Opinion Magazine
Number of visits: 9681827
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બીજી પારીનું પહેલું વરસ : પરિસ્થિતિ પાંચમે પાતાળ, બંદા આઠમે આસમાન

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 May 2020

હવે થોડા દા’ડા અને આપણા વીરનાયક એમની બીજી રાષ્ટ્રીય પારીનું પહેલું વરસ પૂરું કરશે. સામાન્ય સંજોગોમાં આઠદસ દિવસ અગાઉ તામઝામ ડિમડિમથી માહોલ ગાજી ઊઠ્યો હોત. હજુ પણ એમ બની શકે, સિવાય કે કોરોનાવશ મલાજો જાળવવાનો વિવેક સૂઝ્યો હોય. બલકે, બને કે, કોરોનાસુર નાથ્યાના અવાજો સાથે એન્ટ્રીનો આઇડિયો હોય.

2012નાં ગુજરાત વિધાનસભાનાં ચૂંટણી પરિણામો પછી એ રાષ્ટ્રીય ફલક પર નજર નોંધી રહ્યા હતા એ વખતે એમના મહિમામંડનમાં એક મજેનું ને મજબૂત પ્રચારપીંછું એ મતલબનું હતું કે આપણી આ અનેરી એકવીસમી સદીનું એ સદ્ભાગ્ય છે કે ગુજરાતથી રાષ્ટ્રીય સ્તરે ઓગણીસમી સદીમાં જેમ દયાનંદ, વીસમી સદીમાં જેમ મહાત્મા ગાંધી, તેમ હવે નરેન્દ્ર મોદી પુગવામાં છે. (આ ગુજરાતી ત્રયીમાં સરદાર બાજુએ રહી જતા હતા, પણ બચાડા સરદારને, એમના ખાસંખાસ ચાહકોને, તેમ નેહરુ પર નિરંતર શરસંધાનના મેગાઉદ્યોગને માઠું ન લાગે એ વાસ્તે, એમની મોટી દઈત અધ્ધરબમ્મ પ્રતિમા મારફતે ભૂલસુધારની સગવડ બેલાશક હતી જ.)

આમ તો, 2009માં પક્ષે જ્યારે અડવાણીનું નામ વિધિવત્ આગળ કર્યું હતું ત્યારે પણ અમારી પાસે કેવળ અડવાણી જ નહીં, પણ નમો સરખી અન્ય અનન્ય પ્રતિભા સુદ્ધાં છે એવો ઉદ્ઘોષ થવા જ લાગ્યો હતો. ભર ચૂંટણીપ્રચારે જાહેર ચર્ચામાં આ મરોડ આપવામાં અરુણ શૌરી કદાચ મોખરે હતા, જેમ પાછળથી પેટ ભરીને પસ્તાવામાં પણ હશે. ખાસ તો, નમોના વડાપ્રધાનપદની પહેલી પારીમાં એન.ડી.ટી.વી. પર ધોંસ આવી ત્યારે શૌરીએ મોદીના કટોકટીમાનસ વિશે લગારે દિલચોરી વગર પ્રગટપણે પ્રતિક્રિયા આપી હતી એ સાંભરે છે. શૌરીનો કિસ્સો દેખીતો વિલક્ષણ એ રીતે છે કે ઇંદિરા-સંજયના આકરા ટીકાકારમાંથી એ રાજીવ ગાંધીના ઉમંગી સમર્થનમાં અને એવા જ તીવ્ર વિરોધમાં, તેમ વિશ્વનાથ પ્રતાપસિંહની સાથે અને સામે જોવા મળ્યા છે. કદાચ સદાશયી, પણ નકરા બૌદ્ધિકની એ એક મર્યાદા હશે કે જ્યાંક્યાંય ક્યારેક નિર્ણાયક હોઈ શકતું નેતૃત્વ જોવા મળે ત્યાં સંકળાવામાં એ કર્તવ્યબોધ પામે છે. ઇંદિરા ગાંધીના આરંભકાળે, બાંગલાદેશના અરસામાં સંજોગો આવી મળ્યા હોત તો 1975 પછીના એમના ઉગ્ર ટીકાકાર શૌરીએ કદાચ એમની સાથે ય ઉત્કટ સંધાન અનુભવ્યું હોત.

અડવાણીનું સ્મરણ આ ક્ષણે, સવિશેષ તો, એટલા સારુ લાજિમ છે કે મોદીની પહેલી પારીના બીજા વરસમાં જ અડવાણીએ 26મી જૂનના કટોકટીદિવસે બેબાક પ્રતિક્રિયા આપી હતી કે અમે (મોરારજી દેસાઈના નેતૃત્વમાં જનતા સરકારે) ઘટતા બંધારણીય સુધારા થકી પૂરતી કાળજી લીધી છે. તેમ છતાં કટોકટી ફરી નહીં જ આવે, એવું હું કહી શકતો નથી.

ગમે તેમ પણ, આ ક્ષણે તો રાષ્ટ્રીય સ્તરે છાઈ ગયેલું નેતૃત્વ મોદીનું અને મોદીનું જ છે. એમનો સક્ષમ વિકલ્પ ઊભરી શકે એવું વ્યક્તિત્વ નાખી નજરે જણાતું નથી. નરેન્દ્ર મોદી પરત્વે નિર્વિકલ્પ ધોરણે નિ:સંદેહ વરેલા વૃત્તવિવચકો એમની બીજી પારીના પહેલા વરસની કામગીરીને કઈ રીતે જોશે? સામાન્યપણે આપણે એવું જરૂર ધારી શકીએ કે તીન તલાક અને ત્રણસો સિત્તેરમી સબબ જે છાકો અને સોપો પાડી દીધાં એ આ સૌને સારુ અપીલકારી હશે. (બંનેમાં મુસ્લિમ એન્ગલની સોઈ પણ સોજ્જી છે.) રામમંદિર ટ્રસ્ટની રચના પણ લાંબી મથામણ પછીની કળશઘટના તરીકે જોઈ શકાય. એકદમ નજીકની ચાલુ બીનાની જિકર કરીએ તો, કોરોના કટોકટીમાં લૉક ડાઉન-4ના તબક્કા લગી નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડનાર તરીકે એમને ચોક્કસ જ આગળ કરાશે. (આવે પ્રસંગે ‘ધણીની જાતદેખરેખ હેઠળ’ આગોતરી સ્ક્રિપ્ટતૈયારી, પર્યાપ્ત પ્રાસસુવિધા અને વર્ણસગાઈયુક્ત શબ્દાવલિપૂર્વક હોય એ, અલબત્ત, રાબેતો છે.)

આ દિવસોમાં તેમણે જે-તે તબક્કે થાળી, તાળી, દીવા જેવાં ઘરઆંગણાનાં સામૂહિક આયોજનો પ્રસંગે પ્રસંગે પ્રેર્યાં તે આપણે જાણીએ છીએ. આ પ્રકારનાં એલાન અને આવાહન બાબતે આ લખનારનો પ્રાથમિક અને પ્રારંભિક પ્રતિભાવ એકંદર આવકારનો (હાલની ફેશન મુજબ કહેતાં ‘સકારાત્મક’) રહ્યો છે. વાત એમ છે કે તમે એક સમુદાયને દોરી રહ્યા છો. સમૂહને દોરવાની આ પ્રક્રિયામાં નેતૃત્વ કને એક મનોવૈજ્ઞાનિક કૌશલ, દક્ષતા અને સજ્જતા જોઈએ. થાળી, તાળી, દીવા જેવાં આયોજન સમૂહમાનસને આગલા કદમ માટે તૈયાર કરવાની દૃષ્ટિએ અગત્યનાં છે. મારી પેઠે ઘણાને એની સાથે સંકળાવામાં એક વયંભાવનો સહજ ઉમંગ પણ વરતાયો હશે.

પણ આપણા આ નિર્ણાયક નેતૃત્વની મુશ્કેલી એ છે કે એમનો શૈલીઉછેર મૂળભૂતપણે ‘મૌસમ હૈ ઈવેન્ટાના’ તરેહનો છે. આફતને અવસરમાં પલટો, એ એમનું પ્રિય સૂત્ર છે. પણ ઈવેન્ટાના મિજાજમાં બને છે એવું કે એક વાર અવસર ઊભો કીધો, પછી આફતને આસાનીથી રામભરોસે પણ મેલી શકાય. અથવા તો દીવા કર્યા એટલે, રણછોડ કવિએ કહ્યું છે તેમ, પરબારું ભોમંડળમાં અજવાળું થઈ ગયું … ને કામ તમામ! રોડ મૅપનું હોવું, એ મુજબ કદમ બ કદમ, ઇંચ બ ઇંચ આગેબઢ જોઈએ, દમ બ દમ પારસ્પર્ય જોઈએ — એ બધું માર્યું ફરે. આનો, હવે તો, ક્લાસિક થઈ ગયેલો (એટલો જ કરુણ, કરપીણ, કમનસીબ) દાખલો લૉક ડાઉનની પહેલી જાહેરાત સાથે ગણતરીના જ કલાકોનો જે નકો નકો સમય અપાયેલો, એથી મચેલી અફરાતફરી, અનવસ્થા, હાલાકી અને તબાહીનો છે.

આવું કેમ થયું, આવું કેમ થતું હોય છે, એનો જવાબ શોધવા ઝાઝે દૂર જવાની જરૂરત કદાચ ન હોવી જોઈએ. નિર્ણાયક નેતૃત્વ મનોવૈજ્ઞાનિક અપીલનો આશ્રય લે એ ઠીક જ છે. પણ એમ કરતે કરતે એને ખુદનું બંધાણ થઈ જાય છે … સ્વયંસંમોહન ! એને લાગે છે, મેં કીધું, તે થઈ ગયું જાણે. સંજય ગાંધીના કિસ્સામાં દેશજનતાએ જોયું તેમ, પોતાના મનમાં પોતાને વિશે ઉત્તરોત્તર ઊંચો ને ઊંચો ખયાલ ભરાતો જાય. તે પછી આવડત-અણઆવડતને અતિક્રમીને સ્વયંસંમોહનગત એરક્રૅશ પણ થઈ શકે; કેમ કે એમની ‘દિવ્ય શક્તિ’ વિશે અનુયાયીઓને ભક્તિ જ ભક્તિ હોય, પોતાને પ્રતીતિ જ પ્રતીતિ હોય, પણ મુઆ વિમાનને એની સુધબુધ નયે હોય.

આ પ્રકારના નેતૃત્વનો એક વિશેષ એ પણ છે કે એક વાર છાકો પાડી દેતી નીતિજાહેરાત બાબતે એ પોતાનામાંથી જ અનુમોદન મેળવ્યા કરે, મીઠી વલૂર માણ્યા કરે અને પરિણામથી નિરપેક્ષપણે નિજનું મોચન લહ્યા કરે … પરિસ્થિતિ પાંચમે પાતાળ, પણ બંદા આઠમે આસમાન! આવી એક ઈવેન્ટાના અફરાતફરીનો ઝક્કાસ કિસ્સો પહેલી પારીમાં નોટબંધીનો હતો. આખા ઘટનાક્રમને તમે ‘નોટબંધી નજરબંધી’ એવું નામ આપી શકો. કાળા ધન વિશે ધોળે દિવસે કશું જાણી ન શક્યા, કેવળ જુમલેસે જુમલેનો એક ઓર અંક અંકિત થયો. તેમ છતાં, એ ચોક્કસ જ એવા દિવસો હતા જ્યારે લાઇનમાં ઊભેલો દીનહીન જન સંપૂર્ણ સંમોહનવશ પોતાને દેશની સરહદે ખડેપગા સૈનિક શો કલ્પતો હતો અને કથિત ‘શ્વેતવસના અર્થનીતિ’ના યજ્ઞમાં પોતે બલિ બનતે છતે, કેમ જાણે નાનો શો પણ હવિ કે અર્ઘ્ય આપી રહ્યાનું માનતો હતો.

જો કે, ઊલટ પક્ષે, સ્થળાંતરિત શ્રમિકો ને સૌ દીનહીન હમવતનીઓને નોટબંધી નજરબંધીની પેઠે કોરોનાકાળમાં દેશભક્તિનો અફીણી આફરો ચડી શકે એમ નથી. સરહદે ખડા સૈનિકને શારીરિક પીડા વેઠતે છતે જે જોસ્સાસુખ હોઈ શકે તે ન મૂળઠેકાણે, ન મુખઠેકાણે, રેશન અગર આધાર કાર્ડ વગર નકરા નિરાધારને ક્યાંથી મળે. પગનાં તળિયાં અને એમાં વાઢિયા ને છાલાં, બેઉ એકાકાર જેવાં … રે, ભૂખીતરસી વણજાર! કથિત નિર્ણાયક નેતૃત્વને આ જીવતરની બાલાશ પણ શા સારુ હોય વારુ. ચર્ચિલે સન બયાલીસના વારામાં બંગાળને ભૂખે મરવા દીધું હતું ને. અલબત્ત, ઇંગ્લેન્ડને એણે યુદ્ધયત્નમાં આબાદ લીડ આપી હતી. પણ સરેરાશ અંગ્રેજ જણનાં યુદ્ધોત્તર સુખદુઃખ એમના સંવેદનવિશ્વમાં અગ્રક્રમે નહોતાં તે નહોતાં. પણ દેશવત્સલ અંગ્રેજ મતદારને આ મુદ્દાની બરાબરની દાઝ હતી તે વિજયોત્તર ચૂંટણીમાં દુનિયાઆખીએ જાણ્યું, જ્યારે વિજયકળશ એટલીના નેતૃત્વમાં લેબર પાર્ટીને માથે મુકાયો. 1962માં, આપણે ત્યાં જયન્તિ દલાલ જેવાએ જાહેર સવાલ કીધો હતો, નેહરુને નોંધીને, કે અમારે ચૅમ્બરલેન પાસે ચર્ચિલની આશા રાખવાની છે? ઇંગ્લેન્ડ પાસે ચૅમ્બરલેનના વિકલ્પે યથાક્રમ ચર્ચિલ અને એટલી એમ બબ્બે પ્રતિભા હતી. આપણે નેહરુ, શાસ્ત્રી, મોરારજી, મનમોહન એમ જે તે તબક્કાના જાળવણહાર હાલ એક જ વ્યક્તિમાં શોધતા હોઈએ, તો એ કિસ્સો સંમોહને નહીં અટકતાં નિર્ભેળ મૂર્છિતતાનો કહેવાશે.

હમણાં જેની જિકર કરી, વતનમાં બેવતન અને જલાવતન એ સૌ હમવતની કને, રાંકબચાડા રોજમદાર કને એવી કરોડરજ્જુ પણ હોઈ શકવાની નથી કે ‘હમ દેખેંગે …’ બાકી ખરું પૂછો તો, આવે વખતે સંભારવી જોઈતી ક્લાસિક ઉક્તિ તો લેનિનની છે. પહેલા વિશ્વયુદ્ધમાં ઝારશાહી હસ્તકના રૂસી સૈનિકો પાસે સરખા બૂટ પણ નહોતા અને એ મોરચેથી ભાગવા લાગ્યા, ત્યારે લેનિને કહ્યું હતું કે ઝારશાહીનું ભાવિ સીલ થઈ ગયું છે.

ગમે તેમ પણ, નેતૃત્વને લૉક ડાઉનમાં રોજનું કમાઈ રોજ ખાનારને કે મજૂરી વાસ્તે સ્થળાંતરજીવી સમુદાયને કેવી ને કેટલી કિંમત ચૂકવવી પડશે એનો અંદાજ તો શું, પણ સંવેદના કે રગ સુદ્ધાં નહોતી અને ઉપરથી પડતાને પાટુ, જેમને જીવલગ વેઠવું પડ્યું ને મરવાને વાંકે જીવવાનો રાબેતો જાળવવો પડ્યો એ સૌને આપણા વીરનાયકે તપસ્વી કહ્યા. એમના સંવેદનતંત્રે જે અદ્ભૂત સામાજિક દૂરતા કેળવી છે એનો આ કંઈ પહેલો પરચો નથી. આ પૂર્વે એમણે ‘માથે મેલું’માં અધ્યાત્મબોધ બોલી બતાવ્યો હતો અને હવે તપસ્યાબોધ લઈને હાજર થયા છે. મુદ્દે, ‘ભારત’ના સરેરાશ કામદારની દસાડા દફતરે કોઈ હાજરી નથી, સિવાય કે ‘ઇન્ડિયા’ના સુખભોગ વાસ્તે એમની જે ગરજ હોય તે. રાષ્ટ્ર નામની ખયાલાતમાં નવસંદર્ભમાં કૉર્પોરેટગ્રસ્ત જે બળુકો વર્ગ તે સમીકૃત હશે તો હશે. (વહવાયું કે’દી ગામનું હિસ્સું હતું વારુ?)

બેલાશક, લોકશાહી રાહે ચૂંટાવાનું છે એટલે તે પ્રકારનો ખટાટોપ ઘટાટોપ બધો કરવો તો રહે. વડાપ્રધાનપદની પહેલી પારીએ દુકાનને પગથિયે પ્રણમી પગલું ભરતા વેપારીની યાદ આપતા હોય એ રીતે સંસદભવનના સોપાનને નમતા (કદાચ, એની ધૂળ માથે ચડાવતા) નેતૃત્વના દર્શન કર્યા હતા. એ પૂર્વે ગુજરાતમાં હાથી ઉપર બંધારણની સવારી કાઢી હતી. સિદ્ધહૈમ વ્યાકરણની પ્રણાલિમાં એ જરૂર મહાઅવસર હતો. પણ બેત આખો બંધારણના આમુખ માંહેલા ‘વી ધ પીપલ’ને ચકાચોંધ કરવાથી વિશેષ કશું મૂલ્યાત્મક તાકતો નહોતો. સરદાર મોટુંદઈત બાવલાપણું પામ્યા. નવી દિલ્હી નવું પાર્લમેન્ટ હાઉસ, નવું પી.એમ. હાઉસ અને નવો રાજપથ પામશે. દરમ્યાન, દાખડા-દેખાડામાં રાચતું નેતૃત્વ તમામ રાષ્ટ્રભક્તિને હુલસાવશે અને બીજી પારીના બીજા વરસ પર ઇતિહાસમુદ્રા અંકિત કરતે આગળ વધશે.

રાજ્યસંસ્થાની પોતાની પ્રકૃતિ અને નેતૃત્વની સુપરિચિત ગતિમતિ, એમાં ‘તમે કોરોના સાથે જીવતાં શીખો’ એ વાત બરાબરની ઠસાવવામાં આવશે. પણ એના સંવેદનક્ષેત્રમાં તમને સામાન્ય માણસ શોધ્યો નહીં જડે. સામાન્ય માણસ, એ તો બચાડો કિસ ગિનતીમેં. લૉક ડાઉન કામધંધાલાયક હવાપાણી વાસ્તે હળવું કરવું જરૂરી છે. અર્થતંત્રની ચિંતા ભલી જાણી! પણ એની બેવડમાં શ્રમકાયદામાં સુધારાની જમણે અંગૂઠેથી (રાષ્ટ્રને ખાતર) કળિ પેઠે પેંધવા લાલાયિત છે. ડિકન્સના સાહિત્ય અને ઈંગ્લંડના પુઅર લૉઝનો કંઈક વારસો અંગ્રેજ અમલે આપણને આપ્યો અને સ્વરાજસંઘર્ષે એને સંમાર્જિત કર્યો. પ્રજાસત્તાક વર્ષોમાં આપણે ઠીક સુધારા કર્યા, હવે વૈશ્વિકીકરણના દોરમાં શ્રમિક અધિકારોમાં કાપ અને તરાપ એક ન્યૂ નોર્મલ છે અને કોરોનાકૃપાએ એને સ્વીકૃતિનો અવકાશ જ અવકાશ છે.

છેલ્લાં વર્ષોમાં દેશમાં જે રાજવટ વિકસી છે એમાં વિભાજન વેળાના રક્તપાત અને હત્યાકાંડને એક અંતરાલના વિરામ પછી નવજીવન મળેલ છે. 1984, 2002 દરેક પાસે પોતપોતાનાં વાજબીપણાનો વાક્વ્યાપાર સંવેદનશૂન્ય ધોરણે છે. નરસંહારમાં રાજ્યની જવાબદારી વિશે પૂછવામાં આવે ત્યારે ‘ભાઈ, આપણે મોટરમાં બેઠા હોઈએ (ડ્રાઇવ પણ ન કરતા હોઈએ) અને ગાડી તળે ગલૂડિયું આવી જાય તોયે દુઃખ તો થાય જ ને’ એ મતલબનો, લગભગ છૂટી પડવા જેવો જવાબ આપવામાં આવે છે. ન્યુરેમ્બર્ગ ટ્રાયલ્સ શું કે દક્ષિણ આફ્રિકાનું રિકન્સિલિયેશન કમિશન શું.

અહીં તો 30મી જાન્યુઆરીએ પહેલો કોરોના કેસ થયો તે પછી એક આખો મહિનો ટ્રમ્પોત્સવ સહિત નકામો જવા દીધો અને 13મી માર્ચના સત્તાવાર પ્રતિભાવમાં પણ ‘કોઈ કટોકટી નથી’ એવી સત્તાવાર મુદ્રા પ્રગટ કરી. (રે, ગલૂડિયું!)

વાત એમ છે કે દયાહીન નૃપ અને રસહીન ધરા શો આ ઘાટ છે. સત્તાસ્થાને સમસંવેદનનું ઘોર ટાંચું પડ્યું છે અને કપરો કાળ બસર કરવાનો છે. કાશ, બીજી પારીનું બીજું વરસ બેસતે તપ્ત ધરતી પર ફોરાં શો અનુભવ થાય.

e.mail : editor.nireekshak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 21 મે 2020

Loading

ગઝલ વિશે થોડું વધારે-

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 May 2020

કવિતાને કોઈ શબ્દની છોછ નથી, પણ જે તે કાવ્યપ્રકારની સ્વરૂપ લેખે વિશેષતા છે તેમ જ મર્યાદાઓ પણ છે. જેમ કે હાઈકુ એ 17 અક્ષરની મર્યાદા સ્વીકારી છે. કોઈ 18 કે 16 અક્ષરનું હાઈકુ લખે તો તે બીજું કૈં પણ હોય, હાઈકુ નથી! એવું જ સોનેટનું. કોઈ 15 કે 13 પંક્તિનું સોનેટ ન લખી શકે.

એ જ પ્રમાણે ગઝલમાં વાતચીતના શબ્દોનું મહત્ત્વ સ્વીકારાયું છે. વારિ, ઉદધિ, સ્પંદન જેવા શબ્દો વાતચીતમાં ચલણી બને, એનો વપરાશ સહજ બને તો ગઝલમાં આવી જ શકે, પણ એનો સમય લાગે. એ એક જણનું કામ નથી. એ સ્કૂલોમાં ખપમાં લેવાય તો પ્રચાર વધારે સરળ બને. આ બધા શબ્દો કવિતાના અન્ય પ્રકારો-સોનેટ કે અછાંદસ કે ખંડકાવ્ય જેવામાં વપરાય જ છે. વાત ગઝલની હોય તો એ એક જ પ્રકાર એવો છે જેની વ્યાખ્યામાં જ વાતચીતનું મહત્ત્વ સ્વીકારાયેલું છે. એટલે એમાં સરળ, સહજ શબ્દો વધુ આવકાર્ય બને. આમ થવાનું કારણ પણ છે. મોટે ભાગના શાયરો સંસ્કૃત ને અન્ય ભાષાના અભ્યાસીઓ ન હતા. ઉર્દૂમાં લખતા હતા, પણ ઉર્દૂના બહુ મોટા અભ્યાસી ન હોય એવા પણ ઘણા શાયરો હતા. એ પછી ગુજરાતીમાં ગઝલ લખતા થયા. એમાં પણ ઘણા ગુજરાતી શાયરો બહુ ભણેલા ન હતા. એટલે જેની સહજ જાણકારી હતી એવા શબ્દોનો ઉપયોગ એમણે ગઝલમાં કર્યો, પણ એમાં જે ઉત્તમ લખનાર હતા તેઓએ ગઝલની મૂળભૂત વ્યાખ્યાને વફાદાર રહેવાનું સ્વીકાર્યું. એ વ્યાખ્યા હતી – ગઝલ એટલે પ્રિયતમા સાથે એકાંતે વાતચીત. અહીં પ્રિયતમાનો અર્થ પ્રિયતમા જ નથી.

ગુજરાતી કવિતામાં ઈશ્વરની પ્રેમિકા બનીને ઈશ્વર ભક્તિ નરસિંહ, મીરાં વગેરેએ કરી. ગઝલમાં વાત એવી નથી. એમાં ઈશ્વરને માશૂકા તરીકે, પ્રેમિકા તરીકે જોવાય છે એટલે એમાં ભક્તિનો નહીં, પણ પ્રેમનો મહિમા છે. આપણી પ્રેમલક્ષણા ભક્તિથી ગઝલ એ રીતે જુદી પડે છે. ગઝલ કૈં ભજન, પદ કે ગીત નથી. એટલે કોઈ ગીતગઝલ કે ગઝલગીત જેવા પ્રયોગો કરે છે તે બાવાના બે ય બગાડે છે. નથી એમાં ગીત રહેતું કે નથી એમાં ગઝલ રહેતી. વારુ, પ્રેમિકા સામે પંડિતની ભાષા નહીં, પ્રેમની જ વાત પ્રભાવક નીવડે. એ જ કારણ છે કે ગઝલમાં વાતચીતની ભાષા અપેક્ષિત છે. જેમને એવું છે કે તત્સમ, તદ્ભવ શબ્દોનો ગઝલમાં ઉપયોગ થવો જોઈએ તે સોનેટ, ખંડકાવ્ય કે એવા અન્ય પ્રકારોમાં એનો ઉપયોગ ભલે કરે, પણ ગઝલને ન બગાડે. લીંબુનું બહુ બહુ તો સંતરું ઠીક લાગે, તેનું તડબૂચ કરવામાં તો તેના આત્માને હણવા જેવું થશે.

ગઝલની બીજી વિશેષતા એ છે કે તે તરત જ કોમ્યુનિકેટ થાય છે. સોનેટમાં ચમત્કૃતિ 14મી પંક્તિએ આવે છે જ્યારે ગઝલના શે'રમાં એ બીજી જ પંક્તિએ આવે છે એટલે એ બીજા કોઈ પણ કાવ્ય પ્રકાર કરતાં ભાવકને વહેલી સમજાય છે. એનો આનંદ તરત જ થાય છે. એટલે જ એ સૌથી વધુ લોકપ્રિય પણ છે. આ લોકપ્રિયતાને કારણે જ જે આવે તે ગઝલ લખવા મંડી પડે છે. વધારે કૈં જાણ્યા વગર લોકપ્રિય થવા ઘણા કહેવાતા ગઝલકારો ગઝલ જેવું લખી મારે છે ને એને વખાણનારાઓ તો બિચારા ગઝલ કેમ લખાય તે તો જાણતા જ નથી એટલે એમ જ ‘વાહ,વાહ!' કરીને બિરદાવે છે ને ગઝલકાર રાજીનો રેડ થઈને વળી થોડી ગઝલ ઘસડી મારે છે. એ જ કારણ છે કે ગઝલ વધુ લખાઈ ને વગોવાઈ પણ ખૂબ છે. એમાં વાંક ગઝલનો નથી, ગઝલકારોનો છે. ગઝલને તેના ટીકાકારો નહીં મારે, ગઝલકારો જ મારશે.

બીજી એક વાત પણ મહત્ત્વની છે. સરળ શબ્દે પણ કવિતા તો સિદ્ધ થવાનું જ છે. જે શબ્દ કવિતામાં નવું રૂપ પ્રગટ ન કરે કે નવો અર્થ પ્રગટ ન કરે કે હૃદયને સ્પર્શે નહીં કે રક્તમાં આંદોલન ન જગવે તે શબ્દ સરળ હોય કે અઘરો, કવિતાને ખપનો નથી .ફાફડા, જલેબી, ઘારી, દૂધપાક જેવા શબ્દો સરળ છે, પણ એ ગઝલમાં કે કવિતા માત્રમાં કશું વિશેષ સિદ્ધ ન કરે તો એનાથી કદાચ પેટ ભરાય, મન નહીં, તે કહેવાની જરૂર ખરી?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

બાયો-મૅડિકલ કચરાના નિકાલનો પ્રશ્ન અને સફાઈ કામદારો માટેનાં જોખમ

દિલીપ મંડલ|Opinion - Opinion|20 May 2020

કોરોના વાઇરસની પ્રકૃતિ ખૂબ જ ચેપી છે તેથી તેનાથી બચવા માટે માસ્ક, ગ્લોવ્ઝ, પી.પી.ઇ. કીટ વગેરેનો મોટા પાયે ઉપયોગ થાય છે. વપરાયા પછી તે ખૂબ જ ચેપી કચરો બની જાય છે. આવો કચરો મોટા પ્રમાણમાં હૉસ્પિટલો, પૅથોલોજિકલ લેબોરેટરીઝ અને ક્વૉરન્ટીન સેન્ટરોમાં પેદા થાય છે. વાઇરસના અધિક ફેલાવાના દિવસોમાં ચીનના વુહાનમાં બાયો-મૅડિકલ કચરાની માત્રા છ ગણી વધી ગઈ હતી. ભારતના સંદર્ભમાં હજુ આવું કોઈ અધ્યયન થયું નથી, પરંતુ ધારી શકાય છે કે અહીં પણ બાયો-મૅડિકલ વેસ્ટનું પ્રમાણ ખૂબ વધી ગયું હશે. એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હૉસ્પિટલોનો કચરો — દવા, દવાનાં પૅકેટ, પાણીની બોટલ, કાગળ વગેરે અત્યાર સુધી બિનચેપી માનવામાં આવતાં હતાં. પરંતુ કોરોના વાઇરસ તેની ઉપર પણ જીવંત રહી શકે છે. એટલે હવે તેને પણ ચેપી કચરો ગણવાનો છે.

શું ભારત આટલા મોટા પ્રમાણમાં પેદા થઈ રહેલા બાયો-મૅડિકલ વેસ્ટના નિકાલ માટે સક્ષમ છે? ભારતમાં રોજ આવો ૬૦૮ ટન કચરો પેદા થાય છે. તેના નિકાલ માટે આપણી પાસે ૧૯૮ કૉમન બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટની સુવિધાઓ છે. તે ઉપરાંત ૨૨૫ હૉસ્પિટલોના પોતાના ઇન્સિનરેટરમાં કચરો સળગાવી દેવામાં આવે છે. આ સંખ્યા દેશમાં મોજુદ ૨.૬૦ લાખ હૅલ્થ કેર ફેસિલિટીના હિસાબે ઘણી જ ઓછી છે. એ પણ નોંધવું જોઈએ કે દેશનાં સાત રાજ્યોમાં કોઈ કૉમન વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી નથી! એટલે હંમેશાં દવાખાનાંનો ઘણો બધો કચરો ગમે ત્યાં ફેંકેલો કે મ્યુનિસિપાલિટીના કચરાના ઢગલામાં જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ તે ખતરનાક ગણાય. પણ એ જોખમ દેશના ૪૦ લાખ બેહદ ગરીબ અને દલિત કચરો વીણનારા માટે હોય છે. એટલે નીતિનિર્ધારકોને તેમની કોઈ ચિંતા હોતી નથી.

પરંતુ કોવિડ-૧૯થી અલગ સ્થિતિ પેદા થઈ છે. સંશોધનો પરથી જણાય છે કે જાડા કાગળ કે પૂંઠા પર કોરોના વાઇરસ ૨૪ કલાક, ધાતુ તથા પ્લાસ્ટિક પર ૭૨ કલાક એટલે કે ત્રણ દિવસો સુધી સક્રિય રહે છે. ખૂબ જ ચેપી હોવાથી આ વાઇરસ તેના સંપર્કમાં આવતા લોકોને ચેપ લગાડે છે. અત્યાર સુધી કોરોનાના પ્રત્યેક દરદીઓની સારવાર નિર્ધારિત કોવિડ હૉસ્પિટલોમાં જ થતી હતી. તે સિવાયના સંભવિત દરદીઓને નિર્ધારિત ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવતા હતા. એટલે આ જગ્યાઓએ જે કચરો પેદા થતો હતો, તેની દેખરેખ અને સુરક્ષિત રીતે નિકાલ શક્ય હતાં જો કે આવું કેટલી હદે કરવામાં આવતું હતું, એ કહેવું મુશ્કેલ છે.

પરંતુ હવે લાખો લોકો શહેરોથી ગામો અને નગરો તરફ જઈ રહ્યા છે. તેમાંના ઘણાંને ક્વૉરન્ટીન કરવામાં આવશે. શક્ય છે કે તે પૈકીના ઘણાંને તેમના ઘરમાં જ અલગ રાખવામાં આવશે. તે સિવાયનાં મામૂલી લક્ષણો ધરાવતા કોવિડ-૧૯ દરદીઓની પણ ઘરે રહીને સારવાર કરવામાં આવશે. તે તમામ લોકોને, કમ સે કમ સૈદ્ધાંતિક રીતે, ચેપ ફેલાવવા માટે સક્ષમ માનવામાં આવશે. સવાલ એ છે કે આ લોકોના ઘરે જે કચરો પેદા થશે તેનું શું કરવામાં આવશે? શું તે અલગથી સંગ્રહીને પીળા રંગની ખાસ પોલિથીન બેગમાં રાખવામાં આવશે? શું પછી તેને એકઠો કરીને નિકાલ માટે નિર્ધારિત બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી સુધી પહોંચાડવામાં આવશે? શું તેને હૉસ્પિટલોના ઈન્સિનરેટરમાં સળગાવી દેવામાં આવશે? જો આમ નહીં થાય તો આ કચરો બીજા સામાન્ય કચરા ભેગો કચરાના ખડકલામાં પહોંચીને બીજા લોકોને સંક્રમિત નહીં કરે?

હવે એવું તો માની લેવાય નહીં કે ચેપ કચરાના સંપર્કમાં આવનાર સુધી જ સીમિત રહેશે અને એ તેનો વાહક નહીં બને. એટલે કે બીજાને ચેપ નહીં લગાડે અને તેનો ફેલાવો નહીં કરે. યાદ રહે, મહાનગરોના જે વિસ્તારોને રેડ ઝોન ઘોષિત કર્યા છે ત્યાં પણ ચોકીદાર અને સફાઈ કામદારને આવતા બંધ કરવામાં આવ્યા નથી. તે સિવાય સફાઈ કામદાર અને તેના પરિવારના સભ્યો ઘણીબધી જગ્યાએ જશે. એટલે જો સફાઈ કામદાર સંક્રમિત થાય તો આ બીમારી બહુ મોટી વસ્તીમાં પ્રસરી શકે છે, એટલું સમજી લેવું જોઈએ.

આ વાત આ રીતે એટલે કહેવામાં આવી રહી છે કે જો જોખમ માત્ર સફાઈ કામદારોના માથે જ હોત તો બાકીનો સમાજ તેમને મરવા દેત. પરંતુ આ વખતે ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ માટે તે શક્ય નથી. સંક્રમણનું જોખમ એમને પણ છે. કોરોનાકાળમાં ‘પવિત્ર’ અને ‘અપવિત્ર’ લોકોનાં હિત બહુ વિચિત્ર રીતે એક થઈ ગયાં છે. જો સફાઈ કર્મચારીઓને મોટી સંખ્યામાં ચેપ લાગે તો એ પણ જોખમ છે. હાલમાં ઘણાંબધાં સફાઈ કામદારો સંક્રમણથી કોરોના પૉઝિટિવ બન્યા છે જ. તેમ છતાં તેમને કામ કરવા મજબૂર કરવામાં આવશે? શક્ય છે કે ઘણાંબધાં સફાઈ કામદારો તો જાણતા પણ નહીં હોય કે ચેપગ્રસ્ત કચરો પણ જીવલેણ નીવડી શકે છે. પરંતુ શક્ય છે કે હવે તેમને આ બાબતની ખબર પડે. બલકે જરૂરી તો એ છે કે તેમને આ જોખમથી વાકેફ કરવામાં આવે. જાન અને જહાનમાંથી — જિંદગી અને રોજગારમાંથી — જો સફાઈ કામદારો રોજગારને બદલે જિંદગીની પસંદગી કરશે તો પરિણામ શું આવશે? શું તેમને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી શકાશે? મોટા ભાગના સફાઈ કામદારો હંગામી અને રોજમદાર છે પગારના નામે તેમને મહિને દસેક હજાર રૂપિયા આપવામાં આવે છે આવા કામદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી કેટલી કારગત નીવડી શકે? ઘણાની જિંદગી તો કચરાના નિકાલ દરમિયાન તેમાંથી મળતી વસ્તુઓ પર જ નિર્ભર છે અને તેમને કોઈ જ પ્રકારનું વેતન મળતું નથી. આવા લોકોને આપણે કઈ નોકરીમાંથી કાઢી મુકીશું? શું આ લોકો પર એસેન્શિયલ સર્વિસ મેઇન્ટેનન્સ એકટ લગાવીને તેમને જેલમાં મોકલી શકાશે?

જો સફાઈ કામદારની કામગીરી આવશ્યક છે, તો તે બાબતને પ્રાથમિકતા આપીને તેમને યોગ્ય વેતન કેમ આપવામાં આવતું નથી? તેમને માસ્ક અને ગ્લોવ્ઝ વિના કામ કેમ કરવું પડે છે? તે જીવ જોખમમાં મુકીને કામ કરે છે, તો સરકાર તેમનો વીમો ઉતરાવી તેનું પ્રીમિયમ કેમ ભરતી નથી? ગટરમાં ઉતરનારા સફાઈ કામદાર વિશે માનવામાં આવે છે કે ત્યાં મોતનું જોખમ ભારત-પાકિસ્તાન સરહદ પર નોકરી કરતા સેનાના જવાન કરતાં પણ વધુ છે. તો પછી દેશ તેમનો યોગ્ય ખ્યાલ કેમ રાખતો નથી ?

આગામી સંકટથી બચવા માટે ઘણાં કામ કરવાં પડશે. સૌથી પહેલાં તો તમામ સફાઈ કામદારોને પ્રાથમિકતાના ધોરણે તમામ સુરક્ષા સાધનો આપવામાં આવે. તેમને આવાં જોખમી કામ માટે એટલો આકર્ષક પગાર આપવામાં આવે કે કોઈને કામ છોડીને જવાનું મન ના થાય. બધાં ક્વૉરન્ટીન સેન્ટર અને ઘરમાં ચેપી કચરો અલગ રાખવા બાબતે જાગૃતિ ફેલાવવામાં આવે. સામાન્ય રીતે વરસે દહાડે હૉસ્પિટલો, ક્લિનિક, પૅથોલોજિકલ લેબોરેટરી અને બાયો-મૅડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટીમાં કચરાના નિકાલ માટેની ગાઈડલાઈનનો ભંગ થવાના આશરે ૨૭,૦૦૦ કેસ જાહેર થાય છે. કોવિડ-૧૯ના સમયે તો આ લાપરવાહી જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે બધાને નિયમોથી માહિતગાર કરીને તેનો સખ્તાઈથી અમલ કરવાનું સુનિશ્ચિત કરવું પડશે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોવિડ-૧૯ના કચરાના નિકાલ અંગે વિસ્તૃત ગાઈડલાઈન પ્રગટ કરી છે. તેનો સઘન પ્રચાર આમજનતા સુધી કરવામાં આવે. કેમ કે હવે કોવિડ-૧૯ના દરદીઓ ઘરે પણ રહેશે. બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી અને ઈન્સિનરેટર બનાવવાનું રાતોરાત શક્ય નથી. પરંતુ કમ સે કમ દેશના પ્રત્યેક જિલ્લામાં આ પ્રકારની સુવિધા હોય તે દિશામાં આજથી જ કામ શરૂ કરી દેવું જોઈએ. એ ખરું કે આ લાંબા ગાળાનું કામ છે પરંતુ તે પૈકીનું કેટલું કામ જો કોરોનાકાળમાં થઈ શકતું હોય, તો તે માટે પ્રયત્નો કરવા જોઈએ.

અનુવાદ :ચંદુ મહેરિયા

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020

Loading

...102030...2,4032,4042,4052,406...2,4102,4202,430...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved