Opinion Magazine
Number of visits: 9683572
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. મહાત્મા ગાંધીએ રોક્યાં હતાં

રાજ ગોસ્વામી|Opinion - Opinion|10 March 2020

કહે છે કે દિલ્હી કેટલી ય વખત ઉજ્જડ કરવામાં આવી અને કેટલી ય વખત ફરીથી વસાવવામાં આવી. દિલ્હીના મશહુર ગઝલકાર ગાલીબના સમકાલીન શાયર મીર તકી મીરને દિલ્હીથી ખૂબ પ્યાર હતો, પણ નાદિરશાહ અને અહેમદ શાહ અબ્દાલીના હાથે ઉજ્જડ થયેલી દિલ્હીમાંથી હિજરત કરીને લખનૌ જતો રહ્યો હતો. ત્યાં આ પરદેશીને જોઇને કોઈકે તેનો અત્તોપત્તો પૂછ્યો, તો મીરે કહ્યું,

દિલ્હી જો એક શહર થા આલમમેં ઈન્તિખાબ
રહતે થે મુંતખાબ હી જહાં રોજગાર કે
ઉસ કો ફલકને લૂંટ કે બરબાદ કર દિયા
હમ રહને વાલે હૈ ઉસી ઉજડે દયાર કે

અર્થાત્‌, દુનિયામાં એક ચુનંદું (ઈન્તિખાબ) શહેર દિલ્હી હતું, જ્યાં સંસાર(રોજગાર)ના ચુનંદા લોકો (મુંતખાબ) રહેતા હતા. તેને તખ્તા(ફલક)એ લૂંટીને બરબાદ કરી નાખ્યું, હું તે ઉજ્જડ પ્રદેશ(દયાર)નો રહેવાસી છું.

૨૦૦ વર્ષ પછી, ભારત-પાકિસ્તાનના વિભાજન પછી દિલ્હીમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં, ત્યારે મહાત્મા ગાંધી ૬ દિવસના ઉપવાસ પર ઊતરી ગયા હતા. ઉપવાસના પહેલા દિવસ પછી, તેમની ડાયરીમાં ૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ના પાના પર મહાત્મા લખે છે, “હું આ ઉપવાસ માટે કોઈ કોમને દોષ દેતો નથી. હું માનું છું કે જો હિંદુઓ અને શીખો મુસ્લિમોને દિલ્હીમાંથી તગેડી મુકવા માટે મચ્યા હોય, તો તેઓ ભારત અને ખુદના ધર્મનું અહિત કરી રહ્યા છે. મને આની પીડા છે. દિલ્હી જો ખરેખર શાંત થઇ જાય, તો હું ઉપવાસ છોડીશ. દિલ્હી દેશની રાજધાની છે. દિલ્હીનું પતન ભારત અને પાકિસ્તાનનું પતન કહેવાશે. હું દિલ્હીને મુસ્લિમો માટે સલામત જોવા ઈચ્છું છું. અસલી શાંતિ સ્થપાતાં વાર લાગે, તો ય વાંધો નહીં. એક દિવસ લાગે કે એક મહિનો, પણ હું અધવચ્ચે ઉપવાસ નહીં છોડું. મારું જીવન બચાવવું, એ ઉદેશ્ય ના હોવો જોઈએ. ઉદેશ્ય ભારત અને તેના સન્માનને બચાવવાનો હોવો જોઈએ. મારે યાદ નથી કરાવવી, પણ તાજેતરની ઘટનાઓની જેમ, ભારતનું નીચાજોણું નહીં થાય, ત્યારે જ હું ખુશ થઈશ અને ગૌરવ અનુભવીશ.”

બે અલગ-અલગ કાલખંડમાં, બે અલગ-અલગ સંદર્ભોમાં દિલ્હી ઉજ્જડ થઇ હતી, પણ બે માણસોનીઓ પીડા એક સરખી હતી. ૨૪, ૨૫ અને ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૦ના ૭૨ કલાક માટે દિલ્હી આવી જ રીતે ઘાયલ થઇ, ત્યારે દિલ્હી વતીથી રડવા માટે ન તો કોઈ મીર હતો, ન કોઈ મહાત્મા. ૭૨ કલાકનાં ખોફનાક કોમી દાવાનળમાં ૪૨ લોકોનાં મોત, લાખો રૂપિયાના નુકસાન અને અનેક જિંદગીઓની તબાહી પછી એક જ સવાલ સૌના મોઢે હતો; ના પોલીસ કે ના નેતા, ઇશાન દિલ્હીના ગરીબ, લાચાર અને નિર્દોષ લોકોને બચવવા માટે ૭૨ કલાક સુધી કોઈ કેમ ના આવ્યું?

ભોળા લોકો (ટી.વી. ચેનલો અને નેતાઓએ મગજમાં ફીટ કરેલો) એવો જવાબ આપે છે કે પોલીસ અને સરકાર અમેરિકન રાષ્ટ્રપતિની સરભરામાં વ્યસ્ત હતી, તેનો તોફાનીઓએ ફાયદો ઉઠાવ્યો હતો. આ એક પ્રકારનું બચવાનામું છે. દિલ્હી ભારતની રાજધાની છે, દીવ-દમણ નથી. તેની પોલીસ દીવ-દમણની પોલીસ કરતાં હજાર ઘણી સક્ષમ છે. દિલ્હીની પોલીસ ૨૧મી સદીની છે. જેના આવતાં અને જતાં પહેલાં અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમનો વિસ્તાર તાળાબંધીમાં આવી જાય, તે અમેરિકન રાષ્ટ્રપતિ દિલ્હીમાં હોય, ત્યારે આખી ઇશાન દિલ્હી ત્રણ દિવસ સુધી ભડકે બળે, તે વાત જ કેટલી અજીબ છે.

જે તોફાનો ૭૨ કલાક પછી રોકી શકાતાં હોય, તે એક કલાકમાં પણ રોકી જ શકાય છે. ઈચ્છા શક્તિનો સવાલ છે. મહાત્મા ગાંધી તો પોલીસ પણ ન હતા, અને આજના નેતાઓની જેમ કમાન્ડોના ઘેરામાં ફરતા ન હતા, છતાં ઈચ્છાશક્તિથી પ્રેરાઈને જ તેમણે એ જ દિલ્હીમાં તોફાનો રોકવાનું બીડું ઉઠાવ્યું હતું, અને એમાં સફળ નીવડ્યા હતા. ભારતમાં આજે કોઈપણ બીમારી આવે છે, ત્યારે આપણે ‘સબ મર્જ કી એક દવા’ ગાંધી તરફ નજર નાખીએ છીએ (ઇશાન દિલ્હીનાં તોફાનો જોઇને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટેર્રસે કહ્યું પણ ખરું કે મહાત્મા ગાંધીના સાહસને આજે જ ખરી જરૂર છે), તે કોઈ ઔપચારિકતા નહીં, પણ આપણી કમનસીબી છે, કારણ કે આપણી આજે કોઈ એવું સક્ષમ વ્યક્તિત્વ નથી, જે ઈલાજ કરી શકે.

ઈતિહાસકાર રામચન્દ્ર ગુહાએ ગાંધીજીના એ મહાન ઉપવાસનું બયાન આપ્યું છે.

બંગાળમાં કલકત્તાનાં તોફાનો ખાળીને ગાંધીજી ૭મી સપ્ટેમ્બરે દિલ્હી આવ્યા હતા. એ દિલ્હીને સારી રીતે જાણતા હતા. દિલ્હીમાં વિભાજનના જખમ લોહિયાળ ના બને, તે માટે દિલ્હીમાં રહેવું જરૂરી હતું. સરદાર પટેલ તેમને સ્ટેશન પર લેવા ગયા હતા. દિલ્હી શરણાર્થીઓથી ઉભરાતું હતું, અને સરદાર એ ભીડ સામે એકલા પડી રહ્યા હતા. ભીડ પાસે હથિયારો હતાં, અને પલીતી ચંપાયેલો હતો. ગાંધી સાથે ના તો શ્યામા પ્રસાદ મુખર્જી હતા, જેનો અવાજ ઉગ્ર હિંદુઓ સાંભળે કે તો સોહરાવાર્દી જેવો મુસ્લિમ નેતા હતો. કૉન્ગ્રેસના નેતાઓ નવા દેશની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં વ્યસ્ત હતા.

ગાંધી તેમની પ્રાથના સભાઓમાં શાંતિ માટે અપીલ કરતા હતા, અને દેશમાં તોફાનોથી ભાગીને દિલ્હી આવેલા શરણાર્થીઓ ‘ગાંધી મુર્દાબાદ’ના નારા લગાવતા હતા. આખા દેશમાંથી લોહિયાળ તોફાનોના સમાચાર આવતા હતા. ભારત-પાકિસ્તાન વચ્ચે ૫૫ કરોડ રૂપિયાનો વિવાદ ઘેરો બનતો હતો. દિલ્હીને ઉજ્જડ થઇ બચાવવી જરૂરી હતી. જાન્યુઆરી મહિનામાં, પાકિસ્તાનના ગુજરાત શહેરના સ્ટેશન પર ફ્રન્ટીયર મેલમાં હિંદુ-શીખ પ્રવાસીઓને શાક-ભાજીની જેમ કાપી નાખવામાં આવ્યા. મહાત્મા વ્યથિત થઇ ગયા. ૭૮ વર્ષના મહાત્મા તેમના જ આઝાદ દેશ સામે શું અંદોલન કરે? ૧૨૫ વર્ષ જીવવાની તેમની ઈચ્છા મરી પરવારી હતી.

૧૨ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ મહાત્માએ આમરણ ઉપવાસની જાહેરાત કરી. આઝાદ ભારતમાં મહાત્માના એ પહેલા ઉપવાસ હતા. બિરલા હાઉસ બહાર શીખ શરણાર્થીઓની ભીડે કહ્યું, “ખૂનનો બદલો ખૂનથી … ગાંધીને મરવા દો.” આ સાંભળીને નહેરુ ચિલ્લાયા, “કોણ બોલ્યું આ? પહેલાં મારી લાશ પાડો.” ઉપવાસના બીજા દિવસે ગાંધીજીએ કહ્યું, “જો હિંદુઓનો સંહાર નહીં અટકે, તો દસ ગાંધી ભેગા થઈને પણ મુસ્લિમોને બચાવી નહીં શકે.” ત્રીજા દિવસે પાકિસ્તાનને ૫૫ કરોડ આપવાનો નિર્ણય લેવાયો. ચોથા દિવસે સરકારના પ્રધાનોએ શરણાર્થીઓ માટે તેમના નિવાસ્થાનોના દરવાજા ખોલી નાખ્યા.

મહાત્માની તબિયત હવે બગડતી હતી. કીડની ગડબડ કરતી હતી. પાંચમાં દિવસે, તમામ ધર્મોના લોકોએ દિલ્હીમાં દુકાનો બંધ રાખી. છઠ્ઠા દિવસે, ‘બાપુ ના ખાય, તો અમે પણ નહીં ખાઈએ’ કહીને હોટેલો, ઢાબાઓ અને રેસ્ટોરન્ટના કર્મચારીઓએ પીરસવાનું બંધ કર્યું. શરણાર્થી છાવણીઓમાંથી મહાત્મા પાસે લેખિત સંદેશા આવ્યા. બે લાખ લોકોએ શાંતિ-કરાર કર્યો, જેમાં લખ્યું હતું, “અમે હિંદુ, શીખ, ઈસાઈ અને અન્ય નાગરિકો જાહેર કરીએ છીએ કે ભારતના મુસ્લિમ નાગરિકો અમારી જેમ જ દિલ્હીમાં શાંતિ, સુરક્ષા અને સન્માનથી રહેવા માટે મુક્ત છે.”

મહાત્માએ ઉપવાસ છોડવાનો નિર્ણય કરીને કહ્યું, “જો દિલ્હી સ્વસ્થ થઇ જાય, તો હું પાકિસ્તાન જઈશ.” ૧૮મી તારીખે, હિદુ, મુસ્લિમ અને શીખ નેતાઓ રાજેન્દ્ર પ્રસાદના ઘરે ભેગા થયા અને ગાંધીજીની શરતો માન્ય રાખી. રૂમમાં ‘ગાંધીજી કી જય’નો નારો ગુંજ્યો, નહેરુના ચહેરા પર સ્મિત આવ્યું. બહાર, દિલ્હીમાં ખુશી ફેલાઈ ગઈ. દિલ્હીને કોમી પાગલપનમાંથી બચવવાના મહાત્માનો પ્રયાસ સફળ થયો હતો. વરસતા વરસાદમાં હજારો લોકો બિરલા હાઉસ પર ભેગા થઇ ગયા.

૧૯૧૩થી શરૂ કરીને મહાત્માનો આ ૧૭મો ઉપવાસ હતો. ૧૬મી તારીખે મહાત્માએ તેમના એક અનુયાયીને લખ્યું હતું કે આ તેમનો ‘મહાન ઉપવાસ’ હતો. એ છેલ્લો પણ ઉપવાસ હતો. ૩૦મી જાન્યુઆરીએ, શાંતિના આ ઉપાસકનું, એ જ દિલ્હીમાં હિંસક મોત થઇ ગયું. મહાત્માએ મીર તકી મીરના દિલ્હીને ફરી એકવાર ઉજ્જડ થતી બચાવી હતી. આ ૨૦૦ વર્ષ જૂની વાત નથી. ૧૯૪૮ની વાત છે. સમજી શકાય, તેટલી નજીકની વાત છે. જો સમજવું હોય તો.

પ્રગટ : ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 માર્ચ 2020

Loading

‘માટી’ : નવો ચીલો ચાતરતા ઉમેશ સોલંકી

રઘુવીર ચૌધરી|Opinion - Literature|9 March 2020

'ફેરફાર’, ‘28 પ્રેમકાવ્યો' અને હવે ત્રીજા વર્ષે 'માટી’ આપીને ઉમેશ સોલંકીએ નવો ચીલો ચાતરવાનું વલણ દાખવ્યું છે, સાવ સ્વાભાવિક રીતે.

સમજી-વિચારીને પણ ઉમેશ આવું લખી શકે. પૂરતું ભણેલા છે અને શોધકાર્યમાં સક્રિય છે, પણ એમનું લેખન પાણીના રેલાની જેમ ચાલે છે. પાછળ પુરવઠો હોય તો પાણી આગળ ચાલે, એને એનો ઢાળ મળી જાય. 

'માટી’ પંચોતેર પૃષ્ઠની નાનકડી ચોપડી છે. એમાં નવ રેખાચિત્રો છે. એકબે રચનાઓને બાદ કરતાં આ રેખાચિત્રો આદિવાસી વ્યક્તિઓનાં છે. લેખકે પ્રત્યક્ષ અનુભવ પછી આ રેખાચિત્રો લખ્યાં છે. પોતે ઓશિંગણ હોય એવું જણાવી પુસ્તક આ શબ્દોમાં અર્પણ કર્યું છે. 'ભલે ભણેલી નથી, પણ ગણેલી આદિવાસી બહેનોના બનેલા દેવગઢ બારિયા (દાહોદ) અને ઘોઘંબા (પંચમહાલ) તાલુકામાં આદિવાસી ગામોમાં કાર્યરત ‘દેવગઢ મહિલા સંગઠન'ને અર્પણ.”

આઝાદી પછી ઝીણાભાઈ દરજી, સનત મહેતા, ઇન્દુફુમાર જાની, ભીખુભાઈ વ્યાસ અને દર્શક-લોકભારતીના વિદ્યાર્થીઓએ સગવડ વિનાના સરહદી વિસ્તારોમાં જાગૃતિ અને સંગઠનનું કામ કર્યું છે. મહિલા સંગઠનો પણ રચ્યાં છે. એમણે પોતાની કારકિર્દી ઊભી કરી છે, આરામમાં પડ્યાં નથી, જાગે છે ને જગાડે છે. ઉમેશ સોલંકી મૂળ સાબરકાંઠાના વડાલી ગામના. ગ્રામવિસ્તારનાં નિરીક્ષણો એમના લેખનમાં અગાઉથી છે. અહીં ‘માટી’ સાથે જીવતર જોતરતા અને જોખમ ઉઠાવી સુખે-દુઃખે ટકી રહેતા અદના માણસો માટે સહજ લાગણી વ્યક્ત થઈ છે. કોઈ રેખાચિત્ર લંબાવ્યું નથી, આદિવાસી પાત્રોને અનુરૂપ ભાષા અને રચનારીતિ અપનાવી છે, એમની બોલચાલની લઢણો દાખવી છે. ક્યારેક એમ લાગે કે ધ્વનિમુદ્રિત કરેલું અહીં લિપિમાં ઊતર્યું છે. પહેલું રેખાચિત્ર 'શોભુ’ ('શૉન્તુ') દલિત યુવક્ની વીતકકથા જેવું લાગે. બાકીનાં આઠ મુખ્યત્વે આદિવાસી પરિવારો અને એના મુખ્ય આધાર સ્ત્રીઓની યાતના અને એમાંથી બહાર આવવાનો નિર્દેશ કરે છે. મિત્સ્કાબહેને ‘ગિરાસમાં એક ડુંગરી’નાં રેખાચિત્રોમાં સ્ત્રીઓના યૌન શોષણનું આલેખન ભારપૂર્વક કર્યું છે. અહીં આર્થિક-સામાજિક સ્થિતિનું આલેખન છે. આદિવાસી સમાજના આંતરિક વ્યવહારોનો નિર્દેશ છે. એમાં બુરાઈ છે તો ભલાઈ પણ છે. ઉત્કર્ષમાં મહિલા સંગઠન નિમિત્ત બન્યું હોય તો એનો ઉલ્લેખ પણ છે. લેખકે જોયું અને જાણેલું લખ્યું છે. ‘અંધારું’નો આરંભ જોઈએ.

‘ઢેડી, ઠેસ પહોંચાડતો શબ્દ. ઢેડીબહેન, ઠેસમાં આશ્ચર્યનું ઉમેરણ કરતું નામ. ઢેડીબહેન નાયક, આશ્ચર્યયાં વિચારને દાખલ કરતી જ્ઞાતિ. મન કાઠું કરીને રવીકારીએ, તો આ નામ કોઈ દલિત બહેનનું હોવું જોઈએ, પણ ના, પચીસ વર્ષનાં આદિવાસી બહેનનું નામ ઢેડી, એ પણ સરકારી ચોંપડે નોંધાયેલું. (પૃ. 20)

નવાં જન્મેલાં સંતાનો જીવતાં ન હોય તો આવું તેવું નામ રાખવાની અંધશ્રદ્વા છે. ક્યારેક બાળકનાં કપડાં માગીને પહેરાવવાં તો ક્યારેક અન્ય સ્ત્રીના દૂધનો સહારો લેવા જેવી ઘટનાઓ બનતી હોય છે. ઢેડીબહેનના પતિનું ચાલ્યા જવું, પછી પિયરમાં મા-બાપ સાથે રહેવું, એ વિગતો વર્ણવીને લેખકે એક સહન કરતી નારીનું ચિત્ર આપ્યું છે.

કેટલીક વિગતો ધ્યાન ખેંચે છે. કેટલાં બાળકો ઢોર ચારે છે આ વિસ્તારોમાં? લાલો નથી ભણતો કેમ કે ગોવાળિયો છે.

'દાહોદ અને પંચમહાલ જિલ્લાના આદિવાસી ગ્રામીણ વિસ્તારમાં બકરાં ચરાવતા છોકરાને ગોવાળિયો અને છોકરીને ગોવાળિયણ કહેવામાં આવે છે. સરકારી આંકડા મુજબ ખેતી અને બકરાં ચરાવવાના વ્યવસાયમાં દાહોદ જિલ્લામાં 423 બાળકો જોડાયેલાં છે, પરંતુ વાસ્તવિકતા જરી જુદી છે. અનુભવે જણાયું છે કે આદિવાસી વિસ્તારમાં દરેક ગામમાં ઓછામાં ઓછા પાંચ ગોવાળિયા છે એટલે કે દાહોદ જિલ્લાનાં 696 ગામોમાં 3480 ગોવાળિયા છે.’ (પૃ. ૩7)

‘સૂકી માટી ભીની માટી’નાં નંદાબહેનનું જીવન બે ભાગમાં વહેંચાયેલું છે. ઉત્તર જીવન લીલી માટી જેવું છે. નંદાબહેન અન્ય સ્ત્રીની આગેવાની કરે છે. અરજીની નોંધ લેવા તલાટી તૈયાર નથી. નંદાબહેન સંગઠનના બળે સફળ થાય છે. પછી તલાટી ધમકી આપે છે.

‘બીજા દિવસે નંદાબહેનને તલાટીનો ગ્રામપંચાયતના દરવાજે ભેટો થઈ ગયો. તલાટીએ વખત ઓળખ્યો. વિચાર્યું નંદા એકલી છે. કાલ તો ટોળું હતું એટલે મોં ફાડી ફાડીને બોલતી હતી. આજે ધમકાવીને એની બોલતી બંધ કરી નાખું, ને પોતાનું મોં ફાડ્યું, ‘આંય કેમ આવે લિયો કે રસ્તા ઉપર ગાડી ચડાવીને મારી નાખીશ.’ નંદાબહેન થોડું મલકયાં, કશું બોલ્યાં નહીં. બીજા દિવસે તલાટીએ જે રસ્તા પર ગાડી ચડાવવાની વાત કરી હતી એ રસ્તે જ઼ઈને ઊભાં રહ્યાં. તલાટી ભોંઠા પડી ગયા. ગામમાં પછી નરેગા અંતર્ગત કામ શરૂ થયું. (પૃ.50, માટી)

પ્રકાશન નિર્ધાર પ્રતિબદ્ધ સાહિત્ય મંચનું છે. સરનામું છાપ્યું નથી.

(“દિવ્ય ભાસ્કર”ની 'રસરંગ' પૂર્તિમાં રઘુવીર ચૌધરીનો લેખ, પૃષ્ઠ – 5; 30 જૂન, 2019)

Loading

રાજ કરવા માટે પહેલાં હિન્દુસ્તાની ભાષાનાં બે ફાડિયાં કરો !

રમેશ ઓઝા|Opinion - Opinion|8 March 2020

ગયા અઠવાડિયે કહ્યું હતું એમ જેટલો તમે તમારા પરિવારના કલ્યાણ માટે પણ સાંગોપાંગ વિચાર નહીં કર્યો હોય એટલો વિચાર તમારે અંગે તમારું શોષણ કરવા આવેલા શોષકોએ કર્યો હતો. દરેક દિશાના પ્રયોગ કરતા હતા, પરિણામોનું પરીક્ષણ કરતા હતા અને જરૂરી ફેરફાર કરતા હતા અથવા પ્રયોગ પડતો મૂકતા હતા. એમ કરતાં તેમના ધ્યાનમાં આવ્યું કે જો ગણતરીપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો હિંદુસ્તાનની પ્રજાની વચ્ચે અંતર વધારી પણ શકાય છે.

ઈ. સ. ૧૮૦૧ની સાલમાં અંગ્રેજોએ કલકત્તામાં ફૉર્ટ વિલયમ કૉલેજની સ્થાપના કરી. એનો ઉદ્દેશ કંપનીના અફસરોને દેશી ભાષાઓ શીખવવાનો હતો. રાજ કરવા માટે લોકોની ભાષા શીખવી જરૂરી હતી. એ માટે તેમણે દેશી ભાષાઓના જાણકાર વિદ્વાનોને બોલાવ્યા. એ સમયે ઉત્તર ભારતમાં ભદ્ર વર્ગમાં બહાર પર્શિયન અને ઘરમાં પોતાની ભાષા બોલાતી હતી. સાધારણ લોકો અવધી, મૈથિલી, ભોજપુરી, સંથાલી વગેરે પોતાની જે કોઈ ભાષા હોય તેનો ઉપયોગ કરતા હતા અને અન્ય લોકો સાથે વ્યવહાર કરવા તેઓ એક એવી ભાષાનો ઉપયોગ કરતા હતા જે સંસ્કૃત, અરેબીક, ફારસી અને દેશી ભાષાના મિશ્રણવાળી હતી. આ ભાષા સર્વસામાન્ય ભાષા હતી. આ ભાષા; દેશભરમાં ભટકતા સાધુઓ, ફકીરો, યાત્રિકો, ભટકતી કોમો, દેશાવરમાં વેપાર કરનારા વેપારીઓ વગેરેએ પોતાની જરૂરિયાત માટે વિકસાવી હતી. ખરું પૂછો તો જરૂરિયાતને કારણે આપોઆપ વિકસી હતી.

આ ભાષાને જ શા માટે વિકસાવવામાં ન આવે? આ ભાષા, જે આ પહેલાં જ લોકવ્યવહારની ભાષા છે તે જ ભારતની સત્તાવાર ભાષા બની શકે. જો એમ બને તો અમલદારોને પ્રત્યેક સ્થાનિક ભાષા શીખવાની જરૂર ન રહે. અને શીખે તો પણ કાંઈ ખોટું નથી, પણ આખા દેશને જોડનારી ભાષા બનવાની ક્ષમતા આ ભાષા ધરાવે છે. ફૉર્ટ વિલિયમ કૉલેજની જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે સરકારના હાકેમોના મનમાં આ બંને વાત ચાલતી હતી. અમદારોને દેશી ભાષાઓ શીખવવામાં આવે અને સાથે સાથે ભારતમાં આ જે લોકવ્યવહારની ભાષા વિકસી છે તેની હજુ વધુ વિકસવાની ક્ષમતા ચકાસવામાં આવે. અંગ્રેજીનો વિકલ્પ તો તેમના મનમાં હતો જ, આ તો બ્રાહ્મણોએ ધર્માન્તરણ કર્યું એટલે તેને થોડો પાછળ ધકેલી દીધો હતો.

ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના પછી અંગ્રેજ અમલદારોને ભારતીય ભાષાઓ શીખવનારા વિદ્વાનોને બોલાવવામાં આવ્યા તેમાં એક લલ્લુ લાલ પણ હતા. લલ્લુ લાલ મૂળ ગુજરાતના હતા. તેમના પિતા કે દાદા યજમાનવૃત્તિ કરવા મથુરા જઈને વસ્યા હતા. ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના થઈ ત્યારે તેઓ બંગાળમાં મુર્શિદાબાદમાં નોકરી કરતા હતા. તેમના પર જૉન ગીલક્રીસ્ટ નામના ભાષાશાસ્ત્રીની નજર પડી હતી એમ કહેવાય છે. તેમની ભલામણથી લલ્લુ લાલ કલકતા ફૉર્ટ વિલિયમ કૉલેજમાં આવ્યા હતા.

કામ તો કંપની સરકારના અમલદારોને દેશી ભાષાઓ શીખવવાનું હતું, પરંતુ કૉલેજના સંચાલકોના ધ્યાનમાં આવ્યું કે આ લલ્લુ લાલ ભારતમાં પ્રચલિત મિશ્ર સ્વરૂપની વ્યવહાર ભાષા (હિંદુસ્તાની) છે તેમાંથી ફારસી-અરબી શબ્દોને દૂર કરવાનો અને તેની જગ્યાએ સંસ્કૃત મૂળના તત્સમ/તદ્ભવ શબ્દો વાપરવાનો આગ્રહ ધરાવે છે. તેમણે ‘પ્રેમ સાગર’નો બ્રજ ભાષામાંથી હિંદુસ્તાનીમાં અનુવાદ કર્યો હતો જેમાં ભાગ્યે જ કોઈ અરબી-ફારસી શબ્દો હતા. આ ઉપરાંત ‘સિંહાસન બત્તીસી’, ‘શકુંતલા’, ‘વેતાલ પચ્ચીસી’નાં પણ તેમણે અનુવાદ કર્યા હતા જેમાં દરેકમાં અરબી-ફારસી નકારવાનું તેમનું વલણ નજરે પડ્યું હતું. લલ્લુ લાલ દ્વારા અનુવાદિત ‘પ્રેમ સાગર’ ગ્રંથ ઈંટરનેટ પર જોવા મળશે. બહુ રસપ્રદ ભાષા છે અને તે વાંચવાની હું ભલામણ કરું છું.

આ લલ્લુ લાલે દેવનાગરી લિપિ પણ પ્રાથમિક સ્વરૂપમાં વિકસાવી હતી. એ જમાનામાં અરબી લિપિમાં હિંદુસ્તાની લખાતી હતી. અંગ્રેજોએ જોયું કે હિંદુ પંડિતો અરબી-ફારસી શબ્દો અને લિપિ એમ બંનેનો પ્રતિરોધ કરે છે. હવે મુસલમાનોનું રાજ્ય રહ્યું નહોતું એટલે તેમનામાં પ્રતિકાર કરવાની હિંમત પણ આવી હતી. આ એ જ પંડિતો, નાગરો અને કાયસ્થો છે જે ૧૭૫૦ પહેલાં મુસ્લિમ નવાબો જેવા અચકન અને ટોપી પહેરતા હતા, મુસ્લિમ ભાસે તેવાં નામ રાખતા હતા, તેમની રીતભાત અપનાવતા હતા અને ફારસી ભાષા શીખતા હતા. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ હતી. હવે અંગ્રેજોનું રાજ સ્થાપાઈ ગયું હતું અને ઝડપભેર વિસ્તરતું હતું અને દેશી રજવાડાઓ અંગ્રેજોના તાબામાં હતાં પછી ભલે મુસલમાન રાજવી હોય.

લલ્લુ લાલ પહેલો માણસ હતો જેણે હિંદુસ્તાની ભાષાના માર્ગમાં અવરોધ પેદા કર્યા અને તેની જગ્યાએ સંસ્કૃતપ્રચૂર હિંદી ભાષાનો પાયો રોપ્યો. તેઓ એક જ સમયે હિંદી ભાષાના પિતા પણ છે અને આખા દેશને જોડવાની ક્ષમતા ધરાવનારી હિંદુસ્તાની ભાષાના મોટા અવરોધક પણ છે. ભારતેન્દુ હરિશ્ચંદ્રને હિંદી ભાષાના પિતા કહેવામાં આવે છે એ સંપૂર્ણ સત્ય નથી. ભારતેન્દુ હરિશ્ચંદ્ર પંડિત લલ્લુ લાલના ખભા ઉપર બેઠા હતા એ ન ભૂલવું જોઈએ. ભારતેન્દુ હરિશ્ચંદ્ર હિંદી-હિંદુસ્તાની વિશે એ જ વલણ ધરાવતા હતા જે પંડિત લલ્લુ લાલ ધરાવતા હતા. હિંદુ અને મુસલમાનનો ધર્મ અને રીતિરિવાજ તો અલગ, પણ ભાષા પણ અલગ! અત્યાર સુધી આવું બન્યું નહોતું.

હિંદુસ્તાનની ખરલ ધાર્મિક માન્યતા અને બીજી બાબતોમાં અટકી પડી હતી અથવા ધીમી પડી ગઈ હતી, પરંતુ ભારતીય ભાષાઓને મોરચે ખરલ વિના અવરોધે ચાલતી હતી. ભાષાઓનો આ સ્વભાવ છે. બોલાતી જીવતી ભાષા જીવતા માણસ કરતાં પણ વધુ આંદોલિત હોય છે, ધબકતી હોય છે. આનું કારણ એ છે કે વાત પહોંચાડવા માટેની અભિવ્યક્તિની તીવ્રતા માનવીની અંદર સ્વાભાવિક છે. સ્વાર્થ માટે, સંબંધો ટકાવી રાખવા માટે અને નફરત સહિતની મનની લાગણીઓ વ્યક્ત કરવા માટે માણસને પહોંચાડનારા પ્રભાવી શબ્દની જરૂર પડે છે. ત્યારે તે જોતો નથી કે ખપમાં લેવામાં આવેલો ખપનો શબ્દ ક્યાંથી આવ્યો છે. તેનું કૂળ શું છે? ભારતમાં અશ્લીલ શબ્દો જ કદાચ સૌથી વધુ રાષ્ટ્રીય છે એનું કારણ આ તીવ્રતા છે.

મુસલમાનો હિંદુસ્તાનમાં આવ્યા એ પછી હજાર વરસ સુધી ભાષાને ભેગી કરવાનું, એકબીજાના શબ્દો લઈને નવી પ્રાદેશિક ભાષાઓ વિકસાવવાનું, ફારસી ભાષાને ભારતીય સ્વરૂપ આપવાનું અને પ્રાથમિક સ્વરૂપની હિંદુસ્તાની ભાષા વિકસાવવાનું કામ હિંદુસ્તાની ખરલે કર્યું હતું. કમસેકમ આ એક મોરચે અવરોધ નહોતો.

પહેલીવાર હવે એની સામે પણ ફૉર્ટ વિલિયમ કૉલેજમાં અવરોધ પેદા થયો. પંડિત લલ્લુ લાલે અવરોધ પેદા કર્યો અને અંગ્રેજોએ તે ઊંચકી લીધો. અંગ્રેજો એવી તક છોડે ખરા? જો અભિવ્યક્તિની એક જબાન જતી રહે તો તો પછી પૂછવું જ શું! તેમણે મુસલમાનોને કહ્યું કે તેમણે પણ તેમની ભાષા વિકસાવવી જોઈએ અને અરબી લિપિ પર મુસલમાનોની લિપિ હોવાનો દાવો કરવો જોઈએ. આ તમારો સાંસ્કૃતિક વારસો છે. મુસ્લિમ વિદ્વાનોએ મુસલમાનોમાં બોલાતી હિંદુસ્તાની ભાષામાંથી સંસ્કૃત મૂળના શબ્દોને હટાવવાનું શરૂ કર્યું. લિપિ પર કબજો કરવા માટે તેમણે કાંઈ કરવાનું હતું નહીં, કારણ કે હિદુઓએ જ એ લિપિ છોડી દીધી હતી અને પોતાના માટે દેવનાગરી લિપિ વિકસાવતા હતા.

આમ હિંદુઓએ અને મુસલમાનોએ મળીને, પરસ્પર દ્વેષયુક્ત સહકાર કરીને, રાષ્ટ્રભાષા બનવાની ક્ષમતા ધરાવનારી સર્વસ્વીકાર્ય ભારતીય ભાષાને મારી નાખી. ફૉર્ટ વિલિયમ કૉલેજની સ્થાપના આમ તો કંપની સરકારના અમલદારોને દેશી ભાષા શીખવવા માટે કરવામાં આવી હતી, પરંતુ નવી સ્થિતિમાં હવે તે હિંદી અને ઉર્દૂના વિકાસની અને રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીના વિનાશની લેબોરેટરી બની ગઈ હતી. સાહેબોએ પંડિતોને અને મૌલવીઓને છૂટો દોર આપ્યો હતો. વધો આગળ અમે તમારી સાથે છીએ. તેમને સમજાઈ ગયું હતું કે હવે અંગ્રેજી ભાષા વિંગમાંથી મંચ પર પ્રવેશ કરી શકે એમ છે. તેમને એ પણ સમજાઈ ગયું હતું કે હિંદુ અને મુસલમાનોની લાગણીઓની અને અભિવ્યક્તિની ભાષા છૂટી પડી શકે છે અને અત્યારે છૂટી પડી જ રહી છે. એક ધક્કા ઔર દોની સ્થિતિ હતી અને અંગ્રેજો તે કરતા હતા. બે ભાઈ એક ભાણામાં ખાતા ન હોય ત્યાં સુધી તો ઠીક છે, એક ભાષામાં વિચારતા અને બોલતા પણ હોય એનાથી રૂડું બીજું શું હોઈ શકે!

બે ભાષણો વાંચવાની હું વાચકને ભલામણ કરું છું. એક ભારતેન્દુ હરિશ્ચંદ્રે ૧૮૮૪ની સાલમાં ઉત્તર પ્રદેશમાં બલિયામાં આપેલું ભાષણ અને બીજું સર સૈયદ અહમદ ખાને ૧૮૮૭માં લખનૌમાં આપેલું ભાષણ. આ બંને ભાષણ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. ભારતનો શુદ્ધ દેશી કોમી ત્રિકોણ રચાઈ ચૂક્યો હોવાની તમને પ્રતીતિ થશે. તમને ખાતરી થશે કે અંગ્રેજોએ આપણને વિભાજીત કરીને રાજ નહોતું કર્યું, આપણે નહોતા તેમાં પણ વિભાજીત થયા અને અંગ્રેજોએ રાજ કર્યું!

હવે અંગ્રેજી ભાષા માટેનો રસ્તો ખૂલી ગયો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 08 માર્ચ 2020

Loading

...102030...2,5572,5582,5592,560...2,5702,5802,590...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved