Opinion Magazine
Number of visits: 9456469
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એને અજવાળે 

સુશીલા મણિલાલ ગાંધી|Gandhiana|13 February 2025

હસાવતું કોમળ મુક્ત હાસ્ય 

આનંદ વર્ષા ઝડીઓ ઝરી રહે. 

આંખે ભર્યો પ્રેમ તણો પ્રકાશ

ચમકાવતો માનવ મેદની વહે 

અને અંતરેથી તપ વારિ કેરા

અનેક ધારે ઊડતા ફૂવારા

સુશીલા મ. ગાંધી

એ પ્રેમળ મુક્ત હાસ્ય આપણી સમક્ષથી સદાને માટે લુપ્ત થયું. અને પંચ મહાભૂતોમાં વિલિન થયું. મહાત્મા ગાંધીને જગતે ઘણી અંજલિઓ આપી. એમના જીવન જેટલા જ એમના બલિદાને એમને મહાન બનાવ્યા, એમની મહત્તા વધી. લોકોએ એમની મહત્તા જોઈજાણી હતી. એમનું જીવન ઉઘાડી કિતાબ હતું. જો કે ઘણા તેમના વિચારો, તેમનાં કાર્યો, લખાણો, સમજી નહોતા શક્તા. છતાં સર્વેને મન તેઓ એક મહાન અદ્ભભુત વ્યક્તિ – મહાત્મા ગાંધી હતા.

બાપુને જેમ જગત મહાન યુગ પુરુષ માને છે તેમ અમે પણ માનીએ છીએ. બાપુ જ્યારે ટોળાંઓથી ઘેરાએલા હોય અથવા કામ કરતા હોય ત્યારે અમને એમ લાગતું કે બાપુ અમારાથી ઘણા દૂર છે—બાપુ મહાત્મા છે—તેઓ એવી ટોચ ઉપર છે કે જ્યાં જવું અમારે માટે અશક્ય છે ત્યારે શ્રદ્ધાથી તેમનાં ચરણોમાં અમે બેસતાં, અને જ્ઞાન શ્રવણ કરતાં. પણ જ્યારે બાપુ સૂવા જતા અથવા જમતા એકલા હોય ત્યારે અમે પાસે બેસતાં, પગ દાબતાં, ત્યારે અમને લાગતું કે અમે અમારા બાપુ પાસે છીએ. ત્યારે અનેક મીઠી મશ્કરીઓ જેમ બાળક મા પાસે કરે તેવી કરતાં. અનેક લાડ કરતાં. આવે સમયે જ બાપુ પાસે રહેનારને બાપુનો મીઠો પ્રેમ મળતો.

ગાંધીજીના બે રૂપ હતાં. એક મહાત્મા ગાંધીનું વિશાળ રૂપ અને બીજું અમારા વ્હાલસોયા બાપુનું સુક્ષ્મ રૂપ. મહાત્મા ગાંધીને ઘણાએ જાણ્યા છે. પણ બાપુને જાણવાનો લ્હાવો થોડાને મળ્યો છે.

બાપુ અમારાં બાળકોના પ્રેમાળ દાદા હતા, અંધકારમાં ઘેરાએલા માર્ગના તે માર્ગદર્શક દીપક હતા. અને અમારા કુટુંબના—અને કુટુંબ એટલે ફકત અમે જ નહીં પણ તેમનો વિશાળ પરિવાર – કે જેઓએ તેમને બાપુ માન્યા હતા તેમના – પૂજનીય વડીલ હતા.

બાપુ હંમેશાં ઘણાં કામમાં રહેતા. અમને વાતો કરવાનો ભાગ્યે જ વખત મળતો. ઘણી વાર અમને એવી ભ્રમણા થતી કે અમારા બાપુને જનતાએ અમારી પાસેથી ખૂંચવી લીધા છે. પણ તેમનો અમારા પ્રત્યેનો અતૂટ પ્રેમ – અમારે માટેની તેમની ચિંતા અમારી ભ્રમણા ભાંગતી. અસંખ્ય કામમાં પણ અમે ક્યાં જઈ રહ્યાં છીએ, શું કરીએ છીએ, અમારાં બાળકો કેમ ઊછરે છે, તેમના ખાવાપીવા-શરીર આરોગ્ય અને ભણતર વિગેરેની સતત કાળજી રાખતા. અને જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે અમને સલાહ, ઠપકો કે હિમ્મત આપતા. અમારા ખબરો જાણવા તેઓ હંમેશાં આતુર રહેતા. નોઆખલીની યાત્રા વખતે ઘણે લાંબે ગાળે મેં પત્ર લખ્યો. અને તેમાં ઘણે વખતે પત્ર લખ્યાનું કારણ જણાવ્યું, કે “આપ ઘણા કામમાં રહો છે. પત્ર લખી તસ્દી આપવાની ઈચ્છા ન થઈ.”

તેના જવાબમાં બાપુએ લખ્યું કે “મારા ઉપર દયા ખાઈને કાગળ લખવામાં સંકોચ ન રાખો. કોઈ બાપને મેં જાણ્યો નથી જે પોતાના દીકરા દીકરીના કાગળોથી કંટાળે. તમારા કાગળોથી અને તમને મળીને સ્વાભાવિક જ મને આનંદ થાય.”

આમાં તેમનો કેટલો પ્રેમ નીતરે છે! આજે એવા અસંખ્ય મીઠા પ્રસંગો આંખ આગળ તરે છે અને આંખ ભીની થાય છે.

[11 ફેબ્રુઆરી 2025]

•

સૌથી પહેલું મીઠું સ્મરણ મેં નવા સંબંધી તરીકે આશ્રમમાં પ્રવેશ કર્યો, ત્યારનું આજે આંખ આગળ ખડું થાય છે. બાપુ સાથે સંકળાયેલાં મારાં છેલ્લાં એકવીસ વર્ષનાં જીવન સ્મરણો આંખ સામેથી ચિત્રપટની જેમ સરી જાય છે. મેં જ્યારે નવવધૂ તરીકે આશ્રમમાં પ્રવેશ કર્યો ત્યારે અનેક કામમાં હોવા છતાં બાપુએ જોઈ લીધું કે ત્યાંની બાફેલી રસોઈ મારે ગળે નથી ઊતરતી. મને નજીક બોલાવી પ્રેમભરી વાણીમાં જણાવ્યું : “સુશીલા, હું તારો સસરો નથી. બાપુ જ છું. તારે મને વગર સંકોચે તારી જરૂરિયાતો જણાવવી જોઈએ.” મારા પતિને બોલાવી મીઠો ઠપકો આપતા કહ્યું, “મેં તને પરણાવ્યો. હવે તારે સુશીલાને સંભાળવી જોઈએ. પારકી દીકરી લાવ્યા છીએ. તે કોચવાય નહીં એ જોવાનું તારે રહ્યું.”

મણિલાલ અને સુશીલા ગાંધી

હું ક્ષણભર વિચારમાં પડી. બાપુને આ પ્રસ્તાવના કરવાની શી જરૂર પડી ? ત્યાં બાપુએ મને કહ્યું, “હું જોઈ રહ્યો છું કે તું અહીં બરાબર ખાઈ નથી શકતી. તને આવું ખાવાની ટેવ નહીં’ હોય.” પછી હાસ્ય સાથે, વિનોદ કરતાં કહ્યું, ‘તું તો મોટા ઘરની દીકરી, રોજ પંચ પકવાન ખાતી હશે. પણ મેં તો તને પહેલાં જ જણાવ્યું છે ના કે હું ફકીર છું ?!” અને ગંભીર થતાં ઉમેર્યું : “તને આ ન ફાવે એ હું સમજી શકું છું. અહીં જે ખાનગી રસોડાં છે તેમાં તારી ગોઠવણ હું કરી દઈશ.” મેં સંકોચ સાથે જણાવ્યું : “બાપુ, હું અહીં જ જમીશ. ધીમે ધીમે ભાવતું થશે.” બાપુના ચહેરા ઉપર આનંદ ઝળહળી ઊઠ્યો. તેમણે સંતોષ સાથે કહ્યું : “મને એ બહુ ગમ્યું.” 

એમનો એ આનંદ, એ હાસ્ય, અમને ઘણાં કામો કરવા પ્રેરતાં. એ બાફેલી રસોઈ મને મિષ્ટાન્નથી યે વધારે મીઠી લાગવા માંડી.

અમારાં બાળકોને પ્રેમથી પડખામાં બેસાડતાં. હાસ્ય વિનોદ કરતા, શિખામણો આપતા – ભલે ને બે મિનિટ જ; પણ અમને એ મિનિટો ધન્ય લાગતી. અમે હિન્દુસ્તાનમાં હતાં ત્યારે અમારા બે મોટાં બાળકો – સીતા અને અરુણની – અભ્યાસની જાતે પરીક્ષા લીધી; અને શું શું સારું છે ,શું શું સુધારવાની જરૂર છે એની નાની મોટી સૂચનાઓ આપી. 

અમારી સૌથી નાની દીકરી હંમેશાં બાપુ પાસે દોડી જતી અને વિનોદ કરી આવતી. એક વાર બાપુ લખી રહ્યા હતા. ઇલાએ જઈ બાપુને પૂછ્યું, “બાપુજી, તમે નાના હતા ત્યારે પણ બધાં તમને બાપુ કહેતાં?”

બાપુ હસ્યા, અને રમૂજથી કહ્યું. “ના, ત્યારે તો કોઈ મોહન કહે તો કોઈ મોહનિયો કહે.” ઇલાને ખૂબ મજા પડી. તેણે તો “મોહનિયો, મોહનિયો” કહી નાચવા માંડ્યું. તેનો વિનોદ જોઈ બાપુનું મુક્ત હાસ્ય ૫ણ ખીલી ઊઠ્યું.

[12 ફેબ્રુઆરી 2025]

•

આશ્રમમાં અમારાં એક બાળકને તાવ આવ્યો. બાપુને ખબર પડતાં જ મને બોલાવી, ઝીણી ઝીણી ખાવાપીવાની અનેક સૂચનાઓ આપી. તાવ સાવ સાધારણ હતો; છતાં બાપુની ચિંતા મેં જોઈ. તાવે તો બીજે જ દિવસે અરુણને છોડ્યો. પણ બાપુના પંજામાંથી તે પાંચ છ દિવસ ન છૂટ્યો. પાંચ છ દિવસ ઉપવાસ કે અર્ધ ઉપવાસ ઉપર તેને રાખ્યો હતો. મહા મહેનતે કજિયા કરી છઠ્ઠે દિવસે તેણે બાપુના ખાખરામાંથી એક ખાખરો ખાવાની રજા મેળવી. મેં વિનોદમાં બાપુને કહ્યું, “બાપુ!  હું જો માંદી પડું તો તમને તો જણાવું જ નહીં.” બાપુએ ફક્ત હસતાં હસતાં ડોક હલાવી. જાણે કહેતા ન હોય, “જોઈ લઈશ.”

બાપુ આજે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. આપણે ફરી કદી તેમને જોવા નથી પામવાના. તેમનો પ્રેમાળ હાથ આશીર્વાદ આપતો ફરી આપણા વાંસાને ઠપકારવાનો નથી. છતાં બાપુ આપણાં હૃદયમાં સદા અમર જ રહેશે.

બાપુ પાસે રહેનારને હંમેશાં તલવારની ધારે ચાલવું ૫ડતું. તેઓની ભૂલોનું પ્રાયશ્ચિત બાપુ પોતે જ કરતા. આવા અનેક પ્રસંગોએ સાથીઓને આંસુ પણ સારવા પડતા. સદ્ગત મહાદેવભાઈ જેવાને પણ આંસુ સારવા પડ્યા હતા. સાથીની ભૂલથી બાપુને ઘણું દુ:ખ થતું. તેઓ કદી ગુસ્સે ન થતા. પણ તેમનાં દુઃખભર્યાં વેણ હૃદયમાં સોંસરવા ઊતરી જતાં અને માણસને હંમેશ જાગૃત રાખતા. પોતાની પાસે રહેનારની ઉપર તેઓ ખૂબ કડક રહેતા. એ જ ન્યાય તેમણે હિન્દુ-મુસ્લિમ ઐક્ય માટે લીધો, અને તે એમનો પ્રાણ હરનાર થઈ પડ્યો. મારનારે ધર્મની રક્ષા જરૂર કરી; પણ તે હિન્દુ ધર્મની નહી પણ કંસના ધર્મની.

શ્રીકૃષ્ણને બાળપણથી અનેક કાવતરાં કરી મારવાનો પ્રયત્ન થયો હતો. પણ અંતકાળે પારધીના બાણથી તેમનો દીપક બુઝાયો.

બાપુ માટે પણ તેમ જ બન્યું. આ દેશમાં (દક્ષિણ આફ્રિકામાં) સેવા સ્વીકારી ત્યારથી તેમના ઉપર પ્રાણ હરનારા અનેક હુમલાઓ આ દેશમાં અને હિન્દમાં થયા. પણ આ બલિદાને તેમને કૃષ્ણ અને ઈશુની પંક્તિમાં બેસાડી તેમની અમરતા ઉપર મહોર મારી; અને બાપુ અમર થયા. બાપુને અનેક રૂપે જનતાએ નિહાળ્યા એમ એક કવિ કહે છે :

“પિતા છો દિવ્ય ક્રાંતિના વિરાટ નવયુગના, 

ને છો માતા, અહિંસાની ગોદે જગ લપેટતા, 

બધું છો સૌ ગુલામોના, દેવ છો દુ:ખીયા તણા,

આશા છો વિશ્વ આખાની, છો સર્વસ્વ જ હિંદના.”

અમારા પણ સર્વસ્વ જ હતા તે જતાં અમે આજે અનાથ થયાં છીએ.

એમનાં અનેક મીઠાં સ્મરણો અમારે માટે અને અમારાં બાળકો માટે એક અમૂલ્ય ખજાનો છે; તે સદા અમને બળ અને પ્રોત્સાહન આપતો રહેશે અને અમારી શ્રદ્ધાને અચળ રાખશે. આવા યુગપુરુષના યુગમાં જન્મવા માટે અને તેમની થોડી સેવા કરવા માટે અમે ખરે જ ભાગ્યશાળી છીએ. પણ ખરાં ભાગ્યશાળી ત્યારે જ થશું જ્યારે તેમણે બતાવેલે માર્ગે ડગ ભરતાં ભરતાં તેમના આશીર્વાદને લાયક થઈશું.

13 ફેબ્રુઆરી 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 238, 239 તેમ જ 240

Loading

ઉમદા માનવવાદીની વિદાય !

રમેશ સવાણી|Opinion - Opinion|13 February 2025

જ્યારે કોઈ ક્રૂર ઘટના બને ત્યારે આપણા મોઢામાંથી શબ્દો સરી પડે છે કે ‘એનામાં જરા પણ માનવતા નથી !’ આ માનવતા એટલે સંવેદના / લાગણી / દયા. શું માનવતામાં માનવવાદ આવી જાય છે? ના; પરંતુ માનવતા / દયા / કરુણા વગેરે સારા ગુણો માનવવાદી વિચારધારામાં છે જ. માનવતા-humanity’ અને ‘માનવવાદ-Humanism’માં મોટો ફરક છે ! માનવવાદ અને માનવતાને કેટલાંક લોકો એક જ માને છે; તે ગેરસમજ છે. માનવવાદી સંકીર્ણ હોતો નથી; જ્યારે માનવતા સંકીર્ણ હોઈ શકે છે. માનવવાદમાં સીમા નથી; જ્યારે માનવતામાં સીમાઓ જોવા મળે છે. માનવવાદીઓ માટે આફ્રિકન / અમેરિકન / યુરોપિયન / રશિયન / કોરિયન એવા ભાગલા હોતા નથી; કાળા-ધોળાના કે ઊંચનીચના ભેદભાવ હોતા નથી; ઊચ્ચ વર્ણ કે શૂદ્ર વર્ણ હોતા નથી. જ્યારે માનવતામાં આવા ભાગલા હોઈ શકે છે. માનવવાદીમાં માનવતાનું તત્ત્વ તો હોય છે; પણ તે વિશાળ હોય છે. સંકુચિત સંપ્રદાયો / સંકુચિત સ્વામિઓ / બાપુઓ પણ માનવતાના કાર્યો કરતા હોય છે; અને તેમાં પોતાના વર્તુળ પૂરતી જ માનવતા દેખાય છે; તેમાં વર્ણ મુજબ ભેદભાવ જોવા મળી શકે. જ્યારે માનવવાદીની દૃષ્ટિએ દરેક માનવ સરખા હોય છે. માનવતા ભેદભાવવાળી હોય છે. મનુસ્મૃતિમાં માનનારાઓમાં પણ માનવતા હોય છે;

પ્રો. જયંતીલાલ કે. પટેલ

પરંતુ માનવવાદી દૃષ્ટિકોણનો અભાવ હોય છે. તેથી માનવવાદીઓ મંદિર / મસ્જિદ / ચર્ચનો વિરોધ કરે છે અને શાળા / મહાશાળા / હોસ્પિટલની તરફેણ કરે છે. પોતાના ધર્મ / વર્ણના લોકોની હત્યા થાય ત્યારે માનવતાવાળાની સંવેદના વધુ જાગે છે ! જ્યારે કોઈની પણ હત્યા થાય ત્યારે માનવવાદી દુ:ખ અનુભવે છે. પૂરમાં / ભૂકંપમાં નિરાધાર થયેલને તેમના ધર્મ / વર્ણના આધારે મદદ કરાય તેમાં માનવતા છે; પણ માનવવાદી દૃષ્ટિકોણની ગેરહાજરી છે. સમસ્યાનો ઉકેલ માનવતા પાસે નથી, માનવવાદ પાસે છે !

પ્રોફેસર જયંતી પટેલ કહે છે : “માનવતાવાળા ઈરરેશનલ હોઈ શકે છે; ધર્મચુસ્ત હોઈ શકે છે; સાંપ્રદાયિક હોઈ શકે છે; કટ્ટર હોઈ શકે છે; હિંસક હોઈ શકે છે. જ્યારે માનવવાદીઓ સેક્યુલર / રેશનલ હોય છે; તે કટ્ટરતા અને હિંસાથી સો કિલોમિટર દૂર રહે છે. માનવવાદીઓ લિંગ, રંગ, ધર્મ, રાષ્ટ્ર, વર્ણ કે તેવા કોઈ ભેદભાવ વિના દરેક વ્યક્તિનું ગૌરવ કરવાનો આગ્રહ રાખે છે. માનવવાદ સમગ્ર માનવજાતના સંદર્ભમાં આચાર-વિચાર કરે છે, તે કોઈ કોમ, ધર્મ, રાષ્ટ્ર જેવી વાડાબંધીને સ્વીકારતું નથી. માનવવાદીઓ કાલ્પનિક ઈશ્વરને બદલે કુદરત / પ્રકૃતિમાં માને છે. જ્યારે માનવતાવાળા ઈશ્વર / ખુદા / ગોડ / માતાજીઓ / દેવ-દેવીઓ /ગુરુઓમાં માનતા હોય છે. ‘માનવવાદીઓ માને છે કે વિશ્વનું તથા માનવીનું સર્જન પ્રાકૃતિક પરિબળોની નીપજ છે. તેમાં કોઈ અલૌકીક વ્યક્તિ કે શક્તિનો હાથ નથી. સૂર્ય હિન્દુ કે મુસ્લિમ માટે ઊગતો નથી. સૂર્યનું ઊગવું અને આથમવું તે પ્રાકૃતિક નિયમો અનુસાર થાય છે; તેમાં કાર્ય-કારણનો સંબંધ રહેલો છે. એટલે કે કોઈ અલૌકિક વ્યક્તિ કે શક્તિની મનસ્વી ઈચ્છા કે આદેશ મુજબ તેનું સંચાલન થતું નથી.”

હું 1998માં અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર હતો ત્યારે એક કૌટુંબિક પ્રસંગે જમવાનું આમંત્રણ મેં જયંતીભાઈને આપ્યું ત્યારે તેમણે પૂછ્યું : ‘કેટલાં સભ્યો હશે જમવામાં?’ મેં કહ્યું કે ‘40 જેટલાં હશે.’ તેમણે કહ્યું કે ‘મેં નિર્ણય કરેલો છે કે કોઈ પણ સામાજિક પ્રસંગમાં 30 સભ્યો સુધી સંખ્યા હોય તો જ હું જમવા જાઉં છું !’

એ સમયે મેં માનવવાદી / રેશનલ વિચારધારાનો વાસ્તવમાં અમલ થતો જોયો. એ પછી જયંતીભાઈને તેમના નિવાસસ્થાને મળવાનું થતું. છેલ્લે 29 ડિસેમ્બર 2022ના રોજ તેમના નિવાસસ્થાને મળવાનું થયું હતું. અને આ વખતે તેમને મળ્યા વિના અમેરિકા જવું નથી એવું નક્કી કર્યું હતું.

આ એ જયંતીભાઈ હતા જેમણે કહેલ કે “ગુજરાત યુનિવર્સિટીમાં હું રાજ્યશાસ્ત્ર વિભાગનો હું વડો હતો અને તે સમયે નરેન્દ્ર મોદી નામના કોઈ વિદ્યાર્થી રાજ્યશાસ્ત્ર વિષયમાં ભણતા ન હતા !”

રાજ્યશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રના વિશારદ. વૈજ્ઞાનિક અભિગમને અપનાવી ભણતર અને ગણતર બન્નેનું કાર્ય રાજ્યશાસ્ત્ર અને રેશનાલીઝમ વિષયક પંદરેક પુસ્તકોનાં લેખન દ્વારા તેમણે કર્યું છે. તેમની આત્મકથા ‘ઝૂમવું ને ઝઝૂમવું તે જીવવું’ યુવાનોએ વાંચવા જેવી છે. તેમનું એક પુસ્તક ‘સામુદાયિક રાજકીય હિંસા : પ્રક્રિયા-વિશ્લેષણ’ 1986માં પ્રસિદ્ધ થયેલ જે 2025માં વધુ પ્રસંગિક બન્યું છે. માત્ર લેખનકાર્ય જ નહીં; પણ જ્યાં મનુષ્યનું શોષણ હોય, અન્યાય હોય, અસમાનતા હોય, અંધશ્રદ્ધા હોય ત્યાં લડતોમાં એ અગ્રણી રહ્યા છે / પડખે ઊભા રહ્યા છે. તેમના વિચારોનો નિચોડ એ છે કે તમે માણસને ચાહો; એની જ્ઞાતિ કે હોદ્દાને નહીં ! સાદા / સરળ / સહેજ પણ દંભ-દેખાડો નહીં; માનવવાદી / રેશનાલિસ્ટ / વિદ્વાન એવા જયંતીભાઈએ 92 વર્ષે 12 ફેબ્રુઆરી 2025ના રોજ આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી છે.  

અલવિદા. આદરાંજલિ !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મહામૃત્યુમાંથી અમૃત સમીપે : ‘જિગરના ચીરા’ની ફળશ્રુતિ 

સોનલ પરીખ|Gandhiana, Opinion - Opinion|13 February 2025

‘જિગરના ચીરા’ની શરૂઆત નોઆખલીમાં એકલા ફરતા ગાંધીજીથી થાય છે અને અંત ગાંધીહત્યાથી આવે છે, પણ પુસ્તકના કેન્દ્રમાં છે 1940નો આખો દાયકો – કઈ હતી એ વિરાટ દિલધડક ઘટનાઓ જેનો અંજામ ભાગલા, ભીષણ હત્યાકાંડ અને છેવટે ગાંધીહત્યામાં આવ્યો?

આજે 26 જાન્યુઆરી-પ્રજાસત્તાક દિન. 30મી જાન્યુઆરીએ આવશે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ. નારાયણ દેસાઈના પુસ્તક ‘જિગરના ચીરા’(યજ્ઞ પ્રકાશન)માંથી પસાર થઈ રહી છું. આજના લેખ માટે આ પુસ્તકની વાત કરવાથી ઉત્તમ વિકલ્પ બીજો હોઈ ન શકે કેમ કે તેમાં ગાંધીજીના જીવનના અંતિમ તબક્કાની વાત છે અને જેમના રક્તમાંસમાં, શ્વાસ-ઉચ્છવાસમાં અને જીવન-કાર્યમાં ગાંધીજી અભિન્ન રીતે વણાયેલા છે એવા નારાયણ દેસાઇ આ પુસ્તકના લેખક છે. આશિષ નાંદીએ એમને માટે ‘થનગનતી, બળવાખોર અને હરતીફરતી જંગમ વિદ્યાપીઠ’ એવાં શબ્દો વાપર્યા છે. 

‘જિગરના ચીરા’ની શરૂઆત નોઆખલીમાં એકલા ફરતા ગાંધીજીથી થાય છે અને અંત ગાંધીહત્યાથી આવે છે, પણ પુસ્તકના કેન્દ્રમાં છે 1940નો આખો દાયકો – ભારતમાં આઝાદીની લડતનો, બ્રિટિશ શાસનનો અંતિમ તબક્કો. વિશ્વના તખતા પર પણ મોટાં પરિવર્તનો આકાર લઇ રહ્યા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જોડાયેલું બ્રિટન યેનકેનપ્રકારેણ ભારતને વિશ્વયુદ્ધમાં જોતરવા માગતું હતું, પણ સ્વતંત્રતા આપવાની વાતમાં ઠાગાઠૈયા કરતું હતું એવે વખતે ઇંગ્લેન્ડથી ક્રિપ્સ યોજના આવી. એની નિષ્ફળતાએ 1942ના ‘ક્વિટ ઇન્ડિયા’ આંદોલનનો પાયો મૂક્યો. પછી શું થયું – કઈ હતી એ વિરાટ દિલધડક ઘટનાઓ જેનો અંજામ ભાગલા, ભીષણ હત્યાકાંડ અને છેવટે ગાંધીહત્યામાં આવ્યો? ભારતના દરેક નાગરિકે જાણવી જ જોઈએ એવી તમામ સિલસિલાબંધ ઐતિહાસિક વિગતો ખૂબ સુંદર શૈલીમાં અને સાચા ગાંધીજનને શોભે એવી નિર્ભય તટસ્થતાથી આ પુસ્તકમાં 22 પ્રકરણોમાં મુકાઇ છે. 

વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને તરત વાઈસરૉય લીનલિથગોએ જાહેર કર્યું કે ભારત મિત્રરાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાશે. કાઁગ્રેસે કહ્યું, ‘અમારી સંમતિ વિના? યુદ્ધના ઉદ્દેશો જાહેર કરો.’ ઉદ્દેશ જાહેર કરવા જાય તો બ્રિટનને કહેવું પડે કે તેઓ દુનિયાને (નાઝીવાદની) ગુલામીમાંથી મુક્ત કરવા માટે રણે ચડ્યા છે. તો તરત ભારત એમ કહી શકે કે તમારે સ્વતંત્રતા માટે લડવું છે તો પહેલા અમને સ્વતંત્ર તો કરો. બ્રિટને કશું જાહેર કર્યું નહીં, કાઁગ્રેસી પ્રધાનમંડળોએ રાજીનામાં આપ્યાં. 

1942ના માર્ચ મહિનામાં સર સ્ટેફર્ડ ક્રિપ્સ પોતાની યોજના લઈને ભારત આવ્યા. પુસ્તકમાં એક આખું પ્રકરણ આ યોજના પર છે. આપણે જાણવા પામીએ છીએ કે જે સમજવામાં બીજાઓને એક મહિનો ગયો એ ગાંધીજીએ બે કલાકમાં સમજી લીધું, ક્રિપ્સને પાછા જવાનું કહી તેમણે વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો અને જોતજોતામાં 23,000 વ્યક્તિગત સત્યાગ્રહીઓ જેલભેગા થયા. 

1942ના ઑગસ્ટમાં હિન્દ છોડો ઠરાવ પસાર થયો. ગાંધીજીએ કહ્યું, ‘આજથી ભારતનો દરેક નાગરિક પોતાને સ્વતંત્ર સમજે અને પોતે જ પોતાનો નેતા બની આંદોલન ચાલુ રાખે. આપણે જીવીશું તો આઝાદી માટે ને એના જ માટે પ્રાણ આપીશું – કરેંગે યા મરેંગે.’ બીજા દિવસે ગાંધીજી અને અન્ય મોટાં નેતાઓની ધરપકડ થઈ. લોકોના પક્ષે ભાંગફોડ અને સરકારના પક્ષે ક્રૂર દમનનો દોર ચાલ્યો. વાઈસરૉયે આ બધાનો ટોપલો જેલમાં બેઠેલા ગાંધીજી પર ઢોળ્યો. ગાંધીજીએ ઉપવાસ કર્યા. 

પરિસ્થિતિ ઝડપથી પલટાતી હતી. લીનલિથગો ગયા અને ‘બ્રેકડાઉન પ્લાન’ લઇ જનરલ વેવેલ આવ્યા. તેમણે જેલમાં રહેલા નેતાઓને મુક્ત કરી સિમલા વાટાઘાટ (1945) યોજી, પણ કહાણી તો બે ઝગડતી બિલાડી અને ફાવી જતા વાંદરાની જ હતી. દેશ આરાજકતા અને કોમી હિંસાચારથી ઘેરાતો હતો. કાઁગ્રેસને ગાંધીજીની જરૂર ન હતી. ગાંધીજીને જે અનિવાર્ય અને આવકારવા જેવુ લાગતું હતું તે કાઁગ્રેસને અવ્યવહારુ અને જૂનવાણી લાગતું હતું. એકલવાયા અને ઉપેક્ષિત ગાંધીજી કોમી એકતાનું દક્ષિણ આફ્રિકાના દિવસોથી જોયેલું સ્વપ્ન આંખમાં આંજીને ભારતના ગૂંચવાયેલા કોકડાને ઉકેલવા મથતા નોઆખલી, બિહાર, કલકત્તા અને દિલ્હી દોડતા હતા. 

એ દિવસોમાં એમની પાસે લોકોની ચેતનાને ઢંઢોળવા એક જ સાધન હતું, સાંજની પ્રાર્થના પછીનું પ્રવચન. તેમાં ગાંધીજી પોતાનું દિલ રેડી દેતા. કોઈ ને કોઈ અખબાર બીજે દિવસે પ્રવચન છાપી દેતું. છેલ્લા દિવસોમાં એ પ્રવચનો રેકોર્ડ કરી આકાશવાણી પરથી સાંભળવવામાં આવતાં. દિલ્હી લાખો શરણાર્થીઓથી ઉભરાતું હતું. એમાના ઘણા પોતાની અવદશા માટે ગાંધીજીને જવાબદાર ઠેરવતા.

વેવેલ પછી માઉન્ટબેટન આવ્યા. ભારત વિષે ખાસ કઈં ન જાણતા રેડક્લિફે ટેબલ પર નકશો પાથરી એક લીટી દોરી દેશને બે ભાગમાં વહેંચી દીધો. અકળાયેલા કાઁગ્રેસી નેતાઓએ દેશના ભાગલા સ્વીકાર્યા. તોફાનો શમાવવા ફરતા ગાંધીજીને સમાચાર છાપામાં આવ્યા ત્યારે મળ્યા. મહામના સરદારે અથાક પ્રયત્નો કરી દેશના સાડા પાંચસો રજવાડાઓને ભારતમાં ભેળવ્યાં. 

જૂન 1948માં અંગ્રેજો ભારત છોડી જાય એવું નક્કી થયું હતું, પણ ઘરમાં દિવાસળી મૂકી ને બળતું ઘર કૃષ્ણાર્પણ કરી તેઓ ઓગસ્ટ 1947માં જ ચાલ્યા ગયા. 15 ઓગસ્ટે દેશ સ્વતંત્રતા મળ્યાનો ઉત્સવ ઉજવતો હતો ત્યારે 78 વર્ષના ગાંધીબાપુ ભડકે બળતા કલકત્તાને ઠારતા હતા. 

ચાર મહિના પછી તેમની હત્યા થઈ. ગાંધીજીની હત્યા ક્ષણિક આવેશનું પરિણામ ન હતી. 30 જાન્યુઆરી 1948 પહેલા, ગાંધીહત્યાના પાંચ પ્રયાસ થઈ ચૂક્યા હતા, જેમાંના ત્રણમાં ગાંધીજીના ખૂનીની સીધી સંડોવણી હતી. પહેલો પ્રયાસ 1934માં ગાંધીજીની ગાડી પર બોમ્બ ફેંકવાથી થયો. એ જ વર્ષે એમણે લઇ જતી ટ્રેનને ઉથલાવી નાખવાનો પ્રયાસ થયો. 1944માં ગાંધીજી જેલમાંથી છૂટ્યા પછી પંચગીનીમાં એક તોફાને ચડેલા ટોળામાં ગિરફતાર થયેલા માણસોમાંના એક પાસે સાડાસાત ઇંચ લાંબો છરો મળ્યો. એ માણસનું નામ નથુરામ ગોડસે. કાવતરાના સૂત્રધાર તરીકે એની સાથે વિનાયક આપ્ટેનું નામ બહાર આવ્યું હતું. આપ્ટે ‘હિન્દુ રાષ્ટ્ર’ નામના અખબારનો તંત્રી હતો. ગાંધીજીએ 125 વર્ષ જીવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે આ અખબારમાં ‘પણ જીવવા દેશે કોણ?’ મથાળા હેઠળ આગ ઝરતો લેખ છપાયો હતો. 

એ જ વર્ષે ગાંધીજી અને ઝીણાની મુલાકાત મુંબઇમાં ગોઠવાઈ ત્યારે પુનાથી એક કટ્ટર મુસ્લિમવિરોધી જૂથ ‘આ મુલાકાત થવા જ નહીં દઈએ’ની ઘોષણા કરતું વર્ધા પહોંચી ગયું હતું. જૂથના સભ્યોની તપાસ કરતાં થત્તે નામના માણસ પાસે મોટો છરો મળ્યો. તેણે કહ્યું, ‘ગાંધીજીની હત્યા થશે ત્યારે જ અમને સંતોષ થશે.’ પોલીસ અધિકારીએ પૂછ્યું, ‘તો પછી તમારા નેતા એ કામ કેમ કરતા નથી?’ થત્તે તુચ્છકારથી બોલ્યો, ‘એ તો ગાંધીજીને વધારે પડતું માન આપ્યું ગણાય. એ કામ તો આ જમાદાર પણ પતાવી શકે.’ તેણે જમાદાર તરીકે જે માણસને બતાવ્યો તે નાથુરામ ગોડસે હતો.

1948ની વીસમી જાન્યુઆરીએ પ્રાર્થનાસભામાં બોમ્બ ફૂટ્યો. અંધાધૂંધીનો લાભ લઈ ગાંધીજીને ગોળી મારી દેવાની હતી, પણ એમ થયું નહીં. બોમ્બ ફોડનાર મદનલાલ પાહવાએ ટોળકીના સભ્યોનું વર્ણન આપ્યું, ‘તેઓ પાછા આવશે’ એમ કહ્યું, કાવતરાખોરોના સગડ મેળવવા એટલા મુશ્કેલ ન હતા, પણ દિલ્હીની પોલીસ, મુંબઈની પોલીસ, સરકારી સલામતી-વ્યવસ્થા, ગાંધીજીના પટ્ટશિષ્યોની બનેલી સરકાર બધા ઊણા ઊતર્યા. ગાંધીજીનું મૃત્યુ તો એવું જ થયું જેવું તેમના જેવા મહાપુરુષનું થવું ઘટે. પણ દેશની સ્વતંત્રતા અને અખંડતા માટે જીવનભર મથતા રહેલા એ વયોવૃદ્ધ નેતાને આપણે સ્વતંત્રતા મળ્યા પછી થોડા મહિના પણ જીવવા ન દીધા એ શરમ, એ લાંછન કાયમ માટે આપણા કપાળે લખાઈ ચૂક્યું. 

‘જિગરના ચીરા’ ખુદાઇ ખિદમતગારોને અર્પણ થયું છે, કેમ કે આખી ઘટનામાં એમનું બહુ મોટું સ્વાર્પણ છે. આપણે જાણીએ છીએ કે ક્વેટાની  હોસ્પિટલમાં ઝીણાએ સ્વીકાર્યું હતું કે પાર્ટીશન ઑફ ઇન્ડિયા ઈઝ ધ બિગેસ્ટ મિસ્ટેક ઑફ માય લાઈફ? આપણને ખબર છે કે ગાંધીજીએ માઉન્ટબેટનને ચેતવ્યા હતા કે વસતીની ફેરબદલી કરશો તો લોહીની નદીઓ વહેશે? લેખક કહે છે, ‘દિલના ભાગલા ન થાય તેવી ગાંધીજીની પ્રાર્થના, મહામૃત્યુમાંથી આપણને અમૃત સમીપે લઇ જવા તલસે છે.’ આ કલ્યાણકારી તલસાટ આપણા હૃદયને પ્રેરે એ જ ઈચ્છીએ. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 26 જાન્યુઆરી  2025

Loading

...102030...250251252253...260270280...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved