Opinion Magazine
Number of visits: 9663924
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માલ્યા મામલે કોણ બકરો ? કોની ચડી બલિ?

નેહા શાહ|Opinion - Opinion|14 June 2025

નેહા શાહ

મૂડીવાદી અર્થતંત્રના વિકાસની સાથે જેમ જેમ કોર્પોરેટ સેકટરનું મહત્ત્વ વધતુ ગયું તેમ તેમ કોર્પોરેટના વહીવટ (ગવર્નન્સ) અંગે ચર્ચા શરૂ થઇ. આધુનિક કોર્પોરેટ સેક્ટરના વેપાર માત્ર એક વ્યક્તિ કે કુટુંબ પૂરતા સીમિત નથી રહ્યા, એમાં સામાન્ય લોકોના પૈસાનું રોકાણ હોય છે. નાણાંકીય સંસ્થા જે ધિરાણ આપે છે તે પૈસા પણ સામાન્ય માણસોએ બેંક મુકેલી થાપણમાંથી આવે છે. એટલે જ્યારે ગેરવહીવટના પરિણામે કોઈ કંપની ખોટ કરે ત્યારે એના ભેગા લાખો લોકોની મૂડી ધોવાઈ જાય છે. સાથે કંપનીમાં કામ કરતાં કર્મચારી તેમ જ કંપનીને પુરવઠો પૂરો પાડતા અનેક નાના વેપારીઓને પણ ઊંડી અસર થાય છે. આ ઉપરાંત, જ્યારે કરોડોનાં ધિરાણની ચુકવણી ન થાય ત્યારે બેંક માટે નવું ધિરાણ કરવું કપરું બને છે, જેની સૌથી માઠી અસર નાણાં ઉદ્યોગ – વેપારી પર પડે છે. આમ, કોર્પોરેટ વેપારના નફા-નુકસાનની ઘણી વ્યાપક અસર થતી હોય છે. 

મોટા વેપારની પડતીના ઘણા કિસ્સામાં વ્યક્તિગત લોભ કારણ હોવાનું જણાયું છે. આવો જ એક કિસ્સો કિંગફિશર એરલાઈન્સ છે જેને ભારતના નાગરિકો કઈ રીતે ભૂલે? માર્ચ ૨૦૧૬માં ૯,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું પાછળ મૂકી વિજય માલ્યા દેશ છોડીને ગયા પછી પાછા આવ્યા જ નહિ, તે હાલમાં – જૂન ૨૦૨૫માં નવ વર્ષની ચુપ્પી પછી ફરી સપાટી પર આવ્યા છે. રાજ સમાની નામના યુવાન પોડકાસ્ટર સાથેના ચાર કલાક લાંબા પોડકાસ્ટ દ્વારા માલ્યા પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે. આખો પોડકાસ્ટ સાંભળો તો એવું જ લાગે કે જાણે માલ્યા ભારતના વહીવટનો ભોગ બન્યા છે. પાછલા દાયકામાં વિશ્વસનીયતા માટે વગોવાયેલા મીડિયા તેમ જ ઈ.ડી. અને સી.બી.આઈ. સામેની ટીકાનો પણ માલ્યા પોતાના બચાવમાં બખૂબી ઉપયોગ કરી લે છે. તાત્કાલીન નાણાં મંત્રી પ્રણવ મુકરજીએ આપેલી એરલાઈન્સના વેપારનો વ્યાપ નહિ ઘટાડવાની સલાહને માનવાનો અફસોસ વ્યક્ત કરે છે જેની સ્પષ્ટતા આજે કોઈ કરી શકે એમ નથી. 

માલ્યાના પોડકાસ્ટમાંથી કરોડપતિઓ અને કોર્પોરેટ ગવર્નન્સ અંગેના તેમના વલણનો ચિતાર ઊભો થાય છે. માલ્યા કહે છે એમ ૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી એમને નડી ગઈ એ વાત સાચી છે. આ સમય દરમ્યાન પેટ્રોલની કિંમત એક બેરલના ૧૪૦ ડોલર સુધી પહોંચી હતી જેનાથી વિમાન ઉડાડવાનો ખર્ચ ખૂબ વધી ગયો. તે સમયે નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર વિદેશી રોકાણ માટે ખુલ્યું ન હતું એટલે ઇતીદાહ જેવી એરલાઈન્સની તૈયારી હોવા છતાં કિંગફિશરમાં રોકાણ કરવાની મંજૂરી મળી નહિ. લોન, એની ઉપર ચડતું વ્યાજ અને પેનલ્ટી એ સાથે નહિ ચુક્વલી ટેક્સની રકમ બધું ગણો તો રકમ ૯,૦૦૦ કરોડથી પણ વધી ગઈ હતી. બેન્કોએ વ્યાજ ઘટાડ્યું, મુદ્દત વધારી તેમ છતાં વધતા દેવાને પહોંચી વળવું અઘરું હતું. માલ્યા તરફથી સેટલમેન્ટની જે દરખાસ્ત આવી હતી એ ૪,૦૦૦ કરોડ રૂપિયાની હતી – કુલ  લેણાની અડધી રકમ પણ નહિ! બેન્કે આ દરખાસ્ત સ્વીકારી નહીં. આ ૨૦૧૫-૧૬ના અરસાની વાત છે જ્યારે મોટા મોટા હેરકટ સાથે લોનનું સેટલમેન્ટ કરવાની પ્રથા શરૂ થઇ ન હતી. આ નીતિ-વિષયક માહોલ કિંગફીશરની  વિરુદ્ધ ગયો એ વાત સાચી. 

ધંધામાં ખોટ જવી એ ગુનો નથી. સંજોગો બદલાય તો ગણતરી અવળી પડી શકે છે. પ્રશ્ન ત્યારે આવે છે જ્યારે કંપનીનાં નાણાંનો ઉપયોગ કંપનીના કર્તા-હર્તા પોતાના વ્યક્તિગત હિતને સર્વોપરી ગણી કરે છે. કિંગફીશરની કટોકટી દરમ્યાન વિજય માલ્યાના જીવન ધોરણમાં તો કોઈ ખાસ ફર્ક દેખાયો નહિ. આ સમય દરમ્યાન અતિશય ઝાકમઝોળ સાથે વિજય માલ્યાએ પોતાની સાઠમી વર્ષગાંઠ ઉજવી. ફોર્મ્યુલા-૧ અને આઈ.પી.એલ. ટીમ ખરીદવા જેવા ખર્ચ થયા. કંપની જ્યારે દેવામાં હોય, જ્યારે કર્મચારીઓના પગાર ચુકવવા પૈસા ન હોય, જ્યારે સાથે સંકળાયેલા નાના વેપારીની ચુકવણી અટકી હોય, જ્યારે ટેક્સના પૈસા ઉઘરાવ્યા છતાં ચુકવાયા ના હોય, ત્યારે કંપનીનો માલિક પોતાની ‘વ્યક્તિગત મિલકત’માંથી પણ ઐયાશ કહી શકાય એવા ખર્ચ કરે, એ નૈતિક રીતે કેટલું યોગ્ય ગણાય? આ બધા ઉપરાંત માલ્યા સામે નાણાંનો દુરુપયોગના જે આરોપ છે એ તો ઊભા રહે જ છે. ઈ.ડી.એ કરેલી ચાર્જશીટ પ્રમાણે કિંગફિશર એરલાઈન્સને મળેલ લોનમાંથી ઓછામાં ઓછા રૂ. ૩,૫૪૭ કરોડ રૂપિયાનો ઉપયોગ ખાનગી જેટ વિમાન ખરીદવામાં (જેનો ઉપયોગ માત્ર વિજય માલ્યા કરતા હતા) તેમ જ ફોર્મ્યુલા વન અને આઈ.પી.એલ. ટીમની ખરીદી માટે વપરાયા છે. આ સાથે વિમાન માટે ઊંચા ભાડાના બિલ બનાવવા જેવા ગોટાળાના પણ આરોપ છે. આ ઉપરાંત પણ કેગ, આવક વેરા વિભાગ તેમ જ બેન્કના અહેવાલો પણ બતાવે છે કે યુ.બી. ગ્રુપના આંતરિક નાણાંકીય વહીવટોમાં ‘વ્યક્તિગત નાણાં’ અને કંપનીનાં નાણાં વચ્ચે ભેદ ધૂંધળો જ હતો. 

સરકારે ટાંચમાં લીધેલી માલ્યાની સંપત્તિમાંથી લહેણાણી વસૂલી થઇ ચુકી છે. આજે બદલાયેલી પરિસ્થિતિમાં માલ્યા ખૂલીને કહે છે કે તેમને બલિનો બકરો બનાવાયો છે. એમના ટેકામાં દેશના અન્ય ઉદ્યોગપતિઓ પણ ખૂલીને બોલી રહ્યા છે. ત્યારે કોર્પોરેટ સેક્ટરના કામ કરવાનાં માહોલની, સરકારી નીતિની તેમ જ ‘વ્યક્તિગત’ અને ‘કંપની’ વચ્ચેના તફાવત કરતા ગવર્નન્સ અંગે ચર્ચા ફરી એકવાર જરૂરી બને છે.

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 June 2025

રવીન્દ્ર પારેખ

12 જૂન, 2025ની તારીખ ગુજરાત માટે ગોઝારી પુરવાર થઈ છે. બપોરે 1.38 કલાકે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન જવા ઉપડેલું એર ઇન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઇનર, ટેક ઓફની ત્રીજી મિનિટે, 1.40 કલાકે, મેઘાણી નગર આઇ.જી.બી. કમ્પાઉન્ડમાં ક્રેશ થઈ ગયું. આ પ્લેનમાં 10 ક્રૂ મેમ્બર્સ સહિત 242 પેસેન્જરો હતા. એમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન મુસાફરો હતા અને કાર્ગો પણ હતું. આ પ્લેનના કેપ્ટન સુમિત સાંભરવાલ હતા અને તેમની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુન્દર હતા. અમદાવાદ એરપોર્ટના રન વે 23 પરથી 1.39 કલાકે ફ્લાઇટના પાઈલટે એ.ટી.સી.(એર ટ્રાફિક કંટ્રોલ)ને મેડે કોલ (ઇમરજન્સી મેસેજ) કર્યો હતો ને પ્લેન થોડી સેકંડોમાં જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થવાનો વીડિયો સામે આવ્યો છે. 58,000 લિટર એર ટર્બાઇન ફ્યુઅલ ભરેલું પ્લેન આગનો પ્રચંડ ગોળો થઈને રહેણાંક વિસ્તારમાં પડે તો કોલસો થવામાં શું બાકી રહે તે કહેવાની જરૂર નથી. ધુમાડાનો મોટો પહાડ ખડો થઈ ગયો ને તેણે લગભગ 300 જીવોનો ભડકો કરી દીધો છે.

એરપોર્ટ અને એરલાઇન્સનો સ્ટાફ બ્લેક બોકસ શોધી રહ્યો છે, જેથી આ ભયંકર દુર્ઘટનાનું કારણ જાણી શકાય. એમ લાગે છે કે ટેક ઓફની ત્રીજી મિનિટે પ્લેનનો પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતાં દુર્ઘટના ઘટી છે. એમ પણ કહેવાય છે કે ટેકનિકલ ખામી સર્જાતાં પ્લેન ક્રેશ થયું, તો ટેક ઓફ પછી, પ્લેનનાં ટાયર્સ ઇન્સર્ટ (પૈંડા અંદર ન ખેંચાતાં) ન થતાં આ દુર્ઘટના સર્જાઈ છે. ટાયર અંદર ન ખેંચાતાં, મેસ ચાલતું હતું એ બિલ્ડિંગ સાથે અથડાયાં. આ એટલે કહી શકાય કે પ્લેન અથડાયા પછી ટાયર્સ બિલ્ડિંગમાં ફસાયેલાં જોઈ શકાય છે. વ્હીલ પ્લેનની અંદર ખેંચાયું હોત, તો તે બિલ્ડિંગમાં ફસાયેલું જોવા મળ્યું ન હોત ! આ અથડામણ એટલી ભયંકર હતી કે પ્લેનની પાછલી ટેઇલના બે ટુકડા થઈ ગયા. એ સ્થિતિમાં પ્લેન અતુલ્ય નામક ઇન્ટર્ન ડૉક્ટર્સની (ચાર) બિલ્ડિંગોને અથડાયું. રાહતની વાત એ પણ છે કે બાજુમાં જ બીજી 5 માળની બિલ્ડિંગ હતી, ત્યાં ન ટકરાયું. ટકરાયું હોત તો એ PG હોસ્ટેલનાં ઘણા વિદ્યાર્થીઓનો ધુમાડો થઈ ગયો હોત. કમનસીબી એ છે કે પ્લેન 625 ફૂટની ઊંચાઈએ જ હતું ને 400 ફૂટ/મિનિટની ગતિએ તે નીચે આવ્યું. વધુ ઊંચાઈએ હોત તો ક્રૂ મેમ્બર્સને કોઈ નિર્ણય લેવાનો સમય મળ્યો હોત, પણ આ તો ઊડયું તેવું જ પડ્યું, એટલે કોઈ પગલું ભરવાનો સમય જ ન રહ્યો. પ્લેન ઉપડ્યું જ હતું ને દુર્ઘટનાગ્રસ્ત થયું. તેમાં મોટા જથ્થામાં ફયુઅલ હતું, એટલે આગ લાગે તો તે કેવું વિકરાળરૂપ ધારણ કરી શકે તે કલ્પી શકાય એવું છે. દુર્ઘટનાને લીધે આસપાસના રસ્તાઓ બંધ કરી દેવાયા. આખા અમદાવાદની ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ને આર્મીએ મોરચો સંભાળ્યો.

દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને સૌરાષ્ટ્રના અન્ય નેતાઓ પણ મુસાફરી કરી રહ્યા હતા. રૂપાણીના નિકટના સાથી નીતિન ભરદ્વાજના કહેવા મુજબ વિજય રૂપાણી આજે તેમની દીકરીને મળવા લંડન આવવાના હતા ને તેઓ એકલા જ મુસાફરી કરી રહ્યા હતા. કમનસીબે રૂપાણી, તેમની દીકરીને મળે તે પહેલાં જ પ્લેન ક્રેશ થતાં અણધાર્યા મૃત્યુનો ભોગ બન્યા છે. ગુજરાતે ભા.જ.પ.ના પૂર્વ મુખ્ય મંત્રી તો ગુમાવ્યા જ છે, પણ ભા.જ.પ.ના સબળ નેતા ને સફળ કાર્યકર પણ ગુમાવ્યા છે. ભા.જ.પ.ના રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીની X પર અપાયેલી જાણકારી મુજબ પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું નિધન થયાની વાત આવી, પણ પછી કશીક શંકાથી એ પોસ્ટ ડિલિટ કરી દેવાઈ. જો કે, વિજય રૂપાણીનુ  નિધન થયું હોવાની વાતને મીડિયાએ સમર્થન આપ્યું ને કમનસીબે એ આઘાતજનક વાત સાચી ઠરી.

પ્લેન જ્યાં ક્રેશ થયું તે બિલ્ડિંગ ઇન્ટર્ન ડોક્ટર્સની હોસ્ટેલ હતી. હોસ્ટેલમાં સાંઠેક ઇન્ટર્ન ડોક્ટર્સ હોવાનો અંદાજ છે ને એ તમામ ડૉક્ટર્સનાં મોત થયાનું કહેવાય છે. પ્લેન અહીં જ પડતાં ડોક્ટર્સ સહિત પેસેન્જર્સ પણ મૃત્યુ પામ્યા છે. એર ઇંડિયાના એ પ્લેનમાં સુરતની સ્મિત હોસ્પિટલના ડૉક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની અમિતા શાહ પણ મુસાફરી કરી રહ્યા હતા. બે સિવાય બધાં જ મૃત્યુ પામ્યાં છે, ત્યારે તેમનાં મૃત્યુ પણ સુરતને આઘાત આપનારાં છે. દિલ્હીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવવા નીકળી ગયાના સમાચાર છે. શાહ તો અમદાવાદ પહોંચી પણ ગયા છે. વડોદરાથી એન.ડી.આર.એફ.ની ત્રણ ટીમો રવાના થઈ છે, તો AMCની પણ તમામ ટીમો બચાવ અને રાહત કાર્યમાં જોડાઈ છે.

પ્લેન ક્રેશ થતાં સ્વજનોની ભાળ કાઢવા સ્વજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ચિંતા ભરી પૂછપરછ કરવા ભાગદોડ કરી રહ્યા છે. અસારવા સિવિલમાં મૃતદેહો ખડકાઈ રહ્યા છે ને પોસ્ટમૉર્ટમ રૂમની બહાર બળેલા મૃતદેહોની ગંધ વધી રહી છે. કોલસો થઈ ગયેલા મૃતદેહો અને સ્વજનોનું હૈયાફાટ રુદન કાળજું કંપાવે એવાં છે. એકાએક અમદાવાદ અનાથ થઈ ગયું હોય તેવી સ્થિતિ છે. મૃતદેહોને હવે જૂના ટ્રોમા ખાતે લઈ જવાઈ રહ્યા છે. સી.એમ. ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા છે. ભારતના અને બ્રિટનના પી.એમ.એ X પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વડોદરાથી 137 યુનિટ બ્લડ કોલ્ડ બોક્સમાં એમ્બ્યુલન્સ મારફત મોકલી દેવાયું છે. સિવિલના કસોટી ભવનમાં DNA ટેસ્ટ માટે સ્વજનોની લાઇન લાગી છે. મહાનુભાવો મૃતકોનાં આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે, અંજલિઓ આપી રહ્યા છે. એરપોર્ટની બધી ફ્લાઇટો બપોરે બંધ કરી દેવામાં આવેલી, તે સાંજે ફરી શરૂ કરી દેવાઈ છે. બધાં બધું જ કરે છે, પણ જાણે કશાનો કોઈ અર્થ ન હોય એવું લાગે છે. અમદાવાદ જ નહીં, ગુજરાત આખું રૂંવે રૂંવે તૂટી, તરડાઈ ગયું હોય તેમ ઉદાસ થઈ ગયું છે.

અમદાવાદમાં તો ખરી જ, ગુજરાતમાં ય ખરી, કદાચ દેશમાં પણ ટેક ઓફની સાથે જ આટલા યાત્રીઓ સાથે પ્લેન ક્રેશ થઈ જાય એ જગતની કદાચ પહેલી ઘટના છે. જો કે, 19 ઓકટોબર, 1988ને રોજ અમદાવાદમાં જ બે કિલોમીટર દૂર ઇંડિયન એર લાઇન્સની ફ્લાઇટ આઇસી-113 ક્રેશ થઈ હતી ને ત્યારે 135માંથી 133 મુસાફરોનાં મોત થયાં હતાં. ત્યારે બેનો બચાવ થયો હતો. આ વખતે 242માંથી 241નાં મૃત્યુ થયાં છે ને એક જ વ્યક્તિ બચી છે. પ્લેન હજી તો ઊડ્યું જ હોય, તેણે અમદાવાદ છોડ્યું પણ ન હોય ને અમદાવાદમાં જ તૂટી પડે એ અત્યંત દુ:ખદ કરુણાંતિકા છે. કેટલાં ય કુટુંબો ખંડિત થયાં હશે, કેટલા ય સંબંધો બંધન મુક્ત થયા હશે, કોઈ રાહ જોતું હશે ને કોઈનું રાહ જોનારું જ નહીં રહ્યું હોય. કોઈ દિયરનાં લગ્નમાં આવ્યું હતું, તો કોઈ દીકરાને મળવા જઈ રહ્યું હતું. કોઈ મહારાષ્ટ્રનુ હતું, તો કોઈ રાજસ્થાનનું ! એ બધાંનો ધુમાડો થઈ ગયો છે ને એણે એટલાં આંસુ જન્માવ્યાં છે કે આયખું ખૂટે, પણ આંસુ ન ખૂટે. એટલું છે કે આ દુર્ઘટનાએ સંભવિત આનંદોલ્લાસને કદી ન ખૂટે એવા આંસુઓમાં ફેરવી દીધો છે.

ન્યૂઝ એજન્સી ANIએ પોલીસ કમિશનર દ્વારા એ માહિતી આપી છે કે એક બ્રિટિશ નાગરિક જ આ દુર્ઘટનામાં બચવા પામ્યો છે. બચી ગયેલ રમેશ વિશ્વાસ ભાલિયા કહે છે કે ટેક ઓફની 30 જ સેકંડમાં ભયંકર અવાજ સાથે પ્લેન ક્રેશ થઈ ગયું. ભાન આવ્યું ત્યારે આજુબાજુમાં લાશો જ લાશો હતી. પ્લેનના ટુકડા ચારે તરફ વેરાયેલા પડ્યા હતા. એ સિવાય 241 લોકો આ દુર્ઘટનામાં માર્યા ગયા છે. એ તો જે મુસાફરો હતા તેમની વાત થઈ, પણ જે વિસ્તારમાં આ પ્લેન પડ્યું, તે રહેણાંક વિસ્તાર હતો ને એના રહેવાસીઓ પણ આગમાં હોમાયા છે. એવા લગભગ 75 માણસો મર્યાનો અંદાજ છે. આટલાં મૃત્યુનો આઘાત નિષ્ઠુર માણસને પણ હચમચાવી નાખે, તો જેનું કોઈ ગયું છે તેની આંખો ખાલી કેમ રહે? અમદાવાદ જ નહીં, આખું ગુજરાત આ આઘાતની બહાર ઈચ્છે તો પણ રહી શકે એમ નથી. એની કળ વળતાં વર્ષો લાગશે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 જૂન 2025

Loading

પ્રેમને મારી નાખતી સંસ્કૃતિને જ મારી નાખો

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|12 June 2025

હેમન્તકુમાર શાહ

સોનમનો રાજા અને સોનમનો રાજ બંને ગયા! સોનમે પોતાના રાજને મેળવવા અને પોતાનું પ્રેમરાજ સ્થાપવા લગ્નથી પતિ બનેલા રાજાને રહેંસી નાખ્યો. ઇન્દોરની પ્રેમકહાનીનો મેઘાલયમાં તાજેતરમાં અંત આવ્યો. આજકાલ એની ક્રાઈમ સ્ટોરીની ચર્ચાનું બજાર ધમધમે છે.

સવાલ એ છે કે સોનમને પોતાના પતિ રાજાની હત્યા કરવાની નોબત કેમ આવી? કારણ કે એને એના પ્રેમી સાથે જીવવા દેવાનો ઇન્કાર કરવામાં આવ્યો એટલે જ ને? 

૨૦૨૨નો NCRBનો અહેવાલ એમ કહે છે કે દેશમાં જે હત્યાઓ થાય છે તેમાં ત્રીજે ક્રમે કારણ હોય છે રોમેન્ટિક પ્રેમ. 

પ્રેમ હત્યાનું કારણ હોય એવા કિસ્સા કુલ ખૂન કેસમાં ૨૦૧૦-૧૪માં ૭થી ૮ ટકા હતા. એ પ્રમાણ ૨૦૧૬-૨૦માં વધીને ૧૦થી ૧૧ ટકા થયું છે. આજે કદાચ એનાથી પણ વધારે હોઈ શકે. 

લો બોલો, હિંદુ રાષ્ટ્ર બનવા થનગની રહેલા ભારતમાં પ્રેમસંબંધને લીધે થતી હત્યાઓ વધી રહી છે.

ભગવાન કૃષ્ણની તેમની પ્રેમિકા રાધા સાથેની મૂર્તિઓ સાથેનાં મંદિરોમાં બંનેની પૂજા કરતાં હિંદુઓ થાકતા નથી. રાધે રાધે બોલીને તો મથુરાના રિક્ષાવાળાઓની જીભ ઘસાઈ જાય છે અને ત્યાં જતા લોકો એનું ગૌરવ લે છે. પણ હિંદુઓમાં પ્રેમ કરવાની આઝાદી નથી. કમાલ છે! ખાડામાં નાખો આ હિન્દુ સંસ્કૃતિને. 

રોમેન્ટિક પ્રેમ કરવો એ મનુષ્યની મૂળભૂત વૃત્તિ છે. એ ગમે ત્યારે, ગમે તેને, ગમે તે ઉંમરે થઈ શકે. એની આઝાદી હોય જ. કોણે કોની સાથે કેટલું જીવવું એ નક્કી કરનારા કુટુંબ કે સમાજ કે રાજ્ય હોઈ શકે જ નહીં. આ મૂળભૂત આઝાદી આપવાનો ઇન્કાર એટલે મનુષ્યના અસ્તિત્વનો ઇન્કાર અને એને ગુલામ બનાવવાની માનસિકતા. 

જેઓ હત્યા કરી શકતા નથી તેઓ પોતાના આંતરિક મનની હત્યા કરીને આખી જિંદગી જીવે છે. વિખ્યાત અંગ્રેજ કવિ પર્સી શેલી કહે છે કે “જ્યારે પ્રેમ મરી જાય છે ત્યારે આપણી અંદરનો એક માણસ મરી જાય છે.”

આવા મરેલા માણસોથી હિંદુ સમાજ ભરેલો છે. ना उम्र की सीमा हो, ना जन्म का हो बंधन એવું ગાવાનું ખરું અને પછી આખી જિંદગી રોવાનું. ધર્મને અને સમાજ વ્યવસ્થાને નામે આવું કરતાં લાજ આવતી નથી કોઈને. 

સમાજને કે પરિવારને એમ લાગે છે કે સંતાનો પ્રેમલગ્ન કરીને ભૂલ કરી રહ્યાં છે. ભૂલ કરવાની આઝાદી પણ માણસોને હોવી જોઈએ. સુરત અને રાજકોટમાં થોડાં જ વર્ષો પહેલાં સેંકડો યુવાનો અને યુવતીઓને પટેલોએ ભેગાં કરીને તેમને એવી પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી કે તેઓ માતાપિતા કહેશે ત્યાં જ લગ્ન કરશે. કેટલી nonsense વાત છે આ!

એક જોરદાર ઉદાહરણ આપું. ભારતના બે અર્થશાસ્ત્રીઓને નોબેલ ઈનામ મળ્યાં છે: અમર્ત્ય સેન અને અભિજીત બેનરજી. બંને બંગાળી અને બંનેએ છૂટાછેડા લીધેલા છે! અને અભિજીતની બીજી પત્નીને પણ એમની સાથે જ નોબેલ ઈનામ મળ્યું પાછું! વિખ્યાત અંગ્રેજ દાર્શનિક અને વીસમી સદીનું એક મહાન ભેજું એવા નોબેલ ઈનામ વિજેતા બર્ટ્રાન્ડ રસેલ. એમણે ચાર લગ્ન કરેલાં. અને હા, ફ્રાન્સના એવા જ મહાન દાર્શનિક જ્યાં પોલ સાર્ત્ર. એમણે લગ્ન જ ન કર્યાં અને છતાં સિમોન બીવર નામની એક મહાન લેખિકા સાથે જીવ્યા.  

જ્યાં છૂટાછેડાનું પ્રમાણ વધારે છે તે યુરોપ અને અમેરિકા ધનવાન છે અને તેમની માથાદીઠ આવક પછાત માનસિકતા ધરાવતા અને વિશ્વગુરુ થવા ધમપછાડા કરતા હિંદુ ભારત કરતાં ઘણી વધારે છે! માણસ એના મનના પ્રેમના આંતરિક સંઘર્ષમાંથી બહાર આવી જાય તો તે ઘણી ઊંચાઈઓ સિદ્ધ કરી શકે એ હકીકત છે અને એ છેલ્લાં ૪૦૦ વર્ષની યુરોપની સંસ્કૃતિએ સાબિત કરી નાખ્યું છે. વ્યક્તિની આઝાદી એ કોઈ પણ પ્રગતિનું  પાયાનું સૂત્ર છે. 

“એમ કંઈ પૂછીને થાય નહીં પ્રેમ” એવું કવિ લખે તો એને પદ્મશ્રી પણ મળે, એને માટે હિંદુઓ જોરજોરથી તાળીઓ પણ પાડે, પણ કોઈને પ્રેમ કરવા નહીં દેવાનો! “અમને પૂછ્યા વગર કર્યો કેમ પ્રેમ” એવી માનસિકતા! હદ બહારનો દંભ છે આ તો. 

જેઓ જાતજાતનાં પ્રેમગીતો સાંભળીને પોતાના પ્રેમને મનોમન યાદ કરતા હોય છે, અને જેમની આંખના ખૂણા ભીના થઈ જતા હોય છે એમની દશાને પૂછો જરા. 

લોકોને કરવા દો પ્રેમ, જેટલી વાર કરવો હોય એટલી વાર કરવા દો. જેટલી વાર લગ્ન કરવાં હોય અને જેટલી વાર છૂટાછેડા લેવા હોય એટલી વાર લેવા દો. એની એમને આઝાદી આપો. કારણ કે એમાં પરમ સુખ છે, આનંદ છે, અને એમાં જ મોક્ષ છે. જે પ્રેમ ન કરવા દે એ સંસ્કૃતિને જ મારી નાખો. 

તા.૧૧-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...250251252253...260270280...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved