Opinion Magazine
Number of visits: 9575742
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વર્ષા અડાલજા : પ્રેરણા અને પરિશ્રમથી મહેકતો શબ્દ

દીપક મહેતા|Opinion - Opinion|10 April 2020

લગભગ પચાસ વરસ પહેલાંના મુંબઈની એક સાંજ. જૂનનું બીજું અઠવાડિયું પૂરું થવા આવ્યું છે, પણ વરસાદનું નામનિશાન નથી. વાતાવરણમાં અકળામણ, ઉકળાટ. એવી એક સાંજે પતિ ઓફિસેથી ઘરે આવે છે. નવપરિણીત પત્નીના મોં સામે જોતાં જ પામી જાય છે કે વધુ અકળામણ અને ઉકળાટ તો અહીં છે.

પૂછે છે : કેમ, શું ચાલે છે?

આ ભંગાર ચોપડી વાંચું છું, ટાઈમ પાસ કરવા, બીજું શું?

એના કરતાં તું જ એક સારી ચોપડી લખ ને!

હું? મને લખતાં ક્યાં આવડે છે?

મોટા ગજાના લેખકની દીકરીને લખતાં ન આવડે એવું બને? લખી તો જો.

અને બીજે દિવસે સાંજે પતિ મોંઘી દાટ પાર્કર પેન અને કોરા કાગળની થપ્પી હાથમાં મૂકે છે.

નવલકથા એટલે શું, કેવી રીતે લખાય, એની એ વખતે કશી ગતાગમ નહોતી એમ એ લેખિકાએ જ પછીથી કબૂલ્યું છે. પણ મુંબઈની રામનારાયણ રુઈયા કોલેજમાં ભણતાં ભણતાં અંગ્રેજી સુધારવા પી.જી. વુડહાઉસ, પેરી મેસન, આગાથા ક્રિસ્ટી, વગેરેને ખૂબ વાંચેલાં. એટલે કૈંક રહસ્યમય લખવાનું વિચાર્યું. પહેલાં દસેક પાનાં લખવાનું અઘરું લાગ્યું,  પણ પછી તો ધીમે ધીમે પાત્રો ઉમેરાતાં ગયાં, કથા આગળ વધવા લાગી. થોડા દિવસ પછી એ નવલકથાની હસ્તપ્રત લઈને લેખિકા એક પ્રકાશક પાસે ગયાં. હસ્તપ્રત આપી કહ્યું : એક નવલકથા લખી છે.

પ્રકાશક : નામ શું નવલકથાનું?

નામ? નામ તો વિચાર્યું જ નથી.

એ વખતે પ્રકાશકની દુકાનમાં જાણીતા કવિ વેણીભાઈ પુરોહિત બેઠેલા. લેખિકાએ તેમને ટૂંકમાં પ્લોટનો ખ્યાલ આપ્યો. વેણીભાઈ કહે : નામ રાખો, પાંચ ને એક પાંચ. એ નવલકથાની લેખિકાનું નામ વર્ષા મહેન્દ્ર અડાલજા (લગ્ન પહેલાંનું નામ, વર્ષા ગુણવંતરાય આચાર્ય). જન્મ, ૧૦ એપ્રિલ ૧૯૪૦.

‘પાંચ ને એક પાંચ’ ૧૯૬૯માં પ્રગટ થઈ અને વર્ષાબહેને શબ્દની સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. પછી તો વર્ષાબહેને કલમ પકડી એટલું જ નહિ, કલમે પણ વર્ષાબહેનને પકડ્યાં. સમય અને સમાજના વિશાળ પટને આવરી લેતી ‘ક્રોસરોડ’ નવલકથા ૨૦૧૬માં પ્રગટ થઈ. વચમાંનાં ૪૮ વર્ષના સમયગાળામાં બીજાં ૫૦ પુસ્તકો પ્રગટ થયાં.

રહસ્ય કથા તો લખાઈ ગઈ. પછી પ્રકાશક કહે કે હવે સામાજિક નવલકથા લખો. અત્યારે એ વધુ ચાલે છે. ફરી વિમાસણ : આ સામાજિક નવલકથા તે વળી કઈ બલા? પણ નાનપણમાં જોયેલી સાઉથની ફિલ્મો મદદે આવી. એ બધી હતી સામાજિક ફિલ્મો. એ બધીને યાદ કરીને પોતાની રીતે પાત્રો અને પ્રસંગો ગોઠવતાં ગયાં. એક મહિનામાં તો કામ પૂરું. ફરી પહોંચ્યાં પ્રકાશક પાસે. મહામહેનતે પુસ્તક છપાયું. પછી ન્યાયાધીશને જ ગુનેગાર ઠેરવતી તિમિરના પડછાયા લખાઈ. પણ પછી ‘આતશ’ નવલકથાથી વર્ષાબહેનની કલમે પડખું બદલ્યું. એ અરસામાં તેઓ વાંચવા માટે જૂનાં અંગ્રેજી મેગેઝીન અવારનવાર ખરીદતાં. એક વાર રાતમાં દીકરી જાગી ગઈ. તેને સુવડાવતાં સુવડાવતાં વર્ષાબહેન ‘લાઈફ’ સામયિકનો એક અંક ઉથલાવવા લાગ્યાં. વિયેટનામ યુદ્ધના હૃદયદ્રાવક ફોટા તેમાં છપાયા હતા. અમેરિકાએ એક સ્કૂલ પર બોમ ફેંક્યો. ચારસો-પાંચસો બાળકોની લાશના ઢગલા. એ ઢગલામાંથી પોતાના બાળકની એકાદ નિશાની શોધવા મથતી બેબાકળી માતાઓ. અને મનમાં એક વિચાર ઝબકયો : મારી દીકરી તો ખોળામાં સૂતી છે. પણ આ બધી માતાઓ, તેમનાં બાળકોનું શું? મનોમન નક્કી કર્યું, વિયેટનામ યુદ્ધ વિષે નવલકથા લખવી. એ વખતે ગૂગલદેવ તો હજી પ્રગટ્યા નહોતા. એટલે મુંબઈની લાઈબ્રેરીઓ ખૂંદી. પુસ્તકો, સામયિકો, છાપાં, જ્યાંથી હાથ આવી ત્યાંથી એ યુદ્ધ વિશેની સામગ્રી મેળવી. એક વરસ પછી લખવાનું શરૂ કર્યું. દીકરીઓ હજી નાની. એટલે રાતે સાડા ત્રણ-ચારે રસોડામાં બેસીને લખવાનું. ‘આતશ’ને સોવિયેત લેન્ડ નેહરુ એવોર્ડ મળ્યો. ગુજરાત સરકારનું શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મળ્યું. પણ તેના કરતાં ય વધુ મહત્ત્વની વાત એ કે આ નવલકથાથી વર્ષાબહેન ડોક્યુ-નોવેલ, દસ્તાવેજી નવલકથાના લેખન તરફ વળ્યાં. પ્રેરણા કે સર્જકશક્તિ તો પહેલી. પણ માત્ર પ્રેરણા પર બધો મદાર નહિ. પ્રેરણાની સાથે પરિશ્રમના પરસેવાની મહેક પણ ભળવી જોઈએ, સર્જકના શબ્દમાં.

 

સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર સ્વીકારતાં

વિયેતનામ તો દૂરની ભૂમિ. સહેલાઈથી જવાય નહિ. પણ મધ્ય પ્રદેશના અલીરાજપુર સુધી તો જઈ શકાય ને! હા, હાડમારી તો ઘણી ભોગવવી પડે એ આદિવાસી વિસ્તારમાં જતાં. પણ ગયાં. નાની દીકરી સાથે. બસનાં ઠેકાણાં નહિ. પથ્થર ભરેલા ખટારામાં મહામુશ્કેલીએ બેસવા મળ્યું. આદિવાસીઓને મળીને તેમની સમસ્યાઓ જાતે જોઈ-જાણી. પછી ઘરે આવીને લખી ‘ગાંઠ છૂટ્યાની વેળા’. પછી ઘણી ખટપટ કરીને એક વખત પહોંચ્યાં મુંબઈની આર્થર રોડ જેલમાં. ત્યાં જઈને સ્ત્રી કેદીઓને મળ્યાં, તેમની કેફિયતો સાંભળી. અને પછી લખી નવલકથા ‘બંદીવાન'. તેના પરથી બનેલું નાટક ‘આ છે કારાગાર’ પણ સફળતાથી ભજવાયું. એક મિત્ર દંપતી અને તેમનો મેન્ટલી ચેલેન્જડ દીકરો. ત્રણેની સમસ્યા, વ્યથા, વર્ષાબહેન જાણે. પછી એક દિવસ બસમાં મુસાફરી કરતી વખતે એક સ્ત્રીને તેના આવા જ બાળક સાથે મહામુશ્કેલીએ મુસાફરી કરતી જોઈ. પહોંચ્યાં આવાં બાળકો માટેની હોસ્પિટલમાં. ત્યાં થોડા દિવસ બધું જોયું-જાણ્યું. અને પછી લખી નવલકથા ‘ખરી પડેલો ટહુકો’. આજે હવે તેની એટલી બધી ચર્ચા જોવા મળતી નથી, પણ એક વખત આપણે ત્યાં રક્તપિત્તના દરદીઓ, તેમની સમસ્યાઓ, તેમની સારવાર, વગેરેની સારી એવી ચર્ચા થતી. રક્તપિત્તના દરદીઓની સારવાર કરતા એક આશ્રમમાં પહોંચી ગયાં, અને ત્યાં થોડા દિવસ રહ્યાં. કથાની ભોંય વાસ્તવિકતાની. તેમાં પોતાની કલ્પનાથી જે છોડ ઉગાડ્યો તે નવલકથા ‘અણસાર’. તેને દિલ્હીની સાહિત્ય અકાદમીનો ૧૯૯૫ના વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તક માટેનો એવોર્ડ મળ્યો. 

લંડન બુક ફેરમાં ગિરીશ કર્નાડ સાથે

એ અરસામાં આપણે ત્યાં લઘુનવલની બોલબાલા. પ્રયોગપરાયણ અને પરંપરા જાળવીને લખનારા, એમ બંને પ્રકારના લેખકો તેના લેખન તરફ વળ્યા હતા. સ્ત્રીઓ માટેના સાપ્તાહિક ‘સુધા’ના એ વખતે ધીરુબહેન પટેલ તંત્રી. તેમણે એક લઘુનવલ લખવા વર્ષાબહેનને કહ્યું. બે બહેનોને લગતી એક વાત દસ દિવસમાં લખાઈ. ધીરુબહેને જ નામ પાડ્યું : ‘મારે પણ એક ઘર હોય’. ગુજરાતી સાહિત્ય પરિષદનું શ્રેષ્ઠ નવલકથા માટેનું ઇનામ મળ્યું. એ લેવા માટે આજોલ ખાતે યોજાયેલા પરિષદના જ્ઞાનસત્રમાં વર્ષાબહેન ગયાં. પ્રવેશદ્વાર પાસે સૌથી પહેલાં સામે મળ્યા ઉમાશંકર જોશી. તેમણે લેખક ગુણવંતરાયની લેખિકા પુત્રીને ઉમળકાભર્યો આવકાર આપ્યો. બસ, તે દિવસથી ગુજરાતી સાહિત્યની દુનિયામાં લેખિકા તરીકે વર્ષાબહેનનો પ્રવેશ થયો. આ લઘુનવલને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. ૧૯૭૨માં દૂરદર્શનના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલી પહેલવહેલી ગુજરાતી સિરિયલ આ નવલકથા પરથી બની હતી. ધર્મને નામે થતું સ્ત્રીનું શોષણ એ આજકાલની વાત નથી. ‘શગ રે સંકોરું’ નવલકથામાં આવા શોષણની વાત થઈ છે. પણ તેની નાયિકા આવું શોષણ મૂંગે મોઢે સહન કરી લેતી નથી. કથાને અંતે તે પોતાના પતિને ઘર છોડી જવા ફરજ પાડે છે. આ નવલકથા એક અખબારમાં ધારાવાહિક રૂપે પ્રગટ થવા લાગી ત્યારે પહેલાં બે જ પ્રકરણ પછી કેટલાક વાચકોએ તેનો વિરોધ કર્યો અને નવલકથાનું પ્રકાશન અટકાવવા માટે ઝુંબેશ ચલાવી. પણ તેની સામે ઝૂક્યા વગર વર્ષાબહેને લખવાનું અને અખબારે તેને પ્રગટ કરવાનું ચાલુ રાખ્યું.

પ્રેરણાની સાથોસાથ પરિશ્રમની સુવાસથી મહેકતી અત્યાર સુધીની લેખિકાની નવલકથાઓમાં કલગીરૂપ ‘ક્રોસરોડ’ ૨૦૧૬માં પ્રગટ થઈ. તેમાં ૧૯૨૦થી ૧૯૭૦ સુધીના વિશાળ સમયપટને આવરી લીધો છે. આઝાદી પહેલાનું ગુજરાત અને આઝાદી પછીનું ગુજરાત કથાની પીછવાઈ બને છે. પાત્રો, પ્રસંગો, પરિસ્થિતિઓ, વિચારધારાઓ, આદર્શો, વગેરે વચ્ચેની ખેંચતાણ રસપ્રદ રીતે આલેખાઈ છે. અ બધાં વાનાં વડે એક મહત્ત્વના કાલખંડને લેખિકા અસરકારક રીતે વાચકની આંખ આગળ ખડો કરી શકયાં છે. કથાનું સંકલન અને આલેખન ગોફ પદ્ધતિનું છે. વિવિધ સામગ્રી ધીમે ધીમે એકમેકમાં ગૂંથાતી જાય છે અને  મનોહર આકાર ઊભો કરે છે.

વર્ષાબહેનનાં કેટલાંક પુસ્તકો

નવલકથા ઉપરાંત લેખિકા પાસેથી ૧૨ જેટલા વાર્તાસંગ્રહો મળ્યા છે. તેમાં હરિકથા અનંતા, અનુરાધા, તને સાચવે પારવતી, બીલીપત્રનું ચોથું પાન, એંધાણી, વગેરેનો સમાવેશ થાય છે. આ છે કારાગાર, વાસંતી કોયલ, મંદોદરી, શહીદ વગેરે નાટક-એકાંકીનાં પુસ્તકો વર્ષાબહેને આપ્યાં છે તો પૃથ્વીતીર્થ અને ન જાને સંસાર જેવા નિબંધસંગ્રહો પણ આપ્યા છે. શુક્રન ઈજિપ્ત, નભ ઝૂક્યું, શરણાગત, શિવોહમ્, અને ઘૂઘવે છે જળ, એ તેમનાં પ્રવાસ વર્ણનનાં પુસ્તકો છે. પણ નાટક-એકાંકી હોય, નિબંધ હોય, કે પ્રવાસ વર્ણન હોય, તેમનું કોઈ પણ પુસ્તક વાંચતાં એ વાતનો અણસાર આવ્યા વગર રહેતો નથી કે હાડે કથાકારની કલમની આ નીપજ છે.

પૂર્ણિમા નાટકમાં રાજેશ્વરીની ભૂમિકામાં

મૂળ વતન જામનગર, પણ જન્મ મુંબઈ. અને વર્ષાબહેન પાક્કાં મુંબઈકર. બીએ અને એમ.એ.નો અભ્યાસ પણ મુંબઈમાં. દસ વર્ષની ઉંમરે નાટકમાં કામ કરવાનું શરૂ કરેલું. એ વખતે છોકરીઓ તખ્તા પર ભાગ્યે જ જોવા મળતી. પણ માતા નીલાબહેન અને પિતા ગુણવંતરાયભાઈ બંનેનું સતત પ્રોત્સાહન. અલ્લાબેલી (ગુણવંતરાય આચાર્ય), મૃચ્છકટિકમ્ (શૂદ્રક્ના સંસ્કૃત નાટકનો કવિ સુન્દરમે કરેલો અનુવાદ), પૂર્ણિમા (રમણલાલ દેસાઈની નવલકથાનું રૂપાંતર), કવિ દયારામ, કાકાની શશી (કનૈયાલાલ મુનશી), ઝેર તો પીધાં છે જાણી જાણી (દર્શકની નવલકથાનું રૂપાંતર) જેવાં ગુજરાતી રંગભૂમિનાં સીમાચિહ્નરૂપ નાટકોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી. મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર અભિનેત્રી તરીકે નામ ગાજતું થયું. પણ લગ્ન પછી સ્વેચ્છાએ રંગભૂમિ છોડી. એ અંગે એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું ‘મને જીવનમાં કોઈ અફસોસ નથી. અભિનેત્રી તરીકે પરકાયાપ્રવેશ કરવાનો અનુભવ મને લેખનમાં બહુ કામ લાગ્યો છે.’ 

વર્ષાબહેન “સુધા” અને “ગુજરાતી ફેમિના” જેવાં સ્ત્રી સામયિકોના તંત્રી રહી ચૂક્યાં છે. મુંબઈની અને મુંબઈ બહારની સાહિત્યિક સંસ્થાઓ, પ્રવૃત્તિઓ, કાર્યક્રમો સાથે સતત સંકળાયેલાં રહ્યાં છે. દાયકાઓથી ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે જોડાયેલાં રહેલાં વર્ષાબહેન ૨૦૧૨માં તેના પ્રમુખ બન્યાં હતાં. પિતા ગુણવંતરાય આચાર્યની હયાતિમાં એક અક્ષર નહોતો પાડ્યો. પણ પછી? રણજિતરામ સુવર્ણચંદ્રક ગુણવંતરાયભાઈને ૧૯૪૫માં મળ્યો હતો. તે જ ચંદ્રક વર્ષાબહેનને મળ્યો ૨૦૦૫માં. તે ઉપરાંત નંદશંકર મહેતા ચંદ્રક, ક.મા. મુનશી એવોર્ડ, દર્શક એવોર્ડ, અને દિલ્હીની સાહિત્ય અકાદમીનો એવોર્ડ અણસાર નવલકથા માટે ૧૯૯૫માં મળ્યો. મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદેમીનો જીવન ગૌરવ પુરસ્કાર ૨૦૦૯માં મળ્યો. ક્રોસરોડ નવલકથાને તો અડધો ડઝન જેટલા પુરસ્કાર મળ્યા છે.

આ લખનારનો વર્ષાબહેન સાથેનો પરિચય ૧૯૬૧માં બંને જૂદી જૂદી કોલેજનાં વિદ્યાર્થી હતાં ત્યારનો. વિલ્સન કોલેજની બહારના બસ-સ્ટોપ પર પહેલી વાર મળવાનું થયેલું. હવે મળવાનું ભલે ઓછું થાય, અવારનવાર ફોન પર અડધો-પોણો કલાક ગપ્પાં મારવાનું તો ચાલુ જ. આજ સુધી તેમની સાથેનો મૈત્રીસંબંધ લીલોછમ્મ રહ્યો છે. આવો અનુભવ તેમના બીજા અસંખ્ય મિત્રો અને ચાહકોનો પણ છે. આજે જ્યારે તેઓ જીવનના ૮૧મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે સૌ મિત્રો અને ચાહકો વતી વર્ષાબહેનને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 ઍપ્રિલ 2020

Loading

કોરોનાકાળમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય

ચંદુ મહેરિયા|Opinion - Opinion|9 April 2020

યુ.પી.માં યોગી અને દિલ્હીમાં મોદીને દરબારી મીડિયાની બોલબાલા છતાં કોરોનાકાળમાં જે થોડા મુક્ત અવાજો વિરોધમાં વ્યક્ત થાય છે તે સહન થતાં નથી. વડાપ્રધાનના મત વિસ્તાર વારાણસીના દલિત મુસહર બાળકો આ દિવસોમાં ઘાસ ખાઈ રહ્યા હોવાના સમાચારો શું પ્રગટ થયા કે તંત્રની તવાઈ આવી. વારાણસી સહિત ઉત્તરપ્રદેશના ઘણાં શહેરોમાંથી પ્રગટ થતાં હિંદી દૈનિક “જનસંદેશ ટાઈમ્સ”માં વિજ્ય વિનીત અને મનીષ મિશ્રાની બાયલાઈન સાથે વારાણસીના કોઈરીપુર ગામના મુસહરો ભૂખ્યા પેટે ઘાસ ખાઈ રહ્યા હોવાના સમાચારો પ્રગટ થયાં તો રાત્રે દોઢ વાગે જિલ્લાના કલેકટર ડી.એમ. કૌશલ રાજે તંત્રીને વોટસઅપ મેસેજ કર્યો. એટલાથી ધરવ ન થતાં બીજે દિવસે  આ અખબારના તંત્રીને નોટિસ મોકલી. જેમાં જણાવ્યું કે આવા ખોટા સમાચાર પ્રગટ કરીને ‘મુસહર જાતિ કે પરિવારકો લાંછન લગાયા હૈ’.

વડાપ્રધાનના મતવિસ્તારમાં કોઈ ગરીબ બાળકો ઘાસ ખાઈને જીવતા હોય તેના સમાચારો સામે જેમને વાંધો પડે છે તેમને મુસહર કહેતાં ઉંદરો ભૂંજીને ખાતી એક આખી દલિત જમાત ભારતમાં છે, ખુદ વડાપ્રધાનના મતવિસ્તારમાં છે, તેનું લાંછન લાગતું નથી કે વાંધો પડતો નથી  !  મુસહર બાળકો ઘાસ ખાઈ પેટ ભરતા હોવાના સમાચારોને ખોટા ઠેરવવા જિલ્લા કલેકટરે પોતાના કિશોર પુત્ર સાથે મુસહર બાળકો ખાતા હતા તે જ ઘાસ પોતે ખાતા હોવાના ફોટા સોશ્યલ મીડિયા પર મૂક્યા      (સા’બ ચાકરી ક્યા ક્યા નહીં કરવાતી !) પત્રકારો જેને ઘાસ કહે છે તેને કલેકટરસાહેબે ઘાસ સાથેની સીંગ ગણાવી તે ખાઈ શકાય છે તેમ જણાવ્યું.

“જનસંદેશ ટાઈમ્સ”ને બીજા દિવસે તેમની સ્ટોરી વાસ્તવિકતાથી વિપરીત હોવાનો ખુલાસો કરવા જણાવ્યું નહીં તો કાયદેસર પગલાં લેવાશે તેમ લખ્યું. બીજા દિવસના અંકમાં કલેકટર તેમના પુત્ર સાથે ઘાસ ખાતા હોવાના ફોટા સાથેના સમાચારો પ્રગટ કરીને “જનસંદેશ ટાઈમ્સે” પોતાની વાતને વળગી રહેવાનું વલણ દાખવ્યું. અખબારનો આશય મુસહરોની દયનીય સ્થિતિ ઉજાગર કરવાનો હતો. તંત્રને બદનામ કરવાનો નહીં તેવી સ્પષ્ટતા કરી લખ્યું કે તંત્ર રાતોરાત મુસહર વસ્તીમાં પહોંચ્યું અને અનાજ પહોંચાડ્યું તેનાથી તેમનો હેતુ સિધ્ધ થયો છે આવો ખુલાસો કરીને વાત વાળી લીધી ! જો કે અન્ય વેબપોર્ટલમાં આ સમાચારો સાથે બનારસ હિંદુ યુનિવર્સિટીના કૃષિ નિષ્ણાતોના હવાલાથી જણાવવામાં આવ્યું કે બાળકો જે ખાઈ રહ્યા હતા તે ઘાસ જ હતું અને તે ઢોર પણ ખાઈ ન શકે તેવું છે.

વેબ પોર્ટલ “ધ વાયર” વિરુદ્ધ તાજેતરમાં સી.એમ. યોગી આદિત્યનાથની માનહાનિ કરતા સમાચાર પ્રગટ કરવાના આરોપસર ઉત્તરપ્રદેશ પોલીસે કેસ કર્યો છે. દેશમાં લોકડાઉનની સ્થિતિ છતાં મુખ્યમંત્રી ૨૫મી માર્ચે અયોધ્યાના રામમંદિરે સાર્વજનિક ધાર્મિક કાર્યક્રમમાં હાજર હતા તે હકીકત છે આ સમાચારમાં માનહાનિ શું છે? પોલીસે આઈ.પી.સી.ની કલમ ૧૮૮ અને ૫૦૫(૨) હેઠળ “ધ વાયર” પર સમુદાયો વચ્ચે શત્રુતા, ઘૃણા, અને વૈમનશ્યનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભમાં “ધ વાયર”નું માનવું છે કે સરકાર સાચી ટીકાથી ડરે છે. યોગ્ય વાત કહેનાર મીડિયાને વગર કારણે માનહાનિની નોટિસ ફટકારે છે. માહિતી, યોગ્ય અભિવ્યક્તિ અને પ્રેસની આઝાદી પર આ હુમલો છે. આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય રાઘવ ચઢ્ઢાએ દિલ્હીથી ઉત્તરપ્રદેશ જઈ રહેલા રાજ્યના સ્થળાંતરિત મજૂરોને સરહદે પોલીસ માર મારે છે અને તે સી.એમ.ના આદેશથી થઈ રહ્યું છે એવી ટ્વીટ કરી તો તેમના પર પણ સરકારે કેસ ઠોકી દીધો.

ભારતના બંધારણના અનુચ્છેદ ૧૯(૧) (ક)માં દેશના પ્રત્યેક નાગરિકને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર આપવામાં આવ્યો છે. જો કે આ જ અનુચ્છેદની કલમ ૧૯(૨)થી ખાસ સંજોગોમાં તેને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ લોકશાહી દેશોમાં શાસકોને હંમેશાં નાગરિકોનું સ્વાતંત્ર્ય ખટકે છે. તેઓ યેનકેન પ્રકારેણ તેના પર લગામ કસવા માંગે છે. ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ દાદ તો સ્થળાંતરિત કામદારોની સ્થિતિ અંગે માંગવામાં આવી હતી પરંતુ અમિત શાહ હસ્તકના ગૃહ વિભાગે તેને પણ પોતાની તરફેણમાં કરવાનો પ્રયાસ કર્યો. કેટલીક ન્યૂઝ ચેનલોએ લોકડાઉન ત્રણ મહિના ચાલશે તેવા જુઠ્ઠા સમાચારો ફેલાવ્યા એટલે મજૂરોએ વતન તરફ દોટ લગાવી છે. (આ સમાચારના મૂળમાં રહેલું સરકારી રાહત પેકેજ ત્રણ મહિના માટે કેમ છે તેની કોઈ સ્પષ્ટતા સરકારે કરી નહીં, તે બાબત છે તે સગવડપૂર્વક ભૂલાવી દેવાય છે !) તેમ જણાવીને હોમ સેક્રેટરી અજય ભલ્લાએ સ્ટેટસ રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ એવી માંગ કરી કે, ‘આ અભૂતપૂર્વ સ્થિતિમાં ઈલેકટ્રોનિક, પ્રિન્ટ, સોશ્યલ મીડિયા કે વેબ પોર્ટલમાંથી કોઈમાં પણ જાણેઅજાણે જુઠ્ઠી કે ખોટી ખબર આવે તો સમાજના બહુ મોટા હિસ્સામાં ડર પેદા થવાની ગંભીર અને અપરિહાર્ય સંભાવના છે. દુનિયા જેનો પ્રતિકાર કરવા પ્રયાસ કરી રહી છે તે સંક્રામક બીમારીની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આવા સમાચારો/અહેવાલોના આધારે સમાજના કોઈ પણ વર્ગની પ્રતિક્રિયા ન માત્ર આવી સ્થિતિ માટે હાનિકારક હશે બલકે પૂરા દેશનું નુકસાન કરશે. તેથી એ ન્યાયના સર્વોત્તમ હિતમાં છે કે અદાલત એ બાબતે દિશા નિર્દેશ જારી કરવાની કૃપા કરે કે કોઈ પણ ઈલેકટ્રોનિક, પ્રિન્ટ મીડિયા, વેબ પોર્ટલ કે સોશ્યલ મીડિયા કેન્દ્ર સરકારના ચોક્કસ તંત્ર પાસે સાચી તથ્યાત્મક  સ્થિતિની તપાસ કરાવ્યા સિવાય કાંઈપણ છાપી કે પ્રસારિત કરી શકશે નહીં.’ વર્તમાન કાયદાઓમાં અફવાઓ કે ફેક ન્યૂઝને ડામવાની પૂરતી જોગવાઈઓ છે. હાલમાં લાગુ આપદા પ્રબંધન કાનૂન – ૨૦૦૫ના સેકશન (૬) (૨) (૧) અને સવાસો વરસ જૂના અંગ્રેજોના જમાનાના એપિડિમિક ડિસિઝ એકટ -૧૮૯૭માં પણ આ બાબત સમાવી છે, પરંતુ સરકાર તેની જવાબદારી કોર્ટના માથે મારવા માંગતી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે અને એલ. નાગેશ્વર રાવની ખંડપીઠે કોરોના મહામારીની મુક્ત ચર્ચા પર કોઈ પ્રતિબંધનો ઈન્કાર કરીને પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે, ‘મીડિયા ઘટનાક્રમ બાબતે અધિકૃત સૂચનાઓ પ્રકાશિત કરે’   સર્વોચ્ચ અદાલતની આ સૂચનાનું સરકાર અને મીડિયા પોતાને માફક આવે તેવું અર્થઘટન કરે છે. તેનાથી મીડિયા સેન્સરશીપ અને મીડિયા સેલ્ફ સેન્સરશીપની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. એડિટર્સ ગીલ્ડ ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટના આ નિર્દેશનો વિરોધ કર્યો છે અને  જણાવ્યું છે કે પત્રકારો માટે સરકારનો અધિકૃત પક્ષ રજૂ કરવો મુશ્કેલ છે કેમ કે સરકાર ઘણી માહિતી છૂપાવે છે. ભારતમાં કોરોનાને કારણે થતાં મૃત્યુનો આંક તેનું ઉદાહરણ છે. કેન્દ્રના આરોગ્ય વિભાગની દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જે મરણાંક દર્શાવવામાં આવે છે તે ઓછો હોય છે, પરંતુ પત્રકારો રાજ્યો પાસેથી જે આંકડા મેળવે છે તેનો સરવાળો વધુ હોય છે. એડિટર્સ ગીલ્ડ, ‘સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સમાચાર પ્રસારિત કરવાની પ્રક્રિયા અવરોધાશે, ભારે મુશ્કેલી વચ્ચે પત્રકારો જે કામ કરી રહ્યા છે તેને આ નિર્દેશ પ્રભાવિત કરે છે. તેથી આ સૂચના અકારણ અને અનાવશ્યક છે’, તેમ સ્પષ્ટ જણાવે છે.

દુનિયાનું કોઈપણ લોકતંત્ર મીડિયાનું મોં બંધ કરાવીને મહામારી સામે લડી ન શકે તે સમજી લેવાની જરૂર છે. એડિટર્સ ગીલ્ડે સુપ્રીમની સૂચના અંગે વિરોધ અને દુ:ખ વ્યક્ત કર્યાં છે પણ પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પી.આઈ.બી.) અને ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસીએશન (એન.બી.એ.) સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું સમર્થન કરે છે અને મીડિયાને તેના પાલન માટે અપીલ કરે છે. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ કોરોનાકાળના ફેક ન્યૂઝથી દુ:ખી છે. ‘આપણે માત્ર કોરોના મહામારી સામે જ નથી લડી રહ્યા. જુઠ્ઠી માહિતીઓ અને સમાચારો વિરુદ્ધ પણ લડી રહ્યા છીએ. ફેક ન્યૂઝ વાયરસ કરતાં પણ વધુ સરળતાથી અને તેજ ગતિએ ફેલાઈ જાય છે એટલે તે ખતરનાક છે’, તેમ જણાવે છે.

આ દિવસોમાં ફેક ન્યૂઝની સમસ્યા બહુ મોટી છે અને તેના નિવારણ માટેના સરકારના પ્રયાસો પક્ષપાતી છે. ફેક ન્યૂઝ અને નફરતભર્યા સંદેશ ફેલાવવામાં અગ્રહરોળમાં રહેલું સત્તાક્ષનું આઈ.ટી. સેલ આ દિવસોમાં પણ જાણે ચૂંટણીનો અને ઓપિનીયન પોલનો માહોલ હોય તેમ વર્તે છે. હિંદી ફિલ્મ કલાકાર અમિતાભ બચ્ચને દરદીના મળથી પણ કોરોના ફેલાઈ શકે છે એવી ટ્વીટ કરી અને વડાપ્રધાને તે ટ્વીટ રિટ્વીટ કરી પછી આરોગ્ય મંત્રાલયે તેને રદિયો આપ્યો, પણ ત્યાં સુધીમાં તો બે જાણીતી હસ્તીઓએ કરેલી આ ટ્વીટથી ખોટી માહિતી અનેક ગણી ઝડપે ફેલાઈ ગઈ હતી. બી.જે.પી. આઈ.ટી. સેલે જનતા કરફ્યુ વખતે થનારા શંખદ્વનિની કોસ્મિક તાકાતની વાત કરી હતી. તેને પણ સરકારે ફગાવી દેવી પડી હતી. બી.જે.પી. મીડિયા સેલ મહિનાઓથી કોરોનાનો ઉપાય ગોમૂત્ર, ગોબર અને ગંગત્વ હોવાનું પ્રસારિત કરતું હતું.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ કોરોનાના ઈલાજનો દાવો કરતી આયુર્વેદ, યોગ, નેચરોપથી, યૂનાની, સિદ્ધ અને હોમિયોપથી સંબંધી જાહેરાતોના પ્રકાશન પર પ્રતિબંધ મૂકતી એડવાઝરી જારી કરવી પડી છે અને બ્રિટનના પ્રિન્સ ચાલ્સની કચેરીએ તેમના કોરોનાથી સાજા થવામાં આયુર્વેદનું કોઈ યોગદાન નથી તેવી સ્પ્ષ્ટતા કરવી પડી છે. પરંતુ ભારત સરકારનું અને બી.જે.પી. શાસિત રાજ્યોની સરકારોનું આયુષ મંત્રાલય હજુ એ જ વાતો પ્રસારિત કર્યા કરે છે. ભા.જ.પ.નું મીડિયા સેલ ધારે તો કોરોના સંબંધી સાચી ખબરો ફેલાવીને દેશની, પક્ષની અને તેમની ખુદની સરકારની બહુ મોટી સેવા કરી શકે તેમ છે, પરંતુ તેમની તાલીમ, વલણ અને અભિગમ તે પ્રકારના નથી તેથી આ કપરા કાળમાં તેની આ પ્રકારની ઉપયોગિતા રહેતી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી ભારત સરકાર અને રાજ્ય સરકારો રોજેરોજ પ્રેસ કોન્ફરન્સ કરે છે ખરી પણ પત્રકારોને ઉચિત માહિતી મળતી નથી. નાની સરખી જાહેરાત માટે પણ કેમેરા સમક્ષ હાજર થઈ જતા નેતાઓ અને પ્રધાનોએ આ કામ અધિકારીઓ પર છોડી દીધું છે અને તેઓ પત્રકારોના સવાલોના યોગ્ય જવાબો આપતા નથી. એટલે તો પત્રકારોએ ૧૦ સવાલોની સૂચિ તૈયાર કરીને આપી છે પરંતુ સરકારો પાસેથી કોરોનાના પ્રતિકારની તૈયારી અને આરોગ્ય સુવિધાઓ અંગેની પારદર્શી માહિતી મળતી નથી.

ગોદી મીડિયા કે દરબારી મીડિયા તરીકે જાણીતો મીડિયાનો મોટો વર્ગ કોરોના કાળમાં પણ ભારે બેજવાબદારીથી અને તેના ખુદના એજન્ડા પ્રમાણે જ વર્તે છે. જ્યારે મજૂરોના ઝૂંડ રસ્તા પર ઊતરી આવ્યા ત્યારે તેણે મજૂરોની પીડા અને સરકારની નિષ્ફળતા ઉજાગર કરવાને બદલે આ મજૂરોને કોરોના સંક્રમિતો તરીકે પેશ કર્યા હતા ! તેમને કારણે દેશમાં કોરોના ફેલાઈ જશે તેવી ખબરો આવવા માંડી હતી. જેવો નિઝામુદ્દીન અને તબલિગી જમાતનો વારો આવ્યો કે મીડિયાએ તે ખબરને હિંદુ મુસ્લિમ કરી નાંખી જે ખબરિયા ચેનલો કોરોનાને અસૂર ગણતી હતી. અને ‘કોરોનાસૂર કા વધ’, ‘કોરોનાસૂર કા પ્રહાર’, ‘કોરોનાસૂર મર્દિની’, ‘કોરોનાસૂર કા સંહાર’ અને લક્ષ્મણ રેખાની જેમ કોરોનાલાઈનના કાર્યક્રમો કરતી હતી તેણે ‘જમાત જેહાદ’, ‘કોરોના જેહાદ’, ‘નિઝામુદીનકા વિલન કૌન?’, ‘કોરોના કી જમાત’, ‘દેશ કા વિશ્વાસઘાત’, ‘ધર્મકે નામ પર જાનલેવા અધર્મ’ જેવા સાંપ્રદાયિક પાઠ પ્રસારિત કરવા માંડ્યા .. મરકજના સમાચારોનું સાંપ્રદાયિકરણ કરવા મીડિયા સામે કાર્યવાહી કરવા જમીયત ઉલમાએ હિંદે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તો ‘ટાઈમ્સ નાઉ’ને તબલિગના આતંકી સંગઠન સાથેના સંબંધો માટે કાનૂની નોટિસ મળી છે. વડાપ્રધાનનો પડ્યો બોલ ઝીલતી અને તેમને અછોવાના કરવામાં ગુલતાન કેટલીક મોદીભક્ત ચેનલોએ પાંચમી એપ્રિલે વડાપ્રધાનના દીવડા મહોત્સવની આરતી ઉતારવામાં કેરળના સામ્યવાદી મુખ્યમંત્રી પિનરાઈ વિજ્યન પણ ઘરની  બત્તીઓ ગુલ કરી દીવડો જલાવી બેઠા છે, તેવી બે વરસ જૂની (ખરેખર તો ઉર્જા બચત નિમિત્તેની તસ્વીરને પણ પાંચમી એપ્રિલની ગણાવી  પ્રસારિત કરી હતી!

વિરાટ ગોદી મીડિયા અને ધારે તે વાઈરલ કરાવવાની તાકાત ધરાવતા અમિત શાહના ભા.જ.પ. આઈ.ટી. સેલની અસીમ તાકાત સામે પ્રજાની પીડા અને આ કપરા કાળમાં સરકાર સામે પ્રશ્નો ઉઠાવતું લોકોનું નાનું પણ નબળું નહીં તેવું અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, સુપ્રીમ કોર્ટના નિર્દેશો પછી પણ જાગ્રત અને કાર્યશીલ છે. તે મોટી આશા જગવે છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 09 ઍપ્રિલ 2020

Loading

વાયરસ

નિલેશ કાથડ|Opinion - Opinion|9 April 2020

કુદરતી
આપત્તિનું
આજનું નામ છે
કોરોના વાયરસ. 
જડ હોય કે ચેતન
દૂર રહેવું. 
હોય ભલે ઘરનો
કે, બ્હારનો
એના સ્પર્શ માત્રથી
લઈ લેવી પાણીની છાંટ.
જેમ લેતા હતા
ખાસ ધર્મના લોકો,
એના જ ધર્મના લોકોથી.
ત્યારે પણ હતો
જનતા કર્ફ્યૂ.
જાહેર રસ્તા પર ચાલવાનું બંધ હતું. 
દુકાનોમાં પ્રવેશ બંધ હતો
ને, દરવાજા
બંધ હતા મંદિરોના.
આમ તો ગામના લોકોની બિમારી હતી.
પણ અસર ગામ છેવાડેના લોકોને થતી હતી. 
વાયરસ એટલો
ખતરનાક હતો.
કે, એની અસરથી
જીવતા માણસો
મરેલા લાગતા હતા.
ને,
ધર્મના ઠેકેદારો
તો, કહેતા હતા
કે, વાયરસ ઈશ્વર નિર્મિત છે.
નામ આભડછેટ છે.
પછી તો વાયરસે
એવી બરબાદી કરેલી. 
કે,
આજે ય એના જંતુ 
મળી આવે છે કેટલાક માણસોમાંથી.
કુદરતી આપત્તિ
કોરોના તો કાલ દૂર થશે
પણ,
માણસ સર્જિત
આપત્તિ આભડછેટ
કયારે દૂર થશે?

જૂનાગઢ

e.mail : nileshkathad1960@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 09 ઍપ્રિલ 2020

Loading

...102030...2,4812,4822,4832,484...2,4902,5002,510...

Search by

Opinion

  • લાઈક-રીલ્સથી દૂર : જ્યારે ઓનલાઈનથી ઓફલાઈન જિંદગી બહેતર થવા લાગે
  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved