Opinion Magazine
Number of visits: 9683545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણીય મર્યાદાની રખેવાળી કરવાનો ધર્મ અદાલતોનો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 March 2020

રંજન ગોગોઈ અને પી. સથાસિવમ જેવા કલંકરૂપ જજોને વેચાતા જોઈને જેમનું રુવાડું પણ ફરકતું નથી એવા દેશભક્તોને કડવું લેસન ભણાવવું જરૂરી છે. લેસન એ છે કે પાકિસ્તાનની આજે જે હાલત જોવા મળે છે એના જનક એકલા રાજકારણીઓ, એકલા લશ્કરી સરમુખત્યારો અને એકલા કોમવાદી મુલ્લાંઓ નથી; તેમાં ન્યાયતંત્રનો પણ હાથ છે. હું તો કહીશ કે તેમાં ન્યાયતંત્રનો સૌથી મોટો હાથ છે. રાજકારણીઓ, લશ્કરી અધિકારીઓ અને મુલ્લાંઓ બંધારણની મર્યાદામાં રહે એવી અપેક્ષા રાખવામાં આવી છે; તેમને મર્યાદા બતાવી આપવાનું કામ, તેમને મર્યાદામાં રાખવાનું કામ અને જો ન રહેતા હોય તો દંડવાનું કામ અદાલતોનું અર્થાત્ જજોનું છે. આમ બંધારણીય મર્યાદા અને બંધારણીય નૈતિકતા (કૉન્સ્ટીટ્યુશનલ મૉરાલિટી) જાળવવાનો અને તેની રખેવાળી કરવાનો ધર્મ જજોનો છે.

૧૯૫૪માં, પાકિસ્તાન સ્થપાયાને હજુ માંડ સાત વર્ષ પણ નહોતા થયાં ત્યાં પાકિસ્તાનના ત્રીજા ગવર્નર જનરલ ગુલામ મહમ્મદે પાકિસ્તાનની બંધારણસભાનું વિસર્જન કરી નાખ્યું હતું. ૧૯૫૦માં ભારતમાં બંધારણ અમલમાં આવી ચૂક્યું હતું, જ્યારે ૧૯૫૪માં પાકિસ્તાનમાં બંધારણસભા હજુ બંધારણ ઘડતી હતી એનું કારણ મતભેદ અને હુંસાતુંસી હતાં. આવી સ્થિતિમાં પાકિસ્તાનના ન્યાયતંત્રની અને ખાસ કરીને ત્યાંની સર્વોચ્ચ અદાલતની ફરજ બનતી હતી કે તે બંધારણસભા તેના ધ્યેય સુધી ન પહોંચે ત્યાં સુધી તેની રક્ષા કરે. પવનની ઝાપટો ખાતો દીવો રાણો ન થાય એ જોવાનું કામ અને દીવા આગળ હાથની હથેળી રાખીને તેને બચાવવાનું કામ જજોનું હતું.

બંધારણસભાનું વિસર્જન કરવાનું કારણ એવું આપવામાં આવ્યું હતું કે વડા પ્રધાન ખ્વાજા નઝીમુદ્દીનની સરકાર પાકિસ્તાનની પ્રજાનું પ્રતિનિધિત્વ નથી કરતી. ૧૯૫૨માં ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ ચૂકી હતી અને ચૂંટાયેલી સરકાર અસ્તિત્વમાં પણ આવી ગઈ હતી, પરંતુ પાકિસ્તાનમાં હજુ તો સામાન્ય ચૂંટણી યોજાઈ જ નહોતી એટલે સરકાર માટે  લોકોના પ્રતિનિધિત્વનો કયો માપદંડ લાગુ કરવામાં આવ્યો હતો એ તો ખુદા જાણે.

સાચી વાત તો એ હતી કે પાકિસ્તાનની બંધારણસભા તેનું કામ લગભગ પૂરું કરવા આવી હતી અને ૧૯૩૫ના ઇન્ડિયન ઍક્ટમાં ગવર્નર જનરલને જે અમર્યાદિત સત્તા આપવામાં આવી હતી તે  બદલીને ગવર્નર જનરલની સત્તા પર કાપ મૂકવાની હતી. ભારતે પણ આમ જ કર્યું હતું. સંસદીય લોકતંત્રમાં રાષ્ટ્રપતિ કે રાજ્યોના ગવર્નરોને એક હદથી વધુ સત્તા આપવામાં આવે તો ચૂંટાયેલી સરકારનો શો અર્થ? આ તો વગર ચૂંટણીની પ્રમુખશાહી થઈ અને ચૂંટાયેલી સરકાર શોભાની થઈ. ગવર્નર જનરલના અર્થાત્ રાષ્ટ્રપતિના અધિકારો કપાવાના છે તેની ગંધ આવતા જ ગુલામ મહમ્મદે સમૂળગી બંધારણસભા જ વિખેરી નાખી હતી. ન રહે બાંસ ન બજે બાંસુરી.

પાકિસ્તાનની બંધારણસભા કમ સંસદના સ્પીકર મૌલવી તમીઝુદ્દીને ગવર્નર જનરલના પગલાંને સિંધની વડી અદાલતમાં પડકાર્યું. સિંધની વડી અદાલતમાં ન્યાયમૂર્તિ સર જ્યોર્જ કોન્સ્ટેન્ટાઈને ગવર્નર જનરલનાં પગલાંને ગેરકાયદે ઠરાવ્યું અને બંધારણસભા બહાલ કરી. ગવર્નર જનરલ સર્વોચ્ચ અદાલતમાં ગયા જ્યાં રાજન ગોગોઈઓ અને સથાસિવનોના મોટાભાઈ ન્યાયમૂર્તિ મુહમ્મદ મુનીરે ગવર્નર જનરલના પગલાંને કાયદેસર ઠરાવ્યું અને પાકિસ્તાનની બંધારણસભાનું અને બંધારણનું કાસળ કાઢી નાખ્યું. શા માટે? કારણ કે ગવર્નર જનરલ ગુલામ મહમ્મદ સાથે અંગત દોસ્તી હતી અને તેમણે જ મુનીરની મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ કરી હતી.

બાય ધ વે, મહીન્દ્ર એન્ડ મહીન્દ્રમાં જે બે ‘એમ’ છે એમાંનો બીજો એમ ગુલામ મહમ્મદનો હતો. કંપની આઝાદી પહેલાં મહિન્દ્રબંધુઓએ અને ગુલામ મહમ્મદે મળીને સ્થાપી હતી અને તેનું મૂળ નામ મહિન્દ્ર એન્ડ મહમ્મદ હતું. આઝાદી પછી ગુલામ મહમ્મદ પાકિસ્તાન જતા મહિન્દ્ર એન્ડ મહમ્મદ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર બની હતી. બાય ધ વે, એક વાત ન્યાયમૂર્તિ મુનીર વિશે પણ નોંધી લઈએ. મુનીર અંગ્રેજી સાહિત્યમાં એમ.એ. હતા અને તેમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અદ્ભુત હતું. એક વાર એક ખટલામાં આપણા કનૈયાલાલ મુનશી તેમની સામે લાહોરની વડી અદાલતમાં ઊભા રહ્યા. ન્યાયમૂર્તિ મુનીરે ખટલો સાંભળતા મુનશીને કહ્યું હતું કે મિ. મુનશી, તમારું અંગ્રેજી અને ઉચ્ચારણ હોરિબલ છે. મુનશીએ પોતે આ પ્રસંગ તેમની આત્મકથામાં નોંધ્યો છે. મુનશીનું અંગ્રેજી ફાંકડું હતું એ આપણે જાણીએ છીએ તો મુનીરનું એનાં કરતાં કેવું ઉત્તમ હશે તે વિચારી જુઓ અથવા તે માણસ કેટલો શ્રેષ્ઠત્વથી પીડાતો હશે તેની કલ્પના કરી જુઓ. બીજી વાત સાચી છે.

ખેર, પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના જજ મુનીરે ગવર્નરનાં પગલાંને કાયદેસર ઠરાવ્યું. દલીલ શું હતી જાણો છો? ડૉક્ટ્રીન ઑફ નેસેસિટીની. જરૂરિયાતનો સિદ્ધાંત. ૧૩મી સદીમાં થઈ ગયેલા બ્રિટિશ જજ હેન્રી દે બ્રેક્ટનના સિદ્ધાંતનો હવાલો આપીને તેમણે કહ્યું હતું કે કેટલીકવાર અનિવાર્ય સંજોગોમાં કાયદાકીય રીતે ગેરકાયદેને જરૂરિયાતના ભાગરૂપે કાયદેસર હોવાની માન્યતા આપવી પડતી હોય છે. હવે વિચારો કે પાકિસ્તાનમાં એવી કઈ અનિવાર્ય જરૂરિયાત પેદા થઈ હતી કે બંધારણસભાને વિખેરી નાખવા જેવું ગેરકાયદે પગલું ભરવું પડે! દેશ પર કોઈએ ચડાઈ નહોતી કરી, વર્ગવિગ્રહ નહોતો ફાટી નીકળ્યો, એવી બીજી કોઈ ઈમરજન્સી નહોતી. હા, જો કોઈની જરૂરિયાત હતી તો એ ગવર્નર જનરલ ગુલામ મહમ્મદની હતી જેને સત્તા હાથમાંથી છોડવી નહોતી.

મુહમ્મદ મુનીરના એ દોસ્તાના ચુકાદા પછી પાકિસ્તાનની ગાડી પાટા પરથી ઊતરી ગઈ જે આજ સુધી સરખી રીતે પાટે ચડી નથી. ન્યાયમૂર્તિ મુનીરે ન્યાયમૂર્તિનો ધર્મ નિભાવ્યો હોત તો પાકિસ્તાન અત્યારે જે સ્થિતિમાં છે એવી સ્થિતિમાં ન હોત.

આપણે ત્યાં ગયા નવેમ્બર મહિનામાં અયોધ્યાના મામલામાં સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો હતો એ ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી જેવો જ હતો, માત્ર આવો શબ્દપ્રયોગ કરવામાં નહોતો આવ્યો. સામાન્ય સંજોગોમાં જે ઘટના કાયદાકીય રીતે ગેરકાયદે કહેવાય એ જરૂરિયાતના ભાગરૂપે કાયદેસર ગણવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે મીર બાંકી કે બીજા કોઈ મુસલમાને મંદિર તોડીને એ સ્થાને બાબરી મસ્જિદ બાંધી હોવાના કોઈ પુરાવાઓ મળતા નથી. મસ્જિદના સ્થળે મંદિર હોવાના પણ કોઈ શંકાતીત પુરાવાઓ મળતા નથી. આમ છતાં ય હિન્દુત્વવાદીઓએ કાયદો હાથમાં લઈને મસ્જિદ તોડી પાડી અને તેનો કબજો લઈ લીધો એ સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ સામાન્ય સંજોગોમાં કાયદાકીય રીતે તો ગેરકાયદે કહેવાય પણ તે જરૂરિયાતના ભાગરૂપે કાયદેસર ગણાય. ચુકાદો આમ જ કહે છે કે બીજું કાંઈ? ચુકાદો આપનાર જજોએ ડૉક્ટ્રીન ઑફ નેસેસિટીનો શબ્દપ્રયોગ ઈમાનદારીપૂર્વક કરવો જોઈતો હતો. આ જ તો તેમણે કહ્યું હતું તો પછી ડૉક્ટ્રીન ઑફ નેસેસિટીનો આશ્રય લેવામાં શું વાંધો હતો?

સામાન્ય સંજોગોમાં કાયદો હાથમાં લઈને કોઈની જમીન કે મિલકત આંચકી લેવી એ ગેરકાયદે ગણાય, પણ જરૂરિયાતના ભાગરૂપે ગેરકાયદેને કાયદેસરનું રૂપ આપવું પડે. પણ જરૂરિયાત કોની? સર્વોચ્ચ અદાલતની પોતાની. હિન્દુત્વવાદીઓએ મસ્જિદની જમીન ગેરકાયદે આંચકી લીધી અને હવે બળજબરી કબજો જમાવ્યો છે એ ગેરકાયદે છે એમ જો સર્વોચ્ચ અદાલત કહે તો જમીન ખાલી કરાવવી પડે. જેમણે ગેરકાયદે કબજો જમાવ્યો છે તેની કેન્દ્રમાં અને રાજ્યમાં સરકાર છે. તેઓ દાદાગીરી કરે છે અને કાયદાની ઐસીતૈસી કરે છે. આમ જેની જમીન આંચકી લેવાઈ છે તેને ન્યાય આપી શકાય એમ નથી માટે ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી. મુસલમાનોને થોડે દૂર મસ્જિદ બાંધવા પાંચ એકર જમીન આપવામાં આવશે એમ ન્યાયના નામે નાક બચાવવા કહેવામાં આવ્યું છે.

હવે પછી શબરીમાલાના ચુકાદાની રિવ્યુ પિટીશનમાં પણ ડૉક્ટ્રીન ઑફ નેસેસિટીનો આશરો લેવામાં આવે તો નવાઈ નહીં પામતા. સામાન્ય સંજોગોમાં કોઈને મંદિરમાં પ્રવેશતા રોકવા એ કાયદાકીય રીતે ગેરકાયદે કહેવાય પણ અનિવાર્ય સંજોગોમાં જરૂરિયાતના ભાગરૂપે ગેરકાયદેને કાયદેસર ઠરાવી શકાય. જો પરંપરાવાદી ધર્મઝનૂની હિંદુઓને મનાવી ન શકાય, તેમને કયદાનો ડર ન લાગતો હોય, તેમને વારી શકાય એમ ન હોય, તેમને સજા કરો તો સજાનો અમલ કરવાનું જેમનું કામ છે એ અમલ ન કરે તો બીજું શું થાય? ડૉક્ટ્રીન ઑફ નેસેસિટી. કરો ગેરકાયદેને કાયદેસર.

હું આશા રાખું છું કે સુજ્ઞ વાચકોને આ વાતની ગંભીરતા સમજાતી હશે. ૧૯૫૪માં મુહમ્મદ મુનીર નામના જજે પાકિસ્તાનમાં છીંડું પાડ્યું. જ્યારે પહેલું છીંડું પડ્યું ત્યારે જો પાકિસ્તાનના નાગરિકો જાગી ગયા હોત તો પાકિસ્તાનના આજે જે હાલ થયા છે એ ન થયા હોત, પણ તેમને મન તો પાકિસ્તાન મુસલમાનો માટેની ખુદાએ અલગ કાઢી આપેલી પાક ભૂમિ હતી એટલે ઇસ્લામના નામે મૂંગા રહ્યા હતા. બહુ થોડા લોકો બોલતા હતા જેનો અવાજ ઇસ્લામના ગોકીરમાં કાને પડતો નહોતો. એ પછી તો છીંડાં મોટાં અને વધુને વધુ પહોળાં થતાં ગયાં જેની વાત આવતા અઠવાડિયે કરીશું. દરમિયાન રંજન ગોગોઈ (જેમના નામની આગળ ‘ન્યાયમૂર્તિ’ એવું વિશેષણ હું હવે વાપરતો નથી અને વાપરવું પણ ન જોઈએ) તેમની સેવાનું ઇનામ મેળવીને રાજ્યસભામાં ગોઠવાઈ ગયા છે. એ જોઈને બીજા જજોના મોઢામાં પાણી પણ આવતું હશે!

કાયદાના રાજનો અને બંધારણીય નૈતિકતાનો આ જ રીતે ગોગોઈઓ દ્વારા ક્રમશઃ ક્ષય થતો હોય છે! … માટે બોલો. ઊહાપોહ કરો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 માર્ચ 2020

Loading

આગામી પેઢી માટે આવા રોગચાળાને નાથવા આજ કરતાં સરળ હશે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 March 2020

જીવવાની ભૂખ માણસને પોતાના શત્રુનો ખાત્મો બોલાવવાના રસ્તા શોધવા માટે સતત દોડતો રાખે છે, જેને કારણે ભવિષ્યમાં કોઇ ઘાતકી વાઇરસ કે બેક્ટેરિયા આટલા વિશાળ સ્તરે કદાચ નહીં ત્રાટકી શકે

આ લેખ વંચાઈ રહ્યો હશે ત્યારે તમે જનતા કરફ્યુના દિવસનો અનુભવ કરી રહ્યા હશો. સાંજે પાંચ વાગે ત્યારે તાળી વગાડવી કે થાળી તેનો નિર્ણય તમે હજી નહી લીધો હોય. કાં તો કોણ તાળી વગાડે છે અને કોણ થાળી વગાડે છે એ જોવા માટે તમે સાંજે કઈ બારીમાં જવું તે અંગે વિચારતા હશો. કોરોનાવાઇરસ વિષે આપણે એટલી બધી વાતો, વિચારણા, ચર્ચાઓ સાંભળી, જોઇ અને ફોનમાં રિસીવ કરી છે કે એવું લાગે કે કોરોના સાથે આપણે એક-બે મહિનાનો નહીં પણ સદીઓનો નાતો હશે. ક્યાંક એવો વિચાર પણ ફરતો હશે કે માળું આ ક્યારે જશે? હૉલીવુડની ફિલ્મોમાં જ્યારે પણ કોઇ વૈશ્વિક આફત આવી પડે ત્યારે મોટે ભાગે તો તે અમેરિકા પર જ આવી હોય અને પછી આખી દુનિયામાં પહોંચી જાય અને અંતે અમેરિકન હિરો તેને બચાવી લે. જો કે વાસ્તવિકતામાં જ્યારે વિનાશી વાઇરસ પેદા થયો ત્યારે તે થયો ચીનમાંથી, જે અમેરિકાનો સૌથી પહેલો સ્પર્ધક દેશ છે. ઇતિહાસમાં ઘણીવાર રોગચાળાઓ ફાટી નીકળ્યા છે જેમાં ભારે તારાજી સર્જાઇ હોય અને હજ્જારો, લાખો લોકો મોતનો કોળિયો થઇ ગયા હોય. દિવસે દિવસે આધુનિકીકરણનો આશરો લઇને ઝડપી બની રહેલી દુનિયા ક્યાં સુધી આવા રોગચાળાઓ કે વિચિત્ર વાઇરસો સામે લડ્યા કરશે, તેવો સવાલ પણ આપણને થાય તે સ્વાભાવિક છે. વળી એક તરફ કર્ફ્યુનો માહોલ ખડો કરવામાં નાગરિકોને અપીલ કરાતી હોય ત્યારે એમ કહેવું કે બની શકે કે આપણું વિશ્વ જે પ્રકારની મહામારી કે રોગચાળામાંથી પસાર થઇ રહ્યું છે તેવો વિનાશી વાઇરસ કે રોગચાળો કદાચ ફરી ક્યારે ય આપણે વેઠવો નહીં પડે. આટલા વિશાળ કદમાં વિસ્તરે તેવા રોગચાળાઓ ફરી ક્યારે ય નહીં ત્રાટકે. 

માણસ જાતને ‘સર્વાઇવલ’નો મોહ હોય છે. કુદરતે ઘડેલાં બધાં જ પ્રાણીઓમાં સૌથી વધુ વિચક્ષણ માણસ જાતને પોતે કોઇપણ ચીજ પર જીત મેળવી શકે છે એ આખી ય બાબતનું એક જુદું જ ગુરુર હોય છે. ડાર્વિનનાં ઉત્ક્રાંતિ વાદ ‘સર્વાઇવલ ઑફ ધી ફિટેસ્ટ’ની વ્યાખ્યામાં માણસ જાત પરફેક્ટ્લી બંધબેસે છે. કમ્પ્યુટર ટૅક્નોલોજીમાં જે રીતે વિકાસ થઇ રહ્યો છે તે ઘણીબધી અપેક્ષા વધારે તે સ્વાભાવિક છે. વળી સિન્થેટિક બાયોલૉજીનાંનાં ક્ષેત્રમાં આગામી દોઢ દાયકામાં ક્રાંતિકારી સંશોધનો થશે. બાયોટેક્નોલૉજીને કારણે વાઇરસ પ્રકારનાં પાથોજીન્સનું નિદાન અને પરખ ઘણાં ઝડપી થયાં છે. તમે જ કલ્પના કરો કે આ વાઇરસને પારખવામાં આજથી વીસ વર્ષ પહેલાં આપણને કેટલી વાર લાગી હોત? અહીં આપણે એટલે કે વિશ્વએ અત્યારનાં તબક્કે એટલી પ્રગતિ તો કરી જ છે કે વાઇરસને પારખી તેને માટે શું થઇ શકે તે સમજવામાં આપણને સમય નથી લાગી રહ્યો. હા, એન્ટિવાઇરસ વેક્સિન શોધવાની દિશામાં હવે સંશોધકોની ગતિ વૈશ્વિક સ્તરે ઝડપી બનશે. વાઇરસ મ્યુટેટ થશે અને માણસ તેની સામે કોઇને કોઇ રસ્તો શોધી જ કાઢશે અને ત્યાં સુધી આવી ઊંદર બિલ્લીની રમત ચાલ્યા કરશે.  આપણે ગયા અઠવાડિયે પણ વાત કરી કે છેલ્લા પંદર વર્ષમાં આપણે H1N1, ઇબોલા, સાર્સ, ઝિકા, નિપા અને હવે કોવિડ-19 જેવા અનેક વાઇરસિઝનો સામનો કર્યો છે. વૈશ્વિક સ્તરે સંશોધકો બમણા જોરથી બાયોલોજિકલ અને રોગચાળો ફેલાવતી બાબતોને રોકવા માટે જરૂરી વેક્સિન, દવાઓ શોધવા મંડી પડ્યા છે અને તેઓ ત્યારે જ જંપશે જ્યારે તેમને કોઇ સંતોષકારક ઉકેલ મળી શકશે. કારણ કે ડાર્વિનના ઉતક્રાંતિવાદનાં સૌથી અગત્યનાં નિયમને ટેકો આપવામાં માણસજાત ક્યારે ય પાછી નથી પડતી.

કોરોનાને કારણે બીજું બધું કોરાણે

કોરોના સિવાય આપણે ભાગ્યે જ કોઇ બીજી વાત કરીએ છીએ કે કોઇ બીજા સમાચાર કે ચર્ચા આપણી દિનચર્યાનો ભાગ બનશે. આજથી વીસ વર્ષ પછીની પેઢી કોરોનાને યાદ કરીને એમ કહેશે કે ત્યારે તો એક મહિના પછી દવા શોધવાની વાતો ચાલી હતી હવે તો બધું ઘડીના છઠ્ઠા ભાગમાં થઇ જાય છે. કોરોનાને જરા કોરે મુકીએ તો તમને યાદ કરાવું કે જે બધી ચર્ચાઓ મહિના પહેલા આપણા બધાં જ પ્રકારના કોમ્યુનિકેશનનો ભાગ હતી તે કોણ જાણે ક્યાં ઊડી ગઇ. ભંગાર બજેટ, સી.એ.એ., એન.સી.આર., કાશ્મીર, ખાડે ગયેલી રાષ્ટ્રીયકૃત બેંક્સની વાતો કરતા આપણે થાકતા નહોતા. દેશની ચિંતા અને દેશનું હિત તરફેણ કરનારા અને વિરોધ કરનારાઓની વાતોનો વિષય હતો, અને હવે? કોણ છીંક ખાય છે અને કોને ખાંસી આવી રહી છેની ચિંતાથી માંડીને કોણે ક્યારે હાથ ધોયા હશેનો પ્રશ્ન જ આપણને સતાવી રહ્યો છે. આને કહેવાય કરિશ્મા કુદરત કા, બીજું તો શું વળી.

અત્યારે જે રીતે ૨૧મી સદીમાં આખું વિશ્વ રોગચાળાના સંકજામાં સપડાયું છે તેને પગલે એકેએક સરકાર, બધી જ રિસર્ચ લેબ્ઝ, જિનેટિક સાયન્સ પર કામ કરનારા વૈજ્ઞાનિકોથી માંડીને ફાઉન્ડેશન્સ પણ જાહેર સ્વાસ્થ્યનાં ક્ષેત્રમાં પોતાનાથી બનતું બધું જ જોર લગાડીને કામ કરશે એ નક્કી છે. પરિણામે ભવિષ્યની પેઢી એક એવું વિશ્વ મેળવશે જ્યાં રોગચાળા, ચેપી રોગો કે વાઇરલ બિમારીઓનું પ્રમાણ, પ્રભાવ અને વિસ્તારનું કદ ઘણું નાનું હશે.

વાઇરસિઝ ઘાતક હોઈ શકે છે, પણ તે કેટલાક પ્રોટીન અને ખૂબ જ થોડા પ્રમાણમાં હાજર  જિનેટિક મટીરિયલથી બનેલા હોય છે. વાઇરસની હાજરી એકવાર વર્તાય પછી તેનું બંધારણ તેના લક્ષણ વગેરે ઘણી સરળતાથી નાણી શકાય છે. જ્યારે સાર્સ વાઇરસે ભરડો લીધો ત્યારે વૈજ્ઞાનિકોને તેનું બંધારણ કેટલા ન્યુક્લેઓટાઇડ્ઝનું છે અને કઇ શ્રેણીમાં તે બંધારણ છે તે જાણવામાં એકથી વધારે મહિનાનો સમય લીધો હતો. તેની સરખામણીએ ચાઇનિઝ વૈજ્ઞાનિકોને સાર્સ-કોવ-૨ વિષે એ જ માહિતી મેળવવામાં એક મહિનાનો સમય લાગ્યો જેનું જીનોમ બંધારણ પણ સાર્સ વાઇરસના કદને મળતું જ છે. સાર્સ વાઇરસનાં જીનોમનાં બંધારણમાં ૨૯,૨૭૨ ન્યુક્લેઓટાઇઝ્ડ હતા. વૈજ્ઞાનિકો આ ઝડપથી કરી શક્યા કારણ કે તેમની પાસે પહેલા કરતાં બહેતર ટેક્નોલૉજી છે, જીનોમની શૃંખલા સમજવા માટે વપરાતું કમ્પ્યુટિંગ આજથી વીસ વર્ષ પહેલાં હતું તેના કરતાં ઝડપી છે અને મશિનરીની ક્ષમતા પણ કંઇક ગણી વધારે છે. 

સાર્સ-કોવ-૨નાં જીનોમ વિષે ખ્યાલ આવ્યો તેનાં ૪૨ દિવસમાં જ મોડેર્ના થેરાપ્યુટિક્સ નામની મેસેચ્યુએટ્સની બાયોટેક કંપનીએ યુ.એસ.એ.નાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝમાં ક્લિનિકલ ટ્રાયલ્સ માટે વેક્સિન્સ મોકલી આપ્યા જેની ટ્રાયલ્સ એપ્રિલમાં શરૂ થઇ શકશે. વાઇરસે પોત પ્રકાશ્યું તેના અઠવાડિયામાં જ કંપનીએ વેક્સિન ડિઝાઇન કરી લીધા હતા. તમે કલ્પી શકો છો કે આ ગતિની સરખામણી આજથી પંદર વર્ષ પહેલાનાં સંજોગોમાં કરીએ તો ત્યારે હજી સંજોગો ઘણાં અલગ હતા. આટલી ઝડપથી સંશોધન કે ટ્રાયલ થાય એ ત્યારે કલ્પના બહારની વાત હતી. બદલાયેલા પરિમાણોને કારણે વેક્સિનનાં સંશોધન અને બજારમાં તેની ઉપલબ્ધિ વચ્ચેનો સમયગાળો ઉત્તરોઉત્તર ઘટી રહ્યો છે અને આવનારા વર્ષોમાં તે હજી ઘટશે.

ઘણાં સાદા વાઇરસિઝની દવાઓ હજી નથી શોધાઇ પણ તેનો અર્થ એમ નથી કે તે નહીં  શોધાય કારણ કે વાઇરસિઝ અને વેક્સિનનાં સશોધનકર્તાઓએ હવે મંઝિલે જ પહોંચવાની વાર છે, ત્યાં સુધી પહોંચવાની એક કરતા વધુ કેડીઓ કપ્યુટિંગ, સોફ્ટવેર, મશિનરી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ તથા બાયોઇન્ફોર્મેટિક્સમાં થયેલા વિકાસને પગલે કંડારાઇ ચૂકી છે. 

માણસજાત અને સંસ્કૃતિઓનાં ઇતિહાસમાં આવા રોગચાળાઓ એક ઊંડો ઘા બનીને રહી જાય છે એ પણ એક હકીકત છે. પોલિયો, સ્મૉલપૉક્સ, ટાઇફસ, પ્લેગ વગેરેને આપણે કોઇને કોઇ રીતે નાથ્યા છે. પણ ફ્લુ જેવી સામાન્ય બિમારી ઘાતક બની શકે છે અને તે પણ સંકુલ બની રહી છે. ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુમાં ૫૦ મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા. આધુનિક યુગમાં હજારો લોકો મુસાફરી કરે છે, એક બીજાનાં સંપર્કમાં આવે છે ત્યારે આવો ચેપી વાઇરસ પણ આધુનિકતાની ગતિથી ફેલાઇ શકે છે. અંગ્રેજી ફિલ્મ કંન્ટેજિયનમાં આવા જ વાઇરસનાં હુમલાની વાત છે જે આજની પરિસ્થિતિ સાથે મેળ ખાય છે. ધી ન્યુ યોર્કરનાં સ્ટાફ રાઇટર લોરેન્સ રાઇટે લખેલા પુસ્તક ‘ધી એન્ડ ઑફ ઑક્ટોબર’માં પણ આવા જ ફ્લુની વાત છે જેમાં લોકો પર તવાઇ આવે છે. વાસ્તવિકતાએ કલ્પના કરતા વિચિત્ર હોય છે એ કંઇ અમસ્તા જ નથી કહેવાયું. આપણે પોતપોતાને સલામત લાગતા સ્થળોએ બંધ છીએ અને ચાહીએ છીએ કે આ જે છે તે ચાલ્યું જાય પણ શું માણસ તરીકે આપણે ક્યાં ‘વીક લિંક’ બન્યા તે વિચારવાની તસ્દી આપણે લઈ શકીશું?

બાય ધી વેઃ

વાઇરસિઝ, પેથોજીન્સ અને બેક્ટેરિયા આમ તો માણસ જાતની બધા જ પ્રકારની યોજનાઓને ઊંઘી વાળવા પોતાની રીતે પ્રયાસ કર્યા કરશે. વળી આપણે એ પણ સ્વીકારવું રહ્યું કે જંગલોનાં ઘટવાથી, પર્યાવરણમાં સતત અસંતુલન આવવાથી આ સંકટોમાં વધારો થયો છે. અહીં હાથના કર્યા હૈયે વાગ્યા છેનો જ મામલો છે પણ જીવવાની ભૂખ માણસજાતને આવા કંઇક વાઇરસો સામે લડવા તૈયાર કરશે. સાથે એટલી જ ઇચ્છા કે વાઇરસને નાથવાની સફળતાની સાથે સાથે માણસને એ સમજણ પણ મળે કે કુદરતનાં સંતુલનને જાળવવું કેટલું અનિવાર્ય છે. આખી દુનિયા સંશોધનો કરે ત્યારે આપણે ગૌમુત્ર અને ગો કોરોનાનાં મંત્રોથી કામ ન ચલાવીએ તો સારું, બાકી વિદેશ જઇને સ્થિત થયેલા ભારતીયો સફળ થશે ત્યારે પોલાં સાંબેલાથી ફિફાં ખાંડવા સિવાય આપણે બીજું કંઇ નહીં કરી શકીએ તો એક રાષ્ટ્ર તરીકે અફસોસની વાત રહેશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 માર્ચ 2020

Loading

અંગ્રેજોના કારણે આપણને આપણી પરંપરાનો સમગ્રતામાં પરિચય થયો !

રમેશ ઓઝા|Opinion - Opinion|22 March 2020

ભારતને જોવાના અને ભારત સાથે કામ પાડવાના અંગ્રેજો અને કુલ મળીને યુરોપિયનોના ચાર અભિગમ હતા એ અહીં કહેવામાં આવ્યું છે. એમાં એક વર્ગ પૌરાત્યવાદીઓનો પણ હતો. આમાં મુક્ત અભ્યાસીઓ હતા અને કેટલાક મિશનરીઓ પણ હતા. પાશ્ચાત્યવાદી અને સામ્રાજ્યવાદી મૅકોલેએ ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવામાં આવે એની વકીલાત કરતા કહ્યું હતું કે જો ભારતના સમગ્ર પૌર્વાત્ય સાહિત્યને એકઠું કરવામાં આવે તો એક કબાટ પણ મોટો પડે! પણ મૅકોલે તો કેટલાક પ્રકારના પૂર્વગ્રહો સાથે ભારતને જોનારો હતો. જે લોકો ભારતમાં રહીને ભારત સાથે કામ પાડતા હતા તેમાંના કેટલાકને અખાનું વચન ટાંકીને કહીએ તો ‘છીંડું શોધતા લાધી પોળ’ જેવો અનુભવ થયો હતો.

ભારતને અને ભારતની પરંપરાને સમજવા માગતા મિશનરીઓ બે પ્રકારનું વલણ ધરાવતા હતા. કેટલાક એટલા માટે આમાં પ્રવેશ્યા હતા કે હિંદુ ગ્રંથોનો હવાલો આપીને કહી શકાય કે જુઓ તમારી પરંપરા ખાલી અને ખોખલી છે. ખોખલાપણાના પ્રમાણો શોધવા માટે. આ સારુ તેઓ સંસ્કૃત શીખ્યા હતા. તેમણે જ્યારે તેમાં પ્રવેશ કર્યો ત્યારે તેમને આશ્ચર્ય થયું હતું. વેદ, ઉપનિષદ, સાંખ્ય, વૈશેષિક દર્શન, ન્યાય, વ્યાકરણ, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, શ્રમણદર્શન, શાકુન્તલ જેવું સંસ્કૃત સાહિત્ય તેમ જ કાવ્યશાસ્ત્ર, આયુર્વેદ, શિલ્પ અને સ્થાપત્યશાસ્ત્ર, સંગીત વગેરેનો અભ્યાસ કર્યો ત્યારે તેઓ મોંમાં આંગળા નાખી ગયા હતા. તેમનામાં જે લોકો જિજ્ઞાસાવૃત્તિ ધરાવતા હતા તેમણે હિંદુ ધર્મના ખોખલાપણાના પ્રમાણો શોધવાનું બાજુએ મૂકીને તેનો ઊંડો અભ્યાસ કરવા માંડ્યો હતો. આ ઉપરાંત મિશનરી નહોતા એવા સ્વતંત્ર વિદ્વાનો પણ ભારતમાં રસ લેતા થયા હતા. જે કેવળ ધર્મપ્રચારક હતા તેઓ હિંદુ ધર્મને નિંદવા માટે પુરાણોનો આશરો લેતા થઈ ગયા હતા. હિંદુ ધર્મને નિંદવા માટે હવે તેઓ માત્ર પુરાણોની ગાંડીઘેલી વાતોનો જ તેઓ આશરો લઈ શકે એમ હતા. 

એમ કહેવાય છે કે પોંડીચેરીના મિશનરીઓએ ફ્રેંચ ભાષામાં યજુર્વેદનો તેમને ફાવ્યો એવો કાચોપાકો અનુવાદ કર્યો હતો જે L’ezour Vedamના નામે પ્રકાશિત કર્યો હતો અને તે ફ્રેંચ ફિલસૂફ વોલ્તેરના વાંચવામાં આવ્યો હતો. સન ૧૭૩૨માં સંસ્કૃતનો વ્યાકરણગ્રંથ લખવામાં આવ્યો હતો જે ૧૭૯૦માં રોમમાં છપાયો હતો. ૧૮૧૭માં એબે જે. એ. દુબોઇસ નામના અભ્યાસીએ ‘હિંદુ મેનર્સ, કસ્ટમ્સ એન્ડ સેરિમનીઝ’ નામનો ગ્રંથ લખ્યો હતો. ૧૭૬૦માં ઍન્ક્વેફિલ દુપરોન નામનો અભ્યાસી યુવક ભારત આવ્યો હતો જે સંસ્કૃત અને ફારસીની ૮૦ જેટલી હસ્તપ્રતો ફ્રાંસ લઈ ગયો હતો. એમાં એક હસ્તપ્રત દારા શિકોહે ઉપનિષદોનો ફારસી ભાષામાં કરેલો અનુવાદ હતો. ઍન્ક્વેફિલ દુપરોને તેનો ‘Oupnekhat’ (ઉપનિષદ્) એવા શીર્ષક સાથે લેટિનમાં અનુવાદ કર્યો હતો જે વાંચીને જર્મન ફિલસૂફ આર્થર શોપેનહાર અભિભૂત થઈ ગયો હતો જેની વાત આ શ્રેણીમાં કહેવાઈ ગઈ છે. 

જોહાન ફિક્ટે, પૉલ ડૂસાન જેવા વિદ્વાનોએ વેદાંતનો અનુવાદો દ્વારા જગતને પરિચય કરાવ્યો. ડૂસાને તો વેદાંતને જગતનું સૌથી મોટું સત્ય માન્યું હતું. ‘મનુસ્મૃતિ’નો અનુવાદ જ્યારે વિશ્વપ્રસિદ્ધ ફિલસૂફ નિત્શેના વાંચવામાં આવ્યો ત્યારે તેણે તેને બાઈબલ કરતાં પણ મહાન ગ્રંથ તરીકે ઓળખાવ્યો હતો. તેના શબ્દોમાં : A work which is spiritual and superior beyond comparison, which even name in one breath with the Bible would be a sin against the holy ghost.”

અહીં વાંચકોને એક ચેતવણી આપવી જરૂરી છે. પશ્ચિમના વિદ્વાનોએ આપણા ગ્રંથોની સરહના કરી છે એનો અર્થ એવો નથી કે એ બધા ગ્રંથો ખામીરહિત સંપૂર્ણ છે. કોઈ એમ ન માને છે નિત્શેએ જેને બાઈબલ કરતાં ચડિયાતો ગ્રંથ માન્યો છે એટલે ‘મનુસ્મૃતિ’નું પ્રત્યેક વચન ગ્રાહ્ય છે અને દલિતો અને નારીવાદીઓ તેને નાહક નિંદી રહી છે. નિત્શે આમ પણ ચોકાવનારા વિધાનો કરવા માટે ખ્યાતિ ધરાવતો હતો. પ્રત્યેક ગ્રંથ તેના સ્થળ અને કાળ દ્વારા પ્રભાવિત હોય છે, પણ તેનું પ્રમાણ ઓછુંવધતું હોય છે. જેટલી સ્થળ-કાળ બાધકતા ઓછી એટલો એ ગ્રંથ મહાન. આ દૃષ્ટિએ મૂલવીએ તો ઉપનિષદોમાં સ્થળ-કાળ બાધકતા ઓછામાં ઓછી છે, કદાચ નહીંવત્ છે એટલે એ સર્વકાલીન ગ્રંથ મનાય છે, જ્યારે ‘મનુસ્મૃતિ’ સમાજિક નીતિનિયમોનો ધર્મગ્રંથ હોવાને કારણે તેમાં સ્થળ-કાળ બાધકતા સૌથી વધુ છે. વાચકે આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે.  

બીજું પશ્ચિમની આંખે આપણે આપણી જાતને સરાહવાની કે નિંદવાની માનસિકતા છોડવી જોઈએ. આપણે આપણી આંખ વિકસાવવી જોઈએ, જે રીતે પશ્ચિમના વિદ્વાનોએ પોતાની આંખે ભારતીય વિચાર-વ્યાપારને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તો પૂર્વગ્રહો સાથે પ્રાચ્યવિદ્યામાં પ્રવેશ કર્યો હતો અને દિવસના અંતે તેમાંના કેટલાક પ્રાચ્યવિદ્યાના સૌથી મોટા અભ્યાસી પ્રવક્તા બની બેઠા હતા. તેમના થકી આપણને આપણી પરંપરાનો સમગ્રતામાં પરિચય થયો હતો, બાકી આપણે તો સંપ્રદાય સાહિત્યના અભ્યાસથી આગળ વધતા જ નહોતા. બીજાનું વાંચવું શું, અડવું એ પણ પાપ ગણાતું હતું. એનો અર્થ એવો નથી કે પશ્ચિમના કોઈ વિદ્વાન પૂર્વગ્રહદુષિત નહોતા. ઘણા હતા અને તેનાથી પણ આપણે બચવાનું છે.

આમ છતાં ય ભારતને સમજવામાં પશ્ચિમના વિદ્વાનોએ જેટલા પ્રમાણમાં પૂર્વગ્રહ છોડ્યા છે, જિજ્ઞાસા બતાવી છે, જહેમત ઊઠાવી છે, મુક્ત મને અભિપ્રાયો બદલ્યા છે, ભૂલ કબૂલ કરી છે એટલું આપણા વિદ્વાનોએ પશ્ચિમની બાબતમાં તો નથી કર્યું, આપણી પોતાની બાબતમાં પણ નથી કર્યું. દ્વૈતી ગુરુ પહેલા જ દિવસે શિષ્યને કહી દેશે કે અદ્વૈત તરફ નજર નહીં કરવાની. એનાથી શંકા પેદા થશે, શંકા અશ્રદ્ધા પેદા કરશે અને અશ્રદ્ધા પાતકનું કારણ છે. તો કહેવાનું તાત્પર્ય એટલું જ કે આપણે આપણો સારાસાર વિવેક વિકસાવવો જોઈએ. જ્ઞાનસાધનાની પાશ્ચાત્ય પરંપરામાંથી ઘણું અપનાવવા જેવું છે. માટે નિત્શે જેવા વિદ્વાનોના અભિપ્રાયોને માથે મૂકીને નાચવાની જરૂર નથી.

વાચકોને અહીં જ સંકેત આપી દઉં કે જ્યારે આપણે આગળ ભારતે પશ્ચિમને કઈ નજરે જોયું તેની ચર્ચા કરીશું ત્યારે આ પ્રશ્ન કેન્દ્રવર્તી બનવાનો છે. અત્યારે તો આપણે પશ્ચિમે ભારતને કઈ નજરે જોયું અને તેઓમાં કેવા અભિગમ પ્રવર્તતા હતા તેની વાત કરી રહ્યા છીએ. સામ્રાજ્યવાદીઓ, પશ્ચિમી સભ્યતાવાદીઓ, ખ્રિસ્તી ધર્મવાદીઓ અને ભારત માટે કુણું સહાનુભૂતિપૂર્વકનું વલણ ધરાવનારા પૌર્વાત્યવાદીઓ એમ ચાર વલણ ધરાવનારા લોકોએ ખૂબ ચર્ચા કરી હતી. તેઓ સત્તામાં હતા અને તેઓ સમર્થ હતા એટલે પહેલું ડગલું તેઓ માંડતા હતા અને ભારતીય પ્રજા ગુલામ હોવાને કારણે અને સામર્થ્યહીન હોવાને કારણે તેણે પ્રતિક્રિયારૂપે ડગલું માંડવાનું હતું. ડગલું માંડનારાઓ તો ડગલાં માંડીને અને છેવટે પગ ખેંચીને જતા રહ્યા, પરંતુ પ્રતિક્રિયારૂપે ડગલું માંડવાની સમસ્યા એવડી મોટી હતી કે તેનાથી આજે પણ ભારતીય માણસ મુક્ત થઈ શક્યું નથી એની વાત તો હવે પછી આવશે.

હવે મૂળ વિષય પર પાછા ફરીએ વારેન હેસ્ટિગ્સ કંપની સરકારનો ભલે સત્તાવારપણે નિયુક્ત નહીં થયેલો, પણ પહેલો ગવર્નર જનરલ હતો. તેને પોતાને પ્રાચ્યવિદ્યાઓમાં ખૂબ રસ પડ્યો હતો. તેના ધ્યાનમાં આવ્યું હતું કે જ્યારે આપણે ભારતીય પ્રજા પર શાસન કરી રહ્યા છીએ અને સામ્રાજ્યનો વિસ્તાર થઈ રહ્યો છે ત્યારે પહેલી જરૂરિયાત તો ન્યાયતંત્રની પડવાની છે. શિક્ષણની બાબતમાં રસ ન લઈએ તો ચાલે પણ ન્યાય તો કરવો જ પડે. એ ન ટાળી શકાય. એ સમયે બ્રિટિશ ન્યાયપદ્ધતિ ભારતમાં દાખલ થઈ શકે એમ નહોતી એટલે વારેન હેસ્ટિગ્સે હિંદુઓના ધર્મશાસ્ત્રોનો અનુવાદ પહેલાં ફારસીમાં અને એ પછી અંગ્રેજીમાં કરાવ્યો હતો. એવી જ રીતે મુસલમાનોના ગ્રંથોના પણ અનુવાદ કરાવ્યા હતા. આને કારણે પણ ભારતીય સમાજને સમજવા માટેની પશ્ચિમને નવી દૃષ્ટિ મળી હતી. અંગ્રેજ જજો, અંગ્રેજ વકીલો અને અદાલતમાં ખાસ બેસાડવામાં આવતા હિંદુ પંડિતો અને મુસ્લિમ મૌલવીઓ વચ્ચે ખાટીમીઠી ચર્ચા ચાલતી રહેતી. આ ત્યાં સુધી ચાલ્યું જ્યાં સુધી બ્રિટિશ ન્યાયપદ્ધતિ ભારતમાં સંપૂર્ણપણે લાગુ નહોતી કરવામાં આવી.

સર ચાર્લ વિલ્કિન્સ અને સર વિલિયમ જોન્સે મળીને ૧૭૮૪ની સાલમાં કલકત્તામાં એશિયાટિક સોસાઈટીની સ્થાપના કરી હતી. પ્લીઝ સાલ નોંધી લો. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી હજુ તો રાજ પાપા પગલી ભરતું હતું ત્યારે વારેન હેસ્ટિગ્સની સહાયથી એશિયાટિક સોસાયટીની સ્થાપના થઈ ગઈ હતી. આને કહેવાય પામવાની જિજ્ઞાસા. જેનું શોષણ કરવામાં આવતું હતું, જેને ગુલામ બનાવવામાં આવતા હતા, જેના સ્થાનિક ઉદ્યોગો તોડી નાખવામાં આવતા હતા, જેનો કાચો માલ અને બજાર કબજે કરવામાં આવ્યાં હતાં, જ્યાં ભારતીય રાજવીઓ સામે યુદ્ધો કરવામાં આવતાં હતાં, જ્યાં હિંસા આચરવામાં આવતી હતી, જ્યાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવતી હતી; એની વચ્ચે ભારતને પામવાનો એટલો જ ભગીરથ પ્રયત્ન કરવામાં આવતો હતો.

ચાર્લ્સ વિલ્કિન્સ સંસ્કૃત શીખવા ખાસ બનારસ ગયો હતો અને તેણે ભાષા શીખીને ભગવત્ ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. તેણે મહાભારતનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ પણ હાથમાં લીધું હતું, પરંતુ તે પૂરું થઈ શક્યું નહોતું. તેણે બંગાળી ભાષાનું વ્યાકરણ લખ્યું હતું અને છાપખાના માટે બંગાળી બીબાં તૈયાર કર્યાં હતા. વિલિયમ જોન્સે કાલિદાસના અભિજ્ઞાનશાકુન્તલનો ઈ. સ. ૧૭૮૯માં ‘Sacontala or The Fatal Ring’ એવા શીર્ષક હેઠળ અનુવાદ કર્યો હતો જે વાંચીને જર્મન કવિ જોહાન્ન ગોથે નાચી ઊઠ્યો હતો એમ કહેવાય છે. વિલિયમ જોન્સે ભારતીય ભાષાશાસ્ત્રનો અને ધ્વનિશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. એ પછી તો કોલ બ્રૂકથી લઈને મેક્સમૂલર સુધીના અનેક વિદ્વાનો પ્રાચ્યવિદ્યાના અભ્યાસમાં જોડાયા હતા.

અહીં રામધારી સિંહ દિનકરનાં પુસ્તક ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’ના આધારે માત્ર આચમન કરાવવામાં આવ્યું છે. બાકી પાશ્ચાત્ય વિદ્વાનોની પૌર્વાત્ય સાધનાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછા વીસ લેખ લખવા પડે એટલું વ્યાપક કામ તેમણે કર્યું છે. જે તે જ્ઞાનશાખામાં અને બહુવિધ જ્ઞાનશાખાઓ (ડિસીપ્લીનરી એન્ડ મલ્ટી-ડિસીપ્લીનરી) વિદ્વત-વ્યાપાર કેમ ખેડાય એ પશ્ચિમના વિદ્વાનોએ આપણને શીખવ્યું હતું. તેમની ભારતભક્તિ અને તેમની જ્ઞાનસાધના કેવી મોટી અને ગંભીર હતી એનો પરિચય કરાવવા એ યુગમાં બ્રિટનમાં ‘મેધાવી અંગ્રેજ એટલે બ્રાહ્મણ અંગ્રેજ’ એવી એક કહેવત વપરાતી થઈ હતી. 

આ વાંચીને જરૂર હરખાશો, પણ મિથ્યાભિમાન મમળાવશો નહીં; કારણ કે પશ્ચિમને કઈ નજરે નિહાળવું અને તેની સાથે કઈ રીતે કામ પાડવું એમાં આપણે ગોથા ખાવામાં કાંઈ બાકી રાખ્યું નથી.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 માર્ચ 2020

Loading

...102030...2,5452,5462,5472,548...2,5602,5702,580...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved