દર્શનમાં બીજું કેન્દ્ર એ છે કે ચેતના એકથી વધુ સત વચ્ચે સંભવતી આન્તરક્રિયાઓ, લૅણાદેણી કે આદાનપ્રદાનને ધારણ કરે છે. એક ‘હું’ જ્યારે બીજા ‘હું’-ના સમ્પર્કમાં મુકાય છે ત્યારે એમાં જવાબદાર વસ્તુઓ બે હોય છે – the gaze, એટલે કે, નજર અને the other, એટલે કે, અન્ય. સાર્ત્ર અનુસાર, અન્યની નજર માણસને પરાયાપણાનો અનુભવ કરાવે છે. આપણને કોઈ નિહાળી રહ્યું છે એ વાત આપણી ચેતનાને નકારે છે, એટલું જ નહીં, એ વાતનું કારણ બને છે કે આપણામાં વસતા બીજા ભાગોની પણ આપણે ચિન્તા કરીએ. વળી, આપણને નિહાળતા એ અન્યને આપણે આપણાથી ચડિયાતો ગણવાને મજબૂર બની જઈએ છીએ. એની નજરથી સરજાતા નિર્માનવીકરણને આપણે સ્વીકારી લઈએ છીએ. આપણને વસ્તુપદાર્થ ગણી કાઢતી એ નજરને સહી લઈએ છીએ.

તે વખતે આપણે એનું શરણ સ્વીકારવાને તેમ જ એને પણ વસ્તુપદાર્થ ગણી લેવા માટે સભાન અને મુક્ત હોઇએ છીએ. આમ, સમ્બન્ધને ઉલટાવીએ છીએ, સમ્બન્ધની અદલબદલ કરી નાખીએ છીએ. સાર્ત્રનું એમ કહેવું સાચું છે કે સમાજમાં આમ અવારનવાર બનતું હોય છે. એથી દમન જન્મે છે. બે એકદમનાં સાફ દૃષ્ટાન્તો : એક તો, જાતિદ્વેષને કારણે જન્મેલી ગુલામીપ્રથા અને બીજું, નારી તેમ જ નારીસમાજ પ્રત્યેની પૈતૃક સત્તાના વારસદાર પુરુષોની વર્તણૂકો.

મને થાય, અસ્તિત્વવાદીઓને જો હિન્દુ વર્ણવ્યવસ્થાની અને તેમાંથી પ્રગટેલી અસ્પૃશ્યતાવિષયક ઘાતક માનસિકતાની તેમ જ દલિત-પીડાની જાણ હોત તો એમણે એ દૃષ્ટાન્તોને પણ આમાં ઉમેરી લીધાં હોત…

સાર્ત્ર કહે છે કે ‘હું’ એક અન્ય ‘હું’ સાથે જોડાય, સમ્બન્ધ ઊભો થાય, ત્યારે જ આપણે મનુષ્યો આપણી જાત વિશે સભાન થઈએ છીએ. જ્યાં લગી અન્યની નજર – gaze – આપણા પર પડે નહીં, જ્યાંલગી એ નજરનો સામનો ન કરવો પડે, જ્યાં લગી આપણે અન્ય વડે watch ન થઇએ, ત્યાંલગી આપણને આપણી પોતાની હાજરી નથી અનુભવાતી. અન્યની નજર બધું વસ્તુમય કરી મૂકે છે. તમે કોઈને મકાન બાંધતાં જુઓ ત્યારે તમે એને કડિયા કે બાંધકામદાર નામની વસ્તુ તરીકે જુઓ છો. મેં કોઈવાર કોઈ સભામાં કહેલું કે બસ-કન્ડક્ટરને એને અપાયેલા ૩૪૫ નમ્બરથી બોલાવાય છે, નહીં કે પશાભાઈ તરીકે !

સાર્ત્ર જણાવે છે કે આપણને આપણી જાણ ત્યારે જ થાય છે જ્યારે અન્ય કોઈ આપણને જાણવા કે અનુભવવા કરે છે. આપણે વસ્તુમય થઈ જઈએ છીએ જ્યારે અન્ય કોઈ આપણને એ રીતે નિહાળે છે. આમ અન્યની નજર આપણી મૂળેરી સ્વતન્ત્રતાને તેમ જ આપણસમગ્રને લૂંટી લે છે. પરિણામે, આપણે આપણા અસ્તિત્વથી વંચિત થઈ જઈએ છીએ, એટલું જ નહીં, શીખવા માંડીએ છીએ કે આપણી આત્મ-ઓળખ કેવીક તો મિથ્યા છે.

સાર્ત્ર આ મુદ્દાને વિકસાવતાં એટલે લગી કહે છે કે એક સત તરીકે, એક ઍજન્સી કે એક કલ્પના તરીકે, ‘હું’ નક્કર પાયા વિનાનું બની જાય છે. પોતાની શૂન્યતાથી ભાગી છૂટવા એ ‘વસ્તુ’-ને ગળી જવા મથે છે. દુનિયાદારીની રીતે કહેવું હોય તો એટલે લગી કહેવું જોઈએ કે એ એને ‘વાપરે’ છે. તેમછતાં, ‘વસ્તુ’ કદી પણ કબજે તો થતું જ નથી.

સાર્ત્રનું કહેવાનું એમ થાય છે કે હું એક શૂન્યતા છું, અભાવ છું, અન્યો વડે નિર્માનવીકરણ પામેલો છું, ને વળી, મારા પોતાથી પણ છેતરાયેલો છું. પણ સાર્ત્ર સતત એમ પણ ઘૂંટે છે કે હું મુક્ત છું, હું પારદર્શક છું, હું ચેતના છું ને હું વિશ્વને ઘડું કરું છું ! આમ એમનો આ શાસ્ત્રાર્થ વિવાદાત્મક બની રહે છે અને સરવાળે ચર્ચાને નિરાશાભરી કરી મૂકે છે …

મનુષ્ય જીવનની ઑન્ટોલૉજી અંગેનાં આવાં બે દેખીતાં અસમાધાનકારી વર્ણનોનો સાર્ત્ર કશો ગળે ઊતરે એવો ખુલાસો નથી આપતા, એ એક કોયડો છે. અલબત્ત, કશા ફિલસૂફીપરક ઉપસંહાર પર ન જવું એ એમનું અનેકશ: ઈરાદાપૂર્વકનું વર્તન છે, છતાં, એ બન્નેને જાળવી રાખવાં, એ એમની અંગત શૈલી રહી છે, એટલું જ નહીં, અસ્તિત્વવાદની પણ કહેણી – maxim – એ રહી છે કે એવો કોઈ સિદ્ધાન્ત નથી જે સાર્વત્રિક હોવાનો દાવો કરી શકે.

સાર્ત્રના કહેવાનો સાર જ એ છે કે ભેદો અને વિવિધતાની ગેરહાજરી જ કદાચ સતની અન્તર્ગત રહેલું મોટામાં મોટું લક્ષણ છે. સત અસ્તિત્વની સમ્પૂર્ણતા છે. તેથી ચેતના તો જ્ઞાન અને અર્થહીનતાનો નિરર્થક જથ્થો ભાસે છે. વિશ્વમાં ચેતના ‘હું’ દ્વારા દાખલ થઈ શકે છે અને એની સાથોસાથ, શૂન્યતા અને નકાર પણ દાખલ થાય છે. ચેતના એ છે જે વિશ્વને હોવા-રહેવા દે છે! ચેતના નહીં હોય તો વસ્તુઓ નહીં હોય, વૃક્ષો નહીં હોય, નદીઓ નહીં હોય, અને ખડકો નહીં હોય. હશે માત્ર સત. ચેતના હંમેશાં સ-હેતુક હોય છે. એટલે કે, ચેતના હંમેશાં કશાકને વિશેની ચેતના હોય છે.

બીજું ચિત્ર અસ્તિત્વવાદી મનોવિશ્લેષણનું ઠઠ્ઠાચિત્ર છે : જુઓ તો, મનોવિશ્લેષકભઈલો, સાર્ત્રનું મનોવિશ્લેષણ કરી રહ્યો છે !

સાર્ત્રની ઑન્ટોલૉજી અનુસાર, શું નથી એને જાણ્યા પછી જ ચેતના જાણે છે કે પોતે ‘વસ્તુ’ નથી, અને એ રીતે જેને જાણે છે તે એક શૂન્યતા છે, સતનું ન હોવું છે. તેમ છતાં, સાર્ત્ર-દૃષ્ટિમાં ‘હું’ કશું નથી, એ ત્યારે જ હોય છે, જ્યારે એ સતના સમ્બન્ધમાં મુકાય છે. એ રીતે એ એક પ્રકારનું is છે, હોવું છે…

મારે આમાં કેટલીક વીગતો ઉમેરવી જોઈએ : હ્યુસેર્લ અને હાઈડેગરની જેમ સાર્ત્ર પણ ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સથી જુદી ગણે છે. ‘ઑન્ટોલૉજી’ માટે ભલે હું ગુજરાતી પર્યાયવાચી સંજ્ઞા હાલ ને હાલ નથી રચી શકતો, પણ કહી તો શકું છું કે એ સતને વિશેનું – બીઈન્ગને વિશેનું – હોવાપણાને વિશેનું – અધ્યયન છે. બીઈન્ગ સાથે જોડાયેલાં બીકમિન્ગ, ઍક્ઝિસ્ટન્સ અને રીયાલિટીનું, એટલે કે, સત સાથે જોડાયેલાં થવાપણું, અસ્તિત્વ અને વાસ્તવિકતાનું એ અધ્યયન છે.

સામાન્યપણે ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સ એટલે કે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ પણ હ્યુસેર્લ, હાઈડેગર અને સાર્ત્ર એને એમ નથી ગણતા. સાર્ત્રને મન ઑન્ટોલૉજી વર્ણનાત્મક છે, વર્ગો રચી આપે છે; જ્યારે, અધ્યાત્મવિદ્યા મનુષ્યોનાં મૂળ વિશે, તેમનાં જીવનસાધ્ય વિશે, તેમ જ વિશ્વ સમગ્ર વિશે કેટલાંક નિરૂપણો પીરસે છે. સાર્ત્ર હાઈડેગરની જેમ અધ્યાત્મવિદ્યા કેટલી તો હાનિકારક છે વગેરે પંચાતમાં નથી પડતા. કાન્ટની માફક માત્ર નૉંધ કરે છે કે અધ્યાત્મવિદ્યા જેના આપણે ઉત્તરો ન આપી શકીએ એવા પ્રશ્નો ખડા કરે છે. સાર્ત્રે ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફિનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’. મતલબ, એમને આવિષ્કારોનું અધ્યયન રચવું છે. ટૂંકમાં, સાર્ત્રની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.

જેની આપણે વાત માંડી છે એ ‘હું’ અને ‘વસ્તુ’ સતની જ બે ભિન્ન કોટિઓ છે. સાર્ત્ર ત્યાંથી શરૂ કરે છે અને એમ સૂચવે છે કે એક ચેતન છે, એક જડ છે. પણ પાછળથી એમણે ‘pour-autrui – એટલે કે ‘ફૉર-અધર્સ’ શીર્ષકથી એક ત્રીજી કોટિ પણ ઉમેરી છે. જીવનને સંયોજનારા મૂળભૂત પ્રોજેક્ટને સ્પષ્ટ કરતાં આપણાં કર્મોને એમણે ‘અસ્તિત્વવાદી મનોવિશ્લેષણ’-થી સમજાવવાનો આગવો પ્રયાસ કરેલો છે. એ જુદી વાત કોઈ બીજા સંદર્ભે કરીશ.

આ ‘હું’ અને ‘વસ્તુ’-ની આપણે ભેળસેળ કરી દેતા હોઈએ છીએ. એને કારણે જીવનમાં સંદિગ્ધતાઓ, ગૂંચવાડા, જન્મે છે. મેં જણાવ્યું એમ ‘વસ્તુ’ is છે, માત્ર ‘છે’. જાતે જ ઓળખાઈ જાય છે, અક્રિય અને જડ છે. પણ સમજાય એવું છે કે ‘હું’ પ્રવાહી અને સક્રિય છે. પરન્તુ એ જાતે ને જાતે નથી ઓળખાતું. ‘હું’ જેનો આધાર લે છે એ ‘વસ્તુ’નો એ બહુ ઊંડેથી નન્નો ભણે છે. સાર્ત્ર એને nihilation કહે છે.

આ એવું દ્વૈત છે જેને ‘ફૅક્ટિસિટી’ – તથ્યાત્મકતા – અને ‘ટ્રાન્સેન્ડન્સ’ – ઉલ્લંઘન – પણ કહી શકાય છે. આપણને મળેલી ભાષા, મળેલું વાતાવરણ, આપણી પસંદગીઓ બલકે આપણે પોતે, આપણાં ‘ગિવન્સ’ છીએ, દત્ત છીએ. એથી તથ્યાત્મકતા એટલે કે સમજો, હકીકતો અને હકીકતોનું ટોળું રચાય છે, પરિસ્થિતિઓ સરજાય છે. પણ સભાન વ્યક્તિઓ તરીકે આપણે એને ટ્રાન્સેન્ડેન્ટ કરી જઈએ છીએ, ઉલ્લંઘી જઈએ છીએ, એટલે કે, ઓળંગી જઈએ છીએ. પણ કહેવાનો સાર એ છે કે સદા આપણે ‘પરિસ્થિતિ’-માં જ હોઈએ છીએ ! ઉપરાન્ત, પરિસ્થિતિ અને ઉલ્લંઘનનું કશું ચૉક્કસ મિશ્રણ નથી કરી શકાતું, એમ પણ છે. એટલે સાર્ત્ર એમ દર્શાવી રહ્યા છે કે આપણે હંમેશાં આપણી પરિસ્થિતિથી ‘વધારે’ હોઈએ છીએ ! અને એ જ છે આપણા સ્વાતન્ત્ર્યની મૂળ ભૂમિકા ! સાર એમના અતિ સંવેદનશીલ સૂત્રમાં એ કે ‘વી આર કન્ડેમ્ન્ડ ટુ બી ફ્રી’… સ્વતન્ત્ર હોવાનો આપણને શાપ છે …

તો પછી, કોઈ પણ ફિલસૂફે કે સાર્ત્રે મારા હાથમાં છેવટે તો એ પ્રસાદ પીરસવો જોઇએ કે મારે કરવાનું શું છે – કઈ નીતિરીતિથી હું જીવું એ કહો. સાર્ત્રના આ ગ્રન્થમાં એવાં ફિલસૂફીપરક ઈંગિતો – ફિલોસૉફિકલ ઇમ્પ્લી કેશન્સ – છેક છેલ્લે મળે છે. સુખ્યાત વ્યાખ્યાન ‘ધ હ્યુમેનિઝમ ઑફ ઍક્ઝિસ્ટેન્શ્યાલિઝમ’-માં સાર્ત્રે એ દર્શાવ્યાં છે. ( જિજ્ઞાસુએ એ વ્યાખ્યાનના થોડાક નિર્દેશ પૂરતું મારું પુસ્તક 'સાર્ત્રનો સાહિત્યવિચાર' જોવું ). એમનું કેન્દ્રસ્થ મન્તવ્ય એ છે કે મૂલ્યો કદી પણ પરલક્ષી હોતાં નથી કેમ કે મૂલ્યો મુક્ત વ્યક્તિઓએ કરેલી પસંદગીઓનું તેમ જ તેથી જન્મેલાં તેમનાં કાર્યોનું પરિણામ હોય છે.

શૂન્યતા અને અભાવની સંકુલ ચર્ચા કે તાત્ત્વિક ગવેષણા પછી, સ્વાતન્ત્ર્ય મનુષ્યોને અપાયેલો શાપ છે કહ્યા પછી સાર્ત્ર કશુંક આશાભર્યું બોલ્યા તે એ કે એ વરદાન પણ છે. જો કે એથી ચૉક્કસપણે શું સંભવશે તે વિશે નક્કી કશું કહી શકાતું નથી. પરન્તુ એ સ્વાતન્ત્ર્યનું જે કરીશું તે જ કહેવાશે આપણું …

(ક્રમશ:)

= = =

(7 Jan 2020: USA)

Loading

મારે બારણે એક ઝાડ સુકાઇ રહ્યું છે

ભારતી શાહ - જનક શાહ|Opinion - Opinion|10 January 2020

મારે બારણે એક ઝાડ સુકાઇ રહ્યું છે.
હું  ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો
નર્યું રેખાઓનું માળખું છે એ.

એને ચરણેથી એને જોઉં છું.
પીધું લીધું દીધું તે બધું ય જાણે ખંખેરીને ઊભું ન હો !

અટારીથી રાત્રીઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,
વ્યક્તિત્વની ભિન્ન ભિન્ન અદાઓ એનીઃ

મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની …
શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.

                                                                                                           — ઉમાશંકર જોશી

કેવી વાસ્તવિક અભિવ્યક્તિ ! આજની પરિસ્થિતિ અંગે કેવી ભવિષ્યવાણી ! તમારા માનસ પટ પર આ સુકાયેલા, નર્યા રેખાઓના માળખા સમાન વૃક્ષનું ચિત્ર અંકિત થાય છે ખરું ? હું ચિત્રકાર નથી એવી કેફિયત આપીને કવિ સૂકાતા વૃક્ષનું સર્વાગસંપૂર્ણ ચિત્ર બખૂબી દોરી આપે છે.

હરીન્દ્ર દવે આ કવિતા વિશે કહે છે, "કવિ ક્યા વૃક્ષની વાત કરે છે અને કયા ફળની વાત કરે છે? આ સંસ્કૃતિની કથા છે? આ મૂલ્યોની વાત છે? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે? – તમે એનો કોઇ પણ અર્થ કાઢી શકો, પણ છેલ્લા શબ્દ આગળ કંપી ગયા પછી પ્રથમ પંક્તિના ક્રિયાપદ 'રહ્યું છે' પર આશ્વાસનની નજર મંડાઇ રહી છે. કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઇક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઇ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે – એનાં શાખા-બાહુઓ વિસ્તરી ઊઠે, એને ભીંસી રાખેલું મૃત્યુફળ સરી પણ પડે – પણ કદાચ …!"

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના એક અહેવાલ પ્રમાણે પૃથ્વી પર આબોહવા પરિવર્તનનું મુખ્ય કારણ માનવસર્જિત ગ્રીનહાઉસ ગેસ છે. આ ગેસની ગ્લોબલ વોર્મિંગ પર ભયંકર અસર દેખાય રહી છે. એમ કહેવાય છે કે ૨૦૫૦ની સાલ સુધીમાં તેમાં ૧૩૦ ટકાનો વધારો નોંધાવાની શક્યતા છે. ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ એગ્રીમેન્ટ જેવા કરારો હોવા છતાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં સતત વધારો થઇ રહ્યો છે. ખનીજ તેલ અને કોલસાનો વપરાશ વધતાં ગ્લોબલ પોલ્યુશન રેકોર્ડબ્રેક કક્ષાએ પહોંચી ગયું છે. ભારતનાં શહેરો ગંદકીથી ખદબદે છે અને પ્રદૂષિત છે એવા અહેવાલો સો ટકા સાચા છે.  અહેવાલોના મત મુજબ દુનિયાના લગભગ તમામ દેશો વાયુ પ્રદૂષણ માટે વધતા ઓછા પ્રમાણમાં જવાબદાર છે. ચીન, અમેરિકા, ભારત, રશિયા અને જાપાન આ પાંચ દેશો જાયન્ટ કિલર છે. વૈશ્વિક કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનમાં એકલા અમેરિકા અને ચીનનો ફાળો ચાળીસ ટકાથી વધુ છે. [- મિડ ડે]

ફક્ત આપણે એકલા જ પૃથ્વી પર ફેલાતા પ્રદૂષણ માટે જવાબદાર નથી. અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે પ્રદૂષણ ફક્ત માનવસર્જિત સમસ્યા છે. ઝેરી હવાની વાત આવે એટલે ઇંધણ, કોલસો, પેટ્રોલ, ડીઝલ, વાહનોમાંથી બહાર ફેંકાતો ધુમાડો, ઔદ્યોગિક કચરો અને કચરો બાળતાં દ્રશ્યો આપણી નજર સમક્ષ દેખાય છે. માનવસર્જિત પ્રદૂષણની માત્રા અતિશય છે એ સાચું, પરંતુ પૃથ્વીની હવા અશુદ્ધ કરવામાં માનવની જેમ કુદરત પણ વખોવખત પોતાનો ફાળો નોંધાવતી રહી છે. જ્વાળામુખી, વંટોળ, દાવાનળ, ધરતીકંપના આંચકા જેવી કુદરતી આફતોનાં કારણે વૈશ્વિક પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે કુદરતમાં થતા કેટલાક પરિવર્તનો માટે કેટલાક અંશે માનવી જવાબદાર છે તે આપણે જાણીએ જ છીએ. સૂર્યના પરિભ્રમણની ગતિમાં થયેલા ફેરફાર, પર્વત બનવાની ધીમી પ્રક્રિયા, મહાદ્વીપ, નામશેષ થઇ રહેલા નાના-નાના ટાપુઓ વગેરે જેવા ભૌગોલિક ફેરફારો જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણનાં પ્રાકૃતિક કારણો પણ છે.

આપણે ત્યાં આપણાં અધિકારો, આપણી માંગ, આપણી અપેક્ષાઓ, આપણી જરૂરિયાતો, આપણને મળતી ઓછી સવલતો માટે હડતાલો પડે છે. પરંતુ વાતાવરણના પરિવર્તનો માટે વિશ્વમાં ઊભા થયેલા જોખમો સામે જાગૃતિ લાવવા કોઇ અવાજ ઊઠે છે ખરો? હડતાલ પડે છે ખરી ?

એક સોળ વર્ષની સ્વીડનની છોકરી છે નામે ગ્રેટા ટૂનબર્ગ – વાતાવરણના પરિવર્તનો માટે વિશ્વમાં ઊભા થયેલા જોખમો સામે જાગૃતિ લાવવા તેણે આજે અવાજ ઉઠાવ્યો છે. ચાલો, ત્યારે દુનિયા ભરના લોકોનું ધ્યાન ખેંચનારી આ ગ્રેટાની ઝૂંબેશ અને સિદ્ધિ પર એક નજર ફેરવીએ.

આ ગ્રેટાને કેટલાક સમય પહેલાં કોઇ સાંભળવા તૈયાર ન હતું. તેની સામે કોઇ ઓડિયન્સ ન હતું. સ્વિડિશ પાર્લામેન્ટની બહાર તે એકલી 'સ્કૂલ સ્ટ્રાઇક ફોર ક્લાઇમેટ ચેન્જ'નું સાઇન બોર્ડ લઇને  બેઠી હતી. તે ૧૧ વર્ષની હતી ત્યારે શાળામાં ક્લાઇમેટ ચેન્જ અંગે તેણે અભ્યાસ કર્યો હતો. દુનિયાને આ પરિવર્તનની ચિંતા કેમ થતી નથી, એવું વિચારીને તે ડિપ્રેશનમાં જતી રહી હતી. ત્યાર પછી તેણે આ વિશે દુર્લક્ષ સેવવાનું નક્કી કર્યું પણ તેના મનમાંથી આ વિચાર હટતો ન હતો. તે વધુ સમય તેનાથી દૂર રહી ન શકી. તેણે તેની શાળાના મિત્રોને ક્લાઇમેટ ચેન્જ વિશે સમજાવ્યું. ત્યાર પછી શાળાના વિદ્યાર્થીઓને સમજાવ્યું અને વિદ્યાર્થીઓના ટેકાથી શાળામાં હડતાલ પાડવી શરૂ કરી.

ગ્રેટા માને છે કે કાલે ઊઠીને આાપણું કોઇ ભવિષ્ય નહીં હોય તો શાળાએ જવાનો શો મતલબ? આટલી નાની ઉંમરમાં વિદ્યાર્થીઓને સમજાવવાનું કાર્ય તેના માટે ઘણું કઠિન હતું. પણ તે હિંમત હારી નહીં અને પોતના વિચારથી ડગી નહીં. આગળ વધી રહેલી ગ્રેટાના વિચારને દુનિયાભરના વિદ્યાર્થીઓએ વધાવી લીધી. ગ્રેટાએ દર શુક્રવારે શાળાના કોઇ શિક્ષણ કાર્યમાં ભાગ ન લઇ અભ્યાસનો બહિષ્કાર કરવો શરૂ કર્યોં. દર શુક્રવારે તે શાળાના વિદ્યાર્થીઓ સાથે હાથમાં પોસ્ટર લઇને શાંતિથી રસ્તા પર ઊભી રહેવા લાગી. તેણે ક્યારે ય તેની શાળામાં જાહેરમાં કોઇ વક્તવ્ય આપ્યું ન હતું. આજે તે આખી દુનિયા સમક્ષ બોલવા તૈયાર થઇ ગઇ છે.

ગ્રેટાના આજે ઇન્સ્ટાગ્રામ પર ૨૪ લાખ, ફેસબુક પર ૧૦.૨૧ લાખ અને ટ્વિટર પર ૮.૩૧ લાખ ફોલોઅર્સ છે. તે તેના એકાઉન્ટ પર અવારનવારે Fridays For Future અને climate strike હેશટેગ મારીને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ગ્રેટા પોતાના વિશે કહે છે, "બધાથી અલગ હોવું તે મારી નબળાઇ નથી પણ હું ટોળાં કરતાં અલગ છું તે જ મારી તાકાત છે." ૨૦૧૮ની ૨૪મી નવેમ્બરના રોજ સ્ટોકહોમમાં ક્લાઇમેટ ચેન્જ વિશે તેણે અસરકારક વક્તવ્ય આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં તેણે પોતાની વાત અભિવ્યક્ત કરતાં કહ્યું હતું, "કલાઇમેટ ચેન્જ માટે યુવાન લોકોએ વિચારવાની જરૂર છે. આપણે જે વાતને સામાન્ય રીતે લઇએ છીએ તેનાથી જ ભવિષ્ય ખતરામાં છે. આપણી વચ્ચે સતત કલાઇમેટ ચેન્જ થઇ રહ્યું છે, તેમ છતાં તે કોઇ ન્યૂઝ ચેનલની હેડલાઇન કેમ નથી બનતું ! ફક્ત દુનિયામાં કાયદાઓ બનાવીને તેને બદલી શકતા નથી. તેના માટે કાંઇક કરી બતાવવું પડે !"

આ સ્ટ્રાઇક પાછળ ગ્રેટાનું ધ્યેય એ છે કે સ્વિડનની સરકાર પેરિસ સાથે કરેલ કરારનો નિકાલ કરે. આ નિર્ણયથી દેશમાં કારખાનાંઓને લીધે વધતા ગ્લોબલ ટેમ્પરેચરને મર્યાદિત કરી શકાશે.  સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રેટાને દુનિયાભરના વિદ્યાર્થીઓ સહિત બીજા પર્યાવરણ એક્ટિવિસ્ટનો ટેકો પણ મળી રહ્યો છે. નાની ઉંમરમાં ગ્રેટા જે કામ કરી રહી છે તે બદલ દુનિયાભરના લોકો તેના વખાણ કરી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાં પણ તેમાં સામેલ છે. ડિસેમ્બર ૨૦૧૮માં સ્ટોકહોમના 'એક્ટિવિટી સેન્ટર ફોર યંગ પીપલે' ગ્રેટાને 'યંગ રોલ મોડલ ઓફ ધ યર'નો ઇલ્કાબ આપ્યો હતો. ઇલ્કાબની સાથે તેને સ્કોલરશિપ પણ આપવામાં આવી હતી. ૨૦૧૮માં દુનિયાના ૨૫ સૌથી વધારે પ્રભાવશાળી ટીનેજરમાં 'ટાઇમ' મેગેઝિને તેનું નામ સામેલ કર્યું હતું. ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે તેને સ્વિડનમાં 'મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વુમન ઓફ ધ યર'નું બિરુદ અપાયું હતુ. ગ્રેટાને આ વર્ષે નોબેલ શંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે. જો તેને નોબેલ શાંતિ પુરસ્કાર મળે તો તે સૌથી યુવાન વ્યક્તિ બનશે જેને આ પુરસ્કાર મળ્યો હોય.

ગ્રેટાનો જન્મ ૨૦૦૩ની સાલમાં સ્વીડનની રાજધાની સ્ટોકહૉમમાં થયો હતો. તે સ્વીડનની એક ઓેરા સિંગર છે. તેના પિતા સ્વાંતે ટુનબર્ગ એક પત્રકાર છે. બે વર્ષ સુધી તેણે પોતાના ઘરના માહોલને બદલવા પર કામ કર્યું. તેના માતા-પિતાએ માંસનું સેવન છોડી દીધું છે અને પ્રાણીઓની ચામડીમાંથી બનેલ વસ્તુઓનો ઉપયોગ કરવાનું પણ છોડી દીધું છે. તેમણે વિમાનની યાત્રા બંધ કરી દીધી છે કારણ કે તેના કારણે કાર્બનનું ઉત્સર્જન વધી જાય છે.

૨૩મી સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કમાં યોજાયલ સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન શિખર પરિષદમાં ધ્રૂસકે ધ્રૂસકે રડતાં દુનિયાભરના નેતાઓને ગ્રેટાએ કહ્યું, "How Dare You? એટલે કે તમારી હિંમત જ કઇ રીતે થઇ શકે."

પર્યાવરણનું રક્ષણ કરવા માટે સમગ્ર વિશ્વમાં આંદોલનનો એક ચહેરો બનેલી ગ્રેટાએ ૨૩મી સપ્ટેમ્બરના રોજ ન્યુયોર્કમાં યોજાયલ સંયુક્ત રાષ્ટ્રની જળવાયુ પરિવર્તન શિખર પરિષદમાં ભાગ લીધો હતો. જળવાયુ પરિવર્તન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંયુક્ત રાષ્ટ્ર સંધમાં આપેલા વક્તવ્ય પહેલાં પરિષદમાં તેણે દુનિયાની મહાસત્તાઓના નેતાઓને પોતાની ચિંતાઓ અને પ્રશ્નોથી હચમચાવી દીધા હતા. સ્વીડનની આ ૧૬ વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા ટુનબર્ગે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સ્તરીય કલાઇમેટ એકશન સમિટ દરમિયાન મહાસચિવ અંતોનિયો ગુતારેસ સહિત દુનિયાના મોટા નેતાઓની સમક્ષ જ્યારે તેણે બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખ્યાલ ન હતો કે આ બાળકી પોતાના પ્રશ્નોથી અવાચક કરી દેશે. ગ્રેટાએ દુનિયાભરના બાળકોનું અને આજની યુવા પેઢીના અવાજને અભિવ્યક્ત કરતાકહ્યું કે, "અમને સમજમાં આવી રહ્યું છે કે જળવાયુ પરિવર્તનના મુદ્દા પર તમે અમને છેતર્યા છે અને હવે તમે કાંઇ જ નહીં કરો તો યુવા પેઢી તમને માફ નહીં કરી.  How Dare You એટલે કે તમારી હિંમત જ કઇ રીતે થઇ શકે. તમે અમારાં સપનાં અને બચપણને તમારા ખોખલા શબ્દોથી ઝૂંટવી લીધાં છે ….. જો કે હું તો હજુ પણ ભાગ્યશાળી છું. આજે લોકો આ ગ્લોબલ વોર્નિંગને કારણે મરે છે પીડાય છે. આખી ઇકો સિસ્ટમ બરબાદ થઇ રહી છે."

ગ્રેટાના વકતવ્યને સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવે પણ વખાણ્યું હતું. આંખોમાં આંસુ અને ગુસ્સામાં દેખાતી ગ્રેટાએ વિશ્વના નેતાઓ પર કાંઇ ના કરવાનો આરોપ મૂકતા કહ્યું, "તમે અમને અસફળ કરી દીધા. યુવાનો સમજે છે કે તમે અમને છેતર્યા છે. યુવાનોની આંખો તમારા લોકો પર છે અને જો તમે અમને ફરી અસફળ કર્યા તો અમે તમને ક્યારે ય માફ કરી શકીશું નહીં. અમે તમને છોડીશું નહીં. તમારે અત્યારે જ તે મર્યાદા નક્કી કરવી પડશે. દુનિયા જાગી ગઇ છે અને વસ્તુઓ બદલાવાની છે, પછી તમને તે પસંદ આવે કે ના આવે."

આ પરિષદમાં હાજરી આપવા વિમાનમાં યાત્રા કરવાને બદલે ૬,૦૦૦ કિલોમીટરની લાંબી યાત્રા યાટ (હોડી) દ્વારા કરવા માટે ૧૪ ઓગસ્ટના રોજ લંડનથી રવાના થઇ ચૂકી હતી. યાટમાં યાત્રા કરવાનો ગ્રેટાનો હેતુ કાર્બન ઉત્સર્જન રોકવાનો હતો. ગ્રેટા જે યાટથી સફર કરી રહી હતી તે ૬,૦૦૦ કિલોમીટરનું અંતર લગભગ બે અઠવાડિયામાં કાપ્યું હતું. યાટની ટીમે ગ્રેટાને વિના મૂલ્યે આ યાત્રા કરાવી હતી. યાટમાં સૂર્ય ઉર્જાથી ચાલતા પેનલ અને અન્ડરવોટર ટર્બાઇન લગાવેલા જેનાથી પર્યાવરણને નુકશાન ન પહોંચે. યાટના કપ્તાનના કહેવા મુજબ તેમની આ યાત્રા પડકાર ભરેલી હતી. ગ્રેટા પર્યાવરણ પ્રત્યે દુનિયાને પોતાની પ્રતિબદ્ધતા બતાવવા માગતી હતી તે જ કારણે તેણે યાટથી જવાનું પસંદ કર્યું હતું. ગ્રેટાને માટે આ પડકાર હતો. નોર્થ અમેરિકા સુધી બોટમાં જવું ઘણું અશક્ય હોવાં છતાં તે ખુશ હતી કારણ કે તેને મદદ કરવા માટે ગણી ન શકાય તેટલાં લોકોનો સાથ તેને મળ્યો હતો. ગ્રેટાની હાકલ સાંભળી ૧૦૫ દેશોની શાળાનાં બાળકો હડતાલ પર ઉતર્યાં હતાં. યાટમાં ગ્રેટા અને તેની ટીમ વેક્યુમ પેક્ડ ભોજન લીધું હતું. ગ્રેટાના પિતા યાટમાં તેની સાથે હતા. યાટની ડિઝાઇન ઘણી સરળ રખાઇ હતી. મુખ્ય વાતે એ હતી કે ગ્રેટાના યાટથી એક ટકો પણ કાર્બન ઉત્સર્જન ન થાય. યાટમાં કિચન, એસી કે ફ્રિજ જેવી સુવિધા પણ ન હતી.

જર્મનીના હેમ્બર્ગ શહેરની આ તસ્વીર છે. જર્મનીના ૧૦ શહેરોમાં રલાખથી વધુ બાળકોએ પોતાની શાળાના વર્ગો છોડી દેખાવ કર્યો હતો.

સમાચાર પત્રોના અહેવાલ પ્રમાણે પૃથ્વીના વધતાં તાપમાનને રોકવામાં નિષ્ફળ જવાને લીધે લોકોનો મોટા દેશો જેવા કે વોશિંગ્ટન, લંડન, પેરિસ અને મેલબોર્નના નેતાઓ પ્રત્યે રોષ વધવા માંડયો છે તેનો નજારો દુનિયા ૧૩૯ દેશોમાં ૨૧ સપ્ટેમ્બરના રોજ જોવા મળ્યો હતો. ૫૦ લાખથી વધુ યુવાનો પોતાના ભવિષ્યને બચાવવા માટે માર્ગો પર બેનર, પોસ્ટર લઇને ઉતરી આવ્યા હતા. તેઓ દુનિયાના નેતાઓ સમક્ષ જળવાયુ પરિવર્તનને તાત્કાલિક રોકવાની માગણી કરી રહ્યા હતા. દુનિયા ભરમાં લગભગ ૫,૦૦૦ જેટલી મોટી રેલીઓ નીકળી હતી. અમેરિકાના ન્યુયોર્કથી લઇને ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સુધી, જાપાનના ટોક્યોથી લઇને ભારતના નવી દિલ્હી સુધીનાં શાળાનાં બાળકો પોતાના વર્ગો છોડી ગ્લોબલ ક્લાઇમેટ સ્ટ્રાઇકમાં જોડાયાં હતાં. એકલા ન્યુયોર્કમાં જ ૧૧ લાખ બાળકોએ પોતાના વર્ગો ભર્યા ન હતા. ઓસ્ટ્રેલિયામાં ૩ લાખ લોકોનું સૌથી મોટું જળવાયુ પરિવર્તન માટેનું આંદોલન હતું. સૌથી મોટી રેલી મેલબોર્નમાં યોજાઇ હતી. બ્રિટનમાં લાખો વિદ્યાર્થીઓ માર્ગ પર દેખાવ કરવા ઊતરી આવ્યા હતા. સૌથી મોટું આંદોલન બ્રિજટાઉન, લીડ્સ, બર્મિગ્હામ અને લંડનમાં થયું હતું. સ્કોટલેન્ડના એડિનબર્ગમાં અનેક કંપનીઓની ઓફિસોના કર્મચારીઓએ બંધ પાળ્યો હતો અને મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ આંદોલનમાં જોડાયા હતા. જર્મનીના બ્રિજ પર ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી. યુરોપના ૪૦ દેશોમાં ક્લાઇમેટ ચેન્જ માટેની સ્ટ્રાઇક થઇ હતી. મોટી રેલીઓ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિડન, પોલેન્ડ વગેરેમાં યોજાઇ હતી. પેરિસમાં હજારો વિદ્યાર્થીઓ માર્ગો પર દેખાવ કરવા ઊતરી આવ્યા હતા.

પર્યાવરણના સંરક્ષણ માટેની ૧૬ વર્ષની આ આંદોલનકારી ગ્રેટાએ ફ્રાન્સની સંસદમાં જુલાઇ માસમાં સંબોધન કરી પોતાના વિચારો અભિવ્યક્ત કરતાં કહ્યું હતું કે વૈશ્વિક તાપમાન ૧.૫ ડિગ્રી ઘટાડવા માટે ૬૭ ટકા જેટલી તક છે. ગ્રેટાને ફ્રાન્સની સંસદમાં ક્રોસ પાર્ટી જૂથે નિમંત્રણ આપ્યુ હતું. ગ્રેટાએ પોતાના વક્તવ્યમાં હિંમતપૂર્વક જણાવ્યું હતું કે "અમારી વાત ન સાંભળો તો કાંઇ નહીં પણ વૈજ્ઞાનિકો જે કાંઇ કહે તેને તો ધ્યાનમાં લ્યો."

ગ્રેટાનાં આંદોલન, તેની હિંમત અને તેની ચિંતા થાય તેવી વાતોથી પ્રેરણા લઇને અસંખ્ય દેશોના વિદ્યાર્થી જગતે પોતાની રીતે સાથ પૂરાવ્યો તેની કેટલીક તસ્વીરો સાક્ષી રૂપે રજૂ કરવી અસ્થાને નહીં લેખાય.

૧૧ સપ્ટેમ્બરના રોજ સ્ટોકહોમના એક આંદોલનકારીએ પોતાની સાઇકલ પર બોર્ડ લગાવ્યું, "જળવાયુ પરિવર્તનને એક કટોકટી સ્વરૂપે જ લેવું જોઇએ. "

આ આંદોલનના પરિપ્રક્ષ્યમાં ફરી એકવાર યાદ આવે છે ઉમાશંકર જોશીને રચના 'જઠરાગ્નિ'. બાકીની કડીઓને કાર્બન ડાયોકસાઇડના ઉત્સર્જનને પ્રતિકાત્મક રીતે લઇએ તો એક મહાન દ્રષ્ટાએ કરેલી આગાહી કદાચ સાચી પડશે – આ ગ્લોબલ વોર્મિગ અને જળવાયુ પરિવર્તનને જઠરાગ્નિના ઉદ્દીપન સ્વરૂપે ગણીને જો ચેતી નહીં જઇએ તો સમગ્ર માનવજાતનું અને પ્રકૃતિનું નામો-નિશાન મટી જશે તેવું નથી લાગતું !

                                          જઠરાગ્નિ

રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !

રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા રચો ભલે !
અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે?
દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા,
કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !

                                                                                                       — ઉમાશંકર જોશી

પ્રસ્તુત કર્તાઃ  ડૉ. જનક શાહ – શ્રીમતી ભારતી શાહ

(((((((((((((((((((((((((()))))))))))))))))))))

Loading

...102030...2,5732,5742,5752,576...2,5802,5902,600...

Search by

Opinion

  • પાલિકા-પંચાયત ચૂંટણીઓમાં વિલંબ લોકતંત્ર માટે ઘાતક છે
  • અદાણી ભારત કે અંબાણી ઈન્ડિયા થશે કે શું?
  • પ્રતાપ ભાનુ મહેતા : સત્તા સામે સવાલો ઉઠાવતો એક અટલ બૌદ્ધિક અવાજ
  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved