Opinion Magazine
Number of visits: 9683239
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૉકલ વાર્તાને ઈન્ટરનેશનલ દર્શકો સુધી પહોંચાડનાર પારસી ફિલ્મમેકર સૂની તારાપોરેવાલા

નીલય ભાવસાર|Opinion - Opinion|27 February 2020

ગત અઠવાડિયે નેટફ્લિક્ષ (Netflix) પર 'યહ બેલે' (Yeh Ballet) નામની એક ફિલ્મ રિલીઝ થઈ છે કે જેમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા બે યુવાનોના બેલે ડાન્સર બનવાનાં સપનાં અને સંઘર્ષની કહાણી છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મનાં લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા (Sooni Taraporevala) છે કે જેઓ અગાઉ આ વિષય પર ડૉક્યુમેન્ટરી બનાવી ચૂક્યાં છે અને હવે તેનું ફિલ્મમાં રૂપાંતર કર્યું. 'યહ બેલે' (Yeh Ballet) નામની આ ફિલ્મમાં મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહેતા બે યુવાનોની વાર્તા છે, જે પૈકી એક યુવાન હિન્દુ પરિવારનો જ્યારે અન્ય યુવાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે. ગરીબ પરિવારમાંથી આવતા આ બંને યુવાનોને સારા ડાન્સર બનવા માટે અમેરિકાથી મુંબઈ આવેલો એક ટીચર ટ્રેનિંગ આપે છે. 'યહ બેલે' નામની આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના રિયલ લૉકેશન્સ પર કરવામાં આવ્યું છે કે જેમાં મુંબઈની ચાલી અને અન્ય વિસ્તારો જોવા મળે છે. આ ફિલ્મની શરૂઆતમાં જ મુંબઈનો પ્રખ્યાત સી લિંક (પુલ) દેખાડવામાં આવ્યો છે કે જેની બાજુમાં જ ઝૂંપડપટ્ટી વિસ્તાર આવેલો છે. સી લિંક કે જે મુંબઈની શાન થાય છે તે દ્રશ્ય દેખાડતો કેમેરો ફરતો-ફરતો (આકાશમાં ઊંચેથી શૂટિંગ કરાયેલો aerial shot) તેની પાસે આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તાર પર જઈને અટકે છે. સપનાં જોવાનો હક માત્ર પૈસાદાર પરિવારના સંતાનોને નહીં પણ ચાલીમાં રહેતા ગરીબ યુવાનોને પણ છે, જે વ્યક્તિ મોટાં સપનાં જુએ છે અને તે પ્રત્યે આશાવાદી છે તેને સફળતા ચોક્કસ મળે છે, આ માટે પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી છે તે આ ફિલ્મનો મૂળ સંદેશ છે. બેલે ડાન્સની પ્રેક્ટિસ કરતા ગરીબ ઘરના યુવાનોને અમેરિકાથી આવેલો ટીચર જણાવે છે કે કોઈ પણ આર્ટ એટલે કે કળાનો વિકાસ કરવા માટે શિસ્ત ખૂબ જ જરૂરી છે. શિસ્ત અને સતત પ્રેક્ટિસ વિના સફળતા નહીં મળે.

'યહ બેલે' (Yeh Ballet) ફિલ્મમાં નિશુ (મનીષ ચૌહાણ) અને આસિફ (અચિંત્ય બોઝ) નામના બે યુવાનના સંઘર્ષની કહાણી છે. નિશુ નામનો યુવાન હિન્દુ પરિવારમાંથી આવે છે કે જેનો પરિવાર ચાલીમાં રહેતો હોય છે. નિશુના પિતા ટેક્સી ડ્રાઈવર છે જ્યારે તેનાં માતા સીવણનું કામ કરતાં હોય છે. આ ફિલ્મમાં નિશુના પિતાનું પાત્ર વિજય મૌર્ય નામના એક્ટરે ભજવ્યું છે કે જેમણે આ ફિલ્મના સંવાદ પણ લખ્યા છે. (અહીં ઉલ્લેખનીય છે કે વિજય મૌર્ય ગત વર્ષે આવેલી ફિલ્મ 'ગલી બોય'ના સંવાદ પણ લખી ચૂક્યા છે, ગલી બોય પણ મુંબઈની ચાલીમાં રહેતા યુવાનના જીવન પર આધારિત હતી.) નિશુ ખૂબ સારો ડાન્સર બનવા માગતો હોય છે, પણ તેના પિતાને આ પસંદ નથી એટલે નિશુ ઘર છોડીને જતો રહે છે. બીજી બાજુ આસિફ નામનો યુવાન મુસ્લિમ પરિવારમાંથી આવે છે અને આખો દિવસ મિત્રો સાથે રખડપટ્ટી કરતો હોય છે. તેનો ભાઈ કે જે પિઝા ડિલિવરીનું કામ કરે છે તે આસિફનું ડાન્સિંગ ટેલેન્ટ સારી રીતે જાણતો હોય છે. તે આસિફને ડાન્સ શીખવા માટે ડાન્સ એકેડમીમાં મોકલી આપે છે અને તેનું જીવન બદલાઈ જાય છે. ફિલ્મમાં સમાજના ઉચ્ચ વર્ગમાંથી આવતા લોકોનો ગરીબો પ્રત્યેનો એક અલગ દ્રષ્ટિકોણ પણ દર્શાવવામાં આવ્યો છે. સાથે જ વિદેશથી આવેલો ડાન્સ ટીચર ભારત અને ભારતીય સમાજને કઈ રીતે જુએ છે, તે પણ આ ફિલ્મમાં નવા અંદાજમાં જોવા મળે છે. મુંબઈની ચાલીમાં રહેતા આ બંને યુવકોને વિદેશમાં ડાન્સ શીખવા જવા માટેની સ્કોલરશિપ મળે છે કે નહીં? તે માટે તો હવે નેટફ્લિક્ષ (Netflix) પર 'યહ બેલે' (Yeh Ballet) જોવી રહી. અહીં ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ 'યહ બેલે'(Yeh Ballet)નાં લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા વર્ષ 1988માં આવેલી ડિરેક્ટર મીરા નાયરની ક્લાસિક ફિલ્મ 'સલામ બૉમ્બે' (Salaam Bombay!) પણ લખી ચૂક્યાં છે. મુંબઈની ફૂટપાથ પર જીવન પસાર કરતા એક ગરીબ છોકરા અને તેની આસપાસની 'કાળી' દુનિયાની રિયલ કહાણી દર્શાવતી ફિલ્મ 'સલામ બૉમ્બે'ની દેશ-વિદેશમાં ભારે પ્રશંસા થઈ હતી.

લેખિકા-ડિરેક્ટર સૂની તારાપોરેવાલા (Sooni Taraporevala) દેશનાં જાણીતાં પટકથા લેખિકા, ફોટોગ્રાફર અને ફિલ્મમેકર છે. પારસી પરિવારમાંથી આવતાં સૂની તારાપોરેવાલાએ મુંબઈ શહેરને ફિલ્મમેકિંગ અને ફોટોગ્રાફીના માધ્યમથી એક અલગ રીતે જ રજૂ કર્યું છે. તેઓ ફિલ્મમેકર મીરા નાયરની જાણીતી ઈન્ટરનેશનલ ફિલ્મ 'સલામ બૉમ્બે' (Salaam Bombay!), 'ધ નેમસેક' (The Namesake) અને 'મિસિસિપી મસાલા' (Mississippi Masala) લખી ચૂક્યાં છે. સૂની તારાપોરેવાલાએ વર્ષ 2009માં આવેલી ફિલ્મ 'લિટલ ઝીઝૂ'(Little Zizou)થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. આ પારિવારિક કૉમેડી ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. વર્ષ 1957માં મુંબઈના પારસી પરિવારમાં જન્મેલાં સૂની તારાપોરેવાલાને Harvard યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે સ્કોલરશિપ મળી અને ત્યાં જઈને તેમનું જીવન બદલાઈ ગયું. જ્યાં તેમનો પરિચય વૈશ્વિક આર્ટ, લિટરેચર, ફોટોગ્રાફી અને ફિલ્મમેકિંગની દુનિયા સાથે થયો. બાદમાં તેમણે ન્યૂયોર્ક યુનિવર્સિટી(New York University)માંથી સિનેમાના વિષયનો ઊંડો અભ્યાસ કર્યો.

'સલામ બૉમ્બે'(Salaam Bombay!)ના લેખનકાર્ય વિશે વાત કરતાં સૂની તારાપોરેવાલા જણાવે છે કે મેં જે કોઈ સાહિત્ય વાંચ્યું હતું તેના પાત્રો અને તેનું વર્ણન, ફિલ્મ્સ વિશેનો મારો અભ્યાસ અને ફોટોગ્રાફીની સૂઝની મદદથી મેં આ ફિલ્મની પટકથા લખી હતી. 'મિસિસિપી મસાલા' (Mississippi Masala) ફિલ્મના લેખન માટે સૂની તારાપોરેવાલાએ ઘણું રિસર્ચ કર્યું હતું અને તે આધારે ડિરેક્ટર મીરા નાયર સાથે મળીને તેની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હોલિવૂડ સ્ટાર ડેન્ઝેલ વોશિંગ્ટન હતા. 'મિસિસિપી મસાલા'માં અમેરિકામાં રહેતા આફ્રિકન અમેરિકન્સ અને ઈન્ડિયન અમેરિકન્સની વાર્તા કેન્દ્રમાં જોવા મળે છે. વર્ષ 2006માં આવેલી મીરા નાયરની ફિલ્મ 'ધ નેમસેક'માં અમેરિકામાં જઈને સ્થાયી થયેલા એક બંગાળી કુટુંબની વાર્તા છે, સૂની તારાપોરેવાલાએ લેખિકા જુમ્પા લહિરીની નવલકથા 'ધ નેમસેક' આધારિત આ ફિલ્મની પટકથા લખી હતી. તબુ, ઈરફાન ખાન અને કલ પેન સ્ટારર ફિલ્મ 'ધ નેમસેક' (The Namesake)ની પટકથા અને એડિટિંગ ખૂબ જ મજબૂત હતા, આ ફિલ્મની વિવેચકોએ ખાસ નોંધ લીધી હતી. આ સિવાય સૂની તારાપોરેવાલા વર્ષ 1998માં આવેલી અંગ્રેજી ફિલ્મ 'Such a Long Journey' પણ લખી ચૂક્યાં છે જે લેખક રોહિન્ટન મિસ્ત્રીની તે નામની નવલકથા પર આધારિત હતી. આ ફિલ્મમાં પારસી વ્યક્તિના આસપાસના જીવનની કહાણી હતી. આ સિવાય સૂની તારાપોરેવાલા વર્ષ 2000માં આવેલી ડિરેક્ટર જબ્બર પટેલની ફિલ્મ 'ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર' પણ લખી ચૂક્યાં છે. સૂની તારાપોરેવાલાએ ભલે ઓછી ફિલ્મો લખી હોય પણ તેમાં તેમનું ઊંડુ રિસર્ચ અને અભ્યાસ જોવા મળે છે.

અહીં ઉલ્લેનીય છે કે સૂની તારાપોરેવાલા ફિલ્મમેકર સિવાય ફોટોગ્રાફર પણ છે. તેઓ પારસી સમુદાયના દસ્તાવેજો (ડૉક્યુમેન્ટ્સ) સરીખું ફોટોગ્રાફી પુસ્તક 'Parsis, the Zoroastrians of India' પણ પ્રકાશિત કરી ચૂક્યાં છે. ફિલ્મમેકર મીરા નાયર સાથેની મિત્રતા વિશેની વાત કરતા સૂની તારાપોરેવાલા એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે Harvard યુનિવર્સિટીના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ દરમિયાન અમારી મિત્રતા થઈ હતી. આ દરમિયાન અમે સાથે વર્લ્ડ સિનેમાની ઘણી ફિલ્મો જોઈ છે. જ્યારે મીરા નાયરે તેની પ્રથમ ફિલ્મ 'સલામ બૉમ્બે' બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમાં સાથે હું પણ જોડાઈ અને તેનો સ્ક્રીનપ્લે લખ્યો. 'સલામ બૉમ્બે'ને ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી જે ગૌરવની વાત છે. સૂની તારાપોરેવાલાને વર્ષ 2014માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સૂની તારાપોરેવાલાએ ફિરદોસ બાટલીવાલા સાથે લગ્ન કર્યા છે કે જેઓ દાંતના ડૉક્ટર છે. તેમનાં બે બાળકો છે. સૂની તારાપોરેવાલાના ફોટોગ્રાફ્સનું દેશ-વિદેશમાં એક્ઝિબિશન થઈ ચૂક્યું છે અને તે કલેક્શનના પુસ્તક પણ પબ્લિશ થયા છે.

(લેખક iamgujarat.comમાં પત્રકાર છે.)

e.mail : nbhavsarsafri@gmail.com

પ્રગટ : ‘ગુલમોહર’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 26 ફેબ્રુઆરી 2020

Loading

જાગ રે માલણ જાગ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|27 February 2020

હૈયાને દરબાર

જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,

જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ
ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો
છોડ રે માલણ છોડ, સેજ સુંવાળી છોડ
ચલને તારી યાદ સતાવે, સેજ સુંવાળી છોડ
જાગ નહીં તો પ્રાણનું મારું ઊડી જશે પંખેરું
પ્રેમ દુહાઈ દઈને તુને આજ પુકારે મેરુ
આવ રે માલણ આવ, કાળજે વાગ્યા ઘાવ
આંખ્યું મારી નીર વહાવે, આવ રે માલણ આવ
જાગ રે માલણ જાગ, જાગ રે માલણ જાગ,
જાગ રે તારો મેરુ જગાડે, જાગ રે માલણ જાગ

•  ગાયક : પ્રફુલ દવે   •   સંગીત : મહેશ-નરેશ

ફિલ્મ : મેરુ-માલણ

https://www.youtube.com/watch?v=NP0l3vu9B-g

————————

ગત પૂર્ણિમાની અજવાળી રાતે પૂનમનો ચાંદ જોઈને એક મજાનું ગુજરાતી લોકગીત યાદ આવી ગયું. એ ગીત હતું, ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઊગ્યો ચોકમાં. ગોવાળ અરજણિયાને એની પ્રેમિકા ચેતવણી આપતી ને મોહ પામતી સંબોધી રહી છે. મૂળ ગીત નાયિકાના ભાવનું છે પરંતુ, મોટા ભાગે પુરુષ ગાયકના અવાજમાં પ્રચલિત થયું છે. ખૂબ બધા તળપદા શબ્દો, ભાવ, લય અને સૂરનું ગજબનું સંયોજન ધરાવતું આ ગીત આમ તો પ્રફુલ દવેએ ગાઈને પ્રચલિત કર્યું છે પરંતુ, મારા પિતા જયન્ત પંડ્યાને એ ખૂબ ગમતું એટલે અમારી નાની ઉંમરે અમારે માટે તો ગીતના ગાયક પપ્પા જ. આમ તો એ શિષ્ટ સાહિત્યકાર ગણાય. લોકસંગીતનું માહાત્મ્ય સમજે પણ લંડન ભણીને આવ્યા હોવાથી બ્રિટિશ એટીકેટ સ્વભાવમાં વણાઈ ગયેલી. છતાં, એમના લંગોટિયા મિત્ર અને એ વખતના અમદાવાદના ધારાસભ્ય ઘનશ્યામ પંડિત ભેગા મળે ત્યારે બન્ને ઘણા ખીલે. પંડિત સાહેબના બંગલે દેશ-વિદેશની વાતો, સાહિત્યિક ચર્ચાઓ, કવિતા પાઠ અને લાડુનાં જમણ સાથે ગીતોનો દૌર પણ ચાલે. એમાં પપ્પાને ગમતાં બે ગીતો તો એ લલકારે જ. એમાં એક ચાંદો ઊગ્યો ચોકમાં તથા બીજું મમ્મીનું ફેવરિટ જાગ રે માલણ જાગ. સાથે અન્ય એક ગીત, માતાજીના ઊંચાં મંદિર નીચા મોલની એક પંક્તિ ઘનશ્યામભાઈનાં પત્ની પુષ્પાબહેનને માટે ગવાય, (કારણ કે મિષ્ટ ભોજન પુષ્પાકાકી પાસેથી મળવાનું હોય!)

ક્યાં છે મારા ઘનશ્યામભાઈનાં ગોરી,
મુખલડે અમી ઝરે રે લોલ!

આમ, ચાંદો ઊગ્યો ચોકમાં તથા જાગ રે માલણ જાગ ગીતો મારા કુમળા મનની કોરી સપાટી પર હંમેશ માટે અંકાઈ ગયાં હતાં. ગુજરાતમાં એ વખતે ગ્રામ્ય પરિવેશની ફિલ્મો આવતી. ફિલ્મોમાં ગામડાં સંસ્કૃતિને પરિણામે કેટલાં ય ફિલ્મી ગીતો એની લોકપ્રિયતાને લીધે લોકગીતો જેવાં બની ગયાં હતાં. હેમુ ગઢવી, ઈસ્માઈલ વાલેરા જેવાં અનેક જાણીતા લોકગાયકોમાં એ વખતે એક નવું નામ ઉમેરાયું. એ નામ એટલે પ્રફુલ દવે. હૃદયમાંથી સીધો નીકળતો બુલંદ અવાજ તથા એમની ભાવપૂર્ણ ગાયકીને પરિણામે પ્રફુલ દવે ટૂંક સમયમાં ગુજરાતના ઘર ઘરમાં ગુંજતું નામ બની ગયું હતું.

અમરેલી જિલ્લાના હડાળાની પ્રાથમિક શાળામાંથી નીકળેલો પ્રફુલ દવેનો એ કુમળો અવાજ હવે તો અમરેલીથી અમેરિકા સુધી ગુંજી ચૂક્યો છે. હડાળાની શાળામાં તેમણે નાનપણમાં પ્રાથમિક શાળાની સભામાં ગાયું, શિક્ષકોનું પ્રોત્સાહન મળ્યું. કોલેજકાળમાં તેમણે ભાવનગરમાં પોતાના અવાજનો જાદુ પાથર્યો અને પ્રફુલ દવેના અવાજમાં ગવાયેલા મણિયારાએ તો દેશ-વિદેશમાં એવી માયા લગાડી કે હવે તે વિશેષ ઓળખ આપવાના મોહતાજ નથી રહ્યા.

ઘણાને ખબર નહીં હોય કે પ્રફુલ દવે પહેલાં તો ડૉક્ટર હતા. એમના પિતા પ્રફુલભાઈને ડૉક્ટર બનાવવા ઈચ્છતા હતા. તેઓ કહેતા કે ગાવામાંથી રોટલો ન નીકળે અને ગાવાના પૈસા કોઈ દિ નો લેવાય. એટલે દીકરો ભણી ગણીને દાક્તર થાય અને હકનું ખાય એવી પિતાની ઈચ્છા. પણ, દાક્તર બનવા ફદિયાં ઝાઝાં જોઈએ. એટલા પૈસા તો બાપ પાસે હતાં નહીં, એટલે પ્રફુલભાઇ ભાવનગરની આયુર્વેદિક કોલેજમાં ભણ્યા અને આયુર્વેદની ડિગ્રી લઈને અમરેલી પાસેના એક ગામમાં એમણે દવાખાનું ખોલ્યું ને બે વર્ષ ચલાવ્યું પણ ખરું. પરંતુ, નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. કોલેજમાં શોખથી ગાતા પ્રફુલભાઈ પછી તો શહેર, જિલ્લા અને રાજ્ય કક્ષાએ જીતતા ગયા અને સંગીત જગતમાં એમના નામની નોંધ લેવાતી ગઈ.

પ્રફુલભાઈ એ સમય યાદ કરતાં કહે છે કે, "અમદાવાદના ટાઉનહોલમાં મેં પહેલી વાર મણિયારો રજૂ કર્યું ત્યારે ઓડિયન્સમાં સંગીતકાર ગૌરાંગ વ્યાસ બેઠા હતા. એમણે ‘લાખો ફૂલાણી’ ફિલ્મમાં આ ગીત તથા નવોદિત ગાયકને લેવા પિતા અવિનાશ વ્યાસને વિનંતિ કરી. મહેન્દ્ર કપૂર પાસે ગવડાવવાનું એ વખતે લગભગ નક્કી હતું છતાં અવિનાશભાઈએ કહ્યું કે પ્રફુલ દવેને બોલાવો મુંબઈ. અવિનાશભાઈના ઘરે હું ગયો. ફિલ્મ ડિરેક્ટર અરુણ ભટ્ટ સહિત આખી ટીમ કસોટી લેવા બેઠી હતી. ગૌરાંગભાઈએ હારમોનિયમ કાઢ્યું અને મેં મણિયારો શરૂ કર્યું. બધા એકચિત્તે સાંભળી રહ્યા હતા. અરુણ ભટ્ટે અવિનાશભાઈની સામે જોયું અને ઈશારો કરી પૂછ્યું કે કેવું લાગ્યું? અવિનાશ વ્યાસ પારખુ સંગીતકાર. તરત જ એ બોલ્યા, "મધપૂડો છે આ ગાયક. મારે માટે એ ધન્ય ક્ષણ હતી. મહેન્દ્ર કપૂરને સ્થાને મારી પસંદગી થઈ અને મણિયારાએ મને ફેમસ કરી દીધો. મણિયારાથી શરૂ થયેલી યાત્રામાં પછી તો એક એકથી ચડિયાતાં ગીતો ઉમેરાતાં ગયાં.

આજે આપણે જે ગીત વિશે વાત કરવી છે એ ગીત છે, જાગ રે માલણ જાગ. પ્રફુલભાઈને આજે ય આશ્ચર્ય છે કે ફિલ્મ ‘મેરુ માલણ’નું આ ગીત આટલું બધું લોકપ્રિય થયું કેવી રીતે!

"આ જ ફિલ્મનું ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી ઊડી જાય ગીત ખૂબ જાણીતું હતું. એ ગીત તો રોમેન્ટિક અને રિધમિક એટલે લોકપ્રિય ન થાય તો નવાઈ! પરંતુ, જાગ રે માલણ જાગમાં વાદ્ય અરેન્જમેન્ટ ઓછી હતી. માત્ર ઢોલ, સિતાર અને વાયોલિન જેવાં બે-ચાર વાદ્યો ધરાવતું ગીત આટલું બધું લોકપ્રિય થશે એવી અમને કોઈને આશા નહોતી. અત્યારે તો મારે વિચારવું પડે હિટ લિસ્ટમાં ઓઢણી આગળ છે કે માલણ. પ્રફુલભાઈ જણાવે છે. ગીતની લોકપ્રિયતાની વાત આગળ વધારતાં પ્રફુલભાઈ રમૂજી અંદાજમાં કહે છે કે આ તો મેં ગાયક પ્રફુલ દવેની વાત કરી. હવે ફિલોસોફર એટલે કે ચિંતક-વિચારક પ્રફુલભાઈની વાત સાંભળો.

"એક ગામમાં મારો પ્રોગ્રામ હતો. એક ભાઈ મળવા આવ્યા. મને કહે કે તમારું જાગ રે માલણ જાગ મેં સાતથી આઠ હજાર વાર સાંભળ્યું છે એટલું બધું મને ગમે છે. સવારે ઊઠતાંની સાથે બ્રશ કરતાં પહેલાં હું આ ગીત સાંભળું છું. હું તો મનમાં ઘણો પોરસાયો. મેં એમને કહ્યું કે કાર્યક્રમ પછી આપણે સાથે જમીશું. મને ઉત્કંઠા હતી કે આ ભાઈને ગીતમાં એવું તે શું ગમી ગયું કે એમણે સાત હજાર વાર સાંભળ્યું છે! કહાની હવે યુ ટર્ન લે છે. જમતાં જમતાં જ મેં એમને પૂછી લીધું કે જાગ રે માલણ જાગ તમને કેમ આટલું બધું ગમે છે? એ ભાઈ બોલ્યા કે ગીત તો ઠીક, એમાંની આ પંક્તિ મને અત્યંત પ્રિય છે :

ઝીલશે નહીં ધરતી મારી એકલતાનો ભારો
ચાર જુગોનાં જેવડો થાશે એક રે દિવસ મારો

આ પંક્તિમાં મારી પ્રેમિકા લતાનું નામ આવે છે એમ કહીને એક અને લતા શબ્દ છૂટો પાડીને એમણે ગાયો; ઝીલશે નહીં ધરતી મારી એક લતાનો ભારો! હું તો અચંબિત થઈ ગયો. ત્યારે જીવનના સત્યનો અહેસાસ થયો કે ગાયકોએ બહુ અહંકાર રાખવો નહીં કે ફલાણું ગીત મારું સુપરહિટ ને ઢીંકણું મારું પોપ્યુલર! લોકો પોતપોતાની રીતે જ એનું અર્થઘટન કરે છે. આપણે તો નિમિત્ત માત્ર! આ ગીત પ્રખ્યાત થવા પાછળ મને બીજું એક સત્ય પણ લાધ્યું. જે ગીતમાં જાગવા-જગાડવાની વાત છે એ ગીતો હિટ થાય છે. જાગને જાદવા, જાગો મોહન પ્યારે, જાગ દર્દ ઈશ્ક જાગ, જાગો રે જાગો રે જાગો રે … વગેરે. જાગ રે માલણ જાગમાં પરજના સ્વરોનો પ્રયોગ થયો છે. પરજના સ્વરો એટલે પંચમથી નીચેના એકેય સ્વર ન લેવાય. પરજનાં ગીતોનો સમય રાત્રે બાર પછીનો કહેવાય. એ સમયે મોટા ભાગના માણસોને ઊંઘ ચડે ને એ નીંદરમાં પોઢી જાય. આપણાં સંતો, સદ્ગુરુઓ માણસને જગાડવાની, જાગૃત કરવાની હંમેશાં વાત કરે. હવે જગાડવા માટે ધીમો અવાજ ન ચાલે. એ મોટા અવાજે જ કહેવું પડે. એટલે આ ગીતમાં પરજના બુલંદ સ્વરો પ્રયોજાયા છે. કબીરનો એક દોહો પણ પરજમાં છે :

જાગો લોગોં મત સૂઓ, મત કરો નિંદર સે પ્યાર
જૈસો સપનોં રૈન કો, ઐસો રે સંસાર …

સંતો કહે છે કે ઊંઘવામાં સમય ન બગાડો. જિંદગીમાં સમય ઓછો છે એટલે જાગી જાઓ. અલબત્ત, ‘મેરુ માલણ’ ફિલ્મમાં ફિલ્મની હીરોઈન સ્નેહલતા કોમામાં સરી પડી છે ત્યારે એનો પ્રેમી નરેશ કનોડિયા એને જગાડવા માટે આ ગીત ગાય છે. પરંતુ, મારે કહેવું જોઈએ કે આ ગીતે મને પોપ્યુલર તો કર્યો પણ જિંદગીનાં સત્યો પણ સમજાવ્યાં. પ્રફુલભાઈ હસીને વાત પૂરી કરે છે. પ્રફુલ દવેના કંઠમાં ગુજરાતના ગામડાંનાં ડાયરાની હલક જીવે છે, તો વળી ગુજરાતીપણાની ઝલક પણ છલકાય છે. આશા ભોસલે સહિત બિનગુજરાતી કલાકારો સાથે પણ એમણે ગીતો ગાયાં છે. ગુજરાતી ગીતની લિજ્જત અને લિબાસ બદલવામાં પ્રફુલ દવેનો ફાળો નોંધનીય છે. ગીતને લોકગીતની કક્ષાએ પહોંચાડી શકવાની ક્ષમતા પ્રફુલભાઈમાં છે એ એમનું સૌથી મોટું પ્રદાન કહી શકાય.

મણિયારો, મારું વનરાવન છે રૂડું, આપણા મલકના માયાળુ માનવી, ચાંદો ઊગ્યો ચોકમાં, ધૂણી રે ધખાવી બેલી (જેસલ-તોરલ ફિલ્મમાં મહેન્દ્ર કપૂરનો અવાજ), જાગ રે માલણ જાગ, અમે છૈયે વાયા વિરમગામના … જેવાં ગીતોએ એ વખતે તરખાટ મચાવી દીધો હતો. પ્રફુલભાઈ હજુ ય કાર્યરત અને સંગીતમય છે. એમનાં સંતાનો હાર્દિક અને ઈશાની સંગીત ક્ષેત્રે વ્યસ્ત છે. પા પા પગલી મેં કીધી ઝાલીને તારો હાથ … ઈશાની દવે અને પ્રફુલ દવેનું આધુનિક કવર સોંગ ગયા વર્ષે ૨૦૧૯માં જ રિલીઝ થયું અને લોકપ્રિય થયું. બાપ-દીકરીનો પ્રેમ એમાં છલકતો દેખાય છે. ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ ગીત પણ એમણે મોડર્ન ટ્રીટમેન્ટ સાથે લાજવાબ રજૂ કર્યું છે. બન્ને ગીતોમાં શબ્દો, ઢાળ એના એ જ, ફરક માત્ર સંગીતમય પ્રસ્તુતિનો. આજની યુવાપેઢીને ગમે એ રીતે તૈયાર થયેલાં આ બન્ને ગીતો પણ યુટ્યુબ પર સાંભળજો. મજા આવી જશે. જાગ રે માલણ જાગ તો સાંભળવાનું જ ને!

—————————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 27 ફેબ્રુઆરી 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=623035  

Loading

શાંતિદૂત ભારતની શસ્ત્રોના વેપારમાં આગેકૂચ!

કિરણ કાપૂરે|Opinion - Opinion|26 February 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગન લઈને નિશાન તાકતી એક તસવીર હાલમાં વાઇરલ થઈ છે. આ તસવીર લખનઉમાં યોજાયેલા ‘ડિફેન્સ એક્સ્પો’ની છે. ભાગ્યે જ ભારતના કોઈ વડા પ્રધાનની આવી તસવીર જોવા મળી હશે. વડા પ્રધાનની જેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને ઉત્તર પ્રદેશના આદિત્યનાથ યોગીએ પણ હાથમાં ગન લઈને ફોટોશૂટ કરાવ્યું. શસ્ત્રો સાથે આટલું સહજ થવાનું ઊંચા પદે બિરાજેલા ભારતીય રાજકીય નેતાઓએ ટાળ્યું છે. પણ સમય સાથે આગેવાનો અને દેશની નીતિ બદલાઈ છે. ‘ડિફેન્સ એક્સ્પો’ દેશમાં 1981થી થાય છે, પણ ડિફેન્સ એક્સપર્ટના સ્થાને રાજકારણીઓ મોટા પ્રમાણમાં દેખાય તેવું પ્રથમવાર બન્યું છે. 

શસ્ત્રોના વેપારમાં દેશની આગેકૂચ સર્વસ્વીકાર્ય છે, કારણ કે સંરક્ષણની બાબતમાં ભારત નબળા દેશ તરીકે પેશ આવતું રહ્યું છે. આક્રમક મોડ પર આપણો દેશ દેખાયો નથી. વર્તમાન સરકાર દેશની છબિ તેવી રાખવા માંગતી નથી. હરહંમેશ દેશ સશક્ત અને સલામત રહે, તેવું સરકાર પુરવાર કરવા માગે છે. ‘ડિફેન્સ એક્સ્પો’માં વડા પ્રધાને પોતાના વક્તવ્યમાં આ વાત દોહરાવી હતી અને કહ્યું હતું કે, “આપણી અગાઉની નીતિ અને રાજનીતિ વિદેશી શસ્ત્રો ખરીદવા માટેની હતી, જે કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરનારો દેશ બન્યો છે. હવે ઉદ્દેશ વૈશ્વિક સ્તરે શસ્ત્રો નિર્યાત કરીને રોજગારીની તકો સર્જવાની અને અર્થતંત્રને ઉપર લાવવાનું છે.”

શસ્ત્રોના નિકાસમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ડિફેન્સ સાધનોનો નિકાસનો આંકડો 2,000 કરોડથી 17,000 કરોડ સુધી પહોંચાડ્યો છે. આવનારાં પાંચ વર્ષમાં તેને 35,000 કરોડ સુધી લઈ જવાનો ઇરાદો વર્તમાન સરકાર ધરાવે છે.

સરકારે આ માટે ખાનગી રોકાણકારોનો માર્ગ મોકળો કરી આપ્યો છે. અગાઉની સરકારે લીધેલા નિર્ણયો પણ બદલ્યા છે. જેમ કે, ‘પી-75(1)’ પ્રોજેક્ટ અંતર્ગત 50,000 કરોડમાં છ સબમરીન વિદેશની અલગ-અલગ કંપનીઓ પાસેથી ખરીદવાનું યુ.પી.એ. સરકારે ઠરાવ્યું હતું. એન.ડી.એ. સરકારે આ નિર્ણયને ફેરવી કાઢ્યો છે. તેના સ્થાને ‘લાર્સન એન્ડ ટુબ્રો’ અને ભારત સરકારની ‘મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ’ને આ કામ સોંપ્યું છે. સબમરીનનો આ કિસ્સો સંરક્ષણ ક્ષેત્રે સરકાર કેમ પ્રવેશવા માગે છે, તેનો આદર્શ દાખલો છે.

સરકારનો દાવો એક બાજુ સંરક્ષણ ક્ષેત્રે ઊંચાઈ પર પહોંચાડવાનો છે, ખાનગી રોકાણકારો માટે આ ક્ષેત્ર ખોલવાનો છે, અર્થતંત્રમાં તેનો સંરક્ષણ ક્ષેત્રનો હિસ્સો વધારવાનો છે, રોજગારી વધારીને મસમોટા ડિફેન્સ કોરીડોર સ્થાપવાનો છે. પણ જ્યારે આ પૂરી કસરતના લાભ તળના સૈનિકોને મળે છે કે નહીં તે તપાસીએ ત્યારે તેનો જવાબ શંકાના દાયરામાં આવે છે.

હાલમાં સંસદમાં મૂકવામાં આવેલા ‘ધ કમ્પ્રટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા’(કેગ)ના રિપોર્ટ અનુસાર સિયાચીનમાં તૈનાત જવાનો અપૂરતા સંસાધનો વચ્ચે કામ કરે છે. સિયાચીન અને લદાખ જેવાં ક્ષેત્રોમાં સૈનિકોએ વિષમ સ્થિતિમાં ફરજ બજાવે છે. અહીંયા સ્નો ગોગલ્સ અને વિશેષ પ્રકારના બૂટ જોઈએ. ‘કેગ’ના રિપોર્ટ મુજબ બૂટ, ગોગલ્સ સહિતની પ્રાથમિક સુવિધા સૈનિકોને મળી નથી! જે સ્લિપીંગ્સ બેગ્સ મળી છે તેની પણ ગુણવત્તા યોગ્ય જણાઈ નથી.

‘કેગ’ દ્વારા સૈન્ય ક્ષેત્રમાં થઈ રહેલાં અનેક ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધાઈ છે; જેમાં મરો અંતે સૈનિકોનો છે. કારગીલ યુદ્ધ પછી ‘ઇન્ડિયન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી’ની સ્થાપના કરવાનો ઉદ્દેશ હતો, જે અનુસંધાને દેશની સુરક્ષાની નબળી કડી પર કામ કરવાનું હતું, પણ તે પ્રોજેક્ટ અધ્ધરતાલ છે. સંરક્ષણ ક્ષેત્રના પાયાના કામો અને સૈનિકોને મળવી જોઈએ તેવી સુવિધામાં ધાંધિયા હોય ત્યારે નિકાસના દાવા પર સવાલ ખડા થાય છે.

શસ્ત્રોનો ધંધો ધિકતો છે. તેમાં નફો માતબર છે. ભારત અત્યાર સુધી શસ્ત્રોનું નિર્યાત કરતું રહ્યું છે, પણ તેમાં ક્યારે ય બિઝનેસ ઉદ્દેશ દેખાતો નથી. છેલ્લાં પચ્ચીસ વર્ષનો રેકોર્ડ જોઈએ તો 1995થી લઈને 2000 સુધી શસ્ત્રના વેપારમાં ભારત તરફથી જરાસરખો પણ વધારો થયો નથી. 2000થી 2005 સુધી પણ આ વેપારનો આંકડો વધ્યો નહોતો. પરંતુ ત્યાર બાદના પાંચ વર્ષ (2006-2010) સુધીમાં શસ્ત્રના વેપારમાં વધારો જોવા મળ્યો હતો. ફરી 2011થી લઈને 2014 સુધી આ વેપારમાં કોઈ વધારો નહોતો. 2014માં એન.ડી.એ. સરકાર આવ્યા બાદ વડા પ્રધાને જાતે આમાં રસ લઈને શસ્ત્રોનો બિઝનેસને વધાર્યો છે. છ વર્ષમાં વર્ષવાર શસ્ત્રોના બિઝનેસમાં ભારત આગળ વધી રહ્યું છે.

જો કે અહીંયા એ નોંધવું રહ્યું કે જે ઇરાદા-દાવા શસ્ત્ર વેપારમાં વડાપ્રધાન રાખે છે, તેની સત્યતા તપાસીએ ત્યારે આ ઇરાદા-દાવા પોકળ થવાની શક્યતા વધુ છે. વર્તમાન જમાનો અત્યાધુનિક શસ્ત્રોનો છે. તેમાં પણ અમેરિકા-ચીન-રશિયા જેવાં આ બિઝનેસના પાક્કા ખેલાડી તેમાં રોજબરોજ સંશોધન કરીને નવાં-નવા શસ્ત્રો લાવે છે. આની સામે સરકારી માળખાંની મદદ લઈને વિશ્વમાં વેપાર કરવાનું કામ પડકારભર્યું છે. એક હદ સુધી સફળતા મળે, પણ તેમાં આપણા દેશે સતત ટકી રહેવું નિષ્ણાતોને અશક્ય લાગે છે.

અશક્ય લાગવાનું એક મહત્ત્વનું કારણ દેશ માટે શસ્ત્ર બનાવનારી કંપની ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશન’(ડી.આર.ડી.ઓ.)ની મર્યાદા છે. 2008માં તેની મર્યાદા શું છે તે જાણવા માટે એક એક્સર્ટનલ કમિટિ પણ રચવામાં આવી હતી. આ કમિટિ અંતર્ગત ‘ડી.આર.ડી.ઓ.’ના માળખાની ખામી શોધવાનું કામ થયું હતું. આ રિપોર્ટમાં બહાર આવેલી વિગત ગંભીર હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ડી.આર.ડી.ઓ.’નો મુખ્ય પ્રશ્ન એચ.આર. મેનેજમેન્ટનો છે. આ ઉપરાંત, ‘ડી.આર.ડી.ઓ.’માં ઇજનેર સંબંધિત ક્ષેત્રમાં પીએચ.ડી કર્યું હોય તેવાં વિજ્ઞાનીઓની ટકાવારી માત્ર ત્રણ ટકા છે! બાકીના સાઠ ટકા સ્ટાફ માત્ર સ્નાતક-અનુસ્નાતક થયેલો છે. ‘ડી.આર.ડી.ઓ.’માં સાધનોની પણ કમી છે.  રિપોર્ટમાં ‘ડી.આર.ડી.ઓ.’ની તમામ વિભાગમાં મર્યાદા દર્શાવવામાં આવી હતી અને વ્યાવસાયિક વલણ અંગે સૌથી વધુ નબળાઈ રિપોર્ટમાં આલેખવામાં આવી હતી. આ તમામ મર્યાદા આજે પણ લાગુ પડે છે. આ માળખાંમાં કોઈ ટારગેટ મૂકવામાં આવે તો તે સર થવો અશક્ય છે.

અંતે વાત શસ્ત્રોના વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ કે નહીં તે અંગેની. આપણો દેશ અત્યાર સુધી શાંતિદૂત બનીને વિશ્વમાં ઊભર્યો છે. વિશ્વશાંતિનો સંદેશ ભારતની ભૂમિ પરથી પ્રસર્યો છે તેવો દાવો આપણે કરીએ છીએ. સપ્ટેમ્બર, 2019માં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જે ભાષણ આપ્યું હતું તેમાં પણ ‘અમે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે’ તે વાત કરી હતી. આ ભાષણમાં વડાપ્રધાને ગાંધીજીની 150 જન્મ જયંતીના ઉજવણી ભારત જોરશોરથી કરી રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. સાથે અમે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે તે વાત મક્કમપણે રજૂ કરી હતી.

આખું ચિત્ર જોઈએ તો તેમાં ક્યાં ય શાંતિના સિદ્ધાંત કે શસ્ત્રોના વેપાર એ બંને બાબતોમાં સરકારની કોઈ પ્રતિબદ્ધતા દેખાતી નથી. જો આ રીતે શાંતિ અને વેપારના દાવા કરી નાંખવામાં આવે છે તો પ્રજા માટે તે ચેતવા જેવી સ્થિતિ છે.

e.mail : kirankapure@gmail.com

પ્રગટ : ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2020

Loading

...102030...2,5682,5692,5702,571...2,5802,5902,600...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved